Advertisement
Author: નોબત સમાચાર

મોટા ટ્રકમાંથી પવનચક્કીનું પાંખીયું લસરતા ચગદાઈ જવાથી યુવાનનું મૃત્યુઃ દડિયા પાસે અકસ્માતમાં તરૂણનું મોત

અન્ય એક તરૂણને સારવારમાં ખસેડાયોઃ પ્રતિબંધિત પુલ પરથી ટ્રક ચલાવતો ચાલક ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: લાલપુરના નવા ધુણીયા ગામથી માધુપુર ગામ વચ્ચે ગયા શુક્રવારે સાંજે પવનચક્કીનું મોટું પાંખીયુ ભરીને જતા ટ્રેલરમાંથી પાંખીયું લસરી પડતા તેની નીચે ચગદાઈ જવાથી એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ટ્રેલરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે શનિવારે બપોરે દડિયા ગામ પાસે એક્સેસ સ્કૂટર સાથે બોલેરો ટકરાઈ પડતા એક તરૂણનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે અને એક તરૂણ ઘવાયો છે. જામજોધપુરના નરમાણા ગામ પાસે એક પુલ પરથી ભારે વાહન પસાર કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું હોવા છતાં એક ટ્રક તેના પરથી નીકળતા પોલીસે ખુદ ફરિયાદી બની ટ્રકચાલક સામે ગુન્હો નોંધાવ્યો છે.

લાલપુર તાલુકાના નવા ધુણિયા ગામથી માધુપુર ગામ તરફ જવાના રસ્તા પરથી શુક્રવારે સાંજે સાડા પાંચેક વાગ્યે જીજે-૨૭-ટીએફ ૩૯૯૧ નંબરનું ટ્રેલર પવનચક્કીનું મોટું પાંખીયું ભરીને પસાર થઈ રહ્યું હતું. આ વેળાએ તે ટ્રેલર-ટ્રકના ઠાઠામાં દીપકભાઈ નામના યુવાન બેસેલા હતા. આ ટ્રેલર જ્યારે માધુપુર ગામ તરફ જતા રોડ પર ચડ્યું ત્યારે કોઈ રીતે તેના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલરમાંથી પવનચક્કીનું પાંખીયું લસરી પડ્યું હતું અને ત્યારે જ ઠાઠામાં બેસેલા દીપકભાઈ રોડ પર પછડાયા હતા.

આ યુવાન રોડ પર પછડાયા ત્યારે જ તેમની માથે પવનચક્કીનું પાંખીયું પડતા તેઓ ચગદાઈ ગયા હતા. ગંભીર ઈજા પામેલા દીપકભાઈનું મૃત્યુ નીપજ્યું છે. મૂળ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જિલ્લાના વતની અને હાલમાં સુરતના ડીંડોલીમાં રહેતા વિવેકભાઈ રામસિંગ યાદવે ટ્રેલરના ચાલક સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર નજીકના દડિયા ગામ પાસેથી શનિવારે બપોરે દોઢેક વાગ્યે ૧૭ વર્ષના રણજીત નામના તરૂણ તથા તેની પાછળ જયદીપ પાધરેશા નામના તરૂણ જીજે-૧૦-સીકે ૧૨૪૦ નંબરના એક્સેસ સ્કૂટરમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૩૭-ટી ૬૪૬૨ નંબરની બોલેરોના ચાલકે બેફિકરાઈપૂર્વક ડ્રાઇવિંગ કરી એક્સેસને હડફેટે લેતા બંને તરૂણ રોડ પર પછડાયા હતા અને ગંભીર ઈજા પામ્યા હતા.

અકસ્માત સર્જી બોલેરોનો ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો. બંને ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રણજીતનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે દડિયા ગામના વાસુદેવ ડાયાભાઈ ધ્રુવે પોલીસમાં બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળાથી નરમાણા ગામ વચ્ચે આવેલા ગાંગણપાટના પુલ પરથી ભારે વાહનના નીકળવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં જેતપુરના નવાગઢ ગામના મહેબુબ ઉમર શેખ નામના ડ્રાઈવરે જીજે-૧૪-ટી ૪૮૮૩ નંબરના ટ્રક તેના પરથી ચલાવતા શેઠવડાળાના પોલીસમેન એ.આર. ડુઆએ ખુદ ફરિયાદી બની તેની સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh