Advertisement
Author: નોબત સમાચાર

મોંઘવારી ભથ્થુ મરજીયાત નહીં, ફરજીયાત છેઃ 'સુપ્રિમ' ચૂકાદાની થશે દૂરગામી અસરો

                                                                                                                                                                                                      

સુપ્રિમકોર્ટમાં એસઆઈઆરના મુદ્દે વકીલની ભૂમિકામાં મમતા બેનર્જીએ ધારદાર દલીલો કરીને કોઈ મુખ્યમંત્રી પદે રહેલા વર્તમાન મુખ્યમંત્રી દ્વારા વકીલાત કરવાનું અભૂતપૂર્વ દૃષ્ટાંત બેસાડ્યા પછી માત્ર રાજકીય જ નહીં, કાનૂની ક્ષેત્રો તથા બાર કાઉન્સિલના વર્તુળોમાં પણ તેની ચર્ચા થઈ રહી હતી. એ દલીલો પછી સુપ્રિમકોર્ટે ચૂંટણી પંચનો જવાબ માંગ્યો છે અને સોમવારે તેની સુનાવણી થવાની છે.

બીજી તરફ ભારતીય ચૂંટણીપંચે પણ સુપ્રિમકોર્ટમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની કામગીરીમાં પશ્ચિમ બંગાળમાં સતત રાષ્ટ્રીય હસ્તક્ષેપના કારણે ચૂંટણી અધિકારીઓ પોતાની બંધારણીય ફરજો બજાવી શકતા નથી, તે પ્રકારનું એફિડેવિટ રજૂ કર્યુ છે. ચૂંટણીપંચે દલીલો કરી છે કે, દેશના બીજા કેટલાક રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થઈ છે અને ચાલી પણ રહી છે, પરંતુ પ.બંગાળમાં ચૂંટણીપંચે નિમેલા અધિકારીઓ સામે ધાકધમકી, હિંસા અને અડચણો ઊભી થવાની સંખ્યાબંધ ઘટનાઓ બની છે અને ઘણી વખત તો ચૂંટણીપંચના અધિકારીઓનો જીવ પણ જોખમમાં મૂકાયો હતો, આ પરિસ્થિતિ પર અંકુશ રાખવામાં ત્યાંની રાજય સરકાર નિષ્ફળ ગઈ છે, અને ઉલટાની ચૂંટણીપંચ સામે જ અવાજ ઉઠાવી રહી છે, જે ગેરબંધારણીય છે, અને ચૂંટણીપંચને બંધારણીય રક્ષણ મળી રહ્યું નથી.

બિહાર સરકારે એસઆઈઆરની બંધારણીય કાર્યવાહીમાં વિક્ષેપ ઊભો કર્યો હોવાનો આક્ષેપ ત્યાંનો વિરોધપક્ષ પણ કરી રહ્યો છે, તો બીજી તરફ આ કાર્યવાહીને જ બિહાર સરકારે ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો છે. હવે આ સમગ્ર વિવાદનો દડો સુપ્રિમકોર્ટના મેદાનમાં છે, એટલે કે, આ વિવાદ અંગે બન્ને પક્ષોને સાંભળીને સુપ્રિમકોર્ટ અંતિમ ફેંસલો કેવો સંભળાવે છે, તેના પર આખા દેશની નજર મંડાયેલી રહેવાની છે.

આ વિવાદ તો હજુ સુપ્રિમકોર્ટમાં પેન્ડીંગ છે અને સોમવારે તેની વધુ સુનાવણી થવાની છે, પરંતુ પ.બંગાળ સરકારને એક અન્ય કેસમાં ઝટકો આપ્યો છે. આ ઝટકો મમતા સરકારને પ.બંગાળની રાજય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના મુદ્દે લાગ્યો છે, પરંતુ તેની દૂરગામી અને દેશવ્યાપી અવસરો થવાની છે, કારણ કે મોંઘવારી ભથ્થાનો મુદ્દો દેશભરની રાજય સરકારે તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ સ્પર્શે છે અને સુપ્રિમકોર્ટના આ ચૂકાદા પછી તેની અસર આ તમામ કર્મચારીઓના હિતોના રક્ષણ માટે હકારાત્મક થવાની છે અને ઉપયોગી નીવડવાની છે.

સુપ્રિમકોર્ટમાં પ.બંગાળની સરકારે નાણાકીય સ્થિતિ નબળી હોવાથી ડિયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થુ ચૂકવવું શક્ય નથી, તેમ જણાવ્યું હતું.

પ.બંગાળ સરકારે રાજય સરકારના કર્મચારીઓ સંબંધિત લીધેલા આ નિર્ણયને ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મોંઘવારી ભથ્થુ એ કર્મચારીઓનો વૈદ્યાનિક અધિકાર છે અને તેની ચૂકવણી મરજીયાત કે વૈકલ્પિક નથી, પરંતુ ફરજીયાત છે. સુપ્રિમકોર્ટ પ.બંગાળ સરકારે વર્ષ-ર૦૦૯ થી ર૦૧૯ સુધીનું બાકી મોંઘવારી ભથ્થુ ચૂકવવાનો કમ-સે-કમ રપ ટકા એરિયર્સ ચૂકવી દેવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો છે, જે દેશભરના સરકારી કર્મચારી માટે ટોક ઓફ ધ નેશનનો મુદ્દો બન્યા છે.

સુપ્રિમકોર્ટે આ ઐતિહાસિક નિર્ણય આપ્યો, તેના કારણે કોલકતા હાઈકોર્ટ સહિત વિવિધ ઉચ્ચ અદાલતોએ આ પ્રકારની અપીલોમાં આ જ પ્રકારના જે ચૂકાદાઓ આપ્યા છે, તેના પર મંજૂરીની મહોર લાગી ગઈ છે.

આ સુનાવણી દરમિયાન સુપ્રિમકોર્ટે મુખ્ય ૧૩ જેટલા કાનૂની પ્રશ્નો પર વિચાર કર્યો હતો અને કર્મચારીઓ મંડળો તરફથી થયેલી રજૂઆતો તથા હાઈકોર્ટના ફેંસલાઓની પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન "રોપા" ના નિયમો તરીકે ઓળખાતા બંધારણીય જોગવાઈઓ હેઠળ રાજય સરકારના કર્મચારીઓના હિતો તથા કલમ-૩૦૯ હેઠળ રાજય સરકારની સત્તાઓ વિગેરે મુદ્દે વિવિધ વ્યાખ્યાઓ તથા અર્થઘટનો સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યા હતાં અને કર્મચારીઓના લિજિટિમેટ એક્સપેકટેશન સહિતના મુદ્દાઓની વિગતવાર છણાવટ કરીને નિષ્કર્ષ આપ્યો હતો.

અદાલતે ઠરાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થુ કોઈ સ્થિર રકમ નથી. પરંતુ તે મહામૂલ્યવૃદ્ધિ (મોંઘવારી) મુજબ બદલાય છે. પ.બંગાળની સરકારે ડી.એ. (મોંઘવારી ભથ્થા) ના નિયમોમાં કરેલા ફેરફારોને મનસ્વી અને તરંગી ગણાવીને કર્મચારીઓની યોગ્ય માંગણીઓને કોઈ નક્કર કારણ વગર તોડી (કચડી) નાંખી હોવાના તીખા શબ્દપ્રયોગો વાપરીને અદાલતે રાજય સરકારના અભિગમની આકરી ટીકા પણ કરી હોવાની ચર્ચા વચ્ચે હવે પ.બંગાળ સરકાર પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નહીં હોવાના તારણો પણ તજજ્ઞો કાઢી રહ્યાં છે.

સુપ્રિમકોર્ટે પ.બંગાળ સરકારની કાર્યશૈલી તથા હાઈકોર્ટના આદેશો પછી પણ અક્કડ વલણ અપનાવવાના વલણ પછી કર્મચારીઓને તબક્કાવાર એરિયર્સ ચૂકવવાની પ્રક્રિયા પણ સુપ્રિમકોર્ટની જ દેખરેખ હેઠળ થાય તેવી વ્યવસ્થા કરી છે અને તે માટે સુપ્રિમકોર્ટના નિવૃત્ત જ્જના નેતૃત્વમાં હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશો અને કેગના વરિષ્ઠ અધિકારીઓની એક વિશેષ સમિતિની રચના પણ કરી દીધી છે, જેથી રાજય સરકાર વધુ મનમાની કરી નહીં શકે.

સુપ્રિમકોર્ટનો આ ચૂકાદો માત્ર પ.બંગાળ જ નહીં, પરંતુ દેશભરના સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ પુરવાર થશે, કારણ કે, આ ચૂકાદો એ સ્પષ્ટ કરે છે કે, મોંઘવારી ભથ્થાના નીતિ નિર્ધારણ અને ચૂકવણીમાં "કોઈપણ" સરકાર મનમાની કરી શકે નહીં.

ઘણી વખત રાજય સરકારો અને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે ત્યારે તેઓ દ્વારા "કર્મચારીઓને ભેટ" કે "બક્ષિસ" જેવા શબ્દપ્રયોગો થતા હોય છે, તે શબ્દપ્રયોગો કરનારાઓને પણ સંદેશ છે કે, મોંઘવારી ભથ્થુ કોઈ ભેટ-સોગાત, બક્ષિસ કે ખેરાત નથી, પરંતુ કર્મચારીઓનો વૈધાનિક અધિકાર છે.

જો કે, આ ચૂકાદા પછી જન સામાન્યમાં કેટલાક પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે. સરકારી કર્મચારીઓને વૈદ્યાનિક અધિકાર તરીકે મોંઘવારી ભથ્થુ ચૂકવાતું રહે તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, કારણ કે સરકારી કર્મચારીઓ પણ દેશની જનતાનો જ હિસ્સો છે, પરંતુ વધતી મોંઘવારીની જેટલી અસર સરકારી કર્મચારીઓને થાય છે, તેટલી જ અન્ય લોકોને પણ થાય છે અને ગરીબ તથા નિમ્ન - મધ્યમવર્ગોને સૌથી વધુ સંઘર્ષમય આર્થિક અસરો થતી હોય છે, તેનું શું...?

જો કે, સરકાર દ્વારા ચલાવાઈ રહેલી કેટલીક યોજનાઓ, અપાતી સબસીડીઓ તથા ડીબીટીથી અપાતા લાભોનો ઉલ્લેખ કરીને સરકારી તંત્રો બચાવ કરી શકે છે, પરંતુ હકીકતે મોંઘવારી તથા બેરોજગારીમાં પિસાતી સામાન્ય ગરીબ-નિમ્ન-મધ્યમવર્ગીય જનતા માટે પણ કોઈ રાહતરૂપ નિયમિત મિકેનિઝમ ઉભું કરવું જોઈએ, તેવો જનમત અવગણી શકાય નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh