Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દીમાં એક કહેવત છે કે, "આયે થે હરિભજન કો, ઓટન ગયે કપાસ" અથવા "કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી' જેવી ગુજરાતી કહેવત કે પછી "તેલ પાઈને એરંડિયુ કાઢવું" જેવા મહાવરાને અનુરૂપ કહી શકાય તેવા તાજેતરના કેટલાક ઘટનાક્રમો જોતા એવું લાગે છે કે, આ પ્રકારની રણનીતિ અપનાવીને જનતાને ગૂમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કાંઈપણ ગૂમાવ્યા વિના "વાહવાહી" મેળવવાની દલાતરવાડીની વાર્તા જેવા નાટકો ભજવાઈ રહ્યાં છે.
ભારતને સૌથી મોટી લોકશાહી અને અમેરિકાને સૌથી જૂનું અર્વાચીન લોકતંત્ર ગણાવીને બન્ને દેશોને એકબીજાના સહયોગી ગણાવવાની શરૂઆત તો આર્થિક ઉદારીકરણ અપનાવ્યા પછી વર્ષ-૧૯૯૦ થી ર૦૧૦ ના દાયકાઓ દરમિયાન જ થઈ ગઈ હતી, અને એ દરમિયાન વાજપેયી અને મનમોહનસિંહની સરકારો સત્તામાં રહી હતી, અને મોદી સરકાર રચાયા પછી તો ભારત અને અમેરિકાની સહયોગિતા તો ગાઢ બની જ હતી, પરંતુ ટ્રમ્પ-મોદીની દોસ્તી એટલી પ્રગાઢ બની હતી કે, એક સમયે બન્નેએ એકબીજા માટે બન્ને દેશોના પ્લેટફોર્મ પરથી ખૂલ્લેઆમ ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.
ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્ર૫તિ તરીકે ચૂંટાયા પછી તેમણે જે કાંઈ મનઘડત નિર્ણયો લીધા તે આપણે જાણીએ જ છીએ અને તેમાં ભારત પર પહેલા રપ ટકા રેસિપ્રોકલ ટેરિફ અને પછી રશિયા પાસેેથી ક્રૂડ ખરીદવાના દંડ સ્વરૂપે બીજો રપ ટકા ટેરિફ ઝીંક્યો, તે પણ જાણીતી વાત જ છે. હવે અમેરિકાએ માત્ર ૧૮ ટકા રેસિપ્રોકલ ટેરિફ લેવાની તથા રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ લગાવાયેલો વધારાનો રપ ટકા ટેરિફ તદ્દન નાબૂદ કરવાનો નિર્ણય લીધા પછી ભારત પર લગાવાયેલા પ૦ ટકા ટેરિફ પછી ભારતના નિકાસકારો પાસેથી વસુલાયેલો રૂ।. ૪૦ હજાર કરોડ જેવો ટેરિફ પરત કરવાની પણ જાહેરાત કરી છે, જેથી ભારતના નિકાસકારોને રાહત થઈ છે.
આ રાહત મોદી-ટ્રમ્પની મિત્રતાને આભારી હોવાનો દાવો પણ ભારતમાં અમેરિકાના રાજદૂતે કર્યો છે, અને વાહવાહી થઈ રહી છે, પરંતુ હકીકતે કોને કેટલો ફાયદો થયો કે નુકસાન થયું, તેની ખબર તો હવે જ પડશે, વાસ્તવમાં ટ્રમ્પે પહેલાં જંગી ટેરિફ ઝીંક્યો, અને પછી પાછો ખેંચ્યો, તેની સાથે-સાથે કેટલીક શરતો રાખી હોવાથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે, ક્યાંક "હવેલી લેવા જતા ગુજરાત ખોયું" એ કહેવત જેવો ઘાટ તો સર્જાયો નથી ને...? આ કારણે જ ઘણાં વિશ્લેષકો આ ઘટનાક્રમ પછી ટ્રમ્પે "તેલ પાઈને એરંડીયુ કાઢવા" જેવી ચાલાકીભરી ધૂર્તતા કરી હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે, તો ઘણાં લોકો હિન્દી કહેવત "આયે થે હરિ ભજન કો, ઔર ઓટન ગયે કપાસ" જેવો ઘાટ સર્જાયો હોવાનું તારણ કાઢી રહ્યાં છે. ભારત સરકાર માટે કહેવત "કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલી" જેવી સ્થિતિ હોવાનો વ્યંગ પણ થઈ રહ્યો છે.
હકીકતે પહેલા પ૦ ટકા રેસિપ્રોકલ અને દંડાત્મક ટેરિફ લાદ્યો અને પછીથી એકંદર ૩ર ટકાની રાહત આપી, એમાં કોઈ નવી નવાઈ નથી, કારણ કે અમેરિકાને પણ ફાયદો થાય તેવી આ ડીલ છે અને હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાના નામે રપ ટકા દંડાત્મક ટેરિફ ફરીથી લાદવાની તલવાર તો લટકી જ રહી છે ને...? તેવા તારણો પણ નીકળી રહ્યાં છે.
આ તરફ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલા ડ્રાફટ બજેટમાંથી ૯.૧૦ કરોડના કરવેરા રદ્દ કરવાના અહેવાલો પણ આવ્યા છે. હકીકતે મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટમાં સૂચવાતા કરવેરામાં ઘણી વખત ફેરફાર કે કાપકૂપ થતી જ હોય છે, પરંતુ આખેઆખી નવા કરવેરા અથવા કરવેરામાં વધારાની દરખાસ્ત જ નામંજૂર કરવા પાછળ નજીકના સમયમાં આવી રહેલી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જ કારણભૂત છે, જે ઓપન સિક્રેટ છે.
ટ્રમ્પે જેવી રીતે ટેરિફ લાદીને પાછો ખેંચ્યો, તેવી જ રીતે જામ્યુકો.ના તંત્ર તથા શાસન બોડી દ્વારા પણ કાંઈક એવું જ નાટક ભજવાયું છે, તેવો વ્યંગ થઈ રહ્યો છે. જો કે, ટ્રમ્પે કેટલોક ટેરિફ લાદીને વસુલાત કર્યા પછી પાછી આપવાનો નિર્ણય લીધો છે, જ્યારે જામ્યુકો.એ કરવેરા લાદવાની તલવાર ઉગામીને પછી મ્યાન કરી દીધી છે, તેનો મતલબ એવો પણ થાય કે ટ્રમ્પે જેવી રીતે પહેલાં રપ ટકા અને પછીથી પણ રપ ટકા ટેરિફ લાદ્યો, તેવી જ રીતે કદાચ ચૂંટણીઓ પછી પુનઃ સત્તા મળે તો બાકીના પાંચ વર્ષમાં તો કરવેરા બમણાં પણ વધારી જ શકાશે ને...? તેવી કૂનેહભરી રણનીતિ પણ અપનાવાઈ હોય શકે છે. જો કે, કરવેરા ભરવા એ પ્રત્યેક નગરવાસીની ફરજ છે, તો તેની સામે નગરજનોને માનભેર તમામ સુવિધાઓ આપવાનું પણ જામ્યુકો.ના શાસકો, તંત્રો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કર્તવ્ય છે, આ જવાબદારી કેવી અને કેટલી નિભાવાઈ રહી છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને...?
જામનગરના નગરજનો જામ્યુકો.ની સેવાઓથી કેટલા સંતુષ્ટ છે...? નગરમાં વિકાસ અને લોકકલ્યાણના કામો તથા મૂળભૂત જરૂરિયાતો અને સેવાઓને લઈને નગરજનોના કેવા પ્રતિભાવો છે અને ખાસ કરીને કેટલીક અમરપટ્ટો લખાવીને આવી હોય તેવી કેટલીક સમસ્યાઓના નિવારણને લઈને જામ્યુકો.નું પરફોર્મન્સ છેલ્લા પાંચ વર્ષમાં કેવું રહ્યું...? તેનો સર્વે કરવા જેવો છે. આ સર્વેક્ષણમાં કોઈપણ તારણો નીકળી શકે છે અને તે પ્રમાણે ચૂંટણીની તૈયારીઓ પણ થઈ શકે છે. ખાસ કરીને શહેરની ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર, આવારા કૂતરા, ગરીબો, મધ્યમવર્ગીય પરિવારોને મદદ, મનપાને લગતા રોજિંદા સરકારી કે દાખલા, પ્રમાણપત્રો, વસુલાત, બીલ પેમેન્ટ વિગેરે દરમિયાન જાન્યુકો.ના તંત્રનો વ્યવહાર વિગેરે મુદ્દે જનપ્રતિભાવો કેવા છે, તેનો તટસ્થ સર્વે કરવા જેવો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial