Advertisement
Author: નોબત સમાચાર

સત્તા બદલાય, સિસ્ટમ નહીં, નેતા બદલાય, નીતિ નહીં... અમલદાર બદલાયા, 'અમલ' નહીં...!

                                                                                                                                                                                                      

દેશ અને રાજ્યમાં આઝાદી પછી ઘણી સરકારો બદલાઈ, અને તેની સાથે બ્યુરોક્રેટ્સ પણ બદલાતા રહ્યા, નેતૃત્વ બદલાયું, શાસક પક્ષો વિપક્ષમાં અને વિપક્ષી નેતાઓ શાસનમાં આવ્યા, ગયા ને બદલતા રહ્યા, વહીવટી તંત્રમાં અમલદારો બદલાતા રહ્યા, પરંતુ સરકારી રીત-રસમો, નીતિ-રીતિઓ, શાસન પદ્ધતિ કે અમલદારશાહી બદલી નહીં. આપણાં દેશમાં કેટલાક રાજાશાહી સમયના તો કેટલાક બ્રિટિશ સરકારના સમયના કાયદાઓ ચાલી રહ્યા છે. કેટલાક કાયદાઓ રદ્ થયા, કેટલાક બદલાયા, કેટલાક સુધારાયા અને કેટલાક નવા કાયદા ઘડાયા, પરંતુ સિસ્ટમ, નીતિ, પદ્ધતિ, અમલદારશાહી કે રીત-રસમો બદલી જ નહીં. આ પ્રકારની માન્યતાના ઘણાં દૃષ્ટાંતો આપણા દેશમાં ટોપ-ટુ-બોટમ મળતા જ રહ્યા છે. આપણાં દેશમાં સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ દેશની જનતાએ ઘણી વખત આમૂલ પરિવર્તન થઈ જાય, તેવા જનાદેશો આપ્યા અને શાસનો બદલાતા રહ્યા, પરંતુ 'સિસ્ટમ', માનસિક્તા અને નીતિ-રીતિ બહું બદાલાય જ નહીં!!!

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ અને તેની સાથે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ થઈ. એક વખત ફરીથી ભારતીય જનતા પક્ષને પ્રચંડ જનાદેશ મળ્યો, તે પછી જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો નક્કી કરવામાં હાઈકમાન્ડે થોડી વાર લગાડી, અને તે દરમિયાન નવા બોડી અને ખાસ કરીને મેયર, ડે. મેયર, મહત્ત્વપૂર્ણ ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડીંગ કમિટી) ના ચેરમેન તથા અન્ય હોદ્દેદારો કોણ બનશે, તેની અટકળો ચાલી, ઘણાં નામો ચર્ચાયા, પરંતુ ભાજપની વિશેષતા મુજબ તદ્ન નવા જ ચહેરાઓની પસંદગી થઈ અને આ નવા હોદ્દેદારોએ હવાલોએ હવાલો સંભાળી લીધો.

જામનગરના નવા મેયર અને હોદ્દેદારો ર૬ મી મે-ર૦ર૬ ના હવાલો સંભાળ્યો, અને તે સમયે નગરજનોને આશા જાગી હતી કે હવે તદ્ન નવા અને ઉત્સાહી હોદ્દેદારો ફટાફટ નગરની સમસ્યાઓનું નિવારણ કરશે અને તમામ સેવાઓને નિયમિત અને ઝડપી બનાવી દેશે.

બીજી તરફ નવા હોદ્દેદારોએ કામકાજ સંભાળ્યું, તેના એકાદ અઠવાડિયા પહેલા જ જામનગરમાં નવા મ્યુનિસિપલ કમિશનર મૂકાયા હતાં. તેઓએ હવાલો સંભાળતા જ પ્રારંભમાં ઘણી જ સક્રિયતા દાખવી હતી અને કેટલાક મુદ્દે ઊંડો રસ દાખવ્યો હતો. નગરના પ્રશ્નો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો, તેવી જ રીતે મેયર, ડે. મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારો પણ પ્રારંભમાં તંત્ર સાથે સંકલન કરીને કેટલાક મુદ્દે ઝડપી નિર્ણયો લેવાનો પ્રયાસ કર્યો હતો, તથા પહેલેથી જ તેઓ નગરના મુખ્ય પ્રશ્નો, નગરજનોની સમસ્યાઓ તથા અપેક્ષાઓથી માહિતગાર હોવાથી તદ્વિષયક મુદ્દાઓ ઊઠાવ્યા હતાં.

નગરમાં થતી ચર્ચા મુજબ નેતૃત્વ અને સત્તાધીશો બદલાયા છે, પરંતુ નીતિ-રીતિ, કાર્યપદ્ધતિ અને 'સિસ્ટમ' બદલતા વાર લાગવાની છે, કારણ કે તે માટે નક્કર નિષ્ઠા, ધમધમતી તત્પરતા અને ઝનૂન હોવું જોઈએ, જે નવા અધિકારી-પદાધિકારીઓએ કેળવવું જ પડશે. જન-પ્રત્યાઘાતોમાંથી જ એવા સૂર પણ સંભળાઈ રહ્યા છે કે હજુ તો નવા મ્યુનિ. કમિશનર અને નવા મેયર તથા નવી બોડીને ત્રણ મહિના પણ થયા નથી, તેથી તેઓને સમય આપવો જોઈએ, અને તેલ અને તેલની ધાર જોયા પછી જ અંતિમ અભિપ્રાય સુધી પહોંચવું જોઈએ.

એ વાત સાચી છે કે એવી માન્યતામાં દમ છે કે સત્તા બદલાય, પરંતુ સિસ્ટમ બદલાય નહીં, નેતા બદલાય પણ નીતિ બદલાય નહીં, અમલદાર બદલાય, પરંતુ 'અમલ', એટલે કે કાર્યપદ્ધતિ બદલાય નહીં, પરંતુ એવા દૃષ્ટાંતો પણ છે કે જ્યારે આ જ શાસકો-પ્રશાસકો મક્કમ નિર્ધાર કરે, પ્રામાણિક પ્રયાસો કરે, પ્રબળ ઈચ્છાશક્તિ દાખવે અને ભ્રષ્ટાચાને પનપવા ન દ્યે, તો કાંઈપણ કરી શકાય છે, અને જનતાની અપેક્ષાઓ સંતોષી શકાય છે.

અત્યારે જામ્યુકોમાં પદાધિકારીઓ પણ નવા છે અને મુખ્ય અધિકારી એવા મ્યુનિ. કમિશનર પણ જામનગરમાં નવા મૂકાયા છે. નવા બોડી પાસે તેના સિનિયર અને અનુભવી વરિષ્ઠ સાથીદારોનું માર્ગદર્શન છે, જ્યારે મ્યુનિ. કમિશનર પાસે પણ અનુભવી સહયોગીઓ છે, અને સ્વયં તાલીમબદ્ધ અને ઉત્સાહી છે. તેથી આ શાસકો-પ્રશાસકો પાસેથી નગરજનો એવી આશા રાખે છે કે તેઓ અયોગ્ય 'સિસ્ટમ'ને જનલક્ષી 'સિસ્ટમ'માં બદલે અને આ પ્રકારનું લક્ષ્ય હાંસલ કરવામાં નવા પદાધિકારીઓના સહયોગી બને, તથા પરસ્પર પૂરક બને.

બસ, એટલું જ ધ્યાન રાખવાનું છે કે, સ્થાપિત હિતો, ભ્રષ્ટ પરિબળો અને ખુશામતખોર લેભાગુ તત્ત્વોને પોતાની નજીક ફરકવા જ ન દ્યે, અને ખાસ કરીને કૌભાંડિયા ગરબડદાઓથી હંમેશાં સાવધાન રહે...

આઝાદી પહેલા અને પછીના ઈતિહાસમાં એવા ઘણાં પદાધિકારીઓ અને અધિકારીઓ પણ નોંધાયા છે, જેને દાયકાઓ અને સદીઓ પછી પણ યાદ કરે છે... ચૂંટણીઓ જીતવી સહેલી છે, પણ લોકોના દિલ જીતવા અઘરા છે, અને જેઓ લોકોના દિલ જીતી લ્યે છે, તેઓને ક્યાંય મતો માટે મથવું પડતું હોતું નથી. તેવી જ રીતે લોકોના દિલ જીતનાર કેટલાક બ્યૂરોક્રેશ પણ ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે નોંધાયા છે...ગોલ્ડન ચાન્સ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh