Advertisement
Author: નોબત સમાચાર

'શું થયું?... કંઈ નહી'

                                                                                                                                                                                                      

'શું થયું?... કંઈ નહી...' આ બે શબ્દો વચ્ચે છૂપાયેલી છે અનકહી વ્યથા...

સમાચાર પત્ર ખોલો એટલે રોજ રોજ નજરે આવતી ઘટનાઓ એટલે હિંસા, હત્યા, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ... આ બધું બહાર આવે જ છે... સાંભળીને, વાચીને આપણને એકાદ મિનિટ અરેરાટી થાય જ છે. પણ સમાજના અનેક ઘરોમાં, બંધ બારણાની પાછળ, મોટા-મોભાદાર મકાનોમાં એક એવી વ્યથા રોજ જીવતી હોય છે જે ક્યારેય હેડલાઈન બની શકતી નથી.. આ વ્યથાનું નામ છે.. 'શું થયું?... કંઈ નહીં' આ બે વાક્યો વચ્ચે જેટલું મૌન છે, એટલું જ છૂપાવેલુ દુઃખ, દબાયેલો રોષ, અણ કહેલી ફરિયાદો અને અધૂરી આશાઓ છૂપાયેલી છે.

આ કંઈ નથી.. એટલે બધું છે... જ્યારે કોઈ સ્ત્રી એમ કહે કે.. 'કંઈ નથી' ત્યારે કદાચ તે એ કહેવા માંગતી હોય છે કે 'ઘણું છે' પણ તે કહી શકતી નથી.. ક્યારેક આ કંઈ નથી માં આખી રાતની ઊંઘ વગરની આંખ હોય છે, ક્યારેક તેમાં કોઈએ કહેલા કઠોર શબ્દ હોય છે, ક્યારેક તેમાં અવગણનાનો એક લાંબો ઈતિહાસ હોય છે, ક્યારેક તેમાં તૂટેલા સપનાની ખુંચતી કરચો હોય છે, તો ક્યારેક ન બોલાયેલા શબ્દોની ગુંજ હોય છે... પણ સમાજે સ્ત્રીને શીખવ્યું છે કે.. રડવું નહીં, ફરિયાદ કરવી નહી, વાત વધારવી નહી.. એટલે 'શું થયું'ના જવાબમાં 'કંઈ નહીં' કહીને વાતને ત્યાં જ પૂરી કરી દેવી...

આ વ્યથા માત્ર સ્ત્રીઓ પૂરતી સીમિત નથી. આજનો પુરૂષ પણ જ્યારે કહે છે કે 'કંઈ નહી' ત્યારે તેની અંદર કદાચ નિષ્ફળતાનો ડર છૂપાયેલો હોય છે. જવાબદારીનું ભારણ, સમાજની અપેક્ષાઓ અને મજબૂત દેખાવાની મજબૂરી પણ છૂપાયેલી હોય છે, પુરૂષોને રડવાની પરવાનગી નથી.. અને તેના રડવાને કે તેની વ્યથા-દુઃખને પણ નબળાઈ ગણવામાં આવે છે. એટલે એ પણ કંઈ નહી કહીને મૌન રહેવાનું પસંદ કરે છે અને મૌન એ સૌથી મોટી ચીસ છે.

માનસશાસ્ત્રીઓ કહે છે કે જે માણસ વધારે વખત કંઈ નહી કહે છે, એ અંદરથી સૌથી વધુ તૂટી રહ્યો હોય છે. કારણ કે બોલી ન શકવું એ સૌથી મોટી પીડા છે. જ્યારે શબ્દો સાથ નથી આપતા, ત્યારે આંખ અને વર્તન બોલે છે. ચીડ, ગુસ્સો, અચાનક મૌન અથવા હદથી વધુ સહનશીલતા... આ બધું કંઈ નથી ના અલગ અલગ રૂપ છે.

આજના સમયમાં જીવન ઝડપી છે, શું થયું? એ પૂછવાનો સમય છે, પણ સાંભળવાનો સમય નથી, માતા-પિતા બાળકોને પૂછે છે શું થયું? પણ બાળક કહે કે કંઈ નહીં... ત્યારે માતા-પિતા સંતોષી જાય છે. પતિ-પત્નીને પૂછે છે શું થયું? પણ જવાબ મળે છે કે કંઈ નહી.. ત્યારે બધા એમ સમજે છે કે વાત પૂરી થઈ.. પણ હકીકતમાં એ સંબંધમાં એક ઈંટ વધુ ઊંચી થઈ ગઈ હોય છે. મૌનની દીવાલ પ્વધુ મજબૂત થઈ ગઈ હોય છે.

આજના યુગમાં માણસની ખુશી સોશિયલ મીડિયા પરથી મપાય છે. સ્ટેટ્સમાં, ફેસબુક, હસતા ફોટા મુકે, હેપ્પી, બ્લેસ્ડ... ઓલ ઈઝ વેલ લખે.. પરિવાર સાથેના ફોટા મૂકે એટલે બધા વિચારે કે બધુ બરાબર છે. તે ખુશ છે, સુખી છે.. પણ અંદરથી તે ખાલી હોય છે. કોઈ પૂછે શું થયું? તો જવાબ હોય છે કંઈ નહી... કારણ કે દુઃખ બતાવવું ટ્રેન્ડમાં નથી.. ટ્રેન્ડમાં તો મજબૂત હસતા-સુખી દેખાવવાનું છે.

આ સતત દબાયેલી લાગણીઓ ક્યારેક ડિપ્રેશન બને છે. ક્યારેક ગુસ્સો તો ક્યારેક અચાનક તૂટી પડવાનું કારણ બને છે. ઘણાં સંબંધો તો મોટા ઝઘડાથી નહી પણ આ કંઈ નહી એ રોજિંદા જીવનમાં પ્રવેશી જાય, રોજબરોજ બોલાવા લાગે ત્યારે તૂટે છે.

આપણે શું થયું? એ પૂછતા શીખ્યા છીએ. કોઈ ઉદાસ હોય, કોઈના ચહેરા પર ગમગીની હોય, કોઈની આંખમાં આંસુ હોય, બહુ બોલનારા વ્યક્તિ અચાનક બોલવાનું બંધ કરી દે ત્યારે આપણે શું થયું?

એ તરત જ પૂછીએ છીએ. પણ પછી હું સાંભળવા તૈયાર છું, મને કહે કે શું થયું એવું કહેતા નથી. આપણે બાળકોને શીખવવું પડશે કે મનમાં હોય તે કહી દો. સ્ત્રીઓને સમજાવવું પશે કે દુઃખી છીએ એવું બોલવું કમજોરી નથી. પુરૂષોને કહેવું પડશે કે રડવું એ પાપ કે નબળાઈ નથી.. કંઈ નહી એમ કહીને દુઃખ.. હતાશા.. ગુસ્સો મનમાં દબાવી ન રાખો, કહી દો..

કદાચ હવે સમય આવી ગયો છે કે કંઈ નહી એ સ્વીકારવું જ નહી.. કોઈ કંઈ નહી એમ કહે તો માની લેવાને બદલે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કહીએ તેના મૌનને તોડવાની કોશિષ કરીએ, તેના દુઃખને સાંભળવાની તૈયારી રાખીએ, તેના વર્તનને સમજવાનો પ્રયત્ન કરીએ, તો કદાચ આ કંઈ નહી ના બદલે ઘણું બધું સાંભળવા મળે...

કોઈ માણસ દુઃખી હોય, નારાજ હોય, ગુસ્સો હોય ત્યારે તેને કોઈ સાંભળનાર જોઈએ. તેના આંસુ માટે એક ખભ્ભો જોઈએ, તેની હતાશાને દૂર કરવા કોઈનો સાથ જોઈએ, તેના મનના ઉભરા ઠાલવવા એક હૃદય જોઈએ.. જો આ તેને મળી જાય તો તે હળવાશ અનુભવશે... ઘણાં સંબંધો બચી જશે.. ઘણી વ્યક્તિ આત્મહત્યાના માર્ગેથી પાછી ફરશે અને ઘણાં જીવતા માણસો ફરીથી અંદરથી જીવવા લાગશે.

તો ચલો.. આજથી નક્કી કરીએ કે 'શું થયું'ના જવાબમાં 'કંઈ નહી' એમ સાંભળવા મળે તો માની લેવાને બદલે કહીએ કે... 'ના.. ઘણું છે... ચલો વાત કરીએ'... તો કદાચ કેટલાય જીવન બચી જશે.

- દિપા સોની, જામનગર.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh