શું કહે છે કાયદો?
પ્રશ્નઃ ખેતીની જમીન કોઈપણ વ્યક્તિ ખરીદી શકે?
સાહેબ, હું ખેતી કરતો નથી... છતાં મારી પાસે પૈસા છે. તો શું હું ખેતીની જમીન ખરીદી શકું?
આ પ્રશ્ન આજે ખૂબ જ સામાન્ય બની ગયો છે. ઘણાં લોકો રોકાણ માટે, તો ઘણાં લોકો ફાર્મહાઉસ બનાવવા માટે ખેતીની જમીન ખરીદવા માંગે છે. ઘણા લોકો એવું પણ માને છે કે વેચનાર તૈયાર હોય, પૈસા ચૂકવી દઈએ અને દસ્તાવેજ થઈ જાય એટલે જમીન આપણી થઈ જાય. પરંતુ હકીકત એટલી સરળ નથી.
ખેતીની જમીનનો સોદો સામાન્ય રહેણાંક પ્લોટ કે દુકાનના સોદા જેવો નથી. ખેતીની જમીન માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમોની જાણકારી ન હોવાથી ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે.
કાયદો શું કહે છે?
ગુજરાતમાં સામાન્ય રીતે ખાતેદાર ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે...
ખાતેદાર ખેડૂત કોણ?
સરળ ભાષામાં સમજીએ તો જે વ્યક્તિના નામે કાયદેસર રીતે ખેતીની જમીન નોંધાયેલી હોય અને જે મહેસૂલી રેકોર્ડ (એટલે કે ૭/૧૨, ૮-અ)માં ખેડૂત તરીકે નોંધાયેલ હોય તેને સામાન્ય રીતે ખાતેદાર ખેડૂત કહેવાય છે.
જો કોઈ વ્યક્તિ ખાતેદાર ખેડૂત ન હોય તો દરેક સંજોગોમાં તે સીધી ખેતીની જમીન ખરીદી શકે એવું નથી. કેટલાક કિસ્સાઓમાં કાયદા મુજબ સક્ષમ અધિકારીની મંજૂરી જરૂરી બની શકે છે.
સરળ ભાષામાં સમજીએ તો...
ધારો કે શહેરમાં રહેતો કોઈ વ્યક્તિ રોકાણના હેતુથી ખેતીની જમીન ખરીદી લે. તેને લાગે કે પૈસા ચૂકવ્યા એટલે હવે જમીન પોતાની થઈ ગઈ. પરંતુ પછી ખબર પડે કે કાયદા મુજબ તે જમીન ખરીદવા માટે જરૂરી લાયકાત જ નહોતી (પોતે ખાતેદાર ખેડૂત જ નથી) અથવા ખેતીની જમીન ખરીદ કરવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી.
એવી સ્થિતિમાં વર્ષો સુધી કોર્ટ અને સરકારી કચેરીઓના ચક્કર ખાવાનો વારો આવી શકે છે, અને ક્યારેય એ ખેતીની જમીન રેવન્યુ રેકર્ડ માં તમારા નામ પર ચડતી નથી.
એટલા માટે માત્ર જમીનની કિંમત અને સ્થાન જોવું પૂરતું નથી. સૌથી પહેલાં એ તપાસવું જરૂરી છે કે કાયદો તમને તે જમીન ખરીદવાની મંજૂરી આપે છે કે નહીં.
લોકો શું ભૂલ કરે છે?
ઘણાં લોકો દલાલ અથવા ઓળખીતાની વાત પર વિશ્વાસ કરી લે છે. કેટલાક લોકો એવું સાંભળે છે કે પહેલા જમીન ખરીદી લો, પછી બધું થઈ જશે. પરંતુ આવો વિશ્વાસ ઘણી વખત ભારે પડી શકે છે.
જમીન ખરીદતાં પહેલાં પોતાની કાયદાકીય પાત્રતા, જમીનની કાનૂની સ્થિતિ અને જરૂરી મંજૂરીઓની ખાતરી કર્યા વગર કોઈપણ સોદો કરવો યોગ્ય નથી.
યાદ રાખો...
ખેતીની જમીન સામાન્ય મિલકત જેવી નથી; તેના માટે અલગ નિયમો લાગુ પડે છે.
સામાન્ય રીતે ખાતેદાર ખેડૂત જ ખેતીની જમીન ખરીદી શકે છે.
કેટલીક જમીનો પર ગણોતધારો સહિતના ખાસ કાયદાઓ લાગુ પડી શકે છે.
માત્ર વેચનાર તૈયાર છે એટલે સોદો કાયદેસર થઈ જાય એવું માનશો નહીં.
ખેતીની જમીન ખરીદતાં પહેલાં સંપૂર્ણ કાનૂની તપાસ અને યોગ્ય સલાહ અવશ્ય લો.
ડિસ્કલેમરઃ- આ કોલમ લોકોને સરળ કાનૂની સમજ આપવા માટે છે... કોઈપણ કાનૂની પ્રક્રિયા પ્રવર્તમાન કાયદા-કાનૂન-નિયમ અનુસાર જ કરી શકાય છે. અહીં રજૂ થયેલી વિગતો લેખકની છે, જેને અમારી માન્યતા છે, તેમ સમજવું નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પ્રશ્નઃ જમીન ખરીદતા પહેલાં માત્ર ૭/૧૨ જોઈ લેવું પૂરતું છે?
''મેં તો ૭/૧૨ તપાસ્યું હતું, છતાં જમીનના સોદામાં મુશ્કેલી કેમ આવી?''
આ પ્રશ્ન વકીલની ઓફિસમાં વારંવાર સાંભળવા મળે છે.
જમીન ખરીદવી એ મોટાભાગના લોકો માટે જીવનનું સૌથી મોટું રોકાણ હોય છે. વર્ષોની મહેનતની કમાણી ભેગી કરીને લોકો ખેતીની જમીન ખરીદે છે. પરંતુ ઘણી વખત એક સામાન્ય ગેરસમજ તેમને મોટી મુશ્કેલીમાં મૂકી દે છે. ગેરસમજ એ કે ૭/૧૨માં વેચનારનું નામ નોંધાયેલું હોય એટલે જમીન ખરીદવામાં કોઈ જોખમ નથી.
આ માન્યતા સાચી નથી. ઘણા કિસ્સાઓમાં સોદો થયા પછી ખબર પડે છે કે જમીન અંગે કોર્ટમાં વિવાદ ચાલી રહૃાો છે, જમીન બેંકમાં ગીરો મૂકવામાં આવી છે, અન્ય વારસદારો પોતાનો હક્ક દર્શાવે છે અથવા અગાઉના દસ્તાવેજોમાં એવી ખામીઓ છે જેની તપાસ કરવામાં આવી જ નહોતી. ત્યારબાદ ખરીદનાર માટે પૈસા બચાવવા કરતાં પોતાનો હક બચાવવો વધુ મુશ્કેલ બની જાય છે.
કાયદો શું કહે છે?
૭/૧૨ જમીનના મહેસૂલી રેકોર્ડનો મહત્ત્વનો દસ્તાવેજ છે. તે જમીન વિશે કેટલીક જરૂરી માહિતી જેમકે ખાતેદાર નું નામ, જમીનના સર્વે નંબર, જમીનનું ક્ષેત્રફળ વિગેરે હોઈ છે, પરંતુ માત્ર તેના આધારે જ જમીનની માલિકી સંપૂર્ણપણે સાબિત થઈ જાય એવું માનવું યોગ્ય નથી.
જમીન ખરીદતી વખતે માત્ર મહેસૂલી નોંધ જોવી પૂરતી નથી. વેચનારને જમીન વેચવાનો કાયદેસર અધિકાર છે કે નહીં, જમીનની માલિકીની વિગતો યોગ્ય છે કે નહીં, અગાઉના દસ્તાવેજો સાચા છે કે નહીં અને જમીન અંગે કોઈ કાનૂની અવરોધ કે વિવાદ છે કે નહીં તેની પણ ખાતરી કરવી જરૂરી બને છે.
અર્થાત ૭/૧૨ મહત્ત્વનું છે, પરંતુ તે એકમાત્ર આધાર નથી.
સરળ ભાષામાં સમજીએ તો...
ધારો કે કોઈ વ્યક્તિના નામે ૭/૧૨માં નોંધ છે. હવે જો એ જ જમીન અંગે કોર્ટમાં કેસ ચાલી રહૃાો હોય અથવા જમીન બેંકમાં ગીરો મૂકવામાં આવી હોય, તો માત્ર ૭/૧૨ જોઈને ખરીદી કરનાર વ્યક્તિને આગળ જઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
એટલા માટે જમીન ખરીદતાં પહેલાં અગાઉના દસ્તાવેજો, વારસાઈની વિગતો, જમીન પરનો વાસ્તવિક કબજો, રસ્તાનો હક, સરકારી પ્રતિબંધો અને અન્ય જરૂરી માહિતીની પણ યોગ્ય તપાસ કરવી જરૂરી છે. આજે ટેકનોલોજીના કારણે કેટલીક માહિતી ઓનલાઈન પણ તપાસી શકાય છે. ખાસ કરીને ખેતીની જમીન ખરીદતાં પહેલાં તેના પર કોઈ બેંક, નાણાકીય સંસ્થા અથવા અન્ય કોઈ વ્યક્તિનો બોજો નોંધાયેલો છે કે નહીં તેની પ્રાથમિક માહિતી આઈઓઆરએ પોર્ટલ પર ઓનલાઈન સર્ચ કરીને મેળવી શકાય છે. જોકે, માત્ર ઓનલાઈન માહિતી પર આધાર રાખવાને બદલે જરૂરી હોય ત્યાં કાનૂની સલાહ લેવી પણ એટલી જ જરૂરી છે.
યાદ રાખો...
માત્ર ૭/૧૨ જોઈને જમીન ખરીદવાનો નિર્ણય ન લો.
જમીનની માલિકી અને અગાઉના દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરો.
જમીન પર કોઈ કોર્ટ કેસ, બેંકનું ગીરો અથવા અન્ય બોજો છે કે નહીં તેની ખાતરી કરો.
સ્થળ પરનો વાસ્તવિક કબજો અને દસ્તાવેજોની વિગતો વચ્ચે મેળ બેસે છે કે નહીં તે પણ ચકાસો.
જમીનનો સોદો હંમેશાં સંપૂર્ણ તપાસ અને યોગ્ય કાનૂની સલાહ પછી જ કરો.
ડિસ્કલેમરઃ- આ કોલમ લોકોને સરળ કાનૂની સમજ આપવા માટે છે... કોઈપણ કાનૂની પ્રક્રિયા પ્રવર્તમાન કાયદા-કાનૂન-નિયમ અનુસાર જ કરી શકાય છે. અહીં રજૂ થયેલી વિગતો લેખકની છે, જેને અમારી માન્યતા છે, તેમ સમજવું નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
શું કહે છે કાયદો?
આજના સમયમાં મોબાઇલ ફોન માત્ર વાતચીતનું સાધન નથી. તેમાં વ્યક્તિના ફોટા, વીડિયો, બેંકિંગ વિગતો, અંગત ચેટ, ઈ-મેલ, દસ્તાવેજો અને ખાનગી માહિતી સંગ્રહિત હોય છે. તેથી જ્યારે પોલીસ કોઈ તપાસ દરમિયાન મોબાઇલ ફોન તપાસવાની વાત કરે છે ત્યારે મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું પોલીસ કોઈપણ વ્યક્તિનો મોબાઇલ ફોન ગમે ત્યારે તપાસી શકે? શું વ્યક્તિએ મોબાઇલ આપવો ફરજિયાત છે? જો પોલીસ બળજબરી કરે તો કાયદો શું કહે છે?
આવા પ્રશ્નો અંગે ઘણી ગેરસમજો સમાજમાં જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે પોલીસને ગમે ત્યારે કોઈપણ વ્યક્તિનો મોબાઇલ તપાસવાનો સંપૂર્ણ અધિકાર છે, જ્યારે કેટલાક લોકો એવું માને છે કે પોલીસને કોઈ અધિકાર જ નથી. હકીકતમાં આ બંને માન્યતાઓ સંપૂર્ણ સાચી નથી.
ભારતના બંધારણની કલમ ૨૧ દરેક નાગરિકને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે. સર્વોચ્ચ અદાલતે પોતાના અનેક ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિની ગોપનીયતા પણ આ અધિકારનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. મોબાઇલ ફોનમાં રહેલી માહિતી વ્યક્તિના ખાનગી જીવન સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી તેને સામાન્ય વસ્તુ તરીકે જોઈ શકાય નહીં.
બીજી તરફ, જ્યારે કોઈ ગુન્હાની તપાસ ચાલી રહી હોય અને મોબાઇલ ફોન તે તપાસ માટે મહત્ત્વનો પુરાવો બની શકે તેવી પરિસ્થિતિ હોય ત્યારે પોલીસને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાનો અધિકાર છે. જો તપાસ દરમિયાન મોબાઇલ જપ્ત કરવામાં આવે તો તેની પાછળ કાયદાકીય કારણ હોવું જોઈએ અને કાર્યવાહી કાયદાની જોગવાઈઓ અનુસાર થવી જોઈએ. માત્ર શંકાના આધારે અથવા કોઈ કારણ વિના દરેક વ્યક્તિનો મોબાઇલ તપાસી શકાય એવું કાયદામાં ક્યાંય લખાયેલું નથી.
સામાન્ય રીતે લોકો બે મોટી ભૂલો કરે છે. પ્રથમ, કેટલાક લોકો કાયદો જાણ્યા વગર ડરી જાય છે અને કોઈપણ પ્રશ્ન પૂછ્યા વગર પોતાનો મોબાઇલ સોંપી દે છે. બીજી તરફ કેટલાક લોકો કાયદેસરની તપાસમાં પણ બિનજરૂરી વિરોધ કરે છે અથવા પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરે છે. આ બંને પરિસ્થિતિ યોગ્ય નથી. નાગરિક તરીકે પોતાના અધિકારો જાણવું જેટલું જરૂરી છે, તેટલું જ કાયદેસરની તપાસમાં સહકાર આપવો પણ જરૂરી છે.
જો પોલીસ મોબાઇલ જપ્ત કરે અથવા તપાસ માટે માંગે તો તે કયા કેસમાં, કયા કારણસર અને કઈ કાયદાકીય જોગવાઈ હેઠળ કાર્યવાહી કરી રહી છે તે જાણવાનો અધિકાર નાગરિકને છે. સાથે જ તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ મોબાઇલ પરત મેળવવાનો પણ અધિકાર છે.
કાયદાનો હેતુ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે અને સાથે ગુન્હાની અસરકારક તપાસ સુનિશ્ચિત કરવાનો પણ છે. તેથી દરેક કેસની હકીકતો અનુસાર પોલીસની સત્તા અને નાગરિકના અધિકારો વચ્ચે સંતુલન જાળવવામાં આવે છે.
યાદ રાખો...
મોબાઇલ ફોનમાં રહેલી માહિતી વ્યક્તિની ગોપનીયતા સાથે જોડાયેલી છે.
પોલીસને દરેક વ્યક્તિનો મોબાઇલ ગમે ત્યારે અને કોઈપણ કારણ વગર તપાસવાનો અમર્યાદિત અધિકાર નથી.
ગુન્હાની તપાસમાં જરૂરી હોય ત્યારે કાયદા મુજબ મોબાઇલ જપ્ત અથવા તપાસી શકાય છે.
પોતાના અધિકારો જાણો, પરંતુ કાયદેસરની તપાસમાં સહકાર આપો.
ગેરસમજના આધારે નિર્ણય લેવાના બદલે કાનૂની સલાહ લેવી હંમેશાં વધુ યોગ્ય છે.
:: આલેખન-સંકલન :: સંજય આંબલીયા, ખંભાળીયા
ડિસ્કલેમરઃ- આ કોલમ લોકોને સરળ કાનૂની સમજ આપવા માટે છે... કોઈપણ કાનૂની પ્રક્રિયા પ્રવર્તમાન કાયદા-કાનૂન-નિયમ અનુસાર જ કરી શકાય છે. અહીં રજૂ થયેલી વિગતો લેખકની છે, જેને અમારી માન્યતા છે, તેમ સમજવું નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

