Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીમાં ગઈકાલે થયેલા વિસ્ફોટ આત્મઘાતી આતંકી હુમલો ગણીને તપાસ શરૃઃ ડો. ઉંમર પર શંકાની સોય

જૈશ-એ-મોહમ્મદના વ્હાઈટ કોલર નેટવર્ક આ હુમલામાં સક્રિયઃ ફરાર આરોપીના પરિવારજનોની ધરપકડઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: ગઈકાલે સાંજે દિલ્હીના ચાંદનીચોક નજીક મેટ્રો સ્ટેશન, લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટમાં જૈસ-એ-મોહમ્મદનું વ્હાઈટ કોલર નેટવર્ક સક્રિય હોવાનું જાણ્યા પછી ફરાર આરોપી ડો. ઉમરના પરિવારજનોની ધરપકડ થઈ છે. ડો. ઉમરે જ આ બ્લાસ્ટ કરાવ્યો હોવાની આશંકા સાથે તપાસ ચાલી રહી છે.

ગઈકાલે સાંજે રાજધાની દિલ્હી એક ભયાનક આતંકવાદી હુમલાથી ધ્રુજી ઊઠી હતી. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા એક શક્તિશાળી કાર બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ૧ર લોકોના કરૂણ મોત થયા છે અને ર૪ થી વધુ  લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તપાસ એજન્સીઓ આ ઘટનાને આત્મઘાતી આતંકી હુમલો માની રહી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર વિસ્ફોટકોથી ભરેલી એક હ્યુન્ડાઈ આઈ-ર૦ કાર ્રાફિક સિંગ્નલ પર ઊભી રહી ત્યારે તેમાં ધડાકો થયો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વાહનો અને ઈમારતોને ગંભીર નુક્સાન થયું હતું.

આ હુમલાના તાર માત્ર ૧૮ કલાક પહેલા ફરીદાબાદ અને સહારનપુરમાં પકડાયેલા આતંકી મોડ્યુલ સાથે ોડાયેલા હોવાની પ્રબળ આશંકા છે. રવિવારે જમ્મુ-કાશ્મીર, યુપી અને હરિયાણા પોલીસના સંયુક્ત ઓપરેશને જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા એક 'વ્હાઈટ કોલર' સ્લીપર સેલનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફરીદાબાદની યુનિવર્સિટીના એક આસિસ્ટન્ટન્ટ પ્રોફેસર ડો. મુઝમ્મિલ ગનૈ, આદિલ રાઠર (સહારનપુરથી ધરપકડ) અને લખનૌની એક મહિલા ડોક્ટર શાહીન પણ સામેલ છે.

પોલીસે ફરીદાબાદના એક એપાર્ટમેન્ટમાંથી ર૯૦૦ કિલોથી વધુ વિસ્ફોટક (એમોનિયમ નાઈટ્રેટ), એકે-૪૭ એસોલ્ટ રાઈફલ, પિસ્તોલ, ર૦ ટાઈમર, રિમોટ કંટ્રોલ અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી હતી. સૂત્રોનું માનવું છે કે, આ મોડ્યુલનો ફરાર સભ્ય ડો. ઉમર મોહમ્મદ જ આઈ-ર૦ કારમાં સવાર આત્મઘાતી હુમલાખોર હોઈ શકે છે.

આ ઘટના પછી દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અયોધ્યા રામ મંદિર સહિત દેશના સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહમંત્રીએ રાત્રે એલએનજેપી હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડો. ઉમરે વિસ્ફોટકો સાથે પોતાને ઊડાવી દીધો હતો. કાશ્મીર પોલીસે ડીએનએ ટેસ્ટીંગ માટે પુલવામામાં તેની માતા અને બે ભાઈઓની અટકાયત કરી હતી. સુરક્ષઅ એજન્સીઓએ સાવચેતીના પગલાં રૂપે બે મેટ્રો સ્ટેશનના દરવાજા બંધ કરી દીધા છે. લાલ કિલ્લો પણ ૧૩ નવેમ્બર સુધી જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

દિલ્હી વિસ્ફોટ મામલે શંકાસ્પદ મોહમ્મદ ઉમરના બે ભાઈ અને માતા સહિત કુલ ૧ર લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે. એક હજારથી વધુ જવાનો દ્વારા મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

દિલ્હી બ્લાસ્ટની ઘટનાના થોડીવાર પહેલાના સીસી ટીવી કૂટેજ સામે આવ્યા છે, જેમાં એક ૧ર૦ કાર ટ્રાફિકમાંથી પસાર થતી દેખાઈ રહી છે. કારની અંદર જે વ્યક્તિ બેઠો છે તે આતંકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેણે કાળા રંગનો માસ્ક પહેર્યો હોય તેવું લાગે છે. આ સીસી ટીવી કૂટેજ બ્લાસ્ટમાં મહત્ત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે. આ કાર ચાલક ડો. ઉમર ઓહમ્મદ હોવાનું કહેવાઈ રહ્યું છે, જે ડ્રાઈવીંગ સીટ પર બ્લેક માસ્ક પહેરીને બેઠો હતો.

વિસ્ફોટમાં જે કારનો ઉપયોગ થયો હોવાનું કહેવાય યછે તે ૧-ર૦ કાર સલમાન નામના વ્યક્તિના નામે નોંધાવેલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર માલિક સલમાનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપછર દરમિયાન સલમાને કહ્યું છે કે, તેણે આ કાર અન્ય કોઈ વ્યક્તિને વેંચી દીધી હતી. આ કાર હરિયાણાની એચઆર નંબરની હતી, જેનું રજિસ્ટ્રેશન વર્ષ ર૦૧૪ માં ગુરુગ્રામના સરનામે થયું હતું. સફેદ રંગની આ કારમાં સીએનઓ કીટ લાગેલી હતી. પોલીસ હવે આરટીઓ ના રેકોર્ડસ દ્વારા કારના વેંચાણ અને ટ્રાન્સફરની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી એ જાણી શકાય કે વિસ્ફોટ સમયે આ કાર કોના કબજામાં હતી અને તેનો હાલનો સાચો માલિક કોણ છે.

ગત્ રાત્રે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જે સ્થળે બ્લાસ્ટ થયો ત્યાં પહોંચ્યા હતાં. ઘટના સ્થળની મુલાકાત લઈ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

અમીત શાહે વધુમાં કહ્યું કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, એનઆઈએ ટીમ, એસપીજી ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ બ્લાસ્ટ આતંકવાદી ઘટના છે કે નહીં તે અંગે જવાબ આપતા અમિત શાહે કહ્યું કે અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. ઘટના સ્થળથી લેવામાં આવેલા સેમ્પલની એફએસએલ અને એનએસજી દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી કશું પણ કહેવાું વધારે છે. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે કેન્દ્રિય મંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે, તેથી બપોર પછી સત્તાવાર અને વિગતવાર હકીકતો જાણવા મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લાસ્ટ પછી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હતી. તેમણે એક્સ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, આજે સાંજે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં પરિજનોને ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવદના. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના. મેં ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય અધિકારીઓ પાસે જાણકારી મેળવી સ્થિતિની સમીક્ષા કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh