Advertisement
Author: નોબત સમાચાર

વૈશ્વિક યુદ્ધો કરતા યે આંતરિક ગૃહયુદ્ધો વધુ ખતરનાક... ફરી વૈશ્વિક ચિંતા પ્રસરી...

                                                                                                                                                                                                      

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની વાતો વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે થંભી ગયેલા યુદ્ધમાં પલિતો ચપાયો છે, અને ઈરાનના અટકચાળા પછી અમેરિકાએ ફરી એરસ્ટ્રાઈક કરી છે, તો બીજી તરફ વિશ્વના ભારત સહિતના ઘણાં તટસ્થ દેશો વિશ્વમાં શાંતિની સ્થાપનાના હિમાયતી છે. વિશ્વમાં વાતાવરણ ડહોળાયેલું છે, તેવા સમયે વિશ્વશાંતિની વકીલાત કરતા દુનિયાના તટસ્થ દેશો યુદ્ધોના બદલે વિવાદાસ્પદ મુદ્દાઓ વાતચીત અને સમજદારીથી ઉકેલવાની હિમાયત પણ કરતા રહ્યા છે, તેથી ટ્રમ્પની તુમાખી અને પુતિનની જીદ્ વચ્ચે હાલતુરત વિશ્વમાં વ્યાપક શાંતિના મંડાણ થશે, તેવી આશા ઠગારી નિવડતી જણાય છે.

તકલીફ એ છે કે શાંતિદૂત બનવા નીકળેલા અને શાંતિના નોબેલ પુરસ્કારનો અભરખો રાખનારા ટ્રમ્પે પોતે જ ઈઝરાયલ-ઈરાનના યદ્ધ વચ્ચે ઝંપલાવીને યુદ્ધ વહોરી લીધું, અને દુનિયાની મહાસત્તા હોવા છતાં ઈરાનને વટથી હરાવી કે ડગાવી નહીં શકનાર અમેરિકાની છબિ પણ ખરડાઈ તેથી ઘરઆંગણે અમેરિકામાં જ ટ્રમ્પનો વિરોધ વધુ વકરી રહ્યો છે.

એક તરફ યુદ્ધો ખતમ કરીને વૈશ્વિક શાંતિ સ્થાપવાના સામૂહિક પ્રયાસો નિષ્ફળ બની રહ્યા છે, તો બીજી વિશ્વના ઘણાં દેશોમાં આંતરિક અશાંતિ, વિદ્રોહ અને આઝાદીના આંદોલનોના કારણે ગૃહયુદ્ધો ગતિ પકડી રહ્યા છે, જેમાં ભારતના બે પડોશી દેશોમાં ચાલતા ગૃહયુદ્ધો મોખરે જણાય છે. આ ગૃહયુદ્ધો કોઈ બે દેશો વચ્ચે ચાલતા સશસ્ત્ર યુદ્ધો જેવા જ હોવાથી વૈશ્વિક ચિંતા વધી રહી છે.

તે ઉપરાંત વિશ્વના ઘણાં દેશોમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. સિરિયામાં તો લાંબા સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રોન સિરિયાના પ્રવાસે હતાં, ત્યારે જ થયેલો વિસ્ફોટ આંતરિક ખેંચતાણનું જ પરિણામ છે, જો કે બશર-અલ-રશીદ સિરિયાના શાસક બન્યા પછી માહોલ બદલાયો છે, અને વિવિધ દેશો સાથે સંબંધ સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદ્રોહીઓ તેમાં અવરોધ ઊભા કરતા રહેતા હોવાથી બશર-અલ-રશીદને આંતરવિગ્રહનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે મૈંક્રોને પ્રવાસ યથાવત્ રાખીને વિદ્રોહીઓને જવાબ આપી દીધો છે, પરંતુ આ આંતરયુદ્ધ પડકારરૂપ તો છે જ...

ભારતના પડોશમાં પણ આંતરવિગ્રહની ઘટનાઓ બની રહી છે. મ્યાનમારમાં રખાઈન રાજ્યમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. મ્યાનમારના સૈન્ય શાસન સામે રખાઈનની આઝાદીની માગણી સાથે અરાકાન આર્મી ગૃહયુદ્ધ કરી રહી છે. બૌદ્ધ સશસ્ત્ર સમૂહે અરાકાન સેનાની રચના કરીને રખાઈનને મ્યાનમારથી સ્વતંત્ર કરવા આદરેલી લાંબી લડત રંગ લાવી રહી છે, અને લોકતંત્રની સ્થાપનાની દિશામાં ચાલી રહેલી લડતને સફળતા મળવાના સંજોગો ઉજળા થવા લાગ્યા છે. મ્યાનમારની તાત્માડો સેના અને રખાઈનની અરાકાન આર્મી વચ્ચેનું ગૃહયુદ્ધ લાંબા સમયથી ચાલે છે, અને હવે અરાકાન આર્મીનું વર્ચસ્વ વધી રહ્યું છે.

હાલમાં અરાકાન આર્મીએ રખાઈન સ્ટેટના મહત્તમ હિસ્સા પર કબજો મેળવ્યા પછી ત્યાંના સ્થાનિક વહીવટી, આર્થિક અને કાયદાકીય સરકારી કામકાજો પણ સંભાળી લીધા છે, અને હવે રખાઈનને સ્વતંત્ર લોકતાંત્રિક દેશ ઘોષિત કરવાની માંગણી પણ વધુ ને વધુ તીવ્ર બની રહી છે.

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તો એકથી વધુ આંતરયુદ્ધો ચાલી રહ્યા છે. લાંબા સમયથી બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરવાની માંગણી સાથે બી.એલ.ઓ. એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાનની સેના સાથે ગૃહયુદ્ધ લડી રહી છે.

બલુચ સંસ્કૃતિઓના રક્ષણ તથા લોકતાંત્રિક શોષણથી મુક્ત શાસન માટે આ આંદોલન ચાલી રહ્યું છે. પાકિસ્તાન સરકાર અને સેના તેઓને ઉગ્રવાદી ગણાવે છે, જ્યારે બલુચો આ સંગઠનને ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક સંગઠન માને છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, ત્યારે પાકિસ્તાન સાથે મહત્તમ બલુચો જોડાવા માંગતા નહીં હોવા છતાં તે સમયે પાકિસ્તાન તરફી પરિબળોએ બલુચિસ્તાન પર કબજો જમાવી દીધો અને તે માટે ખૂનખરાબા થયા, એ અલગ ઈતિહાસ છે. હવે બલુચિસ્તાન પાકિસ્તાનની સેનાને જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે, અને પાકિસતાનથી અલગ સ્વતંત્ર લોકતાંત્રિક ધર્મનિરપેક્ષ દેશ તરીકે માન્યતા મેળવવા માંગે છે.

બીજી તરફ પીઓકેમાં પાકિસ્તાનની સરકાર અને સેના સામે પીઓકેની પ્રજાએ બળવો કર્યો છે. પીઓકેના લોકો પાકિસ્તાનથી વાસ્તવમાં આઝાદી ઈચ્છે છે. આ માટે જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટીની રચના થઈ છે. પાકિસ્તાનની સેનાના અત્યાચારો તથા પાકિસ્તાન સરકારની ભેદભાવભરી પક્ષપાતપૂર્ણ નીતિ સાથે કહેવાતા આઝાદ કાશ્મીર પર દમન અને અવગણના સામે જેએએસીની આ ચળવળ આઝાદી પહેલાની અંગ્રેજો સામેની સ્વાતંત્ર્ય ચળવળની યાદ અપાવી રહી છે. પીઓકેમાં લોકો સડકો પર ઉતર્યા છે અને આઝાદીની માંગણી કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની સરકાર અને સેનાએ પીઓકેમાં જતો દૂધ-શાકભાજી-જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પણ રોકી દેતા વિદ્રોહ વધુ વકર્યો છે. પીકોએના રાવલકોટ, મીરકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદ સહિત અનેક સ્થળે પાકિસ્તાનની નિર્દય સેનાના અત્યાચારોનો સામનો કરીને લોકો સડકો પર ઉતર્યા છે અને નારેબાજી કરી રહ્યા છે. આ આંદોલનને કચડી નાખવા હિંસક દમન સાથે પાકિસ્તાનની સેનાએ સેંકડો લોકોને ગિરફ્તાર કર્યા છે, જેની સામે આંદોલનકારીઓએ પણ સ્વાતંત્ર્ય ચળવળ સમયના 'જેલભરો' આંદોલન જેવી ચળવળ શરૂ કરી છે. આંદોલનકારીઓએ પીઓકેને પાકિસ્તાનથી આઝાદ કરવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.

આ ઉપરાંત સુદાન, નાઈઝીરિયા, સોમાલિયા, બુર્કિના ફાસો, માલી સહિતના ઘણાં દેશોમાં સરકાર સામે બળવાખોર જુથોની નાની-મોટી લડાઈઓ ચાલી રહી છે.

વિવિધ દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય યુદ્ધો કરતા યે ગૃહયુદ્ધો વધુ ખતરનાક હોય છે, કારણ કે દેશો વચ્ચેના યુદ્ધો માટે કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમ-કાયદાઓ તથા પરંપરાઓ છે, જ્યારે ગૃહયુદ્ધમાં કોઈ ચોક્કસ નિયમ-કાયદાઓ યુદ્ધોને અંકુશિત કે નિયંત્રિત કરતા નથી કે સરકારોનું નિયમન કરી શકતા હોતા નથી. પીઓકે અને રખાઈનની આઝાદીની લડાઈમાંથી બે નવા લોકતાંત્રિક દેશ બને કે પીઓકે ભારતમાં ભળી જાય તેવા સંજોગો છે. બીજી તરફ ચીને તાઈવાન ફરતે કરેલી કિલ્લેબંધી પણ વૈશ્વિક ચિંતાનું કારણ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh