Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે, અને પ્રથમ દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણની પરંપરા છે, અને આવતીકાલે સંસદમાં આર્થિક સર્વે રજૂ થશે અને પહેલી ફેબ્રુઆરીના કેન્દ્ર સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે, તેમ જાહેર થયું છે, ત્યારે આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે.
હકીકતે પરંપરા મુજબ કેન્દ્ર સરકારે બજેટસત્ર શરૂ થાય, તે પહેલા ગઈકાલે એક ઓલ પાર્ટી મિટિંગ યોજાઈ હતી. આ સર્વપક્ષીય બેઠકમાં ૪૦ જેટલા પક્ષોના ૫૦થી વધુ નેતાઓ હાજર રહ્યા હતા. અને "પ્રથમ ગ્રાસે મક્ષિકા" ની કહેવત મુજબ ગઈકાલે જ સરકાર અને વિપક્ષો વચ્ચે ઘેરા મતભેદો જોવા મળ્યા હતા.
હકીકતે વિરોક્ષપક્ષોએ બજેટસત્ર દરમ્યાન મનરેગાના સ્થાને લાગુ કરાયેલા જી-રામ-જી કાનૂન તથા એસઆઈઆરના મુદ્દે સંસદમાં ફરીથી વિસ્તૃત ચર્ચા કરવાની માંગણી ઉઠાવી હતી, પરંતુ સરકારે નનૈયો ભણી દેતા વિપક્ષો ગિન્નાયા છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ આ મુદ્દે સંસદમાં પૂરેપૂરી ચર્ચા થઈ ગઈ, અને કાનૂન બની ગયો, પછી હવે રિવર્સ ગીયર પડી શકે તેમ નહીં હોવાનું જણાવી બજેટસત્રમાં માત્ર બજેટની જ ચર્ચા કરવાની પરંપરાનું પાલન કરવા અને રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ દરમ્યાન વિપક્ષોને વિવિધ મુદ્દે બોલવાની છૂટ મળવાની હોવાથી તે સમયે પોતાની વાત રજૂ કરવી જોઈએ, તેવી સલાહ વિપક્ષોને આપીને હોબાળા નહીં કરવા કે ગૃહમાંથી ભાગી નહીં જવાની ટકોર પણ કરી હતી.
હકીકતમાં વિપક્ષો દ્વારા હોબાળો થાય અને બજેટસત્ર દરમ્યાન વિવાદાસ્પદ મુદ્દાઓ ઉછળે, અને તેની આડમાં અન્ય મહત્ત્વપૂર્ણ તથ્યો તથા નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટી જાય, તો સરકારને પણ દોડવું હોય અને ઢાળ મળી જશે અને હમણાંથી વિકસાવાયેલી સિક્રેટ સિસ્ટમ મુજબ હંગામા વચ્ચે પણ મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો અને બીલો સરકાર પસાર કરાવતી રહેશે, અને બજેટની જોગવાઈઓને બદલે બબાલ તથા વિવાદોના મુદ્દા ચર્ચાતા રહેશે તેવું પણ ઘણાં વિશ્લેષકો માને છે, જ્યારે ઘણાં રાજકીય પંડિતો એસઆઈઆર અને જી-રામ-જીના મુદ્દાઓ ફરીથી ઉછાળવાની સાથે સાથે પ્રવર્તમાન અન્ય મુદ્દાઓ પણ સંસદમાં વિસ્તૃત રીતે ચર્ચાય, અને તેમાં યુજીસી તથા બબ્બે શંકરાચાર્યોના અભિપ્રાયો-મંતવ્યોનો પણ સમાવેશ થાય, તે જરૂરી માને છે.
સંસદમાં એસઆઈઆર અને જી-રામ-જી કાયદાની ચર્ચા ફરીથી શરૂ થાય કે ન થાય, પરંતુ હવે બંને મુદ્દા જનસંસદમાં જરૂર ચર્ચાવા લાગ્યા છે. અને એસઆઈઆરની પ્રક્રિયાના મુદ્દે ખુદ મોદી સરકારે ક્ષોભમાં મુકાવું પડે, તેવી ઘટના ગુજરાતના સૌરાષ્ટ્રમાં બની છે, અને તેના પડઘા પણ સંસદમાં પડશે, તે નક્કી જણાય છે.
બન્યું એવું કે કેન્દ્ર સરકારે ૨૬ જાન્યુઆરીના દેશના વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનાર હસ્તીઓને પણ પુરસ્કારો આપવાની જાહેરાત કરી હતી, જેમાં જૂનાગઢના મશહુર તબલાવાદક હાજી કાસમભાઈ, જેઓ "હાજી રમકડું" ના નામથી લોક્પ્રિય છે, તેઓને મદ્મશ્રીનું સન્માન આપવાની જાહેરાત પણ થઈ હતી.
આ "પદ્મશ્રી" હાજી કાસમ (હાજી રમકડું) નું નામ જ મતદાર યાદીમાંથી હટાવવવાની અરજી ભાજપના જ કોર્પોરેટરે કરતા જે હોબાળો મચ્યો છે, તે જોતા આ સ્થિતિ ભાજપના ટોચના નેતૃત્વમાં ક્ષોભજનક જણાય છે. કારણ કે "હાજી રમકડું" ના નામથી આ તબલાવાદક ભજન, સંતવાણી, કવ્વાલી, ગઝલ વગેરેમાં પોતાની આગવી સ્ટાઈલથી તબલાવાદન અને ઢોલક વગાડે છે અને હજારો સ્ટેજ પ્રોગ્રામો તથા અન્ય કાર્યક્રમો કર્યા છે. કલાક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર આ કલાકારે કોમી એકતાનું પણ અનોખુ યોગદાન આપ્યું છે, અને ગાયોના લાભાર્થે સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા છે. કેન્દ્ર સરકારે હજુ હમણાં જ તેને "પદ્મશ્રી" જાહેર કર્યા અને શાસક પક્ષના જ કોર્પોરેટરે તેનો મતદાનનો અધિકાર પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે, તેવો સણસણતો આક્ષેપ કરતા કોંગ્રેસે કહ્યું છે કે આ જુઠ્ઠાણાની પરાકાષ્ટા છે.
કોગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ ગોલમાલની પરાકાષ્ટા છે, અને જો હાજી રમકડું જેવી હસ્તી સાથે આવો ખેલ થતો હોય તો સામાન્ય નાગરિકો સાથે શું થતું હશે ?
જો કે, વિવાદ વધતા અરજદાર કોર્પોરેટરે હાજી રમકડું પ્રત્યે સન્માન અને આદર બતાવીને માત્ર તેઓની સરનેઈમ (અટક) અલગ-અલગ હોવાથી સુધારણા કરવાની વાત કરીને વાતને વાળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે તીર કમાનમાંથી છૂટી ગયું છે અને આ કારણે ભાજપની લીડરશીપ ફિક્સમાં મૂકાઈ ગઈ હોય તેવું લાગે છે, અને આ સંદર્ભે આજે પણ જે કાંઈ થઈ રહ્યું છે અને નિવેદનો આવી રહ્યા છે, તે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ જ છે ને ?
આ પ્રકારના અભિદ્રાવ્ય સાથે અને આ દૃષ્ટાંત સાથે આ મુદ્દો સંસદમાં રજૂ કરીને એસઆઈઆરના મુદ્દે પુનઃ ચર્ચા કરવાની માંગણી વિપક્ષના સાંસદો ગૃહમાં ઉઠાવશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
સંસદમાં બીજો એક મુદ્દો યુ.જી.સી.ના નવા નિયમોનો પણ ગુંજવાનો છે. ઉત્તરપ્રદેશની યોગી સરકાર સામે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદજીના અપમાનના મુદ્દે પ્રહારો થઈ રહ્યા છે, ત્યારે અન્ય એક મુદ્દે એક બીજા ધર્માચાર્ય મેદાનમાં આવ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેર કરાયેલા "ઈક્વિટી રૂલ્સ-૨૦૨૬" ને લઈને દેશભરમાંજ જનાક્રોશ પ્રગટી રહ્યો છે, ત્યારે અયોધ્યાની તપસ્વી છાવણીના પીઠાધિશ્વર જગદ્ગુરૂ પરમહંસ આચાર્યે યુજીસીનો કાયદો પાછો ખેંચવા અથવા તેમને ઈચ્છામૃત્યુની પરવાનગી આપવાની માંગણી કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. જો કે, કેન્દ્ર સરકાર તરફથી આ કાયદાનો દુરૂપયોગ નહીં થાય, અને સુપ્રિમકોર્ટની દેખરેખ હેઠળની આ વ્યવસ્થા હેઠળ કોઈ ભેદભાવ નહીં થાય, તેવી ખાતરી આપી છે. જેના સંદર્ભે પણ સંસદમાં પડઘા પડવાના છે.
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારની નીતિઓની તરફેણ અને વિરોધમાં એક-એક અધિકારીના રાજીનામા પછી બ્યુરોક્રેટસના રાજનીતિકરણનો મુદ્દો પણ બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બન્યો છે. જો કે, આ મુદ્દે લગભગ તમામ રાજકીય પક્ષોમાં પૂર્વ બ્યુરોક્રેટસ સામેલ હોવાથી તેના પડઘા સંસદમાં કેવા અને કેટલા પડે છે, તે જોવાનું રહે છે.
હવે આજ થી સંસદમાં હોબાળા, દેકારા-પડકારા અને સંસદ સંકુલમાં વિરોધ-પ્રદર્શનોની આશંકાઓ વચ્ચે એવો આશાવાદ પણ એવો સેવાઈ રહ્યો છે કે સરકાર કેટલાક મુદ્દે વ્યૂહાત્મક પીછેહઠ કરી શકે છે અને યુજીસી-હાજી રમકડુંના સંદર્ભે ઊભા થયેલા વિવાદો તથા ધર્માચાર્યો સાથે સમાધાનની નીતિ અપનાવી શકે છે, પરંતુ તે માટે ઉભય પક્ષે ઈગો છોડીને દેશહિતને જ પ્રાધાન્ય આપવું પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial