Advertisement
Author: નોબત સમાચાર

થેલેસેમિયા સામે લડવા ટોપ ટુ બોટમ પ્રયાસો... અનુકરણીય પહેલ... જનજાગૃતિ જરૂરી

                                                                                                                                                                                                      

જામનગર (ગ્રામ્ય) પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસતંત્રે જે રક્તદાન કેમ્પ યોજ્યો અને તેમાં પોલીસ બેડાના જવાનો તથા અધિકારીઓએ બહોળી સંખ્યામાં જે રીતે રક્તદાન કરીને પોણાચારસોથી વધુ બોટલ બ્લડ એકત્રિત કર્યું, તેવા અહેવાલોએ હાલમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ તરફ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.

પહેલુ એ મહત્ત્વનું અને આવકાર્ય છે કે પોલીસતંત્રે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ માટે રક્તદાન કેમ્પ યોજીને સમાજ અને સમગ્ર દેશનું આ મુદ્દા તરફ ધ્યાન પણ ખેંચ્યું છે, અને થેલેસેમિયાની ગંભીરતા પણ સમજાવી છે. આ બીમારીથી ગ્રસ્ત બાળકો માટે આ રક્ત અમૃત જેવું જ છે જે તેઓને જીવન બક્ષે છે. પોલીસતંત્રની માનવતાલક્ષી બાજુ પણ ઉજાગર થઈ છે. તે ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સરકારી હોસ્પિટલોમાંથી કોઈપણ પ્રકારની પરેશાની વિના નિઃશુલ્ક રક્ત મળતું રહે અને નિયમિત રીતે લોહી ચડાવાય, તેમ જ આ પીડામાંથી ગુજરતા બાળકો અને પરેશાનીઓથી મુંઝાયેલા, અટવાયેલા વાલીઓ, માતા-પિતા અને પરિવારજનોને પણ બ્લડબેંક તથા થેલેસેમિયા વિભાગના તબીબો, નર્સીંગ સ્ટાફ તથા સિક્યોરિટી સ્ટાફ સહિત તમામની હૂંફ મળતી રહે, તેવા નિરંતર પ્રયાસોની જરૂર તરફ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે, અને આ પવિત્ર કાર્ય સંપૂર્ણ સંવેદના તથા સહાનુભૂતિ સાથે કરતા સ્ટાફ તથા તબીબોની માનવીય સેવા તરફ પણ સૌનું ધ્યાન ખેંચાયું છે.

અત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની જીવાદોરી ડોનેટેડ બ્લડના આધારે જ લંબાતી હોય છે અને બોર્નમેરોના જટિલ અને રિસ્ક લેવા જેવી શસ્ત્રક્રિયા સિવાય થેલેસેમિયાનો કોઈ ઉપચાર ઉપલબ્ધ નથી, ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળક જન્મે જ નહીં, તે માટે જનજાગૃતિ ફેલાવવાની ઘણી જ જરૂરી છે. ઘણાં જ્ઞાતિ-સમાજોએ લગ્ન પહેલા જ વર-કન્યાના થેલેસેમિયા ટેસ્ટ કરાવીને આગમચેતી રાખવામાં આવે, તે માટે વિશેષ અભિયાનો આદર્યા છે, અને તદ્વિષયક માહિતી-માર્ગદર્શન અને વ્યવસ્થાઓ પણ કરવમાં આવી રહી છે. થેલેસેમિયા ટેસ્ટીંગ કેમ્પોના શ્રેણીબદ્ધ આયોજનો તથા બ્લડ ડોનેશનના મેગા કેમ્પો યોજવાની ઝુંબેશો ચાલી રહી છે, જે આવકારદાયક છે.

આમ છતાં, હજુ પણ આ વિષયે દરેક છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપક અને આયોજનબદ્ધ રીતે જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, અને તેમાં સરકારી મશીનરી તથા સ્થાનિક સામાજિક સપોર્ટના સુદૃઢ સંકલન તથા તદ્વિષયક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે એનજીઓઝ-સ્વૈચ્છિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સતત સક્રિય સહયોગની જરૂર રહે છે. થેલેસેમિયા હાલમાં એક કાયમી સમસ્યા છે, અને તેની સામે લાંબી લડત લડવાની હોવાથી ઉક્ત પ્રકારના પ્રયાસો પણ સતત અને સક્રિયતાથી ચાલતા રહે તે જરૂરી છે. આપણે નવા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જન્મતા જ અટકાવવા તથા બે માઈનોર થેલેસેમિયાગ્રસ્ત પાત્રો દ્વારા માઈનોર થેલેસેમિયાગ્રસ્ત સંતાનો જન્મે જ નહીં, તેવા પ્રયાસો ખૂબ જ ઝડપથી વ્યાપક પ્રમાણમાં વધારવા જ પડે અને સતત ચાલુ જ રાખવા પડે તેમ છે.

થેલેસેમિયાગ્રસ્ત બાળકોના પરિવારજનો બોર્નમેરો મેચ થાય, તો પણ તેનું જટિલ અને પર્યાપ્ત ઓપરેશન કરાવવા માટે સરકારી હોસ્પિટલો ઉપરાંત જે હોસ્પિટલોમાં આ પ્રકારની શસ્ત્રક્રિયાઓમાં સારા રિઝલ્ટ આવતા હોય, તેવી ટ્રસ્ટ સંચાલિત કે ખાનગી હોસ્પિટલોમાં પણ ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોની શસ્ત્રક્રિયાઓ થાય, તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના જેવી જ કોઈ અલાયદી યોજના અમલી બનાવવી જોઈએ, જેમાં આ પ્રકારના ઓપરેશનો માટે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને તત્કાળ મદદ મળી રહે.

આ ઉપરાંત કેનદ્ર-રાજ્યસરકારોએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેની એવી અલાયદી વ્યવસ્થા કે કે રિઝર્વ બ્લડબેંકો ઊભી કરવી જોઈએ, જ્યાં બાળકોને નિયમિત અને ધક્કા ખાધા સિવાય જરૂરી બ્લડ પણ મળતું રહે અને તેના પરિવારોને વિવેકપૂર્ણ વ્યવહાર સાથે તબીબી તથા નર્સીંગ સિસ્ટમની હૂંફ પણ મળી રહે. આપણાં જ હજારો-લાખો બળકોની જિંદગીનો સવાલ હોવાથી કેન્દ્ર-રાજ્યકક્ષાએ અલાયદુ થેલેસેમિયા નિવારવા બોર્ડ ઊભું કરીને અને તેની સાથે સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલોને જોડીને તેના હેઠળ રાજ્યવાર થેલેસેમિયા નિવારણ બોર્ડ ઊભું કરીને અને તેની સાથે સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલોને જોડીને તેના હેઠળ રાજ્યવાર થેલેસેમિયા નિવારણ બોર્ડ અને જિલ્લાવાર અલાયદી અને સતત સક્રિય રહે તેવી જિલ્લા થેલેસેમિયા નિવારણ કમિટીઓ (વૈધાનિક રીતે) બને, જેમાં સંબંધિત તંત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સ્થાનિક જનપ્રતિનિધિઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીમંડળો રચીને તેનો સમાવેશ કરવામાં આવે તથા તેની સમયાંતરે બેઠકો યોજવા ઉપરાંત રોજીંદી કામગીરી અને પ્રવૃત્તિઓ માટે અલાયદુ મિકેનિઝમ ઊભું કરીને તેને રાજ્ય અને કેન્દ્રના આરોગ્ય વિભાગો દ્વારા ફંડીંગ કરવામાં આવે. એટલું જ નહીં, તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારની જિલ્લા સમિતિઓમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો જન્મ જ નહીં, તેની જનજાગૃતિમાં ઉપયોગી બનેે તેવી સંસ્થાઓ, વિશેષજ્ઞો અને લબ્ધપ્રતિષ્ઠિત સ્થાનિક અગ્રણીઓ તથા તબીબી જગતના નિષ્ણાતોને પણ સામેલ કરવા જોઈએ.

આ અનેવાંશિક બીમારી છે. દંપતીમાં બન્નેને માઈનોર થેલસેમિયા હોય તો મેજર થેલેસેમિયાગ્રસ્ત બાળક જન્મી શકે છે, અન આ પ્રકારની સંભાવનાઓને ટાળવા લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે ઉપરાંત ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૬ મા અઠવાડિયા વચ્ચે પણ સીવીસી ટેસ્ટ કરાવાતો હોય છે. આ બધી તકેદારીઓ થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો જન્મદર ઘટાડવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય ગણાય.

આમ તો આ શુદ્ધ તબીબી જ્ઞાનનો વિષય છે, અને તે અંગે પૂરેપૂરી જાણકારી અને માર્ગદર્શન તો તબીબી નિષ્ણાતો તથા આરોગ્યતંત્ર જ આપી શકે, પરંતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંખ્યા વધતી અટકાવવા-ધીમે ધીમેે ઘટાડવા અને થેલેસેમિયા પર કાબૂ મેળવવા માટે ભગીરથ પ્રયાસો કરવા જરૂરી છે. હાલમાં થતાં પ્રયાસો 'ઊંટના મૂખમાં જીરૃં' જેવા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh