શિવપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને બંધુ- ભગિનિ પ્રેમનો ત્રિવેણી સંગમ... હર હર મહાદેવ... નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી

                                                                                                                                                                                                      

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કૃષ્ણ જન્મોત્સવ નથી, અને નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શિતળા સાતમ અને જન્માષ્ટમી-પારણાનોમના તહેવારો સપ્ટેમ્બરના પ્રારંભમાં હશે, પરંતુ શ્રાવણ મહિનામાં જ હશે.

આજથી શિવાલયો હર હર મહાદેવના નાદ્થી ગૂંજી ઊઠશે, તો શિવભક્તોનો શિવપ્રેમ પરાકાષ્ટાએ હશે. શ્રાવણ મહિનામાં જ ૧પ મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે અને દેશભરમાં રાષ્ટ્રપ્રેમ વધુ ઉભરાશે, તથા વૈવિધ્યસભર કાર્યક્રમો ધમધમશે. શ્રાવણ/ઓગસ્ટ મહિનામાં જ બંધુ-ભગિનિના પ્રેમની સરવાણી વહેવડાવતો પવિત્ર તહેવાર આવશે અને રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈઓને રાખડી બાંધશે, ભાઈઓ માટે મંગલકામના વ્યક્ત કરશે, અને ભાઈઓ પણ બહેનોને ભેટ-બક્ષીસો સાથે આજીવન સાથ-સુરક્ષાનું અભયવચન આપશે.

શ્રાવણ અને ઓગસ્ટ મહિનો ઘણી રીતે વૈવિધ્યપૂર્ણ છે. ઓગસ્ટ મહિનાના ઘણાં બધા ઘટનાક્રમો રાષ્ટ્ર માટે મહત્ત્વપૂર્ણ હતાં અને ઈતિહાસમાં આ મહિનો સૂવર્ણઅક્ષરે અને ગૌરવપ્રદ રીતે નોંધાયેલો છે, અને તેની સાથે શ્રાવણ મહિનાનો અદ્ભુત યોગાનુયોગ પણ રહ્યો છે.

ઓગસ્ટની પાંચમી તારીખ તો વિવિધ તબક્કે અને વિવિધ સંદર્ભમાં ભારતના ઈતિહાસમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ ૧૯૪ર માં ક્વીટ ઈન્ડિયાની રણનીતિ પાંચમી ઓગસ્ટે ઘડી હતી, જેની ઘોષણા પછીથી થઈ હતી. બ્રિટિશ સલ્તનતે બંગાળના નવાબના એક ઓફિસર મહારાજા નંદકુમારને પાંચમી ઓગસ્ટ-૧૭૭પ ના ફાંસીએ ચડાવ્યા હતાં. વર્ષ ૧૯૯૧ માં જજ લીલાશેઠ પાંચમી ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધિશ બન્યા હતાં, તો ભારત સરકારે પાંચમી ઓગસ્ટ ર૦૧૯ ના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩પ(એ) નાબૂદ કરી હતી, તો વર્ષ ર૦ર૦ માં અયોધ્યામાં રામમંદિર માટે ભૂમિપૂજન પણ પાંચમી ઓગસ્ટે જ થયું હતું.

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ૮ મી ઓગસ્ટ ૧૯૪ર ના ઓગસ્ટ ક્રાંતિનો પ્રારંભ થયો અને કરો યા મરોના સૂત્ર હેઠળ અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા'ની વોર્નિંગ સાથે અહિંસક ચળવળ શરૂ થઈ, જે દેશવ્યાપી બની ગઈ હતી અને બ્રિટિશ સલ્તનતની બુનિયાદને હચમચાવી દીધી હતી.

શ્રાવણ મહિનામાં દરેક સોમવારે શિવભક્તો વિશેષ શિવપૂજન કરે છે અને વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરે છે. શ્રાવણ મહિનામાં ચતુર્દશીના દિવસે રૂદ્રાભિષેક કરવામાં આવે છે, જેને 'સાવન શિવરાત્રિ' પણ કહે છે. શ્રાવણ સુદ ત્રીજ ને હરિયાળી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે, તો પાંચમના દિવસે નાગપાંચમ મનાવાય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રાવણવદ પાંચમના દિવસે પણ નાગપંચમીનું પૂજન, બીજા દિવસે રાંધણછઠ્ઠ, ત્રીજા દિવસે શિતળા સાતમ અને પછી જન્માષ્ટમી તથા બીજા દિવસે પારણાનોમ ઉજવાય છે. આ પાંચ દિવસીય તહેવારો તથા વ્રતોને સાંકળીને ઠેર-ઠેર શ્રાવણિયા ભક્તિમેળાઓ યોજાય છે, તેની સાથે સાથે લોકમેળાઓ તથા મનોરંજન મેળાઓ પણ યોજાય છે. આ જ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉપરાંત યજ્ઞોપવિતધારકો જનોઈ બદલાવે છે. આમ, શ્રાવણ મહિના સાથે ઓગસ્ટનું અદ્ભુત સંયોજન થાય છે.

શ્રાવણ મહિનાના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બર મહિનાના પ્રારંભે દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને 'નંદ ઘેર આનંદભયો, જય કનૈયાલાલ કી'નો નાદ્ ગૂંજી ઊઠશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં યાત્રાધામ દ્વારકામાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોવાથી તંત્રો અત્યારથી જ તેની તૈયારીઓ કરવા લાગ્યા છે. સરકારે ભારત ટેક્સીની જેમ સહકારી ધોરણે દ્વારકા શહેરમાં સહકારી ઓટોરિક્ષા સેવા શરૂ કરવી પણ અત્યંત જરૂરી છે, કારણ કે યાત્રાધામ દ્વારકામાં સ્થાનિક પરિવહન ઘણું જ મોંઘુ છે. તેવી જ રીતે યાત્રાધામ દ્વારકા, નાગેશ્વર, ગોપીતળાવ, બેટદ્વારકા, સુવર્ણતીર્થ, શિવરાજપુર વગેરે સ્થળોને સાંકળતી મીનીબસ સેવા પણ સહકારી ધોરણે શરૂ કરવી જોઈએ. તેવી જ રીતે બેટદ્વારકામાં પણ બસડેપો તથા પાર્કિંગથી દ્વારકાધીશના મુખ્ય મંદિરે થઈને શંખતળાવ, હનુમાનદાંડી, ચોર્યાસી ધૂણા, ગુરુદ્વારા, ડન્ની પોઈંટ સહિતના બેટદ્વારકાના સ્થાનિક દર્શનીય તથા પર્યટન સ્થળોને સાંકળી લેતી ટેક્સી સેવા તથા મીનીબસ સેવા 'સહકાર ક્ષેત્ર' દ્વારા શરૂ કરવાની જરૂર છે.

આ વર્ષે ૧પ મી ઓગસ્ટના દિવસે કેટલાક વિશેષ કાર્યક્રમો યોજાવાના છે, અને ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિન ઉજવાનાર છે. હર ઘર તિરંગા અભિયાન શરૂ થઈ ગયું છે, જે ૧૭ મી ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રકારના ગૌરવપૂર્ણ અને પાવન મહિનામાં જ દેશની રાજધાનીમાં જે કાંઈ બની રહ્યું છે, તે દુર્ભાગ્યપૂર્ણ ગણાય. ઘમંડ, જીદ, પાવર અને રાજનૈતિક ફાયદા માટે અજમાવાતી યુક્તિઓના કારણે સંસદનું ચોમાસું સત્ર લગભગ બરબાદ થઈ ગયું. જંતર-મંતર પછી તેવા જ દૃશ્યો ઝારખંડની રાજધાની રાંચીમાં જોવા મળ્યા. ક્યાંક પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યા પછી મહત્ત્વના બિલો અથવા પ્રસ્તાવ જેપીસીને મોકલવા પડી રહ્યા છે, તો ક્યાંક કેન્દ્રિય કાયદાઓ અથવા સૂચિત પ્રસ્તાવોની વિરૂદ્ધમાં વિધાનસભાઓમાં પ્રસ્તાવો પસાર થઈ રહ્યા છે, જે સંઘભાવના તથા ફેડરલ સ્ટ્રક્ચર માટે સારા સંકેત નથી.

આ વર્ષે ચોમાસું ખેંચાઈ રહ્યું છે, વિખેરાઈ રહ્યું છે અને અટવાઈ રહ્યું છે, જ્યાં વરસાદ પડે છે ત્યાં જળબંબાકાર થઈ જાય છે, અને જ્યાં નથી પડતો ત્યાં કેટલાક વિસ્તારો કોરા ધાકોડ છે. શ્રાવણ મહિનો આવ્યો છતાં સંતોષકારક વરસાદ નહીં થતા વિકટ સ્થિતિ ઊભી થઈ રહી છે. તેથી જન્માષ્ટમીના તહેવારો સમયે પણ પાછોતરો વરસાદ થાય, તો તેની સંભાવનાઓને અનુરૂપ વ્યાવસ્થાઓ પણ વહીવટી તંત્રે રાખવી પડશે અને તેને અનુરૂપ લોકલ તથા પબ્લિક પરિવહનની વ્યવસ્થાઓ કરવી પડશે. મંદિરોની વ્યવસ્થાપક સમિતિઓ, સંચાલકો, ટ્રસ્ટો તથા પૂજારીવર્ગે પણ આ પ્રકારની સ્થિતિને અનુરૂપ દર્શનની વ્યવસ્થા ગોઠવવી પડશે, જો કે બદલાઈ રહેલી સિસ્ટમલ જોતા આ અઠવાડિયામાં જ શ્રીકાર વરસાદ થઈ જાય અને જ્યાં નહીંવત વરસાદ થયો છે, તે હાલાર સહિતના તરસ્યા વિસ્તારોને તૃપ્તિ થઈ જાય, તેવો વરસાદ થાય, તેવો આશાવાદ પણ જાગ્યો છે. આ ધર્મ, ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના ત્રિવેણીસંગમ સમા શ્રાવણ મહિનામાં સર્વત્ર આનંદ પ્રસરે અને મેઘરાજાની મહેરબાની થઈ જાય, તેવું ઈચ્છીએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પાન મસાલાના પેકીંગમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ... અમલ થશે કે વાતો ના વડા?

                                                                                                                                                                                                      

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ) દ્વારા પાન-મસાલાના પેકીંગ કે પાઉચ માટે પ્લાસ્ટિક, પીવીસી તથા એલ્યુમિનિયમ ફોઈલના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂક્યો છે. દેશમાં ખાદ્યચીજો તથા પેયપદાર્થો (ખાવા-પીવાની ચીજવસ્તુઓ) ની શુદ્ધતા, સુરક્ષા અને માનક અથવા પ્રમાણો નક્કી કરતા આ સરકારી સત્તામંડળ દ્વારા ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે લાઈસન્સ અપાય છે, અને દેશમાં ઉત્પાદિત થતી અને વેચાતી ખાવા-પીવાની ચીજવસ્તુઓની શુદ્ધતા અને સુરક્ષા પર સતત નજર સ્થાનિક તંત્રો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા પણ રાખવામાં આવતી હોય છે.

આથી હવે પાન-મસાલાના પેકેજીંગમાં પ્લાસ્ટિક કે પીવીસીના ફોઈલ કે પેકેજીંગની અંદર ચમકતી એલ્યુમિનિયમ વરખ કે મેટલાઈઝ્ડ લેયરનો ઉપયોગ હવે કરી શકાશે નહીં. આના વિકલ્પે કંપનીઓ અને ઉત્પાદકો અને પ્લાસ્ટિક સિવાયના કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અથવા અન્ય પ્રાકૃતિક ઢબે બનેલી સામગ્રીનો ઉપયોગ પેકેજીંગ માટે કરી શકશે. તે ઉપરાંત મોટા પેકેજીંગ માટે કાચની બોટલો/કંટેનર/બરણી વગેરેનો ઉપયોગ થઈ શકશે, અને તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ જરા પણ નહીં કરી શકાય.

આ નવા નિયમો મુજબ પાઉચ પેકેજીંગમાં પોલિએથિલીન, પોલી પ્રોપિલીન, પોલીએસ્ટર, પીવીસી કે તેના અન્ય સિન્થેટિક પોલિમર, કો-પોલિમર અથવા લેમિનેટ નહીં કરવાનો આદેશ પણ અપાયો છે. આ કારણે હવે પાન-મસાલાના પાઉચ મોંઘા થઈ શકે છે, જેની માઠી અસર છૂટક વેપારીઓ અને ગ્રાહકો સુધી પહોંચી શકે છે. આ નવા નિયમો ૧૦ મી ઓગસ્ટથી લાગુ કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાહેર થયું છે.

આ નવા નિયમો લાગુ કરતા નવા ગેઝેટ નોટિફિકેશનના અર્થઘટનો મુજબ પાન-મસાલાની પડીકીઓથી લઈને તેના પેકેજીંગ સુધીની ચીજવસ્તુઓ પર આ નિયમો લાગુ થશે. આ નિયમો મુજબ ઈકો-ફ્રેન્ડલી, પર્યાવરણને અનુકૂળ ચીજોનો ઉપયોગ કરીને જ પાન-મસાલાની પડીકીઓ, નાના-મોટા પેકેજીંગ બનાવી શકાશે.

એફએસએસએઆઈ દ્વારા ફૂડ પેકેજીંગ એમેડમેન્ટ રેગ્યુલેશન-ર૦ર૬ નું નોટિફિકેશન જાહેર કરી દેતા આ નિયમો તત્કાલ ૧૦ મી ઓગસ્ટ-ર૦ર૬ થી લાગુ થઈ ગયા છે. આ કડક નિયમો લાગુ કરવાનો ઉદ્દેશ્ય પર્યાવરણ સુરક્ષાની સાથે સાથે જનઆરોગ્યની સુરક્ષાનો પણ જણાય છે. આ નિર્ણય પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-૧૯૮૬ હેઠળ ઘડાયેલા અધિનિયમ તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનજમેન્ટ રૂલ્સ-ર૦૧૬ હેઠળ લેવાયો છે.

પ્લાસ્ટિક પર ધીમે ધીમે વધુ ને વધુ કડક કાયદા અમલમાં આવતા કેટલીક કંપનીઓ પાન-મસાલાના પાઉચ કે પેકેટની ઉપરનું કવર કાગળનું રાખીને અંદરનું સ્તર પ્લાસ્ટિક કે એલ્યુમિનિયમની વરખ કે પતરીનું રાખતી હતી, જેને આ નવા નિયમો વિરૂદ્ધ માનવામાં આવશે અને બન્ને તરફ પૂરેપૂરૃં પ્લાસ્ટિક ફ્રી પેકેજીંગ જ માન્ય રહેશે, તેવી ચોખવટ થઈ ગઈ છે.

વર્ષ ર૦૧૮ માં પણ ખાદ્ય સુરક્ષા અને તેના પેકેજીંગના માપદંડો નક્કી કરીને નિયમો સુધારાયા હતાં. હવે પાન-મસાલાને શેડ્યુલ-૪ માં નવી એન્ટ્રીના સ્વરૂપમાં સામેલ કરાયા છે. આ શેડ્યુલમાં સરકાર એવી ચીજવસ્તુઓનો સમાવેશ કરે છે, જેના પેકેજીંગ મટિરિયલ્સ માટે માસ નિયમો બનાવાયા હોય.

જો કે, પોલિથીન, પોલી પ્રોપિલીન કે પીવીસીના બદલે કાગળ કે પેપરબોર્ડ, પોલીમર કે સિન્થેટિક લેમિનેટ્સના બદલે સેલ્યુલોઝ, એલ્યુમિનિયમ ફોઈલ કે મેટેલાઈઝ્ડ કે ટ્રેડિશ્નલ પ્લાસ્ટિક પાઉચ કે પેકેટ્સના બદલે ડબલીઓ કે કાચની બોટલોનો ઉપયોગ થઈ શકશે, તેવું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાથી એકંદરે મટિરિયલ્સ બદલશે, પરંતુ પાન-મસાલા એજ રહેશે. ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં તમાકુયુક્ત પાન-મસાલા (ગુટખા) પર પ્રતિબંધ જ છે, કે નાના-મોટા પેકેટ તથા પ્લાસ્ટિકના મોટા પેકેજીંગ થાય છે, તે બધાને આ નવા નિયમો લાગુ પડશે, તેના કારણે પાન-મસાલા હવે મોંઘા થઈ જશે, તે પણ નક્કી છે. આ નોટિફિકેશન જોતા તત્કાલ અસરથી નવા નિયમો મુજબનું જ પ્રોડક્શન કંપનીઓ કરી શકશે. આ નવા નિયમોની તત્કાળ અસર તો ડઝનેક પાન-મસાલા ઉત્પાદક કંપનીઓેને જ થશે, જે તે પછી છૂટક વ્યાપારીઓ તથા ગ્રાહકો સુધી પહોંચશે. આ નોટિફિકેશન ૭ મી ઓગસ્ટે જાહેર થયું, અને ૧૦ મી ઓગસ્ટથી જ લાગુ કરી દેવાયું, તેથી જુના ઉત્પાદિત સ્ટોક અને તેના ગ્રેસીંગ પીરિયડ અંગે કોઈ ચોખવટ થઈ રહી નહીં હોવાથી ભિન્ન-ભિન્ન અભિપ્રાયો વ્યક્ત થઈ રહ્યા છે. આજે આ મુદ્દે અખબારો અને ન્યુઝ ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી વ્યાપક ચર્ચા થઈ રહી છે, તેથી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બન્યો છે.

આ નિયમો જે નોટિફિકેશન દ્વારા તત્કાળ લાગુ કરી દેવાયા છે, તે જોતા જુના સ્ટોકનું વેંચાણ પણ નહીં થઈ શકે અને કંપનીઓ તથા દુકાનોમાંથી જુનો સ્ટોક પાછો ખેંચવો પડશે, અન્યથા તેને જપ્ત કરવો પડે તેવી સ્થિતિમાં એક પ્રકારની અસમંજસની સ્થિતિ પણ ઊભી થઈ છે, તેથી જ એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે નવા નોટિફિકેશનનો કડક અમલ થશે કે માત્ર વાતોના વડા જ થશે? એવા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે કે આ નવા નિયમો લાગુ કરતા પહેલા કંપનીઓને, જથ્થાબંધ અને છૂટક વેપારીઓને જુનો સ્ટોક રહી ન જાય તેટલી મુદ્ત આપવી જોઈતી હતી. બીજી તરફ એવું કહેવાય છે કે જુનો સ્ટોક રિકોલ કરીને તેનું નુક્સાન ઉત્પાદન કંપનીઓ જ ભોગવશે અને છૂટક વેપારીઓને તેનું નુક્સાન નહીં વેઠવું પડે, જો કે આ મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

આ નિયમભંગ બદલ કંપનીઓ કે વેપારીઓનું લાયસન્સ રદ્, મુદ્દામાલની જપ્તિ, ભારે દંડની જોગવાઈ છે અને ફૂડ સેફ્ટીના તંત્રોને દરોડા પાડીને તથા કડક ચેકીંગ કરીને આ નિયમોનું કડક પાલન કરવાની તાકીદ કરાઈ હોવાના અહેવાલો જોતા આ મુદ્દો પણ હવે સડકથી સંસદ સુધી પડઘાશે તે નક્કી જણાય છે.

આ નવા નિયમોની અમલવારી માટે જરૂરી ચેકીંગ એફએસઓ એટલે કે ફૂડ સિક્યોરિટી ઓફિસર્સ અને તેના તંત્રો કરી શકે છે. આ અધિકારીઓ રાજ્ય સરકારો હેઠળ દરેક જિલ્લા-તાલુકા સ્તર સુધી વિસ્તરેલા હોય છે. એફએસઓઝ પાસેથી કામ લેવા, જરૂરી મંજુરીઓ આપવા તથા સ્ટેટ-સેન્ટ્રલ કક્ષા સુધી કડીરૂપ કામ કરવા માટે નિમાયેલા હોય છે. આ અધિકારીઓ જરૂર પડ્યે સ્થાનિક તંત્રો કે પોલીસની મદદ પણ લઈ શકે છે. તેથી લોકલ એડમિનિસ્ટ્રેશન (સ્થાનિક તંત્રો) ને સ્વયંભૂ આ પ્રકારની તપાસણી કે દરોડા પાડવાના સ્વતંત્ર અધિકારો નહીં હોવાથી 'હપ્તાખોરો'થી સાવધાન રહેવાની કોમેન્ટો પણ થવા લાગી છે.

આ પ્રકારનો નિયમભંગ થતો હોય, કોઈ આ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચતું હોય કે હપ્તાખોરીનો પ્રયાસ થતો હોય તો તેની જાણ કરવા માટે એફએસએસએઆઈ દ્વારા કેન્દ્રિય કંટ્રોલ રૂમ તથા ટોલ ફ્રી હેલ્પલાઈનના ફોન, મોબાઈલ તથા વ્હોટ્સ એપ નંબર તથા અધિકૃત ઈ-મેઈલ આઈડી ઉપરાંત ફૂડ સેફ્ટી પોર્ટલ, સ્ટેટ ફૂડ સેફ્ટી કમિશનર તથા સ્થાનિક ફૂડ સેફટી અધિકારીઓનો સંપર્ક કરીને જાણ કરી શકાય કે ફરિયાદ નોંધાવી શકાય છે, તેવું જાહેર થયું છે, પરંતુ જનજાગૃતિનો અભાવ છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંસદમાં બેંકર્સ એન્ડ બુક્સ ઓફ એવિડેન્સ બિલ-ર૦ર૬ પસાર,... હવે શું?

                                                                                                                                                                                                      

ગઈકાલે રાજ્ય સભામાં પણ બેંકર્સ બુક્સ ઓફ એવિડેન્સ બિલ-ર૦ર૬ સર્વાનુમત્તે પાસ થઈ ગયું, અને બ્રિટિશ સલ્તનતે બનાવેલો ૧૩પ વર્ષ જુનો કાયદો બદલાઈ ગયો. નવો આધુનિક કાયદો વર્તમાન ઈન્ટરનેટ અને ડિજિટલ યુગને અનુરૂપ બન્યો છે, અને હવે રાષ્ટ્રપતિની મંજુરી પછી દેશભરમાં લાગુ થઈ જશે, જો કે ગઈકાલે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું, છતાં આ કાયદો પસાર કરવાની 'અનુકૂળતા' કરી આપવા માટે રોજીંદા સૂરોચ્ચાર અને હોબાળાના બદલે વિપક્ષે વોકઆઉટ કર્યું, તે આ કાયદા પ્રત્યે ગુપ્ત સહમતિ અથવા સર્વાનુમતિનો સંકેત આપે છે.

ગયા અઠવાડિયે જ આ બિલ લોકસભામાં પણ પસાર થયું હતું, અને રાજ્યસભામાં આ બિલ રજૂ કરતી વખતે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બિલને નવું સિમાચિન્હ (માઈલસ્ટોન) ગણાવીને આ બિલ રજૂ કરતી વખતે પણ વિરોધ પ્રદર્શિત કરવાના બદલે વિપક્ષે સકારાત્મક ચર્ચા કરી હોત તો તે લોકહિત માટે હોત, અને લોકતાંત્રિક પ્રક્રિયાને અનુરૂપ હોત, તે પ્રકારની વ્યંગાત્મક ટકોર પણ કરી હતી.

બ્રિટિશ શાસનકાળમાં જ્યારે વર્ષ ૧૮૯૧ માં આ પ્રકારનો કાયદો બન્યો હતો, ત્યારે ખાતાવહી, ચોપડા, રોજમેળ જેવી પદ્ધતિથી હિસાબો રખાતા હતાં, અને બેન્કીંગ સિસ્ટમમાં જરૂર પડ્યે એ ખાતાવહીઓ કે ચોપડાઓના બદલે તેની પ્રમાણિત કરેલી હસ્તલિખિત નકલોને આધાર-પુરાવા તરીકે માન્ય રાખીને ચોપડા-ખાતાવહી લઈને વારંવાર બેંકોના ધક્કા ખાવામાંથી લોકોને અને ખાસ કરીને વેપારીઓને મુક્તિ અથવા છૂટછાટ આપવા માટે તે સમયે આ કાયદો બન્યો હશે, અને તે જુના જમાનાની ટેકનોલોજી આજની કોમ્પ્યુટરાઈઝ એકાઉન્ટ સિસ્ટમ સાથે બિલકુલ સુસંગત નહીં હોવાથી આ ક્રાંતિકારી બદલાવ અત્યંત જરૂરી હતો, અને સમયની માંગ પણ હતી. આ કારણે જ વિપક્ષે અમિત શાહ સંસદમાં જંતરમંતર પર થયેલા લાઠીચાર્જ અંગે જવાબ ન આપે, ત્યાં સુધી સંસદ ચાલવા નહીં દેવાનો નિર્ધાર જાહેર કર્યો હોવા છતાં કદાચ વોકઆઉટ કરીને આ મહત્ત્વપૂર્ણ બિલ પાસ થઈ જાય, તેવી અનુકૂળતા કરી આપી હશે, અને વચલો રસ્તો કાઢ્યો હશે, તેવા અનુમાનોમાં તથ્ય છે, અને તેવું થયું હોય તો તેમાં કાંઈ ખોટું પણ નથી, પરંતુ રાજનીતિમાં અટવાઈને આ બિલ લટકી ન જાય, તે માટે શાસક પક્ષ તથા વિપક્ષોનું સમજદારીભર્યું યોગ્ય કદમ જ ગણવું જોઈએ.

'બેંકર્સ બુક્સ'ની વ્યખ્યાનું તો વિસ્તૃતિકરણ કરાયું છે જે, સાથે સાથે નવા કાયદામાં આ કાનૂનની જરૂરિયાત, ઉપયોગ અને સાંપ્રત સમયમાં તેના મહત્ત્વ અંગે પણ પૂર્વભૂમિકા રજૂ થઈ છે. જુના કાયદામાં પણ વખતોવખતના ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપો, માઈક્રોફિલ્મ, ટેપ જેવા બુનિયાદી માધ્યમોમાં સચવાયેલા હસ્તલિખિત, ટાઈપ કરેલા કે સમયની સાથે બદલતી ટેકનોલોજી હેઠળ સચવાયેલા ડેટાનો પુરાવા તરીકે સ્વીકાર થતો હતો, જ્યારે નવા કાયદા હેઠળ બેંકોના ડિજિટલ સ્વરૂપમાં સચવાયેલા, કોમ્પ્યુટરાઈઝ્ડ તથા ઈલેક્ટ્રોનિક્સ અદ્યતન સાધન-સુવિધાઓના માધ્યમથી સચવાયેલા રેકોર્ડસને અદાલતોમાં પણ આધાર-પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવામાં આવે, તેવી જોગવાઈ થઈ છે.

અત્યારે ડિજિટલ પેમેન્ટનો યુગ છે. ઘણી બધી હિસાબી પ્રક્રિયાઓ હવે ઓનલાઈન થવા લાગી છે, તેવામાં ૧૩પ વર્ષ જુનો કાયદો, અને તેમાં કેટલાક સુધારા-વધારાઓ થયા હોય તો પણ તે વર્તમાન ઝડપી બદલતા ડિજિટલ યુગમાં કોઈપણ રીતે બંધબેસતો નહીં હોવાથી તેના સ્થાને નવો અને અદ્યતન જોગવાઈઓ સાથેનો કાયદો અમલમાં મૂકાયો, તેથી સાયબર ક્રાઈમ અને ફ્રોડની સામે તપાસ તથા કાનૂની કાર્યવાહી પણ સરળ અને ઝડપી બનશે, તે હકીકત છે.

હવે વર્ચ્યુલ સ્ટોરેજ, ક્લાઉડ લોકેશન ઉપરાંત ઓનલાઈન-ઓફલાઈન સર્વર પર સાચવેલો ડેટા સહિત ઈલેક્ટ્રોનિક કે ડિજિટલ સ્વરૂપમાં રાખવામાં આવેલા રેકોર્ડઝને કાયદેસરના પુરાવા તરીકે અદાલતો ગ્રાહ્ય રાખશે, તેથી કાનૂની કેસોનો ઝડપી ઉકેલ પણ આવશે અને અદાલતો તથા વકીલોના રેકોર્ડઝમાં પણ ચોપડા, રજિસ્ટરો, ડાયરીઓ, નોંધપોથીઓ વગેરે ભૌતિક દસ્તાવેજો સાચવવા, અદ્યતન કરવા, સમયાંતરે બદલવા અને પ્રસ્તુત કરવાની કડાકૂટ ઘટી જશે, અને પછી તબક્કાવાર કાયમી અંત આવી જશે. આ કારણે આ કાયદાનો બેન્કીંગ ક્ષેત્ર, કાનૂનીક્ષેત્ર તથા સામાન્ય જનતાને પણ ફાયદો થશે.

જો કે, કેટલાક વિપક્ષોએ સંસદમાં વિસ્તૃત ચર્ચા કર્યા વગર આ બિલ પાસ કરી દેવાની સરકારી માનસિક્તાની ટીકા પણ કરી છે. કેટલાક લોકો એવી દલીલ કરી રહ્યા છે કે, આ પ્રકારની માન્યતાઓ મળી જતા લોકોમાં ફાયનાન્સિયલ પ્રાયવસી જોખમાશે, અને તેમાંથી જ નવી સમસ્યાઓ ઊભી થશે. કેટલાક તદ્વિષયક તજજ્ઞો પણ એવું માને છે કે, સ્ટ્રોંગ ડિજિટલ સેઈફગાર્ડઝ, ટેકનિકલ સિક્યોરિટી તથા તેને સંબંધિત માળખાકીય સુવિધઓની ઉણપના કારણે તથા ડિજિટલ રેકોર્ડ સાથે ખીલવાડની સંભાવનાઓ અને સુરક્ષાના મજબૂત પ્રબંધો વિના આ જોગવાઈઓ લાગુ કરવી યોગ્ય નથી.

વિરોધ પક્ષના નેતાઓમાંથી મોટાભાગના લીડર્સ દ્વારા આ રીતે વિપક્ષની ગેરહાજરીમાં અને ચર્ચા વગર આ કાયદો પસાર કરવાની સરકારની નીતિની આકરી ટીકા કરી રહ્યા છે, પરંતુ સંસદીય કાર્યવાહીમાં પણ બેક ચેનલ દ્વારા થતી ચર્ચાઓ તથા વચલો રસ્તો કાઢવા માટે થતી સમજુતિઓ રાજનૈતિક ઈન્ટરનલ અન્ડરસ્ટેન્ડીંગનો એક ભાગ જ હોવાથી ગૃહ ચાલવા નહીં દેવાના બદલે વોકઆઉટ કરીને ટ્રેઝરી બેન્ચ (શાસક પક્ષ) ને 'અનુકૂળતા' કરી આપવાની તરકીબ અજમાવાઈ હોવાની સંભાવના પણ નકારી શકાય નહીં. એકંદરે આ નવો કાયદો 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્ર મુજબ બેન્કીંગ સિસ્ટમ, ટ્રેડ, નાણાકીય વ્યવહારોને સંબંધિત હોવાથી લગભગ તમામ લોકોને સીધી કે આડક્તરી રીતે અસર કરતો હોવાથી ઉપયોગી સિદ્ધ થશે. આ કાયદો અમલમાં આવતા કાનૂની અને વ્યાપારી ક્ષેત્રે પણ પ્રભાવ પડશે, તે નક્કી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજથી હર ઘર તિરંગા અભિયાન... આવો, થોડું આત્મમંથન પણ કરી લઈએ...

                                                                                                                                                                                                      

ગુજરાતમાં ગઈકાલથી રાજ્યવ્યાપી હરઘર તિરંગા અભિયાન શરૂ થયું છે, જે ૧૭ મી ઓગસ્ટ સુધી ચાલશે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યકક્ષાની તિરંગા યાત્રા અને તિરંગા કોન્સર્ટના આયોજન પછી તબક્કાવાર ૧૭ મી ઓગસ્ટ સુધી તિરંગાયાત્રાઓ નીકળશે અને ઘેરઘેર તિરંગો ફરકાવાશે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા તેને લઈને ૧૪ મી ઓગસ્ટે 'વિભાજન વિભિષિકા સ્મૃતિ' દિવસની ઉજવણી ઉપરાંત નાગરિકો પોતપોતાના ઘરે તિરંગો ફરકાવીને ઘર અને તિરંગા સાથે સેલ્ફી ખેંચીને વેબસાઈટ પર મૂકે, તેમાં અબાલવૃદ્ધ તમામ પરિવારજનો સામેલ થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં ૧ર૦૦ જેટલા તિરંગા યાત્રાઓની મંજુરી લેવામાં આવી છે, તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ તિરંગાયાત્રાઓ નીકળશે, તેવા સંકેતો પણ મળી રહ્યા છે.

એક તરફ ગુજરાતમાં તિરંગાયાત્રાઓ સાથે હર ઘર તિરંગા અભિયાન શરૂ થઈ રહ્યું છે, તો બીજી તરફ તા. ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભિષિકા દિવસ મનાવાશે. આ જ દિવસે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ઘણાં સ્થળે સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો પણ યોજાવાના છે.

૧૪ મી ઓગસ્ટે જ 'બંટવારા-૧૯૪૭' હિન્દી ફિલ્મ થિયેટરોમાં રિલિઝ થશે, તે ઉપરાંત ઝી-ફાઈવ ઓટીટી પ્લેટફોર્મ પર ભારત ભાગ્ય વિધાતા પણ રિલિઝ થઈ રહી છે. ભારત ભાગ્ય વિધાતાની કથાવસ્તુ ર૬/૧૧ ના મુંબઈ આતંકી હુમલાઓ દરમિયાન તબીબો, નર્સો, મેડિકલ સ્ટાફ દ્વારા દેખાડેલા અદમ્ય સાહસ અને માનવતાની સત્યઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાય છે, જ્યારે 'બંટવારા-૧૯૪૭' ફિલ્મ આમિરખાન પ્રોડક્શન્સના બેનર હેઠળ રાજકુમાર સંતોષી નિર્મિત ફિલ્મ છે, જેમાં સની દેઓલ, મુખ્ય ભૂમિકામાં હશે, જેની સાથે તેનો પુત્ર કરણ દેઓલ, અલીફઝલ અને શબાના આઝમી સહિતના કલાકારો હશે. આ ફિલ્મમાં ભાગલા સમયની ઘટનાઓને વણી લઈને અમન અને પ્રેમનો સંદેશ અપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમ, બન્ને ફિલ્મો દેશભક્તિ તથા માનવતા, શાંતિ અને એક્તાની ભાવનાને સાંકળીને ૧૪ મી ઓગસ્ટે રિલિઝ કરવામાં આવી રહી છે, જે સૂચક છે, અને પ્રાસંગિક પણ છે...

એક તરફ દેશમાં દેશભક્તિ, શાંતિ, એક્તા અને સ્નેહ-પ્રેમનો માહોલ ફેલાય, તેવા પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ યુવાનોને સડકો પર ઉતરીને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ક્યાંક વયસ્ક નેત્રી મહિલા અને પૂર્વ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવાની ઘટના બની રહી છે, તો બીજી તરફ યુવાવર્ગ તથા વિદ્યાર્થીઓની સ્વયં નેતાગીરી લઈને સરકારને હફાવનાર યુવાનેતા ગાંધીવાદી અન્ના હજારેને બુઢ્ઢા ગણાવીને તેઓએ આશ્રમમાં બેસી જવું જોઈએ, તેવું નિવેદન કરી રહ્યા છે. બીજી તરફ આ નિવેદનના શબ્દોને સાંકળીને 'ખડગે અંગે તમારૂ શું કહેવાનું છે?' જેવા સવાલો પૂછાઈ રહે છે, તો તેની સામે શાસક પક્ષના વયોવૃદ્ધ તરફ અંગૂલીનિર્દેશ કરતી કોમેન્ટો થઈ રહી છે. જંતર-મંતર અને ઝારખંડના આંદોલનો પરીક્ષાપદ્ધતિ સાથે સંકળાયેલી શૈક્ષણિક સમસ્યાના હોવા છતાં બન્ને આંદોલનોને અલગ-અલગ ચશ્માથી નિહાળવામાં આવી રહ્યા છે, અને આંદોલનકારીઓ પણ વિવિધ વિચારધારાઓમાં વહેંચાયેલા હોવાના આક્ષેપો થઈ રહ્યા હોય, ત્યારે સવાલ એ ઊઠે કે શું આ દિવસો જોવા માટે જ લાખો સ્વાતંત્ર્યવીરોએ બલિદાનો આપ્યા હતા? શું આ પ્રકારની આઝાદી માટે જ કરોડો લોકોએ યથાશક્તિ યોગદાન આપ્યું હતું? શું આ અંધાધૂંધી અને અનિશ્ચિતતાઓ જોવા માટે જ લાખો માતાઓએ પોતાના વહાલસોયા દીકરા-દીકરીઓને સ્વાતંત્ર્ય ચળવળ માટે દેશને સમર્પિત કર્યા હતાં? આજે દુષ્કર્મ, ગુનાખોરી અને નફરત ફેલાવતા કૂકર્મીઓની ઘટનાઓના કારણે શહીદ થયેલા દેશભક્તોનો આત્મા નહીં દુભાતો હોય? શું દેશને હજુ પણ 'આભાસી આઝાદી' જ મળી છે?

શ્રાવણ મહિનામાં શિવભક્તિ સાથે સ્વાતંત્ર્ય પર્વ દેશભક્તિનો અનોખો સંગમ થવા જઈ રહ્યો છે, અને દેશભરમાં ધર્મભક્તિ અને દેશભક્તિનો અનોખો રંગ છવાઈ જવાનો છે, ત્યારે વૈશ્વિક અશાંતિ વચ્ચે પણ આપણો દેશ આખી દુનિયાને શાંતિનો સંદેશ આપવાની ક્ષમતા ધરાવે છે, આપણા દેશની મૂળભૂત ખાસિયત જ એ રહી છે કે આપણે આખી દુનિયાને પરિવાર માનીએ છીએ. આવી ઉત્કૃષ્ટ ભાવના હોય તેવા દેશમાં જ જ્યારે વિકૃતિ, અત્યાચાર, બળાત્કાર, ષડ્યંત્રો રચીને પ્રેમી-પ્રેમિકા કે પતિની હત્યા કે પછી સોશિયલ મીડિયાના સદુપયોગ તથા ઉપયોગિતા પર કલંક સમાન સંહારક અસરો હેઠળ બાળકો તથા સગીરો સાથે થતા જાતિય કુકર્મોનો પ્રભાવ વધવા લાગે, ત્યારે આપણે એ વિચારવું જ પડશે કે શું 'આઝાદી'ના ઓઠાં હેઠળ આપણે અનૈતિક અને અનિચ્છિનિય સ્વવિનાશ તરફ તો વળી રહ્યા નથી ને? સભ્યસમાજ અને સ્વતંત્ર ભારતના શાસન-પ્રશાસને પણ આ મુદ્દે ઊંડુ આત્મમંથન કરીને સમયસર અસરકારક ઉપાયો કાઢવા જ પડે તેમ છે.

આજે જ્યારે તિરંગાયાત્રા નીકળે, ઘેર-ઘેર તિરંગો લ્હેરાય કે 'ઓ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની' જેવા દેશભક્તિના ગીતો ગૂંજે ત્યારે પ્રત્યેક દેશવાસીની છાતી ગજ-ગજ ફૂલે, અને એક અલગ જ પ્રકારના ગૌરવની અનુભૂતિ થાય, પરંતુ જ્યારે સડક પર પડઘાતી લોકોની નારાજગી અને સંસદમાં થતો સિયાસી શોરબકોર સાંભળીયે ત્યારે એવો સવાલ પણ થાય કે શું હજુ પણ આપણે પૂરેપૂરા આઝાદ થયા નથી, કે પછી સ્વતંત્રતા હવે સ્વછંદતા તથા સરમુખત્યારશાહી જેવી વિચારધારાઓના વિરોધાભાસી સંયોજનમાં પલટાઈ રહી છે? સવતંત્રા અને સરમુખત્યારશાહી જેવી વિચારધારા એક સાથે આગળ વધી શકે નહીં, તેવી જ રીતે સ્વછંદતા અને સાચી લોકશાહી પણ એક સાથે પનપી શકે છે. એટલું જ નહીં, માત્ર રાજકીય પક્ષોના હિતો કે નેતૃત્વના ઘમંડ તથા શાસકપક્ષ-વિપક્ષ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાના બદલે નફરતભરી શત્રુતા વધવા લાગે ત્યારે લોકતંત્ર લજવાય છે અને ભારતમાતા દુભાય છે, તેવો ખ્યાલ પ્રગટે છે.

એક તરફ વરસાદની ખેંચના કારણે સૌની યોજનાના પાણી જળાશયો સુધી પહોંચાડવા પડી રહ્યા છે, તો બીજી તરફ દેશની રાજધાનીમાં 'પાણી' માપવાના પોલિટિકલ પ્રપંચો રચાઈ રહ્યા છે. મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે એક તરફ ઈંધણ બચાવવાની અપીલો કરાઈ રહી છે, તો બીજી તરફ કેટલાક નિરર્થક કાર્યક્રમો પાછળ ઈંધણનું આંધણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ભાવનિયંત્રણ માટે તંત્રો દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા હોવાની વાતો થતી હોય અને બીજી તરફ પેકેજ્ડ ફૂડ, સાબુ, બિસ્કિટ-ચોકલેટ તથા આવશ્યક ચીજવસ્તુઓમાં ભાવ વધારો ખાળવા માટે 'કોન્ટીટી' ઘટાડવાના કારસા રચાઈ રહ્યા હોય તો તે પ્રથા સાથે છેતરપિંડી નથી?

જો કે, આપણા દેશવાસીઓની દેશપ્રત્યેની વફાદારી, દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને કોઠાસુઝ એટલી પ્રબળ છે કે આ બધા પડકારો ખમીને પણ રાષ્ટ્રીય પર્વો પૂરેપૂરી ખુમારી, ઉત્સાહ અને હૃદયપૂર્વકના જુસ્સાથી ઉજવતા રહે છે. આપણાં દેશમાં ઘોષિત અને અઘોષિત કટોકટીઓ સમયે પણ આપણે સ્વાતંત્ર્યપણે અને પ્રજાસત્તાક પર્વ પૂરેપૂરી ખુમારીથી ઉજવતા રહ્યા છીએ. આવો, ઘેર-ઘેર તિરંગો ફરકાવવાની સાથે સાથે શહીદોને સલામ કરીએ અને નવા ફાલતુ ફિરંગીઓની ફિતરતને ફગાવીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ચેરિટી બિગીનીંગ ફ્રોમ ધી હોમ... સ્વયંથી શરૂઆત કરો...

                                                                                                                                                                                                      

ઓટોમોબાઈલના ક્ષેત્રે ગઈકાલથી જે ચર્ચા થઈ રહી છે, તેના કારણે વાહનોની સંખ્યામાં વધારો તથા તેમાં પણ ઈલેક્ટ્રીક વાહનોની તરફ લોકોનો વધી રહેલો ઝુકાવ એક તરફ સારા સંકેત છે, નો બીજી તરફ વાહનોની વધી રહેલી સંખ્યાના કારણે તેની ટ્રાફિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ વ્યવસ્થાઓની ઉણપ તથા તેમાંથી ઊભી થતી કાયદો-વ્યવસ્થાના સંદર્ભે જાહેર સૂલેહ શાંતિની સ્થિતિની ચિંતા પણ ઊભી થઈ રહી છે, અને તેને લઈને સમાજ અને સરકારે જાગૃત રહેવાની જરૂર છે, તેમજ તંત્રોએ પાણીના પૂર પહેલા પાળ બાંધવાની જરૂર છે. જીએસટીમાં ઘટાડો થયા પછી વાહનોનું વેંચાણ વધ્યું હોય અને તેમાં વધુ વેંચાણ ઈલેક્ટ્રીક વાહનોનું થયું હોય તો તે સારી વાત છે, પરંતુ તે પછીની સંભાવનાઓને પણ લક્ષ્યમાં લેવી જ પડે તેમ છે.

ગઈકાલે એવા અહેવાલો આવ્યા કે જુલાઈમાં જ ગુજરાતમાં બે લાખથી વધુ વાહનો વેંચાયા અને તેમાં ખરીદનારાઓનો ઝુંકાવ ઈલેક્ટ્રીક વાહનો તરફ હતો, ત્યારથી તેની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે, અને તેના સંદર્ભે દેશવ્યાપી આંકડાઓ અને ગ્રાહકોના ઝુકાવની સમીક્ષા પણ થઈ રહી છે.

ફેડરેશન ઓફ ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિએશન્સના રિપોર્ટને ટાંકીને આવેલા અહેવાલો મુજબ જુલાઈ ર૦ર૬ માં પેસેન્જર વાહનોના વેંચાણમાં લગભગ આઠ ટકા ઈલેક્ટ્રીક કાર હતી અને સવાત્રણ લાખ ઈલેક્ટ્રીક ટેક્સીઓ ફરતી થઈ હતી. લગભગ રપ ટકા સીએનજી અથવા એલપીજીથી ચાલતા વાહનો વેંચાયા હતાં, જ્યારે પેટ્રોલથી ચાલતા વાહનો લગભગ ૪ર ટકા વેંચાયા હતાં. આ આંકડા પેસેન્જર કારના વેંચાણના છે, જે ઈલેક્ટ્રીક અને ગેસ આધારિત વાહનોના વધી રહેલા વેંચાણનો સંકેત આપે છે. બીજી તરફ જુલાઈમાં ડીઝલ આધારિત પેસેન્જર કારનું વેંચાણ માત્ર ૧૮ ટકા જેટલું જ રહ્યું હોવાનું જણાવાયું હતું. આ આંકડાઓ આવી રહેલા બદલાવની અનુભૂતિ કરાવે છે.

જુલાઈ ર૦ર૬ માં ઓટો રિટેઈલનું વેંચાણ ગયા વર્ષની સરખામણીમાં ર૬ ટકા વધીને રપ.૯૧ લાખ યુનિટ હોય, અને તેમાં બે લાખથી વધુ પેસેન્જર વાહનો ગુજરાતમાં વેંચાયા હોય, તો તે ઓટોમોબાઈલ ક્ષેત્રે એક સિદ્ધિ ગણાય, અને તેમાંથી પણ રપ થી ર૬ હજાર ઈલેક્ટ્રીક પેસેન્જર વાહનોનું વેંચાણ થયું હોય, તો તે કેટલાક અંશે પ્રોત્સાહક પણ છે. તેવી જ રીતે દેશમાં રપ થી ર૬ લાખ વાહનોના વેંચાણમાં સવાત્રણ લાખ જેટલા ઈલેક્ટ્રીક વાહનો હોય, તો તે પણ નોંધપાત્ર છે.

આંકડાઓ મુજબ જો એક મહિનામાં બે લાખથી વધુ દ્વિચક્રી વાહનો, ૮૭ હજારથી વધુ ઓટોરિક્ષા (થ્રી વ્હીલર) અને ૩ર હજારથી વધુ ઈલેક્ટ્રીક કાર વેંચાઈ હોય, તો તે કુલ વેંચાણની સરખામણીમાં આશાવાદી પહેલ જરૂર ગણાય, પરંતુ આ જ આંકડા એવું પણ દર્શાવે છે કે ઈલેક્ટ્રીક પેસેન્જર વાહનોના વેંચાણમાં હજુ ઘણાં જ સઘન અને સાર્વત્રિક પ્રયાસો સરકારે કરવા જ પડશે, અને તેમાં જબદરસ્ત જનસહયોગની પણ જરૂર છે.

જુેલાઈ-ર૦ર૬ માં કોમર્શિયલ કાર્ગો-ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સમાં પણ વધારો થયો છે, અને કોમર્શિયલ વાહનોનો જુલાઈ ર૦ર૬ નો આંકડો એક લાખ યુનિટને આંબી રહ્યા છે. જેમાં ૬૧ હજારથી વધુ પીક-અપ વાન અને છોટે હાથી જેવા વ્હીકલ્સ છે, તો ર૮ હજારથી વધુ ટ્રક તથા હેવી વ્હીકલ્સ છે, જેમાં ૧૬ વ્હીલ ધરાવતા વાહનો પણ છે. લગભગ દસ હજાર જેટલા મધ્યમકક્ષાના હેવી વ્હીકલ્સ છે. જુલાઈમાં ૧ લાખ ર૦ હજાર જેટલા ટ્રેક્ટર્સ પણ વેંચાયા છે, તો બાંધકામ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતા ક્રેન, રોડરોલર, બુલડોઝર, લોડર વિગેરે સાડાપાંચ હજાર જેટલા વાહનો પણ વેંચાયા છે. આ કોમર્શિયલ વાહનોમાં ૭પ ટકાથી વધુ વાહનો ડીઝલથી ચાલતા વાહનો છે, તો સીએનજીથી ચાલતા ૧પ થી ર૦ ટકા વાહનો પણ વેંચાયા છે, જ્યારે કોમર્શિયલ સેગમેન્ટમાં પણ લગભગ સાડાત્રણ હજાર ઈલેક્ટ્રીક વાહનો વેંચાયા છે, જેથી એ પૂરવાર થાય છે કે હેવી ડ્યુટી વ્હીકલ્સમાં ઈલેક્ટ્રીક વાહનોની સ્વીકૃતિ થવા લાગી છે, જેને હવે પ્રોત્સાહિત કરવાની જરૂર છે.

એક તરફ વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિ તથા હોર્મુઝ સંકટના કારણે દેશમાં ઈંધણની બચત કરવા કારપુલીંગ, મેટ્રો ટ્રેન, સિટીબસોનો ઉપયોગ કરવાની અપીલો કરવામાં આવી રહી છે અને ડીઝલ-પેટ્રોલ-ગેસના વાહનોનો ઉપયોગ શક્ય તેટલો ઘટાડવાની સલાહો અપાઈ રહી હોય અને બીજી તરફ પેસેન્જર વાહનોના વેંચાણમાં મહત્તમ પેટ્રોલ તથા ગેસથી ચાલતા વ્હીકલ્સ હોય, તથા કોમર્શિયલ કાર્ગો વ્હીકલ્સમાં સૌથી વધુ ડીઝલ આધારિત વાહનો હોય, ત્યારે આ વિરોધાભાસ નિવારવો અત્યંત જરૂરી છે. તે ઉપરાંત વાહનોની વધતી જતી સંખ્યાને અનુરૂપ મઢાર્ગ્જીાો, પાર્કિંગની વ્યવસ્થાઓ તથા સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારવું પડે તેમ છે.

જો કે, તમામ સેગમેન્ટમાં ઈલેક્ટ્રીક વાહનોનું વેંચાણ શરૂ થયું છે, અને કેટલાક સેગમેન્ટમાં આશાવાદી વધારો ધીમે ધીમે થતો જોવા મળે છે, પરંતુ તેનો સંતોષ માનીને ગૌરવ લેવાના બદલે હકીકતે ઈલે. વાહનોનું વાસ્તવિક વેંચાણ વધે, તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવા જ જોઈએ, અને ગોબેલ્સ પ્રચાર પદ્ધતિના સ્થાને પારદર્શક રીતે વાસ્તવિક્તા સ્વીકારવી જોઈએ.

એક વાત સારી છે કે સરકારી-અર્ધસરકારી ક્ષેત્રોમાં ધીમે ધીમે ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, જો કે પબ્લિક પરિવહન તથા પબ્લિક સર્વિસિઝ (જાહેર સેવાઓ) માટે વપરાતા સરકારી વાહનોમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ આઈએએસ, જીએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ જેવી કેડરના ઉચ્ચ અધિકારીઓ શહેરની અંદર જ લોકલ પ્રવાસ માટે પણ પેટ્રોલ કે ડીઝલના વાહનો વાપરતા હોય અને તેના તાબા હેઠળના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ-અધિકારીઓ પણ પબ્લિક ઈલે. ટ્રાન્સપોર્ટ કે મટ્રોટ્રેનના સંદર્ભે હજુ પણ પેટ્રોલથી ચાલતા દ્વિચક્રી વાહનો કે ફોર વ્હીલર્સનો ઉપયોગ કરતા હોય અને તેવી જ રીતે પદાધિકારીઓ અને નેતાઓ તથા તેના કાર્યકર્તાઓ પણ સિટીબસો, મેટ્રોટ્રેન કે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવાના બદલે ડીઝલ-પેટ્રોલ-ગેસ આધારિત વાહનો જ વાપરતા હોય તો કહેવું જ પડે ને કે 'ચેરિટી બિગીનીંગ ફ્રોમ ધ હોમ...', સ્વયંથી શરૂઆત કરો...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત સહિત ૬ નવા બંદરો ધમધમશે.... ગુજરાત સરકારનો મહત્ત્વાકાંક્ષી નિર્ણય... સિક્કાની બીજી બાજુ...

                                                                                                                                                                                                      

ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે ને નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાના બંદરો વર્ષોથી ધમધમી રહ્યા છે. હાલાર પણ બંદરોની બે શ્રૃંખલામાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, અને હવે તેમાં વધારો થવા જઈ રહ્યો છે, કારણ કે રાજ્યસરકારે નવા ૬ બંદરો વિક્સાવવાનો જે ઈરાદો જાહેર કર્યો છે, તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાતનો પણ સમાવેશ થાય છે.

ભોગાત ઉપરાંત કચ્છના માંડવી તાલુકાનું નાના લાયની, ગીર સોમનાથ જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું વડોદરા (જિલ્લા) ગામ, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાઢેરા, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું દામકા તથા ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક લાખાણકા ગામે નવા પોર્ટસ સ્થાપવા માટે ગુજરાત સરકારે 'ગ્લોબલ એકપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ' મંગાવ્યા છે.

આ નવા બંદરોની સંભાવનાઓ અંગે વિસ્તૃત સ્ટડી કરવામાં આવ્યો હતો, અને તે પછી આઈઆઈટી-ખડગપુર દ્વારા આ સૂચિત સ્થળો અંગે પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થયો હતો. આ રિપોર્ટ મુજબ કાર્ગો બંદરો માટે અંદાજે રૂ।. ૧ર હજાર કરોડથી વધુનું ઈન્વેસ્ટમેન્ટ આવશે. આ માટે ખાનગી કંપનીઓ પાસેથી ગ્લોબલ ઈઓઆઈ મંગાવાયા છે, જેના ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. ગુજરાત સરકાર બિલ્ડ ઓન ઓપરેટ-ટ્રાન્સફર મોડેલના આધારે આ નવા બંદરો વિક્સાવવા માંગે છે અને તે માટે રસ ધરાવતી ખાનગી કંપનીઓ માટેના ચોક્કસ માપદંડો, ક્વોલિફિકેશન્સ તથા શરતો પણ નક્કી કરવામાં આવી છે.

વાઈબ્રાન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦ર૭ ના આયોજન પહેલા જ ગુજરાત સરકારે ઊઠાવેલું આ કદમ પણ ઘણું જ સૂચક છે. ગુજરાતનો દરિયાકિનારો અદ્યતન રીતે માપવાથી લગભગ ર૩૦૦ કિલોમીટર જેટલો થાય, જેમાં કદાચ કચ્છનો અખાત વગેરે વિસ્તારોનો પણ સમાવેશ થતો હશે, અને તેની સાથે સાથે પોર્ટર્સ વિક્સાવવાની વિપુલ સંભાવનાઓ છે. તેથી આ પ્રોઝેક્ટ ઘણો જ મહત્ત્વકાંક્ષી પણ ગણાય છે. હાલારમાં જામનગરના બેડીબંદરથી લઈને ઓખાબંદર વચ્ચે નાના-મોટા પોર્ટર્સ અત્યારે મોજુદ છે, તેને પણ આ નવા બંદરોની સ્થાપનાથી પ્રોત્સાહન મળશે, તેવી શક્યતાઓ પણ હોવાથી આ બંદરોની રાજ્વ્યાપી શ્રૃંખલા રાજ્ય અને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દરિયાઈ પરિવહન, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ઉપરાતં રોજગારી તથા અર્થતંત્ર માટે પણ ફળદાયી નિવડશે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ નવી પરિયોજના માટે એકંદરે ૩પ હજાર કરોડનું પ્રારંભિક ઈન્વેસ્ટમેન્ટ આવશે, તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

આ નવા ૬ ગ્રીન ફિલ્ડ પોર્ટસનો પ્રસ્તાવ 'બૂટ' વિકાસ મોડલ હેઠળ વિક્સાવવા માટે હોવાથી તેમાં જાયન્ટ કંપનીઓ રસ ધરાવશે.

આ પ્રસ્તાવની સાથે સાથે પૂરક પ્રપોઝલમાં પણ દ્વારકાના મીઠાપુર સહિત સૌરાષ્ટ્રના કેટલાક સ્થળે શિપયાર્ડ અને કલસ્ટર વિક્સાવવાની દરખાસ્ત છે. મીઠાપુર ઉપરાંત ઘોઘા (ભાવનગર) વઢેરા (અમરેલી) અને કુછડી (પોરબંદર) માં પણ ગ્રીન ફિલ્ડ શિપયાર્ડ તથા મેગા શિપ બિલ્ડીંગ કલ્સ્ટરનો સમાવેશ આ પ્રસ્તાવમાં કરાયો છે. જે મહત્ત્વાકાંક્ષી છે અને આ કારણે વિસ્તાર વિકાસની સાથે વિપુલ સ્થાનિક અને સાર્વત્રિક રોજગારી ઊભી થવાની સંભાવનાઓ પણ દર્શાવાઈ છે.

હવે ર૧ મી ઓક્ટોમ્બર-ર૦ર૬ ની છેલ્લી નિયત તારીખ સુધીમાં ક્યા ક્યા ઈન્સ્ટીયાલિસ્ટો રસ દાખવે છે અને કઈ કઈ જાયન્ટ કંપનીઓના ઈઓઆઈ આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેશે.

આ ગ્રીનફીલ્ડ પોર્ટર્સ ઈકો-ફ્રેન્ડલી અને પ્રકૃતિ-પર્યાવરણને અનુરૂપ રહીને વિક્સાવાશે અને તેમાં લોકલ પબ્લિક તથા સ્થાનિક પૂરક વ્યવસાયોને પણ ઘણો જ ફાયદો થશે. એટલું જ નહીં, આ પોર્ટર્સ શરૂ થતા કેટલાક રેઢા રહેતા દરિયાઈ વિસ્તારોમાં અવર-જવર વધતા દાણચોરી, એન્ટી-સોશ્યલ તથા એન્ટી-નેશનલ પ્રવૃત્તિઓ પર અંકુશ વધશે, તથા સ્થાનિક યુવાવર્ગને રોજગારીની તકો મળતા આ ડેવલપમેન્ટ એકંદરે બહુહેતુક પૂરવાર થશે, તેવો આશાવાદ પણ વ્યક્ત થઈ રહ્યો છે.

હાલારમાં જામનગરના રોઝીબંદર, સચાણા, બેડીબંદરથી લઈને સિક્કા, સલાયા, વાડીનાર અને ઓખા પોર્ટ સુધીના બંદર ક્ષેત્રોની શ્રૃંખલામાં ભોગાત જોડાય અને તેમાં નજીકમાં જ આવેલા પોરબંદર જિલ્લાનું કુછડી ઉમેરાય તો એકંદરે રાષ્ટ્રીય સુરક્ષા તથા ગેરકાનૂની દરિયાઈ પ્રવૃત્તિઓ પર પણ પરોક્ષ અંકુશ આવશે, જો કે આ કાર્ગો જહાજો, બાજ અને બોટ્સની સુરક્ષા તથા ચકાસણીની જવાબદારી પણ રાજ્ય-કેન્દ્ર સરકારના સંબંધિત તંત્રો પર વધશે, તેથી આ ક્ષેત્રે આગળ વધવાની સાથે સાથે આ વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષા પણ વધુ સઘન અને મજબૂત બનાવવી પડશે. આમ વિકાસ અને સુરક્ષા વચ્ચે સંકલન જાળવીને આગળ વધવું પડશે. એટલું જ નહીં, ખાનગી કંપનીઓના હિતો કરતા રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપીને જ આગળ વધવુંપડશે, તે સિક્કાની બીજી બાજુ છે.

ભૂતકાળમાં દક્ષિણ ગુજરાતના નાગરોલ પોર્ટના વિકાસની પરિયોજના સ્થાનિક ગ્રામજનો-માછીમારોના વિરોધના કારણે પત્ડાો મૂકવો પડ્યો હતો, તેના અનુભવે સરકારે નવા ૬ બંદરોના વિકાસ પ્રોજેક્ટની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરીને સ્થાનિક લોકો, ખેડૂતો, માછીમારો તથા અન્ય હિતધારકો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને તેઓને વિશ્વાસમાં લેવા પડશે, એટલું જ નહીં, તે સમયે જે રીતે કોઈ ગ્લોબલ બીડ-આવ્યું નહોતું, તેવી સ્થિતિ ફરીથી સર્જાય નહીં, તેની સરકારે કાળજી રાખવી પડશે. અહીં પણ સરકારે ખાનગી કંપનીઓ કે જાયન્ટ બીડરોના હિતોની સરખામણીમાં સ્થાનિક લોકો, માછીમારો અને ખેડૂતો સહિતના હિતધારકો તથા અસરગ્રસ્તોના હિતોને પ્રાધાન્ય રાખવા પડશે.

ભૂતકાળમાં ઘણી વખત આ પ્રકારના પ્રોજેક્ટોના પ્રારંભ કે અમલ સમયે વિપક્ષોની એવી ફરિયાદ રહી હતી કે પોર્ટના વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિયમો જ રાજ્ય સરકાર એવી રીતે બનાવે છે, જે લાભદાયી હોય, પરંતુ સ્થાનિક લોકોના હિતોની અવગણના કરાતી હોય અથવા સ્થાનિક લોકોને નુક્સાન થતું હોય આથી 'કોની કેપિટલિઝમના આરોપથી બચવા સરકારે આ ૬ બંદરોના ઈઓઆઈ આવ્ય પછી સાવધાનીપૂર્વક શરતો તથા નિયમો લાગુ કરવા પડશે. ખાસ કરીને સ્થાનિક ખેડૂતો, માછીમારો તથા શ્રમિકોના હિતો જોખમમાં ન મૂકાય અને સંભવિત નુક્સાનનું યોગ્ય વળતર મળી રહે, તેવી જોગવાઈઓ પહેલેથી કરવી પડશે અને આ સિક્કાની બીજી બાજુ પહેલેથી જ સરકારે ધ્યાને લેવી પડશે. જો સરકાર પ્રો-ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ નહીં, પણ પ્રો-પબ્લિક અભિયાન અપનાવશે, તો આ ૬ બંદરોનો વિકાસ એકંદરે ગુજરાત માટે ફળદાયી નિવડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સુપર અલનીનો સક્રિય... યુનોની વિશ્વવ્યાપી વોર્નિંગ... ભારતમાં પણ માઠી અસર...

                                                                                                                                                                                                      

સંયુક્ત રાષ્ટ્ર સંઘના વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ) તથા મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે આપેલી વોર્નિંગ મુજબ ઓગસ્ટથી ઓક્ટોબર-ર૦ર૬ દરમિયાન પાવરફૂલ અલનીનો વધુ તીવ્ર બનશે અને સ્થિતિ વૈશ્વિક તાપમાનમાં અસાધારણ વધારો કરશે. આ કારણે હીટવેવ, દુષ્કાળ અને કેટલાક સ્થળે અતિવૃષ્ટિ સાથે ભારે પૂર આવતા તથા વાવાઝોડાઓ ફૂંકાતા જળજીવન તથા જીવસૃષ્ટિ પર ઘણી જ માઠી અસરો થશે. ભારતીય ઉપમહાદ્વીપ અને એશિયાના ઘણાં વિસ્તારોમાં અલ્પવૃષ્ટિ અથવા અસંતુલિત અને અનિશ્ચિત ચોમાસું રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

જો કે, ડબલ્યુ.એમ.ઓ. સુપર અલનીનો જેવા શબ્દપ્રયોગો કરતું હોતું નથી, પરંતુ પ્રશાંત મહાસાગરમાં વધતા તાપમાન તથા ગ્લોબલ વોર્નિંગના કારણે પુથ્વી પર અસહ્ય ગરમી (હીટવેવ), જંગલોમાં ભયાનક આગ અને અલ્પવૃષ્ટિની ખતરનાક સ્થિતિ તરફ અંગૂલીનિર્દેશ કરે છે, જેથી કૃષિ-ઉત્પાદન, પીવા અને વાપરવાના પાણીનો પુરવઠો અન્નસુરક્ષા પર ગંભીર વિપરીત અસરો પડી શકે છે.

યુ.એન.ની જુદી જુદી એજન્સીઓ દ્વારા વિવિધ દેશોની સરકારો તથા તંત્રોને આ સંભવિત ભયાનક સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય તૈયારીઓ રાખવા અપીલ કરવામાં આવી રહી છે, અને અર્લી વોર્નિંગ સિસ્ટમ તથા બફરસ્ટોક સહિતના પૂર્વ-આયોજન સુનિશ્ચિત કરી લેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

વૈજ્ઞાનિકોના અનુમાનો મુજબ આ અલનીનોની અસરો માર્ચ-ર૦ર૭ સુધી રહી શકે છે. આ વખતે અલનીનોના કારણે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોના મહત્તમ વિસ્તારોમાં અલ્પવૃષ્ટિ અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં અતિવૃષ્ટિ તથા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડ, મધ્યપ્રદેશના માળવા તથા મધ્ય જિલ્લાઓમાં સુપર અલનીનોની મહત્તમ અસરો થઈ શકે છે. તે ઉપરાંત રાજસ્થાનના પશ્ચિમ થાર તથા રણની નજીકના જિલ્લાઓ ઉત્તર કર્ણાટક અને તેંગાણાના કેટલાક વિસ્તારો તેમજ પૂર્વ ભારતના બિહાર અને ઝારખંડ સુધી અલનીનોની માઠી અસરો વર્તાઈ રહી છે. આ અંગે કેન્દ્રિય સંબંધિત વિભાગો તથા રાજ્યોના સંબંધિત વિભાગોને સતર્ક કરાયા હોવા છતાં સંકલન વધારવું અતિ જરૃરી છે.

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાાં બે કાંઠાળ તાલુકાઓમાં વરસાદ નહીંવત્ થયો છે, જ્યારે જામનગરમાં પણ જોઈએ તેવો વરસાદ થયો નથી. અપવાદરૃપ કેટલાક ડેમો સિવાય ગુજરાતના મહત્તમ જળાશયોમાં હજુ સુધી નોંધપાત્ર જળસંગ્રહ થયો નથી, તો સરદાર સરોવર ડેમ પણ હજુ ભરપૂર સપાટીએ પહોંચ્યો નથી, કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારોમાં વરસાદની કમી તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં થયેલી અલ્પવૃષ્ટિ ચિંતાજનક છે, જો કે હજુ ચોમાસું બાકી છે અને વરસાદની નવી નવી આગાહીઓ થવા લાગી છે, તેથી લોકો સંતોષકારક વરસાદની આશા પણ રાખી રહ્યા છે, પરંતુ સુપર અલનીનોની અસરો વધવા લાગતા તથા યુનો દ્વારા ચેતવણીઓ અપાયા પછી હવે સરકારી તંત્રોએ વધુ સતર્ક તથા લોકોએ માનસિક રીતે આ સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું હિતાવહ જણાય છે.

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (ડબલ્યુએમઓ) અને યુનોના ખાદ્ય અને કૃષિ સંગઠન એફ.એ.ઓ. દ્વારા ભારતને અલનીનોને લઈને ગંભીર ચેતવણીઓ આપી છે અને ઓગસ્ટથી ધીમે ધીમે અલનીનો મજબૂત થશે અને ઓક્ટોબરમાં ચરમસીમાએ પહોંચશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અલનીના કારણે દુષ્કાળ પડતા ખાદ્યાન્નની કટોકટી ઊભી થઈ શકે, તેવા દેશોની યાદીમાં એફ.એ.ઓ.એ ભારતને રાખ્યું છે, તથા ભારતમાં અનાજ, કઠોળ, કપાસ અને સોયાબિન સહિતના તેલિબિયાના ખેત-ઉત્પાદનોમાં ઘણો બધો ઘટાડો થવાની શક્યતાઓ પણ દર્શાવાઈ છે.

આજે જે વરસાદની નવી આગાહીઓ થઈ છે તે પૂર્વ અને ઉત્તર ભારત તરફના રાજ્યોની છે, જ્યારે ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી નથી, જે અલનીનોની અસર દર્શાવે છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આકાશી ખેતી છે. રાજ્યમાં કેટલાક મોટા ડેમો છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા તેમાં જળસંગ્રહ થયો નથી. ઘણાં ડેમ તો હજુ ખાલીખમ છે અથવા ચોમાસાના નવા નીરની નહીંવત્ આવક થઈ છે. દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર કરનાર વર્ષારાની સૌરાષ્ટ્રના ત્રણ-ચાર જિલ્લામાં રિસાયા હોય તેમ સરેરાશથી ઘણો જ ઓછો વરસાદ થતા કચ્છ, હાલારથી બરડા-બારાડી સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં નહીંવત્ વરસાદ જ થયો છે. જો અલનીનોના કારણે વરસાદ ખેંચાય અથવા પૂરતા પ્રમાણમાં મેઘવૃષ્ટિ નહીં થાય, તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અછત કે અર્ધઅછત જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં 'સબ સલામત'ની કેસેટ વગાડીને ગાફેલ રહેવા જેવું નથી, અને પાણી પહેલા પાળ બાંધવાની કહેવત મુજબ પૂર્વઆયોજન ઘડી રાખવું અત્યંત જરૃરી છે. વર્તમાન શાસકોની માનસિક્તા (મોડ્સ ઓપરેન્ડી) મુજબ આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કહેવતની જેમ જ્યારે અર્ધદુષ્કાળ જેવી સ્થિતિ હશે, ત્યારે તંત્રો હડિયાપટ્ટી કરશે, પરંતુ અત્યારે 'સરકાર અને સંબંધિત તંત્રો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે' તેવા છાપેલા જવાબો સાથે નિદ્રાધિન રહેશે.

હકીકતે આ સ્થિતિમાં રાજ્યકક્ષાએ તથા જે જિલ્લાઓમાં અલ્પવૃષ્ટિ થઈ છે, અને કૂવા-તળાવો-જળાશય ખાલીખમ છે, તેવા તાલુકાઓ સુધી તલસ્પર્શી સ્ટડી તથા સર્વે કરાવીને જો અલનીનોના અભિશાપથી વરસાદ ખેંચાય કે થાય જ નહીં, તો તેવા સંજોગોમાં ઊભી થનારી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવાનો માસ્ટર પ્લાન અત્યંત જ ઘડી કાઢવો જોઈએ.

એ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારથી જ વિચારી રાખવી જોઈએ, કે જેથી વિકટ સ્થિતિ ઊભી થાય તો પશુઓના ઘાસ-પાણી, ખાદ્યાન્ન, લોકોને પીવાનું અને વાપરવાનું પાણી, થોડો-ઘણો વરસાદ થયો ત્યારે વાવણી કરી લીધી હોય તો તેવા ખેડૂતોનો પાક બચાવવા જે જળાશયોમાંથી ઉપલબ્ધ થઈ શકે, ત્યાંથી સિંચાઈ માટે નહેરોમાં પાણી છોડવા અને દુષ્કાળ કે અર્ધ-દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તો તેવા વિસ્તારોમાં શ્રમિક રોજગારી તથા પૂરક રોજગારીના વિકલ્પો વિચારી રાખવા જોઈએ. રાહતકામો શરૃ કરવા પડે તેમ હોય તેવા વિસ્તારોમાં માત્ર નિરર્થક આડેધડ ખોદકામના બદલે સ્થાનિક જરૃરિયાતો મુજબ ગુજરાતના રોડ-રસ્તા, જળસંગ્રહ કે સામાજિક સુખ-સુવિધાની જરૃરિયાતો સંતોષતા, પ્રોડક્ટીવ કે હેતુલક્ષી નાના-મોટા વિકાસના કામોનું નિર્માણ પણ થાય અને શ્રમિકોને રોજગારી તથા સ્થાનિકોને પૂરક રોજગારી મળી રહે, તેવો માસ્ટર પ્લાન અત્યારથી જ ઘડવો જરૃરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકારી તપાસ એજન્સીઓનો દુરૂપયોગ ? આરોપો લગાવાય, પણ સિદ્ધ કેમ થતા નથી ? ચોંકાવનારો ઘટસ્ફોટ

                                                                                                                                                                                                      

આઝાદી પછી આપણાં દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો અંતર્ગત કેટલીક તપાસ એજન્સીઓ રચાઈ છે, જે મોટા કૌભાંડો, મોટા અપરાધો અને વિશેષ પ્રકારના રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સુરક્ષા તથા જાહેર હિતના ચોક્કસ કિસ્સાઓમાં તપાસ કરીને અદાલતોમાં દોષીતોને રજૂ કરે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી કેન્દ્રીય તપાસ એજન્સીના દુરૂપયોગના આક્ષેપો વધ્યા છે. અને દોઢેક દાયકા પહેલા તો સુપ્રિમકોર્ટે સીબીઆઈને સરકારનો પઢાવેલો પોપટ કહીને  ટિપ્પણી કરી હતી, એટલું જ નહીં, તે પહેલા અને પછી ૫ણ આ પ્રકારની ટકોરો અદાલતો કરતી રહી છે. સત્તાપરિવર્તનો થાય છે, પરંતુ આ આક્ષેપ દોહરાવાતો રહે છે અને પોલિટિકલ પાર્ટીઓ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે આ પ્રકારના આક્ષેપો કરે છે, પરંતુ જ્યારે તે સત્તા પર આવે, ત્યારે ભૂતકાળના શાસકપક્ષો આ જ પ્રકારના આક્ષેપો કરે છે, તેથી એવું કહી શકાય કે કાં તો આ માત્ર રાજકીય આક્ષેપબાજી જ છે, અને આ સરકારી તપાસ એજન્સીઓમાં બંધારણીય ઢબે પોતાની ફરજો બજાવે છે, અથવા તો જે પક્ષો સત્તામાં હોય, તેઓના દબાણ હેઠળ કામ કરે છે, અને સરકારી એજન્સીઓનો દુરૂપયોગ સત્તાધારી પક્ષો હંમેશાં કરતા જ રહે છે, તેવા આક્ષેપોમાં તથ્ય છે.

હમણાંથી એવા આક્ષેપો વધ્યા છે કે મોદી સરકાર સત્તામાં આવ્યા પછી સરકારી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરૂપયોગ ઘણો જ વધી ગયો છે અને વિપક્ષોને હેરાન કરવા કે ખતમ કરવા માટે ઈડી-સીબીઆઈનો વ્યાપક દુરૂપયોગ થાય છે. આ સંદર્ભમાં જ મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યા રામમંદિરમાં ચંદાચોરી પ્રકરણના સંદર્ભે કટાક્ષ કર્યો હતો કે નાની-મોટી આર્થિક ગરબડીના કિસ્સામાં કાર્યવાહી માટે તલપાપડ રહેતી ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ આ સંવેદનશીલ અને મોટા નાણાકીય કૌભાંડમાં તપાસ કેમ કરતી નથી ? ઈડી, સીબીઆઈ ક્યાં છે ?

વર્તમાન સમયના વિપક્ષોના આ ગંભીર આક્ષેપોને સમર્થન મળે, તે પ્રકારનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો પણ રાજ્યસભામાં સરકારે જ આપેલા એક પ્રશ્નના જવાબમાં થયો છે, જેના આજે દેશવ્યાપી પડઘા પડી રહ્યા છે અને હાલમાં બેકફૂટ પર જણાતી કેન્દ્ર સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયેલી દેખાય છે. આ સનસનીખેજ ખુલાસા પછી તેના સંદર્ભે ટેલિવિઝન ચર્ચાઓમાં સરકાર પક્ષેથી આવેલા પ્રવક્તાઓ કોંગ્રેસ-યુપીએ શાસનકાળના આંકડાઓ દર્શાવીને બચાવ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ હાલની સ્થિતિ અંગે સ્પષ્ટ જવાબ આપવાની સ્થિતિમાં જણાતા હોતા નથી.

રાજયસભામાં સીપીઆઈ(એમ)ના સાંસદ શિવદાસને પુછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય, નાણા, રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ છેલ્લા પાંચ વર્ષમાં ૪૬૨૨ કેસો નોંધ્યા છે, જેમાં માત્ર ૧૦૪ જ લોકોને સજા થઈ છે. તે ઉપરાંત આઈટી વિભાગે ૨૧૨૭ કેસ નોંધ્યા, પરંતુ ૮૫૪ આરોપીઓ તો નિર્દોષ છુટી ગયા છે. ઈડીએ કરેલા કેસોમાં આરોપીઓને સજા થઈ હોય, તેવા કેસોમાં કન્વીકશન રેટ- એક ટકાથી પણ ઓછો હોય તો એવો સવાલ ઉઠે કે બાકીના ૯૯ કેસો શું હજુ પેન્ડિંગ છે ? જો તમામ નોંધેલા કેસોમાંથી એક ટકાને જ અદાલતોમાં સજા સંભળાવાઈ હોય, તો શું ૯૯ ટકા કેસ બોગસ હતા ? હજુ સુનાવણી બાકી હોય તો પણ તેમાંથી કેટલા ને સજા થશે અને કેટલા નિર્દોષ છુટી જશે તેવા તીખા તમતમતા સવાલોના જવાબો કોઈ પાસે હોતા જ નથી.

એક એવો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે, જેમાં ઈડી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં નોંધાયેલ ૧૦૮૦ કેસો છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. જો કે, વર્ષ ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪માં ઈડીના કેસોમાં ઘટાડો થયો હતો પરંતુ છેલ્લા બે વર્ષમાં તેમાં ફરીથી ઉછાળો આવ્યો છે.

ચાલુ વર્ષે જૂન મહિના સુધીમાં ઈડીએ ૨૪૪૪ કેસ પીએમએલએ હેઠળ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા અને ૧૨૪૩ લોકોની ધરપકડ કરી છે, તે પૈકીના મહત્તમ કેસો જુદી જુદી સ્થિતિએ અદાલતોમાં પેન્ડિંગ છે.

છેલ્લા પાંચ વર્ષમાં આઈટી એકટ હેઠળ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૧૨૭ કેસો નોંધાયા હોય અને તેમાંથી માત્ર ૨૩૩ વ્યક્તિને જ દોષિત ગણાયા હોય, અને ૮૪૪ નિર્દોષ છુટયા હોય તો કહી શકાય કે ૧૦૦માંથી ૭૮ વ્યક્તિ કે પેઢીઓ સામેના આરોપો સિદ્ધ થઈ શક્યા નથી. જો આવું જ હોય તો એવું પૂરવાર થાય છે કે કાં તો આરોપો જ ખોટા હતા, અથવા તો અદાલતોમાં યોગ્ય રીતે કેસ રજૂ થયો નહોતો, અથવા તો પૂરતા આધાર-પુરાવા જ નહોતા.

સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે પીએમએલએ જેવા કડક કાયદાઓમાં જામીન મળવા ખૂબ જ મુશ્કેલ હોય, તેમાં વર્ષે ૧૦ થી પણ ઓછા કેસોનો નિકાલ થતો હોય અને સેંકડો કેસો નોંધાતા હોય, ત્યારે વર્ષો સુધી જેલમાં રહીને ટ્રાયલનો સામનો કર્યા પછી જે લોકો નિર્દોષ ઠરે, તેને વર્ષો સુધી વિના કારણે જેલમાં રહેવું પડે, તો તેનું જવાબદાર કોણ ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કોંગ્રેસનો કિલ્લો સલામત... ભાજપનો મજબૂત ગઢ ધ્વસ્ત... બિગિનિંગ ઓફ ધ એન્ડ?

                                                                                                                                                                                                      

ગઈકાલે દેશની જુદા જુદા રાજ્યોની ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવ્યા, જેમાં બે બેઠક પર વિપક્ષના ઉમેદવારો જીત્યા અને ગુજરાતના માંજલપુરની બેઠક ભાજપે જાળવી રાખી. મધ્યપ્રદેશમાં બતિયાની ખાલી બેઠક પર થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી અને બેઠક જાળવી રાખી, પરંતુ સૌથી ચોંકાવનારૂ પરિણામ બિહારના બાંકીપુર વિધાનસભાની બેઠકનું હતું, જેમાં ભાજપના ઉમેદવારને પછાડીને જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે વિજય મેળવ્યો. આ પરિણામ ભાજપ માટે ઝટકા સમાન ગણાય, કારણ કે આ બેઠક હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને રાજીનામું આપતા ખાલી પડી હતી, અને ત્રણ દાયકાથી અહીંથી ભાજપનો વિજય થતો હતો, અને ભારતીય જનતા પક્ષનો અજેય ગઢ ગણાતો હતો. આ ગઢ પ્રશાંત કિશોરે ધ્વસ્ત કર્યો તેની પાછળ એનડીએ કેન્દ્ર અને રાજ્ય સરકારો સામે જનતાની નારાજગી અને અસંતોષ તથા ઝેન-ઝેડ (યુવાવર્ગ) માં જંતરમંતરના સીજેપીના આંદોલનને મળેલી સફળતા અને મોદી સરકારની વિફળતાઓ જવાબદાર હોવાનો નિચોડ કાઢવામાં આવી રહ્યો છે, અને બેઠકવાર થઈ રહેલા વિશ્લેષણોમાં ભાજપમાં પ્રવેશેલી ખટરાગ, વિપક્ષોની બદલેલી રણનીતિ અને યુવાવર્ગમાં આવેલી ચેતનાના સંયોજનની પણ ચર્ચા થઈ રહી છે.

આ પરિણામો આવ્યા પછી આસામના કોંગી નેતા ગૌરવ ગોગોઈએ આસામની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછાડવાનો રણટંકાર કરતા કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં આસામમાં એ.જે.પી., રાઈઝર પાર્ટી, સીપીઆઈ(એમ), સીપીઆઈ, સીપીઆઈ (એમએલ) ઓલ પાર્ટી હિબ લીડર્સ કોન્ફરન્સ સહિત આઠ રાજકીય પક્ષો એક મહાગઠબંધન રચીને આસામની ભાજપની સરકારને લોકતાંત્રિક ઢબે હટાવશે. આસામ ઉપરાંત વર્ષ ર૦ર૬ અને ર૦ર૭ ની આવી રહેલી તમામ ચૂંટણીઓમાં ભાજપને હરાવવા અને સત્તામાંથી હટાવવા કોંગ્રેસના નેતૃત્વમાં સ્થાનિક-પ્રાદેશિક સમીકરણને લક્ષ્યમાં લઈને જે મજબૂત ગઠબંધનો રચાશે, તે પહેલા રાજ્યો અને પછી કેન્દ્રમાંથી ભાજપ-એનડીએની સરકારોને હરાવા અને લોકતાંત્રિક ઢબે હટાવવાના નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે તો તમામ ચૂંટણીઓમાં ભાજપ સામે મોટો પડકાર ઊભો થઈ શકે તેમ છે.

મધ્યપ્રોદેશની દતિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યને એક કેસમાં ત્રણ વર્ષની સજા થતા કાનૂન મુજબ તેનું ધારાસભ્યપદ રદ્ થયું હતું. આ કારણે ખાલી પડેલી બેઠકપર ફરીથી જીતવું એ કોંગ્રેસ માટે પણ પડકાર હતો, પરંતુ કોંગ્રેસના પીઢ નેતા ઘનશ્યામસિંહે ભાજપના આસુતોષ તિવારીને નોંધપાત્ર લીડથી હરાવી દીધા અને કોંગ્રેસે પોતાનો કિલ્લો જાળવી રાખ્યો. વિશ્લેષકો આ વિજયને ભાજપની હાર વધુ માને છે, કારણ કે રાજ્ય અને કેન્દ્રમાં સત્તા હોવા છતાં કોંગ્રેસના સજા પામેલા પૂર્વ ધારાસભ્યની સામે બેન્કીંગ કૌભાંડના આક્ષેપો પૂરવાર થતા સજા થઈ હોવાનો મુદ્દો બૂમરેંગ પૂરો થયો હોય તેમ વિપરીત પરિણામ આવ્યું હતું. આ મુદ્દાને જ રાજકીય ષડયંત્ર ગણાવીને કોંગ્રેસ તરફ સહાનુભૂતિમાં પલટવામાં કોંગ્રેસને કદાચ સફળતા મળી હતી. આ ઉપરાંત ત્રીજા મજબૂત ઉમેદવાર આઝાદ અવાજ પાર્ટીના દામોદર યાદવે પણ માતબર મતો મેળવ્યા હતાં, તેથી ત્રિપાંખિયો જંગ કોંગ્રેસને ફળ્યો હતો.

ભાજપની આબરૂ ગુજરાતે જાળવી રાખી છે, અને માંજલપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવારો ૩૦ હજારથી વધુ મતે જીતી ગયા, પરંતુ સતીષભાઈ તેના પિતા ડો. યોગેશ પટેલની લોકપ્રિયતા અને લોકોમાં સહાનુભૂતિના મોજાના કારણે જીત્યા. એટલું જ નહીં, વિજય મળવા છતાં લીડ ઘણી જ ઓછી રહી, જેને વિશલેષકો દેશમાં ચાલી રહેલા અસંતોષ, નારાજગી અને દ્વિધાની સાથે પરિવર્તનની હવાનું કારણ ગણાવી રહ્યા છે. બીજી તરફ બાંદીપુર અને દતિયાની બેઠકો પર ભાજપને પછડાટ ખાવી પડી, તેને વિશ્લેષકો મોદી સરકાર તથા એનડીએ માટે ઝટકો ગણાવીને એવો સાવલ ઊઠાવી રહ્યા છે કે શું આ રાષ્ટ્રીયકક્ષાએ બદલાઈ રહેલી રાજનીતિનો પવન છે કે પછી અતિ આત્મવિશ્વાસનું પરિણામ છે? ક્યાંક વળતા પાણી તો થઈ રહ્યા નથી ને?

કેટલાક વિશ્લેષકો એવી દલીલ પણ કરે છે કે જો ભાજપ ખરેખર ઈવીએમ કે પ્રક્રિયામાં ખેલ પાડીને જ જીતતું જ હોય તો બાંકીપુર અને દતિયામાં હારે જ નહીં ને? આ તર્કમાં પણ વજુદ છે, પરંતુ રાજનીતિમાં જે દેખાતું હોય, તે ઘણી વખત હોતું નથી, જે હોય છે, તે ઘણી વખત દેખાતું હોતું નથી. કોને ખબર, બિહારની આંતરિક રાજનીતિ તથા ભાજપ-એનડીએના ઘટકપક્ષોના આંતરિક જુથવાદનો પરોક્ષ ફાયદો લઈને ચૂંટણીના રણનીતિકાર પી.કે. (પ્રશાંત કિશોર) એ ખેલી પાડી દીધો હોય!

ઝેન-ઝેડ એટલે કે યુવાવર્ગ હવે જાગૃત થઈ ગયો છે અને રાજનીતિની પરખ કરીને મગ અને ચોખાનું ગણિત તથા દૂધનું દૂધ અને પાણીનું પાણી તારવવાનું જ્ઞાન ધરાવે છે. સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીએ જો ઝારખંડમાં જેપીએસની અને જે એસએસસીની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિના મુદ્દે ચાલી રહેલા છાત્ર અને યુવા આંદોલનને સમર્થન જાહેર કર્યું હોય, તો એવું કહી શકાય કે હવે છાત્રો અને યુવાનો બિનરાજકીય તથા તટસ્થ આંદોલનો તરફ વળી રહ્યા છે અને કોઈપણ રાજકીય પક્ષોનો હાથો બનવા તૈયાર પણ નથી, અને એટલા ગાફેલ પણ નથી. હવે જ્યાં જ્યાં છાત્રો કે યુવા વર્ગને શિક્ષણક્ષેત્ર કે રોજગારીના ક્ષેત્રે અન્યાય થશે કે ગરબડ થશે, ત્યાં ત્યાં યુવાઓ સડકો પર .તરીને શાંત પણ મક્કમ અને સંગઠીત વિરોધ કરશે, ભલે પછી કોઈપણ પાર્ટીની સરકાર હોય!

રાજનીતિમાં જેવું દખાયું, તેનાથી તદ્ન વિરૂદ્ધ ગુપ્ત રણનીતિઓ ઘડાતી હોય છે. તેવા અભિપ્રાય સાથે કેટલાક વિશ્લેષકોનું એક જુથ બાંકીપુરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે ખાલી કરેલી બેઠક પર પ્રશાંત કિશોરના વિજયને ભાજપના ટોચના નેતૃત્વની ઊંડી ચાલ ગણાવી રહ્યા છે. આ એવું લોજિક છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી સમયે પ્રશાંત કિશોરે તમામ બેઠકો પર પોતાની અલગ પાર્ટીના ઉમેદવારો ઊભા કરીને વોટકટરનું કામ કર્યું, તેથી વિપક્ષોની સાથે સાથે નીતિશકુમારની પાર્ટી, જેડીયુના મતો પણ કપાયા, અને તેથી ભાજપને સૌથી વધુ બેઠકો મળી તે પછી નીતિશકુમારને હટાવીને ભાજપના મુખ્યમંત્રી બનાવાયા. હવે જેડીયુનું અસ્તિત્વ જ ખત્મ થઈ જાય, તે માટે પ્રશાંત કિશોરની સુરાજ પાર્ટી ભાજપની 'બી' ટીમ તરીકે ઉભરી આવ્યા પછી ભાજપ કોઈ નવો ખેલ નાંખશે, એ ઉપરાંત ભાજપના નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ 'કંટ્રોલ'માં રહેશે. આ તર્ક સામાન્ય રીતે ગળે ઉતરે તેવો નહીં હોવા છતાં 'પાર્ટી વિવિધ ડિફરન્સ'નું કાંઈ નક્કી નહીં, તે કાંઈપણ કરી શકે છે. કદાચ 'પીકે'ને આ ઈનામ પણ મળ્યું હોય!!

જે હોય તે ખરૂ, પ્રવર્તમાન ઘટનાક્રમો ઝેન-ઝેડ આંદોલનો તથા પેટાચૂંટણીના પરિણામો પછી સૌથી વધુ ચર્ચા એ થઈ રહી છે કે આ ક્યાંક બિઝિનિંગ ઓફ એન્ડ અથવા 'અંત'ની શરૂઆત તો નથી ને?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વિવિધ ક્ષેત્રે પાઠવાયેલા પરિપત્રોનો પ્રચંડ વિરોધ... હવે વકીલ મંડળો નારાજ!

                                                                                                                                                                                                      

વહીવટી તંત્રમાં તાબા હેઠળની કચેરીઓ કે કર્મચારીઓને સામૂહિક રીતે એક સમાન સૂચનાઓ આપવાની હોય, ત્યારે પરિપત્રો પાઠવવામાં આવતા હોય છે. આ પદ્ધતિ માત્ર સરકારી, અર્ધસરકારી, બોર્ડ-નિગમો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સરકારી બંધારણીય સંસ્થાઓમાં જ નહીં, પરંતુ ન્યાયતંત્ર, સુરક્ષાદળો તથા કેટલીક ખાનગી અને સહકારી સંસ્થાઓ-કંપનીઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે, જે વહીવટી સરળતા તથા ઝડપી અમલીકરણના ઉદ્દેશ્યોથી અપાતી હોય છે.

આ પ્રકારની સામૂહિક સૂચનાઓ જ્યારે સામાન્ય જનતાને અસરકર્તા હોય કે કોઈ મોટા જનસમૂહ કે ચોક્કસ વર્ગ-સમાજ-વિસ્તારને સ્પર્શતી હોય, ત્યારે તેનો જનવિરોધ પણ થતો હોય છે, અને હાલના સોશિયલ મીડિયાના જમાનામાં તેની ત્વરીત અસરો પણ પડતી હોય છે.

હાલમાં આ પ્રકારના કેટલાક પરિપત્રો-આદેશોના જનવિરોધનો સીલસીલો ચાલી રહ્યો છે. તાજેતરમાં ચોથી જૂને રાજ્ય સરકારે કરેલા એક પરિપત્રનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા એક ઠરાવ પસાર કરાયો, જેના અનુસંધાને ઈલેક્ટ્રીસિટી એક્ટ-ર૦૦૩ તથા ટેલિગ્રાફ એક્ટ-૧૮૮પ હેઠળ જાહેર કરાયેલા પરિપત્રમાં ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતા હાઈ-ટેન્શન વીજલાઈનો તથા ઊભા કરાતા ટાવર્સના વળતર અંગે તાબાની કચેરીઓ તથા અધિકારીઓને તથા સંબંધિત સરકારી વિભાગોને મોકલવામાં આવી હતી, અને તમામ સંબંધિત જિલ્લા તંત્રોને અમલીકરણ માટે મોકલાઈ હતી. એટલું જ નહીં, સંબંધિત વિભાગોના મંત્રીઓ, સચિવો તથા મુખ્યમંત્રીને પણ મોકલાઈ જ હશે.

આ પરિપત્ર ખેડૂતોને વધુ અને વાજબી જમીન વળતર મળે, તે માટે કરાયેલા સરકારનો છેદ ઊડાડીને ખેડૂતો રાજસ્થાન મોડેલ મુજબનું વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો આ પરિપત્રનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે, અને આ આંદોલન બિનરાજકીય ઢબે લડત સમિતિની રચના કરીને આંદોલન ચલાવાઈ રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આમ આ મુદ્દે સરકાર કોઈ રસ્તો કાઢે, ત્યાં સુધી સસ્પેન્સ પણ સર્જાયું છે, જેની અસરો કદાચ શાસક પક્ષ સાથે સંકળાયેલા ખેડૂત અગ્રણીઓ સુધી પણ પહોંચી છે.

બીજી તરફ આંગણવાડી વર્કર્સનું પણ રાજ્યવ્યાપી આંદોલન નવમી ઓગસ્ટથી શરૂ થનાર છે. શિક્ષણ વિભાગમાં એનપીએસ એટલે કે નવી પેન્શન સ્કીમના પરિપત્ર સામે પણ શિક્ષકો, પંચાયત આરોગ્ય કર્મચારીઓ, મહેસુલ કર્મચારીઓ પણ વર્ષ ર૦૦પ પછી ભરતી થયેલા તમામ કાયમી કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગણી સાથે કરેલા આંદોલનો રાજ્ય સરકાર માટે ઊંઘ ઊડાડનારા પૂરવાર થઈ રહ્યા છે.

એવું નથી કે રાજ્ય-કેન્દ્ર સરકારના તંત્રો કે તેને સંલગ્ન સંસ્થાઓ, બોર્ડઅનિગમો કે વીજકંપનીઓ દ્વારા પરિપત્રો સામે જ વિરોધ થતો હોય, પરંતુ કેટલીક બંધારણીય સંસ્થાઓ દ્વારા પણ તેની સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ કે કાઉન્સિલો એસોસિએશનોને પરિપત્રિત કરે, ત્યારે તેની સામે પણ સામૂહિક વિરોધ ઊઠતો હોય છે.

ગુજરાત હાઈકોર્ટે ગત્ ૧પ મી એપ્રિલે અદાલતી કાર્યવાહી માટે એ-ફોર સાઈઝના કાગળ વપારવા તથા ચોક્કસ ફોર્મેટ લાગુ કરીને વહીવટી પ્રક્રિયામાં ઈ-કોર્ટ પદ્ધતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દશ્યથી  એક આદેશ ફરીથી જાહેર કર્યો હતો, અને આ સિસ્ટમથી ડિજિટલ રેકોર્ડ સારી રીતે સચવાય, તથા વકીલો, પક્ષકારો તથા સંબંધિત તંત્રોને ચાલતા વિવિધ કેસોની માહિતી પારદર્શક રીતે મળી રહે તેવા ઉદ્દેશ્યો ચર્ચાયા હતાં. આ પરિપત્ર પહેલી ઓગસ્ટ ર૦ર૬ થી અમલી થઈ ગયો છે.

આ આદેશ પછી રાજ્યની તમામ જિલ્લા અદાલતો-કોર્ટોમાં તમામ પ્રકારની અરજીઓ, અપીલ, એફિડેવિટ, એપ્લિકેશન્સ, ઓર્ડર્સ, જજમેન્ટ્સ વગેરે માટે એ-૪ સાઈઝના કાગળ જ વાપરવા તથા ગુજરાતી-અંગ્રેજી ભાષાના ચોક્કસ પ્રકારના ફોન્ટ્સ જ વાપરવાનું ફરજિયાત કરી દેવાયું હોવાના અહેવાલો પછી તેના કાનૂની ક્ષેત્રની સંસ્થાઓમાં તીવ્ર પડઘા પડ્યા છે.

પ્રેસ-મીડિયા અહેવાલો મુજબ ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોના વકીલમંડળો (બાર એસોસિએશનો) તથા નાના-મધ્યમ વર્ગના વકીલો આ પ્રકારના પરિપત્રોનો પ્રબળ વિરોધ કરી રહ્યા છે.

વકીલ મંડળોમાં થતી ચર્ચા મુજબ ન્યાયિક પ્રક્રિયામાં લીગલ પેપરના બદલે એ-ફોર (છ૪) સાઈઝનો કાગળ તથા યુનિકોડ સેન્ટનો અમલ એકી સાથે સમગ્ર રાજ્યમાં કરવો યોગ્ય પણ નથી. અને વ્યવહારૂ પણ નથી, જો કે કેટલાક દસ્તાવેજો અને કાગળો માટે આ નિયમોમાંથી છૂટછાટ અપાઈ છે, તેમ છતાં આ પરિપત્રમાં બનાવેલી નવી સિસ્ટમ સામે રાજ્યવ્યાપી વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. વકીલ મંડળો આ નવા નિયમોના અમલીકરણમાં કઈ-કઈ મુશ્કેલીઓ પડી રહી છે, તેના ઉલ્લેખ સાથે જિલ્લે-જિલ્લેથી આવેદનપત્રો પણ પાઠવી રહ્યા છે.

આ પહેલા પણ આ મુદ્દે વકીલ સંગઠનોના પ્રબળ વિરોધ પછી ગુજરાત હાઈકોર્ટે અમલીકરણની તારીખો પણ લંબાવી હતી અને પુનઃ પરિપત્ર પણ કર્યો હતો. હવે આ સૂચનાઓ લાગુ જ કરી દેવામાં આવી છે, ત્યારે હવે દરેક જિલ્લામાંથી વકીલમંડળો-સંસ્થાઓના વિરોધને ગુજરાત હાઈકોર્ટની હાયેસ્ટ અથોરિટી સુધી પહોચાડવાની તજવીજ ચાલી રહી હોવાના સંકેતો પણ જોવા મળે છે.

આમ, અત્યારે શિક્ષકો, આંગણવાડી વર્કર્સ, ખેડૂતો પછી હવે વકીલો પણ વિવિધ મુદ્દે થયેલા પરિપત્રોનો વિરોધ કરી રહ્યા છે, અને સરકારી તથા ન્યાયતંત્રને સંબંધિત આ મુદ્દાઓને લઈને સામાન્ય જનતામાં પણ પડઘા પડી રહ્યા છે, ત્યારે સંબંધિત તંત્રોએ આ મુદ્દાઓને અવગણવા જેવા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કુદરત કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ... પર, સરકાર કે ઘર?

                                                                                                                                                                                                      

ગઈકાલે રાત્રિથી ધીમી ધારે જામનગરમાં વરસાદ શરૂ થયો, પરંતુ જગતનો તાત સરકારની નીતિ-રીતિઓના કારણે પરેશાન છે. ગઈકાલે જામનગરમાં ખેડૂતોની વિશાળ રેલી વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ અને રાજ્ય સરકારના તાજેતરના પરિપત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો તથા સરકારને ઉદ્દેશીન લખેલું આવેદનપત્ર કલેક્ટર કચેરીને સુપ્રત કર્યું. આ આંદોલન સંપૂર્ણપણે બિનરાજકીય હોવાની સાથે સાથે જગતના તાતની કકડતી આંતરડીનો અવાજ છે, તે પ્રકારની લાગણી પણ પ્રવર્તતી જોવા મળી હતી. ખાસ કરીને મહિલા કિસાનોની સામેલગીરીથી આ વિરોધની ગંભીરતા વધી ગઈ હતી. જે રીતે શાંતિપૂર્વક રેલી કાઢીને રામધૂનની ગૂંજ સાથે આવેદનપત્ર સરકારને પાઠવાયું, તે જોતા કિસાનોની ગાંધીચિંધ્યા રાહે પ્રબળ, પરંતુ શાંતિપૂર્ણ અવાજ ઉઠાવવાની મક્મતા પણ જણાઈ હતી.

આ આંદોલનમાં ખેડૂતોની સંગઠનાત્મક એક્તા માટે જેમણે જહેમત ઊઠાવી હતી તેવા સ્થાનિકથી માંડીને સ્ટેટ લેવલ સુધીના બિરાજકીય અગ્રણીઓએ જામનગર જિલ્લા કિસાન સમિતિના બેનર હેઠળ આ રેલી કાઢી હતી, જો કે કિસાન કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા પણ જામનગર જિલ્લામાં વીજળી-પાણી વગેરે સમસ્યાઓ માટે પણ અલગ-અલગ કિસાન આક્રોશ રેલીઓ કાઢી હતી, જેના કારણે હાલારના ખેડૂતોમાં પહેલેથી જ જાગૃતિ અને એકજુથતા રચાઈ હતી, અને હવે આ આંદોલન શરૂ થતા રાજ્ય સરકાર સામે એક નવો પડકાર ઊભો થયો છે. જો સીજેપી (કોકરોચ જનતા પાર્ટી) ની જેમ કેજેપી (કિસાન જનતા પાર્ટી) જેવું કોઈ ઓનલાનઈ આંદોલન શરૂ થાય, તો આ આંદોલનને વધુ વેગ મળે તેમ હોવાથી શાસકો-પ્રશાસકો પણ કદાચ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરી રહ્યા હશે.

આ આંદોલનને રાજ્ય સરકારના એક મંત્રીના ભાએ પણ ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોય, અને ભાજપના કેટલાક જિલ્લા-રાજ્ય કક્ષાના હોદ્દેદારોની નજીકના લોકો પણ આ આંદોલન પ્રત્યે ઝુકાવ રાખતા હોય કે સોફ્ટ કોર્નર રાખતા હોય તો ભાજપ માટે પણ આ એક નવો પડકાર જ ગણાય. આ કારણે સરકાર અને સંગઠનમાં પણ ટોપ-ટુ-બોટમ આમુદ્દે કોઈ ઉકેલ ઝડપથી કાઢવાનું દબાણ વધ્યું હય તેમ જણાય છે, કારણે આ રેલી તથા આવેદનપત્ર અપાયા પછી શાસન-પ્રશાસનમાં હડિયાપટ્ટી વધી ગઈ હોય તેમ જણાય છે અને આ મુદ્દે છેક રાજયની રાજધાની સુધી મોબાઈલ સેલફોનની ઘંટડીઓ રણકી ઊઠી હોવાની ચર્ચા થઈ રહી છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે.

ખેતરોની વચ્ચેથી હાઈ ટેન્શન વિદ્યુત લાઈનો નીકળતી હોય અને તેના હેવી ટાવર્સ ઊભા કરતા હોય, ત્યારે ખેડૂતો તે જમીન પર કોઈ પાકા બાંધકામો કરી શકતા નથી કે મોટા વૃક્ષો ઉગાડી શકતા નથી, તેથી ખેડૂતોની આવક પર પ્રહાર થાય છે, અને સીધુ આર્થિક નુક્સાન થાય છે. આ જમીનની રી-સેલ વેલ્યુ પણ ઘટી જાય છે, અને સરકાર પૂરતુ વળતર પણ આપતી ન હોય ત્યારે ખેડૂતોને આ પ્રકારના આંદોલનો કરવા પડતા હોય છે. ખેડૂતો ગુજરાત સરકાર સમક્ષ રાજસ્થાન મોડલ મુજબ વળતર તથા અન્ય સંરક્ષણ આપવાની માંગણી કરી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે્ર રાજસ્થાનમાં વીજ ટાવર્સ અને વીજલાઈનો જેની જમીનમાંથી પસાર થતી હોય તેને પારદર્શી અને ઘણું જ વધારે વળતર અપાય છે.

બીજી તરફ સરકારી પક્ષનો દાવો છે કે પહેલા બે-ત્રણ ટૂકડે મળતી હતી, તે વળતરની રકમ એક સાથે આપવા અને જંત્રીના સ્થાને માર્કેટ મૂલ્યથી ડબલ વળતર આપવાનો સરકારે લીધેલો નિર્ણય ખેડૂતોના હિતમાં છે અને મહત્તમ ખેડૂત વર્ગોની લાગણી અને માંગણીનો તેમાં પદઘો પડે છે.

આ તરફ આ આંદોલનની જરૂર એટલે પડી કે સરકાર ઉપરાંત ખાનગી કંપનીઓ પણ આ મુદ્દા સાથે સંકળાયેલી છે. ખાનગી કંપનીઓના દબાણ હેઠળ સરકાર ખેડૂતોના હિતોની અવગણના કરી રહી હોવાના આક્ષેપો સાથે વિપક્ષો પણ સરકારને ઘેરી રહ્યા છે, અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ખેડૂતોને સમર્થન આપવા તૈયાર છે.

રાજ્ય સરકારે જિલ્લે જિલ્લે એક માર્કેટ રેન્ટ (બજાર મૂલ્ય) નિધારણ કમિટી બનાવીને ખેડૂતોને મહત્તમ વળતર આપી શકાય, તેવી વ્યવસ્થા કરી હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે, અને વિપક્ષના નેતાઓ ભ્રમ ઊભો કરીને રાજકીય રોટલી શેકવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો વિપક્ષના નેતાઓ કહે છે કે તમે (ભાજપ) પણ ક્યાં દૂધે ધોયેલા છો? તમે પણ રાજકીય સરવાળા-બાદબાકી કરીને જ નિર્ણયો લ્યો છો ને? વગેરે...

જામનગરમાં આ રેલી નીકળી, તેમાં આજુબાજુના ઘણાં સરપંચો તથા સભ્યો સામેલ થયા, અને ગામેગામથી સ્થાનિક અગ્રણીઓ જોડાયા, તેના કારણે હવે ખેડૂતોનું આ આંદોલન નિર્ણાયક દિશામાં આગળ વધી રહ્યું હોવાથી આજે કે કાલે આ તમામ પ્રશ્નોના સંદર્ભે રાજ્ય સરકાર કોઈને કોઈ નિષ્કર્ષ પર જરૂર પહોંચશે, તેવી આશા રખાઈ રહી છે.

બીજી તરફ આ વખતે વરસાદ લંબાતા પણ ખેડૂતો પરેશાન છે, અને સામાન્ય જનતા પણ વરસાદમાં વિલંબ થતા વિમાસણમાં મૂકાઈ છે. જો કે, ગઈ રાતથી જામનગર સહિત ઘણાં સ્થળોમાં હાલારમાં વરસાદ ધીમી ધારે શરૂ થતા ઠંડક સાથે થોડી રાહત પ્રસરી છે. ખેડૂતો જ નહીં, સામાન્ય જનતામાં પણ એવી ચર્ચા છે કે કુદરત રૂઠે તો પણ મોડે મોડે મહેરબાની કરે છે, અને તેથી જ રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘમહેર થઈ છે. કેટલાક સ્થળે તો મેઘતાંડવ પણ થયું છે, પરંતુ અલનીનોના કારણે વરસાદ ઘણો જ ઓછો થશે અને દુષ્કાળના ડાકલા વાગશે, તેવી ભીતિ દૂર થઈ છે. તેથી એવું કહી શકાય કે કુદરત કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ, પર સરકાર કે ઘર તો અંધેર હી અંધેર હૈ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એક સમયના સમૃદ્ધ સૌરાષ્ટ્ર સ્ટેટને શ્રેણીબદ્ધ અન્યાયથી વધ્યો અજંપો... રાજકોટમાં હાઈકોર્ટની પુનઃ સ્થાપના વેગ પકડતી માંગણી...

                                                                                                                                                                                                      

બૃહદ મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત છુટું પડયું અને ભાષા આધારિત રચાયેલા ગુજરાતમાં એક સમયનું સૌરાષ્ટ્ર સ્ટેટ વિલિન થઈ ગયું, જેના કારણે તે પછીથી સૌરાષ્ટ્રને સતત અન્યાય થતો રહ્યો હોવાની ફરિયાદ ઉઠતી રહી છે, અને તેમાંની એક મહત્ત્વપૂર્ણ ફરિયાદ હાઈકોર્ટને સંબંધિત છે., અને રાજકોટમાં હાઈકોર્ટની બેંચ અથવા શાખા શરૂ કરવાની માંગણી સતત થતી રહી છે. આ માંગણીને લઈને ૨૯મી જુલાઈ ૨૦૨૬ના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ મુખ્ય જિલ્લાઓમાં વકીલો અદાલતી કામકાજથી અળગા રહ્યા અને બહિષ્કાર વ્યક્ત કર્યો.

એ સાથે જ ૮૦ તાલુકાઓના ૬૦થી વધુ બાર એસોસિએશનોએ આ માંગણીઓ સાથે જિલ્લા કલેકટરોના માધ્યમથી સરકારને આવેદનપત્રો પાઠવ્યા. આ ચળવળમાં રાજકોટ, કચ્છ, જામનગર, મોરબી, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, વગેરે જિલ્લાઓ જોડાયા હતા.

વકીલ મંડળોએ પોતપોતાના જિલ્લાને પડતી અલગ-અલગ સમસ્યાઓ પણ આ આવેદનપત્રમાં આવરી લીધા હતા અને સમાન પ્રકારની સમસ્યાઓની સાથે સૌરાષ્ટ્ર સ્ટેટના સમયગાળાની ન્યાયક્ષેત્ર તથા કાનૂની ક્ષેત્રની સુવિધાઓ અને વિલય થયા પછીની સ્થિતિ વર્ણવીને સૌરાષ્ટ્ર સ્ટેટને બૃહદ મુંબઈમાં અને પછી ગુજરાતમાં વિલિન કરવાના તત્કાલિન ખોટા અને અયોગ્ય નિર્ણયને સુધારવાની જરૂર પણ ભારપૂર્વક આ ચળવળના માધ્યમથી જણાવાઈ રહી છે.

તાજેતરમાં જીએસટીની એક બ્રાન્ચ રાજકોટમાં શરૂ થયા પછી એક તરફ તો તે નિર્ણયને આવકાર અપાઈ રહ્યો છે, તો બીજી તરફ રાજકોટમાં હાઈકોર્ટ અથવા તેની તેની બેન્ચ (બ્રાન્ચ) શરૂ કરવાની માંગણી પણ બળવત્તર બનવા લાગી છે. અત્યારે દેશના છેક છેવાડાના જિલ્લાઓના લોકોને ઉચ્ચ ન્યાય મેળવવા માટે સેંકડો કિલોમીટર દૂરથી અમદાવાદ જવું પડતું હોય, તો તે મુશ્કેલીના નિવારણ માટે રાજકોટને અલાયદી હાઈકોર્ટ અથવા અમદાવાદ હાઈકોર્ટની બ્રાન્ચ કાયમી ધોરણે આપવાની માંગણી હવે તિવ્ર બની રહી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ ઘણાં દૂર હોવાથી અમદાવાદની હાઈકોર્ટ સુધી આવવા-જવાના ખર્ચા તથા સમયનો બગાડ વધુ થાય છે, તે ઉપરાંત ન્યાય મળવામાં વિલંબ થવાનું એક વધુ કારણ પણ ઉમેરાય છે. અસીલો-વકીલો-સાક્ષીઓની નિયમિતતા તથા સાતત્યતા પર માઠી અસર પહોંચે છે અને ઘણાં લોકોની આટલી પહોંચ નહીં હોવાથી ન્યાયથી તેઓ વંચિત પણ રહી જાય છે. તેથી ગુજરાત હાઈકોર્ટની એક બ્રાન્ચ કાયમી ધોરણે રાજકોટમાં શરૂ થાય કે અન્ય કેટલાક રાજ્યોની જેમ ગુજરાતમાં એકથી વધુ હાઈકોર્ટની સાંપ્રત સમયની તાકીદની જરૂર લક્ષ્યમાં લઈને રાજકોટને અલાયદી હાઈકોર્ટ આપીને તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના અમદાવાદથી ઘણાં દૂર હોય તેવા જિલ્લાઓને આવરી લેવાની માંગણી વાજબી છે. વિદ્યાર્થીઓ, યુવાઓ, ખેડૂતો, શિક્ષકો પછી હવે વકીલો તથા કાનૂની-ન્યાયક્ષેત્રના લોકો પણ નારાજ થશે તો તેનું રાજકીય નુકસાન પણ થઈ શકે છે, જે સંભાવના ખત્મ કરવા એક પ્રો-પબ્લિક પોલિટિકલ ડિસિશન લેવાનું કદમ શાણપણભર્યું અને દૂરંદેશી વાળુ યોગ્ય પગલું ગણાશે, તે હકીકત છે.

સૌરાષ્ટ્ર સ્વતંત્ર સ્ટેટ હતું ત્યારે વર્ષ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી અલાયદી "સૌરાષ્ટ્ર હાઈકોર્ટ" હતી, અને તેનું મુખ્ય મથક રાજકોટ જ હતું. આઝાદી મળ્યા પછી સૌરાષ્ટ્ર સ્ટેટનું પૂનર્ગઠન થયું આ હાઈકોર્ટ હેઠળ તે સમયના તમામ પાંચ જિલ્લાઓને આવરી લેવાયા હતા, જેમાં રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. તે પછી રાજ્ય જિલ્લાઓના વિભાજનો થતા રહ્યા અને નવા જિલ્લાઓ રચાતા રહ્યા, બીજી તરફ વસ્તી વધારા તથા કામ-ધંધા-રોજગાર માટે અન્ય રાજ્યોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં આવીને ગુજરાતમાં હંગામી વસવાટ કરતા લોકોની જનસંખ્યા પણ વધતી રહી છે, તેના કારણે જ અદાલતોમાં કેસોની સંખ્યા વધતી રહી છે અને અપીલોની સંખ્યા પણ વધી છે, જેથી રાજકોટમાં સૌરાષ્ટ્રની હાઈકોર્ટ સ્થપાય તો તે જનહિતમાં પણ છે અને સાર્વજનિક ન્યાયના હિત માટે પણ મહત્ત્વપૂર્ણ સોપાન પણ ગણાશે.

આઝાદી પછી ભાષા આધારિત રાજ્યોની રચના માટે આંદોલનોનો સીલસીલો આવ્યો હતો, અને વર્ષ ૧૯૫૩માં તેલુગુ ભાષીઓના આંદોલન પછી મદ્રાસ પ્રેસિડેન્સીથી આંધ્રપ્રદેશ અલગ રાજ્ય બન્યું, તે પછી દેશમાં ભાષાના આધારે ૧૪ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશો રચાયા. તે પછી પણ અલગ રાજ્યોની માંગણી ઉઠતી રહી છે. વર્ષ ૧૯૬૦માં બૃહદ મુંબઈનું વિભાજન થતાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો રચાયા, તો ભૂતકાળનું સૌરાષ્ટ્ર સ્ટેટને બૃહદ મુંબઈમાં સમાવી લેવાયું હતું, તે પણ ગુજરાતમાં આવી ગયું, વર્ષ ૧૯૬૩માં નાગાલેન્ડમાંથી આસામ અલગ થયું, ૧૯૭૨માં મેઘાલય, મણિપુર, ત્રિપુરા જેવા રાજ્યો રચાયા,  કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પૂર્ણ કક્ષાના રાજ્યો બન્યા. તે પછી અરૂણાચલપ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો, તે પછી ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા વગેરે કેટલાક રાજ્યો રચાયા, પરંતુ સૌરાષ્ટ્રને રાજ્યનો દરજ્જો ક્યારેય અપાયો નહીં, અને આ દાયાકાઓ જુની માંગણી સત્તાપરિવર્તનો પછી બદલાયેલા શાસકપક્ષો અને પલટાયેલા પોલિટિકલ સિનેરિયો પછી પણ સંતોષાઈ નથી, સૌરાષ્ટ્રવાસીઓની કમનસીબી તથા સૌરાષ્ટ્રની નેતાગીરીની ઈન્ટરપાર્ટી નબળાઈ જ છે, તેમ કહેવું અસ્થાને નથી.

સૌરાષ્ટ્ર રાજય હતું ત્યારે તેનું બજેટ સરપ્લસ રહેતું હતું, તેવું કહેવાય છે, અને સૌરાષ્ટ્રના ગુજરાતમાં વિલીનીકરણ પછી વિકાસના ફળો ઉત્તર-દક્ષિણ ગુજરાત તરફ વધુ પહોંચ્યા અને સૌરાષ્ટ્રને અન્યાય થયો. એક સમયે સતત દુષ્કાળ પડતા હોવાથી સૌરાષ્ટ્રને જ્યારે અધિક હૂંફ અને આર્થિક સહયોગની જરૂર હતી ત્યારે પણ અવગણના કરાઈ હોવાની નારાજગી હંમેશાં સૌરાષ્ટ્રમાં રહી છે. જો કે, સરદાર સરોવર યોજના, સૌની યોજના તથા તળાવો-ચેકડેમોની શ્રૃંખલા વધ્યા પછી સૌરાષ્ટ્રની જળ સમસ્યા હળવી થઈ, પરંતુ સૌરાષ્ટ્ર સ્ટેટ હતું, તે સમયે રાજકોટમાં જે રાજ્યકક્ષાની સુવિધાઓ હતી, તે ઝુંટવાઈ ગઈ અને હાઈકોર્ટ તેમાંની એક મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે.

હવે વકીલોને માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ માતબર સંસ્થાઓ, સમાજો તથા વિશેષ હસ્તીઓનું પણ સમર્થન મળવા લાગશે, અને અંદરખાને ભાજપમાં આંતરિક રીતે પણ રાજકોટમાં અલાયદી હાઈકોર્ટ સ્થાપવાની માંગણી વધી રહી છે, ત્યારે સરકારે આ મુદ્દે તત્કાળ નિર્ણય લેવો જોઈએ, કારણ કે પછી ઘણું મોડું થઈ જશે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેન્દ્રના રિપોર્ટમાં જ શિક્ષણક્ષેત્રે ગુજરાત પાછળ ધકેલાયું ! જવાબદાર કોણ ?

                                                                                                                                                                                                      

આપણે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવીએ છીએ અને ગુરૂજનોનું પૂજન કરીએ છીએ. ધર્મગુરૂઓના આશીર્વાદ મેળવીએ છીએ, અને શિક્ષકો, અધ્યાપકો, પ્રાધ્યાપકો વગેરે શિક્ષણ અને તાલીમ આપતા ગુરૂજનોનું પણ સન્માન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.. સંસ્કારોનું સિંચન કરતા અને ધાર્મિક-આધ્યાત્મિક પથદર્શન કરતા સંતો, મહંતો ગુરૂવર્યોને આજે ગુરૂદક્ષિણા આપવાનો પણ અવસર હોય છે, જેથી તેઓએ આપેલા જ્ઞાન, માર્ગદર્શન અને સંસ્કારોને અપનાવીને અને આપણું જીવન સત્માર્ગે વાળીને ધન્ય બનવાનો સંકલ્પ લેવો જોઈએ.

આજે શિક્ષણનો વિષય જ વિવાદનો વંટોળીયે ચડયો  છે. અને ઝેન-ઝેડના આંદોલન તથા સીજેપીએ બીજેપીની સરકારને તેમની માંગણીઓ સ્વીકારવા અને શિક્ષણમંત્રીનું  રાજીનામું આપવા મજબૂર કર્યા પછી હજુ પણ સડકથી સંસદ સુધી ચાલી રહેલું ધમાસાણ દુર્ભાગ્યપૂર્ણ છે. શિક્ષણ જેવો પવિત્ર વિષય વિવાદનો નહીં, પણ સંવાદનો છે, તે સમજવું પડશે.

શિક્ષણની વર્તમાન સિસ્ટમ, પરીક્ષાની સિસ્ટમ અને ગુરૂ-શિષ્યો-પ્રોફેસરો તેમજ વાલીઓની સુરક્ષા તથા તેઓના હક્કો-અધિકારોના સંરક્ષણની સિસ્ટમ સહિત આખું શિક્ષણક્ષેત્ર સુધારવાની જરૂર છે, અને તે માટે આત્મમંથન પણ કરવું પડે તેમ છે. આ વિષયને રાજનીતિથી હટાવીને સૌએ સાથે મળીને ધરમૂળથી ફેરફારો કરવા પડશે અને તે માટે વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરતા સર્વેક્ષણો, અભ્યાસો તથા સમયાંતરે આવતા તેના રિપોર્ટને ધ્યાને લઈને ગંભીરતાથી એકશન લેવા પડશે.

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયનો તાજો પીજીઆઈ-ડી એટલે કે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેકસ-ડિસ્ટ્રીક્ટસ જોઈએ તો તેમાં આપણાં ગુજરાત રાજ્યનું 'પરફોર્મન્સ' ચિંતાજનક છે.

કેન્દ્ર સરકારના જ શિક્ષણમંત્રી વિભાગે જાહેર કરેલા દેશના ૭૮૪ જિલ્લાઓના એ ઈન્ડેક્સમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાછળ રહી ગયું છે. રાજ્યો તો ઠીક, કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોથી પણ ગુજરાત પાછળ ધકેલાઈ ગયું છે, અને તેના માટે આપણા રાજ્યની શિક્ષણ નીતિ, ખાનગી શિક્ષણને ઉત્તેજન, સરકાર શિક્ષણનું નિકંદન અને તેમાં ઈન્ટર પોલિટિકલ મિલિભગત જવાબદાર છે. તેવા આક્ષેપોમાં દમ છે.

આ ઈન્ડેકસમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે જુદા જુદા માપદંડો સાથે કુલ ૬૦૦ માર્કસનું દેશવ્યાપી આંકડાકીય મુલ્યાંકન ૭૮૪ જિલ્લાઓમાં હાથ ધર્યું હતું અને તેનો રિપોર્ટ ગુજરાત માટે ક્ષોભજનક છે.

આ આંકડાકીય મૂલ્યાંકનોમાં ૭૦ ટકાથી વધુ માર્કસ મળે, તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશને 'ઉત્કર્ષ'ની કેટેગરી મળે, તેમાં તો ઠીક, ગુજરાત તો 'ઉત્તમ'ની કેટેગરી પણ મેળવી શકયું નથી. રિપોર્ટ મુજબ ઉચ્ચત્તમ સ્કોર મેળવીને શ્રેષ્ઠ કેટેગરીમાં આવેલા ૧૧૬ જિલ્લાઓમાં ગુજરાત ક્યાંય દેખાતું જ નથી !

ગુજરાતના ૨૮ જિલ્લા આ આંકડાકીય મૂલ્યાંકનમાં ૫૧ થી ૬૦ ટકાની "પ્રયેષ્ટા-૧"ની કેટેગરીમાં રહ્યા છે, જ્યારે પાંચ જિલ્લા હજુ પણ "પ્રયેષ્ટા-૨"ની કેટેગરીમાંથી ઉપર આવ્યા નથી. જે આપણા ગરવા ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રની વરવી વાસ્તવિકતા વર્ણવે છે. આ રિપોર્ટ આજે પ્રેસ-મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

દેશમાં શિક્ષણક્ષેત્રની સ્ટડી કરીને મૂલ્યાંકન માટે કેન્દ્ર સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા "યુડીએસઈ પ્લસ", "પરખ", અને "પ્રબંધ" પોર્ટલના ડેટાને આધાર બનાવીને તૈયાર કરાયેલા આ આંકડાકીય સ્ટડી રિપોર્ટમાં ૬ કેટેગરી રખાઈ હતી., અને ૧૧ ડોમેનના ૭૦ નિર્દેશકો પર તમામ જિલ્લાઓનું તુલનાત્મક પૃૃથ્થકરણ કરાયુ હતું. જેમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર હોવાના થતા રહેતા દાવાઓની હવા નીકળી ગઈ છે અને પોલ ખુલી ગઈ છે.

આ આંકડાકીય ઈન્ડેકસમાં કેરળ અને પંજાબ જેવા રાજ્યો ઉપરાંત ચંદીગઢ અને દિલ્હી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો (દિલ્હી તથ કેન્દ્રશાસિત એવું રાજ્ય છે, જયાં રાજ્ય સરકારની સત્તાઓ સીમિત છે, પરંતુ શિક્ષણનો વિષય રાજ્ય સરકાર હસ્તક છે.) પણ શૈક્ષણિક પરિણામો તથા ડિજિટલ સુવિધાઓમાં ગુજરાત કરતા આગળ છે.

ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓને ટોચનો ગ્રેડ મળ્યો નથી., અને તેમાંથી ૨૮ જિલ્લાઓ ૬૦૦ માર્કસમાંથી ૩૦૧ થી ૩૬૦ ગુણ મેળવીને "પ્રયેષ્ટા-૧" યાદીમાં છે, જ્યારે જામનગર સહિત પાંચ જિલ્લાઓ તો "પ્રયેષ્ટા-૨" ની શરમજનક સ્થિતિમાં મુકાયા છે. અહેવાલો મુજબ જામનગર, કચ્છ, છોટા ઉદેપુર, દાહોદ વગેરે જિલ્લાઓ ૬૦૦માંથી ૨૪૧ થી ૩૦૦ ગુણ મેળવીને "પ્રયેષ્ટા-૨" ગ્રેડમાં ધકેલાઈ ગયા છે, જે ચિંતાનો વિષય ગણાય. આ કેટેગરીમાં ગુજરાતનો કોસ્ટલ બેલ્ટ (દરિયાઈ પટ્ટી)નો ઘણો હિસ્સો છે, જેથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વધુ ફોકસ કરવાની જરૂર જણાય છે. ગયા વર્ષે નવસારી જિલ્લાને અગ્રીમ હરોળમાં સ્થાન મળ્યું હતું અને ૬૦૦માંથી ૩૪૫ માર્કસ મેળવીને ટોચનું સ્થાન મળ્યું હતું, તેના માર્કસ વધવા જોઈએ, તેના બદલે ઘટીને ૩૩૯ ગુણ મળ્યા હોય અને મહિસાગર જિલ્લાને ૩૩૪ માર્કસ મળ્યા હોય, તો તે પણ મંથનનો વિષય છે, અને ખાસ કરીને રાજ્યની શિક્ષણનીતિ તથા એજ્યુકેશન સિસ્ટમના શ્રેષ્ઠ મોડલની ડંફાસો હાંકતા રહેતા રાજનેતાઓ સામે કેન્દ્રના જ શિક્ષણ વિભાગે બતાવેલું વાસ્તવિકતાનું દર્પણ છે.

કેન્દ્ર સરકારે આ રિપોર્ટ ૭મી જુલાઈ-૨૦૨૬ના દિવસે જાહેર કર્યો છે, જેને વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશના જિલ્લાઓનું એજ્યુકેશન ગ્રેડીંગ દર્શાવે છે. આ રિપોર્ટને પીજીઆઈ-ડી અંતર્ગત પીજીઆઈ ૨-૦ તરીકે ઓળખાવ્યો છે., જેમાં ૬૦૦ ગુણ અને ૭૦ માપદંડો સાથે ૬ શ્રેણીઓ સાથે દેશવ્યાપી વ્યાપક અને તંત્રસ્પર્શી મૂલ્યાંકન કરાયું છે.

જો કે, આ રિપોર્ટ મુજબ ૭૮૪માંથી રાષ્ટ્રીયકક્ષાએ ૪૬૨ જિલ્લાઓમાં સુધારો જણાયો છે., પરંતુ એક પણ જિલ્લો "ઉત્કૃષ્ટ"માં સ્થાન ધરાવતો નથી, અને માત્ર ૧૯ જિલ્લા જ "ઉત્તમ-૨"ની કેટેગરીમાં આવ્યા હોય, તો તે રાષ્ટ્રીયકક્ષાએ પણ ચિંતા અને ચિંતનનો મુદ્દો ગણાય. તે પૈકી જો જામનગર જિલ્લાએ ૬૦૦માંથી માત્ર ૨૯૭ ગુણ મેળવ્યા હોય અને પ્રયેષ્ટા-૨ની યાદીમાં હોય, તો તે પણ ચિંતાનો વિષય છે, જ્યારે દેવભૂમિ દ્વારકાને તેનાથી કાંઈક રાહતજનક એટલે કે ૬૦૦માંથી ૩૨૦ ગુણ મળ્યા હોય તો પણ હાલારના આ બંને જિલ્લાઓમાં શિક્ષણ સુધારણા માટે હજુ ઘણું કરવાનું બાકી છે., તેમ કહી શકાય. આ રિપોર્ટ મુજબ પરીક્ષાર્થીઓના પરિણામોમાં જામનગર જિલ્લા કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાને વધુ ગુણ મળ્યા હોય તો તે જામનગર જિલ્લાના શિક્ષણ વિભાગ તથા સ્થાનિક સત્તાતંત્રો માટે પણ વધુ લક્ષ્ય આપવા જેવો વિષય છે.

આ રિપોર્ટ અંગે થતી ચર્ચામાંથી મળતી માહિતી મુજબ જો ઈસીટી અથવા પ્રભાવી કક્ષા શિક્ષણમાં જામનગર જિલ્લાને ૬૧ અને દ્વારકા જિલ્લાને ૬૮ ગુણ, ઈન્ફ્રાસ્ટ્રકચર (ઈએફ એન્ડ એસઈ)માં જામનગર જિલ્લાને ૨૯ અને દ્વારકા જિલ્લાને ૩૩, સ્કૂલ સુરક્ષા અને બાલ શિક્ષણ (એસ.એસ. એન્ડ સી.પી.)માં જામનગર જિલ્લાને ૨૦ અને દ્વારકા જિલ્લાને ૨૩, ડિજિટલ લર્નિંગ (ડી.એલ.)માં જામનગર જિલ્લાને ૩૨ અને દ્વારકા જિલ્લાને ૨૩, તથા એડમિનિસ્ટર અથવા શાસન-પ્રક્રિયામાં જામનગર જિલ્લાને ૪૪ અને દ્વારકા જિલ્લાને સમાન ૪૪ અંક મળ્યા હોય તો દેશના છેવાડાના દેવભૂમિ દ્વારકા જિલ્લા કરતા પણ જામનગર જિલ્લો પાછળ રહી ગયો હોય તેવું તારણ નીકળે, તેથી આ રિપોર્ટને ઊંડો સ્ટડી કરીને તથા આંકડાઓની ખરાઈ કરીને જ્યાં જયાં કચાશ રહેતી હોય, ત્યાં ત્યાં તત્કાળ સુધારો કરવો જરૂરી છે.

કેટલાક તજજ્ઞો વિશ્લેષકોના તારણ મુજબ ગુજરાતમાં ખાનગી શિક્ષણનો દબદબો અને પક્ષ-વિપક્ષની મિલિભગતના કારણે રાજ્યનું શિક્ષણ ખાડે જઈ રહ્યું છે, જ્યારે કેટલાક વિશ્લેષકો એકંદરે એવરેજ સ્થિતિ જણાવીને રાજ્યમાં ઝડપી સુધારણાની સંભાવના દર્શાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ભારતના અર્થતંત્રની ગતિશિલતા અને લક્ષ્ય... એક તરફ વૃદ્ધિ તો બીજી તરફ પડકારો

                                                                                                                                                                                                      

ભારત દુનિયાની પાંચમી ઈકોનોમીમાંથી ચોથી ઈકોનોમીમાં સરક્યા પછી ત્રીજા ક્રમે પહોંચવાની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે, અને કોરોનાકાળ પછી મંદ પડેલા કેટલાક સેક્ટરો તથા એમએસએમઈમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે, ત્યારે નાના અને મધ્યમ કક્ષાના શહેરો પ્રેરકબળ બનતા ભારતના ઈ-કોમર્સ સેક્ટરનું કદ ઝડપભેર વધશે, તેવો રિપોર્ટ તાજેતરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

આ રિપોર્ટ મુજબ ભારતનું ઈ-કોમર્સ માર્કેટ વર્ષ ર૦૩પ સુધીમાં ચારગણું વધીને ૪૮ લાખ કરોડને આંબી જશે.

એનારોક અને ઈ.ટી. રિટેલના એક સંયુક્ત અહેવાલ મુજબ વર્ષ ર૦ર૪ માં ભારતનું ઈ-કોમર્સ બજાર ૧રપ અબજ ડોલરનું હોવાનો અંદાજ છે. આ રિપોર્ટ તાજેતરમાં મુંબઈમાં ધ ઈકોનોમિક ટાઈમ્સ ગ્રેટ ઈન્ડિયા રિટેઈલ સમિટ-ર૦રપ માં મૂકાયો હતો.

એનારોકના એકંદરે અભિપ્રાય મુજબ ભારતીય ઈ-કોમર્સ માર્કેટ વર્ષ ર૦૩પ સુધીમાં પપ૦ અબજ ડોલર એટલે કે લગભગ ૪૮ લાખ કરોડની નજીક પહોંચી જશે, એટલે કે પ્રવર્તમાન વૃદ્ધિમાં ૧પ ટકાનો વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વધારો થશે.

આ રિપોર્ટ મુજબ વર્ષ ર૦૩૦ ના અંત સુધીમાં ભારતીય ઈ-કોમર્સ માર્કેટનું મૂલ્ય ૩૪પ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.

આ રિપોર્ટ મુજબ ઈન્ટરનેટનો વધી રહેલો વપરાશ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું વિસ્તરણ, ટેકનોસેવી યુવાવર્ગમાં વધારો અને સ્માર્ટ ફોનનો વધી રહેલો ઉપયોગ આ વૃદ્ધિને ગતિશીલ બનાવી રહ્યો છે.

આ ઉપરાંત 'ડિજિટલ ઈન્ડિયા' જેવી સરકારી પહેલ અને લોજિસ્ટિક સપ્લાઈ ચેઈન નેટવર્કમાં ઝડપી સુધારાઓ પણ અર્થતંત્રને પ્રતિશીલ બનાવી રહ્યા છે. એક તરફ વૃદ્ધિ થઈ રહી છે, તો બીજી તરફ ટ્રમ્પના ટેરિફ કાર્ડ સહિતના પડકારો પણ વધી રહ્યા છે.

જો કે, આ રિપોર્ટ મુજબ મેટ્રોપોલિટન શહેરો ઉપરાંત ભારતમાં હવે મોટી મોટી કંપનીઓ પણ નાના અને મધ્યમકક્ષાના નગરોમાં વધી રહેલી જનસંખ્યાની ડિમાન્ડને પહોંચી વળવાના પ્રયાસો કરી રહી છે, જે ભારતીય માર્કેટને વેગ આપી રહી છે. ભારતીય રિટેઈલ ઈન્ડસ્ટ્રીની માર્કેટ સાઈઝ વર્ષ ર૦૩પ સુધીમાં રપ૦૦ અબજ ડોલર સુધી પહોંચી જશે, તેવો અંદાજ છે.

કોરોનાકાળ પહેલા વર્ષ ર૦૧૯ ની સરખામણીમાં ભારતીય માર્કેટમાં ત્રણગણી વૃદ્ધિ એક દાયકા પછી જોવા મળી હતી. લોકોની વધતી આવક, શહેરીકરણ, યુવાવર્ગમાં શિક્ષણ અને ટેકનોલોજીનો વધતો વ્યાપ, સતત વિસ્તરી રહેલો મિડલ ક્લાસ અને કેટલીક પ્રોત્સાહક પોલિસીઓ આ ગતિશીલ વૃદ્ધિના મૂળમાં હોવાના તારણો પણ નીકળી રહ્યા છે.

એક તરફ માર્કેટમાં ગતિશીલતા જોવા મળી રહી છે, તો બીજી તરફ વિપક્ષની કેટલીક રાજ્ય સરકારો પછી હવે ભાજપ-એનડીએ શાસિત સરકારો દ્વારા પણ વોટબેંકને સાચવવા કે આકર્ષવા અપનાવાઈ રહેલી મફતની રેવડીની નીતિઓ, કેટલીક નીતિગત ખામીઓ, ટ્રમ્પફેઈમ ટેરિફ કાર્ડના કારણે પણ અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે, ત્યારે જોઈએ હવે શું થાય છે તે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 'પેપરલીક'ની ખબરે મચાવ્યો ખળભળાટ... ભાજપ શાસન પર વિપક્ષના પ્રહારો... 'હવે શું?'

                                                                                                                                                                                                      

હજુ તો ગઈકાલે હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે એન્ટી પેપરલીક બિલ સંસદમાં રજૂ કર્યું અને તેના પર ચર્ચા થવાની બાકી હતી, ત્યાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની કોલેજોના ત્રીજા વર્ષ બી.એ.એમ.એસ.નું સર્જરી એટલે કે શલ્યતંત્ર-૧ ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની આશંકા પછી ર૬ કોલેજોના ર૦૦૦ પરીક્ષાર્થીઓનું ભાવિ જોખમાયું છે, અને તેની સાથે ચેડાં કરવાની હરકત થઈ હોવાનું જણાવીને વિપક્ષો ભાજપ સરકાર પર તડાપીટ બોલાવી રહ્યા છે, અને તેના પડઘા સંસદ સુધી પડ્યા છે. આ પેપર ર૦ મી જુલાઈના લેવાયું હતું.

એવું કહેવાય છે કે, ગઈકાલે જૂનાગઢ તરફની કોલેજના કોઈ પ્રોફેસરે ઉત્તર ગુજરાતની કોઈ કોલેજમાં ઓબ્ઝર્વેશન દરમિયાન આ પેપર બપોરે સંપન્ન થયા પછી સાંજે વ્હોટ્સએપમાં જે ૧ર પ્રશ્નો આઈએમપી તરીકે દર્શાવાયા હતાં, તેમાંથી જ મોટાભાગના પ્રશ્નો પૂછાયા હોવાની આશંકાથી પહેલેથી પેપરલીક થયું છે કે પરીક્ષા પછી આ પ્રશ્નો વ્હોટ્સએપમાં ફરતા કરાયા છે, તેની તપાસ માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએે એક સમિતિ રચી હોવાની પુષ્ટિ કરતો યુનિવર્સિટીના જ એક અધિકૃત વ્યક્તિનો વીડિયો ફરતો થયો, તે પછી આ વાત આગની જેમ ફેલાઈ ગઈ અને તેના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા. આ સંભવિત પેરલીકની આશંકા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંબંધિત હોવાથી વિપક્ષના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને સાકળીને તડાપીટ બોલાવવા લાગ્યા હતાં, અને તે પછી આ મુદ્દો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે.

આ પેપરલીક એક જ કોલેજમાં થયું છે કે ઈન્ટરકોલેજ થયું છે, તથા પેપર લેવાયા પહેલા પ્રશ્નો વ્હોટ્સએપમાં ફરતા થયા હતાં કે તે પછી થયા હતાં, તે તપાસનો વિષય છે, પરંતુ અત્યારે પેપરલીકનો મુદ્દો ગરમાગરમ હોવાથી તથા આ પેપરલીક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની તાબા હેઠળની પરીક્ષામાં થયું હોવાથી જોતજોતામાં વિપક્ષોને નેતાઓની તડાપીટ બોલી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઈકાલથી જ આ મુદ્દે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે તો ઘણી જ ગંભીર આક્ષેપો પ્રેસ-મીડિયાના માધ્યમથી કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપની સરકારે હવે 'પેપરલીકીયા' સરકાર બની ગઈ છે જ્યાં બીજેપીનું શાસન છે, ત્યાં પેપરલીક થઈ રહ્યા છે. તેમણેે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે પેપરલીક કરતા પરિબળોને સીધી વડાપ્રધાન અને આરએસએસ સાથે સંબંધો છે, તેમણે ગુજરાતમાં થયેલા પીપરલીકની એક યાદી પણ મીડિયા સમક્ષ રજૂ કરી હતી.

તેમણે એવો આક્ષેપ કર્યો કે વડાપ્રધાને ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરી, પરંતુ સીબીઆઈ કે તપાસ એજન્સીઓ પુરાવા જ રજૂ કરે નહીં, અને આરોપીઓને ક્લીનચીટ મળી જાય, તો તને ફાસ્ટ ટ્રેક કોર્ટ, હવાઈ કોર્ટ, પાતાલ કોર્ટનો અર્થ શું? તેમણે પેપરલીકના આરોપીઓ જેલમાં સડી રહ્યા હોવાના નિવેદનને 'સફેદ જૂઠ' ગણાવ્યું હતું.

'આપ'ના સંજયસિંહ ઉપરાંત કોંગ્રેસના જયરામ રમેશ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ પણ તીખા તમતમતા આક્ષેપો કર્યા હતાં, જેને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાઓએ ફગાવી  દઈને 'આપ' શાસિત પંજાબ અને કોંગ્રેસ શાસિત રાજ્યો તથા કોંગ્રેસ સાથે ગઠબંધનની સરકારોના શાસનગાળામાં થયેલા પેપરલીકના કિસ્સાઓને યાદ કરાવીને પ્રતિઆક્ષેપો તથા પ્રતિ પ્રહારો કર્યા હતાં. આ બધા આક્ષેપ-પ્રતિઆક્ષેપો વચ્ચે યુવા વર્ગે એવા પ્રત્યાઘાતો આપ્યા છે કે સરકાર કોઈપણ પક્ષની હોય, પેપરલીકની ઘટનાઓ અટકવી જ જોઈએ અને યુવાવર્ગની મહેનત તથા પ્રામાણિક્તાની કદર થવી જોઈએ. જો તેવું નહીં થાય તો તમામ સ્થળે આંદોલનો થઈ શકે છે, ભલે સરકાર કોઈપણ પક્ષની હોય.

ગુજરાતમાં ભાજપ સરકારના શાસનકાળમાં વર્ષ ર૦૧૪ અને તે પછી વર્ષ ર૦૧૬-૧૭ માં રેવન્યુ તલાટી અને તલાટી-કમ-મંત્રીઓની ભરતી માટે લેવાતી પરીક્ષા, વર્ષ ર૦૧૮ માં ટેટ, મેખ્ય સેવિકા અને લોકરક્ષક દળ, વર્ષ ર૦૧૮ માં સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા, વર્ષ ર૦ર૧ માં સબ એડીટર, હેડક્લાર્ક, પશુ ચિકિત્સા અધિકારી, વર્ષ ર૦ર૩ માં જુ. ક્લાર્ક, વર્ષ ર૦ર૪ માં ઊર્જા ક્ષેત્ર સહિતની સંખ્યાબંધ પેપરલીકની ઘટનાઓનું લિસ્ટ હોવાનો દાવો કરીને સંજયસિંહે એક ચોક્કસ કંપનીના નામ સાથે ગંભીર આક્ષેપો કર્યા હતાં, અને ગુજરાતમાં બ્લેક લિસ્ટ થયેલી આ 'કંપની' જ બિહાર-યુ.પી. સહિત અન્ય રાજ્યોમાં કેટલાક સ્થળોએ પીપરલીક કરાવ્યા હોવાના અત્યંત ગંભીર આક્ષેપો કરતા સંજયસિંહે પેપરલીક પરિબળોના સંબંધો આર.એસ.એસ. સાથે પણ હોવાનું જણાવી યુવાનો-વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરીને થતી કમાણીનો હિસ્સો ભાજપવાળા લઈ જતા હોવાનો સણસણતો આક્ષેપ પણ સંજયસિંહે મૂક્યો હતો, અને આ વાતો હવાહવાઈ નહીં હોવાનો દાવો કર્યો હતો. તેમણે પેપરલીક કરનારા પેપરચોરોને ચંદાચોરો સાથે સરખાવીને કટાક્ષ પણ કર્યો હતો.

આ તરફ ગુજરાતમાં પ્રાદેશિક કક્ષાએ પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ શિક્ષણ વિભાગ અને રાજ્ય-કેન્દ્ર સરકાર પર તડાપીટ બોલાવી છે. તેમણે આયુર્વેદિક યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું મેગા સેન્ટર બની ગયું છે, તેવો આક્ષેપ કરીને કહ્યું કે કાયદાઓ માત્ર કાગળ પર રહી ગયા છે. સરકાર ભ્રમ લેવાવવાનું બંધ કરે અને સ્વયં મુખ્યમંત્રી આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કરે. તેના જવાબમાં ભાજપના પ્રવક્તાએ કડક કાયદાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આયુર્વેદ યુનિ.ના પેપરલીકની આશંકા ઊભી થતા જ સંબંધિત તંત્રોએ નિષ્પક્ષ તપાસ આદરી છે, અને જો કોઈ દોષિત ઠરશે તો તે બધાને કડકમાં કડક સજા થશે.

આજે સંસદમાં એક તરફ નવા એન્ટી પેપરલીક મુદ્દે ચર્ચા થઈ રહી છે, બીજી તરફ આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને સવાલો-જવાબો તેના સ્થાને છે, પરંતુ હવે બધાએ સાથે મળીને 'પેપરલીક'ને અટકાવવા 'પેપરલીકરો'ની રાષ્ટ્રવ્યાપી ગેંગને ભેદવી જ પડશે, અન્યથા સિસ્ટમ અને સરકાર પરથી ઝેન-ઝેડને વિશ્વાસ જ ઊઠી જશે અને એક અનિચ્છનિય અને ભયાવહ સવાલ ઊભો થશે કે 'હવે શું?'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સીજેપી પછી હવે ઈ-ર૦ જનતા પાર્ટીની ચેલેન્જ... મોદી સરકારને ઘેરતું ઝી-ઝેડ... આગે ક્યા હોગા?

                                                                                                                                                                                                      

જંતર-મંતર પર થયેલા ઝી-ઝેડ આંદોલને મોદી સરકારને ડોલાવી દીધી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું, અને કોકરોચ જનતા પાર્ટીએ વિદ્યાર્થી અને યુવાશક્તિની તાકાત દેખાડી દીધી તે પછી હવે કદાચ નીતિન ગડકરીની ખુરશી જોખમમાં છે, કારણ કે નવી ઈ-ર૦ જનતા પાર્ટી પણ સોશિયલ મીડિયામાં જન્મી છે અને કેજેપીની જેમ જ ર૦ ટકા ઈથોનોલવાળા ફરજિયાત પેટ્રોલ સામે જોરદાર અવાજ ઊઠાવ્યો છે.

કોકરોચ જનતા પર્ટીના સફળ આંદોલન પછી તેના નેતા દીપકેએ આજે જે નિવેદન આપ્યું છે, તેમાંથી પણ આ ચળવળ અહીં અટકાવાની નથી, પણ શિક્ષણ પછી હવે કોઈ નવા મુદ્દે પણ આ ચળવળ ચાલતી રહેશે, તેવા સંકેતો મળે છે. તે પછી સોશિયલ મીડિયામાં જ ઈ-ર૦ જનતા પાર્ટીની ચળવળ શરૂ થઈ છે અને તેની માંગણી લોકોની ઉપર ફરજિયાત ર૦ ટકા ઈથોનોલવાળું પેટ્રોલ થોપવાના બદલે જેને ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલ જોઈતું હોય, તેને તેવો વિકલ્પ આપવાની માંગણી જ કરવામાં આવી છે, પરંતુ જો સરકાર સીજેપીની જેમ આની પણ અવગણના કરશે, તો કેજેપી પણ આમાં જોડાઈ જાય, તેવી સંભાવના રહે છે.

'એક્સ' પ્લેટફોર્મ પર ગઈકાલથી શરૂ થયેલી આ ઓનલાઈન ચળવળમાં પણ ઝડપભેર યુવાનો જોડાઈ રહ્યા હોવાથી આ નવું આંદોલન પણ દેશવ્યાપી બને અને તેના પડઘા સડકથી સંસદ સુધી પડે, તેવા સંજોગો જણાય છે, જો કે સીજેપી સામે ઘૂંટણિયા ટેકવવા પડ્યા અને મોદી શાસનમાં ૧ર વર્ષે કોઈ મંત્રીએ આંદોલનના કારણે રાજીનામું આપવું પડ્યું, તેથી ડરી ગયેલી સરકાર હવે 'દૂધનો દાજિયો છાસ ફૂંકી ફૂંકી ને પીવે' તે કહેવત મુજબ આજે જ ઈથોનોલ મરજિયાત કરીને શુદ્ધ ૧૦૦ ટકા પેટ્રોલનો વિકલ્પ જાહેર કરી દ્યે, તો નવાઈ જેવું નહીં હોય.

ધર્મેન્દ્રભાઈની અટક પ્રધાન રહી ગઈ, પરંતુ પ્રધાનપદુ છોડવું પડ્યું તેની પાછળ સરકારની જીદ્ કારણભૂત ગણાય છે. એવું નથી કે આઝાદ ભારતમાં વિદ્યાર્થી આંદોલન કે યુવા આંદોલનને કારણે કોઈએ સત્તા કે હોદ્દો છોડવો પડ્યો હોય, આ પહેલા પણ નવનિર્માણ આંદોલન, અનામત વિરોધી આંદોલન, પાટીદાર આંદોલન, જે.પી. આંદોલન, ભાષાના મુદ્દે થયેલા આંદોલનો તથા અલગ રાજ્યના મુદ્દે થયેલા આંદોલનો સહિતના ઘણાં દૃષ્ટાંતો છે જેમાં કોઈને કોઈ રાજ્યના મંત્રી કે મુખ્યમંત્રીનેે વિદ્યાર્થી યુવા આંદોલનોના કારણે રાજીનામા આપવા પડ્યા હતાં, જો કે તે સમયે છાત્ર આંદોલન અને યુવા આંદોલનો તરીકે ઓળખાતા આંદોલનોના સ્વરૂપ અને પદ્ધિત અલગ હતી તથા તે સમયે ઈન્ટરનેટ નહીં હોવાથી સંચાર તથા સંદેશા-વ્યવહારના માધ્યમો તથા રીતરસમો પણ અલગ જ હતી. તે સમયે પણ લાઠીચાર્જ અને પોલીસ ગોળીબારો થતા હતાં, કર્ફયુ લાગતા હતાં અને ઘણી વખત તો અર્ધસૈનિક દળો કે સેનાની મદદ પણ લેવી પડી હતી. તે સમયે ક્રાંતિ કે યુવા ચળવળ તરીકે ઓળખાતા આંદોલનોને આજે ઝી-ઝેડ અથવા ઝેન-ઝેડ આંદોલન તરીકે ઓળખવામાં આવે છે અને તેને અટકાવવા કે દબાવવા ઈન્ટરનેટ બંધ કરવાના ઉપાયો પણ તંત્રો અજમાવતા હોવા છતાં તે ઝડપથી પ્રસરે છે.

આઝાદ ભારતમાં જેટલા વિદ્યાર્થી કે યુવા આંદોલનો થયા, તે છી જે-તે રાજ્ય કે કેન્દ્રમાં ટૂંક સમયમાં કે તે પછીથી સામાન્ય (જનરલ) ચૂંટણીઓ સત્તાપરિવર્તન થયા હોય તેવા મહત્તમ ઉદાહરણો છે, જેથી વર્તમાન સરકાર પણ ફૂંકી ફૂંકીને કદમ ઊઠાવી રહી છે, અને ગઈકાલે દેશના જુદા જુદા ક્ષેત્રોના વરિષ્ઠ, નિર્વિવાદ અને અનુભવી દિગ્ગજોને સાંકળીને પરીક્ષાઓના સંદર્ભે  જીંદન નિલેકણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય ટાસ્કફોર્સની રચનાની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં એસ. સોમનાથ, વી. કામકોટિ, તપન ડેકા, અનીતા કરવાલ, અમૃતલાલ મીના વગેરેનો સમાવેશ કરાયો છે. આ સંદર્ભે તથા સરકારની પીછેહેઠને સાંકળીને આજે પણ સડકથી સંસદ સુધી જે પડઘા પડી રહ્યા છે, તે આપણી સામે જ છે.

શિક્ષણ ખાતું પ્રહ્લાદ જોષીને સોંપીને હજુ નીટ પેપરલીક અને પરીક્ષા પદ્ધતિ અંગે સરકારે કડક પગલાં ઊઠાવવાની શરૂઆત જ કરી, ત્યાં હવે ઈ-ર૦ જનતા પાર્ટી નામની નવી ઝુંબેશે એક તરફ તો સરકારમાં આંતરિક હલચલ મચાવી દીધી છે, અને આજે જ તેના સંદર્ભે સરકારનું વલણ સ્પષ્ટ થઈ જશે, તેવી અટકળો ગઈકાલથી જ થઈ રહી હતી.

બીજી તરફ જંતર-મંતર પર થયેલા લાઠીચાર્જ અને પોલીસ અત્યાચારના આરોપો સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી ઊઠી છે, તથા જો ઈથોનોલના મુદ્દે નીતિન ગડકરીને ઘેરવામાં આવશે તો મોદી સરકાર સામે ખૂબ જ મોટો પડકાર ઊભો થઈ શકે છે, તેવા ગઈકાલના પ્રત્યાઘાતો પછી આજે સરકાર અને વિપક્ષ વચ્ચે જે પ્રહાર-પ્રતિપ્રહારો થઈ રહ્યા છે, તે દર્શાવે છે કે આ વખતે મોદી સરકાર બરાબરની ઘેરાઈ રહી છે.

સીજેપી સામે સરકારની પીછેહઠ અને હવે ઈ-ર૦ જનતા પાર્ટીની ચળવળ પછી ગેલમાં આવે ગયેલા વિપક્ષો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજીનામું પણ માંગી રહ્યા છે, અથવા વડાપ્રધાન સંસદમાં આવીને દેશના વિદ્યાર્થીઓની માફી માંગે તેવી માંગણી ઊઠાવી રહ્યા છે. ટાસ્ક ફોર્સની રચનાને વિપક્ષી વક્તાઓ 'દેખાડો' અથવા 'નાટકબાજી' ગણાવી રહ્યા છે.

જો કે, ટાસ્કફોર્સની રચનાને બદલે કેટલાક વિપક્ષી નિવેદનોમાં આને શિક્ષણ સુધારણાની દિશામાં પ્રથમ કદમ ગણાવીને તેને છાત્રોની મોટી જીત પણ ગણાવી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આપણી એજ્યુકેશન સિસ્ટમને નવો આકાર દેવાની દિશામાં આ ફક્ત પ્રથમ કદમ છેે, છતાં મોટું કદમ છે. અખિલેશ યાદવે પણ આને વિદ્યાર્થીઓની જીત ગણાવી છે. ટૂંકમાં આ સંસદીય સત્ર મોદી સરકાર માટે પડકારરૂપ તો વિપક્ષો માટે નવા મુદ્દા આપનાર અવસર બની રહેલું જણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આગાહી એટલે અનુમાન... કુદરતથી કોઈ મોટું નથી... સાયન્સ અને શ્રદ્ધાનો સમન્વય... મેઘાવી માહોલ વચ્ચે મેઘાની મોજ...

                                                                                                                                                                                                      

જામનગરમાં ટાઢક થઈ અને ગઈકાલે લાંબા સમય સુધી ઝરમરિયો વરસાદ પડ્યો, તથા હાલાર સહિત રાજ્યભરમાંથી સારા વરસાદના અહેવાલો આવવા લાગ્યા ત્યારે લોકોના દિલેન ટાઢક વળી હશે, અને જગતના તાતને પણ રાહત પહોંચી હશે, કારણ કે આ વર્ષે 'અલનીનો' નામનો અવરોધ આવવાથી દુષ્કાળ પડશે, તેવી ચર્ચાઓ લાંબા સમયથી થઈ રહી હતી, અને ચોમાસું મોડું શરૂ થયું અને વરસાદ લંબાયો, તેથી તે આશંકાઓ ધીમે ધીમે ગભરાટમાં બદલી ગઈ હતી અને આ કુદરતી પ્રક્રિયાને સાયન્ટિફિક કન્ફર્મેશન મળતું હોય, તેમ જણાવ્યું હતું. અલનીનો અને લા નીનો નામની આ કુદરતી પ્રક્રિયાઓ થતી હોય છે, તે હકીકત છે અને તેવા દુષ્પ્રભાવો દુનિયાએ ભૂતકાળમાં પણ અનુભવ્યા છે, પરંતુ તેની સાથે સાથે અલનીનોની અસરો ઘટાડે કે લગભગ અટકાવી દ્યે, તેવી સિસ્ટમો પણ કુદરતે જ ભૂતકાળમાં ઊભી કરી છે, તેથી હવામાન વિજ્ઞાન અને તેના અનુમાનો પણ એક સ્વીકૃત હકીકત છે, તેથી આ કોઈ વિવાદનો વિષય નથી, પરંતુ સંકલન અને સમજદારીનો સબજેક્ટ છે.

અમદાવાદમાં એક નવો જ વિવાદ ઊઠ્યો છે. બન્યું હતું એવું કે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું હોવા છતાં બે દિવસ પહેલા અમદાવાદમાં અનરાધાર (મેઘતાંડવ જેવો) વરસાદ વરસ્યો અને મહાનગર જળબંબાકાર બની ગયું હતું, હજારો લોકો જ્યાં ત્યાં અટવાઈ પડ્યા હતાં અને અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.

આ કારણે રેડ એલર્ટ જેવી સ્થિતિ હોવા છતાં યલો એલર્ટ અપાતા તંત્રની આલોચના કરતા પ્રત્યાઘાતો પ્રગટ થવા લાગ્યા હતાં, અને તેના કારણે આગાહીઓ અંગે આશંકાઓ પણ ઊભી થવા લાગી હતી. એવું કહેવાય છે કે હવામાન ખાતાના સમર્થન અથવા બચાવમાં રાહત કમિશનરે સ્વીકાર્યું હતું કે, હવામાન વિભાગની આગાહીઓ એ અનુમાનો હોય છે જે સાંકેતિક માર્ગદર્શન જ હોય છે. વરસાદી સિસ્ટમમાં અચાનક તીવ્રતા વધી જતાં યલો એલર્ટ જેવી સ્થિતિ રેડ એલર્ટમાં બદલી ગઈ હતી અને ભારે વરસાદ પડ્યો હતો.

જો કે, રાહત કમિશનરના આ ચર્ચાઈ રહેલા નિવેદનની સાથે ઘણાં લોકો સંપૂર્ણપણે સહમત નહોતા અને આ કારણે આગાહીઓમાંથી લોકોની વિશ્વસનિયતા ઘટી કે હટી જાય, તો તેના કારણે વિચિત્ર સ્થિતિ ઊભી થઈ શકે છે, તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રકારની દહેશતને પણ અવગણી શકાય તેમ નથી.

આજે હવામાન ખાતું કે પછી અન્ય નેશનલ-ઈન્ટરનેશનલ મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ્સ-એજન્સીઝ, વેધર ડિપાર્ટમેન્ટ્સ વિગેરે કાંઈ હવાહવાઈ અનુમાનો કરતા હોતા નથી. અદ્યતન મશીનરી, સેટેલાઈટ પિક્ચર્સ તથા અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી હવામાન તથા વરસાદની આગાહીઓ થતી હોય છે, તેથી તેને માત્ર 'અનુમાનો' કહીંને ગૌણ ગણવા કે હળવાશથી લેવાની જરૂર નથી અને કદાચ રાહત નિયામકનો એવો કોઈ ઈરાદો પણ નહીં હોય, પરંતુ ઘણી વખત અચાનક થતા કુદરતી ફેરફારોને કારણે આ પ્રકારના અનુમાનોમાં થોડો-ઘણો તફાવત આવે, તો તેને પણ સ્વીકારવો પડે. ઘણાં લોકો એટલું જ કહે છે કે કુદરત મહાન છે... માનવી ગૌેણ છે!

હકીકતે સાયન્સ અને શ્રદ્ધા, કુદરત અને કૌશલ્ય તથા સિસ્ટમ અને સૃષ્ટિ વચ્ચે સમન્વય અને સંકલન જરૂરી છે. આ બન્ને તરફના તથ્યો પરસ્પર વિરોધી કે પ્રતિસ્પર્ધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે. સૃષ્ટિ સર્વોપરી છે, તો સાયન્સ સાર્વત્રિક છે. આ તમામ પરિબળોનો સર્જનહાર પણ શક્તિશાળી જ હશે ને? આ કારણે જ કોઈ કવિએ લખ્યું છે કે, 'જિસ કી રચના ઈતની સુંદર, વો ખુદ કિતના સુંદર હોગા?...'

આ વખતે અલનીનોના કારણે સૂકો દુષ્કાળ પડશે, તેવી દહેશત હતી, તેના બદલે લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ રાજ્યના ઘણાં જિલ્લાઓમાં ઊભી થઈ ગઈ છે, તેની પાછળ કેટલાક હવામાન નિષ્ણાતો એકથી વધુ વરસાદી સિસ્ટમ્સ ઊભી થવાના તથા પેટર્ન બદલવાના બદલાવને કારણભૂત માને છે, જ્યારે કેટલાક નિષ્ણાતો આવું થવા માટે પીડીઓ એટલે કે પેસેફિક ડિકેડલ એસિલેશનને પણ જવાબદાર ગણાવે છે. તે ઉપરાંત ઈન્ડિયન ઓસન ડિપોલ, એટલાન્ટિક મલ્ટિડિકેડલ ઓસિલેશન પણ કારણભૂત હોવાના મંતવ્યો ઘણાં વિશ્લેષણો તરફથી આવ્યા છે. આ બધા મંતવ્યો, અભિપ્રાયો અને સિસ્ટમોએ એ પૂરવાર કરી દીધુ છે કે કુદરત વિષે હન્ડ્રેડ પર્સન્ટ (૧૦૦ ટકા) સટિક અનુમાન કરવું મુશકેલ છે. બીજા અર્થમાં કહીએ તો કુદરત મહાન છે અને માનવીય જ્ઞાન સીમિત છે. પ્રકૃતિ અને પૃથ્વી પરના પરિબળો પણ કુદરતી છે અને તેમાં થતા રહેતા બદલાવો પણ નેચરલ જ છે. માનવી તો માત્ર તેની ઓળખ કરીને તેને જુદા જુદા નામ આપે છે, તથા તેનો ઊંડો અભ્યાસ કરીને તથા ભૂતકાળના અનુભવો તથા સંશોધનોના સંયોજન સાથે કેટલાક અનુમાનો કરે છે, તથા અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી અને સ્પેસ ટેકનોલોજીના સંયોજનથી આગાહીઓ કરે છે, તેથી એમ કહી શકાય કે પ્રકૃતિ પ્રમુખ છે અને માનવી તથા સાયન્સ-ટેકનોલોજી તેના પૂરક કે સહાયક નહીં, પરંતુ ઓળખ કરીને સ્વયં સુરક્ષા માટે સતર્ક રહેતા પરિબળો છે.

જામનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ર૪ કલાક દરમિયાન ધીમી ધારે વરસાદ પડ્યો છે, તો ઘણાં સ્થળે ચાર-પાંચ ઈંચ સુધી પાણી પડ્યું છે, જ્યારે દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માત્ર ઝરમરિયો વરસાદ જ થયો છે, જો કે એકંદરે આ વરસાદે રાહત અને ઠંડક તો આપી જ દીધી છે.

જામનગર મહાનગરપાલિકાએ વરસાદી માહોલ વચ્ચે જન્માષ્ટમીના મેળાનો નિર્ણય લીધો અને સપ્ટેમ્બરના પ્રથમ ૧૧ દિવસ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણિયા મેળાનું પ્લાનિંગ કર્યું, ત્યારે ભૂતકાળમાં મેળાઓ સમયે જ પડેલા વરસાદે મજા બગાડી હતી અને અવ્યવસ્થા સર્જાઈ હતી, તેને યાદ કરીને આ વખતે મેળા દરમિયાન વરસાદ પડે તો પણ કાદવ કીચડ ન થાય, અને અચાનક વરસાદ પડે તો મેળામાં મહાલતા લોકોને તત્કાળ આશ્રય મળે, તેવા સુવિધાજનક વિશાળ શેડ કે ડોમ ઊભા કરવાની જરૂર પણ જણાવાઈ રહી છે.

રાજ્યમાં જે શહેરોમાં ભારે વરસાદના કારણે હોડીઓ ચલાવવી પડી છે, ત્યાં ભૂતકાળમાં આનાથી પણ વધુ વરસાદ થતા પાણીનો કુદરતી નિકાલ થઈ જતો હતો, તેને યાદ કરાવીને જાણકારો કહે છે કે હવે તો ચાર-પાંચ ઈંચ વરસાદ પડે ત્યાં શહેરો જળબંબાકાર થઈ જાય છે અને અતિવૃષ્ટિમાં ઘણાં નગરો-મહાનગરોમાં હોડીઓ ચાલવા લાગે છે, તે આડેધડ થયેલા બાંધકામો તથા આધુનિક વિકાસના કારણે પાસ સડકો-પુલો-માર્ગોના કારણે વરસાદના પાણીને પૃથ્વીમાં ઉતરવાની જગ્યા જ રહી નહીં હોવાનું પરિણામ છે. હવે જે પૂર આવે છે તે અધિકત્તમ માનવસર્જિત જ કહી શકાય. વિકાસની દોડમાં વરસાદી પાણીના કુદરતી વહેણો જ બુરાઈ ગયા અને પૃથ્વીને પણ પાક્કા ડામર-સિમેન્ટથી મઢી દેવામાં આવી અને રહેણાંક વિસ્તારો વધતા ખેતીની તથા ખુલ્લી જમીનો ઘટી ગઈ, તે બધા કરતૂતોના આ દુષ્પરિણામો છે. જે હોય તે ખરૂ, રહી રહીને વરસાદ પડતા હવે રાહત થઈ... પ્રકૃતિનો જય હો...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સ્વાગત ફરિયાદ નિવારણ, ફરિયાદ અને સંકલન તથા લોક-દરબારોની વાસ્તવિકતા... 'નિકાલ' નહીં.... 'ઉકેલ' જરૂરી...

                                                                                                                                                                                                      

ઘણાં દાયકાઓથી જિલ્લાકક્ષાએ કલેકટરના અધ્યક્ષસ્થાને ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકો યોજાતી રહી છે, જેમાં ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓ તથા તંત્રના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ તથા તમામ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહે છે અને પ્રજાકીય પ્રશ્નો, જરૂરિયાતો, ફરિયાદો તથા રજૂઆતો પર ચર્ચા થાય છ. અને સૂચનો-અભિપ્રાયોની આપ-લે થાય છે તથા ચોક્કસ વિષયો પર સંબંધિત અધિકારીઓને તાકીદ પણ કરાવે છે, પરંતુ આ પ્રકારની બેઠકોમાં હાજર રહેતા અધિકારીઓ-પદાધિકારીઓને ખબર જ હશે કે કેટલીક રજૂઆતો, સૂચનો તથા ફરિયાદો લગભગ દરેક મિટિંગમાં લાંબા સમય સુધી 'રિપિટ' થતી રહે છે, અને તેનો ઉકેલ આવતો હોતો નથી. ઘણી વખત તો આ પ્રકારના 'રિપિટેશન' પછી બેઠક દરમ્યાન હળવી પળોમાં ટકોર થતી રહે છે કે પ્રશ્નોનો 'ઉકેલ' વર્ષોથી આવતો ન હોય તો આ પ્રકારની બેઠકોનો અર્થ શું ? આ તે કેવું સંકલન ?

લગભગ અઢી દાયકા પહેલા જયારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, અને પ્રશાસનિક ઘણાં ફેરફારો કરાયા હતા, તે સમયે વર્ષ ૨૦૦૩માં લોકોની ફરિયાદો ઓનલાઈન મેળવીને તેનો સમયમર્યાદામાં ઉકેલ લાવવાના ઉદૃેશ્યથી એક પોર્ટલ શરૂ કર્યું હતું, જેને જનફરિયાદ નિવારણ પોર્ટલ તરીકે ઓળખવામાં આવ્યું હતું. તે પછી આ કાર્યક્રમને "સ્વાગત" (સ્ટેટ વાઈડ એટેન્શન ઓન ગ્રિવાન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ફરિયાદ નિવારણ નામ અપાયું હતું.  તે પછી અત્યાર સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી સ્વયં નાગરિકોની ફરિયાદો સાંભળીને તેના ઉકેલ માટે સ્થળ પરથી જ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરે છે.

રાજ્યકક્ષાનો આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાય છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ પૂર્વસૂચના વિના વીડિયોવોલનો ઉપયોગ કરીને મહેસાણા, કચ્છ, ભાવનગર વગેરે જિલ્લાઓના જિલ્લાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરપ્રાઈઝ ડિજિટલ વિઝિટ લીધી હતી અને આ જિલ્લાઓના અરજદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ જિલ્લાતંત્રોને ગૌચર જમીન પર દબાણ, ખેતરોમાં જવા-આવવાના માર્ગો, જમીન સંપાદન તથા પૂનર્વસનને લાગતા પડતર પ્રશ્નો ૧૫ દિવસથી એક મહિનામાં ઉકેલી નાંખવા તાકીદ કરી હોવાના અહેવાલો આવ્યા હતા.

એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેમણે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો કે લોકોના પ્રશ્નોનો માત્ર કાગળ કે ફાઈલ પર "નિકાલ" નહીં, પરંતુ અરજદારોને સંતોષ થાય તેવો "ઉકેલ" આવવો જોઈએ, અને જો અરજદારોને સંતોષ ન થાય, તો આખરી ઉકેલ સુધીની જવાબદારી સંબંધિત અધિકારીઓની જ રહેશે.

જો આટલા વર્ષો પછી પણ રાજ્યના મુખ્યમંત્રીને આ પ્રકારની તાકીદ કરવી પડતી હોય તો એમ કહેવું ખોટું નથી કે આ કાર્યક્રમ તકલાદી છે અને જે પ્રશ્નોનો "નિકાલ" બતાવી દેવાતો હોય, તેમાં અરજદારોને સંતોષ થાય તેવો "ઉકેલ" જ ન આવ્યો હોય, તેવી પૂરેપૂરી સંભાવના રહે છે, અને તે કારણે જ આ પ્રકારની તાકીદો કરવી પડતી હશે.

એવું કહેવાય છે કે મુખ્યમંત્રી મૃદુ પણ છે અને મક્કમ પણ છે. જો આવું જ હોય તો તેઓએ સ્વાગત ફરિયાદ નિવારણ તથા સંકલન-ફરિયાદ સમિતિઓમાં ચાલતી લોલંલોલ અને પોલંપોલ સામે કોઈ એવું મજબૂત મિકેનિઝમ ઊભું કરવું જોઈએ, કે જેથી આ પ્રકારના લોકપ્રશ્નોના ઉકેલ માટે યોજાતા તમામ કાર્યક્રમો તથા ફરિયાદ-સંકલન સમિતિ જેવી મિટિંગોમાં રજૂ થતાં પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં "ઉકેલ" ન આવે, તો તેના માટે સંબંધિત તંત્રના સંબંધિત કર્મચારીથી લઈને તેના સર્વોચ્ચ અધિકારી સુધીની આખી પેનલને જવાબદાર ગણીને તેની સામે કડક કાર્યવાહી થઈ શકે. આ માટે આઈએએસ અને જીએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ વગેરે બ્યુરોક્રેટસને પણ "જવાબદારી"માં સાંકળવા જોઈએ.

આ પ્રકારની સમિતિઓ તથા કાર્યક્રમોમાં પ્રશ્નોનો "નિકાલ" કરવા માટે "આ પ્રશ્ન કેન્દ્ર, રાજય કે જિલ્લા કક્ષાનો છે,", "આ પ્રશ્ન સબજયુડિસ કે કોઈ સમિતિને આધિન છે", "આ પ્રશ્ન સુસંગત નથી કે પૂરતી માહિતી નથી" જેવા રિમાર્કસનો પ્રયોગ થતો હોય છે, જેને "ઉકેલ" નહીં પણ કાગળ પર "નિકાલ" જ ગણવો પડે ને ?

જુદા જુદા સરકારી વિભાગો અને ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જિલ્લા-તાલુકા કે વિભાગીય કક્ષાએ "લોક દરબારો" યોજાતા રહે છે, અને તેમાં "નિડરતાપૂર્વક" પોતાના પ્રશ્નો રજૂ કરવા લોકોને આહ્વાન કરવામાં આવે છે. અખબાર-મીડિયાના માધ્યમથી ઘણી વખત એવી રાવ સંભળાતી હોય છે કે આ પ્રકારના લોક દરબારો માટે સામાન્ય જનતાના વાસ્તવિક અરજદારો કે પીડિતોની હાજરી ઓછી હોય છે અને ગણ્યા ગાંઠ્યા સ્થાનિક આગેવાનો બોલાવીને "ફોર્માલિટી" જ નિભાવવામાં આવે છે.

જો હકીકતે લોક દરબારો અથવા વિશેષ અભિયાનો, ડ્રાઈવ કે ઝુંબેશો સાર્થક નિવડતી હોય તો વ્યાંજકવાદીઓનો વ્યાપ કેમ વધતો રહે છે ? ગુંડાગીરી કેમ ફાલતી-ફૂલતી રહે છે ? સરકારી કામોમાં ભ્રષ્ટાચાર શા માટે પનપતો રહે છે ? તસ્કરો-સમડીઓ પર કાયમી અંકુશ કેમ આવતો નથી ? શહેરી અને શેરીઓમાં લૂખ્ખા તત્ત્વોની રંજાડ કેમ ખતમ થતી નથી ? તે પ્રકારના પ્રશ્નો પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયા તથા લોકચર્ચા દરમ્યાન ઉઠવા જ ન જોઈએ.

જો કે, આ પ્રયાસો પરંપરાગત સરકારી અને "હોતી હૈ, ચલતી હૈ", ની માનસિકતાના બદલે જ્યાં જ્યાં અત્યંત નિષ્ઠાપૂર્વક અને પૂરેપૂરી ઈચ્છાશક્તિ સાથે થાય છે, ત્યાં  સારા પરિણામો પણ આવતા હોય છે, પરંતુ તેની ટકાવારી ઘણી જ ઓછી છે, તેથી મુખ્યમંત્રીશ્રીએ "પર્સનલ એટેન્શન" સાથે અસરકારક મિકેનિઝમ ગોઠવવું ઘણું જ જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સડકથી સંસદ સુધી, રાજ્યોથી રાજધાની સુધી, છાત્ર આંદોલનની ગૂંજ... હાઈકોર્ટે માંગ્યો સરકારનો જવાબ...

                                                                                                                                                                                                      

પેેપરલીક મુદ્દે દિલ્હીના જંતરમંતરથી શરૂ થયેલું બિનરાજકીય ગણાવાતું આંદોલન હવે સડકથી સંસદ સુધી ગૂંજી રહ્યું છે, અને જામનગર સહિત જિલ્લે જિલ્લે વિપક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણના અહેવાલો આવી રહ્યા છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટે તો આ મુદ્દે તત્કાળ સુનાવણી કરવાની અસમર્થતા દર્શાવી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસ તથા કેન્દ્ર સરકારને નોટીસો ફટકારતા મોદી સરકાર હવે સડકો, સંસદ અને કાનૂની ક્ષેત્રે પણ આ મુદ્દે ઘેરાઈ રહેલી જોવા મળી રહી છે.

દિલ્હી હાઈકોર્ટમાં જંતરમંતર પર સરકાર વિરોધી આંદોલન કરી રહેલા વાંગચૂક તથા અન્ય પ્રદર્શનકારીઓને જબરદસ્તીથી હટાવવા તથા આંદોલનકારીઓ પર પોલીસના લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો અને બંધારણે આપેલા અધિકારો મુજબ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતાં, ત્યારે પોલીસે બર્બરતા કરી અને અમાનુષી લાઠીચાર્જ કર્યો તે અંગે દલીલો કરી હતી, તો કેન્દ્ર સરકારના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલે આ અરજીઓ અદાલતમાં કરીને માત્ર પબ્લિસિટી સ્ટંટ કરવામાં આવી રહ્યો છે, અને અરજદારો પોતે પીડિતો નથી, ઉલટાનો પોલીસ પર પથ્થરમારો થયો હતો અને સંખ્યાબંધ પોલીસકર્મી ઘાયલ થયા હતાં તથા વાહનોમાં તોડફોડ થઈ હતી. હિંસા થતા પોલીસે ના છૂટકે જરૂરી કાર્યવાહી કરવી પડતી હોય છે.

જો કે, અદાલતોએ પોલીસની ભૂમિકા અંગે કેટલાક પ્રશ્નો ઊઠાવ્યા હતાં, અને પૂછ્યું હતું કે જો આંદોલનની મંજુરી લીધી નહોતી અને ગેરકાયદે મંડળી રચી હતી, તો તેને પહોંચી વળવા ચોક્કસ પ્રક્રિયા અનુસરવાના બદલે સીધો બળપ્રયોગ કેમ કર્યો? જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય, ત્યારે દરેક પીડિતોને અલગ-અલગ એફઆઈઆર કરવાનું કેવી રીતે કહી શકાય?

તે પછી અદાલતે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટીસો ફટકારી અને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો, તેથી સરકાર કાનૂની ક્ષેત્રે પણ ઘેરાઈ ગઈ છે. અદાલતે તમામ સીસી ટીવી કૂટેજ, ફોટોગ્રાફ્સ, વીડિયો રેકોર્ડીંગ વગેરે સુરક્ષિત રાખવાનો પણ આદેશ આપતા કાનૂની ક્ષેત્રે પણ આ લડાઈ લાંબી ચાલશે, તેમ જણાય છે.

સંસદમાં પણ બન્ને ગૃહોમાં વિપક્ષો હોબાળો કરતા રહ્યા અને સરકારના મંત્રીઓ હડિયાપટ્ટી કરતા રહ્યા. રાજ્યસભામાં ખડગેએ ચોખ્ખું કહી દીધુ કે પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પછી બીજી વાત... તો લોકસભામાં પણ હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓના મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં સરકારને રસ નથી, બીજી તરફથી સરકાર તરફથી દાવો થતો રહ્યો કે સરકાર તો ચર્ચા માટે તૈયાર છે, પણ વિપક્ષો નવા નવા બહાના કાઢીને સંસદની કાર્યવાહી જ ચાલવા દેતા નથી.

બીજી તરફ અન્ના હજારેએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું કે કોઈ એક મંત્રીના રાજીનામાથી સરકાર નબળી નહીં પડી જાય. યુવાવર્ગની ચિંતા દૂર કરવા સરકારને અનુરોધ કરતા અન્ના હજારેના પત્ર પછી સરકારને વધુ ક્ષોભ થવો જોઈએ...

ગઈકાલે સાંજે રાહુલ ગાંધીએ યોજેલી પ્રેસ કોન્ફરન્સ અને તેમાં રજૂ થયેલો સ્લાઈડ-શો, કેન્દ્રિય મંત્રી જે.પી. નડ્ડાએ યોજેલી પ્રેસ-કોન્ફરન્સમાં રજૂ થયેલું પેપરલીકનું ફ્લેશ બેક, સરકાર અને સીજેપી વચ્ચે થયેલી વાતચીત, વાંગચૂકે કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં ભૂખ હડતાલ સમાપ્ત કરવાની શરતી તૈયારી બતાવી હોવાનો દાવો તથા જંતરમંતર પર પુનઃ થયેલું હિંસક છમકલું વગેરે ઘટનાક્રમોને સાંકળતા એવું સમજાય છે કે હવે પેપરલીકનો મુદ્દો અને સીજેપીની ચળવળ બહુર્મુખી બની ગઈ છે, અને વિદ્યાર્થીઓના હિતોમાં સરકારની જીદ અને રાજકીય પક્ષોના હિતોનું મિશ્રણ થતા આ મુદ્દો હવે સંસદમાં પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે, જેથી સરકાર સંસદમાં પણ ઘેરાઈ ગઈ હોય તેમ જણાય છે.

ગઈકાલે જામનગરમાં કોંગ્રેસે મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને પૂર્વ સાંસદ સહિતના કોંગી નેતાઓને અટકમાં લેવાયા, તેવી જ રીતે જિલ્લે-જિલ્લે દેશભરમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો થતા રહ્યા, તો ભારતીય જનતા પક્ષના કાર્યકરોએ પણ રાહુલ ગાંધીએ પી.એમ. હાઉસ સામે કરેલા ધરણાંના વિરોધમાં કોંગ્રેસ કાર્યાલયો સામે દેખાવો કર્યા. આ કારણે ઠેર-ઠેર ઘર્ષણ થયું અને બન્ને તરફના કાર્યકરો વચ્ચે ઘણાં સ્થળે હિંસક અથડામણો થઈ, અને તેને નિયંત્રણમાં લેવામાં સ્થાનિક તંત્રોના નાકે દમ આવી ગયો. આ કારણે સડકો પર પણ રાજ્યોથી રાજધાની સુધી કેન્દ્ર સરકાર માટે પડકારરૂપ પરિસ્થિતિ હતી.

આમ, સડકથી સંસદ, હોસ્પિટલોથી પોલીસ સ્ટેશનો, અદાલતથી સરકારી કાર્યાલયો અને રાજ્યોથી રાજધાની સુધી છાત્ર આંદોલનની ગૂંજ ગઈકાલે એવી ઊઠી હતી કે સડકથી સંસદ સુધી તેના ઘેરા પડઘા પડ્યા હતાં, જે કેન્દ્ર સરકાર સામે જબરો અસંતોષ તથા આક્રોશ દર્શાવે છે. આ ગૂંજ દેશભરમાં પડઘાઈ રહી છે અને રાજ્યોથી દેશની રાજધાની સુધી સરકારને હચમચાવી રહી છે. તેમાં હવે અન્ના હજારેએ પણ ઝંપલાવતા સરકાર ભીંસમાં જણાય છે.

ગત્ રાત્રે પણ જંતરમંતર પર હિંસા થઈ અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો પછી એવી આશંકા પણ જાગે છે કે વિદ્યાર્થીઓ સાથે કોઈ અસામાજિક તત્ત્વો તો ભળી ગયા નથી ને? શાંત આંદોલનને તોડી પાડવા કે ડહોળવાનો કિમિયો તો નથી ને? વિવિધ રાજકીય પક્ષોની વિદ્યાર્થી-પાંખો સિવાય અન્ય સામાન્ય વિદ્યાર્થીઓ કેટલા પ્રમાણમાં જંતરમંતર પર જોવા મળે છે? આ આંદોલનના મુદ્દે એવીબીપીનું વલણ કેવું છે? આ બધા સવાલો વચ્ચે આજે સંસદમાં જે કાંઈ બની રહ્યું છે, તે જોતા હવે ઉભય પક્ષો જીદ્ છોડીને સંસદ ચાલવા દેવી જોઈએ, તેવો સામાન્ય જનમત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પત્રકાર, સાહિત્યકાર અને સાચી સમાજસેવાના ભેખધારી એવા પૂ. રતિલાલભાઈ માધવાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ...

                                                                                                                                                                                                      

 

સ્વ. પૂ. રતિલાલ દેવચંદ માધવાણી

વૈકુંઠવાસ તા. રર-૭-૧૯૮૭

ગુજરાતના સર્વપ્રથમ સાંધ્ય દૈનિક 'નોબત'ના આદ્યસ્થાપક અમારા સૌના પથદર્શક અને પ્રેરણાસ્ત્રોત એવા પૂ. રતિલાલભાઈ માધવાણીની આજે પુણ્યતિથિ છે.

તા. રર જુલાઈ, ૧૯૮૭ ના દિવસે માધવાણી પરિવારને કુઠારાઘાત લાગ્યો હતો, જ્યારે તેઓએ અનંતયાત્રાની વાટ પકડી હતી અને વૈકુંઠગમન કર્યું હતું. એ દિવસે 'નોબત' પરિવાર શોકગ્રસ્ત હતો, તો સમગ્ર હાલારમાં ગમગીની છવાઈ હતી, કારણ કે રતિલાલભાઈએ જન-જનના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.

સ્વ. રતિલાલભાઈ માધવાણી લોકોના હૃદયમાં વસવાટ કરતા હતાં, કારણ કે તેઓએ હંમેશાં સામાન્ય જનતાના અવાજને વાચા આપી હતી અને કોઈપણ ચમરબંધીની શેહ શરમ રાખ્યા વગર તથા પાપી પરિબળો તથા એન્ટી-સોશિયલ એલિમેન્ટ્સથી ડર્યા વગર પત્રકારિત્વ કર્યું હતું. તેઓ એવા નિડર પત્રકાર હતાં, જેઓએ લઘુઅખબારમાં પણ તેજીલી કલમથી ભલભલાના આસનો ડોલાવ્યા હતાં અને દિગ્ગજોને દર્પણ દેખાડ્યું હતું. તેઓ ખૂબ જ સંવેદનશીલ, કોમળ અને લાગણીપ્રધાન હતાં, પરંતુ અન્યાય, અવ્યવસ્થા કે અવળચંડાઈ કરનારાઓ સામે ખૂબ જ કડક અને મજબૂત વલણ ધરાવતા હતાં. તેઓ અવારનવાર ગામડાઓનો પ્રવાસ કરીને લોકોની વેદના સમજીને તેને વાચા આપતા હતાં, તેથી તેઓ હાલારીઓના હૈયે વસેલા હતાં.

તેઓ નિડર પત્રકારની સાથે સાથે સમકાલીન તથા ઐતિહાસિક વિષયોના અભ્યાસુ અને સાચા સાહિત્યકાર પણ હતાં. તેઓની કલમમાં પત્રકારિત્વ તથા સાહિત્યકલાનું મિશ્રણ જોવા મળતું હતું.તેઓના સાહિત્યસર્જનમાંથી માનવતા, ખુમારી અને ન્યાયપ્રિયતાની સાથે સાથે જી.કે. અને ઐતિહાસિક, રાજનૈતિક તથા આર્થિક જ્ઞાનવર્ધન કરતા વિવરણો પણ પ્રગટતા હતાં, અને તેઓના પોતાના અભિપ્રાયોમાંથી પવિત્રતા અને પ્રામાણિક્તા ટપકતી હતી. તેઓએ જામનગરની યશગાથા, મહાગુજરાતની યશગાથા જેવા ગ્રન્થો લખ્યા હતાં, જે આજે લગભગ અપ્રાપ્ય છે. તે ઉપરાંત આઝાદી પહેલાના સમયગાળામાં પણ તેઓએ 'લોહાણા મહાજનો' નામનો ગ્રન્થ લખ્યો હતો, અને 'બંડખોર' નામની નવલકથા પણ લખી હતી. તે ઉપરાંત 'મહાજનો', 'કસુંબીનો રંગ', 'ફટાકડા' વગેરે પુસ્તકો પણ તેઓએ લખ્યા હતાં. તેઓના પુસ્તકો અત્યારે કોઈ જુની લાઈબ્રેરીઓમાં સચવાયેલા હોઈ શકે, પરંતુ તેઓના આ સંભારણા આજે પણ અમોને પ્રેરણા આપી રહ્યા છે.

તેઓ પત્રકારિત્વ, સાહિત્યસર્જન ઉપરાંત સમાજસેવાના પણ ભેખધારી હોવાથી તેેઓમાં કલા, સાહિત્ય અને સેવાનો ત્રિવેણી સંગમ રચાયો હતો, જેને પત્રકારિત્વની રાહે પ્રવાહ મળ્યો હતો, તેમ કહી શકાય.

પૂ. ભાઈ પ્રથમ દૃષ્ટિએ કડક મિજાજી અને મોઢામોઢ સત્ય કહી દેતા હોવાથી કઠોર સ્વભાવના જણાતા, પરંતુ નજીક ગયા પછી તેઓની સંવેદનશીલતા, સ્નેહ, લાગણીશીલતા અને અણીશુદ્ધ માનવતાનો પરિચય થતો. તેઓ દીનદુઃખિયાના બેલી હતાં, તથા કોઈપણ કુદરતી આફતો, યુદ્ધનો સમય, રોગચાળાનો પ્રકોપ કે જનતાની સમસ્યા-પીડિતોની પરેશાની હોય ત્યારે તેઓ હંમેશાં અખબારના માધ્યમથી તથા વ્યક્તિગત રીતે પણ સમાજસેવા, દેશસેવા અને જનસેવાને જ પ્રાધાન્ય આપતા હતાં.

તેઓએ ટાંચા સાધનો, પારિવારિક જવાબદારીઓ અને અનિષ્ટ પરિબળોના પડકારો સામે લડતા હતાં. મજબૂતીથી સિંચેલું 'નોબત' સાંધ્ય અખબાર તરીકે વટવૃક્ષ બન્યું છે. 'નોબત' સાંજની સોબતની ઉક્તિ હવે ડિજિટલ પણ બની ગઈ છે. લોકલથી ગ્લોબલ સુધીના તમામ સમાચારો, ઉપરાંત વિવિધાસભર લેખો, સંગત વિભાગ, ખ્યાતનામ લેખકોના આર્ટિકલ્સ, વિશેષ સાપ્તાહિક-લેખો, ભવિષ્ય, જ્યોતિષ, ચિરવિદાય, રોજ-બ-રોજના ગામડાઓથી લઈને દુનિયાભરના સમાચારો, ભાવપત્રકો, સામાજિક-આર્થિક અને રાજકીય પ્રવાહો, રોજ-બ-રોજની પ્રવૃત્તિઓ તથા ઘટનાક્રમો, ક્રાઈમ અને દૈનિક પંચાંગ સહિતની વિવિધાસભર વાચન સામગ્રી પીરસતું 'નોબત' આ તમામ વિષયોના યૂ-ટ્યુબના માધ્યમથી વીડિયો સમાચાર, વિશેષ ઈન્ટરવ્યૂ, વ્હોટસ એપ ગ્રુપમાં બ્રેકીંગ ન્યૂઝ, તસ્વીરકથાઓ, વેબસાઈટ, ઈ-પેપર તથા સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી સાત-સમંદર પાર પહોંચ્યું છે અને દેશ-વિદેશમાં ગુજરાતીઓનું માનીતુ બન્યું છે, તે મજબૂત બુનિયાદ રાખીને તેનું સિંચન કરાવનારા સ્વ. પૂ. રતિલાલભાઈ માધવાણી તથા તેઓની કંડારેલી કેડીએ ચાલનાર માધવાણી પરિવાર તથા 'નોબત' પરિવારને તથા ત્રણેય પેઢીઓને સાંકળતા 'નોબત' ગ્રુપને આભારી છે.

દાયકાઓ વિતી ગયા, સમય બદલાયો, સદી બદલાઈ ગઈ છતાં વીસમી સદીના એ મહામાનવની પ્રેરણા અને પથદર્શન આજે ર૧ મી સદીમાં પણ ઉપયોગી બની રહ્યું છે, તે અમારા સદ્ભાગ્ય છે.

કુદરની ઘટમાળ અને ઈશ્વરની ઈચ્છા સર્વોપરિ છે, તે સ્વીકારીને આપણે પૂ. રતિલાલભાઈએ 'નોબત' તથા પત્રકારિત્વ, સાહિત્ય સર્જન અને સમાજસેવા માટે જીવન ખપાવ્યું તેમાંથી પ્રેરણા લઈએ અને તેઓની પુણ્યતિથિ નિમિત્તે તેઓને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પીએ...

જામનગર,

તા. રર-૭-ર૦ર૬

- માધવાણી પરિવાર

- નોબત પરિવાર

વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં લોકશાહી જ કોઈ ભૂલભૂલામણીમાં અટવાઈ ગઈ!

                                                                                                                                                                                                      

ગઈકાલે જંતર-મંતર અને તે પછી સંસદ ભવન નજીક જે કાંઈ થયું, તે દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય ઘટનાક્રમો હતાં, અને કોઈ ઊંડુ રાજકારણ ખેલાઈ રહ્યું હોય, તેવા સંકેતો મળી રહ્યા હતાં. દેશની રાજધાનીમાં સડકથી સંસદ સુધી જાણે સંગ્રામ ચાલી રહ્યો હોય, તેવો આભાસ થતો હતો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો તથા નિવેદનબાજીના ઘોડાપૂર આવ્યા હતાં. નેતાઓની નિવેદનબાજી, તંત્રોના તિક્કડમ્ અને સાચા-ખોટા દાવા-પ્રતિદાવાઓની આંધી વચ્ચે લોકતંત્ર જ જાણે અટવાઈ ગયું હોય અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં જ લોકશાહી જાણે કોઈ ભૂલભૂલામણીમાં અટવાઈ ગઈ હોય તેવા દૃશ્યો ખડા થયા હતાં, તો વ્યંગવાણી તથા સણસણતા સવાલોના કારણે સ્વયં રાજનીતિ જ રણે ચડી હોય, તેમ જણાતું હતું.

ગઈકાલે સંસદના સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને જે સંબોધન કર્યું, તેના કેટલાક શબ્દપ્રયોગો ઘણાં જ સૂચક હતાં, તો કેટલીક વ્યંગોક્તિઓ પણ પડઘાઈ હતી. વડાપ્રધાને હૈદ્રાબાદના સ્કાઈરૂટ એરોસ્પેસ દ્વારા વિક્રમ-૧ ના સફળ પરીક્ષણની પ્રશંસા કરીને આ સિદ્ધિ મેળવનારી ટીમના સભ્યોની સરેરાશ ઉંમર માત્ર ર૮ વર્ષની હતી, તેની વાત કરતા કહ્યું કે, 'હું કોઈ પ૬ વર્ષના નૌજવાનોની વાત કરી રહ્યો નથી, પરંતુ દેશના ર૮ વર્ષના યુવાઓની વાત કરી રહ્યો છું, જેમણે અંતરીક્ષમાં ભારતનો ધ્વજ ફરકાવ્યો છે...'

આ શબ્દપ્રયોગો અને વ્યંગોક્તિ કોંગીનેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરવા માટે જ વડાપ્રધાને અજમાવી હોવાની ચર્ચા, રાજનૈતિક ગલિયારાઓમાંથી પ્રગટી અને પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ અને તેની સાથે સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કરેલા આક્ષેપોના વીડિયો પણ વાયરલ થવા લાગ્યા.

દિલ્હીમાં સીજેપીના આંદોલનને કચડી નાંખવાની નીતિ મોદી સરકારે અપનાવી હોવાની આલોચના વિપક્ષી વર્તુળોએ કરી છે. કોંગી નેતા રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદ ભારતના ઈતિહાસના સૌથી વધુ યુવા વિરોધી વડાપ્રધાન છે. તેમણે કહ્યું કે, શિક્ષણના મુદ્દે અવાજ ઊઠાવનારાઓ પર લાઠીચાર્જ કરવાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, દેશમાં ૧પર પેપરલીક થયા, સાડાસાત કરોડ વિદ્યાર્થીઓ તેનાથી પીડિત બન્યા, પરંતુ એક પણ ગુનેગારને સજા થઈ નથી. પેપરલીક કરનારા અપરાધીઓ આઝાદ ઘૂમી રહ્યા છે, જ્યારે વાજબી મુદ્દાઓ ઊઠાવીને અવાજ ઊઠાવનારા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને ઢસડવામાં આવે છે, મારવામાં આવે છે, સરકાર યુવાવર્ગ પર અત્યાચાર કરી રહી છે વિગેરે...

રાહુલે તો ત્યાં સુધી કહી દીધું કે વડાપ્રધાન એટલા યુવા વિરોધી છે કે તેઓ નિષ્ફળ ગયેલા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લઈ શકતા નથી!

શાસક પક્ષના પ્રવક્તાઓ તેનો જવાબ એવી રીતે આપી રહ્યા છે કે, આ પ્રકારના નિવેદનો રાહુલ ગાંધીની નિરાશા દર્શાવે છે અને કોંગ્રેસ વિદ્યાર્થીઓના મુદ્દે પોતાની રાજનીતિ ચમકાવવા માંગે છે. ખુદ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીને આઝાદ ભારતના સૌથી વધુ યુવાવિરોધી ગણાવતા હોય, તો તેનો મતલબ એવો થાય કે ભૂતકાળમાં અન્ય વડાપ્રધાનો પણ યુવાવિરોધી તો હતાં જ... તેમાંથી કોંગ્રેસના કેટલા હતાં?

ભાઈની સાથે બહેન પ્રિયંકા ગાંધી વડેરાએ સીજેપીના કાર્યકરો પર બીજેપીની સરકારે લાઠીચાર્જ કરાવ્યો હોવાનો આક્ષેપ કરીને કહ્યું કે, સરકારે આવું કરવાના બદલે નિષ્ફળ નીતિઓ તથા બિનકાર્યક્ષમતાનું આત્મમંથન સરકારે કરવું જોઈએ. પહેલા નીટનું પેપરલીક થયું, અને હવે રિ-નીટની પરીક્ષામાં પણ ગરબડ થઈ હોવાના અહેવાલો વહેતા થયા છે. એવો દાવો કરાયો હતો કે હવે પરીક્ષા પદ્ધતિ પર વડાપ્રધાન સ્વયં દેખરેખ રાખશે, પરંતુ તેમ છતાં વારંવાર પેપરલીક થાય, તો શું સમજવું?

પ્રિયંકા ગાંધીએ એવી માંગણી પણ ઊઠાવી કે સંસદમાં આ તમામ મુદ્દે વિગતવાર ચર્ચા થવી જોઈએ, અને દેશના કરોડો યુવાઓની પરેશાની સાંભળીને વડાપ્રધાને તેનો જવાબ આપવો જ જોઈએ.

વડાપ્રધાને રાહુલ ગાંધી પર કરેલો કટાક્ષ તથા ગાંધી બ્રધર-સિસ્ટર (રાહુલ-પ્રિયંકા) ના તીખા તમતમતા નિવેદનો જોતા એવું લાગે છે કે સીજેપીની સામે બીજેપીના સંઘર્ષનો રાજકીય ફાયદો વિપક્ષોને થઈ રહ્યો છે. બીજી તરફ એવી અટકળો પણ છે કે આ એક ઊંડુ રાજકારણ છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ભાજપની એક વધુ 'બી' ટીમ ચાલાકીપૂર્વક ઊભી કરવામાં આવી રહી છે, જે મજબૂત બને અને યુવાવર્ગમાં લોકપ્રિય બને તો ભાજપ વિરોધી અને મોદીવિરોધી મતોમાં ભાગ પડાવે, જેનો સીધો ફાયદો પંજાબમાં ગુપ્ત રીતે આકાર પામી રહેલા ભાજપ-અકાલીદળ સંભવિત ગઠબંધન તથા કોંગ્રેસના એ અસંતુષ્ટોને થાય, જેઓ હાઈકમાન્ડથી નારાજ છે અને વાડ ઠેકવા (પક્ષપલટા) ની તૈયારીમાં છે!

ગઈકાલે જંતર-મંતર પર અભિજિત દીપકે બેભાન થયા, તો વાંગચૂકે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની ખબર સાંભળ્યા પછી ઉપવાસ ચાલુ રાખ્યા, તેના કારણે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે, તો રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓના હક્કોની વાત કરી છે. તેમણે લખ્યું હતું કે, શાંતિપૂર્ણ વિરોધ એ એક અકબંધ અને મૌલિક અધિકાર છે. વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના આદેશોનું આંખો બંધ કરીને પાલન કરનારા દરેક પોલીસ અધિકારી અને સરકારી કર્મચારી એ વાત ધ્યાનમાં રાખે કે સંવિધાન જ તમારો માલિક છે-સત્તા કાયમ માટે રહેતી નથી. જવાબદારી ચોક્કસપણ નક્કી કરવામાં આવશે. રાહુલ ગાંધીના આ નિવેદનમાં જવાબમાં પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે ક આ જ દિલ્હીમાં અડધી રાતે રામદેવ મહારાજ અને શાંતિપૂર્વક આંદોલન કરી રહેલા હજારો લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ત્યારે સંવિધાન યાદ ન આવ્યું? બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજોએ પણ વિદ્યાર્થીઓના આંદોલનને કચડવાની રીતરસમો સામે વિરોધ વ્યક્ત કર્યો છે, તેથી સરકાર બેકફૂટ પર જણાય છે.

સૌથી વધુ વિવાદ એ વાતનો છે કે જંતર-મંતર પર લાઠીચાર્જનો દિલ્હી પોલીસ ઈન્કાર કરી રહી છે, અને પથ્થરમારામાં સંખ્યાબંધ જવાનો ઘાયલ થયા હોવાનું જણાવી રહી છે, તો આંદોલનકારીઓ અને વિપક્ષો સરકારના ઈશારે આંદોલનકારીઓ પર પોલીસે જંતર-મંતર પર લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરીને પોલીસ આંદોલનકારીઓ પર લાઠીયો વીંઝતી હોય, તેવા દૃશ્યો વાયરલ થઈ રહ્યા છે, જેના જવાબમાં એવું કહેવાઈ રહ્યું છે કે, એ દૃશ્યો જંતર-મંતરના નથી, પણ સંસદ પાસે બેરીકેડિંગ તોડીને ઘૂસવાના પ્રયાસો થયા, તે સમયના છે. આ બધા વિવાદો વચ્ચે જનતા પૂછી રહી છે કે મોંઘવારી, બેરોજગારી, આ વર્ષે વરસાદની અસમાનતાના કારણે ઊભી થનારી સ્થિતિ, વગેરેની સંસદમાં ચર્ચા ક્યારે થશે? એક મંત્રીનું રાજીનામું લેવાથી સ્થિતિ શાંત થતી હોય તો સરકારે જીદે ન ચડવું જોઈએ વિગેરે...

હકીકતે દાનચોરી તથા હોર્મુઝ તથા અન્યત્ર ભારતીય જહાજો પર થતા હુમલામાં ભારતીયોના મૃત્યુ જેવા મુદ્દાઓમાં કેન્દ્ર સરકાર ઘેેરાયેલી હોઈ, તે મુદ્દાઓ દબાઈ જાય અને સરકાર જે નક્કી કર્યા છે, તે બિલો બન્ને ગૃહોમાંથી હોબાળા વચ્ચે પણ પસાર થાય, તેવી રણનીતિ હેઠળ સરકારને પણ આ પ્રવર્તમાન સંજોગો અને સ્થિતિ સૂટ કરતી (અનુકુકળ આવતી) હોય તેમ જણાય છે, અને લોકશાહી કોઈ ભૂલભૂલામણીમાં અટવાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નગર, નેશન અને ગ્લોબલ ગરિમા બની 'પૃથ્વી'... વિક્રમ-૧ માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા... દેશની અનોખી સિદ્ધિ, પણ...?!

                                                                                                                                                                                                      

આજે નગરથી નેશન સુધી જામનગરના નાનકડા એવા વિભાપર ગામની દીકરી પૃથ્વીએ મેળવેલી સિદ્ધિની ચર્ચા થઈ રહી છે અને આ ચર્ચાની ગૂંજ પૃથ્વીથી અંતરીક્ષ સુધી પડઘાઈ રહી છે. પૃથ્વીએ વિભાપર, જામનગર જિલ્લો, હાલાર, સૌરાષ્ટ્ર અને રાજ્ય સાથે દેશનું ગૌરવ વધાર્યું છે અને ભારતે કરેલા પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ માં કંટ્રોલ સિસ્ટમ લીડર તરીકે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને મહિલા સશક્તિકરણ સાથે 'મન હોય તો માળવે જવાય'ની માન્યતાને પણ સાર્થક કરી છે.

પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-૧ માટેે ખૂબ જ જટિલ ગણાતી ઓટોપાયલોટ સિસ્ટમને સ્વયં ડિઝાઈન કરીને વિક્સાવી હતી. આ સિસ્ટમ રોકેટને અંતરિક્ષમાં ચોક્કસ દિશા અને સંતુલન (બેલેન્સ) જાળવી રાખવામાં મદદ કરે છે.

આ સિદ્ધિ બદલ પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે, અને સ્થાનિક જનપ્રતિનિધિઓથી લઈને વડાપ્રધાન સુધીના દિગ્ગજો તથા જિલ્લા તંત્રથી લઈને સ્પેસ સેક્ટર સાથે સંકળાયેલા સાયન્ટિસ્ટો અને તજજ્ઞો સુધીના લોકોએ અભિનંદન સાથે પૃથ્વીની પોતાની કોઠાસુઝ અને પરિશ્રમનેે પણ બીરદાવ્યા છે, અને તેના દ્વારા જ પૃથ્વીની કેટલીક નોંધપાત્ર સિદ્ધિઓની ચર્ચા પણ થઈ રહી છે.

તદ્નુસાર, પૃથ્વીએ ડીઆઈએટી એટલે કે ડિફેન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી પૂણેમાંથી 'ગાઈડેડ મિસાઈન્સ' સ્પેશલાઈઝેશન સાથે માસ્ટ ઓફ ટેકનોલોજી (એમ.ટેક) ની ડીગ્રી મેળવી હતી. તે પહેલા તેણીએ આત્મીય ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી એન્જિનિયરીંગની ડીગ્રી મેળવી હતી. તેણીની સાથે ભણેલા તથા કામ કર્યું હોય તેવા સહાધ્યાયીઓના ફીડબેક પણ ચર્ચાઈ રહ્યા છે અને તેણીની વિશેષતાઓના ચોતરફ વખાણ થઈ રહ્યા છે. તેણી એનએનસી એટલે કે ગાઈડેન્સ, નેવિગેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની નિષ્ણાત છે. નાની ઉંમરેથી જ નિપુણ પૃથ્વીએ જટિલ ટેકનોલોજીનો ગહન અભ્યાસ કર્યો છે, અને ડિફેન્સ તથા સ્પેસના બન્ને ક્ષેત્રોમાં તેણીની માસ્ટરી છે. તેણીએ જામનગરમાં હાઈસ્કૂલ કક્ષાનું શિક્ષણ મેળવ્યા પછી આ સિદ્ધિઓની હારમાળા સર્જી છે.

પૃથ્વી એક નાનકડા ગામના મધ્યમવર્ગિય પરિવારમાંથી ડીઆરડીઓ અને સ્પેસટેક સ્કાઈરૂટ એરોસ્પેસ સુધી પહોંચી છે. તે બદલ 'નોબત' પણ તેણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

ભારતે હૈદ્રાબાદની અંતરીક્ષ સ્ટાર્ટ-અપ કંપની સ્કાયરૂટ એરસ્પેસ દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-૧'નું શ્રીહરિકોટાસ્થિત સતીશધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી સફળ પરીક્ષણ કર્યું, તેથી આપણો દેશ ખાનગી ક્ષેત્ર દ્વારા સ્પેસમાં પેલોડ સ્થાપિત કરનારો વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ માત્ર અમેરિકા અને ચીને જ મેળવી હતી, અને હવે ભારત પણ આ ક્લબમાં જોડાઈ ગયો છે, જે દેશ માટે ગૌરવ તથા આપણાં દેશના સ્પેસ સાયન્ટિસ્ટો અને એન્જિનિયર્સ, સ્પેસ, ટેક-ડિઝાઈનરો માટે પણ ખૂબ જ ગરિમાપૂર્ણ ઉપલબ્ધિ છે. આ 'પૃથ્વી' પર 'સ્પેસ' સુધીની ગૌરવયાત્રામાં આપણા જિલ્લાની દીકરીએ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હોય, ત્યારે દરેક હાલારીઓ અને ગુજરાતીઓની છાતી પણ ગજ ગજ ફૂલે... કોંગ્રેચ્યુલેશન!

જામનગરમાં તાજેતરમાં ભારત ટેક્સી ચાલુ થઈ છે, તે ઉપરાંત સહકાર ક્ષેત્ર દ્વારા જ હવે કાર્ગો-ટ્રાન્સપોર્ટેશન (માલસામાનના પરિવહન) માટે સહકારી ક્ષેત્રની પોતાની ટ્રાન્સપોર્ટેશન ચેનલ ઊભી કરવાની સંભાવનાઓ પણ ચકાસાઈ રહી હોય, અને આ પ્રકારની પ્રવર્તમાન પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવાની દિશામાં સહકાર વિભાગ આગળ વધી રહ્યો હોય, તો તે આવકાર્ય ગણાય. જેવી રીતે સ્થાનિક પરિવહન કરતા વાહનો માટે 'કેબ' શબ્દ વપરાય છે, તેવી જ રીતે સ્પેસ સાયન્ટિસ્ટો, સ્પેસ એડવેન્ચર્સ તથા સ્પેસ ટુરિઝમની દિશામાં પણ દુનિયા આગળ વધી રહી છે, જેને 'સ્પેસ કેબ' કહેવાય છે.

વિક્રમ-૧ પણ આ પ્રકારની સ્પેસ કેબ છે, જે દુનિયાભરના નાના નાના ઉપગ્રહોને (ડિમાન્ડ મુજબ) અંતરીક્ષમાં પહેંચાડશે. અંતરીક્ષમાં ફેલાયેલા બિનઉપયોગી પદાર્થો (કચરા) ની સાફસુફી કરીને તેનો નિકાલ કરવાના ઉપયોગનું સંશોધન પણ કરશે. મુખ્ય કામ વૈશ્વિક સ્પેસ માર્કેટનો હિસ્સો બનીને વિવિધ કંપનીઓ કે સેક્ટરો પાસેથી કોમર્શિયલ ઓર્ડર મેળવીને નાના નાના ઉપગ્રહો લોન્ચ કરવાનું હશે, તેવા તારણો તદ્વિષયક ચર્ચાઓ તથા અહેવાલોમાંથી નીકળે છે.

વિક્રમ-૧ આગામી સમયમાં ૩પ૦ કિલોગ્રામ વજન સુધીનું વજન ધરાવતા ઉપગ્રહો પૃથ્વીની નીચલી કક્ષા (લો અર્થ ઓરબીટ) માં સ્થાપિત કરશે. તે પછી વિક્રમ-૧ (યુ) પપ૦ કિ.ગ્રા. સુધીનું વજન વહન કરવાની ક્ષમતા મેળવી લેશે. ભવિષ્યમાં આ જ કંપની વિક્રમ-ર અને વિક્રમ-૩ દ્વારા ૯૦૦ કિ.ગ્રા. સુધીની ક્ષમતા મેળવી લેશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, જે એક અનોખી સિદ્ધિ હશે.

લોકોમાં એવી ચર્ચા પણ છે કે ખાનગી કંપનીઓ આ પ્રકારની સ્પેસ સિદ્ધિઓ મેળવે, તેમાં તો તે ખાનગી કંપનીઓના, હિતોને જ પ્રાધાન્ય આપશે, પરંતુ તેથી દેશને અને જનતાને કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ફાયદો થશે ખરો?

આ પ્રકારના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ ઊઠે, કારણ કે 'દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે' તે કહેવત મુજબ કેટલાક કટુ અનુભવોના કારણે આ પ્રકારના પ્રશ્નો પબ્લિકમાં ઊઠતા હોય છે.

આ પ્રશ્નોનો જવાબ પણ અપાઈ રહ્યો છે. આ રીતે અમેરિકા અને ચીન પછી ભારત પણ આ ક્ષમતા હાંસલ કરીને પ્રાઈવેટ સેક્ટરને પ્રોત્સાહિત કરશે, તો સૌથી મોટો ફાયદો એ છે કે ગ્લોબલ સ્પેસ માર્કેટમાં ભારતનો દબદબો વધશે, અને આ સિદ્ધિ મળ્યા પછી મહાસત્તાઓની હરોળમાં ભારતની આગેકૂચને વેગ મળશે.

શ્રેણીક્ષદ્ધ નાના-નાના સેટેલાઈટ્સ વિક્રમ-૧, ર, ૩ દ્વારા અંતરીક્ષમાં ગોઠવાયા પછી આપણા દેશના દૂર દૂરના અંતરિયાળ વિસ્તારો, પહાડી ક્ષેત્રો, રણક્ષેત્રો અને દુર્ગમ વિસ્તારો સુધી સસ્તુ અને હાઈસ્પીડ ઈન્ટરનેટ પહોંચાડી શકાશે.

આ જ રીતે વરસાદની આગાહીઓ, વાવાઝોડા, કુદરતી આફતો અને ભારે પૂરની ક્ષણભરમાં માહિતી મળી જતા તત્કાળ જાન-માલનું રક્ષણ કરવું શક્ય બનશે. એટલું જ નહીં, જમીન વિષયક સટીક ડેટા મળતા ખેત ઉત્પાદન વધારી શકાશે. આ ઉપરાંત 'ઈસરો'નું ભારણ પણ ઘટશે.

વિક્રમ-૧ માં ભારતના ૪૦૦ જેટલા એમએસએમઈની મદદ લેવાઈ, જેમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં તકનિકી લાયકાત ધરાવતા લોકોને પૃથ્વીની જેમ હાઈ-ટેક જોબ સાથે આગળ વધવાની તકો મળે છે. આ કંપનીઓ દ્વારા સરકારને ફી તથા ટેક્સીસની જંગી ચૂકવણી થતા દેશની તિજોરીને પણ ફાયદો થશે, તેવો દાવો થઈ રહ્યો છે, પરંતુ જોવાનું એ રહે છે કે આ દાવાઓ કેટલા પ્રમાણમાં સાર્થક થાય છે... વિભાપરની દીકરી અને જામનગરના ગૌરવ પૃથ્વીને પુનઃ પુનઃ અભિનંદન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વાંગચૂકના મુદ્દે વિપક્ષી ખફા... લોકતંત્રની હત્યા અને તાનાશાહીનો આરોપ... અદાલતી આદેશની ઢાલ... ચબરાકી ભરી ચાલ...

                                                                                                                                                                                                      

દિલ્હી પોલીસે આજે સોનમ વાંગચૂકને હોસ્પિટલે ખસેડતા જ વિપક્ષો આગબબૂલા છે અને મોદી સરકાર પર તાનાશાહીના આરોપો લગાવીને લોકતંત્રની હત્યા કરાઈ રહી હોવાનો તમતમતો આક્ષેપ થઈ રહ્યો છે. બીજી તરફ પોલીસ હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને બચાવ કરી રહી છે. ર૧ દિવસના ઉપવાસ પછી વાંગચૂકનું વજન ૯ કિલો જેટલુ ઘટી ગયા પછી ઘણાં નેતાઓએ વાંગચૂકને ઉપવાસ છોડવાની અપીલ કરી હતી. આજે જંતર-મંતર પરથ વાંગચૂકની સાથે અન્ય સમર્થકોને હટાવીને પોસ્ટર-બેનર્સ પણ હટાવી દેતા મોદી સરકાર પર ગંભીર આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના સર્વેસર્વા ગણાતા સોનિયા ગાંધીએ પણ તાજેતરમાં જ સોનલ વાંગચૂકની તરફેણ કરતા ઈંદિરા ગાંધીના સમયગાળામાં સોનમ વાંગચૂકના પિતાએ કરેલી ભૂખ હડતાલની સ્મૃતિઓ તાજી થઈ ગઈ અને લગભગ ચાર દાયકા પહેલાનો એ ઘટનાક્રમ પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં પણ પડઘાવા લાગ્યો હતો, જેને લઈને નવી પેઢીના યુવાવર્ગમાં કુતૂહલ પણ જાગ્યું હતું.

હકીકતે પ્રેસ-મીડિયા, સોશિયલ મીડિયામાં એવી વાતો વહેતી થઈ છે કે સ્વયં સોનિયા ગાંધીએ જ પોતાની સાસુ ઈંદિરા ગાંધીના સમયગાળામાં બનેલી એ ઘટનાની ચર્ચા કોંગ્રેસના વફાદાર નેતાઓ સાથે કરી હતી, અને ઈંદિરા ગાંધીએ વર્ષ ૧૯૮૪ માં સોનમ વાંગચૂકના પિતા સોનમ વાંગ્યાલની લેહમાં જઈને મુલાકાત લીધી હતી અને તેઓને ભૂખ હડતાલ સમાપ્ત કરવા સમજાવ્યા હતાં, તેના સ્મરણો વાગોળ્યા હતાં.

સંસદનું ચોમાસ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તેની તૈયારી માટે કોંગ્રેસ પાર્લામેન્ટરી કમિટીની બેઠકમાં આ ઘટનાની યાદ તાજી થઈ તે પછી સોનિયા ગાંધીએ ઈંદિરા ગાંધીના સમયગાળાની આ ઘટના વર્ણવી હોવાનું કહેવાય છે.

તે સમયે લદખ માટે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગણી સાથે સોનમ વાંગચૂકે ગાંધીચિંધ્યા માર્ગે સત્યાગ્રહ આદર્યો હતો અને અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ શરૂ કરી હતી. તે સમયે તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ લેહ જઈને સોનમ વાંગચૂકને તેમની માંગણીઓ પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું હતું.

જો કે, તે જ વર્ષમાં ઈંદિરા ગાંધીની હત્યા થઈ ગઈ હતી, પરંતુ વર્ષ ૧૯૮૯ માં રાજીવ ગાંધી સરકારે લદ્દાખના કેટલાક સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો હતો. પિતા-પુત્રએ સરકાર સમક્ષ માંગણી મૂકવાનો સમાન પ્રકાર અપનાવ્યો છે. પિતાએ લદ્દાખને બંધરાણીય ઓળખ અપાવવા સંઘર્ષ કર્યો, તેના ઉલ્લેખો લદ્દાખ સ્ટડીઝમાં પ્રકાશિત થયેલા વાંગ્યાલના સંસ્મરણો અને અન્ય ઐતિહાસિક સાહિત્યમાંથી પણ મળે છે.

પિતાએ લદ્દાખની લડાઈ લડી, હવે પુત્ર કોંકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈને પેપરલીકના મુદ્દે વિદ્યાર્થીઓની સાથે લડત આપી રહ્યા છે, જો કે સોનમ વાંગચૂકે અત્યાર સુધી તો લદ્દાખના બંધારણીય સંરક્ષણ તથા શૈક્ષણિક-સામાજિક વિકાસ માટે અભિયાનો ચલાવ્યા હતાં, પરંતુ પેપરલીકના મુદ્દે વિરોધ સાથે સ્પર્ધાત્મક પરીક્ષા-પદ્ધતિમાં બદલાવના મુદ્દે સોનમ વાંગચૂકે ભૂખ હડતાલ શરૂ કરી હતી, છતાં કેન્દ્રિય શિક્ષણમંત્રીએ રાજીનામું આપ્યું નહીં.

બીજી તરફ અરવિંદ કેજરીવાલ, ડિમ્પલ યાદવ, સુપ્રિયા શુલે, પવન ખેડા, રાકેશ ટિકૈત, પ્રકાશ આંબેડકર વગેરેએ વાંગચૂકની મુલાકાત લીધી તો પૂર્વ કેન્દ્રિય કાનૂન મંત્રીએ વ્યક્તિગતરૂપે મુલાકાત લીધી હતી, તો અખિલેશ યાદવ સહિતના વિવિધ રાજકીય પક્ષોના ઘણાં નેતાઓએ વાંગચૂકના સમર્થનમાં નિવેદનો કર્યા હતાં.

રાજકીય ક્ષેત્રે જ નહીં, બોલીવૂડમાં પણ આ મુદ્દે ઘમાસાણ મચ્યું છે. આમિરખાને રોચોના પાત્ર વિષે કહ્યું કે વર્ષ ર૦૦૯ માં તેઓ વાંગચૂકને ઓળખતા નહોતા, તો કોઈએ વર્ષ ર૦૦૮ નો કોઈ વીડિયો વાયરલ કરીને તે સમયે આમીર ખાન વાંગચૂકને મળ્યા હોવાનો દાવો કર્યો, તે બીજી તરફ કિરણ રાવે વાંગચૂકને સમર્થન જાહેર કર્યા પછી આ મુદ્દો બોલીવૂડની એક ફેમિલી મેટરથી લઈને ફિલ્મમેકર્સ સુધીના વર્તુળોની આંતરિક ખેંચતાણનું હથિયાર પણ બની ગયો હતો. આ બધા વિવાદો વચ્ચે આમિર ખાને પણ વાંગચૂકની કથળતી તબિયતનો ઉલ્લેખ કરીને તેમના ઉપવાસ ટૂંકસમયમાં ખતમ થઈ જાય, તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દહેરાદૂનમાં કોંગ્રેસના 'છાત્રો કી ગૂંજ' કાર્યક્રમમાં દેશમાં ૧૦ વર્ષમાં ૧પર પેપર લીક થયા હોવાનું જણાવી સરકાર અને સમગ્ર સિસ્ટમ પર આકરા પ્રહારો કર્યા, તે સમયે મંચ પર જઈને એક પિતાએ પોતાની મહેનતુ પુત્રીએ પેપલીકના કારણે આત્મહત્યા કરી હોવાની આપવિતી રડતા રડતા રજૂ કરતા તેના પણ દેશવ્યાપી પડઘા પડ્યા છે, અને તેની સાથે વાંગચૂક સાથેના ઘટનાક્રમને સાંકળીને સરકારની ટીકા થઈ રહી છે.

આ બધા ઘટનાક્રમો પછી એવા તટસ્થ પ્રત્યાઘાતો પડી રહ્યા છે કે ભૂતકાળમાં ઈંદિરા ગાંધીએ જે સંવેદનશીલતા દર્શાવી હતી, તેવી સહાનુભૂતિ દર્શાવીને સરકારે શિક્ષણમંત્રીને હટાવવા જોઈએ અને પેપરલીક અટકાવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ઈ-ર૦ ઈંધણનો વિકલ્પ બન્યો વિવાદાસ્પદ... સિક્કાની બીજી બાજુ...

                                                                                                                                                                                                      

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ બંધ થયા પછી ઈંધણની તંગીના કારણે ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા તથા ઈથોનોલ મિશ્રિત ઈંધણ વાપરવાની ઝુંબેશને વધુ વેગીલી બનાવાઈ અને ઈ-ર૦ થી ઈ-૮પ પેટ્રોલનો વપરાશ વધારવાના ઉપયોગનો જોરદાર પ્રચાર-પ્રસાર કરાયો. પેટ્રોલ કરતા આ ઈંધણ સસ્તુ પડતું હોવાથી તેનો વૈકલ્પિક ઉપયોગ વધારવા તે પ્રકારના વાહનોનું ઉત્પાદન તથા વિશેષ પ્રકારના એન્જિનો બનાવવાની અનિવાર્યતાની ચર્ચાઓ પણ થઈ.

જો કે, ભારતમાં આ પ્રયોગ છેલ્લા ત્રણેક વર્ષથી થઈ રહ્યો છે. પ્રારંભમાં ઊર્જા સપ્તાહની ઉજવણી રિલાયન્સ દેશના ૮૪ પેટ્રોલપંપો પરથી ઈ-ર૦ ઈંધણનું વેંચાણ શરૂ કરાયું, અને તેને પાઈલોટ પ્રોજેક્ટ ગણાવાયો તે સમયે ઈ-ર૦ ઈંધણનો ઉપયોગ કરી શકાય, તે પ્રકારના વાહનોનું નિર્માણ કરવાની સૂચનાઓ અપાઈ, અને તે પ્રકારના એન્જિનો તૈયાર થયા, પરંતુ કેટલીક ફરિયાદો પણ ઊભી થઈ હતી. તે પછી તાજેતરમાં મિડલ ઈસ્ટની અશાંતિ અને હોર્મુઝ બંધ થવાના કારણે વૈકલ્પિક ઊર્જાથી સંચાલિત વાહનો ચલાવીને પેટ્રોલ-ડીઝલ-ગેસની બચત કરવાના અભિયાનો શરૂ થયા, પરંતુ તેમાંથી ઈ-ર૦ ના ઉપયોગનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો.

આ મુદ્દે હવે વધું ગરમાયો છે, અને છત્તીસગઢની અદાલતે એક કાર ઉત્પાદક કંપની સામે ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપીને નવી કાર અથવા વ્યાજ સાથે કેશ રિફંડ કરવાનો આદેશ કર્યો, તે કિસ્સાના કારણે ઈ-ર૦ ઈંધણ ફરીથી ટોક ઓફ ધ નેશન બન્યું છે.

એક ગ્રાહકે જુન-ર૦ર૪ માં એક હાઈબ્રિડ કાર ખરીદી, જેમાં ઈ-ર૦ નો વપરાશ થઈ શકે, તેવી સિસ્ટમ હોવાનું કહીંને કંપનીએ આ કાર ડિસેમ્બર-ર૦ર૩ માં (એટલે કે ઈ-ર૦ ઈંધણનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયા પછી) બની હોવાનું ગ્રાહકને જણાવ્યું હતું, તે પછી એક જ મહિનામાં ગાડી ધાંધિયા કરવા લાગી, તે પછી કાર ઉત્પાદન કંપનીએ હાથ ઊંચા કરી દેતા અને ગેરંટીમાં આ પ્રકારનો ફોલ્ટ નહીં હોવાનું કહીને રૂ।. પાંચ લાખથી વધુનો ચાર્જ જણાવ્યો, તે પછી ગ્રાહકે કાનૂની કદમ ઊઠાવ્યા અને મામલો રાયપુર જિલ્લા ગ્રાહક ફોરમમાં માર્ચ-ર૦રપ માં પહોંચ્યો, તે પછી અદાલતના આદેશથી લેબોરેટરી ચેકીંગ, ટેકનિકલ તપાસ વગેરે કરાયું અને સુનાવણીના અંતે ગ્રાહક અદાલતે ઠરાવ્યું કે ઈ-ર૦ ઈંધણને અનુરૂપ એન્જિન નહીં હોવા છતાં કંપનીએ ગ્રાહકને જાન્યુઆરી-ર૩ માં ઉત્પાદિત કાર (ડિસેમ્બર-ર૩ માં બની હોવા છતાં) વેંચી હતી, જેથી કાર કંપનીએ નવી કાર ગ્રાહકને આપવી પડશે, જે ઈ-ર૦ ઈંધણને અનુરૂપ હોય, અથવા તો રૂ।. ર૦.પ લાખ ગ્રાહકને ચૂકવવા પડશે. હવે દોઢ મહિનાની મુદ્ત મળી હોવાથી કંપની કદાચ અપીલ કરી શકશે અથવા ભૂલ સ્વીકારીને ગ્રાહક ફોરમના આદેશનો અમલ કરશે, તે ચર્ચાનો વિષય છે, પરંતુ આ કેસના કારણે દેશમાં ઈ-ર૦ ઈંધણ કેટલું ઉપયોગી છે અને કેટલું નુક્સાનકારક છે, તેની ચર્ચા એક વખત ફરીથી શરૂ થઈ ગઈ છે, અને ઈ-ર૦ ઈથોનોલના નિર્ણય બદલ મોદી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલ-ગેસ જેવું ઈંધણ વાહનો માટે પસંદગીનું ઈંધણ છે અને તેની સામે પર્યાવરણ સુરક્ષા આયાતબીલમાં ઘટાડો અને ઈંધણની પ્રવર્તમાન સંજોગોમાં તંગ સ્થિતિ સહિતના કારણો સાથે હાલમાં ઈ-ર૦ ઈંધણના વપરાશની તરફેણ કરવામાં આવી રહી છે, અને આ માટે પહેલેથી જ પ્રયત્નશીલ રહેવા કેન્દ્રિય માર્ગ-વાહનવ્યવહાર મંત્રી નીતિનભાઈ ગડકરી આ માટે જોરદાર ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે ઈ-ર૦ ઈથોનોલના ઉપયોગથી ગ્રાહકોને તો કોઈ ખાસ લાભ થતો નથી, પરંતુ વાહનોના એન્જિનો ખરાબ થઈ જાય છે, તે પ્રકારનો વિવાદ ઊઠ્યો હોવાથી તાજેતરમાં જ ગડકરીએ કહ્યું હતું કે, જેને ઈ-ર૦ માં વિશ્વાસ ન હોય, તે મોંઘુ પેટ્રોલ ભરાવે... બાકી ઈ-ર૦ નો ઉપયોગ કરવાથી તેના માટે સ્પેશ્યલ એન્જિનો બનાવાયા હોય, તેવા વાહનો બગડી જતાં હોવાની વાત ખોટી છે, વગેરે...

નીતિન ગડકરીને આ પ્રકારના અહેવાલો પ્રેસ-મીડિયામાં આવતા રહ્યા અને આ વિવાદ ચાલતો જ હતો, તેવામાં એક નવો જ વિવાદ ઊભો થયો. કેજરીવાલે તો 'સફેદ જૂઠ' બોલવાનો ધગધગતો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવ્યો અને ઈ-ર૦ ઈથોનોલનો ઉપયોગ કરનાર (મંત્રી) ને સજા કરવાની માંગણી પણ કરી દીધી હોવાના અહેવાલો પછી દેશની રાજનીતિ પણ ઉકળવા લાગી હતી.

વિપક્ષી નેતાઓએ તો ત્યાં સુધી આરોપો લગાવ્યા છે કે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના પરિવાર (દીકરાઓ) ની ખાંડ અને ઈથોનોલ કંપનીઓ છે, જેને ફાયદો પહોંચાડવા નીતિન ગડકરીએ ઈ-ર૦ ફરજિયાત કરવાનો પ્રયાસ કર્યો હશે.

આ પ્રકારના આરોપોનો જવાબ આપતા ગડકરીએ કહ્યું કે, દેશના ઈથોનોલ બિઝનેસના ૦પ ટકાથી પણ ઓછી ભાગીદારી છે અને તેના પર રૂ।. ૧૬૦૦ (સોળસો) કરોડનું દેવું છે. તેમણે આલોચકોને ઈ-ર૦ ઈંધણથી એન્જિન ખરાબ થતા હોવાના કોઈ પ્રામાણિક પુરાવા હોય તો રજૂ કરવાનો પડકાર પણ ફેંક્યો છે.

જેના જવાબમાં રસપ્રદ આંકડાઓ પણ રજૂ થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ દેશનો ઈથોનોલ બિઝનેસ વર્ષ ર૦રપ માં અંદાજે લગભગ રૂ।. પ૦ હજાર કરોડનો હતો, તો તે ગણતરીએ ગડકરીજીના દાવા મુજબ ૦.પ ટકા કેટલા થાય? એક બીજા અંદાજ મુજબ ભારતમાં ઈથોનોલ સંબંધિત ટર્નઓવર ૧ થી દોઢ લાખ કરોડનું હોય, તો તેના ૦.પ ટકા કેટલા થાય? જરા વિચારો...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દાનચોરી ઉ૫રાંત સંસદમાં ગુંજશે સરકારી બેન્કના ખાનગીકરણનો મુદ્દો...

                                                                                                                                                                                                      

આગામી ૨૦ જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે એક તરફ સરકાર કોઈક મોટું કદમ ઉઠાવવા જઈ રહી હોવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે, અને મહિલા આરક્ષણ સાથે લોકસભાના મતવિસ્તારોના નવા સિમાંકન સંબંધિત પ્રસ્તાવ ફરીથી રજૂ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષો અયોધ્યાના રામમંદિરમાં દાનચોરીનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે, અને મોદી સરકાર તથા ભારતીય જનતા પક્ષની ઘેરાબંધી કરશે, તેવા સ્પષ્ટ સંકેતો પણ મળી રહ્યા છે.

ગઈકાલથી શરૂ થયેલી ચર્ચા મુજબ સંસદમાં દાનચોરી ઉપરાંત એક એવો મુદ્દો પણ ઉછળવાનો છે, જેમાં કેન્દ્ર સકરકારની વિદેશનીતિ ઉપરાંત અર્થનીતિ સામે પણ સવાલ ઊભા થવાના છે. ગઈકાલે એવા અહેવાલો આવ્યા હતા કે ભારત સરકાર અને એલઆઈસીનો આઈડીબીઆઈ બેન્કમાં જે ૬૦.૭૨ ટકા જેટલો હિસ્સો છે, તે કેનેડાની દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ કંપની ફેયર ફૈકસ ફાયનાન્સિયલ હોલ્ડિંગ્સને વેચવાની ડીલ લભગભ ફાયનલ થઈ ગઈ છે.

ગઈકાલથી આધારભૂત વર્તુળોને ટાંકીને ચાલી રહેલી ચર્ચા મુજબ ભારતીય મૂળના કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સાની આ કંપનીએ આઈડીબીઆઈ બેન્કના શેરો માટે સૌથી ઊંચી બોલી લગાવી છે.

એવું કહેવાય છે કે આ સોદા માટે એમિરેટ્સ એનબીડી-(દુબઈ) પણ રેસમાં હતી, પરંતુ ફેયર ફૈકસની શેર દીઠ રૂા. ૮૧ની બોલી પછી આ ડીલ લગભગ ફાયનલ ગણાય છે. આ પહેલા ફેયર ફેકસે શેરદીઠ રૂા. ૭૫ની બોલી લગાવી હતી, જેને ઠુકરાવી દેવામાં આવી હતી, તે પછી ફેયર ફૈકસે બોલી વધારી દીધી હતી, અને આ સોદો થશે તો તે રૂા. ૫૩ હજાર કરોડથી વધુનો હશે, તેમ મનાય છે. જો આ ડીલ થશે તો ભારતીય બેન્કીંગ ઈતિહાસમાં આ સૌથી મોટું ફોરેન ઈન્વેસ્ટમેન્ટ હશે. એવું કહેવાય છે કે આ ડીલને ભારત સરકારના નાણા મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધી છે. જો કે, આ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે અને જો આ સોદો થાય તો ફેયર ફૈકસે સાર્વજનિક શેરધારકો માટે એક ઓપન ઓફર પણ કરવી પડશે. બીજો એક અવરોધ પણ આ સોદાના સંદર્ભે પાર પાડવો પડે તેમ છે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ ફેયર ફૈકસની ભારતના કેરળની એક બેઠક સીએસબી બેન્કમાં હિસ્સેદારી છે, તેથી ફેયર ફૈકસે નવી ડીલ કરવી હોય તો કાં તો સીએસબીની હિસ્સેદારી છોડવી પડે અથવા વિલીનીકરણ કરવું પડે.

જો કે, આ મુદ્દે પણ નિર્ણય લેવાઈ ગયો છે, પરંતુ તેને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મંજુરી મળે, તેના પર સમગ્ર ડીલનો આધાર રહેવાનો છે, તેના કારણે જ કદાચ નાણાં મંત્રાલયની લીલી ઝંડી તથા લગભગ ફાયનલ થયેલી ડીલને હજુ આખરી ઓપ અપાયો નથી.

આ અહેવાલ પછી જો આ નિર્ણય લેવાયો હોય તો તેને કેટલાક શેરધારકો તથા ઈન્વેસ્ટરો વિગેરેના વર્તુળો દ્વારા મિશ્ર પ્રત્યાઘાતો અપાઈ રહ્યા છે, જ્યારે પહેલેથી જ રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણનો વિરોધ કરી રહેલા વિપક્ષોએ આકરી ટીકા કરી છે.

વિપક્ષના વર્તુળોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રીય બેન્કોના ખાનગીકરણથી દેશની સાર્વજનિક સંપત્તિ ખાનગી માલેતુજારોના હાથમાં જશે, જે દેશહિતના વિરોધમાં છે. વિપક્ષી નેતાઓ ઉપરાંત કેટલાક કર્મચારી સંઘોએ પણ આ પ્રકારના કદમને વર્ષ ૨૦૦૩માં સંસદમાં અપાયેલા અવિશ્વાસનોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. જહોન બ્રિટાીસ સહિતના સાંસદોએ પણ વિદેશી કંપનીઓને ૫૦ ટકાથી વધુની હિસ્સેદારી આપવા સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. કર્મચારી યુનિયનોના વર્તુળોમાં એવો ફફડાટ પણ વ્યાપી ઉઠયો છે કે જો સરકારી બેન્કનું ખાનગીકરણ થશે, તો પ્રવર્તમાન સ્ટાફ, વેતન અને નોકરીની શરતો વગેરે અંગે અસુરક્ષાની ભાવના ઊભી થશે, એટલું જ નહીં, અવિશ્વસનિયતા વધતા ગંભીર પ્રકારનું સંકટ પણ ઊભું થશે અને નિષ્ઠાપૂર્વક ફરજો બજાવતા ભારતીય નોકરિયાતોનું તથા બેન્કના વફાદાર કસ્ટમરોનું હિત પણ જોખમાશે.

પહેલેથી જ સરકારી બેન્કોના ખાનગીકરણ સામે કર્મચારી યુનિયનો વિરોધ કરતા રહ્યા છે. ઓલ ઈન્ડિયા આઈડીબીઆઈ ઓફિસર્સ અને સ્ટાફે દિલ્હીના જંતરમંતર પર ધરણાં પણ કર્યા હતા. આ ધરણાં દરમ્યાન વિપક્ષના કેટલાક સાંસદોએ તેઓની મુલાકાત લઈને સમર્થન પણ જાહેર કર્યું હતું.

ખાનગીકરણ થતાં જ અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી આરક્ષણ ખતમ થઈ જશે, કારણ કે અનામત માત્ર સરકારી બેન્કોમાં જ લાગૂ પડે છે. વિદેશી કંપની પોતાના હિતોનું જ રક્ષણ કરશે, અને પોતાના નફા માટે જ કામ કરશે, જેથી ગ્રામ્ય વિસ્તારોની બેન્કીંગ સેવાઓ, જનકલ્યાણની યોજનાઓ તથા સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓ સુધી પહોંચતા કરવામાં મુશ્કેલી પડશે, જેથી દેશની સામાન્ય જનતાને આ સોદો ઝટકા સમાન હશે, તે પ્રકારના ઘેરા પ્રત્યાઘાતો સંભળાઈ રહ્યા છે, તો તેની સામે આ તમામ આશંકાઓનો છેદ ઉડાડતી દલીલો પણ રજૂ થઈ રહી છે. જો કે, મહત્તમ જન સમર્થન કર્મચારી યુનિયનો તરફી જણાય છે અને વિપક્ષનું પણ સમર્થન મળ્યું હોવાથી આ મુદ્દો પણ સંસદમાં જોરદાર આક્રમકતા સાથે વિપક્ષના સાંસદો ઉઠાવશે, તેમાં કોઈ સંદેહ જણાતો નથી.

એ ઉલ્લેખનિય છે કે આ પહેલાં પણ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આઈડીબીઆઈ બેન્કના કર્મચારીઓ સાથે મુલાકાત પછી ખાનગીકરણનો પ્રચંડ વિરોધ વ્યક્ત કરતા નિવેદનો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ફાયદામાં ચાલી રહેલા સાર્વજનિક ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર કે વિદેશી હાથોમાં સોંપવું એ દેશહિતના વિરોધમાં તો છે જ, પરંતુ સામાન્ય જનતા માટે અને બેન્કીંગ કર્મચારીઓના હિતોની પણ વિરૂદ્ધમાં છે. તેમણે પડકાર ફેંક્યો હતો કે કોંગ્રેસ આ પ્રકારની જનવિરોધી નીતિઓનો સડકથી સંસદ સુધી સામનો કરશે. કોંગી નેતા જયરામ રમેશે પણ આ નીતિનો જોરદાર વિરોધ કર્યો છે. હવે આ મુદ્દો સંસદમાં પણ જોરશોરથી ગુંજશે કે સરકાર વિપક્ષોને ગળે ઉતરે તેવી ચોખવટ કરીને વિરોધ સમાવશે, તે જોવું રહ્યું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

વ્યાજખોરોને નાથવા લેન્ડ ગ્રેબીંગ એક્ટ જેવો કાયદો બનાવો...

                                                                                                                                                                                                      

હાલાર સહિત રાજ્યમાં વ્યાજખોરોની ક્રૂરતાના ઘણાં કિસ્સાઓ સામે આવતા હોય છે, ઘણાં જ ઊંચા વ્યાજે લોકોને ગેરકાયદે નાણાની ધીરધાર કર્યા પછી મુદ્લ કરતા અનેકગણુ વ્યાજ વસૂલ્યા પછી અને મૂળ રકમ પણ ભરપાઈ કરી દીધા પછી પણ તોતિંગ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને ધાકધમકી આપીને કે માર-કૂટ કરીને જમીન, માલ-મિલકત કે આભૂષણો જેવી કિંમતી ચીજો હડપી લેવાની વ્યાજંકવાદીઓની મોડસ ઓપરેન્ડી હોય છે.

ગઈકાલે જ ગુજરાતના પાટણ જિલ્લાની એક ઘટનાના સમાચારે આખા રાજ્યમાં ચર્ચા જગાવી હતી અને તેના રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે, કારણ કે સામાન્ય રકમની ઉઘરાણીમાં એક વ્યાજખોરે જે કૃત્ય કર્યું, તે માત્ર સરકાર જ નહીં, પરંતુ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. આ જ પ્રકારની ઘટનાઓ જો વધતી રહેશે, તો તેને લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર કાળુ કલંક અને શાસન-પ્રશાસનની ઘોર નિષ્ફળતા જ ગણવી પડે તેમ છે, કારણ કે જો નરાધમોને કાયદાનો ડર જ નહીં રહે, તો સામાજિક સમતુલા અને સુરક્ષા તદ્ન ભાંગી પડશે.

ગુજરાતના પાટણ જિલ્લાના ખાલકપુરા ગામની એક મહિલાએ વ્યાજખોર પાસેથી ઘરખર્ચને પહોંચી વળવા માટે પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં. તે પછી આ મહિલા પાસે વ્યાજખોરે ઉઘરાણી કરી, તો મહિલાએ થોડો વધારે સમય માંગ્યો, તો વ્યાખજરોે એ મહિલાને કોઈ જવલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી, અને તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાઈ, પરંતુ સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થઈ ગયું. તેણીના મૃત્યુ પહેલા પોલીસે તેણીનું મૃત્યુ પહેલાનું નિવેદન (ડાઈંગ ડિક્લેરેશન) નોંધીને તપાસ હાથ ધરી છે. આ વ્યાજખોરને કડકમાં કડક સજા થવી જોઈએ, તેવી રાજ્યવ્યાપી માંગ પણ ઊઠી રહી છે.

આ કમકમાટીભરી અને નિંદનિય ઘાતકી ઘટનાના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને તંત્ર તથા સમાજ સામે ગંભીર પ્રશ્નો ઊઠી રહ્યા છે. આટલી નજીવી રકમ માટે કોઈનો આટલી ક્રૂરતાથી જીવ લઈ લેવો, એ કાયદો-વ્યવસ્થા સામે તો એક પડકાર છે જ, પરંતુ આ પ્રકારની ક્રૂરતાભરી દયાહીન માનસિક્તા સમાજમાં પનપી રહી હોય તો તે સભ્યસમાજ સામે પણ લાલબત્તી છે. આટલા કડક કાયદાઓ હોવા છતાં જો વ્યાજખોરો અંકુશમાં રહેતા ન હોય અને રોજ-બ-રોજ આવી ઘટના બનતી રહેતી હોય તો તે રાજ્યના ગૃહવિભાગ અને રાજ્ય સરકાર માટે પણ લાંછન સમાન છે.

એક તરફ રાજ્યભરમાં ઠેર-ઠેર પોલીસતંત્ર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશો ચલાવાઈ રહી છે, અને જનજાગૃતિ માટે પ્રયાસો વધારાયા છે તથા વ્યાજખોરોને વીણી વીણીને પાઠ ભણાવવાના દાવાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી નથી, તેથી આ બદી ડામવા માટે વધુ કડક કાયદા સાથે સામાજિક જાગૃતિ અને લોકોને જરૂર પડ્યે પાંચ-પચીસ હજાર જેવી રકમ સહકારી ક્ષેત્ર કે કોઈ સોશિયલ ફંડ ઊભુ કરીને ત્યાંથી ટૂંકી મુદ્ત માટે ઉછીની મળી રહે, તેવી કોઈ વ્યવસ્થા સમાજ-સરકારના સહિયારા સંયોજનથી થાય, તે અત્યંત જરૂરી છે.

એવું કહેવાય છે કે, પાટણની ઘટનાનો મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો છે. તે ઉપરાંત વિપક્ષી વર્તુળોમાં પણ આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાણો પડ્યા છે. વ્યાજખોરો કાંઈ સીમાપારથી આવતા નથી, તેઓ આપણી (સમાજની) વચ્ચે જ રહે છે અને સમાજની નજર સામે જ આ પ્રકારની ક્રૂરતા કરે છે. એવા અનેક દૃષ્ટાંતો રાજ્યભરમાંથી સંભળાય છે, જેમાં વ્યાજખોરોએ તોતિંગ વ્યાજની સામે જમીન, ખેતર, મકાન કે અન્ય સ્થાવર-જંગમ મિલકત પડાવી લીધી હોય. ઘણાં લોકો વ્યાજખોરોને કાયદાનો ડર ન હોવા પાછળ કોઈ મજબૂત અદૃશ્ય પીઠબળ અને સાઠગાંઠની આશંકાઓ પણ વ્યક્ત કરતા હોય છે, અને સંભવિત ભ્રષ્ટાચાર તરફ અંગૂલીનિર્દેશ થતો હોય છે.

જો પોલીસતંત્રના સંનિષ્ઠ પ્રયાસો અને સામાજિક જાગૃતિના પૂરપૂરા પ્રયત્નો છતાં જો આ ક્રૂર ગુનાખોરી અંકુશમાં આવતી ન હોય, તો સમાજોને સ્થાનિક ધોરણે વ્યાજખોરોના સામૂહિક બહિષ્કાર અને હિંમતપૂર્વકના પ્રતિકારની સાથે સાથે વ્યાજખોરો સામે લોકો વધુ મુક્તમને ફરિયાદ કરી શકે, તે માટે ગામે-ગામ અને શહેરોના પ્રભાવિત વિસ્તારોમાં અવારનવાર વ્યાજખોરમુક્તિ કેન્દ્રો ખોલવા જોઈએ. સરકારે પણ આ પ્રકારના કૃત્યોનો અસાધારણ કે માનવતા વિરોધી ગુન્હો ગણીને (આતંકવાદી કે ઉગ્રવાદી-અલગતાવાદી સામે થાય છે તેવી) કડક કાનૂની કાર્યવાહી થઈ શકે, તે માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ જેવો કડક કાયદો બનાવવો જોઈએ.

એવું નથી કે સરકાર, સમાજ કે પોલીસતંત્ર આ મુદ્દે કોઈ પ્રયત્નો જ કરતા નથી, પરંતુ આ તમામ પ્રયાસોને મજબૂત કાનૂની પીઠબળ મળે, તે માટે અત્યંત કડક કાયદાની જરૂર છે અને તે ઉપરાંત ગામેગામ વ્યાજખોરો સામે લોકઆંદોલનો તથા વ્યાપક જનજાગૃતિ પણ જરૂરી છે. સરકારની પ્રવર્તમાન વ્યાજખોરી વિરૂદ્ધની કડક ઝુંબેશો છતાં નિર્દય વ્યાજખોરોને અંકુશમાં લઈ શકાતા ન હોય તો 'લિકેજ' ક્યાં છે, તે શોધવું પડેે તેમ છે. આ રાજ્યવ્યાપી મુદ્દો ગુજરાતના સાંસદો આગામી સંસદીય સત્રમાં સંસદમાં પણ ઊઠાવશે, ધારાસભ્યો વિધાનસભામાં પણ ઉઠાવશે અને સ્થાનિક કક્ષાએ પણ રાજનેતાઓ 'વગદાર' વ્યાજખોર કૂચક્રને ભેદવા કટિબદ્ધ થશે તે ઉપરાંત લોકોને નાની-નાની રકમની લોન સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ થાય, તેવી કોઈ સામાજિક વ્યવસ્થા થશે, તો આ દૂષણ સામે પરિણામલક્ષી લડત આપી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંસ્કારોની સરવાણી, મમતાની મૂર્તિ, પૂ. બા ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

                                                                                                                                                                                                      

સ્વ. લલિતાબેન રતિલાલ માધવાણી

વૈકુંઠવાસ તા. ૧૩-૦૭-ર૦૦૭

સંસ્કારોની સરવાણી સમા મમતાની મૂર્તિ એવા પૂ. બા વૈકુંઠવાસી થઈ ગયા, તેને બે દાયકા થયા છે, છતાં તેઓની મમતાનો છાંયડો અને સ્નેહભરી હૂંફની અનુભૂતિ અમે આજ પણ કરી રહ્યા છીએ. તેઓ આપણી વચ્ચે હતા, ત્યારે મમતા, પ્રેમ અને હૂંફાળો જે સ્નેહ વરસાવ્યો, તેને ક્યારેય વિસરી શકાય તેમ નથી.

પૂ. બા ની સાદગી, સરળતા અને ગૌરવપ્રદ જીવનશૈલી હંમેશાં પ્રેરણાત્મક રહી હતી. તેઓએ પરિવારને એવા સંસ્કારો આપ્યા, જે આજે પણ અમારૂ પ્રેરક પથદર્શન કરી રહ્યા છે. અમારા પૂ. પિતાશ્રી રતિલાલ માધવાણીના જીવનસંગિનિ તથા પરિવારના મોભી તરીકે તેઓએ હંમેશાં સમર્પિત ભાવથી યોગદાન આપ્યું છે, અને 'નોબત' દૈનિકનું પણ પડકારરૂપ સમયથી લઈને વટવૃક્ષ બન્યું ત્યાં સુધી પરિશ્રમપૂર્વક સિંચન કર્યું છે.

પૂ. બા માં સૌ કોઈને પોતાના પરિવારજન કરી લેવાની અદ્ભુત શક્તિ હતી અને તેઓના માયાળુ સ્વભાવના કારણે તેઓ અમારા બધાનું પ્રેરકબળ બન્યા હતા. તેઓ તે સમયે હતા, એવા જ અત્યારે પણ અમારી સ્મૃતિમાં જીવંત છે અને માતાની ખોટ તો ક્યારેય પૂરાય તેવી હોતી જ નથી. 'માઁ' શબ્દ ઉચારતા જ મમત્વનો ધોધ વહેતો હોય, તેવી લાગણી જન્મે છે. તેઓની કાલ્પનિક સ્મૃતિઓ વાગોળતા અનોખી પ્રેરણા સાથે અદ્ભુત શાંતિની અનુભૂતિ પણ થાય છે.

પૂ. બા નો પ્રસન્નચિત્ત ચહેરો, હંમેશાં સક્રિય રહેતી જીવનશૈલી, સુમધૂરવાણી, સંસ્કાર અને સંસ્કૃતિથી ભરપૂર કાર્યશૈલી અને હેતાળ મિલનસાર સ્વભાવના કારણે તેઓ સૌ કોઈના હૈયે વસી જાય, તેવું વ્યક્તિત્વ હતાં. તેઓ આજે પણ વૈકુંઠમાંથી અમારા બધા પર અમીભર્યા આશીર્વાદ વરસાવી જ રહ્યા છે, અને અમારો પ્રેરણાપથ કંડારી રહ્યા છે.

જ્યારે ૧૩ જુલાઈ-ર૦૦૭ ના પૂ. બા એ વૈકુંઠગમન કર્યું, ત્યારે અમોને બધાને કારમો આઘાત લાગ્યો હતો, પણ કુદરતની ઘટમાળમાં આપણું કાંઈ ચાલતું નથી. પૂ. બા ના સમગ્ર જીવનમાંથી હંમેશાં અમને બધાને પ્રેરણા મળતી રહે, અને તેઓનો દિવ્યાત્મા આપણા બધા પર હંમેશાં અમીભર્યા આશીર્વાદ વરસાવતો રહે, તેવી શ્રીજીને પ્રાર્થના સાથે પૂ. બા ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ...

જામનગર

તા. ૧૪-૦૭-ર૦ર૬

- માધવાણી પરિવાર

- 'નોબત' પરિવાર

સિટી બસમાં મહાનુભાવોની મુસાફરી મહત્ત્વપૂર્ણ... રિયાલિટી ચેક સાથે 'સિસ્ટમ' સુધારણા...

                                                                                                                                                                                                      

જામનગરમાં સ્થાનિક પરિવહન માટે સિટીબસોની સેવા ધીમે ધીમે વિસ્તરી રહી છે. કેટલાક ઓછા જાણીતા થયેલા મહાનુભાવો, જાગૃત નાગરિકો અને પ્રોફેશ્નલો જુદા જુદા રૂટ પર સ્વયં મુસાફરી કરીને કદાચ 'રિયાલિટી ચેક' કરતા હોવાનું તથા કેટલાક પ્રતિષ્ઠિતો ઈંધણ બચાવવાના રાષ્ટ્રીય આહ્વાન તથા પર્યાવરણ જાગૃતિ માટે ઈલેક્ટ્રીક એરકન્ડિશન્ડ સિટીબસમાં રોજીંદો પ્રવાસ કરીને દૃષ્ટાંત બેસાડવાનો પ્રયાસ કરતા હશે,તેમ મનાય છે. ઈરાન-અમેરિકા યુદ્ધ ફરીથી ફાટી નીકળતા ફરીથી ઈધણના કરકસરપૂર્વકના ઉપયોગની દેશને જરૂર છે, ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ સહિત જાગૃતિ નાગરિકો સિટીબસનો પ્રવાસ નિયમિત રીતે કરીને જનજાગૃતિ ફેલાવે તે આવકાર્ય પણ છે અને ઈચ્છનિય પણ છે.

બંગલુરૂમાં તો રાજ્ય સરકારના પરિવહન મંત્રીએ પોતે જ મોઢા પર માસ્ક પહેરીને સિટીબસમાં પ્રવાસ કર્યો, તે દૃષ્ટાંત આજે ટોક ઓફ ધ નેશન બન્યું છે. કર્ણાટકના પરિવહન મંત્રી બાપરાથી સુરેશે શનિવારે રાત્રે જ્યારેે સિટીબસમાં મુસાફરી કરી, ત્યારે તેની પાસે ટિકિટના છૂટા પૈસા નહીં હોવાથી કન્ડક્ટરે તેઓને બસમાંથી ઉતારી મૂક્યા હતાં, અને તેઓ પોતાની ઓળખ છૂપાવીને બસમાંથી ઉતરી પણ ગયા હતાં. તે પછી તેેેમણે જ્યાંથી તેઓને ઉતારી મૂકાયા હતાં, તે સ્થળેથી ઓટોરિક્ષામાં મુસાફરી કરી હતી, તો રિક્ષાચાલકે મીટરમાં દર્શાવેલા ભાડા કરતા વધુ ભાડું વસૂલ્યું હતું. મંત્રીએ વધારાનું ભાડું લેવાનું કારણ પૂછ્યું, તો ઓટોચાલકે મીટર બગડી ગયું હોવાનું જણાવી બહાનું કાઢ્યું હતું. આ પ્રવાસ દરમિયાન ડ્રાઈવરે પણ એેક સ્ટોપ પર બસ ઊભી રાખી નહોતી, તે પછી બી.એમ.ટી.સી.- સરકારી બસના ડ્રાઈવર અને કન્ડક્ટર બન્નેને સસ્પેન્ડ કરી દેવાયા હોવાના અહેવાલો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યા છે, અને મંત્રીની આ 'પોલખોલ' પ્રવૃત્તિને આવકાર મળી રહ્યો છે.

સિટીબસમાંથી ઓળખ આપ્યા વિના ઉતરી ગયેલા પરિવહન મંત્રીએ તે પછી ઓટોચાલકને પોતાની સાચી ઓળખ આપીને કડક ચેતવણી આપી હોવાના કારણે સ્થાનિક રિક્ષાચાલકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો હતો.

બેંગ્લુરૂની આ પોલંપોલ દેશમાં બધી જગ્યાએ ચાલી રહી છે, અને જામનગર સહિત જ્યાં જ્યાં સિટીબસો ચાલે છે, તેવા સ્થળે આ પ્રકારના રિયાલિટી ચેક થતા રહે, તે ઈચ્છનિય પણ છે. કર્ણાટકના કોંગ્રેસી પરિવહન મંત્રીએ જ રિયાલિટી ચેક કર્યું તે જ પ્રકારનું રિયાલિટી ચેક ઘણી વખત પ્રેસ-મીડિયાવાળા પણ કરતા હોય છે, પરંતુ માત્ર મંત્રી જ નહીં, શાસક અને વિપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ પણ કરી જ શકે છે. આ પદ્ધતિથી 'સિસ્ટમ'માં સુધારો થઈ શકે છે. શરત માત્ર એટલી જ છે કે આ પ્રકારનું રિયાલિટી ચેક અવિરત અને જુદા જુદા વ્યક્તિઓ દ્વારા થતું રહેવું જોઈએ, અને ઉદ્દેશ્ય પબ્લિસિટી સ્ટંટ નહીં પણ જનજાગૃતિ ફેલાવવાનો હોવો જોઈએ.

બેંગ્લુરૂમાં તો રિયાલિટી કરવા નીકળેલા મંત્રીએ કદાચ કોઈ આસિસ્ટંટ કે સાથીદારને ગૂપચૂપ વીડિયો ઉતારી લેવાની વ્યવસ્થા કરી હશે, તેથી તે ઘટનાના વીડિયો પણ વાયરલ થયા હશે, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા સતત સમયાંતરે થતી રહે તો 'સિસ્ટમ' સુધરી શકે. આ પ્રકારના રિયાલિટી ચેકમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફીની ગુપ્ત વ્યવસ્થા જ કરવી પડે, અન્યથા જેનું ચેકીંગ કરવાનું હોય, તે ચેતી જાય અને 'પબ્લિસિટી સ્ટંટ'નો મુખ્ય ઉદ્દેશ્ય હોવાની આલોચના પણ થાય, આ પ્રકારના રિયાલિટી ચેક માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, વિપક્ષના નેતાઓ પણ કરી શકે છે.

સૌરાષ્ટ્રમાં સિટીબસ સેવાઓમાં ઘણાં બધા સુધારા-વધારા થવા જરૂરી છે. બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મેટ્રો સિટીઝમાં કાંઈક ઠીક ઠીક ચાલે છે, પરંતુ બીઆરટીએસ સિવાયની સિટીબસ સેવાઓને હજુ ઘણાં સુધારા-વધારા અને લોજેસ્ટિક અને પબ્લિક સપોર્ટની જરૂર છે, અને તેની સાચી અને સચોટ માહિતી તથા ફીડબેક આ પ્રકારના રિયાલિટી ચેક સતત અને વાસ્તવિક રીતે નિષ્ઠાપૂર્વક તથા પબ્લિક સર્વિસ સુધારણાની શુદ્ધ ભાવનાથી થતા રહે તો જ મળી રહે છે, બાકી મિટિંગો યોજીને ચર્ચા કરીને તથા દલાતરવાડીઓના જ ફીડબેક માંગીને કાંઈ વળવાનું નથી, તથા સ્થાપિત હિતોના ઈશારે જો નાચતા રહેવાનું હોય તો આ પ્રકારના રિયાલિટી ચેક ખરેખર જ પબ્લિસિટી સ્ટંટ બની શકે છે.

તાજેતરમાં જ જે શહેરોમાં પી.એમ. દ્વારા બસો ફાળવીને ઈછેક્ટ્રીક બસોનો વ્યાપ વધારાયો છે અથવા નવી શરૂ કરાઈ છે, ત્યાં રિયાલિટી ચેકીંગ ઉપરાંત પબ્લિકને સિટીબસો તરફ વાળવા તથા નગરોમાં નિયત કરેલા બસસ્ટોપ પર ટાઈમટેબલ સાથેના બોર્ડ, સર્કલો પર છાપરાવાળા સ્ટેન્ડ, નજીકમાં પાણીની તથા સેનિટેશનની વ્યવસ્થા, સિટીબસોમાં છૂટા પૈસાની માથાકૂટ નિવારવાના ઉપાયો તથા સૌથી વધુ આ બસો અવિરત સેવા આપતી રહે તે જરૂરી છે. જામનગરમાં એક બસ રસ્તા વચ્ચે ખોટકાઈ ગઈ, તો સુરત, ગોંડલ, ઉપલેટા સહિતના શહેરોમાં માર્ગો પર ખાડાઓ કે વરસાદી પાણીના જલભરાવના કારણે ફસાઈ ગઈ હોવાના અહેવાલો પણ માર્ગોની મરામત, જલભરાવની સમસ્યા નિવારવા તથા 'સિસ્ટમ' સુધારવાની જરૂર જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

થેલેસેમિયા સામે લડવા ટોપ ટુ બોટમ પ્રયાસો... અનુકરણીય પહેલ... જનજાગૃતિ જરૂરી

                                                                                                                                                                                                      

જામનગર (ગ્રામ્ય) પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસતંત્રે જે રક્તદાન કેમ્પ યોજ્યો અને તેમાં પોલીસ બેડાના જવાનો તથા અધિકારીઓએ બહોળી સંખ્યામાં જે રીતે રક્તદાન કરીને પોણાચારસોથી વધુ બોટલ બ્લડ એકત્રિત કર્યું, તેવા અહેવાલોએ હાલમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ તરફ લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે.

પહેલુ એ મહત્ત્વનું અને આવકાર્ય છે કે પોલીસતંત્રે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ માટે રક્તદાન કેમ્પ યોજીને સમાજ અને સમગ્ર દેશનું આ મુદ્દા તરફ ધ્યાન પણ ખેંચ્યું છે, અને થેલેસેમિયાની ગંભીરતા પણ સમજાવી છે. આ બીમારીથી ગ્રસ્ત બાળકો માટે આ રક્ત અમૃત જેવું જ છે જે તેઓને જીવન બક્ષે છે. પોલીસતંત્રની માનવતાલક્ષી બાજુ પણ ઉજાગર થઈ છે. તે ઉપરાંત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સરકારી હોસ્પિટલોમાંથી કોઈપણ પ્રકારની પરેશાની વિના નિઃશુલ્ક રક્ત મળતું રહે અને નિયમિત રીતે લોહી ચડાવાય, તેમ જ આ પીડામાંથી ગુજરતા બાળકો અને પરેશાનીઓથી મુંઝાયેલા, અટવાયેલા વાલીઓ, માતા-પિતા અને પરિવારજનોને પણ બ્લડબેંક તથા થેલેસેમિયા વિભાગના તબીબો, નર્સીંગ સ્ટાફ તથા સિક્યોરિટી સ્ટાફ સહિત તમામની હૂંફ મળતી રહે, તેવા નિરંતર પ્રયાસોની જરૂર તરફ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે, અને આ પવિત્ર કાર્ય સંપૂર્ણ સંવેદના તથા સહાનુભૂતિ સાથે કરતા સ્ટાફ તથા તબીબોની માનવીય સેવા તરફ પણ સૌનું ધ્યાન ખેંચાયું છે.

અત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોની જીવાદોરી ડોનેટેડ બ્લડના આધારે જ લંબાતી હોય છે અને બોર્નમેરોના જટિલ અને રિસ્ક લેવા જેવી શસ્ત્રક્રિયા સિવાય થેલેસેમિયાનો કોઈ ઉપચાર ઉપલબ્ધ નથી, ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળક જન્મે જ નહીં, તે માટે જનજાગૃતિ ફેલાવવાની ઘણી જ જરૂરી છે. ઘણાં જ્ઞાતિ-સમાજોએ લગ્ન પહેલા જ વર-કન્યાના થેલેસેમિયા ટેસ્ટ કરાવીને આગમચેતી રાખવામાં આવે, તે માટે વિશેષ અભિયાનો આદર્યા છે, અને તદ્વિષયક માહિતી-માર્ગદર્શન અને વ્યવસ્થાઓ પણ કરવમાં આવી રહી છે. થેલેસેમિયા ટેસ્ટીંગ કેમ્પોના શ્રેણીબદ્ધ આયોજનો તથા બ્લડ ડોનેશનના મેગા કેમ્પો યોજવાની ઝુંબેશો ચાલી રહી છે, જે આવકારદાયક છે.

આમ છતાં, હજુ પણ આ વિષયે દરેક છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી વ્યાપક અને આયોજનબદ્ધ રીતે જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, અને તેમાં સરકારી મશીનરી તથા સ્થાનિક સામાજિક સપોર્ટના સુદૃઢ સંકલન તથા તદ્વિષયક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે એનજીઓઝ-સ્વૈચ્છિક, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના સતત સક્રિય સહયોગની જરૂર રહે છે. થેલેસેમિયા હાલમાં એક કાયમી સમસ્યા છે, અને તેની સામે લાંબી લડત લડવાની હોવાથી ઉક્ત પ્રકારના પ્રયાસો પણ સતત અને સક્રિયતાથી ચાલતા રહે તે જરૂરી છે. આપણે નવા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જન્મતા જ અટકાવવા તથા બે માઈનોર થેલેસેમિયાગ્રસ્ત પાત્રો દ્વારા માઈનોર થેલેસેમિયાગ્રસ્ત સંતાનો જન્મે જ નહીં, તેવા પ્રયાસો ખૂબ જ ઝડપથી વ્યાપક પ્રમાણમાં વધારવા જ પડે અને સતત ચાલુ જ રાખવા પડે તેમ છે.

થેલેસેમિયાગ્રસ્ત બાળકોના પરિવારજનો બોર્નમેરો મેચ થાય, તો પણ તેનું જટિલ અને પર્યાપ્ત ઓપરેશન કરાવવા માટે સરકારી હોસ્પિટલો ઉપરાંત જે હોસ્પિટલોમાં આ પ્રકારની શસ્ત્રક્રિયાઓમાં સારા રિઝલ્ટ આવતા હોય, તેવી ટ્રસ્ટ સંચાલિત કે ખાનગી હોસ્પિટલોમાં પણ ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોની શસ્ત્રક્રિયાઓ થાય, તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના જેવી જ કોઈ અલાયદી યોજના અમલી બનાવવી જોઈએ, જેમાં આ પ્રકારના ઓપરેશનો માટે ગરીબ-મધ્યમ વર્ગીય પરિવારોને તત્કાળ મદદ મળી રહે.

આ ઉપરાંત કેનદ્ર-રાજ્યસરકારોએ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેની એવી અલાયદી વ્યવસ્થા કે કે રિઝર્વ બ્લડબેંકો ઊભી કરવી જોઈએ, જ્યાં બાળકોને નિયમિત અને ધક્કા ખાધા સિવાય જરૂરી બ્લડ પણ મળતું રહે અને તેના પરિવારોને વિવેકપૂર્ણ વ્યવહાર સાથે તબીબી તથા નર્સીંગ સિસ્ટમની હૂંફ પણ મળી રહે. આપણાં જ હજારો-લાખો બળકોની જિંદગીનો સવાલ હોવાથી કેન્દ્ર-રાજ્યકક્ષાએ અલાયદુ થેલેસેમિયા નિવારવા બોર્ડ ઊભું કરીને અને તેની સાથે સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલોને જોડીને તેના હેઠળ રાજ્યવાર થેલેસેમિયા નિવારણ બોર્ડ ઊભું કરીને અને તેની સાથે સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, સરકારી-અર્ધસરકારી, ખાનગી હોસ્પિટલોને જોડીને તેના હેઠળ રાજ્યવાર થેલેસેમિયા નિવારણ બોર્ડ અને જિલ્લાવાર અલાયદી અને સતત સક્રિય રહે તેવી જિલ્લા થેલેસેમિયા નિવારણ કમિટીઓ (વૈધાનિક રીતે) બને, જેમાં સંબંધિત તંત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સ્થાનિક જનપ્રતિનિધિઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીમંડળો રચીને તેનો સમાવેશ કરવામાં આવે તથા તેની સમયાંતરે બેઠકો યોજવા ઉપરાંત રોજીંદી કામગીરી અને પ્રવૃત્તિઓ માટે અલાયદુ મિકેનિઝમ ઊભું કરીને તેને રાજ્ય અને કેન્દ્રના આરોગ્ય વિભાગો દ્વારા ફંડીંગ કરવામાં આવે. એટલું જ નહીં, તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારની જિલ્લા સમિતિઓમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો જન્મ જ નહીં, તેની જનજાગૃતિમાં ઉપયોગી બનેે તેવી સંસ્થાઓ, વિશેષજ્ઞો અને લબ્ધપ્રતિષ્ઠિત સ્થાનિક અગ્રણીઓ તથા તબીબી જગતના નિષ્ણાતોને પણ સામેલ કરવા જોઈએ.

આ અનેવાંશિક બીમારી છે. દંપતીમાં બન્નેને માઈનોર થેલસેમિયા હોય તો મેજર થેલેસેમિયાગ્રસ્ત બાળક જન્મી શકે છે, અન આ પ્રકારની સંભાવનાઓને ટાળવા લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તે ઉપરાંત ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૬ મા અઠવાડિયા વચ્ચે પણ સીવીસી ટેસ્ટ કરાવાતો હોય છે. આ બધી તકેદારીઓ થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો જન્મદર ઘટાડવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અનિવાર્ય ગણાય.

આમ તો આ શુદ્ધ તબીબી જ્ઞાનનો વિષય છે, અને તે અંગે પૂરેપૂરી જાણકારી અને માર્ગદર્શન તો તબીબી નિષ્ણાતો તથા આરોગ્યતંત્ર જ આપી શકે, પરંતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંખ્યા વધતી અટકાવવા-ધીમે ધીમેે ઘટાડવા અને થેલેસેમિયા પર કાબૂ મેળવવા માટે ભગીરથ પ્રયાસો કરવા જરૂરી છે. હાલમાં થતાં પ્રયાસો 'ઊંટના મૂખમાં જીરૃં' જેવા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગેરકાયદે બાંધામો માટે સંબંધિત અધિકારીઓની નક્કી થઈ જવાબદારી... સાવધાન...

                                                                                                                                                                                                      

દેશભરની મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારોનો સુપ્રિમ કોર્ટે જે મુદ્દે કાન આમળ્યો છે, તે સીધો જનતાને તો સ્પર્શે જ છે, પરંતુ 'સિસ્ટમ' માટે પણ શરમજનક ગણાય, જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત આ પ્રકારની ટકોર કરે, ત્યારે તેની દેશવ્યાપી અને દૂરગામી અસરો થતી જ હોય છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય તંત્રોને સાંકળીને જે વ્યાપક ટકોરો કરી છે, તે ઘણી વખત સામાન્ય જનતામાં પણ ચર્ચાતો વિષય છે, અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ટકોર જામનગર સહિત દેશભરની મહાનગરપાલિકાઓ અને મ્યુનિસિપાલિટીઓ તથા રાજ્ય-કેન્દ્ર સરકારોની ટોપ ટુ બોટમ બ્યુરોકેસીને પણ લાગુ પડે છે.

હકીકતે એક ચોક્કસની સુનાવણી દરમિયાન તાજેતરમાં બનેલી જીવલેણ હોનારતોને ટાંકીને સુપ્રિમ કોર્ટે આપેલી સૂચનાઓ કે આદેશોની અમલવારી સામે અત્યંત નારાજગી વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટે જે કાંઈ કહ્યું છે, જે દેશભરના શાસકો-પ્રશાસકો માટે ઝટકા સમાન તેમજ શરમજનક છે.

દિલ્હીના સાકેત વિસ્તારમાં જર્જરિત વિમાન ધરાશાહી થવી, માલવિયા નગરની આગ, લખનૌના અલીજંગના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભયાનક આગ સહિતના ઘટનાક્રમોમાં તંત્રોની મિલીભગત, ભ્રષ્ટ નીતિ-રીતિ અથવા સખ્તાઈપૂર્વક અંગુલી નિર્દેશ કર્યો છે. દિલ્હીમાં ગેરકાયદેસર રીતે બહુમાળી ઈમારતો ખડકી દેવાઈ, અને તે તૂટી પડી, સાકેતની દુર્ઘટનામાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા, તો લખનૌની ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગ ૧પ નિર્દોષ લોકોને ભરખી ગઈ, તેવો ઉલ્લેખ કરીને સુપ્રિમ કોર્ટે સરકારી તંત્રોની આકરી ઝાટકણી કાઢી, તેને વ્યાપક આવકાર આપતા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

સુપ્રિમ કોર્ટની બે જજોની બેન્ચે જ્યારે કહ્યું કે કાયદો માત્ર દેખાડો કરવા માટે નથી. અદાલતે કહ્યું કે તંત્રો દ્વારા માત્ર ફેઈસ સેવીંગ એક્સરસાઈઝ થઈ રહી છે, એટલે કે આ પ્રકારની દુર્ઘટનાઓને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

અદાલતે સામાન્ય જનતામાં વ્યાપી રહેલી જનભાવનાઓ તથા આશંકાઓને વાચા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનાઓ પછી મકાનમાલિકો, બિલ્ડરો વગેરે સામે કાર્યવાહી થાય છે, પરંતુ આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ હોય, તે વિસ્તારના તદ્વિષયક સંબંધિત અધિકારીઓ સામે કોઈ પગલાં જ લેવાતા નથી, જે ઘણી જ ગંભીર બાબત ગણાય.

અદાલતે ગેરકાયદે બાંધકામોના સંદર્ભે પૂછ્યું કે, આ પ્રકારના ગેરકાયદે કૃત્યો-બાંધકામો પકડાય છે, ત્યારે માત્ર બિલ્ડરો સામે જ કાર્યવાહી થાય છે, પરંતુ પાયાના નિયમોના લીરેલીરા ઊડ્યા હોય, તેવા વિસ્તારોના સંબંધિત અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કેમ થતી નથી. દિલ્હી એમસીડીના અધિકારીઓની મિલીભગતથી જ બેફામ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા હોવાની ટકોર પણ થઈ હતી.

મે મહિનામાં અદાલતે આપેલી સૂચનાઓ તથા વ્યક્ત કરેલી ચિંતાઓમાં સર્વોચ્ચ અદાલતની નારાજગી સ્પષ્ટપણે પડઘાય છે. કોર્ટે તો ત્યાં સુધી કહી દીધું કે જો આવું જ ચાલશે તો સીધી જ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરીને લેખિતમાં સ્પષ્ટ આદેશો અપાશે, જે ઘણાં લોકો (અધિકારીઓ) ને ભીંસમાં મૂકશે. અદાલતનો ઈશારો ભ્રષ્ટ તંત્ર અને નેતાગીરીની મિલીભગત તરફ હોય તેવો આભાસ ઊભો થયો હતો.

સર્વોચ્ચ અદાલતે હકીકતે ખૂબ જ કડક અભિગમ અપનાવીને દિલ્હીની આઈઆઈટીના બે પ્રોફેસરો તથા બે ડ્રાફ્ટ્સમેનની એક સ્પેશ્યલ ઈન્સ્પેક્શન ટીમ બનાવવાનું ફરમાન પણ કર્યું છે. આ ટીમ એમસીડીના અધિકારીઓ સાથે સંકલન કરીને ઉક્ત તમામ ગેરકાયદે બાંધકામોની તલસ્પર્શી અભ્યાસ કરીને પોતાનો અહેવાલ અદાલતને સુપ્રત કરશે, અને આ સમગ્ર પ્રક્રિયાનું નિયમન એડિશનલ સોલીશીટર જનરલને સોંપાયું, તે અદાલતની આ મુદ્દે ગંભીરતા દર્શાવે છે. આ સંબંધિત રાજ્યો ઉપરાંત તામિલનાડુની નવી સરકારને પણ તામિલનાડુમાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે લેવાયેલા પગલાંનો રિપોર્ટ માંગ્યો છે.

આ તમામ સુનાવણી અને સુપ્રિમ કોર્ટનું સખ્ત વલણ 'સિસ્ટમ'ની નફ્ફટાઈ અને પોલંપોલને પણ ઉજાગર કરે છે.

આ દેશવ્યાપી મુદ્દો જે રાજ્યોના માધ્યમથી ચર્ચાયો અને સુપ્રિમ કોર્ટે એમસીડી અને દિલ્હીની રાજ્ય સરકારની સિસ્ટમને લતાડ લગાવી હોવાથી દિલ્હીની સર્વાધિક ચર્ચા થઈ રહી છે, અને ત્યાં 'ત્રિપલ' એન્જિનની સરકાર છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ભાજપની તથા તામિલનાડુમાં નવી રાજકીય પાર્ટી સત્તામાં છે, તેથી સ્વાભાવિક રીતે જ તેની જ આલોચના સંભળાય, પરંતુ વાસ્તવમાં જામનગર, ગુજરાત સહિત દેશભરમાં મોટાભાગની મહાનગરપાલિકાઓ અને શાસન-પ્રશાસનમાં સમાન સિસ્ટોમેટિક સડો વ્યાપી ગયો છે, અને તે તમામ રાજકીય પક્ષોને 'ભેદી' કારનામાઓ દ્વારા ભેદી શકે છે, તેથી હવે જનતાએ જ વધુ જાગવાની જરૂર છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સત્તા બદલાય, સિસ્ટમ નહીં, નેતા બદલાય, નીતિ નહીં... અમલદાર બદલાયા, 'અમલ' નહીં...!

                                                                                                                                                                                                      

દેશ અને રાજ્યમાં આઝાદી પછી ઘણી સરકારો બદલાઈ, અને તેની સાથે બ્યુરોક્રેટ્સ પણ બદલાતા રહ્યા, નેતૃત્વ બદલાયું, શાસક પક્ષો વિપક્ષમાં અને વિપક્ષી નેતાઓ શાસનમાં આવ્યા, ગયા ને બદલતા રહ્યા, વહીવટી તંત્રમાં અમલદારો બદલાતા રહ્યા, પરંતુ સરકારી રીત-રસમો, નીતિ-રીતિઓ, શાસન પદ્ધતિ કે અમલદારશાહી બદલી નહીં. આપણાં દેશમાં કેટલાક રાજાશાહી સમયના તો કેટલાક બ્રિટિશ સરકારના સમયના કાયદાઓ ચાલી રહ્યા છે. કેટલાક કાયદાઓ રદ્ થયા, કેટલાક બદલાયા, કેટલાક સુધારાયા અને કેટલાક નવા કાયદા ઘડાયા, પરંતુ સિસ્ટમ, નીતિ, પદ્ધતિ, અમલદારશાહી કે રીત-રસમો બદલી જ નહીં. આ પ્રકારની માન્યતાના ઘણાં દૃષ્ટાંતો આપણા દેશમાં ટોપ-ટુ-બોટમ મળતા જ રહ્યા છે. આપણાં દેશમાં સ્થાનિક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ દેશની જનતાએ ઘણી વખત આમૂલ પરિવર્તન થઈ જાય, તેવા જનાદેશો આપ્યા અને શાસનો બદલાતા રહ્યા, પરંતુ 'સિસ્ટમ', માનસિક્તા અને નીતિ-રીતિ બહું બદાલાય જ નહીં!!!

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ અને તેની સાથે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ થઈ. એક વખત ફરીથી ભારતીય જનતા પક્ષને પ્રચંડ જનાદેશ મળ્યો, તે પછી જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો નક્કી કરવામાં હાઈકમાન્ડે થોડી વાર લગાડી, અને તે દરમિયાન નવા બોડી અને ખાસ કરીને મેયર, ડે. મેયર, મહત્ત્વપૂર્ણ ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડીંગ કમિટી) ના ચેરમેન તથા અન્ય હોદ્દેદારો કોણ બનશે, તેની અટકળો ચાલી, ઘણાં નામો ચર્ચાયા, પરંતુ ભાજપની વિશેષતા મુજબ તદ્ન નવા જ ચહેરાઓની પસંદગી થઈ અને આ નવા હોદ્દેદારોએ હવાલોએ હવાલો સંભાળી લીધો.

જામનગરના નવા મેયર અને હોદ્દેદારો ર૬ મી મે-ર૦ર૬ ના હવાલો સંભાળ્યો, અને તે સમયે નગરજનોને આશા જાગી હતી કે હવે તદ્ન નવા અને ઉત્સાહી હોદ્દેદારો ફટાફટ નગરની સમસ્યાઓનું નિવારણ કરશે અને તમામ સેવાઓને નિયમિત અને ઝડપી બનાવી દેશે.

બીજી તરફ નવા હોદ્દેદારોએ કામકાજ સંભાળ્યું, તેના એકાદ અઠવાડિયા પહેલા જ જામનગરમાં નવા મ્યુનિસિપલ કમિશનર મૂકાયા હતાં. તેઓએ હવાલો સંભાળતા જ પ્રારંભમાં ઘણી જ સક્રિયતા દાખવી હતી અને કેટલાક મુદ્દે ઊંડો રસ દાખવ્યો હતો. નગરના પ્રશ્નો અને સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો, તેવી જ રીતે મેયર, ડે. મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારો પણ પ્રારંભમાં તંત્ર સાથે સંકલન કરીને કેટલાક મુદ્દે ઝડપી નિર્ણયો લેવાનો પ્રયાસ કર્યો હતો, તથા પહેલેથી જ તેઓ નગરના મુખ્ય પ્રશ્નો, નગરજનોની સમસ્યાઓ તથા અપેક્ષાઓથી માહિતગાર હોવાથી તદ્વિષયક મુદ્દાઓ ઊઠાવ્યા હતાં.

નગરમાં થતી ચર્ચા મુજબ નેતૃત્વ અને સત્તાધીશો બદલાયા છે, પરંતુ નીતિ-રીતિ, કાર્યપદ્ધતિ અને 'સિસ્ટમ' બદલતા વાર લાગવાની છે, કારણ કે તે માટે નક્કર નિષ્ઠા, ધમધમતી તત્પરતા અને ઝનૂન હોવું જોઈએ, જે નવા અધિકારી-પદાધિકારીઓએ કેળવવું જ પડશે. જન-પ્રત્યાઘાતોમાંથી જ એવા સૂર પણ સંભળાઈ રહ્યા છે કે હજુ તો નવા મ્યુનિ. કમિશનર અને નવા મેયર તથા નવી બોડીને ત્રણ મહિના પણ થયા નથી, તેથી તેઓને સમય આપવો જોઈએ, અને તેલ અને તેલની ધાર જોયા પછી જ અંતિમ અભિપ્રાય સુધી પહોંચવું જોઈએ.

એ વાત સાચી છે કે એવી માન્યતામાં દમ છે કે સત્તા બદલાય, પરંતુ સિસ્ટમ બદલાય નહીં, નેતા બદલાય પણ નીતિ બદલાય નહીં, અમલદાર બદલાય, પરંતુ 'અમલ', એટલે કે કાર્યપદ્ધતિ બદલાય નહીં, પરંતુ એવા દૃષ્ટાંતો પણ છે કે જ્યારે આ જ શાસકો-પ્રશાસકો મક્કમ નિર્ધાર કરે, પ્રામાણિક પ્રયાસો કરે, પ્રબળ ઈચ્છાશક્તિ દાખવે અને ભ્રષ્ટાચાને પનપવા ન દ્યે, તો કાંઈપણ કરી શકાય છે, અને જનતાની અપેક્ષાઓ સંતોષી શકાય છે.

અત્યારે જામ્યુકોમાં પદાધિકારીઓ પણ નવા છે અને મુખ્ય અધિકારી એવા મ્યુનિ. કમિશનર પણ જામનગરમાં નવા મૂકાયા છે. નવા બોડી પાસે તેના સિનિયર અને અનુભવી વરિષ્ઠ સાથીદારોનું માર્ગદર્શન છે, જ્યારે મ્યુનિ. કમિશનર પાસે પણ અનુભવી સહયોગીઓ છે, અને સ્વયં તાલીમબદ્ધ અને ઉત્સાહી છે. તેથી આ શાસકો-પ્રશાસકો પાસેથી નગરજનો એવી આશા રાખે છે કે તેઓ અયોગ્ય 'સિસ્ટમ'ને જનલક્ષી 'સિસ્ટમ'માં બદલે અને આ પ્રકારનું લક્ષ્ય હાંસલ કરવામાં નવા પદાધિકારીઓના સહયોગી બને, તથા પરસ્પર પૂરક બને.

બસ, એટલું જ ધ્યાન રાખવાનું છે કે, સ્થાપિત હિતો, ભ્રષ્ટ પરિબળો અને ખુશામતખોર લેભાગુ તત્ત્વોને પોતાની નજીક ફરકવા જ ન દ્યે, અને ખાસ કરીને કૌભાંડિયા ગરબડદાઓથી હંમેશાં સાવધાન રહે...

આઝાદી પહેલા અને પછીના ઈતિહાસમાં એવા ઘણાં પદાધિકારીઓ અને અધિકારીઓ પણ નોંધાયા છે, જેને દાયકાઓ અને સદીઓ પછી પણ યાદ કરે છે... ચૂંટણીઓ જીતવી સહેલી છે, પણ લોકોના દિલ જીતવા અઘરા છે, અને જેઓ લોકોના દિલ જીતી લ્યે છે, તેઓને ક્યાંય મતો માટે મથવું પડતું હોતું નથી. તેવી જ રીતે લોકોના દિલ જીતનાર કેટલાક બ્યૂરોક્રેશ પણ ઈતિહાસમાં સૂવર્ણ અક્ષરે નોંધાયા છે...ગોલ્ડન ચાન્સ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વૈશ્વિક યુદ્ધો કરતા યે આંતરિક ગૃહયુદ્ધો વધુ ખતરનાક... ફરી વૈશ્વિક ચિંતા પ્રસરી...

                                                                                                                                                                                                      

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની વાતો વચ્ચે ઈરાન-અમેરિકા વચ્ચે થંભી ગયેલા યુદ્ધમાં પલિતો ચપાયો છે, અને ઈરાનના અટકચાળા પછી અમેરિકાએ ફરી એરસ્ટ્રાઈક કરી છે, તો બીજી તરફ વિશ્વના ભારત સહિતના ઘણાં તટસ્થ દેશો વિશ્વમાં શાંતિની સ્થાપનાના હિમાયતી છે. વિશ્વમાં વાતાવરણ ડહોળાયેલું છે, તેવા સમયે વિશ્વશાંતિની વકીલાત કરતા દુનિયાના તટસ્થ દેશો યુદ્ધોના બદલે વિવાદાસ્પદ મુદ્દાઓ વાતચીત અને સમજદારીથી ઉકેલવાની હિમાયત પણ કરતા રહ્યા છે, તેથી ટ્રમ્પની તુમાખી અને પુતિનની જીદ્ વચ્ચે હાલતુરત વિશ્વમાં વ્યાપક શાંતિના મંડાણ થશે, તેવી આશા ઠગારી નિવડતી જણાય છે.

તકલીફ એ છે કે શાંતિદૂત બનવા નીકળેલા અને શાંતિના નોબેલ પુરસ્કારનો અભરખો રાખનારા ટ્રમ્પે પોતે જ ઈઝરાયલ-ઈરાનના યદ્ધ વચ્ચે ઝંપલાવીને યુદ્ધ વહોરી લીધું, અને દુનિયાની મહાસત્તા હોવા છતાં ઈરાનને વટથી હરાવી કે ડગાવી નહીં શકનાર અમેરિકાની છબિ પણ ખરડાઈ તેથી ઘરઆંગણે અમેરિકામાં જ ટ્રમ્પનો વિરોધ વધુ વકરી રહ્યો છે.

એક તરફ યુદ્ધો ખતમ કરીને વૈશ્વિક શાંતિ સ્થાપવાના સામૂહિક પ્રયાસો નિષ્ફળ બની રહ્યા છે, તો બીજી વિશ્વના ઘણાં દેશોમાં આંતરિક અશાંતિ, વિદ્રોહ અને આઝાદીના આંદોલનોના કારણે ગૃહયુદ્ધો ગતિ પકડી રહ્યા છે, જેમાં ભારતના બે પડોશી દેશોમાં ચાલતા ગૃહયુદ્ધો મોખરે જણાય છે. આ ગૃહયુદ્ધો કોઈ બે દેશો વચ્ચે ચાલતા સશસ્ત્ર યુદ્ધો જેવા જ હોવાથી વૈશ્વિક ચિંતા વધી રહી છે.

તે ઉપરાંત વિશ્વના ઘણાં દેશોમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. સિરિયામાં તો લાંબા સમયથી આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રોન સિરિયાના પ્રવાસે હતાં, ત્યારે જ થયેલો વિસ્ફોટ આંતરિક ખેંચતાણનું જ પરિણામ છે, જો કે બશર-અલ-રશીદ સિરિયાના શાસક બન્યા પછી માહોલ બદલાયો છે, અને વિવિધ દેશો સાથે સંબંધ સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વિદ્રોહીઓ તેમાં અવરોધ ઊભા કરતા રહેતા હોવાથી બશર-અલ-રશીદને આંતરવિગ્રહનો સામનો કરવો પડી રહ્યો છે, જો કે મૈંક્રોને પ્રવાસ યથાવત્ રાખીને વિદ્રોહીઓને જવાબ આપી દીધો છે, પરંતુ આ આંતરયુદ્ધ પડકારરૂપ તો છે જ...

ભારતના પડોશમાં પણ આંતરવિગ્રહની ઘટનાઓ બની રહી છે. મ્યાનમારમાં રખાઈન રાજ્યમાં આંતરવિગ્રહ ચાલી રહ્યો છે. મ્યાનમારના સૈન્ય શાસન સામે રખાઈનની આઝાદીની માગણી સાથે અરાકાન આર્મી ગૃહયુદ્ધ કરી રહી છે. બૌદ્ધ સશસ્ત્ર સમૂહે અરાકાન સેનાની રચના કરીને રખાઈનને મ્યાનમારથી સ્વતંત્ર કરવા આદરેલી લાંબી લડત રંગ લાવી રહી છે, અને લોકતંત્રની સ્થાપનાની દિશામાં ચાલી રહેલી લડતને સફળતા મળવાના સંજોગો ઉજળા થવા લાગ્યા છે. મ્યાનમારની તાત્માડો સેના અને રખાઈનની અરાકાન આર્મી વચ્ચેનું ગૃહયુદ્ધ લાંબા સમયથી ચાલે છે, અને હવે અરાકાન આર્મીનું વર્ચસ્વ વધી રહ્યું છે.

હાલમાં અરાકાન આર્મીએ રખાઈન સ્ટેટના મહત્તમ હિસ્સા પર કબજો મેળવ્યા પછી ત્યાંના સ્થાનિક વહીવટી, આર્થિક અને કાયદાકીય સરકારી કામકાજો પણ સંભાળી લીધા છે, અને હવે રખાઈનને સ્વતંત્ર લોકતાંત્રિક દેશ ઘોષિત કરવાની માંગણી પણ વધુ ને વધુ તીવ્ર બની રહી છે.

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તો એકથી વધુ આંતરયુદ્ધો ચાલી રહ્યા છે. લાંબા સમયથી બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરવાની માંગણી સાથે બી.એલ.ઓ. એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી પાકિસ્તાનની સેના સાથે ગૃહયુદ્ધ લડી રહી છે.

બલુચ સંસ્કૃતિઓના રક્ષણ તથા લોકતાંત્રિક શોષણથી મુક્ત શાસન માટે આ આંદોલન ચાલી રહ્યું છે. પાકિસ્તાન સરકાર અને સેના તેઓને ઉગ્રવાદી ગણાવે છે, જ્યારે બલુચો આ સંગઠનને ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક સંગઠન માને છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા, ત્યારે પાકિસ્તાન સાથે મહત્તમ બલુચો જોડાવા માંગતા નહીં હોવા છતાં તે સમયે પાકિસ્તાન તરફી પરિબળોએ બલુચિસ્તાન પર કબજો જમાવી દીધો અને તે માટે ખૂનખરાબા થયા, એ અલગ ઈતિહાસ છે. હવે બલુચિસ્તાન પાકિસ્તાનની સેનાને જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે, અને પાકિસતાનથી અલગ સ્વતંત્ર લોકતાંત્રિક ધર્મનિરપેક્ષ દેશ તરીકે માન્યતા મેળવવા માંગે છે.

બીજી તરફ પીઓકેમાં પાકિસ્તાનની સરકાર અને સેના સામે પીઓકેની પ્રજાએ બળવો કર્યો છે. પીઓકેના લોકો પાકિસ્તાનથી વાસ્તવમાં આઝાદી ઈચ્છે છે. આ માટે જમ્મુ-કાશ્મીર અવામી એક્શન કમિટીની રચના થઈ છે. પાકિસ્તાનની સેનાના અત્યાચારો તથા પાકિસ્તાન સરકારની ભેદભાવભરી પક્ષપાતપૂર્ણ નીતિ સાથે કહેવાતા આઝાદ કાશ્મીર પર દમન અને અવગણના સામે જેએએસીની આ ચળવળ આઝાદી પહેલાની અંગ્રેજો સામેની સ્વાતંત્ર્ય ચળવળની યાદ અપાવી રહી છે. પીઓકેમાં લોકો સડકો પર ઉતર્યા છે અને આઝાદીની માંગણી કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની સરકાર અને સેનાએ પીઓકેમાં જતો દૂધ-શાકભાજી-જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પણ રોકી દેતા વિદ્રોહ વધુ વકર્યો છે. પીકોએના રાવલકોટ, મીરકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદ સહિત અનેક સ્થળે પાકિસ્તાનની નિર્દય સેનાના અત્યાચારોનો સામનો કરીને લોકો સડકો પર ઉતર્યા છે અને નારેબાજી કરી રહ્યા છે. આ આંદોલનને કચડી નાખવા હિંસક દમન સાથે પાકિસ્તાનની સેનાએ સેંકડો લોકોને ગિરફ્તાર કર્યા છે, જેની સામે આંદોલનકારીઓએ પણ સ્વાતંત્ર્ય ચળવળ સમયના 'જેલભરો' આંદોલન જેવી ચળવળ શરૂ કરી છે. આંદોલનકારીઓએ પીઓકેને પાકિસ્તાનથી આઝાદ કરવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.

આ ઉપરાંત સુદાન, નાઈઝીરિયા, સોમાલિયા, બુર્કિના ફાસો, માલી સહિતના ઘણાં દેશોમાં સરકાર સામે બળવાખોર જુથોની નાની-મોટી લડાઈઓ ચાલી રહી છે.

વિવિધ દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય યુદ્ધો કરતા યે ગૃહયુદ્ધો વધુ ખતરનાક હોય છે, કારણ કે દેશો વચ્ચેના યુદ્ધો માટે કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમ-કાયદાઓ તથા પરંપરાઓ છે, જ્યારે ગૃહયુદ્ધમાં કોઈ ચોક્કસ નિયમ-કાયદાઓ યુદ્ધોને અંકુશિત કે નિયંત્રિત કરતા નથી કે સરકારોનું નિયમન કરી શકતા હોતા નથી. પીઓકે અને રખાઈનની આઝાદીની લડાઈમાંથી બે નવા લોકતાંત્રિક દેશ બને કે પીઓકે ભારતમાં ભળી જાય તેવા સંજોગો છે. બીજી તરફ ચીને તાઈવાન ફરતે કરેલી કિલ્લેબંધી પણ વૈશ્વિક ચિંતાનું કારણ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અમીછાંટણા... આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ... હાલાકી છતાં હરખ છવાયો...

                                                                                                                                                                                                      

ગઈકાલે રાત્રે જામનગરમાં ગાજવીજ સાથે ઝરમરિયા ઝાપટાં શરૂ થયા અને મેઘાવી માહોલ જામ્યો, અને ઠંડક પ્રસરી તે પછી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી હાલારીઓ વરસાદની ચાતકડોળે રાહ જોઈ રહ્યા હતાં. આ વર્ષે ચોમાસું મોડું થયું અને અલનીનો નામનો અસુર આડો ફરતા તેની ગતિ પણ ધીમી પડી ગઈ. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી ગયો, પરંતુ હાલાર સહિત ચાર-પાંચ જિલ્લાઓમાં નહીંવત્ વરસાદ પડતા ચિંતા પ્રસરી છે, તેવામાં ગઈકાલે થયેલા અમીછાંટણા પછી હાલારીઓના હૈયે નવી આશા જન્મી છે અને ટાઢક પણ વળી છે, પરંતુ ગોરંભાયેલા વાદળછાંયા વાતાવરણ છતાં મેઘો મન મૂકીને વરસી રહ્યો નહીં હોવાથી હાલારના મોટાભાગના વિસ્તારોમાં લોકો ચિંતિત છે, અને દ. ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની જેમ સંતોષકારક વરસાદ પડી જાય, તે માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. આજે પણ સવારથી વાદળછાંયા વાતાવરણના કારણે છવાયેલા મેઘાવી માહોલે લોકોની આશાને જિવંત રાખી હતી. ગત્ રાત્રે પણ જામનગર સહિત હાલારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં.

જો કે, ગુજરાતના લગભગ સવાબસ્સો તાલુકાઓમાં વરસાદ પડતા રાજ્યમાં હવે સૂકો દૃષ્કાળ તો નહીં પડે, અને હજુ પણ જરૂરી વરસાદ વરસતો રહેશે તો વર્ષ સારૂ જશે, તેવા અનુમાનો થઈ રહ્યા છે.

ગઈકાલે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી કરી દીધી, જેથી કેટલાક સ્થળે જનજીવન ખોરવાયું, પરિવહન અટવાયું અને સડકો પર સરિતાઓ વહેતી થઈ હોવાના અહેવાલો હતાં, તો આજે સવારથી જ થઈ રહેલા રાજ્યવ્યાપી વરસાદના કારણે કેટલાક સ્થળે સમસ્યાઓ સર્જાઈ રહી હોવાના દૃશ્યો ખડા થયા છે, તેમ છતાં લોકો ખુશખૂશાલ છે, કારણ કે વરસાદ ખેંચાયો અને તે પહેલાથી અલનીનોના કારણે આ વર્ષે વરસાદના અભાવે કે અલ્પવૃષ્ટિના કારણે દુષ્કાળ પડશે, તેવી આગાહીઓ તથા અનુમાનો થઈ રહ્યા હતાં.

જામનગરમાં તો ગઈકાલે પણ એક જર્જરિત ઈમારતનો હિસ્સો ભારે વરસાદમાં ધરાશાયી થયો હોવાની ઘટના પછી એવી ટીકા થઈ રહી છે કે નગરના જર્જરિત મકાનોને નોટીસો અપાઈ હોય અને તેનું અનુસરણ કરાયું હોય, તો આવી ઘટનાઓ બનવી જ ન જોઈએ. બીજી તરફ એવી આલોચના પણ થઈ રહી છે કે આ વખતે વરસાદ ખેંચાયો અને ચોમાસું મોડું બેઠું હોવા છતાં હજુ પણ જામ્યુકોની પ્રિ-મોન્સુન કામગીરી પૂરી થઈ ન હોય, તો તે શરમજનક છે.

આ વખતે વરસાદની પેટર્ન એવી જણાય છે કે જ્યાં પડે છે, ત્યાં દે ધનાધન... ભારેથી અતિભારે વરસાદ પડે છે અને કેટલાક વિસ્તારોમાં માત્ર છાંટાછૂટી પડે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો હજુ વરસાદના છાંટા પણ પડ્યા નથી, તેથી આ વર્ષે દુષ્કાળ કે અર્ધઅછત જેવી સ્થિતિ ઊભી નહીં થાય, તો પણ કેટલાક અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિની અસર ધરાવતા વિસ્તારોમાં ખેતી બચાવવા તથા આગામી ઉનાળા સુધી પીવાના પાણીની વિશેષ વ્યવસ્થાઓ કરવી પડશે, જેથી આ વર્ષે નર્મદા ડેમ સહિતના જળાશયોમાં જળસંગ્રહનું જતન કરીને કાળજીપૂર્વક વોટરમેનેજમેન્ટ કરવું જ પડશે.

એક તરફ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ હાલાર-કચ્છ વિગેરે જિલ્લાઓમાં હજુ અમીછાંટણા કે જોરદાર ઝાપટાં જ પડી રહ્યા છે, તેમાં પણ કેટલાક તાલુકાઓ તો કોરા ધાકોડ છે. તેથી વોટર મેનેજમેન્ટની સાથે જરૂર પડ્યે પશુધનને બચાવવા તથા ખેડૂતો-પશુપાલકો-ગોશાળાઓ તથા પાંજરાપોળોને મદદરૂપ થવા માટેના વૈકલ્પિક આયોજનો અત્યારથી જ વિચારીને જરૂરી મંજુરી મેળવી લેવી જોઈએ, જેથી જ્યારે જરૂર પડે ત્યારે તરત જ એક્શન લઈ શકાય અને જનતા-જનાર્દનને મદદ કરી શકાય, જો કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતાની શાસન-પ્રશાસનની માનસિક્તા હોવાથી આ પ્રકારની આશા ઘણી વખત નઠારી પૂરવાર થતી હોય છે, પરંતુ આવતું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી આ વર્ષે તો શાસકો અને રાજનેતાઓ 'જાગૃત' રહેશે, તેવી આશા પણ છે...!

જામનગર સહિત હાલારમાં ઘણાં સ્થળે 'વરસાદના ચાર છાંટ પડ્યા નથી ને લાઈટ ગઈ નથી'નું વ્યંગાત્મક સૂત્ર સાર્થક જ કરવું હોય તેમ ઠેર-ઠેર વીજળીરાણી રિસાયા હતાં અને ક્યાંક લબૂક...ઝબૂક, ક્યાંક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો, તો ઘણાં સ્થળે લો વોલ્ટેજની સમસ્યા સર્જાઈ છે. આ વર્ષે અસહ્ય ગરમી પડી હોવાથી લોકોએ ગ્રામ્ય વિસ્તારો સહિત એરકન્ડીશન્ડ મશીનો (એ.સી.) ફીટ કરાવવી દીધા અને એક જ ઘરમાં બે-ત્રણ કે તેથી વધુ એ.સી. ફીટ કરાવ્યા અને તેટલી ક્ષમતા માટેનું નિયમાનુસાર અપગ્રેડેશન પોતાના ઘર કે વ્યવસાયના સ્થળોમાં નહીં કરાવતા ઠેર-ઠેર અંધારપટ જેવા દૃશ્યો પણ ઊભા થયા હતાં, તો જ્યાં ભારે વરસાદ થયો છે, તેવા જિલ્લાઓમાં કેટલાક સ્થળે વીજપોલ પડી જતા કે વીજવાયરો ધ્વસ્ત થતા પણ વીજ સમસ્યાઓ ઊભી થઈ રહી છે, તો કેટલાક સ્થળે સાવચેતી ખાતર કામ ચલાઉ ધોરણે વીજપુરવઠો બંધ કરાયો હશે, જે હોય તે ખરૂ, પરંતુ હવે જુના જમાનાની જેમ કલાકો કે દિવસો સુધી વીજપુરવઠો ખોરવાઈ જાય, તેવું ચાલે તેમ નથી અને ઉહાપોહ મચે તેમ હોવાથી સંબંધિત તંત્રોએ સાવચેતી અને સક્રિયતા રાખવી અનિવાર્ય બની ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દાણચોરો, ખાણચોરો, દાનચોરો અને ઈમાનચોરો... જનવિશ્વાસના હત્યારા...

                                                                                                                                                                                                      

ભૂતકાળમાં હાલાર, બરડો અને સોરઠનો દરિયાકાંઠો દાણોચોરી માટે કુખ્યાત હતો, અને તેમાં પણ હાલારના દાણોચોરો તો વિશ્વકુખ્યાત હતાં... એ સમયે દાણચોરીને માત્ર કાનૂની મુદ્દો ગણવામાં આવતો હતો, પરંતુ પછીથી લોકોમાં જાગૃતિ આવી તો બીજી તરફ શાસકોએ પણ બિનજરૂરી નિયંત્રણો હળવા કરવાની નીતિ અપનાવી. વર્ષ ૧૯૯૦ થી ર૦૦૦ ના દાયકામાં આપણા દેશે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી જે કિંમતી ચીજવસ્તુઓની દાણચોરી થતી હતી, તે પૈકીની ઘણી વસ્તુઓ આપણા દેશના માર્કેટમાં ઉપલબ્ધ બની તો કેટલાક ઉત્પાદનો આપણા દેશમાં જ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી ઉપલબ્ધ થવા લાગ્યા. તે પછી તે જ નેટવર્કે હથિયારો અને ડ્રગ્સ જેવી ગેરકાનૂની ચીજોના દાણચોરીનો માર્ગ અપનાવ્યો છે, અને આ આંતરરાષ્ટ્રીય સ્મગલીંગ ગેન્ગની દિશા પણ બદલી ગઈ છે. આ પ્રકારના દાણચોરો કોઈપણ દેશને વફાદાર હોતા નથી કે કોઈનાય સગા હોતા નથી.

આ જ રીતે 'ઈમાનચોરી' કરતા પરિબળો પણ કોઈ દેશના વફાદાર, કોઈ ધર્મ-સંપ્રદાયના વાહક કે કોઈના યે સગા હોતા નથી. લાંચ-રૂશ્વત લઈને ખોટા કામ કરનારા, બોગસ દસ્તાવેજો કરીને મિલકતો હડપનારા, તોતિંગ વ્યાજના ચક્રમાં ફસાવીને લોકોનું સર્વસ્વ લૂંટી લેતા ગેરકાનૂની વ્યાજખોરો, સાઈબર ક્રાઈમ કે લોકોને લાલચ આપીને છેતરતા ઠગો, મિલકત કે ધન-સંપત્તિ માટે પોતાના જ પરિવારજનો સાથે વિશ્વાસઘાત કરતા આપ્તજનો અને જનતાને ખોટા વાયદાઓ કરીને મતો મેળવ્યા પછી મસમોટા કૌભાંડો કરતા રાજનેતાઓ 'ઈમાન' ચોરો છે, અને તેનામાં અને દાણચોરોમાં તફાવત એ છે કે દાણચોરો દેશના કાયદાનો ભંગ કરીને કાનૂનની-બંધારણની આત્મા પર પ્રહાર કરે છે, જ્યારે અન્ય ઉક્ત વિવિધ પ્રકારના 'ઈમાન' ચોરો તો દેશ-સમાજના કાયદા-સિદ્ધાંતો ઉપરાંત જનવિશ્વાસની પણ હત્યા કરે છે.

દાણચોરો કરતા યે 'દાનચોરો'ને વધુ ખતરનાક ગણી શકાય. દાણચોરો દેશ અને દેશવાસીઓને છેતરીને 'કમાઈ' લેવાના કારસ્તાન કરે છે, જ્યારે 'દાનચોરો' તો તેનાથી આગળ વધીને દેશ અને દેશવાસીઓ ઉપરાંત ઈશ્વરને પણ છેતરે છે. આ મુદ્દો અત્યારે દેશનો સર્વાધિક મુદ્દો છે, કારણ કે આસ્થાળુઓના વિશ્વાસ અને શ્રદ્ધાઓ પર 'દાનચોરો'એ કઠુરાઘાત કર્યો છે.

ભૂતકાળમાં જ્યારે દાણચોરો પકડાતા ત્યારે પણ તેઓની સામે તપાસ થતી, અને કાનૂની કાર્યવાહી થતી હતી. તે સમયે પણ દાણચોરો દોષિત પૂરવાર ન થાય, ત્યાં સુધી તેને નિર્દોષ ગણવામાં આવતા હતાં, તેવી જ રીતે કટ્ટર ઈમાનદારો પર પણ જ્યાં સુધી આરોપો પૂરવાર થાય નહીં, ત્યાં સુધી તેઓને દોષિત ગણવામાં આવશે નહીં, અને તે આપણા બંધારણે આપેલી સુરક્ષા છે. આપણા બંધારણ અને ન્યાયતંત્રમાં એક સૂત્ર પ્રચલિત છે કે ૧૦૦ ગુનેગાર ભલે નિર્દોષ છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ સૂત્ર મુજબ જ લાંબી તપાસો ચાલે, સુનાવણીઓ થતી રહે અને એક સમયે ઘણો જ ચર્ચાસ્પદ બનેલો મુદ્દો જ્યારે જનતા પણ ભૂલી ગઈ હોય, ત્યારે એ કેસનો ફેંસલો થાય, અને તેમાં પણ એક સમયે જનતાની અદાલતમાં શકમંદ આરોપી ઠરેલા ગુનેગારો કે કૌભાંડિયાઓ પુરાવાના અભાવે કે શંકાનો લાભ આપીને નિર્દોષ છૂટી જતા હોય છે.

ભરોસેમંદ ટ્રસ્ટીમંડળો કે વ્યવસ્થાપક સમિતિઓ, કાનૂને રચેલી સંચાલક સંસ્થાનો, જનતાએ ચૂંટેલા શાસકો કે ખાનગી-ધાર્મિક-સામાજિક-શૈક્ષણિક જાહેર ક્ષેત્રોની સંસ્થાઓ દ્વારા જ્યારે 'ઈમાન'ચોરી થાય કે સરકારી તંત્રો ભ્રષ્ટ બને, ત્યારે હંમેશાં તપાસ અને અંતિમ ફેંસલો આવતા સુધી એક પ્રકારની ભ્રમ તથા અસમંજસની સ્થિતિ ઊભી થતી હોય છે, જેનો લાભ લેવા તત્પર રહેતા પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોને પ્રચારનો મુદ્દો મળી જાય છે, અને એ મુદ્દાને ચગાવીને સત્તા મેળવી લીધા પછી એ મુદ્દાને જ અભેરાઈએ ચડાવી દેવાય ત્યારે એવું લાગે કે, 'હમામ મેં સબ નંગે હૈ...'

આ જ પ્રકારની એક અન્ય ચોરી થઈ રહી છે, જેના પર બહુ ઓછી ચર્ચા થતી હોય છે, અને તે છે ખાણચોરી...

આપણા દેશમાં પૃથ્વીના પેટાળામાંથી નીકળતી ચીજવસ્તુઓ પર સરકારનો હક્ક રહે છે, અને ધરતીમાંથી માટી, રેતી, પથ્થર, ધાતુ, ખનિજો વગેરે ખોદીને લઈ જવા માટે રોયલ્ટી ભરવી પડે છે અને તેના માટે નિયમ-કાયદા ઘડાયા છે, જેને માઈનીંગ એક્ટ કહે છે. વર્ષ ૧૯પ૭ માં ખાણ-ખનિજનો પ્રથમ કાયદો બન્યો હતો. ગુજરાતમાં માટી, પથ્થર, મોરમ વગેરે માટે વર્ષ ર૦૧૦ માં કાયદો બન્યો, જેમાં સુધારા-વધારા સાથે હાલમાં જીએમએમસીઆર એટલે કે ગુજરાત માઈનોર મિનરલ કોન્સેસર રૂલ્સ-ર૦૧૭ અમલી બન્યો છે. આ તમામ કાયદાઓનો ભંગ કરનારને આપણે ખનિજચોરો અથવા 'ખાણચોરો' કહી શકાય.

એક અંદાજ મુજબ ગુજરાતમાં ખાણ-ખનિજ ખાતુ દર વર્ષે લગભગ ૯ થી ૧૦ હજાર કેસો કરે છે, જેમાં ગેરકાનૂની રીતે ખાણ ખોદવી, ખનિજ ચોરી કરવી અથવા જેનું ગેરકાનૂની પરિવહન કે સંગ્રહ કરવાના ગુન્હાઓ હોય છે. સરકારી તંત્રોએ ખનિજચોરી અટકાવવા માટે ખોલેલી ખાણ-ખનિજ કચેરીઓ દ્વારા કરોડો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવે છે, છતાં કેટલાક તંત્રવાહકો અથવા અધિકારી-કર્મચારીઓની સાઠગાંઠ હોવાના આક્ષેપો પણ વિવિધ સ્થળે થતા રહે છે. આવી જ રીતે દેશમાં પણ ગેરકાનૂની ખનનના હજારો મામલા નોંધાય છે. આ બધા 'ખાણચોરો' પણ ઈમાનચોરો તથા દાનચોરો અનેે દાણચોરીની હરોળમાં જ મૂકવા જેવા ગણાય.

સદીઓ સુધીના સંઘર્ષ પછી જ્યાં વિશ્વભરના આસ્થાળુઓનું કેન્દ્ર બન્યું હોય, ત્યાં 'દાનચોરી' થાય કે પછી ઢગલાબંધ મતો આપીને સત્તા સોંપ્યા પછી પણ કૌભાંડોના આરોપોમાં મુખ્ય શાસકો જેલમાં જાય અને લાંબી કાનૂની લડત ચાલે, તે પ્રકારની 'ઈમાનચોરી' થાય તેને કાનૂભંગ કરીને સ્વહિતાર્થે 'દાણચોરી' કે 'ખાણચોરી' કરતા માફિયાઓથી પણ ઘણાં જ ખતરનાક ગણાય, અને તેને અંકુશમાં લાવવા વ્યાપક જનજાગૃતિ અને સમજદારીની જરૂર છે. આ તમામ 'ચોરો'ના મુદ્દે ગમે તેવી રાજનીતિ રમાતી હોય, તો પણ અસ્સલ 'ચોરો'ને ઓળખી લઈને તેને બંધારણીય રસ્તે પાઠ ભણાવવાની તાકાત દેશની શાણી જનતામાં છે જ...

આ મુદ્દે એટલું જ કહી શકાય કે અસ્સલ દાનચોરોને પાઠ ભણાવો, પણ 'રામ કા નામ બદનામ ન કરો...'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

વીજલાઈનો સામે ખેડૂતોને વળતરના મુદ્દે રાજ્ય સરકારની નવી ઘોષણા... સિક્કાની બન્ને બાજુ

                                                                                                                                                                                                      

ગઈકાલે રાજ્ય સરકારે ખેતરોમાંથી પસાર થતી વીજલાઈનો માટે ઉપયોગમાં લેવાતી જમીનનું વળતર માર્કેટ રેન્ટ મુજબ આપવાની જાહેરાત કરી, તેને એકંદરે આવકાર મળ્યો અને અંતે સરકારે ખેડૂતોની સંગઠનશક્તિ સામે ઝુકવું પડ્યું હોવાના પ્રત્યાઘાતો પડ્યા. બીજી તરફ વળતરના દરો ગ્રામ્ય, શહેરો અને મહાનગરોના વિસ્તારો માટે અલગ અલગ ટકાવારી પ્રમાણે વળતર આપવાની નીતિ સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને અન્યાય થનાર હોવાના તીખા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીઓ તરફી અને ખેડૂત વિરોધી નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા હતાં. મોરબીના જેતપુરમાં આ મુદ્દે એક પખવાડિયાથી વધુ સમયથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતાં, પરંતુ આ મુદ્દો હકીકતે રાજ્યવ્યાપી અસરો પાડી રહી હતી.

આ વિવાદની શરૂઆત આમ તો બે વર્ષ પહેલા થઈ હતી, જ્યારે મોરબીના હળવદ અને આજુબાજુના વીજકંપનીઓને ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરવા સામે નજીવા વળતરનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાજુના વિસ્તારોમાં થાંભલા દીઠ એક લાખ રૂપિયાનું વળતર અપાતું હોય અને હળવદની આજુબાજુના વિસ્તારોમાં પ૦ હજાર રૂપિયાનું પ્રતિ પોલ વળતર અપાય, તે ભેદભાવ સામે શરૂ થયેલો વિરોધ વર્ષ ર૦રપ માં વધુ વકર્યો હતો અને આંદોલનના મંડાણ કર્યા હતાં.

તે સમયે દસેક ગામોના ખેડૂતોએ આદરેલું આંદોલન વિસ્તરતુ રહ્યું હતું. વર્ષ ર૦રપ ના જાન્યુઆરીમાં એક જિલ્લા કક્ષાની કમિટી બની હતી. તે સમયે તંત્રે જાહેર કરેલા એક નોટિફિકેશન સામે ખેડૂતોએ સંગઠીત થઈને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતાં, પરંતુ ત્યાં રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાની દલીલો કરવામાં આવી હતી અન મેગા પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઈ હતી. તે પછી ખેડૂતોનું આંદોલન વિસ્તરી રહ્યું હતું, અને તેને કિસાન સંગઠનો ઉપરાંત વિપક્ષોનું પણ સમર્થન મળતું રહ્યું હતું. ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષાના પ્રોજેક્ટોનો વિરોધ નથી, પરંતુ ખેતરોમાં ઊભા થતા વીજપોલ તથા વીજલાઈનોના કારણે તેઓની આજુબાજુની પ્રભાવિત થતી જમીન તથા પાકપાણીને થતા નુક્સાન સામે જંત્રીથી ડબલ વળતર ઘણું જ ઓછું છે, જેમાં વધારો થવો જોઈએ અન ખેડૂતોને તેમના ખેતરની સુરક્ષા થાય અને બિનજરૂરી કનડગત નહીં થાય, તેવી બાહેંધરી મળવી જોઈએ.

ખેડૂતોએ જૂન-ર૦ર૬ માં આદરેલું આંદોલન વધુને વધુ તીવ્ર બની રહ્યું હતું, અને ભૂખ હડતાલ આદરી હતી, આ આંદોલન સળંગ ૧૪ દિવસ ચાલ્યા પછી અંતે રાજ્ય સરકારે ઝુકવું પડ્યું છે, અને રાજ્ય સરકારના નિર્ણયની કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ખેડૂતોની મહત્તમ માંગણીઓ સ્વીકારી લેવાઈ હોવાની જાહેરાત કરવી પડી છે. આ ઉપવાસ છાવણીની મુલાકાતે વિપક્ષના નેતાઓ ગયા હતાં. આ દરમિયાન કેટલાક ખેડૂતોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા મૂંડન કરાવ્યું હતું અને તે પહેલા અમદાવાદમાં વિરોધ પ્રદર્શિત કરવા ટ્રેક્ટર રેલી કાઢી હતી, જેમાં અનેક જિલ્લાઓના ખેડૂતો જોડાયા હતાં. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો તથા ખેડુતોના દિગ્ગજ નેતાઓએ પણ આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો યોજ્યા હતાં અને ઠેર ઠેર આવેદનપત્રો અપાયા હતાં.

મીડિયા અહેવાલો મુજબ થતી ચર્ચા અનુસાર રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે જે ખેતરમાંથી વીજલાઈનો જતી હોય, તેનું વળતર તે વિસ્તારની જંત્રીથી ડબલ નહીં, પરંતુ તે વિસ્તારમાં વર્તમાન માર્કેટ રેઈટથી ડબલ આપવામાં આવશે. આ પહેલા ખેડૂતો (જમીન માલિકો) ને તબક્કાવાર પેમેન્ટ અપાતું હતું તેના બદલે હવે વળતરની રકમ એક સાથે એડવાન્સમાં અપાશે, તે ઉપરાંત જરૂર જમીનના માપમાં પણ ખેડૂતોને નુક્સાન ન થાય તેવો અભિગમ અપનાવીને પાયાના વધારાનું એક મીટર ગણતરીમાં લેવાશે. સંબંધિત વિસ્તારની જમીનના માર્કેટ રેન્ટ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી બનશે. આ કમિટી જે વળતર નક્કી કરશે, તો સિવિલ કોર્ટમાં અપીલ કરવાની નોબત જ નહીં આવે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મિશ્ર પ્રત્યાઘાતો છે. આજથી સરકારની આ ઘોષણાને મોટાભાગે આવકાર મળ્યો છે, સાથે સાથે કેટલોક અસંતોષ હજુ પણ પ્રગટી રહ્યો છે. અમિત ચાવડાએ આ મુદ્દે સરકાર પર પ્રહારો કરીને ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જને યાદ કરીને ભેદભાવભર્યા વલણનો આરોપ લગાવ્યો, તો શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો કડક રીતે અમલ કરાવીને ખેડૂતોને સાચા અર્થમાં મદદરૂપ થવાની વાત કરી હોવાના અહેવાલો વહેતા થયા. ઈશુદાન ગઢવીએ પણ ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો. કિસાન કોંગ્રેસના અધ્યક્ષે આને ખેડૂતોની સંગઠન શક્તિની ફલશ્રૂતિ ગણાવીને ડબલ નહીં, પણ ચારગણું વળતર આપવું જોઈએ તેવા મતલબના ફીડબેક આપ્યા હોવાના અહેવાલો છે. તો કિસાન સંઘર્ષ સમિતિએ આ વીજલાઈનોના કારણે આગ લાગે કે જાનમાલનું નુક્સાન થાય, તેની સામે યોગ્ય માતબર વળતરની માંગણી કરી હોવાના અહેવાલો છે.

કેટલાક નેતાઓએ જમીન સંપાદન અધિનિયમ-ર૦૧૩ નો અમલ કરીને પોલ દીઠ પચાસ હજાર રૂપિયાનું માસિક ભાડુ તથા માર્કેટ રેન્ટથી ચારગણું વળતર ચૂકવાની માંગણી દોહરાવી છે, તો કેટલાક નેતાઓએ સરકારની આ જાહેરાતને એકંદરે સંતોષકારક ગણાવીને કેટલાક સૂચનો પણ કર્યા છે.

જો કે, સરકારનો દાવો એવો છે કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં આ 'ઉદાર' નિર્ણય ખેડૂતો સાથે વ્યાપક વિચાર-વિમર્શ-પરામર્શ કરીને લીધો છે, જેથી અક્ષય ઊર્જા એટલે કે સૂર્યઊર્જા અને પવન ઊર્જાને પણ વેગ મળે અને ખેડૂતોના હિતો પણ જળવાઈ રહે. એકંદરે આ મિશ્ર પ્રતિભાવોનો સારાંશ એટલો નીકળે છે કે આ નિર્ણય પછી ખેડૂતોની મહત્તમ માંગણીઓ સંતોષાઈ હોવા છતાં સરકારે અન્ય કેટલીક માંગણીઓ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારવું જોઈએ, અને ખેડૂતોએ પણ આ માટે સરકારને સમય આપવો જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકારી કંપનીઓના પેટ્રોલ-ડીઝલમાં ભાવો હમણાં નહીં ઘટે... કેન્દ્ર સરકારે કર્યા નિરાશ...

                                                                                                                                                                                                      

ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસના યુદ્ધ વિરામ અને તબક્કાવાર વાતચીત તથા અનિશ્ચિતતાઓ વચ્ચે હોર્મુઝ સંકટ હળવું થયા પછી ભારતના ઘણાં વહાણો હોર્મુઝ પસાર કરીને ભારતીય બંદરો આવી પહોંચ્યા છે અને હવે કેટલાક પ્રતિબંધો પણ હળવા થઈ ગયા હોવાથી પેટ્રોલ-ડીઝલ-ગેસ વગેરેના ભાવો ઘટશે તેવી અપેક્ષા હતાી, કારણ કે એક સમયે રૂ।. ૧૧૦ સુધી પહોંચેલા ક્રૂડના બેરલના ભાવમાં ત્રીસ-ચાલીસ રૂપિયા સુધીનો ઘટાડો થઈ ગયો છે.

ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા કે કોમર્શિયલ ગેસના ભાવોમાં ધરખમ ઘટાડો થયો છે, ત્યારે સરકારી કંપનીઓ હવે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ત્વરીત ઘટાડો કરીને મોડું ચોમાસું તથા અલનીનોની આશંકાથી ફફડતા ખેડૂતો અને મોંઘવારીમાં પીસાતી સામાન્ય જનતાનેે કેન્દ્ર સરકાર રાહત આપશે. ખાસ કરીને ખાનગી પેટ્રોલિયમ કંપની નાયરાએ ડીઝલ અને પેટ્રોલમાં રૂ।. ૩ થી પ નો લીટરદીઠ ઘટાડો કર્યા પછી સરકારી કંપનીઓ પણ આ જ રીતે ઘટાડો કરશે તેવો આશાવાદ હતો, પરંતુ હકીકતે તેવું થયું નથી અને કેન્દ્ર સરકારે હાથ ઊંચા કરી દેતા પબ્લિકમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ-ડીઝલના ભાવો સરકારી કંપનીઓ હાલતુરંત નહીં ઘટાડે, તેવી ચોખ્ખીચટ જાહેરાત કરી દીધી હોવાના અહેવાલોએ દેશવાસીઓને ચોંકાવી દીધા છે અને પબ્લિકમાં નિરાશા વ્યાપી ગઈ છે.

કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ વિભાગના મંત્રીએ કહ્યું કે હલાતુરંત પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા શક્ય જ નથી. હજુ પણ સરકારી કંપનીઓ ખોટ કરી રહી છે. હોર્મુઝ સંકટ હળવું થયા પછી નવું ક્રૂડ ખરીદાય અને ઓછા ભાવે ક્રુડની આયાત થાય, ત્યાં સુધી જુના ભાવે આવેલા ક્રૂડના ભાવો ઘટાડી શકાય તેમ નથી, તેવા મતલબની કેન્દ્રિય મંત્રીની વાત સાંભળીને એવો પ્રશ્ન ઊઠે છે કે આ સરકારના મંત્રી બોલે છે કે પછી કોઈ વેપારી પેઢીના ડીલર બોલી રહ્યા છે?

તેમણે દલીલ કરી કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસમાં પડતર કિંમતથી ઓછી કિંમતે વેંચાણ કરવાના કારણે ૩૦ મી જુન ર૦ર૬ સુધીમાં સાડાચીમોતેર હજાર કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની ખોટ ગઈ છે. રિફાઈનરીઓ સામાન્ય રીતે બે મહિના પહેલા કાચું તેલ (ક્રૂડ) ખરીદતી હોય છે. અત્યારે બજારમાં જે ઈંધણ વેંચાય છે તે પશ્ચિમ એશિયા સંકટ સમયે ખરીદેલું મોંઘા ભાવનું ઈંધણ છે, તેથી હાલતુરંત ભાવો ઘટાડવા સંભવ નથી.

પુરીએ એવો તર્ક પણ રજૂ કર્યો છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ તથા ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન જ્યારે હોર્મુઝ સંકટ ઘેરાયું હતું, ત્યારે પણ ભારતના નાગરિકોને અત્યંત મોંઘા ઈંધણના ભાવથી બચાવ્યા હતાં અને સપ્લાઈ ચાલુ રાખી હતી. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં યુરોપિયન દેશોમાં ઈંધણના ભાવો ઊંચકાયા હતાં તેની સરખામણીમાં ભારતમાં માત્ર પ.પ૮ ટકા જેવો અત્યંત સાધારણ વધારો જ કરાયો હતો.

આ વાતચીત દરમિયાન હરદીપસિંહ પુરીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવો સ્થિર રહેશે અથવા વધુ ઘટવા લાગશે અને થોડાક અઠવાડિયાઓ સુધી તેમાં વધારો થવાની સંભાવનાઓ ઊભી નહીં થાય તો સરકાર દેશમાં પેટ્રોલ-ડીઝલ-ગેસ (ઈંધણ) ના ભાવોમાં ઘટાડો કરવા 'વિચારી' શકે છે!

આ દરમિયાન પુરીએ એવો દાવો પણ કર્યો હતો કે હાલમાં ભારતની રિફાઈનરીઓની ક્ષમતા ર૭૦ એમટીપીએ (મિલિયન ટનસ પર એનમ) એટલે કે પ્રતિવર્ષ ર૭૦ મિલિયન ટનની છે, તે વધારીને ટૂંક સમયમાં ૩૦૦ એમટીપીએ કરાશે, જેથી ભવિષ્યમાં પણ ભાવો સ્થિર રહી શકે. હાલતુરંત તો પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા સંભવ જણાતા નથી તેવા સરકારી નિવેદનથી પબ્લિકમાં એક પ્રકારની નિરાશા પ્રવર્તે છે.

એવો સવાલ પણ ઊભો થાય કે જો ખાનગી કંપની ભાવો ઘટાડી શકતી હોય, તો સરકારી કંપનીઓ કેમ ભાવો ઘટાડી ન શકે? તેવો સવાલ લોકોના મનમાં ઊઠે તે સ્વાભાવિક છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડના ભાવો જ્યારે પણ વધે, ત્યારે તો તમામ કંપનીઓ તત્કાલ ભાવો વધારીને જુના ભાવે આવેલા પુરવઠામાં કમાણી કરી લેતી હોય છે, ત્યારે અત્યારે બેવડો માર ઝીલી રહેલી દેશની જનતાને રાહત આપવા માટે સરકારી કંપનીઓ ઈંધણના ભાવો તત્કાળ ઘટાડે, તેવા કદમ ઊઠાવવાના બદલે ખુદ પેટ્રોલિયમ મંત્રી જ બચાવની ભૂમિકા ભજવવા લાગે, ત્યારે જનતાને નિરાશા જાગે, તે સ્વાભાવિક છે.

જો કે, પુરીએ એલપીજીના સંદર્ભે પૂરેપૂરી માહિતી આપી હતી અને આગામી રણનીતિની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે વાતવાતમાં એવા સંકેતો આપ્યા કે સરકાર હવે દેશની અંદાજીત જરૂરિયાતનો ૩૦ દિવસ ચાલે તેટલો એલપીજીનો પુરવઠો રિઝર્વ રાખશે, અને તે માટે રૂ।. પ૦૦૦ કરોડ (પાંચ હજાર કરોડ) નું રોકાણ કરીને ભારત પેટ્રોલિયમ તેની ક્ષમતા વધારશે, અને વર્તમાન સંગ્રહ ક્ષમતા ર૦૦૦૦૦ મે.ટન છે, તે વધારીને ૩૪૦૦૦૦ મે.ટન કરશે. આમ રિફાઈનરીઓ તથા સરકારી કંપની ભારત પેટ્રોલિયમની સંગ્રહશક્તિ વધારીને કેન્દ્ર સરકાર આગામી સમયમાં જો અમેરિકા-ઈરાન વચ્ચે ફરી તંગદિલી વધે, તો પણ એલીપીજીનો પુરવઠો પણ જળવાઈ રહે, તેવા પ્રયાસો કરી રહી હોય તેમ જણાય છે, પરંતુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો કરવેરા (વેટ સહિત) ઘટાડીને જનતાને રાહત આપશે, તો મોંઘવારીથી પીડાતી પ્રજાને રાહત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સંચાર વ્યવસ્થાઓ ખોરવાઈ જાય, ત્યારે સર્જાતી અફરા-તફરી... બેકીંગમાં વિકલ્પો વિચારવા જરૂરી...

                                                                                                                                                                                                      

જામનગરમાં ગઈકાલે સાંજે થોડા સમય માટે કેટલાક મોબાઈલ સેલફોનમાં સિગનલ મળતા બંધ થઈ ગયા હતાં અને ઈન્ટરનેટ વ્યવહાર પણ ખોરવાયો હતો. મોબાઈલ ડેટા બંધ થતા જ ઘણાં વ્યવહારો ખોરંભે પડી ગયા હતાં. નાણાકીય વ્યવહારો જ નહીં,પરંતુ સંદેશા વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો, જેથી રોજીંદી જિંદગી પર વિપરીત અસરો પડી હતી. એવું કહેવાય છે કે, વોડાફોન-આઈડિયા (વીઆઈ) અને એરટેલનું નેટવર્ક ગઈ સાંજે કેટલાક સમય માટે ખોરવાઈ ગયું હતું.

આજે અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટના કારણે માનવજીવન ઘણું જ બદલી ગયું છે અને એક તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ આ અદ્યતન વ્યવસ્થાઓ થોડીકવાર ખોરવાઈ જાય, તો પણ થોડા સમય માટે માનવી તરત પાંગળો અને હાંફળો ફાંફડો થવા લાગે છે, જેનું દૃષ્ટાંત ગઈકાલે સાંજે આપણે બધાએ જોયું પણ છે અને અનુભવ્યું પણ છે. આ સ્થિતિ એવું દર્શાવે છે કે, અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટ આધારિત વ્યવસ્થાઓ જ્યારે ખોરવાઈ જાય, ત્યારે તેના વિકલ્પે ઓફલાઈન વિકલ્પો તથા કેટલાક દેશી પદ્ધતિના ઉપાયો પણ હોવા જોઈએ, જેથી વ્યવહારો તદ્ન ઠપ્પ થઈ જાય નહીં...

એવું નથી કે આવી સ્થિતિ માત્ર આપણા દેશમાં કે જિલ્લામાં જ થાય છે, આ ગ્લોબલ સમસ્યા છે. તાજેતરમાં જ લાલસાગરમાં લાંગરેલા જહાજોના લંગર સાથે ટકરાઈને કેટલાક અંડર શી (દરિયાના તળિયે બીછાવેલા) કેબલ્સ ક્પાઈ ગયા હતાં, જેના કારણે ભારત, પાકિસ્તાન તથા મીડલ ઈસ્ટના દેશોમાં ઈન્ટરનેટ ધીમુ પડી ગયું હતું અને કેટલાક સ્થળે બંધ થઈ ગયું હતું. આ કારણે સડક-રેલવે અને હવાઈ સેવાઓ, બેન્કીંગ સુવિધાઓ તથા ઘણી ઈન્ટરનેટ આધારિત સેવાઓ ખોરવાઈ જતા હાહાકાર મચી ગયો હતો.

વિશ્વનું ૯પ ટકાથી વધુ ઈન્ટરનેટ દરિયાના તળિયે બિછાવેલા સબમરીન કેબલ્સ આધારિત છે. જો આ કેબલ્સ તૂટી જાય, તો આપણે આખા દેશ અથવા મહાદ્વીપોમાં ઈન્ટરનેટ ધીમુ પડી જાય છે, અને ક્યારેક થોડા સમય માટે તદ્ન બંધ પણ થઈ જાય છે, અને તેની મરામત જટિલ અને મહેનત માંગી લેતી હોવાથી પડકારરૂપ બને છે.

કોરોનાકાળના ઉત્તરાર્ધમાં વર્ષ ર૦ર૧ માં પણ ફેસબુક, વ્હોટ્એપ, ઈન્સ્ટાગ્રામ સહિતની પેટા કંપનીની ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સુવિધાઓ ખોરવાઈ ગઈ, ત્યારે ઉહાપોહ મચી ગયો હતો. આ ખલેલ પહોંચી અને તમામ ડેટા સેન્ટર્સ ૬ કલાક માટે ઓફલાઈન થઈ ગયા હતાં, તેનું કારણ અક કોન્ફિગ્રેશન ક્ષતિ હતી. એમ કહેવાય છે કે, સાડાત્રણથી ચાર અબજ લોકો પ્રભાવિત થયા હતાં.

જ્યારે ગુગલ, એ.ડબલ્યુ.એસ કે મેટા જેવી જાયન્ટ ટેક કંપનીઓના સર્વર્સ ડાઉન થાય કે ક્લાઉડ, સિસ્ટમ્સ ખોરવાય, ત્યારે હજારો વેબસાઈટ્સ અન એપ્લિકેશન્સ એક સાથે ઠપ્પ થઈ જાય છે. આ કારણે પ્રવર્તમાન ઈન્ટરનેટ આધારિત તમામ પ્રવૃત્તિઓ, પ્રક્રિયાઓ અને સેવાઓ અટવાઈ જાય છે, ત્યારે આપણે અદ્યતન ટેકનોલોજીના વધી રહેલા વ્યાપની સિક્કાની બીજી બાજુ પણ અનુભવતા જોઈએ છીએ.

ઘણી વખત સ્થાનિક કારણોસર પણ ચોક્કસ વિસ્તારોમાં નેટવર્ક ખોરવાઈ તું હોય છે. જામનગરની જેમ જ એેક વિકાસ કામે સડકો ખોદવામાં આવે, તે ફરીથી પૂર્વવત થાય, ન થાય, ત્યાં બીજા કામ માટે ખોદકામ થાય. આ દરમિયાન જમીનમાં બીછાવેલી પાણીની પાઈપલાઈનો, અંડરગ્રાઉન્ડ વીજકેબલ્સ અને ઘણી વખત ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ પણ કપાઈ જતા હોય છે. આ કારણે પણ આખા શહેર, વિસ્તાર કે કેટલાક ચોક્કસ હિસ્સામાં ઈન્ટરનેટ ગાયબ થઈ જતું હોય છે, અને તેની મરામત થતા સુધી તમામ ડિજિટલ વ્યવહારો, ઈન્ટરનેટ આધારિત સેવાઓ તથા ઘણી વખત સંદેશાવ્યવહાર પણ ખોરંભાઈ જતો હોય છે. આ સ્થાનિક કારણોસર ઓનલાઈન સુવિધાઓ તથા ડિજિટલ પેમન્ટ તથા હોમ ડિલિવરી સહિતના વ્યવહારો ખોરવાઈ જતા ઘણી વખત વિચિત્ર સ્થિતિ ઊભી થતી હોય છે.

ઈન્ટરનેટ ઘણી વખત કૃત્રિમ અથવા શુદ્ધ ઈરાદાપૂર્વક પણ બંધ કરવામાં આવતું હોય છે. કાનૂન વ્યવસ્થા જાળવવા, પેપરલીક અટકાવવા, હિંસક તોફાનો, આંદોલનો અને ચળવળો દરમિયાન અફવાઓ ફેલાતી અટકાવવા અથવા વીવીઆઈપીના આગમન વખતે સુરક્ષા કારણોસર તંત્રો દ્વારા પણ ચોક્કસ-મર્યાદિત સમય માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવતું હોય છે.

ઘણી વખત સાયબર હુમલાઓ વધી જાય ત્યારે પણ ઈન્ટરનેટ અટકાવાય છે, તો કેટલીક વખત ચોક્કસ સ્પોટમાં સાયબર એટેકની આશંકાના કારણે પણ ઈન્ટરનેટ સુવિધા અટકાવી દેવામાં આવતી હોય છે. વર્ષ ર૦૧ર માં અલાસ્કાના મતનુસ્કા અને સુમિત્રાના વિસ્તારોમાં સાયબર હુમલાઓના કારણે ડિજિટલ સુવિધાઓ સદંતર ઠપ્પ થઈ જતા લોકોએ કોમ્પ્યુટર્સના બદલે ફરીથી ટાઈપરાઈટર્સનો ઉપયોગ કરવો પડ્યો તો. તે સમયે ત્યાં ઈન્ટરનેટ પૂર્વવત થતા અઢી મહિના જેટલો સમય લાગ્યો હતો.

વર્ષ ર૦૧૯ માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા પછી ત્યાં લાંબા સમય સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. તે પછી પણ સુરક્ષા કારણોસર અને આતંકી હુમલાઓ પછી અવાર-નવાર ઈન્ટરનેટ બંધ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૪-રપ માં મણીપુરમાં અને છેલ્લા કેટલાક વર્ષો દમિયાન રાજસ્થાન, હરિયાણા, પંજાબ, આસામ, ઉત્તરપ્રદેશ, પ. બંગાળ વિગેરે શહેરોમાં પણ વિવિધ કારણોસર ઈન્ટરનેટ સુવિધા ચોક્કસ સમય માટે બંધ કરવી પડી હોય તેવા ઘણાં દૃષ્ટાંતો છે. ગુજરાતમાં પણ વર્ષ ર૦૧પ માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે તથા વર્ષ ર૦૧૬ માં તલાટીઓની ભરતી માટે લેવાનાર પરીક્ષા સમયે પણ કામચલાઉ ધોરણે ઈન્ટરનેટ બંધ કરાયું હતું, તે ઉપરાંત સીએએ વિરોધી આંદોલન તથા કેટલાક વિવિધ વિરોધ-પ્રદર્શનો સમયે પણ થોડા કલાકો માટે અલગ-અલગ સ્થળે ઈન્ટરનેટ બંધ કરાયું હતું. આ તમામ અનિવાર્ય ગણી શકાય તેવા પ્રતિબંધો સમયે પણ લોકોને મુશ્કેલી તો પડી જ હતી.

આ રીતે કૃત્રિમ, કુદરતી કે અનિવાર્ય સંજોગોમાં ઈન્ટરનેટ ઠપ્પ થાય, અટકાવાય, ધીમુ પડે કે ખોરવાઈ જાય, ત્યારે પણ કેટલીક સુવિધાઓ તદ્ન અટકી ન પડે અને તદ્ન ઓનલાઈન સુવિધાઓ કે ડિજિટલ વ્યવસ્થાઓના આધિન રહેવાના બદલે લોકોને તેનો કોઈ અસરકારક વિકલ્પ મળી રહે, તે દિશામાં વિચારવું જ જોઈએ. ખાસ કરીને સડક, રેલવે, હવાઈ પરિવહન, ડિજિટલ પેમેન્ટ તથા એજ્યુકેશન-હેલ્થ-સરકારી રોજીંદી સેવાઓમાં વૈકલ્પિક ઓફલાઈન વ્યવસ્થાઓ પણ બેકીંગમાં (પહેલા હતી તેવી રીતે) સક્રિય રાખવી જોઈએ, જેથી 'પેનિક' તથા અફરા-તફરી થતી અટકાવી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

મૂળ કોંગ્રેસી રાજકીય પક્ષોના વિલીનીકરણનો પ્રયાસ... દેશવ્યાપી મજબૂત વિપક્ષ જરૂરી, પણ...

                                                                                                                                                                                                      

ગઈકાલે મહારાષ્ટ્રથી દેશની રાજધાની સુધી ચોમાસાના આગમન અને મેઘવૃષ્ટિ ઉપરાંત સૌથી વધુ ચર્ચા શરદ પવારની નેશનલ કોંગ્રેસ પાર્ટીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સંભવિત વિલીનીકરણની થઈ રહી હતી અને આ પ્રકારનો દાવો ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એનસીપી (શરદ પવાર) ના નેતાઓ દ્વારા જ કરાયો હોવાનું કહેવાય છે. આ વખતે વિલીનીકરણની ગુપ્ત વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું તથા આખરી સમજુતિ સાથે શરદ પવાર અને સોનિયા ગાંધીની સહમતિ હોવાનો દાવો પણ પાર્ટીના અંતરંગ વર્તુળોને સાંકળીને કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના એક કોંગી નેતાએ પણ વિલય અંગે હાઈકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી હોવાની પુષ્ટિ કર્યા પછી આ દિશામાં પ્રગતિ થઈ રહી હોવાનો આશાવાદ જાગ્યો છે.

લગભગ અઢી દાયકા પહેલા સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે વિદ્રોહ કરીને શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવર સહિતના નેતાઓએ નેશનલ કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. તે પછી મહારાષ્ટ્રની રાજનીતિમાં શરદ પવારની એનસીપીનો દબદબો રહ્યો હતો. આ એનસીપીમાં પણ વિભાજન થયું અને અજિત પવારનું જુથ અલગ થઈ ગયું, જેનું ભાજપ અને શિવસેનાના બળવાખોર જુથ સાથે ગઠબંધન રચાયું. બીજી તરફ શિવસેનામાં પણ વિભાજન થયું અને એકનાથ શિંદેના જુથે બળવો કર્યો. મોટાભાગના ફંટાયેલા જનપ્રતિનિધિઓ વિદ્રોહી જુથોમાં જતા રહેતા તેઓના જુથની એનસીપી તથા શિવસેનાને મૂળ પક્ષો ગણવામાં આવ્યા અને ચૂંટણીપ્રતીકો બળવાખોર જુથોને ફાળવાયા. તે પછી મહારાષ્ટ્રમાં બાકી રહેલી શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસે મળીને મેળવેલી મહારાષ્ટ્રની સત્તા પણ ગઈ અને ભાજપ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના ગઠબંધનની સરકાર રચાઈ.

મહારાષ્ટ્રમાં તે પછી મહાવિકાસ અઘાડીની સામે ભાજપના નેતૃત્વમાં મહાયુતિ રચાઈ અને અભૂતપૂર્વ સમીકરણો રચાયા તથા અજબ-ગજબની ઘટનાઓ બની. મહારાષ્ટ્રમાં જે ઘટનાક્રમો બની રહ્યા હતાં તેની વ્યાપકઅસરો રાષ્ટ્રીય રાજનીતિ પર પણ પડી રહી હતી. મહારાષ્ટ્રમાં તો રાજનૈતિક ઉઠાપટક થતી રહી હતી, પરંતુ સંસદમાં પણ આ ઘટનાક્રમોનો સીધો લાભ એનડીએને થઈ રહ્યો હતો. કોંગ્રેસ તથા વિપક્ષો ભારતીય જનતા પક્ષ પર ગંભીર આક્ષેપો કરી રહ્યા હતાં, ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તથા રાષ્ટ્રીય નેતાગીરી વચ્ચે પણ મત-મતાંતરો સપાટી પર આવ્યા હતાં. તે પછી આ જ પદ્ધતિથી અન્ય રાજ્યોમાં પણ સમીકરણો બદલાયા હતાં, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિમાં પણ આંતરિક મતભેદો હોવાની વાતો વહેતી થઈ હતી. આ દરમિયાન એક હવાઈ દુર્ઘટનાએ ફરીથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.

વિમાન દુર્ઘટનામાં અજીત પવાર દિવંગત થયા પછી તેના સ્થાને તેઓના પત્ની સુનિત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાયા, તે પહેલા શરદ પવાર અને સદ્ગત અજીત પવારની એનસીપીના પુનઃ જોડાણની વાતો વહેતી થઈ હતી, પરંતુ તે પછી સમીકરણો ફરી બદલાયા અનેે હવે શરદ પવારની એનસીપીના કોંગ્રેસમાં વિલીનીકરણની વાતો ફરીથી થવા લાગી છે અને હવે સ્થાનિક નેેતાઓ દ્વારા ઉભય પક્ષે પુષ્ટિ થવાના અહેવાલો પછી એવું મનાય છે કે ટૂંક સમયમાં શરદ પવારની એેનસીપીનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિધિવત વિલીનીકરણ થઈ જશે.

જો કે, શરદ પવારની એનસીપીમાં પણ બે ગ્રુપ છે. એક જુથ એવું માને છે કે રાજ્યકક્ષાએ ફ્રેન્ડલીફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ એનસીપી (શરદ પવાર) દ્વારા એનડીએને સમર્થન આપવું જોઈએ, કારણ કે કેન્દ્ર, રાજ્ય અને બીએમસીમાં હવે એનડીએનું જ શાસન હોવાથી લોકોના કામો કરવા તથા અપેક્ષાઓ સંતોષવા માટે (ભલે બહાર રહીને પણ) એનડીએને સમર્થન આપવું જોઈએ. આ જુથ પૈકીના કેટલાક નેતાઓ તો રાજ્ય કક્ષાએ તથા સ્થાનિક સ્તરે પણ એનડીએ તરફી રાજનીતિ કરવી જોઈએ, તેવું માનતા હોવાનું કહેવાય છે. કદાચ આ કારણે જ વિલંબ થઈ રહ્યો હશે, જો કે અંતિમ નિર્ણય તો શરદ પવારનો જ હશે, તેથી આ વિલીનીકરણની સંભાવનાઓ વધુ મજબૂત છે. રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી વાતો જો હકીકતમાં બદલે, તો કોંગ્રેસ માટે તો ઉત્તમ તક હશે જ, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિ પણ કરવટ બદલશે...

આ પહેલા પ. બંગાળમાં કારમી હાર થયા પછી આસમાનમાં ઊડતા મમતા બેનરજી જમીન પર આવી ગયા, ત્યારે ખુદ સોનિયા ગાંધીએ મમતા બેનરજીને એવો પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ કોંગ્રેસમાં તૃણમુલ કોંગ્રેસની વિલીનીકરણ કરી નાખે, તો તેણીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ બનાવાશે. આ પ્રકારની વાતો વહેતી થઈ, ત્યારે મમતા બેનરજી અને ભત્રીજો અભિષેક બેનરજી દિલ્હીની મુલાકાતે પણ આવ્યા હતાં. તે પછી એવું બહાર આવ્યું કે મમતા બેનરજીએ કોંગ્રેસમાં વિલીનીકરણ પછી તેણીને તથા તેના ભત્રીજાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં અન્ય મહત્ત્વપૂર્ણ પદોની માંગણી કરી હતી. તે પછી આ વાત અટકી ગઈ છે, પરંતુ તૃણમુલ કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલીનીકરણ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું નથી, અને આ વાત ગમે ત્યારે આગળ વધી શકે છે.

ભૂતકાળમાં રાજીવ ગાંધીના નિધન પછી જ્યારે કોંગ્રેસના ઘણાં દિગ્ગજો કોંગ્રેસ છોડવા લાગ્યા હતાં, ત્યારે સોનિયા ગાંધીએે પોતાનો રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય પડતો મૂકીને કોંગ્રેસની કમાન્ડ સંભાળી. તે પછી કોંગ્રેસ મજબૂત બની અને પ્રારંભિક પડકારો પછી કેન્દ્રમાં યુપીએની સરકાર રચીને દસ વર્ષ શાસન પણ કર્યું હતું. તેવી જ રીતે કોંગ્રેસ પુનઃ મજબૂત બનીને મજબૂત વિપક્ષ બન્યા પછી ઈતિહાસ દોહરાવી પણ શકે છે.

અત્યારે સંસદમાં એનડીએ ઘણું જ મજબૂત છે, અને હવે રાજ્યસભામાં પણ તોતિંગ બહુમતી મળી છે, તથા અધિકત્તમ રાજ્યોમાં ભાજપ અથવા એનડીએની સરકારો છે, ત્યારે કેન્દ્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે પૂર્તતા દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ જ કરી શકે તેમ છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જ જોઈએ, પરંતુ હવે શું થાય છે તે જોવું રહ્યું...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દિલ્હી સરકારની નવી ઈવી પોલિસીને મિશ્ર પ્રતિસાદ... ગુજરાત સરકાર અનુસરશે?

                                                                                                                                                                                                      

ગઈકાલે દિલ્હીની રાજ્ય સરકારે નવી ઈવી પોલિસી જાહેર કરી છે. આ ઈલેક્ટ્રીક વાહન નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે, તે ઉપરાંત કેટલીક છૂટછાટો તથા પ્રોત્સાહનો પણ જાહેર કરાયા છે. આ જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસકોન્ફરન્સ યોજીને કરી હતી. આ બહુહેતુક નવી નીતિને આવકાર પણ મળી રહ્યો છે, તો કેટલાક પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે. આ ઉપરાંત દિલ્હીમાં આ પ્રયોગ સફળ થાય અને વ્યાપક (જંગી) પબ્લિક રિસ્પોન્સ મળે, તો અન્ય રાજ્ય સરકારો પણ તેના આધારે પોતપોતાના રાજ્યોમાં આ પ્રકારની નવી યોજનાઓ બનાવશે. પોલિસીઓ ઘડશે અને લોકોને ઈવીના માર્ગે વાળવા માટે તેના ઉમદા ઉદ્દેશ્યો સમજાવી શકશે ખરી? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, અને કેટલાક તર્કો પણ પડઘાઈ રહ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં જાહેર કર્યા મુજબ આ નવી પોલિસી પહેલી જુલાઈથી જ લાગુ થઈ જશે અને ૩૧ મી માર્ચ ર૦૩૦ સુધી અમલમાં રહેશે. આ નવી નીતિના મુખ્ય ઉદ્દેશ્યોમાં પર્યાવરણની સુરક્ષા, હવાઈ પ્રદૂષણમાં ઘટાડો અને પરિવહનના ઈંધણ તરીકે પેટ્રોલ-ડીઝલ-સીએનજી પરની નિર્ભરતા ઘટાડવાના હોઈ શકે છે.

આ પોલિસી અંતર્ગત દ્વિચક્રીય, ત્રિચક્રીય અને ફોરવ્હીલર્સ ઈલેક્ટ્રીક વાહનોમાં માતબર સબસિડી અપાશે. રૂ।. ૩૦ લાખ સુધીની એક્સ શો-રૂમ ઈલેક્ટ્રીક કારો પર લાગતી રજિસ્ટ્રેશન ફી તથા રોડ ટેક્સમાં સંપૂર્ણ માફી અપાશે. દ્વિચક્રીય વાહનો, જેવા કે સ્કુટર, બાઈક વગેરેની ખરીદી પર પહેલા વર્ષે રૂ।. ૩૦ હજાર, બીજા વર્ષે રૂ।. ર૦ હજાર અને ત્રીજા વર્ષે રૂ।. ૧૦ હજારની સબસિડી આપવાની જોગવાઈ કરાઈ છે. ત્રિચક્રીય વાહનો એટલે કે ઓટોરિક્ષા/ઈ-રિક્ષા પર પહેલા વર્ષે રૂ।. પ૦ હજાર સુધીની સબસિડી અપાશે, તેવું જાહેર કરાયું છે, જેની સત્તાવાર જાહેરાત સંબંધિત વિભાગ દ્વારા પરિપત્રિત પણ કરાશે.

આ નીતિ હેઠળ ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી વધે અને જુના વાહનોનો ભંગાર પણ વેંચાઈ જાય તે માટે એક્સચેઈન્જની વ્યવસ્થા પણ અમલી બનશે, તેવા સંકેતો છે. જાણકારોના અભિપ્રાયો મુજબ જુના વાહનો સ્ક્રેપમાં આપીને નવા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર રૂ।. પ૦૦૦ થી લઈને રૂ।. એક લાખ સુધીનું વિશેષ ઈન્સેન્ટિવ અપાશે.

આ પ્રકારની નવી નીતિ અમલી બને, ત્યારે તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાથી નક્કી કરી લેવું ઘણું જ જરૂરી હોય છે. જ્યારે સીએનજી આધારિત વાહનોનો પ્રચાર-પ્રસાર વધારાયો હતો, ત્યારે એક તરફ માર્કેટમાં સીએનજી (ગેસ સંચાલિત) વાહનો માર્કેટમાં આવી ગયા હતાં, તો બીજી તરફ ગેસ ભરાવવા વાહનચાલકોને કેટલાક કિલોમીટર દૂર જવું પડતું હતું, કારણ કે ગેસ આધારિત વાહનોમાં ગેસ ભરવાની વ્યવસ્થા માટે ગેસફિલીંગ સ્ટેશનો (ગેસના પંપો) શરૂ કરવાના નવા નીતિ-નિયમો અમલી બનવામાં વાર લાગી હતી. હજુ પણ કેટલાક સ્થળે આ સમસ્યા છે, તેથી આ અનુભવના સંદર્ભે એવા સવાલો ઊઠી રહ્યા છે કે, આ નવી પોલિસીના અમલીકરણ માટે આ જ સમસ્યા તો ઊભી નહીં થાય ને? ઈલેક્ટ્રીક વાહનો ચાર્જીંગ માટેનું નેટવર્ક પર્યાપ્ત અને ફૂલપ્રૂફ તો હશે ને? ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જીંગ સિસ્ટમમાં અવરોધ તો નહીં આવે ને? તેવી આશંકાઓ પણ ઊઠી રહી છે.

આ અંગે એવું જણાવાઈ રહ્યું છે કે આ યોજના ફૂલપ્રૂફ જ હશે, અને તમામ સંભાવનાઓ વિચારીને તેના નિવારણની વ્યવસ્થાઓ પણ થશે. રાજ્ય સરકાર આવતા ચાર વર્ષમાં આ યોજના પાછળ રૂ।. ૧પ હજાર કરોડનું રોકાણ કરશે. પહેલી જાન્યુ. ર૯ર૭ માં માત્ર ઈલેક્ટ્રીક ત્રિચક્રીય વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે, અને વર્ષ ર૦ર૮ ના એપ્રિલથી માત્ર દ્વિચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનું જ રજિસ્ટ્રેશન થશે. તેનો મતલબ એવો થાય કે આગામી પહેલી જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલ અને સીએનજી આધારિત ઓટોરિક્ષા વગેરે ત્રિચક્રીય વાહનોનું રજિસ્ટ્રેશન જ નહીં થાય, તેવી જ રીતે એપ્રિલ ર૦ર૮ થી આ પ્રકારના દ્વિચક્રીય વાહનો એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ આધારિત સ્કુટર, બાઈક વગેરેનું રજિસ્ટ્રેશન જ નહીં થાય. આ પ્રકારના કડક નિર્ણયો પણ પર્યાવરણ સુરક્ષા, ઈંધણબચત તથા પર્યાવરણ સુરક્ષાને કેન્દ્રમાં રાખીને લેવાયા છે.

આ નવી પોલિસીમાં પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણ અને ઈંધણબચત જેવા ઉદ્દેશ્યોને વિપક્ષી વર્તુળોએ પણ આવકાર આપ્યો છે, પરંતુ આ રીતે અચાનક જ ઈલેક્ટ્રીક વાહનોની નવી નીતિ લાગુ કરી દેવાથી ગરીબ-મધ્યમ વર્ગિય વાહનચાલકો અને ગિગ વર્કર્સ, ડિલિવરી બોય વગેરેને આર્થિક ફટકો પડશે, તેવી દહેશત પણ બતાવાઈ રહી છે.

ઈલેક્ટ્રીક વાહનોના સમયોચિત ચાર્જીંગ, બેટરીઓ ખરાબ થઈ જવાની સમસ્યા તથા બિનઉપયોગી થઈ ગયેલી બેટરીઓના સુરક્ષિત યોગ્ય નિકાલનો પ્રશ્ન ઊભો થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યા વિના તથા તમામ વ્યવસ્થાઓની પ્રયોગાત્મક સફળતા સાથે પર્યાપ્ત વ્યાપક્તા વધાર્યા વિના સીધેસીધા જ એક-બે વર્ષમાં આ પ્રકારના કડક નિયમનો લાગુ કરી લેવા હિતાવહ કે વ્યવહારૂ નહીં હોવાના મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે. તેની સામે એવો જવાબ પણ અપાઈ રહ્યો છે કે પર્યાવરણની સુરક્ષા, જીવસૃષ્ટિ પર ખતરો ઊભો કરી રહેલું હવાઈ પ્રદૂષણ અને પ્રવર્તમાન સમયમાં ડીઝલ-પેટ્રોલ-ગેસ જેવા ઈંધણ પરની નિર્ભરતા વગેરે ઘટાડવા માટે આ પ્રકારની થોડીઘણી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવામાં સૌએ સહભાગી બનવું જોઈએ, અને પાર્ટી પોલિટિક્સથી ઉપર ઊઠવું જોઈએ.

એકંદરે એવું કહી શકાય કે તબક્કાવાર વર્ષ ર૦ર૭ સુધીમાં દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનોનું નવું રજિસ્ટ્રેશન બંધ કરવાથી આગામી એક દાયકા સુધીમાં હવાઈ પ્રદૂષણ ઘણું ઘટી શકે અને પ્રોત્સાહક યોજનાઓ થકી બહુચક્રીય ઈલેક્ટ્રીક વાહનોનો વ્યાપ પણ વધતો રહે તો માત્ર પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણની સુરક્ષા જ નહીં, પરંતુ જીવસૃષ્ટિને પણ નૈસર્ગિક નવજીવન આપી શકાય, તેમ હોવાથી જે આશંકાઓ ઊઠી રહી છે તેનો ઉકેલ લાવીને પણ આ પ્રકારની પોલિસી દિલ્હીની જેમ અન્ય રાજ્યો પણ અપનાવી શકે છે.

ગુજરાત રાજ્ય દ્વારા પણ વર્ષ ર૦ર૧ માં ઈવી અંગે પોલિસી બની હતી, હવે આ પ્રકારની પોલિસી અપનાવવાની પહેલ ભાજપ શાસિત રાજ્યો ઝડપથી કરશે, તથા વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના વતનના રાજ્ય ગુજરાતમાં પણ દિલ્હીની નવી યોજનાનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરીને એ જ પ્રકારના અથવા તેનાથી પણ વધુ ઉદાર પ્રોત્સાહનો જાહેર કરાશે, તેવી આશા સેવાઈ રહી છે, જો કે દિલ્હી નાનું રાજ્ય અને દેશની રાજધાની છે, તથા ત્યાં હવાઈ પ્રદૂષણની સર્વાધિક સમસ્યા છે, તેથી ત્યાં આ પ્રકારની પોલિસી તત્કાળ અમલી બની શકે, તેવી દલીલ થઈ રહી છે, પરંતુ આખા ગુજરાતને લક્ષ્ય બનાવીને પ્રાયોરિટીમાં અમદાવાદ સહિતના વધુ હવાઈ પ્રદૂષણ તથા વાહનો ધરાવતા શહેરો-જિલ્લાઓમાં પ્રયોગાત્મક પ્રારંભ તો થઈ જ શકે ને? ભૂપેન્દ્રભાઈ વિચારશે?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાત સહિત દેશભરમાં શાળા-કોલેજોને તમાકુ મુક્ત-ડ્રગ્સ એલર્ટ કરવાની ઝુંબેશ... વાલીઓ, સમાજ અને અગ્રણીઓ જાગે...

                                                                                                                                                                                                      

એક તરફ ગુજરાત સહિત ડ્રગ્સનો જથ્થો ઠેર ઠેરથી પકડાઈ રહ્યો છે, અને ગુજરાતમાં ડ્રગ્સ એડિક્સ વધી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે મોટાભાગે ડ્રગ્સના બંધાણીઓ કોલજિયનો બનતા હોવાની વાતોએ ચિંતા વધારી દીધી છે, તો બીજી તરફ કુમળી વયથી જ તમાકુના વિવિધ પ્રકારોનું સેવન કરતા બાળકોની સંખ્યા વધી રહી છે અને કન્યાઓ તથા મહિલાઓ પણ તમાકુના વ્યસનમાં વધુને વધુ સંખ્યામાં લપેટાઈ રહી હોવાના તારણો નીકળી રહ્યા છે, ત્યારે વાલીઓ, સમાજ અને સામાજિક-ધાર્મિક-સંગઠનાત્મક અને સંસ્થાકીય આગેવાનોએ જાગવાની જરૂર છે.

ગુજરાતમાં ઠેર-ઠેર વધી રહેલી આ બદીની ચર્ચા શરૂ થઈ છે. તે પહેલા આ ચર્ચા રાષ્ટ્રીય કક્ષાએ શરૂ થઈ હતી અને કેન્દ્ર સરકારે રાજ્યોને ઉદ્દેશીને આ અંગેની એડવાઈઝરી પણ ભૂતકાળમાં જાહેર કરી હતી.

તમામ શેક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ, ટ્યુશન ક્લાસીઝ, સંશોધન કેન્દ્રો, કૌશલ્યવર્ધન કેન્દ્રો, તાલીમ કેન્દ્રો અને બાલમંદિરથી આઈઆઈએમ, આઈઆઈટી તથા સાયન્ટિસ્ટ ક્ષેત્રોની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની શાખાઓ, પ્રયગશાળાઓને સાંકળીને આખા શિક્ષણ ક્ષેત્ર (ટોટલ એજ્યુકેશન સેક્ટર) ને તમાકુ અને ડ્રગ્સમુક્ત કરવાની આ પહેલને માત્ર કાગળ પર નહીં, પરંતુ વાસ્તવમાં પંચાયતથી પાર્લામેન્ટ અને આંગણવાડીથી કેન્દ્રિય સચિવાલય તથા એમ્બેસી સુધી ચૂસ્તપણે અમલી બનાવવાની જરૂર છે.

આ પહેલનો પ્રારંભ કેન્દ્ર અને રાજ્યોના શિક્ષણ વિભાગના તમામ કાર્યાલયો, સચિવાલય, જિલ્લા તંત્રો, તાલુકા તંત્રો અને તમામ સરકારી કચેરીઓ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ તથા ગૃહવિભાગથી શરૂ કરીને તમામ મહેકમોમાં ટોપ ટુ બોટમ અમલ કરીને પછી તેને છેક ગ્રામ્યસ્તર સુધી વિસ્તારવાથી જ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ અને ડ્રગ્સમુક્ત સમાજની આશા રાખી શકાશે.

કેન્દ્ર સરકારની એડવાઈઝરીમાં તો તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓના ઉદ્દેશ્યને અગ્રતા અપાઈ હતી, પરંતુ તમાકુમુક્ત અને ડ્રગ્સ મુક્ત સમાજના ઉદ્દેશ્ય સાથે દેશવ્યાપી જનઆંદોલન શરૂ થવું જોઈએ, અને આ ચળવળ અવિરત ચાલતી રહેવી જોઈએ.

ટી.ઓ. એફઈઆઈ એટલે કે તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાઓના મેન્યુઅલનો કડક અમલ કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ભૂતકાળમાં એડવાઈઝ આપી હતી. તેનો કેટલો અમલ થાય છે અને તેના હકારાત્મક કેવા પરિણામો છે, તેનો સ્ટડી થઈ રહ્યો છે.

ગ્લોબલ યુથ ટોબેકનો રિપોર્ટ કોરોનાકાળ પહેલા જાહેર થયો અને તેના ડેટા સામે આવ્યા પછી આ પ્રકારની એડવાઈઝરીઓ કેટલીક વિશ્વકક્ષાની સંસ્થાઓ તથા કેટલાક દેશોએ પણ પોતાના દેશોમાં જાહેર કરી હતી. એ રિપોર્ટમાં ભારતીય બાળકોમાં તમાકુના વ્યસનીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હોવાનું બહાર આવ્યું હતું. આજે વર્ષો વિતી ગયા પછી પણ સ્થિતિમાં સુધારો થયો નથી અને આંકડાઓ વધતા જ રહ્યા છે.

ભારતમાં ૧૩ થી ૧પ વર્ષના વયજુથમાં તે સમયે સાડાઆઠ ટકા બાળકો તમાકુના વ્યસનીઓ હોવાનું જાહર થયું હતું, જે સંખ્યા અત્યારે કદાચ દોઢી કે ડબલ થઈ ગઈ હશે, કારણ કે તે સર્વે થયો તેને સાતેક વર્ષ થઈ ગયા છે. તે સમયે એવા તારણો રજૂ થયા હતાં કે ભારતમાં સાડાપાંચ હજારથી વધુ બાળકો દરરોજ તમાકુના વ્યસની બની રહ્યા છે. આ ગણતરી મુજબ અત્યારે તો દેશમાં કરોડો બાળકો વિવિધ તમાકુ પ્રોડક્ટ્સના વ્યસની થઈ ગયા હોવા જોઈએ. માત્ર તમાકુ જ નહીં, ડ્રગ્સના બંધાણીઓ પણ ઝડપભેર વધી રહ્યા હોવાની ભીતિ સેવાઈ રહી છે.

ધૂમ્રપાનને લઈને બીજા ચિંતાજનક અને ચોંકાવનારા તારણો બહાર આવ્યા હતાં. દેશમાં જીવનભર ધૂમ્રપાન કરનારા વ્યસનીઓ પૈકીના પપ (પંચાવન) ટકા લોકોએ ર૦ વર્ષની ઉંમર થતા પહેલા જ ધૂમ્રપાન કરવાનું શરૂ કરી દીધુ હોય છે. ધૂમ્રપાન પછી યુવાવર્ગ ખૂબ જ ઝડપથી અને સરળતાથી ડ્રગ્સનું સેવન કરવા તરફ વળી જાય છે, તેવા તારણો પણ નીકળ્યા છે.

તમાકુનું સતત સેવન કરવાથી જીવનું જોખમ ઊભું થાય છે. તમાકુની આદતના કારણે મોઢું, ગળું, અન્નનળી, મૂત્રાશય, કિડની, સ્વાદુપીંડ અને સર્વિક્સ સહિતના કેન્સરનું જોખમ વધે છે. ધૂમ્રપાનથી ફેંફસાનું કેન્સર, હાર્ટએટેક, સ્ટ્રોક અને શ્વાસના દર્દોનું જોખમ વધે છે. પેટની લાઈનીંગને. નુક્સાન પહોંચે છે, કબજિયાત વધે છે, જે અનેક અન્ય બીમારીઓને જન્મ આપે છે. આંખ, કાન, બેલેન્સ અને ગેસ્ટ્રોલાઈઝની ગંભીર બીમારીઓ પણ આ કારણે ઉદ્ભવી શકે છે.

એવું નથી કે વ્યસનો છોડી શકાતા જ નથી, તમાકુ છોડી શકાય છે, આ માટે દૃઢ સંકલ્પ લેવો પડે અને જીવનભર બીડી-સિગારેટ પીતા હોય કે તમાકુવાળા પાન-માવા-ગુટ્ખા ખાધા હોય, તેને બધાને ક્યાં કેન્સર થાય છે? તેવા પ્રકારની દલીલો-તર્કોને સૌ પ્રથમ દિલોદિમાગમાંથી હટાવી દેવા પડે. તે પછી ખૂબ જ મક્કમ રહીને તમાકુને તિલાંજલિ આપી દેવી પડે, અને તે પછી કઈપણ સંજોગોમાં આદત ફરી લાગુ ન પડે તે માટે સ્વયં જ દૃઢ રહેવું પડે.

તમાકુ છોડી દીધા પછી કોઈપણ વ્યક્તિ ગમે તેટલો આગ્રહ કરે, મગજ કામ કરતું નથી, ડાયજેસ્ટીંગ પ્રોબ્લેમ થાય છે, તે પ્રકારની વિટંબણાઓ ઉદ્ભવે કે પછી થોડા દિવસો કે મહિનાઓ માટે સુસ્તી અનુભવાય કે અપચા જેવું રહે, તો પણ જો તમાકુનું સેવન રજમાત્ર પણ પુનઃ શરૂ થાય નહીં, તો તેનાથી કાયમી છૂટકારો મળી જાય છે, અને જીવ પરનું સંભવિત જોખમ પણ ટળી જાય છે, તે હકીકત છે.

હમણાંથી ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સનો જંગી જથ્થો પકડાય છે. તમાકુ જેટલું જ ખતરનાક ડ્રગ્સનું સેવન છે. ડ્રગ્સનું વ્યસન ખૂબ જ મોંઘુ, ખતરનાક અને શારીરિક-માનસિક તમામ ક્ષમતાઓનો વિનાશ કરનારૂ હોય છે. તેનાથી તો દૂર જ રહેવું સારૂ અને કોઈના આંધળા અનુકરણ કે પછી ટેન્શનો હળવા કરવા માટે શરાબના વ્યસનમાંથી ડ્રગ્સ તરફ વળ જવાથી હંમેશાં સાવધ રહેવું જોઈએ. ટૂંકમાં તમાકુ હોય કે શરાબ, કે પછી ડ્રગ્સ હોય, તે બધા વ્યસનોનો અંજામ ખૂબ જ ખરાબ આવી શકે છે, અને સારો અંજામ ક્યારેય આવતો જ નથી.

ગુજરાતમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો પકડાતો હોવાથી ડ્રગ્સ માફિયાઓમાં પણ ફફડાટ હશે, કારણ કે પાકિસ્તાન સાથેની જમીન બોર્ડર તદ્ન બંધ થયા પછીથી પંજાબ-હરિયાણાના માર્ગે મોકલાતા ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે ઘૂસાડવા માટે જુના જમાનામાં સ્મગલીંગ માટે ઉપયોગમાં લેવાતા માર્ગોનો ઉપયોગ થઈ રહ્યો હોય, અને ગુજરાતમાંથી ડ્રગ્સને દેશભરમાં મોકલાઈ રહ્યો હોય તો તે ખતરનાક છે, અને ગુજરાતની ભાવીપેઢીને બરબાદ કરીને ખોટા માર્ગે વાળનાર છે. આ કારણે હવે આ મુદ્દે સમાજ અને પબ્લિકે જાગૃત રહીંને એજન્સીઓને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં મદદરૂપ થવા અને યુવા વર્ગ પર નજર રાખીને ડ્રગ્સના આડે ચડતા અટકાવવાની જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

શાળા પ્રવેશોત્સવોમાં ખુલી પોલ... શિક્ષણ ક્ષેત્રે બધું લોલંલોલ...? ચોમાસામાં દુર્ઘટના અટકાવવાની ગાઈડલાઈન્સ...

                                                                                                                                                                                                      

ગુજરાતમાં ધમાકેદાર શાળા પ્રવેશોત્સવ મનાવાયા. રાજ્યભરમાં મંત્રી-મહાનુભાવો-સચિવો તથા જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતના પદાધિકારીઓ-આગેવાનો ગામડાઓ સુધી પહોંચ્યા અને પહેલેથી કરેલા સર્વે મુજબ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને આધ્યાત્મિક શિક્ષણમાં પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને મોજમસ્તીભર્યા માહોલમાં સ્કૂલોમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રવેશોત્સવ દરમિયાન કેટલાક દાતાઓએ ઉદાર દિલે દાન આપ્યું, તે ગ્રામજનો-સ્થાનિક આગેવાનોએ કાર્યક્રમોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો. વર્ષ ર૦૦૩ થી ચાલી આવતી આ સરકારી પરંપરા નિભાવાઈ ગઈ અને હવે આખુ તંત્ર પોતપોતાની મૂળ ચીજો તફ વળ્યું હશે, અને વીક એન્ડ તથા તાજિયાની રજાઓ પછી સરકારી કચેરીઓમાં પહેલાની જેમ જ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપલબ્ધ રહેશે, તેવું માની શકાય.

આ વખતે પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કેટલીક ક્ષતિઓ સપાટી પર આવી ગઈ, તો કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની ખૂટતી જરૂરિયાતો કે વહીવટી-ટેકનિકલ સમસ્યાઓ પણ નજરે પડી. આ કાર્યક્રમોમાં મોટાભાગે શાસક પક્ષના નેતાઓ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોવાથી આ પ્રકારની ક્ષતિઓ કે સમસ્યાઓ પર ઢાંકપીછોડો થઈ શકે, પરંતુ કેટલાક સ્થળે રાજનીતિને બાજુ પર મૂકીને, આ કાર્યક્રમોમાં શિક્ષણ જેવા પવિત્ર કાર્ય તથા ભાવિ પેઢીની બુનિયાદ મજબૂત કરવાના ઉદ્દેશ્યો સામેલ હોવાથી વિપક્ષના નેતાઓ, પદાધિકારીઓ પણ જોડાયા હોય, ત્યાં ઢાંકપીછોડા થઈ શકતો હોતો નથી, અને પોલંપોલ બહાર આવી જતી હોય છે. તે ઉપરાંત સોશિયલ મીડિયાના યુગમાં કેટલાક જાગૃત નાગરિકો પણ મોબાઈલ સેલફોનમાં રેકોર્ડીંગ કરીને શિક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો, સમસ્યાઓ કે ખામીઓને પ્રકાશમાં લાવવાનો સંનિષ્ઠ અને પવિત્ર પ્રયાસ કરતા હોવાથી પણ હવે બધી વાત પર ઢાંકપીછોડો કરવો મુશ્કેલ છે.

આ કારણે જ એક સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન એવો ઘટસ્ફોટ થયો, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતાં. હાલારની એક પ્રાથમિક શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ તો ઉજવાયો, પરંતુ એવું બહાર આવ્યું કે એ પ્રાથમિક શાળામાં તો ચારેય શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એ પછી પ્રેસ-મીડિયામાં આ વાત છવાઈ ગઈ અને સોશિયલ મીડિયાની પાંખો આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. આ સત્ય બહાર એટલા માટે આવ્યું કે ત્યાં વિપક્ષના ધારાસભ્ય હાજર હતાં. આ જ રીતે શિક્ષકો, સુવિધા કે બુનિયાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી ઘણાં સ્થળે હશે, તો પણ બધી જગ્યાએ વિપક્ષના નેતાઓ કે સંનિષ્ઠ જાગૃત અગ્રણીઓની હાજરી નહીં હોય, કે પછી તેઓથી વાસ્તવિક્તા છૂપાયેલી રાખવામાં સફળતા મળી હશે. ઘણી સરકારી શાળાઓ ખૂબ જ સુંદર કામ કરે છે, શિક્ષકો ઉત્સાહી છે અને સ્થાનિક સહયોગ તથા ગ્રામજનો-દાતાઓની હૂંફ તથા અદ્યતન સાધન-સુવિધાઓ ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી હોય છે, તેની નોંધ પણ લેવાવી જ જોઈએ.

ગુજરાતમાં વર્ષ ર૦ર૪-રપ માં જિલ્લાવાર શિક્ષકોની જગ્યાઓ તથા તેની સામે ખાલી જગ્યાઓના આંકડાઓ મુજબ જામનગર જિલ્લામાં ૬૬૩ સરકારી પ્રાથમિક શાળાઓ ધોરણ ૧ થી ૮ ના ર૮૬૧ શિક્ષકો છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ૮૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮ માં ર૪૭૬ શિક્ષકો છે. તેવી જ રીતે જામનગર મહાનગરમાં ૪૪ સ્કૂલોમાં ૩૯૯ શિક્ષકો છે. રાજ્યના આંકડાઓ મુજબ રાજ્યમાં લગભગ ૩ર હજાર સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં ૧૯ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી, તે પૈકી ૧૧ હજાર જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પછી બીજા તબક્કામાં ૩ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ભરવાની છે. રાજ્યમાં ૧૬૦૦ થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વર્ષ ર૦ર૪-રપ માં બજેટસત્રમાં તત્કાલિન શિક્ષણ મંત્રીએ આ આંકડાઓ આપ્યા પછી કેટલીક ભરતી પ્રક્રિયાઓ થઈ, અને કેટલીક પ્રક્રિયાઓ ચાલી રહી છે, તેમ છતાં કેટલીક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય, ત્યાં કેવી સ્થિતિ હશે, અને તેને રજા પર જવું પડે, ત્યારે બાળકોના શિક્ષણનું શું થતું હશે, તે સમજી શકાય તેવું છે.

આંકડાઓ મુજબ વર્તમાન પ્રક્રિયા દરમિયાન ૧૧ હજાર તથા ૩૯૦૦ થી વધુ શિક્ષકોની ભરતી પછી પણ ૪ થી પ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેશે, જેમાં છાપરે ચડેલી એક પણ શિક્ષક વગરની હાલારની સરકારી પ્રાથમિક સ્કૂલ પણ સામેલ હશે ને?

ગુજરાતમાં વિપક્ષી નેતાઓ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ તથા ખાનગી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના મુદ્દે સરકારને ઘેરતા હોય છે. વિપક્ષના નેતાઓ ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની સેવાઓ લેવાતી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ પણ કરતા હોય છે. રાજ્યની વિધાનસભામાં પણ દોઢ હજારથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાની ચર્ચા થઈ હતી. જ્ઞાનસહાયક જેવી શોષણપદ્ધતિ બંધ કરીને નિયમિત પૂરા પગારથી કાયમી શિક્ષકની નિમણૂક કરવા તથા અત્યારે ફરજો બજાવી રહેલા કરાર આધારિત જ્ઞાનસહાયકોને કાયમી કરવાની માંગણી પણ વિપક્ષો દ્વારા થઈ છે.

શાળા પ્રવેશોત્સવો દરમિયાન જ કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં ઈમારતોની સ્થિતિ, વાયરીંગ અને જર્જરિત સંકુલો જોવા મળ્યા હશે, અને દર વર્ષની જેમ પ્રિ-મોન્સુન સાવચેતીના પગલાં લેવાની ફોર્માલિટી પણ પૂરી કરવાની હશે, તેથી રાજ્ય સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. સરકારી શાળાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોમાં વરસાદી સિઝનમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેવા ઉદ્દેશ્ય સાથે કેટલીક સૂચનાઓ પણ અપાઈ રહી છે. આ અંગે જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓ કડક નિરીક્ષણ કરશે તેમ જાહેર થયું છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ માટે જર્જરિત ઓરડાઓમાં કે સ્કૂલોમાં અભ્યાસવર્ગો કે અન્ય કાર્યક્રમો નહીં ચલાવવા, મેદાન, છત તથા વરસાદી પાણી ભરાતા હોય, તેવા સ્થળોની સફાઈ કરીને સેઈફ સ્ટેજ નક્કી કરવા, ઈલેક્ટ્રીક વાયરીંગ તથા મધ્યાહ્ન ભોજન કેન્દ્રોની પ્રિ-મોન્સુન ચકાસણી કરી લેવા તથા ખુલ્લા વાયરો, નબળી સ્વીચો કે ખામીયુક્ત અર્થીંગ, જોખમી વીજલાઈનોની તત્કાળ મરામત કરીને આઈએસએસ પ્રમાણિત વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા, ભારે વરસાદ-પૂર જેવી સ્થિતિ માટે ઈમરજન્સી પ્રોટોકોલ નક્કી કરવા અને જરૂર પડ્યે વિદ્યાર્થીઓના તત્કાળ સ્થળાંતરની વ્યવસ્થા રાખવા આ ગાઈડલાઈન્સ દ્વારા તાકીદ કરાઈ છે. આમાં ક્યાંય ક્ષતિ રહેશે, તો જિલ્લા કક્ષાના બન્ને શિક્ષણાધિકારીઓની જવાબદારી ગણી શકાય, તેવી ગાઈડલાઈન્સ જણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

એલપીજીના અંકુશો હટ્યા, હવે, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? નવેસરથી નીતિ નક્કી કરો... દેશવાસીઓ પર રહેમ કરો...

                                                                                                                                                                                                      

ઈરાન-અમેરિકા વચ્ચે ૬૦ દિવસના યુદ્ધવિરામ પછી કાયમી શાંતિ સ્થપાશે, તેવા આશાવાદ વચ્ચે બન્ને દેશો વચ્ચે હજુ પણ અવિશ્વાસનું વાતાવરણ છે, અને ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે, જો કે ઈઝરાયલ દ્વારા હુમલા ચાલુ રહ્યા હોવાથી આ પ્રકારનું અવિશ્વાસનું વાતાવરણ રહે તે સ્વાભાવિક પણ છે, પરંતુ અનિશ્ચિતતાઓ હજુ પણ છવાયેલી હોવાથી ઈંધણનો પુરવઠો જાળવવાના પ્રયાસો બધા દેશોએ ચાલુ રાખ્યા છે. ભારતમાં દોઢેક મહિના ચાલે તેવો પુરવઠો હોવા ઉપરાંત હવે નવો પુરવઠો આવવા લાગ્યો હોવાથી આપણાં દેશને બહુ વાંધો આવે તેવું નથી, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયા પછી ભારત સરકારે યુદ્ધ સમયે લીધેલા કેટલાક કડક નિર્ણયોની પનર્વિચારણા કરીને કેટલીક છૂટછાટો કરવાની દિશામાં પહેલું કદમ ઊઠાવ્યું છે અનેે એલપીજી સંદર્ભે લદાયેલા કેટલાક અંકુશો હટાવી લેવામાં આવ્યા છે. કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ (નોન-ડોમેસ્ટિક) હેતુઓ માટે સરકારે યુદ્ધ સમયે કેટલાક અંકુશો મૂક્યા હતાં અને બલ્ક ખરીદી-વેંચાણ તદ્ન બંધ કરાયું હતું. હવે તેમાં પ૦ ટકા સુધીની છૂટછાટ અપાઈ છે. હવે સી-૩ અને સી-૪ નો ઉપયોગ ફરીથી વધી શકે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ઘરેલુ રાંધણગેસની પ્રાયોરિટી યથાવત્ રહેશે અને તેના ભાવોમાં કોઈ વધારો થશે નહીં, જો કે જે લોકો પાઈપલાઈનથી ગેસ મેળવતા હોય, એવા પીએનજીના ગ્રાહકોને એલપીજી કનેક્શન નહીં મળે, એ નિયમ યુદ્ધ પછી લાગુ કરાયો હતો તે યથાવત્ રખાયો છે, અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલી ગયા પછી ક્રૂડ ઓઈલના બેરલના ભાવ, જે ૧ર૦ ડોલર સુધી પહોંચી ગયા હતાં, તેમાં ર૦ ટકાથી ૪ર ટકા સુધીનો ઘટાડો થયો છે, અને ગઈકાલ સુધીમાં ૭ર ડોલર સુધી પહોંચી ગયા છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં હજુ ઘટાડો કરાયો નથી, જેની લોકો રાહ જોઈ રહ્યા હતાં. આવું થવાના કારણો પણ અપાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવો ઘટી ગયા હોવા છતાં પહેલાથી ખરીદેલું ક્રૂડ જે રસ્તામાં હોય તથા જેનો સોદો થઈ ગયો હોય, તેના ભાવો મૂળ ખરીદકિંમત મુજબ જ રહે, તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, લેબરચાર્જ, કરવેરા, ઘસારો વગેરે ઉમેરાતા ક્રૂડના ભાવોની ખરીદકિંમત વધી જાય. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે ભાવો જાળવી રાખવા જ્યારે ક્રૂડનું બેરલ રૂ।. ૧૦૦ થી ૧ર૦ વચ્ચે હતું, ત્યારે એક્સાઈઝ ડ્યુટી શૂન્ય સુધી ઘટાડી હતી, તેને સરભર કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ કારણે સરકારે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત આપી નહીં હોય તેમ મનાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવો પર જ માર્કેટ, ટ્રાવેલીંગ, ટ્રાન્સપોર્ટેશન અને ઈન્ડસ્ટ્રીઝ સેક્ટરનો આધાર હોવાથી જો થોડો-ઘણો પણ ભાવઘટાડો થાય, તો તેની અસરો આ તમામ સેક્ટર્સ પર થતા લોકોને ઘણી રાહત થાય તેમ છે, તેથી સરકારે ઈંધણના ભાવોમાં ઘટાડો થાય તેવો નિર્ણય લેવો જ જોઈએ. બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા માટે પેટ્રોલિયમ પેદાશો મોંઘા જ રાખવાની નીતિ અપનાવાઈ રહી હોય, તો પણ પહેલા મુસાફરીથી લઈને કાર્ગો સુધીના પરિવહન માટે પર્યાપ્ત ઈલેક્ટ્રીક વાહનો ઉપલબ્ધ થઈ જતા સુધી સરકારે રાહ જોવી જોઈએ અને ક્રૂડ આધારિત ઈંધણના ભાવો ઘટાડવાનું કદમ ઝડપભેર ઊઠાવવું જોઈએ, તેવા મંતવ્યો હકીકતલક્ષી ગણાય. જો પબ્લિકને ક્રૂડના ઘટતા ભાવોનો લાભ નહીં મળે તો મોંઘવારી ફાટી નીકળશે તથા અલનીનોની અસરથી જો વર્ષ નબળું જશે, તો સ્થિતિ બેકાબૂ બની જશે, તેવી આશંકાઓમાં વજુદ છે. આજે નહીં તો કાલે, કેન્દ્ર સરકાર ઈંધણના ભાવોમાં રાહત આપશે, તેવી આશા રાખીને બેઠેલી પ્રજાને જો નિરાશા સાંપડશે, તો તેના પડઘા આગામી વિવિધ ચૂંટણીમાં દેશવ્યાપી ધોરણે પડી શકે છે.

ગઈકાલે ભારતીય જનતા પક્ષ રપ મી જૂન-૧૯૭પ માં લદાયેલી કટોકટીની વરસી મનાવી રહ્યો હતો, ત્યારે વિપક્ષો અયોધ્યાના રામમંદિરમાં દાનની ચોરી, ઈંધણના ભાવ તથા તાજેતરના અગ્નિકાંડો તથા બિહારના એન્કાઉન્ટરના મુદ્દે ભાજપ પર તડાપીટ બોલાવી રહ્યા હતાં. આ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે એલપીજી પરથી અંકુશો ઊઠ્યા પછી હવે સરકાર કેવા કદમ ઊઠાવે છે, તેના પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.

હોર્મુઝ સ્ટ્રેટને લઈને સતત વિરોધાભાસી સમાચારો આવી રહ્યા છે. એક તરફ યુનો દ્વારા અમેરિકાના સહયોગથી ઓમાનના દરિયામાંથી નવો રૂટ એક્ટિવેટ કર્યા પછી ઈરાને ત્યાંથી પસાર થતા જ્હાજો મિસાઈલની રેન્જમાં હોવાનું જણાવી હુમલાની ગંભીર અને ગર્ભિત ધમકી આપ્યા પછી એવું પ્રતીત થાય છે કે હોર્મુઝ સંકટ ગમે ત્યારે ફરીથી સર્જાઈ શકે છે. આ સંજોગોમાં સરકારે ભવિષ્યને ધ્યાને લઈને રણનીતિ નવેસરથી નક્કી કરવી પડે તેમ છે. તો બીજી તરફ મોંઘવારીથી પીડાતી પ્રજાએ સંકટના સમયે સરકારને સતત સહયોગ આપ્યા પછી હવે જો બધું બરાબર હોય તો ક્રૂડના ભાવમાં થયેલા જંગી ઘટાડાના કારણે પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં થવાપાત્ર ઘટાડાનો મહત્તમ લાભ કંપનીઓને નહીં, પરંતુ ગ્રાહકો (જનતા) ને મળે, તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો એવું નહીં થાય તો જનતામાં આક્રોશ વધશે, અને કોંગ્રેસની 'ગૂંજ' તથા વિપક્ષોની ફોજ દિલ્હી (કેન્દ્ર સરકાર) ને રાજકીય રીતે ઘેરી વળશે, તે નક્કી છે. આશા રાખીએ કે એકાદ અઠવાડિયામાં દેશવાસીઓને 'રાહત'ના સમાચાર મળે!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

આજે ભીમ અગિયારસ... હે પ્રભુ... અલનીનોને અટકાવી દ્યો... તંત્રો નળબંધી સાથે જળબંધી પણ કરે...

                                                                                                                                                                                                      

આજે ભીમ અગિયારસ છે, જેને નિર્જલા એકાદશી પણ કહે છે. આ વખતે અધિક (પરસોત્તમ) મહિનો પ્રથમ જયેષ્ઠ (જેઠ) મહિનામાં હતો, તેથી ભીમ અગિયારસ એક મહિનો મોડી થઈ છે. ભીમ ભૂખ્યો રહી શકતો નહીં અને એકાદશીનું વ્રત કરી શકતો નહીં હોવાથી વ્યાસજીએ જેઠ સુદ-એકાદશીના દિવસે જળ ગ્રહણ કર્યા વગર એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીઓના વ્રતનું ફળ મળશે, તેવી સલાહ આપી હતી. આ નિર્જલા વ્રત ભીમે કર્યું હતું, તેથી આ એકાદશીને ભીમ અગિયારસ અથવા નિર્જલા એકાદશી કહેવાય છે, તેવી કથા છે. ઘણાં લોકો આ એકાદશીને પાંડવ પૂર્ણિમા અથવા પાંડવી પૂનમ પણ કહે છે. આ વ્રત કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, અને વર્ષની મોટી અગિયારસ અથવા મોક્ષદાયિની એકાદશી પણ કહેવાય છે.

જુના જમાનાથી એેવું કહેવાય છે કે ભીમ અગિયારસથી અષાઢી બીજ વચ્ચે શ્રીકાર વર્ષા થાય છે. ભીમ અગિયારસના દિવસે અમીછાંટણા થાય છે, તેને શુભ માનવામાં આવે છે. અખાત્રીજ પછી ખેડૂતોએ ખરીફ સિઝન માટે કરેલા પરિશ્રમની ફલશ્રૂતિ મેળવવાનો અવસર જેઠ મહિનામાં ભીમ અગિયારસથી શરૂ થાય છે. આ વર્ષે પણ આ પરંપરા જળવાય અને સાર્વત્રિક શ્રીકાર વર્ષા થાય, તવી આશા સ્વાભાવિક રીતે જ સૌ કોઈ રાખે છે.

ગઈકાલે આવેલ ફોરકાસ્ટ મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં આગામી ૭ દિવસમાં ભારે પવન અને વરસાદ સાથે વરસાદ થશે. મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને ત્યાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ગઈકાલે જ ર૪ કલાકમાં દસ-બાર ઈંચ વરસાદ થઈ ગયો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ થયા પછી એકાદ-બે અઠવાડિયામાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતો હોય છે. આ વખતે ચોમાસું મોડું થતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વિલંબથી આવશે, પરંતુ આ વર્ષે અલનીનોની કેટલીક અસર થશે, તે અંગે મતમતાંરો છે.

એવું કહેવાય છે કે અલનીનોની વિપરીત અસરો શરૂ થઈ ગઈ છે અને તેની માઠી અસરો હાલાર સહિત ગુજરાતના ચાર-પાંચ જિલ્લામાં થઈ શકે છે. તે ઉપરાંત પ્રાચીન વર્ષા વિજ્ઞાન તથા કુદરતી બદલાવ પરથી થતી આગાહીઓ સાથે ટીટોડીએ ખેતરમાં ઈંડા મૂક્યા હોવાના દાવો કરીને નબળા ચોમાસાની આગાહીઓ થઈ રહી છે. આ સંજોગોમાં લોકોને તદ્ન સચોટ અને વાસ્તવિક જાણકારી મળતી રહે અને હકીકતે જો નબળા ચોમાસાની સંભાવનાઓ હોય તો લોકોને તથા ખેડૂતોને સમયોચિત રીતે માહિતગાર કરીને તેને મદદરૂપ થવાનો માસ્ટરપ્લાન પણ અત્યારથી જ વિચારી લેવો જોઈએ. અલનીનોની બહુ અસર ન થાય, અથવા અરબી સમુદ્રમાં પોઝિટિવ ઈન્ડિયન ઓશન ડાયપોલ અલનીનોની વિપરીત અસરોનેે અટકાવી શકે છે અને દુષ્કાળની સંભાવનાઓને પણ મહદ્અંશે ઘટાડી શકે છે, તેથી આજે એકાદશીના પવિત્ર પર્વે એેવું પ્રાર્થીએ કે સારો વરસાદ થાય, અને અલનીનોનો કાળો પડછાયો ન પડે. વર્ષ સારૂ જાય અને ધનધાન્યની ઉણપ રહે નહીં.

આમ છતાં, બદલતા ઋતુચક્ર, સંભાવનાઓ તથા ફોરકાસ્ટને ધ્યાને લઈને આગમચેતી રાખવી જરૂરી છે. જુના જમાનાની જેમ અત્યારે ટાંચા સાધનો તથા ઢીલી સંચાર વ્યવસ્થા નથી. આજના ઈન્ટરનેટ યુગમાં હજારો કિલોમીટર દૂર દરિયામાં થતી ઘટનાઓની રજેરજ માહિતી મોકલી પણ શકાય છે, અને નિહાળી પણ શકાય છે, તેથી મોસમ પર બાજ નજર રાખીને સાયન્ટિસ્ટો, તંત્રો અને સરકાર તમામ જરૂરી આગોતરા કદમ પણ ઊઠાવી શકે છે, અને જરૂર પડ્યે કરકસરના કદમ પણ ઊઠાવી શકે છે. આ માટે પ્રવર્તમાન ઉપલબ્ધ જળરાશિ તથા ભૂગર્ભ સપાટીની સમીક્ષા કરીને અત્યારથી જ કેટલાક અંકુશો મૂકવાનું વિચારી શકાય છે, અને તે દિશામાં કદાચ કેટલાક તંત્રોએ કદમ ઊઠાવવાનું શરૂ પણ કરી દીધું છે.

કેન્દ્ર સરકારે દેશના ૩૧પ થી વધુ સૌથી વધુ એવા જિલ્લાઓ અલગ તારવ્યા છે, તેમાં પણ સિંચાઈની સુવિધાઓ ઘણી જ ઓછી હોય, તેવા જિલ્લાઓને પ્રાયોરિટીમાં રાખ્યા છે. આ જિલ્લાઓમાં પાણીની કરકસર અને બચત માટે જરૂર પડ્યે કડક કદમ ઊઠાવવાની તૈયારી પણ રખાઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે.

અલ્પવૃષ્ટિની સ્થિતિમાં દાળ, તેલિબિયાનું અનાજ-કઠોળના વિકલ્પે અથવા મહત્તમ વાવેતર કરવામાં ખેડૂતોને મદદરૂપ થવા, પશુધનને નિભાવવા તથા લોકોને પીવાનું પાણી પૂરૃં પાડવા માટે પ્લાન એ, બી, સી, બનાવીને તેનો અમલ કરાવવાનું માઈક્રો પ્લાનિંગ કરવું પણ આવશ્યક છે. તે ઉપરાંત અનાજ, કઠોળ અને આવશ્યક ચીજવસ્તુઓનો બંફરસ્ટોક તથા ઘાસચારાનો વિપુલ જથ્થો સંગ્રહી રાખવા જેવા કદમ ઊઠાવવા પણ જરૂરી છે. આ તમામ બાબતો કેન્દ્ર સરકારના માસ્ટ પ્લાનમાં હશે જ, તેવી આશા રાખીએ...

ગુજરાતમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી અને હાલારમાં ચોમાનું મોડું પડ્યું છે, ત્યારે અલનીનોની આશંકાને લઈને સ્થાનિક તંત્રો પણ એલર્ટ થઈ ગયા છે. જામનગર સહિતના ૧૦ શહેરોમાં આંશિક 'નળબંધી' થઈ રહી છે અને જ્યાં દૈનિક જળવિતરણ થતું હતું, ત્યાં હવે એકાંતરા જળવિતરણ થશે, તેવું જાહેર થયું છે. તે ઉપરાંત કેટલાક નગરો તથા ગ્રામ વિસ્તારોમાં તો ચાર-પાંચ દિવસ કે અઠવાડિયે પાણી પુરવઠો અપાતો હોવાની રાવ પણ ઊઠી રહી છે. જો વરસાદ વધુ ખેંચાય, તો પ્રવર્તમાન નળબંધીમાં વધારો પણ થઈ શકે છે.

જો આગામી સમયને સુરક્ષિત રાખવા માટે વર્તમાનમાં થોડી કરકસર કરવી પડે, કે તકલીફ ભોગવવી પડે, તો નાગરિકોએ સહયોગ પૂરો પાડવો જોઈએ, જે આપણું કર્તવ્ય છે, પરંતુ પીવાના પાણી પર કાપ મૂકવાની સાથે સાથે વિવિધ કામો માટે ભૂગર્ભમાંથી દરરોજ વિપુલ જળરાશિ ખેંચતા લોકો પર 'જળબંધી' કરવી જરૂરી છે. તે પણ ન ભૂલવું જોઈએ. આજે નિર્જલા એકાદશીના દિવસે પ્રભુને પ્રાર્થીએ કે પુષ્કળ વરસાદ વરસાવીને અલનીનોને અટકાવી દ્યે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

માતૃતુલ્ય સ્વ. ઉર્મિલાબેનને સ્નેહભરી સ્મરણાંજલિ...

આપની સ્નેહાળ સ્મૃતિઓ... પ્રેરણાનું ઝરણું...

                                                                                                                                                                                                      

માધવાણી પરિવાર અને 'નોબત' પરિવારના માતૃતુલ્ય અને 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના જીવનસંગિની સ્વ. ઉર્મિલાબન માધવાણીની આજે પુણ્યતિથિ છે. આજે તેઓની સ્નેહાળ સ્મૃતિઓ વધુ તાજી થઈ છે, અને અમને સૌને તેની પ્રેરણાદાયી હૂંફની અનુભૂતિ આજે પણ થઈ રહી છે.

વર્ષ ર૦૧૯ ની ર૪ મી જૂનનો એ દિવસ અમારા માટે આઘાતજનક હતો, જ્યારે આપ અમને બધાને છોડીને અનંતયાત્રાએ નીકળી ગયા હતાં. આપે હંમેશાં અમનેે સૌનેે પ્રેમાળ પથદર્શન સાથે હૂંફાળુ વાત્સલ્ય આપ્યું હતું. આપની મમતાળું હૂંફ, નિખાલસ સ્વભાવ, શાંત મનોવૃત્તિ અને જીવનના પડકારો સામે ઝઝુમવાની તાકાત અમારા માટે હંમેશાં પ્રેરણાદાયી રહેશે. આપનું સદાચાર, સંસ્કાર અને સાદગીભર્યું જીવન અમારા બધા માટે હંમેશાં અનુકરણીય બન્યું છે.

માતૃત્વની શિતળ છાયા ગુમાવ્યા પછી ક્યારેય પુનઃ મળતી નથી. આપ અમારા બધાના માતૃતૃલ્ય હતાં. આપની અણધારી વિદાય હતી, પરંતુ ઈશ્વરની આ ઘટમાળ પાસે પામર મનુષ્યનું કાંઈ ચાલતું નથી. જન્મ-મરણ ઈશ્વરને આધીન હોય છે, તેથી આપ અનંતયાત્રાએ નીકળી ગયા પછી આપની ખોટ આજ સુધી પૂરી શકાઈ નથી.

આપની પ્રેરણાદાયી સ્મૃતિઓ તથા માતૃત્વના શિતળ છાંયડાને સ્મરીને આજે પણ અમને બધાને જીવનના સંઘર્ષો સામે લડવાની તથા સર્વજનહિતાય, સર્વજનસુખાય જીવવાની તથા સૌને મદદરૂપ થવાની પ્રેરણા મળે છે.

આપના રાશીર્વાદ હંમેશાં અમારા પર વરસતા રહે અને વૈકુંઠમાંથી પણ અમારા બધા પર આપની અમી દૃષ્ટિ રહે તેવી શ્રીજીને પ્રાર્થના સાથે અમે બધા ખૂબ જ ભાવપૂર્વક આપને સ્મરણાંજલિ-સહ-શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.

જામનગર

તા. ર૪-૦૬-ર૦ર૬

- માધવાણી પરિવાર

- 'નોબત' પરિવાર

જીવલેણ ભ્રષ્ટાચાર... રંગે હાથ પકડાતા લાંચિયાઓને થતી દૃષ્ટાંતરૂપ સજા... એ.સી.બી. દ્વારા સહયોગની અપીલ...

                                                                                                                                                                                                      

એક તરફ સામાન્ય જનતામાં હંમેશાં એક કોમન ફરિયાદ સંભળાતી હોય છે કે સરકારી-અર્ધ સરકારી કચેરીઓ-બોર્ડ-નિગમોમાં કોઈપણ કામ મોટાભાગે પૈસા આપ્યા વિના થતું જ નથી, તો બીજી તરફ સરકાર પારદર્શક વહીવટનો દાવો કરતી રહે છે. ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન માટે જ  ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. અને સિસ્ટમ પણ હવે ટ્રાન્સપરન્ટ અને ડિજિટલાઈઝેશન સાથે અદ્યતન થઈ રહી હોવાનું જણાવાય છે. આ વિરોધાભાસી મંતવ્યો-દાવાઓ વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરોએ જાહેર જનતાને ભ્રષ્ટાચારી તંત્રો અંગે જાણકારી આપવાનો અનુરોધ કર્યા પછી વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો એક વધુ વખત 'ટોક ઓફ ધ સ્ટેટ' બન્યો છે.

બન્યું છે એવું કે આણંદના એક પૂર્વ આર.એ.સી.ની સામે ચાલી રહેલી એક તપાસ પછી એસીબી દ્વારા તેણી સામે ગૂન્હો નોંધવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો કે તેણીએ પોતાના અને પોતાના પરિવારના નામે વસાવેલી સ્થાવર અને જંગમ મિલકતો તેણીની આવક કરતા ઘણી વધુ છે. વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૩ દરમ્યાન તેણીના આવક-ખર્ચ વચ્ચે ઘણી બધી વિસંગતતા સામે આવી હોવાનો દાવો પણ કરાયો છે. આ ડિફરન્સ આ અધિકારીએ કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાની પ્રબળ સંભાવનાઓ દર્શાવે છે. તેણીએ આ માલ-મિલકતો સત્તાનો દુરૂપયોગ દ્વારા આર્થિક લાભ મેળવીને વસાવી હોવાનો આરોપ મુકાયો છે, અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ જુદી જુદી કલમો હેઠળ ગૂન્હો નોંધ્યા પછી જાહેર જનતાને એવો અનુરોધ કરાયો છે કે તંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે સહયોગ આપે અને કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારી ભ્રષ્ટાચાર આચરીને ગેરકાયદેસર રીતે સંપત્તિઓ ખરીદતા હોય કે મિલકતો વસાવતા હોય તો તેની જાણ એસીબીને તત્કાળ કરે.

આ વિવાદાસ્પદ કેસ સાથે સંકળાયેલા મહિલા અધિકારી સામે અન્ય કેટલાક કેસો પણ થયા હતા અને સજા થઈ હતી, હવે તેણીની મિલકતને લઈને એસીબી દ્વારા કેસ થયો હોવાના અખબારી અને પ્રેસ મીડિયાના અહેવાલો ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓ માટે બોધપાઠરૂપ છે અને તંત્રમાં ચર્ચાનો વિષય બન્યા છે.

તાજેતરમાં જ એસીબીને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓને એન્ટિકરપ્શન એકટ હેઠળ દબોચ્યા છે અને લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયા છે. આ અધિકારીઓની સંપત્તિ પણ આવક કરતા ઘણી જ વધુ નીકળી હતી. એસીબીએ સીઆઈડી ક્રાઈમના ઈન્સ્પેકટર અને કોન્સ્ટેબલને રૂ।. ૩૦ લાખની લાંચ લેવાના કેસમાં દબોચ્યા. તેથી ખાતાની ક્રેડેટિબિલિટી વધી હતી. તે ઉપરાંત જમીનની કોઈ ફાઈલના નિકાલ માટે એક ડેપ્યુટી મામલતદાર, જપ્ત કરેલા વાહનને છોડાવવા માટે જીએસટીના એક અધિકારી દ્વારા રૂ।. ૧૦ લાખ લેતા ઝડપાયા હોવાના રાજ્યના જુદા જુદા સ્થળે નોંંધાયેલા ગૂન્હા જોતા ભ્રષ્ટાચાર પણ હવે "મોંઘો" થઈ ગયો હોવાનું તારણ નીકળે છે.

વર્ષ ૨૦૨૫ના એક રિપોર્ટ મુજબ બે વર્ષમાં એસીબીએ રાજયમાં ભ્રષ્ટાચાર વિરોધી ૨૧૩થી વધુ ગૂન્હાઓ નોંધીને ૩૧૦ ભ્રષ્ટાચારીઓને દબોચી લીધા હતા. જેમાં વર્ગ-૧ના ૧૩ તથા વર્ગ-૨ના ૩૫ અધિકરીઓ સામેલ છે. સૌથી વધુ કેસ ગૃહ-મહેસુલ અને પંચાયત વિભાગમાં નોંધાયા છે.

તાજેતરમાં મોટી ખાવડી પાસેથી પીજીવીસીએલના કર્મચારીઓ પકડાયા હતા, જેની સામે રૂ।. ૮૦ હજારની લાંચ લેવાનો આરોપ મુકાયો છે. તે પહેલા કલ્યાણપુરના હરિપરમાં તો સરપંચના પરિવારજનો જ લાંચ કેસમાં પકડાયા હતા. આ પ્રકારના દૃષ્ટાંતો ચોતરફ ચાલી રહેલા ભૂંડા ભ્રષ્ટાચારના છે.

જો કે, આ દૃષ્ટાંતો તો પકડાયેલા ભ્રષ્ટાચારીઓના છે. આઈસબર્ગની જેમ આ પકડાયેલા કેસો કરતા અનેકગણો ભ્રષ્ટાચાર ઉધઈની જેમ જનતાને કોતરી રહ્યો છે, અને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે જરૂરી પૂરાવા અને સરકારી ખાતા સામે બાથ ભીડવાની હિંમતના અભાવે ઘણી વખત ભ્રષ્ટાચારીઓની ફરિયાદ કાં તો થતી જ નથી અને કાં તો પૂરવાર થતી નથી, તેથી જ આ ભોરીંગ વધુ ને વધુ ભરડો લઈ રહ્યો છે.

એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા છટકાં ગોઠવાય, આરોપીઓ રંગે હાથ પકડાય અને તે સમયે તેની વ્યાપક પબ્લિસિટી થાય, તેથી લાંચમાં પકડયેલા અધિકારી-કર્મચારીઓની આબરૂ જાય કે સમાજમાં નીચાજોણું થાય તેથી લાંચ-રૂશ્વતના રવાડે નહીં ચડવા વડીલો સલાહ આપતા અને અધિકારી-કર્મચારીઓ પણ આ પ્રકારની સંભાવનાઓથી ડરતા હતા, પરંતુ હવે ધીમે ધીમે આ પ્રકારની શરમ-સંકોચ રહ્યા નથી અને પોતે નિર્દોષ હોવાનો દાવો કરીને કાનૂની લડત લડીને ઘણાં લાંચ રૂશ્વતના આરોપીઓ વર્ષો સુધી કેસ ચાલ્યા પછી નિર્દોષ છૂટી જતા હોય છે, તેથી એક નવી ચર્ચાએ પણ ઊઠી છે કે છટકું ગોઠવીને પૂરતા પૂરાવા સાથે રંગેહાથ સ્વયં લાંચ લેતા અધિકારીઓ-કર્મચારીઓ નિર્દોષ છૂટવા જ ન જોઈએ. આ સંદર્ભેે એસીબીના થતા કેસોમાં કેટલાને સજા થાય છે, અને કેટલા નિર્દોષ છૂટે છે, તેની ચર્ચા સાથે સવાલો પણ ઉઠતા રહે છે કે આ માટે "સિસ્ટમ" જવાબદાર છે ? કોણ જવાબદાર છે ?

ભ્રષ્ટાચારના કારણે માનવજિંદગીઓ પણ હોમાતી હોય છે. સુરતનો તક્ષશીલા અગ્નિકાંડ હોય, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હોય, કે પછી ગઈકાલનો લખનૌનો અગ્નિકાંડ હોય, આ બધા અગ્નિકાંડોમાં હોમાયેલી જિંદગીઓ પાછળ ભ્રષ્ટ રીતિ-નીતિ તથા લાંચિયા અધિકારીઓ જ જવાબદાર ગણાય ને ?

એક કરચોરીના કેસમાં રૂ।. ૨૦ લાખની લાંચની માંગણી કરવાના આક્ષેપ હેઠળ આણંદના ઈન્કમ ટેકસના એક ઉચ્ચ અધિકારી તથા એક એડવોકેટને સીબીઆઈ દ્વારા રંગેહાથ પકડાયા હતા. આ કેસમાં એટલા સચોટ પૂરાવા એકત્રિત કરાયા હતા કે સ્પેશિયલ કોર્ટે આ બંનેને સજા ફટકારી હતી. ઈન્કમ ટેકસના તે સમયના ૨૩ વર્ષ પહેલાના ડેપ્યુટી ડાયરેકટર કક્ષાના ઉચ્ચ અધિકારી અને તેની મદદ કરનાર એડવોક્ેટને અનુક્રમે બે વર્ષ તથા એક વર્ષની સજા ફટકારાઈ હતી. આ ચૂકાદા સામે થયેલી અપીલમાં હાઈકોર્ટે આ સજા યથાવત રાખી છે. આ દૃષ્ટાંત મજબૂત પૂરાવા હોય તો દાયકાઓ પછી પણ અપરાધીઓ છુટી શકતા નથી. આ પ્રકારના સોલીડ કેસમાં લાંચિયાઓને છટકબારી મળતી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અલનીનો-અલ્પવૃષ્ટિની આશંકાઃ હાલાર સહિત સૌરાષ્ટ્રમાં સંભવિત કુદરતી આફતો માટે અલાયદો માસ્ટર પ્લાન બનાવો...

                                                                                                                                                                                                      

આ વર્ષે ચોમાસું અટવાઈ ગયું અને ગરમી વધી ગઈ તેથી ગુજરાતીઓ પરેશાન છે. રાજ્યમાં ગરમી અસહ્ય બની રહી છે અને તેમાં હવે ભેજનું ૩૦ થી ૬૦ ટકા સુધીનું પ્રમાણ ઉમેરાતા બફારો પણ વધ્યો છે. આ કારણે માર્કેટમાં એરકન્ડીશન્ડ મશીનોનું પ્રમાણ વધ્યું છે, તેથી વીજ પુરવઠાની માંગ પણ વધી છે. આ જ કારણે વીજલાઈનો પર દબાણ વધતા વીજળીના ધાંધિયા પણ વધ્યા છે અને નાના-મોટા વીજફોલ્ટ વધી જતા વીજકંપનીની ટીમોની હડિયાપટ્ટી પણ વધી છે.

કેરળમાં ચોમાસાના આગમન પછી જે ગતિથી ચોમાસું આગળ વધતું હોય, તેમાં આ વખતે બદલાવ આવ્યો છે. ચોમાસાની ઉત્તરીય સીમા અત્યારે હૈદ્રાબાદ, સોલાપુર, રાંચી થઈને પસાર થઈ રહી છે. ઉત્તર ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. આ કારણેે દક્ષિણ ઉત્તર તરફથી પટ્ટીમાં વરસાદની એક્ટિવિટી વધી છે. હવામાન ખાતાને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ઉ. ગુજરાતથી પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધીની પટ્ટીમાં સપાટીથી પ.૮ કિ.મી.ની ઊંચાઈ પર રચાયેલી ટ્રફ લાઈન અને નીચલા સ્તરે ફૂંકાઈ રહેલા દક્ષિણ-પશ્ચિમ પવનોના કારણે ગઈકાલે સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનને માઠી અસર પહોંચવા છતાં વરસાદી વાતાવરણ જળવાઈ રહેશે, અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ તા. ર૮ થી જૂન સુધીમાં પડી શકે છે.

હવામાન ખાતાએ ર૮ મી જૂન સુધીની કરેલી છૂટાછવાયા, મધ્યમ વરસાદની આગાહીમાં મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નામ છે, પરંતુ સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં માત્ર હળવા વરસાદનું અનુમાન કરાયું છે. તોફાની પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની સંભાવના દર્શાવાઈ છે. આમ, એક તરફ ચોમાસાના આગમનના કારણે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી વહેલી થશે, તેવી શક્યતા જણાવાઈ રહી છે, તો બીજી તરફ કચ્છ-સૌરાષ્ટ્રના મહત્તમ જિલ્લાઓ બાકાત રહેતા ચિંતા પણ વધી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમી ગતિથી આગળ વધીને આવતીકાલે મહારાષ્ટ્ર સુધી પહોંચશે, તેવી આગાહી છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ આગમનની કોઈ ચોક્કસ તારીખ નક્કી થઈ શકી નથી. અત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડે, તે પ્રિ-મોન્સુન એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ છે. આમ, મોડું થતું ચોમાસું, અલનીનોની અસરો અને રાજ્યના જળાશયોમાં ખૂટી રહેલો જળરાશિ ચિંતાજનક છે, તેથી રાજ્ય સરકારે 'સબ સલામત'ની રાબેતામુજબની રેકર્ડ વગાડવાના બદલે સમયોચિત કદમ ઊઠાવવા જોઈએ.

ગઈકાલે ર૧ મી જૂને યોગ દિવસ ઉજવાયો અને જામનગર-હાલાર સહિત ઠેેર ઠેર યોગશિબિરો યોજાઈ. યોગાના કાર્યક્રમો દરમિયાન એકત્રિત થતા લોકોમાં પણ ખેંચાયેલું ચોમાસું, અલનીનોની અસર અને જળાશયોમાં ઉપલબ્ધ જળસંગ્રહની જ સર્વાધિક ચિંતા વ્યક્ત થઈ રહેલી જોવા મળી રહી હતી. લોકો જામનગરમાં તો પહેલા વરસાદી ઝાપટાંમાં જ શહેરમાં થયેલા જળભરાવને યાદ કરીને પ્રિ-મોન્સુન કામગીરીની ટીકા કરી રહ્યા હતાં, ત્યારે કેટલાક લોકો વ્યંગમાં એવું કહેતા પણ સંભળાયા હતાં કે ચોમાસું મોડું આવવાનું હોવાથી તંત્રોને ક્ષતિ સુધારવા અને બાકી રહી ગયેલી પ્રિ-મોન્સુનની કામગીરી કરવાની તક મળી ગઈ છે, તો કેટલાક લોકો નિંભર તંત્રો આ કુદરતે આપેલી તકનો લાભ નહીં ઊઠાવે, તો મહાનગરની 'મહાદશા' કેવી હશે? તેવો સવાલ પણ ઊઠાવી રહ્યા હતાં. સામાન્ય જનતાની આ લાગણીઓ અને ચિંતાઓની અસર હંમેશાં ઉજવણીઓના મૂડમાં રહેતા શાસકો-પ્રશાસકો સુધી પહોંચી હશે કે કેમ? તે તો રામ જાણે, પરંતુ દેશમાં ફરીથી એક વખત અયોધ્યાના રામમંદિરનો મુદ્દો જુદા સ્વરૂપે ફરીથી 'ટોક ઓફ ધ  નેશન' બન્યો છે, તેની થોડી ઘણી ચર્ચા પણ થતી જોવા મળી હતી. અયોધ્યાના રામમંદિરમાં ગોલખચોરીના મુદ્દે રચાયેલી એસઆઈટી આજે યુ.પી.ને પ્રાથમિક રિપોર્ટ આપશે, તેવા અહેવાલો વચ્ચે દેશભરના પ્રત્યેક ધાર્મિક સ્થળોમાં શ્રદ્ધાળુઓને મંદિર માટે કરેલા દાન પર 'તરાપ' મારતા, દર્શન માટે ઊંચો ચાર્જ વસૂલતા કે પ્રસાદમાં ઘાલમેલ કરતા પરિબળોને સાંકળીને કોઈ કડક કાયદા બનવા જોઈએ, તેવા જન-પ્રત્યાઘાતો પણ સંભળાઈ રહ્યા હતાં, જો કે સર્વાધિક ચિંતા અલ્પવૃષ્ટિ અને સંભવિત દુષ્કાળની જ થઈ રહી છે.

આવી ચિંતા વ્યક્ત થઈ રહી હોય, તે સ્વાભાવિક છે, કારણ કે ચોમાસાની અનિશ્ચિતતાઓ સાથે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં ર૦ ટકા જેટલો જળસંગ્રહ ઓછો હોવાના અહેવાલો પછી અલ્પવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવા સંજોગોમાં માત્ર સિંચાઈ નહીં, પરંતુ લોકોનો પીવાના પાણી તથા પશુ-પંખીઓના નિભાવનો પ્રશ્ન ઊભો થાય તેમ છે. અત્યારે તો સૌની યોજના અને નર્મદા યોજનાનો સહારો છે, પરંતુ જો દુષ્કાળ પડે તો અણકલ્પ્ય સ્થિતિ ઊભી થાય અને દાયકાઓ પહેલા ઊભા થતા દૃશ્યો ફરીથી જોવા મળે, તેવી સંભાવના નકારી શકાય નહીં.

અહેવાલો મુજબ સૌરાષ્ટ્રમાં ૧૪૦ થી વધુ ડેમોમાં અત્યારે માત્ર ર૭.૪૦ ટકા જ જળસંગ્રહ છે. આખા રાજ્યની વાત કરીએ, તો રાજ્યમાં ર૦૦ થી વધુ ડેમોમાં પણ ૩૬.૯૪ ટકા જ જળસંગ્રહ છે, જેના પર આખા રાજ્યનો આધાર છે, તે નર્મદા ડેમમાં પણ ૬પ ટકાની આજુબાજુ જળસંગ્રહ છે. ગયા વર્ષે તો આ જ સમયગાળામાં પ્રિ-મોન્સુનના ભારે વરસાદ અને તે પછી ચોમાસાની એન્ટ્રી થતા ડેમોમાં પ૦ ટકા જેટલો જળસંગ્રહ થયો હતો, જ્યારે આ વર્ષે તો હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વર્ષે દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અડધો ડઝન જિલ્લાઓમાં ઘણાં ડેમોમાં શુન્ય જળરાશિ હોવાથી સૂકાઈ ગયા છે, અને મેદાનો જેવા બની ગયા છે, જ્યારે ૧૧૦ જેટલા ડેમોમાં માત્ર ર૦ ટકા કે તેથી ઓછું જ પાણી બચ્યું છે.

જળસંગ્રહની રાજ્યની કુલ ૮.૯૧ લાખ એમસીએફટી જેટલી ક્ષમતા છે, તેમાં સૌરાષ્ટ્રની ૯૧ હજારથી વધુ એમસીએફટીની ક્ષમતા છે, પરંતુ તેમાંથી અત્યારે નર્મદા સહિત ૪.ર૪ લાખ એમસીએફટી જળસંગ્રહ છે. તેથી જો ભીષણ દુષ્કાળ પડે તો આ જળસંગ્રહ પણ ઓછો પડે તેમ હોવાથી ભૂગર્ભ જળસપાટી જાળવી રાખવા અત્યારથી જ આગમચેતીના પગલાં લેવા જરૂરી છે.

જો કે, ગયા વર્ષે સરદાર સરોવર ડેમમાં ગત્ વર્ષે આ સમયગાળામાં હતો, તેનાથી સવાયો જળસંગ્રહ હોવાથી રાજ્ય માટે રાહતરૂપ છે, પરંતુ જું કહેવાઈ રહ્યું છે, તે મુજબ અલનીનોની વિપરીત અસરો સર્વાધિક હાલાર સહિત સૌરાષ્ટ્રના ચાર-પાંચ જિલ્લાઓને થવાની હોય તો તેના પર ધ્યાન કેન્દ્રિત (ફોકસ) કરીને પાણીની બચત, કરકસર અને ખાસ કરીને ભૂગર્ભ જળસપાટી જાળવી રાખવા નવા બોર કરવા તથા પ્રવર્તમાન બોરમાંથી ખૂબ જ મોટો જથ્થો ઉલેચવા પર સંતોષકારક વરસાદ થતા સુધી અંકુશો મૂકવાની જરૂર જણાય છે.

ટૂંકમાં, આ વર્ષે અલનીનોની વિપરીત અસર થાય, વરસાદ ઓછો પડે, દુષ્કાળ કે અછત જેવી સ્થિતિ ઉપસ્થિત થાય અથવા હાલાર સહિત કેટલાક જિલ્લાઓમાં વધુ વિષમ સ્થિતિ ઊભી થાય, તો તેના માટે અલાયદો માસ્ટર પ્લાન અત્યારથી જ તૈયાર રાખવાની જરૂર છે, અને ઉપરાંત આગામી વર્ષ માટે તમામ લોકો તથા પશુધન માટે પીવાનું પાણી, વાપરવાનું પાણી, ખેતીની સિંચાઈને અગ્રતા આપીને અન્ય હેતુઓ માટે જંગી જળ વપરાશ પર હાલતુરંત અંકુશો મૂકવાની તાતિ જરૂર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાત વિધાનસભા કેન્દ્રિત રાજકીય હલચલ તેજ... કોણ કેટલા પાણીમાં?

                                                                                                                                                                                                      

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને આડે હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્યમાં આ સંદર્ભે રાજકીય હલચલ તેજ બની ગઈ છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું એકચક્રીય શાસન રહ્યું છે, પરંતુ વર્ષ ર૦ર૭ ની ચૂંટણીમાં આ વખતે માત્ર કોંગ્રેસ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી પણ જોરદાર ટક્કર આપવાની તૈયારી કરી રહી છે, અને આ વર્ષે આમ આદમી પાર્ટીએ અત્યારથી જ રાજ્યવ્યાપી માઈક્રો પ્લાનીંગ અમલમાં મૂકી દીધું હોય તેવા સંકેતો છે.

ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં હોદ્દાઓની જાણે લ્હાણી કરી છે. આ પહેલા પણ રાજ્યવ્યાપી નિમણૂકો થઈ હતી. ગઈકાલે જાહેર થયેલી યાદી મુજબ રાજ્યમાં ૧ર નવા ઉપપ્રમુખો અને ૧૪ સંગઠનમંત્રીઓ ઉપરાંત યુવા, મહિલા અને વિદ્યાર્થી મોરચાઓના નવા પ્રમુખો નિમાયા છે. આ નિમણૂકોમાં જ્ઞાતિ-જાતિ, વર્ગ અને પ્રદેશનું સંતુલન બેસાડવાનો પ્રયાસ થયો હોય તેમ જણાય છે. ભૂતકાળમાં યુવા આંદોલનો સાથે જોડાયેલા કેટલાક યુવાનેતાઓને આ નિમણૂકોમાં પણ સ્થાન મળ્યું છે, અને પરીક્ષાઓમાં ગરબડ, પેપરલીક અને સરકારી ભરતીઓના મુદ્દે અવારનવાર અવાજ ઊઠાવનાર યુવરાજસિંહ જાડેજાનો સમાવેશ કરાયો છે. તાજેતરમાં ઓનલાઈન ઉભરેલી કોકરોચ પાર્ટીને પણ 'આપ'નું મૂક સમર્થન હોય તેમ જણાય છે. તાજેતરમાં 'આપ'ના સાંસદ સંજયસિંહે કરેલા કેટલાક નિવેદનો પણ ગુજરાતમાં પડઘાઈ રહ્યા છે.

આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હીના પરાજ્યનો બદલો ગુજરાતમાં લેવા કમર કસી રહી હોય તેમ જણાય છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રવર્તમાન શાસન સામેની ત્રણ દાયકાની એન્ટી ઈન્કમ્બન્સીનો લાભ લેવા અને કોંગ્રેસનો વિકલ્પ બનીને શક્તિશાળી વિપક્ષ બનવા અથવા ભાજપને પછાડીને ગુજરાતમાં પંજાબની જેમ સરકાર રચવાના સપના જોઈ રહી હોવાથી તેને અનુરૂપ તૈયારીઓ અત્યારથી જ આદરી દીધી હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપીને જો વર્ષ ર૦ર૭ માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાઠું કાઢી શકે, તો તેનો ફાયદો આગામી ચૂંટણીઓમાં થઈ શકે છે. દિલ્હીમાં સત્તા પાછી મેળવવી અને પંજાબમાં સત્તા જાળવી રાખવાના પડકારો વચ્ચે આમ આદમી પાર્ટી અત્યારે તો રાષ્ટ્રીય કક્ષાએ પડેલા ભંગાણ પછી હવે અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસો કરી રહી છે. આ સંજોગોમાં જો ગુજરાતમાં કમ-સે-કમ મુખ્ય વિપક્ષ બની શકે, તો પણ સર્વાઈવ કરવામાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રુસ્ટર ડોઝ મળે તેમ છે. આ કારણે ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી માત્ર ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસને પણ ટક્કર આપવાનો ભરપૂર પ્રયાસ કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીને ભાજપનું ત્યાં બહું ઉપજતું નહી હોવાથી સૌથી વધુ ફાઈટ કોંગ્રેસ જ આપવાની છે, તેથી ગુજરાતમાં કોંગ્રેસને પડકારીને 'આપ' એક કાંકરે બે નિશાન સાધવાના પ્રયાસ કરી રહી હોય તેમ જણાય છે.

કોંગ્રેસે તાજેતરમાં ખેડૂતોના પ્રશ્ને અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ રેલી અમદાવાદથી નીકળી, પરંતુ ઓગણજ સુધી જ પહોંચી અને ત્યાં સભામાં ફેરવાઈ ગઈ. ઓગણજમાં ભાજપ સરકાર વિરોધી દેખાવો થયા અને તીખા-તમતમતા ભાષણો પણ થયા. આ રેલીને સરકાર (ભાજપ) ના ઈશારે ઓગણજમાં જ રોકી દેવાઈ હોવાનો આક્ષેપ પણ થયો હતો.

હવે આમ આદમી પાર્ટીએ એવો આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસે માત્ર પબ્લિસિટી સ્ટંટ જ કર્યો હતો. કોંગ્રેસે ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા માત્ર ડ્રામેબાજી જ કરી હતી. હકીકતે કોંગ્રેસે આ રેલી માટે ગાંધીનગર સુધી જવાની મંજુરી જ લીધી નહોતી, પરંતુ માત્ર ઓગણજ સુધીની જ મંજુરી માંગી હતી, પરંતુ ગાંધીનગર કૂચના બહાને ખેડૂતોને અંધારામાં રાખીને ખેડૂતોની પરેશાનીઓનો રાજકીય લાભ લેવાનો જ પ્રયાસ થયો હતો, તે પ્રકારના પ્રેસ-મીડિયાના અહેવાલો પછી કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટી પર ખેડૂતોને ગુમરાહ કરવાનો આક્ષેપ લગાવ્યો છે.

ગઈકાલથી થઈ રહેલી રાજ્યવ્યાપી ચર્ચા મુજબ આમ આદમી પાર્ટીએ ગઈકાલે પડકાર ફેંક્યો હતો કે જો કોંગ્રેસે ગાંધીનગર સુધીની રેલીની મંજુરી માંગી હોય અને તેને નામંજુર કરીને ઓગણજ સુધીની જ મંજુરી અપાઈ હોય, તો કોંગ્રેસ પોલીસના જવાબનો પત્ર જાહેર કરે. પોલીસે હકીકતે પહેલેથી જ કથિત રીતે ૧૪ મી જૂને જ અમદાવાદના ઓગણજ સુધીની જ મંજુરી આપવા છતાં કોંગ્રેસે ખેડૂતોને અંધારામાં રાખીને ગેરમાર્ગે દોર્યા હતાં.

બીજી બાજુ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભાજપની 'બી' ટીમ તરીકે કામ કરતી હોવાના વારંવાર આક્ષેપો કરતી રહે છે, અને આ વખતે પણ 'આપ'ના કાર્યકરોએ ખેડૂતોની રેલીમાં ઘૂસણખોરી કરીને ખેડૂતોને ઉશ્કેર્યા હતાં. જો કોંગ્રેસના નેતાઓએ શાણપણ દાખવીને કંટ્રોલ ન કર્યો હોત તો લાઠીચાર્જ થયો હોત અને કડદાકાંડ જેવો ઘાટ સર્જયો હોવાનો દાવો કરીને કોંગ્રેસે તે તરફ જ અંગુલીનિર્દેશ કર્યો છે.

આ દૃષ્ટાંત જોતા એવું લાગે છે કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરેપૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે અને ત્રિપાંખિયા જંગમાં ભાજપને પડકારશે.

આમ આદમી પાર્ટીને ભાજપે રાષ્ટ્રીયકક્ષાએ તોડી નાંખી છે, અને સંસદમાં મોટો ઝટકો આપ્યો છે, પરંતુ ગુજરાતમાં પ્રાદેશિક કક્ષાએ આમ આદમી પાર્ટી ભાજપને ફાયદો થાય, તેવા પ્રયાસો કરતી હોય તો તેને રાજનીતિમાં બધું ય ચાલે, તેવી માન્યતાની ફલશ્રૂતિ જ ગણવી પડે. આપણાં દેશમાં રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા અભિગમો હોય, તેેમાં કોઈ નવાઈ નથી, ઘણાં પ્રાદેશિક પક્ષો રાજ્યકક્ષાએ ફ્રેન્ડલી ફાઈટ કરીને રાષ્ટ્રીય કક્ષાએ પરસ્પર તાલમેળ જાળવતી હોય છે. કેટલાક રાજકીય પક્ષો કેન્દ્રમાં સામસામે હોય, પણ રાજ્યમાં સહિયારૂ શાસન ચલાવતા હોય કે ગઠબંધનમાં સાથીદારો હોય, તેવા ઘણાં દૃષ્ટાંતો છે.

વર્ષ ર૦ર૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ઔદ્યોગિક ઘરાનાઓ તથા તેની સાથે સંકળાયેલા જાહેર જીવનમાં પ્રતિષ્ઠિત કેટલાક મહાનુભાવો-ઉદ્યોગપતિઓ કે રાષ્ટ્રીય કક્ષાએ જનપ્રતિનિધિત્વ કરતા વ્યક્તિવિશેષો ઉપરાંત કેટલાક જ્ઞાતિ સમાજોમાં રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા સુધીના હોદ્દાઓ ધરાવતા હાલારના મહાનુભાવો પણ માત્ર ફંડીંગ કે બેક ગ્રાઉન્ડ સપોર્ટના બદલે પ્રત્યક્ષ રીતે મેદાનમાં ઉતરે અને વિવિધ રાજકીય પક્ષોમાંથી ચૂંટણીમાં ઝંપલાવે, તેવા સંકેતો મળી રહ્યા છે. જો તેવું થશે તો સૌરાષ્ટ્રના રાજકીય સિમરણો બદલાઈ જશે.

છેલ્લે... ગઈકાલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એેજીએમમાં મુકેશભાઈ અંબાણીએ જિયોના આઈપીઓ ઉપરાંત એ.આઈ.ના યુઝર્સ નહીં, પણ મેનયુફેક્ચર બનવાની સાથે આગળ વધવાનો સંકેત આપતા જામનગર હવે એ.આઈ.ના ક્ષેત્રે પણ ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે, તેના સંદર્ભે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

પહેલા વરસાદે ખોલી હાલારની પોલ, તંત્રોમાં કેવું ચાલે છે લોલંમ્લોલ... સોહામણા સંકુલોમાં ભરાયા પાણી, તેમાં ઉકરડા ભળતા નગર બન્યું નરક...

                                                                                                                                                                                                      

જામનગરમાં વાદળછાયા વાતાવરણ પછી ગઈકાલે પોણાઈંચ જેવો વરસાદ પડ્યોઅને થોડા સમય માટે ઠંડક પ્રસરી, માહોલ બદલાયો અને આહ્લાદક વાતાવરણના કારણે મજા પડી ગઈ, પરંતુ થોડા સમયમાં જ તડકો તપવા લાગ્યો. જામનગરની જેમ જ હાલારમાં કેટલાક સ્થળે હળવા ઝાપટા પડ્યા. આ પ્રિ-મોન્સુન વરસાદ હતો, અને ચોમાસું હજુ બાકી છે, ત્યાં જ પ્રારંભિક વરસાદે ગાઈ-વગાડીને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી.

જામનગરમાં ખડકાયેલા વિકાસના માચડાઓ પર આ પ્રારંભિક વરસાદ પછી ગંદકી અને બદબુનું આવરણ ચડી ગયુંઅને સોહામણા સંકુલોમાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ગયા. આ કારણે લોકોમાં પહેલા વરસાદની આવેલી પ્રારંભિક ખુશી તો જાણે હવામાં જ ઊડી ગઈ.

ગઈકાલે પોણા ઈંચના ઝાપટા પછી જે સ્થિતિ જોવા મળી, તેમાં વિકાસના કામોની અણઘડતા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. જામનગર મહાનગરપાલિકાનું પ્રવેશ દ્વાર, મહાનગરપાલિકા પાસેથી ભીડભંજન મહાદેવના મંદિરના સામેનો તળાવની પાળ તરફનો માર્ગ, જિલ્લા અદાલતનું પટાંગણ, લાલબંગલો સંકુલ, ટાઉનહોલ, અપના બજાર, પંચેશ્વર ટાવર તરફનો માર્ગ, ગ્રેઈન માર્કેટ, ત્રણદરવાજા, ધરારનગર, ડી.કે.વી., હાપા રોડ તથા ઘણાં સોસાયટી વિસ્તારોમાં થયેલો જળભરાવ થોડા સમય માટે તો એવો દેખાતો હતો, જાણે કે આખું નગર જ ગટર બની ગયું હોય!

જામનગરને છોટીકાશી પણ કહે છે. છોટીકાશી એટલે મંદિરોની નગરી. આ ધર્મનગરી એક સમયે સુંદર રજવાડીનગર પણ હતું. આ મહાનગરમાં આજે પણ રૂડો-રૂપાળો ઓવરબ્રિજ અને નવનિર્મિત ભૂજિયો કોઠો, લાખેણું લાખોટા તળાવ અને રળ્યામણા સર્કલો ઊભા કરાયા છે, પરંતુ સોનાની થાળીના લોઢાની મેખની જેમ અણઘડ ગટર વ્યવસ્થા, સ્વચ્છતાના નામે માત્ર ડ્રામેબાજી અને તુંડમિજાજી માનસિક્તાના કારણે પહેલા વરસાદે જ ગંદી દુર્દશા જોવા મળી હતી.

જાનગરમાં વરસાદી પાણીના નિકાલ અને વપરાતી ડ્રેનેજ લાઈન અને ગટર જાણે નરક હોય, તેવા દૃશ્યો ઊભા થયા હતાં. નગરમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી તથા કચરાના ઢગલા ભળી જતા જામનગર જહન્નમ બની ગયું હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં. જિલ્લા તંત્રના હાર્દ સમા વિસ્તારો તથા લાલબંગલા સર્કલમાં આવેલી જામ્યુકો સહિતની કચેરીના પ્રાંગણમાં જ સ્કુટર-બાઈકના અડધા વ્હીલ ડૂબી જાય તેવા પાણી ભરાઈ જતા સ્વયં અધિકારી-કર્મચારીઓ પણ હાલાકી ભોગવી રહેલા દેખાયા હતાં. આ કારણે થોડા કલાકો માટે કેટલીક કામગીરી પણ ખોરવાઈ ગઈ હતી. નાગનાથ ગેઈટ પાસેના મહેશ્વરી વાસ વિસ્તારોમાં તો કેનાલ અને ગટરના ગંધાતા પાણીએ દોઝખના દૃશ્યો ખડા કરી દીધા હતાં. આ તમામ દૃશ્યો નપાવટ પ્રિ-મોન્સુન કામગીરી અને તે પહેલા અણઘડ રીતે નિર્માણ થયેલા કે રિપેર કરાયેલા માર્ગોમાં રખાયેલી બેદરકારી કે પછી આચરાયેલા સંભવિત ભ્રષ્ટાચારની ગવાહી પૂરે છે. લોકો સવાલો ઊઠાવી રહ્યા છે કેે કરોડોના ખર્ચે વિકાસના માચડા ખડકતા સત્તાધીશોને મૂળભૂત જરૂરિયાતો કે બુનિયાદી જન-જરૂરિયાતોની ખબર જ નહીં હોયકે પછી આંખ આડા કાન કરાતા હશે? તેરી બી ચૂપ... મેરી બી ચૂપ...

એવું કહેવાય છે કે, જામનગરમાં હજુ પ્રિ-મોન્સુન કામગીરી ચાલી જ રહી છે, તેવામાં વરસાદી ઝાટું પડી જતા આવું થયું છે. જો એવું જ હોય તો પ્રિ-મોન્સુન કામગીરીના સમયગાળા તથા પ્રારંભિક ટાઈમીંગ અંગે પણ પૂનર્વિચાર કરવો જ પડે, કારણ કે મે-જૂનમાં પ્રિ-મોન્સુન વરસાદી ઝાપટાઓની શક્યતાઓ રહેતી જ હોય છે. હવે, જાગ્યા ત્યારથી સવારની જેમ જામનગર મહાનગરપાલિકાના તંત્રો નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્ય્વસ્થાઓનુ પુનઃનિરીક્ષણ કરીને જરૂરી સુધારા-વધારા કરે તથા નગરમાં ખડકાયેલા તથા છૂપાયેલા ઉકરડાઓ અને કચરાના પથારાઓને તાત્કાલિક હટાવે, તે અત્યંત જરૂરી છે.

જામનગરની જેમ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ઓખા, રાવલ, ભાણવડ, ખંભાળિયા, કલ્યાણપુર સહિતના તાલુકાઓમાં પણ પ્રથમ વરસાદી ઝાટપા પછી આ જ પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. ઠેર-ઠેરથી આ પ્રકારના દૃશ્યો પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રગટી રહ્યા છે, તેથી સમગ્ર હાલારમાં પહેલા વરસાદે પ્રિ-મોન્સુન કામગીરીની પોલંપોલ તો ખોલી જ નાંખી છે અને શાસન-પ્રશાસન અંગે એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે 'કાગળા તો બધે જ કાળા...'

જ્યાં સુધી આપણી બુનિયાદી વ્યવસ્થાઓ નહીં સુધરે ત્યાં સુધી યુપીઆઈ કે એ.આઈ.ના ક્ષેત્રે દેશની સિદ્ધિઓના ગુણગાન ફિક્કા જ લાગે. વિકાસની સાથે જો લોક-કલ્યાણ કે સામાન્ય જનતાની સુખાકારીની ચિંતા નહીં જોવાય, તો તે વિકાસ અધુરો ગણાય. સામાન્ય લોકોની જિંદગીને સરખી, સુવિધામય અને પોષણક્ષમ બનાવવા માટે નક્કર પ્રયાસો થવા પણ જરૂરી છે. ખોખલા હાડપીંજરોને સોના-ચાંદીના આભૂષણો પહેરાવીને તેને સમૃદ્ધ મનુષ્ય તરીકે રજૂ કરવામાં આવે, તો તેમાં જીવ આવી જવાનો નથી.... માત્ર આભાસ જ ઊભો થવાનો છે!

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પણ પહેલા વરસાદે જ જલભરાવ થયો. દેશની રાજધાની દિલ્હીમાં તો બારે ય માસ હવે કોઈને કોઈ વિટંબણા ઊભી થતી જ રહે છે. એક તરફ તૂટેલી કે તોડેલી પાર્ટીઓના નેતાઓ સંસદના આંટાફેરા લગાવી રહ્યા છે, તો બીજી તરફ વાયુ-પ્રદૂષણથી કાયમી પીડાતું દિલ્હી પણ ઘણી વખત વરસાદ-વાવાઝોડા અને બદલાતી મોસમનું શિકાર થતું રહ્યું છે. નગરથી નેશન સુધી ચોમાસાના ઈન્તેજાર વચ્ચે પ્રિ-મોન્સુનથી ઊભી થતી બદબુ અન ગંદકી ઘણું ઘણું કહી જાય છે...

હાલારની હાલાકી અને નગરમાં નર્કાગાર જેવી સ્થિતિ માટે આત્મનિરીક્ષણ કરવું પડે તેમ છે. શાસકો-પ્રશાસકો તો આ સ્થિતિ માટે જવાબદાર છે જ... પરંતુ જન-સામાન્યની પણ સહિયારી જવાબદારી છે. નાગરિકોનું પણ કર્તવ્ય છે કે જાહેર સ્વચ્છતા જળવાય અને તંત્રો દ્વારા થતી વિકાસ પ્રક્રિયાને વેગ મળે, તેમાં સક્રિય સહયોગ આપે. પહેલા વરસાદે ઘણા સ્થળે ખૂણે-ખાચરેથી ફેંકાયેલો કચરો કે છોડાયેલા ગંદા પાણી માટે આપણે પણ જાગૃત રહેવું પડશે. પબ્લિક ન્યુસન્સ અથવા જાહેર અડચણો ફેલાવતા તત્ત્વોને અટકાવવા પડશે. એપાર્ટમેન્ટ, મહોલ્લા, સોસાયટીઓના સંચાલકો, સ્થાનિક અગ્રણીઓ તથા વોર્ડ-કોર્પોરેટરોથી માંડીને ધારાસભ્યો સુધીના ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ આ જવાબદારી ઊઠાવવી પડશે.

છેલ્લે... આપણાં હાલારના ગૌરવ અને માત્ર ઔદ્યોગિક નહીં, પણ સામાજિક-સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે અગ્રેસર રહેલા રઘુવંશી સમાજના શ્રેષ્ઠી એવા આપણા પરિમલભાઈ ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યા છે અને ઝારખંડ વિધાનસભામાંથી ચૂંટણી લડીને પુનઃ સાંસદ બન્યા છે, તેને સમગ્ર હાલાર અને સમાજ તરફથી હાર્દિક અભિનંદન પાઠવીએ...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'ડિજિટલ'નો દબદબો... ડિજિટલ દસ્તખત... ડિજિટલ એમ.ઓ.યુ... 'અસ્સલ' અમલીકરણ થશે?

                                                                                                                                                                                                      

આજના ઈન્ટરનેટ યુગમાં 'ડિજિટલ'નો દબદબો જોવા મળી રહ્યો છે. આજે ભારત જેવા બહુવર્ગીય દેશમાં શાકભાજી કે રિક્ષાભાડું પણ 'ડિજિટલ' ટેકનોલોજીના માધ્યમથી ચૂકવાય છે અને મોટા-મોટા વ્યાપાર-વ્યવસાયોના જંગી પેમેન્ટ પણ ડિજિટલી થાય છે. હવે તો 'ડિજિટલ' ટેકનોલોજીનો દબદબો એટલો વધ્યો છે કે, આંતરરાષ્ટ્રીય કરારો પણ ડિજિટલી થવા લાગ્યા છે, અને વિવિધ દેશોના સામૂહિક પ્રસ્તાવો ય ડિજિટલી રજૂ થવા લાગ્યા છે.

તાજેતરમાં જ ભારતે સ્લોવાકિયા સાથે ડિજિટલ ટેકનોલોજીના ઉપામાંગનો વ્યાપ વધારવા મહત્ત્વપૂર્ણ ડિજિટલ એમ.ઓ.યુ. કર્યા છે. તે પહેલા દ. કોરિયા સાથે પણ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ પદ્ધતિઓને સાંકળવા અને વ્યાપ વધારવાના એમ.ઓ.યુ. થયા હતાં. તે ઉપરાંત દેશમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી ઈઆર નેટ અને સેમી-કન્ડક્ટર લેબોરેટરી જેવા સંગઠનો સાથે ડિજિટલ એમ.ઓ.યુ. થયા છે.

આ પ્રકારની સમજુતિઓ, કરારો અથવા તો મેમોરેન્ડમ (ઈરાદાપત્રો) માં ઈલેક્ટ્રોનિક ઢબે હસ્તાક્ષર થતા હોય છે, જે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, જેને જુદા જુદા દેશોએ વૈધાનિક માન્યતા આપેલી હોય છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક હસ્તાક્ષર (સહી) એ આઈ.ટી. એક્ટ-ર૦૦૦ હેઠળ માન્યતા મળી છે. તે ઉપરાંત ભારતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ડિયા સ્ટેકને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિસ્તારવા માટે ર૩ દેશો સાથે સમજુતિઓ કરી છે. આ જ રીતે દુનિયાના દેશોને ડિજિટલ ટેકનોલોજી માટે પરસ્પર સમજુતિઓ કરી છે.

આ પ્રકારના એક ડિજિટલ એમ.ઓ.યુ. ગઈકાલે અમેરિકા અને ઈરાનના રાષ્ટ્રપતિઓ દ્વારા થયા છે, જેમાં ૧૪ મુદ્દા પર અમેરિકા-ઈરાન સહમત થયા છે, તથા યુદ્ધ બંધ કરીને ૬૦ દિવસમાં અંતિમ શાંતિ સમજુતિ કરવાનો નિર્ધાર વ્યક્ત થયો છે.

ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો જી-સેવનની બેઠકમાં હતાં અને વડાપ્રધાન સાથે દ્વિપક્ષિય વાતચીત અને પત્રકાર પરિષદ યોજાઈ, તેને લઈને આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. બીજી તરફ પહેલા નિર્ધારિત કર્યા મુજબ રૂબરૂમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ઈરાનના સર્વોચ્ચ નેતાઓ જે એમ.ઓ.યુ.માં સહી કરવાના હતા, તેના બદલે બન્ને દેશો (અમેરિકા અને ઈરાન) ના રાષ્ટ્રપતિઓ દ્વારા શાંતિ સમજુતિ પર 'ડિજિટલ' હસ્તાક્ષર કરાયા છે, જેને વૈધાનિક માન્યતા મળેલી છે. આ હસ્તાક્ષર થયા પછી બન્ને દેશો તેનો અમલ કરવા બંધાયેલા છે, અને એક પણ પક્ષ (દેશ) તેનો ભંગ કરે તો આ એમઓયુ ખતરામાં પડી શકે છે.

જો કે, ટ્રમ્પ બોલે કાંઈક, કરે કાંઈક અને વિચારે કાંઈક જુદુ, તેથી જે એમઓયુ થયા છે, તેને જ આંતરરાષ્ટ્રીય ધરાધોરણો મુજબ માન્ય ગણવા પડે, પરંતુ ગઈકાલે ટ્રમ્પે ફરીથી કહ્યું કે ઈરાન સમજુતિનું પાલન નહીં કરે અથવા ચાલાકી કરશે તો અમેરિકા ફરીથી બોમ્બ વરસાવશે. બીજી તરફ ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટ ૬૦ દિવસ માટે ખોલ્યું હોવાની વાતો વહેતી કરી, તે પછી એવી આશંકાઓ ઊઠી રહી છે કે આ 'ડિજિટલ' એમ.ઓ.યુ.નું 'અસ્સલ' અમલીકરણ થશે ખરૂ?

આ અંગે વિરોધાભાસી પ્રત્યાઘાતો અને મંતવ્યો સામે આવી રહ્યા છે. જે મુદ્દાઓ પર સહમતી થઈ છે અને હવે પછી જે મુદ્દા ચર્ચાવાના છે, તેમાં તો બહું વાંધો નહીં આવે, પરંતુ ઈઝરાયલ સખણું નહીં રહે અને હીઝબુલ્લાના બહાને લેબેનોન પર કે હમાસ પર હુમલાના નામે ગાઝા પર હુમલા કરશે, તો અવરોધ પણ આવી શકે છે, તેવું ઘણાં વશ્વિક વિશ્લેષકો કહે છે. બીજી તરફ વૈશ્વિક પ્રવાહો, યુદ્ધો અને પશ્ચિમ-મધ્યમ પૂર્વમાં ચાલતા ડિપ્લોમેટિક પ્રવાહોના જાણકારો સહિત મોટાભાગના વિશ્લષકો અવું માને છે કે ઈઝરાયલ અમેરિકાનું હકીકતે નહીં માને તો ટ્રમ્પ તેને અલગ પાડી દેશે અને સહયોગ પણ નહીં આપે, પરંતુ ઈરાન-અમેરિકા વચ્ચે હવે ફરીથી પૂર્ણ કક્ષાનું યુદ્ધ થવાની શક્યતાઓ નહીંવત્ છે.

નેતન્યાહૂને ઘરઆંગણે આવી રહેલી ચૂંટણીઓમાં પરાજય કે ખુરસી ગુમાવવાનો ભય રહે છે, તેથી ઈઝરાયલની વાયડાઈ અથવા અમેરિકા-ઈઝરાયલની ગુપ્ત મીલીભગતના કારણે જો ઈઝરાયલના હુમલા ચાલુ રહે, અને ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો કરે તો તેવા સંજોગોમાં આ હંગામી એમ.ઓ.યુ. નિષ્ફળ જાય તેમ છે. બીજી તરફ અમેરિકાની મિલીભગત નહીં હોય તો ઈરાન-ઈઝરાયલના સંભવિત ભાવિ સંઘર્ષમાં હવે અમેરિકા હસ્તક્ષેપ નહીં કરે અને મદદ નહીં કરે, તેવી સંભાવનાઓ પણ દર્શાવાઈ રહી છે. આ 'ઈફ એન્ડ બટ'ની શક્યતાઓ વચ્ચે અત્યારે તો યુદ્ધ બંધ થયું અને એક-બે દિવસમાં હોર્મુઝ સંપૂર્ણપણે ખુલી જશે, તેને જ આ એમ.ઓ.યુ.ની ફલશ્રૂતિ ગણવી પડે તેમ છે.

ભારતે પણ ટ્રમ્પની ડબલ ઢોલકી વગાડવા તથા 'મૂખ મેં રામ, બગલ મેં છૂરા'ની કહેવત મુજબ બેવડા ધોરણ અપનાવવાની મનોવૃત્તિને પારખીને માત્ર ને માત્ર ભારતના હિતો તથા ભારતીય સુરક્ષાને કેન્દ્રમાં રાખીને જ કદમ ઊઠાવવા પડે અને રણનીતિ અપનાવવી પડે તેમ છે, કારણ કે ટ્રમ્પનો ભરોસો તો તેના ઘનિષ્ઠ મિત્રદેશો પણ કરે તેમ નથી. આ પ્રકારની દ્વિપક્ષિય વાટાઘાટોમાં કોઈ દેશ કે તેના વડાની વ્યક્તિગત પ્રશંસા થાય, તેથી ફૂલાઈ જવાના બદલે મિત્રદેશ તરીકે ભારતની પડખે હોવાનો દાવો કરતા અન્ય દેશની મનોવૃત્તિ પારખવી પડે તેમ છે, અને તેમાં ભારત પારંગત છે. ટ્રમ્પે મીઠી-મીઠી વાતો કરી, તે જ સમયે 'ઈન્ડો-પેસિફિક' એપમાંથી 'ઈન્ડો' કાઢી નાંખવું, તે કદમ ઘણું જ સૂચક છે, તેથી સાવધાન...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

સરકાર કૃપયા ધ્યાન દે... એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય, તેની સાથે એક પણ વરિષ્ઠ શ્રેષ્ઠ શિક્ષકની નોકરી કેે બઢતી ન જોખમાય...

                                                                                                                                                                                                      

ગુજરાતમાં એક તરફ વડાપ્રધાનના ૧ર વર્ષના શાસનકાળના સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણીઓ થઈ રહી છે, તે બીજી તરફ શાળા પ્રવેશોત્સવની તૈયારીઓ થઈ રહી છે. આ ઝાકઝમાળ વચ્ચે રાજ્યમાં વિવિધ મુદ્દે આંદોલનોની મોસમ પણ ચાલી રહી હોય તેમ જણાય છે. મોરબી જિલ્લામાં ખાનગી કંપનીની વીજલાઈનો માટે ખેડૂતોના ખેતરોમાં ઊભા કરાતા હાઈવોલ્ટેજ વીજસ્તંભોની સામે આક્રોશ જાગ્યો છે, તો ખેડૂતોના વિવિધ પ્રશ્નોને સાંકળીને કોંગ્રેસેે તાજેતરમાં જ અમદાવાદથી ખેડૂતોની ટ્રેક્ટર રેલી કાઢી હતી, જેને ગાંધીનગર જવા દેવામાં આવી નહોતી, અને ઓગણ જ પાસે જ અટકાવી દેવામાં આવી હતી. આ કારણે રાજ્યમાં ખેડૂતવર્ગ રાજ્ય સરકારથી નારાજ હોવાનો વિપક્ષનો દાવો ચર્ચાના કેન્દ્રમાં છે.

રાજ્યમાં વર્ષ ર૦૦૩ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથનો પ્રારંભ થયો ત્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીક નરેન્દ્રભાઈએ હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના નાના નાના ગામડાઓમાં જઈને એક પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય, તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી હતી, અને કન્યાઓની કેળવણીને પ્રોત્સાહિત કરવાનું અભિયાન પણ આદર્યું હતું. તે સમયે જે જુસ્સો, સંવેદનશીલતા અને સમયબદ્ધતા જોવા મળી હતી, તેવી હવે કદાચ રહીં નથી. બીજી તરફ શાળા પ્રવેશોત્સવને 'તાયફો' ગણાવતા વિપક્ષી નેતાઓ ઘણી વખત વ્યંગાત્મક આલોચનાઓ પણ કરતા હોય છે. આ મહોત્સવ દરમિયાન એક તરફ શિક્ષકો (ગુરુજનો) ની અગત્યતા સમજાવીને આદર-સન્માન અપાતું હોય છે, પરંતુ બીજી તરફ અત્યારે રાજ્યના અનુભવી અને વયસ્ક-વરિષ્ઠ શિક્ષકોનો એક વર્ગ ઘણો જ નારાજ છે, અને ખેડૂતો પછી હવે એ આદરણીય ગુરુજનો પણ રાજ્ય સરકાર સામે આંદોલન આદરવાના છે.

અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે અને મહત્તમ તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે, ત્યારે શાળા-પ્રવેશોત્સવો દરમિયાન બાળકોના આરોગ્ય અને પાણી-છાંયડા-પરિવહન માટે વિશેષ કાળજી રખાય, તે જરૂરી છે. વલસાડના મલાવ ગામમાં વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન બે બાળકો ચક્કર ખાઈને પડી ગયા પછી પણ પૂરતી રાળજી નહીં લેવાઈ હોવાની તથા ળાળકોને જે ઘેટાં-બકરાની જેમ લવાયા હોવાની જે ફરિયાદ ઊઠી છે, તેના જેવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છનિય ઘટના શાળ-પ્રવેશોત્સવો દરમિયાન માત્ર જામનગર કે હાલાર જ નહીં, સમગ્ર રાજ્યમાં ન બને, તે માટે સ્વયં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીમંડળે ખાસ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ કાર્યક્રમોમાં રાજ્યના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સાથે મંત્રીઓ-મહાનુભાવો પણ જોડાવાના છે. જો આ પ્રકારની કોઈ ઘટના બનશે, તો તેનું લાંછન ત્યાં ઉપસ્થિત મહાનુભાવોને પણ લાગશે, તેથી વિશેષ સાવધાની જરૂરી છે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના શિક્ષણ ક્ષેત્રના કેટલાક સંગઠનોએ આજથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ત્રણ દિવસ સુધી આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે, અને જામનગર સહિત તા. ૧૭ થી ર૦ જૂન સુધી જે મુદ્દે વિરોધ-પ્રદર્શનો આદર્યા છે, અને આવેદનપત્રો અપાઈ રહ્યા છે, તે મુદ્દો પણ ગુરુજનો (શિક્ષકો) ના આત્મ સન્માન અને કારકિર્દી સાથે સંકળાયેલો છે. કદાચ આ આંદોલનની સંભાવનાઓને ધ્યાને લઈને જ શિક્ષણ વિભાગે શાળા-પ્રવેશોત્સવની તારીખો બદલી નાંખી હશે!

બીજી તરફ ટેટ પરીક્ષા પાસ કરવાના મુદ્દે વર્ષ ર૦૧૦ પહેલા નિયુક્ત થયેલા હજારો વરિષ્ઠ શિક્ષકોમાં આક્રોશ છે, એવી રજૂઆત કરવામાં આવી રહી છે કે ટેટનો નિયમ વર્ષ ર૦૧૦ માં આવ્યો, પરંતુ તે પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને પણ ટેટની પરીક્ષા પાસ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની રાવ સાથે એ અનુભવી અને વરિષ્ઠ શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોય તો તે યોગ્ય નથી.

રાજકોટના પ્રા. શિક્ષક સંઘે તો કેન્દ્રિય શિક્ષણ મંત્રીને પત્ર લખીે આ મુદ્દે તત્કાળ હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે, અને સુપ્રિમ કોર્ટના આદેશના સંદર્ભે એક્સન લેવાય તો સંખ્યાંબધ શિક્ષકોની નોકરી પર સંકટ આવશે, જેથી તેની ડાયરેક્ટ અસરો શિક્ષણ કાર્ય ઉપર પણ પડશે, જેથી બાળકોનું હિત જોખમાશે, તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હકીકતે સુપ્રિમ કોર્ટના એક ચૂકાદા પછી શિક્ષકોને ટેટની પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત કરાયું છે, અનેે તે માટે ૩૧ મી ઓગસ્ટ ર૦ર૮ સુધીની મુદ્ત અપાઈ છે. ટેટની પરીક્ષાઓ લેવાય છે અને તેની લાયકાત હોય તો જ નોકરીમાં ચાલુ રહી શકાય, કે પ્રમોશનને પાત્ર બની શકાય, તેવો નિર્ણય થયા પછી દાયકાઓ પહેલા જે શિક્ષકો નોકરીમાં જોડાયા હતાં, અને તે સમયની લાયકાત પૂરવાર કરી હતી, તેઓને શિક્ષણ અધિકાર અધિનિયમ ર૦૦૯ હેઠળ ફરીથી નવી લાયકાત મેળવવા પરીક્ષા આપવી પડે, તે અન્યાયકર્તા હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર સમક્ષ શિક્ષકોએ જુના શિક્ષકો માટે પણ 'ટેટ' ફરજિયાત કરાવવાના મુદ્દે પુનઃ વિચાર કરીને કોઈ રસ્તો કાઢવા રજૂઆત કરી છે. આ માટે રાજ્ય સરકારો અને હિતધારકો, શિક્ષક સંઘો અને સંગઠનો તથા શિક્ષણ અને કાનૂની ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને ઉકેલ લાવવો જરૂરી છે. સરકારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ શિક્ષકની નોકરી જોખમાય નહીં અને પ્રમોશનો અટકે નહીં.

આ નિયમો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાથી લાંબા સમયથી સેવારત શિક્ષકોને માટે ટેટના વિકલ્પે બીજી કોઈ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવી જરૂરી છે. પુરસ્કારો, એવોર્ડ કે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મેળવેલા વયસ્ક અને વરિષ્ઠ અનુભવી શિક્ષકોની સેવાઓની સુરક્ષા માટે નીતિગત તથા કાનૂની પગલાં પણ જરૂર પડ્યે લેવા પડે, તો લેવા જોઈએ. આ માટે કોઈને કોઈ વચલો રસ્તો કાઢવા કેન્દ્રિય શિક્ષણ વિભાગ સુધી થયેલી રજૂઆતો છતાં કોઈ રિસ્પોન્સ નહીં મળે તો આ આંદોલન વધુ ગતિ પકડશે, તેવા સંકેતો છે. કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય, તેની સાથે સાથે કોઈપણ વરિષ્ઠ, વયષ્ક, અનુભવી શ્રેષ્ઠ શિક્ષકની નોકરી છીનવાઈ ન જાય, તેવા સંનિષ્ઠ સરકારી પ્રયાસો પણ અત્યંત જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh