Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દુઆ દિલથી હરખભેર અપાતી હોય છે, બદદુઆ દિલ દૂભાતા નીકળી જાય છે...
ઘણી વખત ખૂબ જ સુખી, સશક્ત અને સમૃદ્ધ શખ્સની પડતી આવે, ત્યારે અચાનક બધી રીતે બરબાદ થઈ જતો હોય છે, અને કાં તો તડપી તડપીને જીવતો હોય છે, અથવા અકાળે અનંતયાત્રાએ નીકળી પડતો હોય છે, અને તેવા સમયે દોમ દોમ સાહયબીમાં જીવતા તથા અત્યંત પ્રભાવ ધરાવતી એ વ્યક્તિને કોઈના નિસાસા લાગી ગયા હશે, તેવા શબ્દપ્રયોગો સંભળાતા હોય છે. આશીર્વાદ ફળે તો ઉન્નતિ આવે અને કોઈનું દિલ દુભાય અને કકડતી આંતરડીમાંથી રૂદ્ન પ્રગટે, શ્વાસેથી નિસાસા નીકળે કે આંખોમાંથી દુઃખના આંસુ નીકળે ત્યારે પડતી અને બરબાદી આવતી હોય છે. આ પ્રકારના ઘણાં દૃષ્ટાંતો આપણા ગ્રન્થો-પુરાણો તથા ઈતિહાસમાં પણ મોજુદ છે, અને આપણી આજુબાજુ વર્તમાનમાં પણ મોજુદ હોય છે.
આશીર્વાદ અંતરથી ઉદ્ભવે...
કોઈપણ વ્યક્તિની આંતરડી ઠરી હોય, તમારા પર પૂરેપૂરી પ્રસન્નતા હોય કે તમે સંપૂર્ણ સંતોષ આપ્યો હોય, ત્યારે આપોઆપ તે વ્યક્તિના અંતરમાંથી આશીર્વાદ ઉદ્ભવતા હોય છે, અને તે આશીર્વાદ 'ખરીદેલા' કે પછી ફોર્માલિટી ખાતર કે પરંપરા નિભાવવા અપાતા ઉપરછલ્લા આશીર્વાદથી ઘણાં જ અસરકારક અને ફળદાયી હોય છે. અંતરથી ઉદ્ભવેલા આશીર્વાદથી ઊભી થતી સકારાત્મક ઊર્જા અને હકારાત્મક અદૃશ્ય શક્તિ તમને ચમત્કારિક ચેતના તથા આત્મિયતા આપતી હોય છે. અંતરના આશીર્વાદ થકી અણધારી સિદ્ધિઓ મળતી હોય છે તથા આત્મવિશ્વાસ અને નૈતિક્તામાં પણ વધારો થતો હોય છે. આશીર્વાદની તાકાત એક એવી અલૌકિક ભેટ હોય છે, જે મળે ત્યારે મનુષ્યનો બેડો પાર થઈ જતો હોય છે.
બદદુઆ દિલમાંથી નીકળે ત્યારે જ બદહાલી આવે છે...
ઘણાં લોકો પોતાનો સ્વાર્થ પૂર્ણ ન થાય, માગ્યા મુજબનું ન મળે, મનની મુરાદ મનમાં જ રહી જાય કે પછી ખોટી શંકા-કૂશંકાના કારણે મન દુભાવ્યો હોય, ત્યારે બદદુઆ દિમાગથી અપાતી હોય છે, જ્યારે કોઈની અંતરની ઉર્મિઓ પર આઘાત થાય, લાગણીઓ દુભાય, મમતા કે વાત્સલ્ય પર પ્રહાર થાય કે પોતાના જ સ્વજનો સ્વાર્થાંધ કે ક્રૂર બનીને કટુવચનો અથવા અપમાનજનક વ્યવહાર કરીને આત્મા પર વાર કરે, ત્યારે જે બદદુઆ નીકળી જતી હોય છે, તે બદદુઆ ખરેખર બદહાલી અને બરબાદી જ લાવે છે. બરકત ચાલી જાય અને પાય પાય માટે ટળવળવું પડે કે પછી શારીરિક-માનસિક, સ્વસ્થતા ડગમગી જાય, તે ઘણી વખત બોલાયેલી નહીં, પણ દિલથી નીકળી ગયેલી બદદુઆનું જ પરિણામ હોય છે.
સ્વજનો ક્યારેય બદદુઆ આપે નહીં... આશીર્વાદ જ વરસાવે
આત્મજનો કે સ્વજનો, માતા-પિતા, દાદા-દાદી કે અન્ય સ્વજનો જો તમને દિલથી પ્રેમ કરતા હોય તો તેઓ ક્યારેય બદદુઆ આપે જ નહીં. તેઓના મૂખેથી હંમેશાં આશીર્વાદ જ વરસે... પરંતુ તેઓનું દુભાતું દિલ, કકળતું કાળજુ અને વલોવાતી સંવેદનાઓમાંથી પ્રગટતી મૂક લાગણીઓ (સાયલન્ટ ફિલીંગ્સ) બદદુઆથી યે વધુ પ્રભાવશાળી અને અસરકારક બની જતી હોય છે, અને તેના કારણે જે બરબાદી, તબાહી કે બદહાલી આવે છે, તે કર્મફળના કુદરતી સિદ્ધાંતોનું પરિણામ હોય છે, જેનો ફેંસલો કુદરતની અદૃશ્ય અદાલતમાં આપોઆપ થઈ જતો હોય છે, તેથી કોઈને દુભવતા પહેલા ચેતજો...
બહેન-બનેવીને તડપાવનાર કંસનું દૃષ્ટાંત
મહાભારત, રામાયણ, શ્રીમદ્ ભાગવત સહિતના અનેક ગ્રન્થો અને પુરાણોમાં એવા ઘણાં દૃષ્ટાંતો હોય છે, જેમાં બદદુઆ ઉચ્ચારાઈ ન હોય, છતાં દિલ દુભાયું હોય ત્યારે દિલ દુભાવનારની દુર્દશાની કથા હોય છે. મહાશક્તિશાળી, સમૃદ્ધ અને શાણા રાજા કંસે પોતાના મૃત્યુના ભયના કારણે પોતાના જ બહેન-બનેવીને જેલમાં પૂર્યા, છતાં એ બહેન-બનેવીએ ક્યારેય ભાઈને બદદુઆ નહોતી સંભળાવી, પરંતુ માત્ર આજીજી કરતા રહ્યા હતાં. બાળહત્યાઓ કરી ત્યારે એ માસુમ નવજાત શિશુઓ તો દુઆ-બદદુઆની સમજ જ ધરાવતા નહોતા, તેમ છતાં આ તમામ જીવાત્માઓનું દિલ દુભાયું હશે, આત્મા મુંઝાયો હશે કે બહેન-બનેવીનો અંતરાત્મા કકળ્યો હશે, જેના કારણે કિશોર કૃષ્ણના હાથે કંસનો સંહાર થયો. આ પ્રકારના ઘણાં દૃષ્ટાંતો પ્રાચીન ગ્રન્થોમાં મોજુદ છે.
ઐતિહાસિક ઉદાહરણો
વિશ્વના ઘણાં ઐતિહાસિક ઉદાહરણો પણ છે, જેમાં માતા-પિતાનું દિલ દુભાવનાર રાજા-મહારાજાઓ કે બાદશાહોનો કરૂણ અંજામ આવ્યો હોય છે કે પ્રજાને રંજાડનાર ક્રૂર શાસકોને કમોતે મરવું પડ્યું હોય.
દૃષ્ટાંત તરીકે શાહજહાંને તેમના જ પુત્ર ઔરંગઝેબ આલમગીરે રાજગાદીના મોહમાં જેલમાં નાંખ્યા હતાં અને મુરાદ જેલમાં પૂરી દીધા હતાં, જ્યાં આઠ વર્ષ પછી શાહજ્હાંનું મૃત્યુ થયું હતું. એ જ ઔરંગઝેબનું મૃત્યુ એક સાધારણ તંબુમાં જીર્ણશીર્ણ અવસ્થામાં થયું હોવાનું કહેવાય છે, અને એવું પણ કહેવાય છે, મૃત્યુના સમયે તેમણે કેટલીક બાબતો અંગે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. કેટલાક ઉલ્લેખો મુજબ ઔરંગઝેબની વસિયતમાં પણ કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો હતાં.
અન્ય દૃષ્ટાંતો જોઈએ તો વિશ્વ સમ્રાટ અને ચક્રવર્તી રાજા અશોક પણ યુદ્ધના સંહારથી પ્રશ્ચાતાપમાં શેકાઈને અંતે બૌદ્ધધર્મ અંગિકાર કર્યો હતો, તો જોન (પ્રથમ) નામના ક્રૂર અંગ્રેજ રાજાના કરૂણ અંજામની કથાઓ પણ પ્રચલીત છે. રામાયણમાં રાજા રાવણનો વધ પણ આ જ પ્રકારનું દૃષ્ટાંત છે.
સિક્કાની બન્ને બાજુ
જો કે, સિક્કાની બન્ને બાજુ હોય છે. કંસ, રાવણ, ઔરંગઝેબ, જોન અને સમ્રાટ અશોકના શાસનકાળમાં તેના રાજ્યોમાં સમૃદ્ધિ હતી અને ઘણાં લોકો એવો દાવો પણ કરેે છેે કે, આ પૈકીના કેટલાક શાસકોના શાસનમાં પ્રજા સુખી પણ હતી. કેટલાક અભિપ્રાયો વિરોધાભાસી હોય છે, તો ઈતિહાસ ખોટો લખાયો હોવાના દાવાઓ પણ થતા હોય છે, તેથી આપણે અહીં કેટલીક કથાઓને માત્ર બોધક અને અર્ધ કાલ્પનિક કે પછી સંપૂર્ણ સત્ય માનીયે તો પણ એ હકીકત છે કે બૂરા કર્મનું ફળ ખરાબ જ આવતું હોય છે.
બૂરા કામ કા બૂરા નતીઝા...
ક્યુ ભૈઈ ચાચા, હાં... ભતીજે...
વર્ષ ૧૯૭૭ ની બોલીવૂડ ફિલ્મ 'ચાચા ભતીજા' નું એક ગીત ઘણું જ લોકપ્રિય થયું હતું, જેના ગીતકાર આનંદ બક્ષી હતાં અને ધર્મેન્દ્ર તથા રણધીર કપૂર પર ફિલ્માયેલું આ ગીત મોહમ્મદ રફી અને શૈલેન્દ્રસિંહના કંઠે ગવાયું છે.
કોઈ માને યા ન માને, સચ કહે ગયે લોગ પૂરાને
બુરે કામ કા બુરા નતીઝા...
ક્યુ ભૈ ચાચા... હાં ભતીજે
તો તે સે બોલી મેના, બુઝુર્ગો કા હૈ કહેના, સચ હૈ ના બોલ...
જિસને એક રિશ્તા તોડા, વો સૌ રિશ્તે ભી તોડેગા,
તુઝે કિસી સે છોડા, કોઈ તુઝે ભી છોડેગા...
જો અપનેં કો ઠુકરાયે, ઔર ગૈરો સે પ્યાર કરે,
અપને હી હાથોં સે, અપની કબ્ર તૈયાર કરે,
ઈસ લીયે કહા હૈ, ઉસ બદનામ કા...
બૂરે કામ કા બૂરા નતીજા,
ક્યુ ભૈ ચાચા... હાં ભતીજે...
તોતે સે બોલી નૈના,
બુઝુર્ગો કા હૈ કહેના,
સચ હૈ ના બોલી...
હમ ઈસ ઘરકા નૌકર હે,
માલિક કા માલ બચાયેંગે,
જો ભી જહાં સે આયા હૈ,
ઉસે વહી પહુંચાયેંગે,
પર કિતને રોજ ચલેગા,
ધોખે મેં જો ભી કામ બના...
પૂછે તો ઈસ દૌલૂ સે
યે કૈસે દોલત રામ બના...
ઈસી લિયે તો કહા હૈં...
તો દોલતરામ કા,
બૂરે કામ કા બૂરા નતીજા,
ક્યોં ભૈ ચાચા, હાં ભતીજે...
કોઈ માને યા ના માને,
સચ કહ ગયે લોગ પૂરાને,
બૂરે કામ કા બૂરા નતીજા,
ક્યોં ભૈ ચાચા, હાં ભતીજે...
આટલું સમજાય તો ય ઘણું
આ ફિલ્મી ગીતનો મર્મ ઘણો જ ઊંડો છે, બોધ પણ ગહન છે, આ ગીતની સરળ ભાષા જિંદગીમાં ઉપયોગી જે સંદેશ આપે છે, તેટલું સમજાઈ જાય તો યે ઘણું છે.
- વિનોદ કોટેચા, એડવોકેટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial