Advertisement
Author: નોબત સમાચાર

સોશ્યલ મીડિયા-ઈન્ટરનેટના ફાયદા અને ભયસ્થાનો... ભારતમાં સગીરો માટે આંશિક અથવા પૂર્ણ પ્રતિબંધનું વિચારાશે ?

                                                                                                                                                                                                      

થોડા દિવસો પહેલા ત્રણ કિશોરીઓએ નવમા માળેથી કૂદીને કરેલી આત્મહત્યા પાછળ ઓનલાઈન ગેઈમ જવાબદાર હતી, તેવું બહાર આવ્યા પછી ઓનલાઈન ગેઈમીંગ-ગેમ્બલીંગ અને સોશ્યલ મીડિયાની આડઅસરોની ચર્ચા દેશભરમાં શરૂ થઈ ગઈ છે અને માતા-પિતા અને પરિવારો માટે સતત જાગૃત રહેવાની જરૂર પણ જણાવાઈ રહી છે, કારણ કે હવે આ બદી એટલી બધી વ્યાપક બની રહી છે કે થોડીક ચૂક, બેદરકારી કે ઉદારતાથી આપેલી છૂટછાટ ભારે પડી શકે છે.

ગાઝિયાબાદની એ કમનસીબ ઘટનામાં ૧૨ થી ૧૬ વર્ષની કિશોરીઓને કોરિયન કલ્ચરનો ક્રેઝ લાગુ પડયો હતો, તેવી હકીકત બહાર આવ્યા પછી તો આ મુદ્દો માત્ર સંતાનોના માતા-પિતા કે પરિવાર જ નહીં, પરંતુ સમાજ અને સરકારે પણ આ અંગે ચિંતા, ચિંતન અને પરવાહ કરવાની જરૂર છે. આ પ્રકારની હરકતોને માનસિક બીમારીની શ્રેણીમાં ગણીને આરોગ્ય વિભાગ તથા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મુદ્દો વિવિધ દેશો સાથે ચર્ચા-પરામર્શ કરીને કોઈ એવો ઉકેલ કાઢવાની જરૂર છે કે જેથી સોશ્યલ મીડિયાનો સુદપયોગ તો સુનિશ્ચિત કરી જ શકાય, પરંતુ તેનો દુરૂપયોગથી અચાનક લોકોને વેઠવી પડતી આફતોથી બચાવી શકાય અને બાળકો, કિશોર-કિશોરીઓ અને જેનઝેડના વયજૂથોમાં આ મુદ્દે વ્યાપક જાગૃતિ ફેલાવી શકાય.

ઈન્ટરનેટની સુવિધાએ દુનિયાને ગામડુ (ગ્લોબલ વિલેજ)બનાવી દીધું છે અને હથેળીના પંજામાં આખી દુનિયા મોબાઈલ સેલફોનમાં ઈન્ટરનેટના માધ્યમથી તથા અદ્યતન સંચાર તકનીક (ટેકનોલોજી)થી મૂકાઈ ગઈ છે, ત્યારે ઈન્ટરનેટના થતા દુરૂપયોગનો મુદ્દો સોશ્યલ મીડિયાના દુરૂપયોગ કરતાંયે ઘણો જ ભયાનક, ખતરનાક અને ખોફનાક છે.

ઈન્ટરનેટના માધ્યમથી જ સાયબર ફ્રોડની સમસ્યાઓ વધી છે. ઓનલાઈન ગેઈમીંગ, ઈન્ટરનેશનલ ફ્રોડ, એકાઉન્ટ હેકીંગ અને ડેટા ચોરીના કારણે ઈન્ટરનેટ વાપરનારા તો પરેશાન છે જ, પરંતુ ઈન્ટરનેટ આધારિત સેવાઓ ખોરવાઈ જાય કે સર્વર ઠપ્પ થઈ જાય ત્યારે ગરીબ-સામાન્ય જનતા પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હેરાન-પરેશાન થતી હોય છે.

આ પ્રકારની વાતો સાંભળીએ અને વ્યાપક ચર્ચાઓ થાય, ત્યારે બધો જ વાંક સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઢોળીને કદાચ આપણે અર્ધસત્ય બોલી રહ્યા છીએ અથવા પોતાને જ છેતરી રહ્યા છીએ, તેવું પણ કહી શકાય, કારણ કે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા જો ઉપયોગી ન જ હોય તો, મોટા મોટા ઉદ્યોગપતિઓ, સરકારો અને દેશ-દુનિયાના બુદ્ધિજીવીઓએ તેનો વ્યાપ વધાર્યો જ ન હોત. હકીકત એ છે કે ઈન્ટરનેટ અને તેના આધારિત સોશ્યલ મીડિયા સહિતની અદ્યતન ટેકનોલોજી તથા સુવિધાઓ આજે રોજીંદી જીવનશૈલીનું અનિવાર્ય અંગ બની ગઈ છે અને થોડી મિનિટો માટે આ ઈન્ટરનેટ અટવાઈ જાય, તો દુનિયાભરમાં હલચલ મચી જાય છે અને મોટા ભાગની સેવાઓ ખોરવાઈ જતી હોય છે.

સોશ્યલ મીડિયાના વિવિધ સ્વરૂપોના માધ્યમથી અત્યારે એજ્યુકેશન અને સંદેશા વ્યવહાર ઘણાંજ સરળ અને ઝડપી બન્યા છે, તો રોજીંદા ઘરેલુ વ્યવહારોથી માંડીને માર્કેટીંગ, ટ્રાન્પોર્ટેશન, ટ્રાવેલીંગ, બિઝનેસ, પારિવારિક કે સામાજિક પ્રસંગો, ધાર્મિક આયોજનો તથા ઉત્સવો-તહેવારોની ઉજવણી જેવા તમામ ક્ષેત્રોમાં ઈન્ટરનેટ આધારિત સેવાઓ, ઈ-મેઈલ, વેબસાઈટ્સ તથા ખાસ કરીને સોશ્યલ મીડિયાનો સકારાત્મક અને ફળદાયી ઉપયોગ થઈ જ રહ્યો છે. સરકારી વહીવટ, પત્ર-વ્યવહાર, પરિપત્રો તથા હવે તો અદાલતી અને કાનૂની કાર્યવાહી, પોલીસ કાર્યવાહી તથા બેંકીંગ સેવાઓ માટે પણ ઈન્ટરનેટ આધારિત સેવાઓ હવે બુનિયાદી જરૂરિયાત બની ગઈ છે અને તેમાં સતત થતું રહેતું અપડેટ તથા વિસ્તૃતિકરણ આપણી બધાની રોજ-બ-રોજની જિંદગીને વધુ સુવિધાજનક પણ બનાવી રહ્યું છે.

જેવી રીતે લોઢામાંથી કૃષિ ઓજાર પણ બની શકે અને ઘાતક હથિયારો પણ બની શકે, અગ્નિથી અન્ન પણ રાંધી શકાય અને એ જ આગથી મોટી મોટી ઈમારતો પણ ભસ્મીભૂત થઈ શકે, તેવી જ રીતે ઈન્ટરનેટ અને તેના આધારિત સોશ્યલ મીડિયા સહિતની સેવાઓનો સારા હેતુઓ માટે અને સમજદારીપૂર્વક ઉપયોગ થાય, તે પણ આપણાં જ હાથમાં છે અને તેનો દુરૂપયોગ ન થાય અથવા તેનો ઈરાદાપૂર્વક ગુનાહિત ઉદૃેશ્યો માટે દુરૂપયોગ કરતા તત્ત્વોને અટકાવવા કડક કાનૂનોની વાસ્તવમાં અસરકારક અમલવારી થાય, તે પણ સમાજ અને સરકારના જ હાથમાં છે, આ ઉપયોગી સુવિધાઓનો બહુહેતુક સદુપયોગ વધતો રહે, અને નેગેટિવ કે ખંડનાત્મક ઉપયોગ ઘટતો રહે, તે માટે સહિયારા પ્રયાસોની જરૂર છે.

આજે સેટેલાઈટ આધારિત સંદેશા-વ્યવહાર, ટેકનોલોજી તથા ઈન્ટરનેટના નેટવર્કના કારણે પૃથ્વીના કોઈપણ ભાગમાં હવાના દબાણમાં વધઘટ થઈ હોય, ચક્રવાત ઉદ્ભવ્યો હોય કે કુદરતી સિસ્ટમમાં ફેરફાર થઈ રહ્યો હોય, તો તરત જ ખબર પડી જાય છે અને જરૂરી રાહત-બચાવ તથા આગમચેતીના કદમ ત્વરીત ઉઠાવી શકાય છે. કુદરતી આફતો પછી થયેલા નુકસાનના અંદાજો કાઢી શકાય છે. દરિયામાં અટવાયેલા વહાણો કે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરો-વિમાનોની દુર્ગમ વિસ્તારોમાં શોધખોળ ઝડપથી કરી શકાય છે, જરૂરી ચેતવણીઓ તત્કાળ જન-જન સુધી પહોંચાડી શકાય છે. હવે તો વિવિધ પ્રેસ-મીડિયાની એપ્સ તથા વેબસાઈટ્સ, સરકારી વિભાગો-તંત્રોની વેબસાઈટસ અને એપ્સ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની વેબસાઈટ્સ અને એપ્સ, હવામાન વિભાગની વેબસાઈટસ તથા સચેત જેવી જુદી જુદી એપ્સ દ્વારા સોશ્યલ મીડિયા દ્વારા તથા ઈ-પેપર્સ, સંદેશાવ્યવહારની એપ્સ દ્વારા લોકોને તત્કાળ સાવચેત કરવાની વ્યવસ્થા થાય છે, જે ઈન્ટરનેટની વ્યવસ્થાને જ આભારી છે. સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલરૂમમાંથી નિરીક્ષણ હોય, સંસદની કાર્યવાહીનું જિવંત પ્રસારણ હોય કે પછી યુદ્ધના સમયમાં અવકાશી સંરક્ષણની વ્યવસ્થાઓ હોય, તેમાં ઈન્ટરનેટ આધારિત અદ્યતન ટેકનોલોજી ઘણી જ ઉપયોગી થઈ રહી છે.

આથી સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટની સુવિધાઓ પર દોષનું ઠીકડુ ફોડવાના બદલે આપણે અને આપણો પરિવાર-સંતાનો દ્વારા આ સુવિધાઓનો દુરૂપયોગ થતો અટકાવીએ, તે અત્યંત જરૂરી છે. હા, દુનિયાના કેટલાક દેશોની જેમ ભારતમાં સગીરો માટે સોશ્યલ મીડિયા સ્પેસ આંશિક કે પૂર્ણ પ્રતિબંધ માટે કાયદો બનાવવાનું વિચારી શકાય ખરૃં....

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh