Advertisement
Author: નોબત સમાચાર

એક વર્ષમાં એનડીએ શાસનના અંતની રાહુલ ગાંધીની ભવિષ્યવાણી... હવે ફરી વધ્યા સીએનજીના ભાવ...!

                                                                                                                                                                                                      

છેલ્લા બે-ત્રણ દિવસથી કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલી એક ભવિષ્યાવાણી 'ટોક ઓફ ધ નેશન' બની છે, અને તેના વૈશ્વિક પ્રત્યાઘાતો પણ ચર્ચાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ એવી ભવિષ્ય વાણી કરી હતી કે કેન્દ્રની એનડીએ સરકાર એકાદ વર્ષ જ ચાલશે અને એક વર્ષમાં પ્રવર્તમાન શાસનનો અંત આવશે. બીજી તરફ અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે, નેપાળમાં જો જેન ઝી ત્યાંની સરકારને પછાડી શકતું હોય, તો ભારતમાં પણ જેન ઝી ની ચળવળ તખ્તાપલટ કરી શકે છે. કાંઈક એવા જ નિવેદનો કેટલાક અન્ય વિપક્ષી નેતાઓએ પણ કર્યા છે.

અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, બાંગલાદેશમાં જેન ઝી સરકારને ઉથલાવી શકતું હોય તો ભારતમાં પણ પેપરલીક કરનારા શાસનને ઉખેડી શકે છે. મનિષ સિસોદિયાએ કહ્યું કે, હવે ભારતમાં પણ જેન ઝી જેવું આંદોલન થઈ શકે છે. આ જ પ્રકારના નિવેદનો બે-ત્રણ દિવસથી જુસ્સા સાથે મીડિયા અને સોશિયલ મીડિયામાં ચર્ચાની એરણે ચડ્યા છે. આ તમામ નિવેદનોને રાહુલ ગાંધીની ભવિષ્ય વાણી તથા પેપરલીક, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તથા બેરોજગારી-મોંઘવારી જેવા રાષ્ટ્રીય મુદ્દાઓને સાંકળીને તેના સંદર્ભે લોકોના તીવ્ર પ્રત્યાઘાતો અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેના પડી રહેલા પડઘાઓની ચર્ચા ગ્લોબલ ટોકીંગ તથા ડિબેટીંગના વિષયો બન્યા છે. આ મુદ્દાઓની વાસ્તવિક્તા તથા ઉદ્દેશ્યો વિષે જુદા-જુદા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.

હકીકતે રાહુલ ગાંધીએ સીબીઆઈ અને ડિજિટલ ઈવેલ્યુએશન સિસ્ટમ એટલે કે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમની ક્ષતિના કારણે લાખો વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે જ સીલસીલો આગળ વધારીને સોશિયલ મીડિયાના માધ્યમથી મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી, તેની સાથે સાથે રાહુલ ગાંધીએ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાનને વિશેષ રીતે નિશાન બનાવ્યા હતાં, જે ઘણું જ સૂચક છે.

વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને નિશાન બનાવીને રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું કે, આ બન્નેની જોડીએ વધુ એક સંસ્થાને ગેરરીતિનું પ્રતીક બનાવી દીધી છે. સીબીએસઈ બોર્ડની પરીક્ષામાં મોદી સરકારના શાસનના દાયકામાં પ્રથમ વખત આટલા ગંભીર સવાલો ઊઠ્યા છે. પેપરલીક પછી પણ ઓન-સ્ક્રીન માર્કિંગ, સિસ્ટમમાં ગોટાળા અને ખોટા માર્કિંગની ફરિયાદો ઊઠી છે. આટલા બધા આક્ષેપો છતાં શિક્ષણ મંત્રી ખુરશીનેે ચિટકીને બેઠા છે!

રાહુલ ગાંધીએ દૃષ્ટાંતો સાથે આક્ષેપ કર્યો કે સિસ્ટમની ખામી સામે અવાજ ઊઠાવનારા વિદ્યાર્થીઓને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સત્ય એ છે કે મોદી સરકાર યુવાવર્ગ અને જેન-ઝી થી ડરી ગઈ છે, કારણ કે હવે યુવાવર્ગ સવાલો ઊઠાવી રહ્યા છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, જો કોઈ  સવાલો ઊઠાવે તો સરકાર તેઓને ડરાવે, ધમકાવે અને કચડી નાંખે છે, પરંતુ આ જ યુવાવર્ગ સરકારનો ઘમંડ તોડશે.

આ આક્ષેપોને ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓ સતત ચૂંટણીઓ હારી રહેલા નેતા (રાહુલ ગાંધી) ની હતાશા ગણાવે છે, અને મોદી સરકારનો વિરોધ કરતા કરતા રાહુલ ગાંધી દેશવિરોધી બની ગયા છેે, તથા નકારાત્મક રાજનીતિ રમીને દેશમાં વિખવાદ તથા અરાજક્તા ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ તેઓ સફળ થવાના નથી.

વિપક્ષો અને શાસક પક્ષના નેતાઓની આ બયાનબાજીમાં કોણ સાચું અને કોણ ખોટું છે, એ તો જનતા જ નક્કી કરશે, પરંતુ એ હકીકત છે કે હાલમાં ડીઝલની કૃત્રિમ તંગી, ઈંધણના ભાવોમાં વધારો અને વધી રહેલી મોંઘવારી ઉપરાંત મોંઘુદાટ શિક્ષણ તથા ઘણાં સ્થળે કથળી રહેલી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે જનતામાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં, છેલ્લે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી ભાજપ-એનડીએ તરફી ઝુંકાવ ધરાવતા હતાં, તેવા લોકો પણ હવે દબાતા અવાજે પણ મોદી સરકાર પ્રત્યે અણગમો વ્યક્ત કરી રહ્યા છે, તે ઉપરાંત પેપરલીક તથા બેરોજગારી જેવા મુદ્દે પણ તેઓ હવે પોતાનો અભિપ્રાય બદલી રહેલા સંભળાય છે, તે જોતા એવું લાગેે છે કે શાસકોએ વહેમમાં રહેવા જેવું નથી, અને ડેમેજ કંટ્રોલ નહીં થાય, તો તેની વિપરીત અસરો થઈ શકે છે.

કુલબર્ગીની ભાગ્યશ્રીની આત્મહત્યા પછી યુવાવર્ગમાં રોષ ફેલાયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાવર્ગ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માંગણી ઊઠાવી રહ્યો છેે, તો રાહુલ ગાંધીએ પણ શિક્ષણમંત્રીને જવાબદાર ઠરાવ્યા છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ અવનવી કોમેન્ટો પણ કરી રહ્યા છે, ત્યારે જેન ઝી ની ચળવળ તથા કોકરોચ જનતા પાર્ટી જેવા અભિયાનોને સરકારે અંડર એસ્ટિમેટ કરવા જેવા નથી.

કેટલાક નિષ્ણાતો પણ તટસ્થ અભિપ્રાય આપી રહ્યા છે કે, પેપરલીક જેવી ઘટનાઓ તથા પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રણાલિની નિષ્ફળતાઓના કારણે મહેનતુ વિદ્યાર્થીઓ આઘાત અનુભવી રહ્યો છે અને તેના વાલીઓની તકલીફો બેવડાઈ રહી છે, ત્યારે સરકારે આ પ્રકારે પ્રતિષ્ઠાનો કે ઈગોનો પ્રશ્ન બનાવવાના બદલે પારદર્શક, અસરકારક અને વિશ્વસનિય પગલાં ઊઠાવવા જ જોઈએ.

અત્યારે કેન્દ્ર સરકારની સૌથી વધુ ટીકા ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવો તથા પેપરલીકના મુદ્દે થઈ રહી છે. આજે પણ સીએનજીના ભાવોમાં પ્રતિકિલે બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આમ, પેટ્રોલ-ડીઝલ અનેે સીએનજીમાં તબક્કાવાર કરાઈ રહેલો ભાવવધારો સામાન્ય જનતાને છેતરપિંડી જેવો લાગી રહ્યો છે, કારણ કે આ ભાવવધારો ક્યા માપદંડો કે લોજીકના આધારે કરવામાં આવી રહ્યો છે, તે કોઈને સમજાતું જ નથી. લોકોને એવું લાગે છે કે સરકાર એકસામટા દસ-પંદર કે વીસ રૂપિયા વધારવાના બદલે નાની-નાની રકમનો વધારો એટલા માટે કરી રહી છે કે લોકોને જોરનો ઝટકો ન લાગે, અને ધીરે ધીરે લોકોના ખિસ્સા પર બોજ વધતો જાય, તેથી ઉહાપોહ થાય નહીં. હવે ભવિષ્યવેતાઓની ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે જોવાનું રહે છે, કારણ કે આ પ્રકારની સ્વપનીલ અપેક્ષા રાખનારાઓની સંખ્યા પણ દેશમાં ઓછી નથી, અને તેનું કારણ પ્રવર્તમાન પ્રવાહો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh