Advertisement
Author: નોબત સમાચાર

બદલતા સમીકરણો... પલટાતી માનસિકતા... સમય સમય બલવાન હૈ... નહીં માનવ બલવાન...

                                                                                                                                                                                                      

"સમય સમય બલવાન હૈ નહીં પુરૂષ બલવાન, કાબે અર્જુન લૂંટયો, વહી ધનુષ વહી બાણ..." જેવી પંક્તિઓમાંથી એક નક્કર વાસ્તવિકતા પ્રગટે છે. ખરેખર, સમય બલવાન પણ છે અને ઔષધ પણ છે. જિંદગીની કડવી સ્મૃતિઓ તથા દિલ પર લાગેલા ઝખમોને સમયનો મલમ જ હળવા કરી શકે છે. કોઈ પણ વિપરીત સંજોગો, ગેરસમજ, ગુસ્સા કે મજબૂરીના કારણે બગડેલા સંબંધો પણ સમય જતા સુધરી જતા હોય છે, તો દુઃખના ડુંગર પણ સમય જતા હટી જતા હોય છે, સમય એવું ઔષધ છે, જે જૂના દર્દોને મટાડીને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે, એવી જ રીતે આ જ સમયમાં એટલી તાકાત પણ છે, જે ભલભલા તાનાશાહોને પણ તબાહ કરી શકે છે અને હરામખોરોને હણી પણ શકે છે. એક સમયે સર્વ સત્તાધીશ કે સર્વાધિક બુદ્ધિશાળી ગણતા લોકો પણ એ જ સમયની થપાટો પડયા પછી સત્તાવિહોણા-લાચાર અને પાગલ કે બુદ્ધુ બની જતા હોવાના ઘણાં દૃષ્ટાંતો ઈતિહાસમાં મોજુદ છે.

ગુજરાતના ભૂતકાળમાં ઘણાં દિગ્ગજો આજે અતિતના અંધકારમાં અટવાઈ રહ્યા છે, તો હાલારના ઘણાં મોટા માથાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

 દુનિયામાં પણ હિટલર, ઈદી અમીન, નેપોલિયન જેવા તાનાશાહો તથા સદામ હુશેન જેવા શક્તિશાળી સરમુખત્યારોનો અંજામ કેવો આવ્યો હતો, તેની કથાઓ તવારીખમાં લખાઈ ગયેલી છે અને તેના વિષે આપણે બાળપણથી જ ભણતા પણ આવ્યા છીએ. આ દૃષ્ટાંતોના કારણે જ "સમય સમય બલવાન હૈ" અને "એક દિન બીક જાયેગા માટી કે મોલ" જેવી પંક્તિઓ વધુ ને વધુ પ્રચલીત બની રહી છે.

ટ્રમ્પના ટેરિફે આખી દુનિયામાં ઉથલ-પાથલ મચાવી દીધી અને વ્યાપારનો ટ્રમ્પે હથિયારની જેમ ઉપયોગ કર્યો. વિશ્વની સૌથી જૂની (અર્વાચીન યુગની) લોકશાહી ધરાવતા અમેરિકાની ચાર વર્ષ પહેલા જે થોડી ઘણી ઈજ્જત અને આદર હતા. તે ટ્રમ્પે હવે તદ્દન ડુબાડી દીધા છે. માત્ર સમૃદ્ધિ, સૈન્ય તાકાત કે વૈશ્વિક નિયમોને નેવે મૂકવાની એકતરફી મન્સુફી દેખાડીને દુનિયાનું દિલ જીતી શકાતુ નથી કે દુનિયાને દબાવીને મહાન બની શકાતુ નથી. હવે ટ્રમ્પને તેમના જ દેશની સર્વોચ્ચ અદાલતે લપડાક લગાવી અને ટ્રમ્પની ટેરિફ નીતિને ગેરકાયદે ઠરાવી દીધી ત્યારે યાદ આવી ગયું કે ખરેખર "સમય" જ બલવાન છે, ટ્રમ્પ નહીં, પરંતુ ટ્રમ્પ સર્વોચ્ચ અદાલતનું માનવા પણ તૈયાર નથી, હવે શું ?

અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે કટોકટીની કલમોનો ઉપયોગ કરીને ટ્રમ્પે ટેરિફ વધાર્યા છે, પરંતુ આ સત્તા ફક્ત અમેરિકાની કોંગ્રેસ (સંસદ) ને જ છે, અમેરિકાના રાષ્ટ્રપતિને આ સત્તા જ નથી, એટલે કે ટ્રમ્પના ટેરિફને સંબંધિત તમામ નિર્ણયો ગેરબંધારણીય હતા. પરંતુ મોડી રાત્રે ટ્રમ્પે ગઈકાલે જ સુપ્રિમ કોર્ટના ફેંસલાને ઠુકરાવીને આખી દુનિયા પર વધુ ૧૦ ટકા ટેરિફની જાહેરાત કરી દીધી !

જો કે, અમેરિકાના બંધારણ અને ત્યાંની સંસદની પ્રણાલિકાઓ મુજબ હવે પછી શું થાય છે અને ટ્રમ્પે ગઈરાત્રે પ્રેસ કોન્ફરન્સમાં નનૈયો ભણ્યા પછી સર્વોચ્ચ અદાલતનો આ ચૂકાદો ટ્રમ્પ માટે બાહય થાય છે કે પછી હજુ કોઈ નવું ગતકડું નીકળે છે, તે તો હવે જ ખબર પડશે, પરંતુ એ હકીકત છે કે અત્યારે તો અમેરિકાના તૂંડમિજાજી રાષ્ટ્રપતિ ટ્રમ્પની હેંકડી તો વહેલી મોડી નીકળી જ જશે, પરંતુ અત્યારે તો ટેરિફાતંક ઝઝુંબી જ રહ્યો છે.

બીજી તરફ ટ્રમ્પ હવે ચીનની મુલાકાતે જવાના છે. જ્યારે ટ્રમ્પે ભારત પર પણ ૫૦ ટકા ટેરિફ ઝીંક્યો હતો અને દુનિયાના ઘણાં દેશો પર ટ્રમ્પના ટેરિફનો આતંક છવાયો હતો, ત્યારે પુતિન, જીનપીંગ અને પી.એમ. મોદીની ત્રિપુટીએ ચીનમાં એક કાર્યક્રમમાં સંયુક્ત રીતે હાવભાવ દેખાડ્યા, તે પછી ટ્રમ્પને પણ અંદાજ આવી ગયો હશે કે આ ત્રણેય દેશો જો એકજૂથ થઈ જાય અને યુરોપ તથા અન્ય દેશો સાથે વ્યાપારિક તથા સામરિક અને કૂટનૈતિક સંબંધો વધી જાય, તો જગતના જમાદારને પણ હંફાવી શકે છે...

ગઈકાલે રાત્રે પોતાના દેશની જ સર્વોચ્ચ અદાલતની અવગણના કરીને મનસ્વીપણુ દેખાડનાર ટ્રમ્પની હરકતોની જેમ જ તેઓના નિર્ણયો પણ બદલતા રહે છે અને શાહબાજ જેવા વડાપ્રધાનોની વ્યંગાત્મક ઢબે બેઈજ્જતિ પણ તેઓ કરતા રહે છે, તેથી ચીનની મુલાકાત પછી કોથળામાંથી બિલાડૂ નીકળે છે કે પછી ચીનનો ચિંટિયો તેને પરેશાન કરે છે, તે જોવાનું રહે છે. જો કે, ટ્રમ્પ-જીનપીંગની મુલાકાત પહેલા અને પછી પણ ભારતે ચેતવા જેવું ખરૃં, જો કે, ગઈરાત્રે ટ્રમ્પે ભારત સાથેની ટ્રેડ ડીલમાં કોઈ બદલાવ નહીં થાય, તેમ પણ કહ્યું છે. અને આનો અર્થ એવો પણ થાય કે ભારત પર ૧૮ ટકા ટેરિફ ચાલુ જ રહેશે.

"સમય સમય બલવાન હૈ"ની બીજી બાજુ તાજુ દૃષ્ટાંત શેખ હસીના અને તારિક રહેમાન છે. દાયકાઓ સુધી બાંગલાદેશ પર એકચક્રી શાસન કરનાર શેખ હસીના અત્યારે ભારતમાં રાજ્યાશ્રય લઈ રહ્યા છે, અને તેની પાર્ટીને અવામી લીગને તો ચૂંટણી લડવાનો પણ અધિકાર અપાયો નહોતો, અને તેણીના ઘોર વિરોધી ખાલિદા જીયાના પુત્ર તારિક રહેમાન દાયકાઓ સુધી દેશથી દૂર રહ્યા પછી હવે બાંગલાદેશના વડાપ્રધાન બની ગયા છે. તારિક રહેમાન અને તેની સરકાર ભારત સાથેના બદલાતા વલણો પણ "સમય સમય બલવાન હૈ" ની જ દેણ છે ને ?

બીજી તરફ એ આઈ સમિટ દરમ્યાન વિવિધ દેશો સાથે ભારતની વાટાઘાટો તથા કેટલાક કરારોની વચ્ચે અમેરિકાના ભારતમાં રાજદૂત સર્જીયો ગોરે સંકેત આપ્યા છે કે ટ્રમ્પ હવે ભારતના પ્રવાસે આવવાની ઈચ્છા પણ ધરાવે છે. બીજી તરફ ઈરાન સાથે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે.

આ બધા ઘટનાક્રમો વિશ્વના ઝડપભેર બદલાતા સમીકરણો અને ટ્રમ્પ સહિતના વિશ્વના શક્તિશાળી ગણાતા નેતાઓની બદલતી માનસિકતા જોતા માનવું જ પડે કે "સમય સમય બલવાન હૈ...નહીં માનવ બલવાન..."

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh