Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલી, ખાડીના દેશો પર ઈરાનના હૂમલાઓ પછી વણસતી સ્થિતિ વચ્ચે હવે ભારત અને પાકિસ્તાનના મંત્રીઓ વચ્ચે શરૂ થયેલું વાક્યુદ્ધ જોતા જો આ પ્રવર્તમાન સંઘર્ષોનો વ્યાપ વધી જશે, તો ભયંકર યુદ્ધોના કારણે માનવજીવન પર તો ખતરો મંડરાયેલો જ છે, પરંતુ વિશ્વના પર્યાવરણને થનારૂ મોટું નુકસાન ભાવિ પેઢી માટે પણ ખતરનાક બની શકે છે.
આ પ્રકારના પૂર્વ કક્ષાના યુદ્ધોમાં કોઈની પણ જીત થાય કે કોઈ પણ દેશ હારે, પરંતુ તેની માઠી અસરો સમગ્ર જીવસૃષ્ટિ, પર્યાવરણ અને જમીન-હવા-પાણી સહિતની નૈસર્ગિક બક્ષિસને થતી જ હોય છે, અને તેના દુષ્પરિણામો ભોગવવા પડતા હોય છે.
ટ્રમ્પે ગઈકાલે જ ધમકી આપી અને નરકમાં ધકેલવાનો વાણીવિલાસ કર્યો તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને જો પરમાણુ મથકો કે તેને સાંકળતા ઈન્ફ્રાસ્ટ્રકચર્સ પર હૂમલો થાય કે પછી મિજાજ ગુમાવીને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની મૂર્ખામી કોઈપણ દેશ કરી બેસે, તો શાસ્ત્રો-ગ્રન્થોમાં વર્ણવાયેલા પ્રલય અથવા કયામત થકી પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિ જ જોખમમાં આવી જાય અને અંતરિક્ષ સુધી માત્રને માત્ર બરબાદી અને વિનાશક સંહાર જ ફેલાવા લાગે, તેવી બિહામણી સંભાવનાઓ પણ ધ્રુજાવનારી છે. જો કોઈપણ દેશના સુકાની મિજાજ ગૂમાવે અને કોઈ સર્વ-વિનાશક કદમ ઉઠાવી બેસે, તો તે કોઈના એ હિતમાં નહીં હોય, તેવી ચેતવણીઓ પણ વ્યક્ત થવા લાગી છે, ત્યારે ખુદ આતંકવાદના જ્વાળામુખી પર બેસેલા પાકિસ્તાન જેવા દેશના બદલે સંયુકત રાષ્ટ્રસંઘ કે પછી ભારત સહિતના તટસ્થ અથવા બંને તરફ સારા સંબંધો ધરાવતા દેશોનું ગ્રુપ સક્રિય હસ્તક્ષેપ કરે, તેવી માંગ પણ હવે વિશ્વના જુદા જુદા ખૂણેથી ઉઠવા લાગી છે.
ટ્રમ્પની ગોળ ગોળ વાતો, વારંવાર યૂ-ટર્ન, ગમે તેવા શબ્દપ્રયોગો તથા વિરોધાભાસી નિવેદનોના કારણે વિશ્વમાં ભ્રમ ઊભો થાય છે. ગઈકાલે ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે સોમવાર સુધીમાં ઈરાન સાથે "ડીલ" થઈ જશે, અને આ માટે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે એવી શેખી પણ મારી કે જો ઈરાન સાથે ડીલ નહીં થાય, તો ઈરાની ઓઈલક્ષેત્રો પર તેનો (અમેરિકા કે ટ્રમ્પનો?) કબજો હશે, ટ્રમ્પે ફરીથી ભારતીય સમય મુજબ બુધવારની સવાર સુધીનું ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું ત્યારે પણ મંગળવાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખવાની કડક ચેતવણી આપી હતી. ઈરાને તો ટ્રમ્પના આ તમામ દાવાઓ તથા ચેતવણીઓને ફગાવીને કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો અમેરિકા (ટ્રમ્પ)ની હતાશા અને ગભરાટ પૂરવાર કરે છે. ટ્રમ્પ જીતવાના દાવા કરતા કરતા પીછેહઠ કરી રહેલા જણાય છે. જો કે, ટ્રમ્પે ઈરાનના બ્રિજ અને તેલક્ષેત્રો પર એટેકની પણ ધમકી આપી છે.
બુશહરમાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટ પાસેની એક ઈમારતને યુદ્ધ દરમ્યાન નુકસાન પહોંચ્યુ અને એક કર્મચારીનો જીવ ગયો, તે પછી ઈરાને જે ચેતવણી ઉચ્ચારી છે, તે આખી દુનિયાને હચમચાવી દેનારી છે અને ખાસ કરીને જંગલમાં ફેલાતા દાવાનળની જેમ જો ખાડીના દેશો સુધી પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફેલાઈ જાય તો ભયાનક ત્રીજા વિશ્વયુદ્ધ અથવા તો મિડલ-ઈસ્ટના સીમાડા ઓળંગીને આ યુદ્ધ બે-ચાર દેશો નહીં, પરંતુ ઘણાં બધા દેશો વચ્ચે ફેલાય જાય, તો તેના દુષ્પરિણામો આખી દુનિયાને ભોગવવા પડે તેમ છે. અમેરિકામાં ઘર આંગણે ફેલાતો અસંતોષ પણ કદાચ ટ્રમ્પને અકળાવી રહ્યો છે, તેવામાં હવે દુનિયાના દેશોએ શાંતિ માટે સક્રિય હસ્તક્ષેપ કરવો જ જોઈએ, અન્યથા ઘણું મોડુ થઈ જશે.
ઈરાનના ફોરેન મિનિસ્ટર અબ્બાસ અરાધચીએ આ મુદ્દે અમેરિકા અને ઈઝરાયલ પર આક્ષેપોની ઝડી વરસાવી છે. તેમણે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહી થઈ હતી, ત્યારે પશ્ચિમના દેશોએ અત્યંત કડક વલણ અપનાવ્યું હતું અને તીખી આલોચના કરી હતી, પરંતુ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હૂમલા થઈ રહ્યા છે, ત્યારે એ જ દેશો આ પ્રકારની કોઈપણ ચિંતા કરવાના બદલે મૌન સેવી રહ્યા છે, તે ઠીક નથી.
અરાઘચીએ તો એવો ભય પણ વ્યક્ત કર્યો છે કે મનસ્વી વલણ સાથે બેજવાબદારી પૂર્વક ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક વારંવાર થતા હૂમલાઓના કારણે જો રેડિએશન ફેલાશે તો માત્ર તહેરાન નહીં, પરંતુ ખાડીના દેશોમાં પણ જીવસૃષ્ટિ બરબાદ થઈ જશે, તેમણે એવો દાવો પણ કર્યો છે કે બુશહર ન્યુક્લિયર પ્લાન્ટની આજુબાજુ ચાર-ચાર વખત બોમ્બવર્ષા થઈ, અને ઈરાનના પેટ્રોકેમિકલ સ્થળો પર જે હૂમલાઓ થઈ રહ્યા છે, તેના કારણે રેડિએશનનો રિસાવ થશે તો ઈરાનની આજુબાજુના અમેરિકાના મિત્રદેશો પણ બરબાદ થઈ જશે.
ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સીલના કતાર, કૂવૈત, યુએઈ, બહેરીન, ઓમાન અને સાઉદી અરેબિયા સહિતના દેશોમાં ઈરાનની રેડિએશન રિસાવની સંભાવના અથવા ચેતવણીએ હાહાકાર મચાવી દીધો છે. અને આ દેશોની જનતામાં પણ ગભરાટ ફેલાયો છે.
પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન થાય, પરંતુ પરમાણુ મથકો પર હૂમલા થાય, તો પણ રેડિએશનનો ખતરો તો વધતો જ રહેવાનો છે, અને તેમાં પણ હવે યુદ્ધગ્રસ્ત દેશો સંયમ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે સમગ્ર માનવ-જીવન સહિતની જીવસૃષ્ટિ અને પ્રકૃતિ પર જ જોખમ ઊભું થઈ રહ્યું છે. આ સંજોગોમાં વિશ્વના શાંતિપ્રિય દેશો, તટસ્થ દેશો તથા સંયુક્ત રાષ્ટ્રસંઘે જો ટ્રમ્પના દાવા મુજબ ઈરાન સાથે આજે ડીલ થઈ જાય, તો તે પછી પણ સાવધ રહેવું જ પડે તેમ છે, કારણ કે યુદ્ધગ્રસ્ત દેશો અત્યારે શતરંજની રમતની જેમ વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યા હોય તેમ જણાય છે.
ખાસ કરીને જો રેડિએશનનો રિસાવ (લીકેજ) થાય, તો તે મિત્રદેશો કે દુશ્મન દેશો જેવી કોઈ સરહદો નહીં સમજે કે તેને અટકાવવાની ફૂલપ્રૂફ સિસ્ટમ પણ કોઈ પાસે નહીં હોય, તેથી હવે ઈરાન-ઈઝરાયલ અને "શાંતિદૂત" બનવા નીકળેલા અને પોતે જ યુદ્ધના જનક બનેલા ટ્રમ્પે વાસ્તવિકતા સમજવી જ પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial