Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ગરમી વધી રહી છે, અને તાપમાનનો પારો દિન-પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ વીજ વપરાશ વધવાનો છે. આ કારણે વીજ વપરાશ નિયમન તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ઝુંબેશ આદરવાની જરૂર છે, અને તેની શરૂઆત સરકારી કચેરીઓ, નેતાઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, જનપ્રતિનિધિઓની ચેમ્બર્સ, બેંકો, શાળા-મહાશાળાઓ અને એવા તમામ જાહેર સ્થળોથી કરવી જોઈએ, જ્યાં રાત-દિવસ સામૂહિક રીતે વીજ ઉપકરણો વપરાતા હોય.
કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવા છતાં એ.સી., લાઈટ ચાલુ રહેવા કે પંખા ફરતા રહેવા, સેનિટેશન સંકૂલો તથા લોબીઓમાં વિનાકારણ લાઈટો ચાલુ રહેવી, કેટલાક સ્થળોએ સવારે મોડે સુધી સ્ટ્રીટલાઈટો બંધ નહીં થવી અને કોઈ જોતું ન હોય તો પણ ચોવીસેય કલાક ટેલિવિઝન ચાલુ રહેવું, વિગેરે નાની-નાની જણાતી આપણી ભૂલોના કારણે એકંદરે ઘણી જ મોટી માત્રામાં વીજળી વપરાય જતી હોય છે, અને વીજળીની તંગી ઊભી થવાની સંભાવનાઓ વધી જવાની સાથે-સાથે વીજલાઈનો, ડી.પી. ટ્રાન્સમીશન ઉપકરણો તથા વિદ્યુત સપ્લાઈ સ્ટેશનો પર બોજ વધી જતા મેગા ફોલ્ટ સર્જાતા હોય છે, અને આ બધાનો ભોગ છેવટે તો પબ્લિકે જ બનવું પડતું હોય છે ને...?
હજુ ઉનાળાનો પ્રારંભ થયો ત્યાં જ વીજળીના ધાંધિયાની ફરિયાદો વિવિધ ગ્રામ્ય વિસ્તારો તથા શહેરોમાંથી પણ ઉઠવા લાગી છે, ત્યારે આખો ઉનાળો કેવો જશે અને અસહ્ય ગરમી વચ્ચે વીજ ઉપકરણોની પણ મર્યાદા હોવાથી કોણ જાણે કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ પ્રકારની સંભાવનાઓ વચ્ચે "સબ સલામત" ની રેકર્ડ વગાડતા તંત્રો અને અતિ આત્મવિશ્વાસ કે દુર્લક્ષ્યતાની માનસિકતામાં રહેતા શાસકોએ પણ અત્યારથી જ જાગી જવાની જરૂર છે, અન્યથા ભરઉનાળે જો ભયંકર વીજ તંગી કે નબળી વીજ લાઈનો કે પૂરતી ક્ષમતા વિનાના વીજ ઉપરકરણોના કારણે લાંબો વીજ વિક્ષેપ સર્જાશે, ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લેવાનું મુશ્કેલ બની જશે, આવુ બધું થશે, તો લોકોની નારાજગી ક્યાં સુધી પડઘાશે, તે સરકાર અને શાસકપક્ષે વિચારવું જ પડે ને...?
ગુજરાતમા ઋતુગત ગરમીની સાથેસાથે રાજકીય ક્ષેત્રે પણ ગરમી વધી રહી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કાંઈક "મોટું" થવાનું છે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનનું ગુજરાતમાં આયોજન થયા પછી પાર્ટીમાં સંચાર થયો છે, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારો થાશે, તેવા અહેવાલો વચ્ચે આમઆદમી પાર્ટી પણ વિસાવદર વિધાનસભા બેઠકના દરવાજેથી ગુજરાતની રાજનીતિમાં જબરદસ્ત કમ બેક કરવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે, તો બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ હલચલ મચી છે, અને પ્રદેશ પ્રમુખ કોણ થશે...? તેની ચર્ચા ફરીથી ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.
કોઈ કહે છે કે, ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ ઓબીસીમાંથી હશે, તો કોઈ કહે છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતનો વારો છે. કોઈ કહે છે કે, શાહ-નડ્ડાના કોઈ વિશ્વાસુને ચાન્સ મળશે તો કોઈ કહે છે કે, પી.એમ. મોદીના કોઈ નજદીકી વફાદર નેતાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાશે. આ વખતે હાલારના કોઈ નેતાને પણ પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી શકે છે, તેવી ગપસપ વચ્ચે એક વખત ફરીથી જામનગર સાથે સંકળાયેલા ભીખુભાઈ દલસાણીયાનું નામ ચર્ચામાં છે. દાયકાઓથી ગુજરાત ભાજપ સાથે સંકળાયેલા અને પ્રદેશ ભાજપનું સંગઠન મજબૂત બનાવ્યા પછી બિહારમાં સંગઠન મંત્રી તરીકે સાયલન્ટલી કામ કર્યા પછી ગુજરાત ભાજપનું સુકાન તેમને સોંપાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે. જો કે, ભાજપ આશ્ચર્યજનક જાહેરાતો માટે જાણીતો હોવાથી કોઈક નવું જ નામ જાહેર થઈ શકે છે.
કેટલાક વ્યંગકારો એવો કટાક્ષ પણ કરી રહ્યાં છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ બન્ને કેન્દ્રીય મંત્રી છે, અને બબ્બે પદો પર બિરાજમાન છે, છતાં ભાજપમાં એક વ્યક્તિ એક પદનો દાવો થતો રહે છે. આ બન્ને મહાનુભાવો મંત્રી બન્યા પછી હજુ સુધી તેના રાજકીય પદો માટે પસંદગી ન થઈ શકતી હોય તો પાર્ટી વિથ ડિફરન્સ કેમ કહેવાય...?
આજે બંધારણના ઘડવૈયા અને આઝાદીના લડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જ્યંતી નિમિત્તે તેઓને ભાવભરી સ્મરણાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવાયો અને શેરબજારો ધરાશાયી થયા, ચીન સિવાયના દેશો પર આ ટેરિફ ત્રણ મહિના માટે મોકૂફ રખાયો, તો શેરબજારો ઉછળ્યા, અમેરિકા-ચીન વચ્ચે ટેરિફવોર ફાટી નીકળ્યું, વગેરેની દુનિયાભરમાં ખૂબ જ ચર્ચા થઈ, અને હવે અમેરિકાથી જ ઉદ્ભવેલી એક બીજી ચર્ચાએ માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતમાં ખાસ ચર્ચા જગાવી છે અને આજે આ નવી ચર્ચાએ આપણા દેશમાં અન્ય તમામ મુદ્દાઓને પાછળ છોડી દીધા છે.
ટેરિફ વોરની ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતાં, અને આ નવી ચર્ચાના કેન્દ્રમાં અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગાબાર્ડ છે, જેઓ ભારતીય મૂળના છે.
બન્યું એવું કે ટેરિફ વોર, યુદ્ધો અને અન્ય એજન્ડા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષસ્થાને અમેરિકન સરકારની એક કેબિનેટ મિટિંગ યોજાઈ હતી, અને તેમાં તુલસી ગાબાર્ડે એક એવો મુદ્દો ઉછાળી દીધો, જેના પડઘા અમેરિકા કરતા પણ ભારતમાં વધુ પડ્યા અને ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે છેલ્લા અઢી દાયકાથી ચાલતો રહેલો વિવાદ ફરી એક વખત સપાટી પર આવી ગયો છે.
તુલસી ગાબાર્ડે એ મિટિંગમાં એવો દાવો કર્યો કે ઈવીએસ હેક થઈ શકે છે. અમેરિકામાં મશીનથી થતા મતદાનની સિસ્ટમને ઈવીએસ કહે છે, અને આ સિસ્ટમ ઓનલાઈન વોટીંગ સાથે પણ સંકળાયેલી છે. અમેરિકામાં ઈવીએસથી પણ મતદાન થાય છે, અને તે હેક થઈ શકે છે, તેવો દાવો તુલસી ગાબાર્ડે કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન થાય તેવી તર્કબદ્ધ દલીલો કરીને ત્યાંની ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમમાં ખામી હોવાના કેટલાક દૃષ્ટાંતો પણ આધારો સાથે રજૂ કર્યા હોવનું કહેવાય છે.
આ પહેલા પણ અમેરિકામાં ઈવીએસ સામે સવાલો ઊઠતા રહ્યા છે, પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને જંગી બહુમતી મળી હોવા છતાં તુલસી ગાબાર્ડે આ પ્રકારનો દાવો કર્યો, તેને અમેરિકાની લોકતાંત્રિક સ્વતંત્રતાનું દૃષ્ટાંત ગણવું કે આંતરિક મતભેદો ગણવા, તેવા સવાલો પણ ઊઠ્યા હતાં, અને તેનો જવાબ પણ આવ્યો હતો. હકીકતે ટ્રમ્પે વર્ષ ર૦ર૦ ની ચૂંટણી દરમિયાન પૂર્વ સાયબર સિક્યોરિટી ક્રિસ ક્રેબ્સને જવાબદાર ગણીને તપાસ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ (કાનૂન મંત્રાલય) ને આદેશો આપ્યા, તેના બીજા જ દિવસે આ કેબિનેટ યોજાઈ હતી અને ગત્ ચૂંટણીના સંદર્ભે ગાબાર્ડે આ પ્રકારનો દાવો મજબૂતીથી રજૂ કર્યો હતો, તેવું મનાય છે. ગાબાર્ડે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ લાંબા સમયથી હેકર્સના નિશાન પર રહી હોવાનું જણાવી તેના પૂરાવા હોવાનો દાવો કર્યો હતો, અને આખા અમેરિકામાં બેલેટ પેપરથી જ મતદાન ફરજિયાત કરવાની માંગણી ઊઠાવી હતી.
ભારતમાં વિપક્ષોએ આ મુદ્દાને હાથોહાથ ઉપાડી લીધો છે, અને ભારતમાં પણ ઈવીએમ સાથે ચેડા થતા હોવાથી બેલેટ પેપરથી મતદાન કરવાની માંગણી જોરશોરથી ઊઠવા પામી છે. પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી ભારતમાં પણ ઈવીએમ હેક થઈ શકે કે તેની સાથે ચેડા થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હોવાથી બેલેટ પેપરથી મતદાન ફરજિયાત કરવાની જરૃર હોવાના અભિપ્રાયો વ્યક્ત થવા લાગ્યા છે, અને તેની તરફેણ તથા વિરોધમાં કોમેન્ટો થવા લાગી છે.
જો કે, ભારતીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ (ઈવીએસ) અને ભારતના ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ) વચ્ચેનો તફાવત વર્ણવતા જણાવ્યું છે કે, કેટલાક દેશોમાં જે ઈવીએસ (ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ) થી મતદાન થાય છે, તે વિવિધ સિસ્ટમ, મશીન, પ્રોસેસના સંયોજન સાથે ઈન્ટરનેટ સહિતના વિવિધ ખાનગી નેટવર્કસ સાથે જોડાયેલી હોય છે, જ્યારે ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટીંગ સિસ્ટમ નહીં, પણ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો જ ઉપયોગ થાય છે, જે કોઈપણ નેટવર્ક સાથે જોડાયેલું હોતું નથી અને બેટરીથી ચાલતું માત્ર સાદા કેલ્યુલેટર જેવું એવું ફૂલપ્રૂફ મશીન છે, જેને હેક કરવું સંભવ જ નથી!
મોકપોલ, સંપૂર્ણ ચકાસણી અને દેશની સર્વોચ્ચ અદાલતે કાયદાકીય તપાસ કરાવી, તેમાં પણ યોગ્ય ઠરેલા ઈવીએમ (મશીન) ને અમેરિકા સહિતના કેટલાક દેશોમાં વપરાતી ઈવીએસ (સિસ્ટમ) સાથે સરખાવવી યોગ્ય નથી.
બીજી તરફ ઈવીએમનો મુદ્દો ભારતમાં ફરીથી સળવળ્યો છે અને હજુ તુલસી ગાબાર્ડના આ અભિપ્રાયના અહેવાલો તાજા જ છે, તેથી આ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ જેમ જેમ કેટલાક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક આવશે, તેમ તેમ આ મુદે ભારતમાં ફરી એક વખત ચૂંટણીપ્રચારનો મુખ્ય મુદ્દો બની જશે, તેવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે.
કેટલાક લોકો એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે જે દેશમાં નકલી જજ, નકલી સરકારી વકીલ, નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા અને ટપાલવેનોની ભરમાર હોય, તે દેશમાં કાંઈ પણ બની શકે છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે તુલસી ગાબાર્ડની જેમ કોઈ નક્કર આધાર-પુરાવા હોય તો સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઈએ ને?
જે હોય તે ખરૃં, પરંતુ એક વખત ફરીથી ઈવીએમમાં ગરબડનો મુદ્દો આપણા દેશમાં મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને તે ઈવીએમથી ચૂંટાયેલી મોદી સરકાર અને તમામ રાજ્ય સરકારોના જનપ્રતિનિધિત્વ સામે પ્રશ્નચિન્હો ઊભા કરશે, તે પણ હકીકત જ છે ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે "કોરોના" મહામારીની ભયાનકતા અનુભવી છે. એ મહામારીમાં વાયરસ ઝડપથી ફેલાતો હતો, સ્વરૃપો બદલતો હતો અને તેનું નિદાન થઈ શકતું હતું, પણ સારવાર ઉપલબ્ધ નહોતી. તે પછી વેક્સિન શોધાઈ અને રોગચાળો નિયંત્રણમાં આવ્યો. આ રોગચાળાના લક્ષણો અનુભવી શકાતા હતાં અને તેના આધારે લેબ ચકાસણી કરીને નિદાન થઈ શકતું હતું.
હવે "હેલ્થ ઓફ ધ નેશન-ર૦રપ" નો એક તાજો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં લોકોને "સાયલન્ટ" બીમારી સામે વોર્નિંગ આપવામાં આવી છે. આ "સાયલન્ટ" બીમારીઓમાં લક્ષણો દેખાતા નથી અને સામાન્ય જિંદગીમાં કોઈ અવરોધ પણ ઊભો થતો નથી, પરંતુ આ બીમારી ગુપચુપ શરીરમાં પ્રવેશીને પોતાનો પ્રભાવ વધારતી જાય છે, જેને સર્વેક્ષણ કરનારા ગ્રુપ ઓફ હોસ્પિટલના તબીબો "સાયલન્ટ એપેડેમિક" તરીકે ઓળખાવી રહ્યાં છે. આ શાંત બીમારીઓની અસરો ઘણી જ ખતરનાક અને જોખમી છે, અને ઝડપથી પ્રસરી રહેલા આ "સાયલન્ટ એપેડેમિક" સામે ઝડપથી ઝઝુમવું અત્યંત જરૃરી ગણાવાયું છે.
આ રિપોર્ટ મુજબ ભારતમાં હાઈ બી.પી., ડાયાબિટીસ, ફેટી લીવર જેવી બીમારીઓથી પીડાતા ઘણાં લોકોને ખબર જ હોતી નથી કે તેઓના શરીરમાં આ બીમારીઓ પનપી રહી છે અને ધીમેધીમે ગંભીર બની રહી છે.
આ રિપોર્ટ મુજબ ભારતમાં પ્રિ-હેલ્થકેરથી લોકો ટેવાયેલા નથી અને બીમારી થાય અને લક્ષણો દેખાય, તે પછી જ સારવાર લેવા જતા હોય છે, તેથી લક્ષણો વિનાની આ બીમારીઓ ક્રમશઃ ગંભીર સ્વરૃપ ધારણ કરવા લાગે છે.
આ રિપોર્ટમાં કેટલાક ચિંતાજનક આંકડાઓ જાહેર થયા છે, તે મુજબ કોલેજોમાં પ્રત્યેક ત્રણ વિદ્યાર્થી દીઠ એક વિદ્યાર્થી મેદસ્વીતા અથવા જાડાપણાની બીમારીથી પીડાય છે. મોનોપોઝ પછી ૪૦% મહિલાઓમાં ડાયાબિટીસ અને ફેટી લીવરની સમસ્યા વધીને ૭૦% થઈ ગઈ છે. ૧૯% વિદ્યાર્થીઓમાં બ્લડપ્રેસર જણાયું હતું. કુલ ૪૭ હજાર લોકોના સર્વે દરમિયાન ચેકઅપ પછી ૬% લોકો ડિપ્રેશનના શિકાર પણ જણાયા હતાં.
આ સર્વેક્ષણ અંગે એપોલો હોસ્પિટસના તબીબોનો અભિપ્રાય એવો છે કે, લોકોને બીમાર થયા પછી સારવાર લેવાની માનસિકતામાંથી બહાર લાવીને "સાઈલન્ટ એપેડેમિક" સામે જાગૃત કરીને લક્ષણો ન દેખાતા હોય, તો પણ સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવા તથા નાની-મોટી તકલીફો કે શરીરના કોઈપણ ભાગમાં સોજા ચડે કે નાદુરસ્તી જેવું લાગે, તો તરત જ નિદાન કરાવવા પ્રશિક્ષિત કરવા જોઈએ.
જો આ રીતે બીમારીઓને થતી જ અટકાવી શકાય કે ઉગતી જ ડામી શકાય, તો હોસ્પિટલોમાં ઉભરાતા દર્દીઓની સંખ્યા ક્રમશઃ ઘટે, હેલ્થ સિક્યોરિટી વધતા સારવારનું ખર્ચ ઘટે અને આર્થિક રીતે ઘણા લોકોને એકંદરે ફાયદો થાય તેમ છે.
આ રિપોર્ટ અને તેના સંદર્ભે આવતા અભિપ્રાયો અને સૂચનો યથાર્થ છે, પરંતુ આ મોંઘવારીમાં ઉચ્ચ-મધ્યમવર્ગને પણ ઘરખર્ચના બે છેડા માંડ ભેગા થતા હોય, ત્યાં પ્રિ-મેડિકલ ચેકઅપ કે પ્રિ-હેલ્થ કેરના ખર્ચા ગરીબ-મધ્યમવર્ગ ક્યાંથી કરી શકે...? તેવો સવાલ ઉઠે તે પણ સ્વાભાવિક છે. તેથી સમાજના સમૃદ્ધ લોકો દાનવીરો, સેવાભાવી સંસ્થાઓ અને સમદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થાઓ દ્વારા છેક છેવાડાના વિસ્તારો સુધી અવારનવાર નિઃશુલક જનરલ મેડિકલ ચેકઅપ કેમ્પો યોજાય અને તેમાં સ્થાનિક સરકારી હોસ્પિટલો જ નહીં, પણ ગ્રુપ ઓફ એપોલો હોસ્પિટલ્સ, એઈમ્સ અને ટ્રસ્ટો, સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલના નિષ્ણાત તબીબો, અદ્યતન લેબોરેટરી અને સાધન સામગ્રી તથા લેબ ટેકિનશિયનોની સુવિધા સાથે સેવાઓ આપે, તે અત્યંત જરૃરી છે. કેન્દ્ર અને રાજ્યોના આરોગ્ય કેન્દ્રો, દવાખાના, હોસ્પિટલોની તો આ પ્રાથમિક જવાબદારી જ ગણાય ને...?
એક અન્ય અહેવાલ મુજબ ગુજરાતમાં ૧૦ લાખ જેટલા લોકો પાર્કિન્સન્સથી પીડાય છે. પાર્કિન્સન્સ એટલે ધ્રુજતા અંગો સાથેનો લકવા...
પહેલા આફટર ફીફટી એટલે કે પ૦ કે ૬૦ વર્ષની ઉંમરે આ રોગ દેખા દેતો હતો, પરંતુ હવે તો યુવાવયે પણ આ બીમારી થવા લાગી છે, એટલું જ નહીં, આ રોગ મહિલાઓમાં પણ વધી રહ્યો છે. આ બીમારી માટે સ્ટ્રેસ (તણાવ), બદલતી જીવનશૈલી, જંકફૂડ, વાયુપ્રકોપ વિગેરેને જવાબદાર ગણવામાં આવે છે. સાદો પાર્કિન્સન્સ અને પાર્કિન્સન્સ પ્લસ, એમ બે પ્રકારના પૈકી પાર્કિન્સન્સ પ્લસ રોગ અસાધ્ય ગણાય છે, જ્યારે સાદા પાર્કિન્સન્સમાં દવાઓથી થોડી રાહત મળી શકે છે. આ કારણે આ રોગ થતો જ અટકાવવા માટે પણ વ્યાપક જનજાગૃતિ, યોગ્ય જીવનશૈલી અને હેલ્થ ચેકઅપ તથા યોગ્ય સારવાર જરૃરી બની જાય છે.
સાયલન્ટ એપેડેમિક અને પાર્કિન્સન્સ જેવી જ બીમારીઓ અત્યારે આપણાં સમાજમાં પણ પ્રવેશીની ફાલીફૂલી રહી છે, કિશોરવયે આત્મહત્યાના કિસ્સા પાછળ મોટાભાગે બાળકોને શિશુવયેથી જ મોબાઈલ સેલફોન કે વીડિયો ગેઈમની આદત લાગી જાય, તેની આડઅસરો જવાબદાર ગણાય છે, તેવી જ રીતે કોલેજકાળમાં ડ્રગ્સ એડિક્ટ બની જતો યુવા વર્ગ ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ જાય છે. અલ્પશિક્ષિત યુવા વર્ગમાં પણ નશાખોરી અને માનસિક વિકૃતિઓ વધી રહી છે, સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ નેગેટિવ અને વિકૃત સામગ્રીના કારણે બાળકો વિચિત્ર હરકતો કરે છે, અને યુવાવયે માતા-પિતા, પરિવારના અંકુશમાં જ રહેતા નથી. સમાજમાં વધી રહેલા આ "સોશ્યલ સાયલન્ટ એપેડેમિક" સામે પણ સૌએ જાગવું પડશે, અન્યથા નવી પેઢી બરબાદીની ખાઈમાં ધકેલાઈ જશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડે વર્ષ-ર૦રપ-ર૬ નું વાર્ષિક શાળાકીય કેલેન્ડર જાહેર કર્યુ છે, જેમાં ઉનાળુ વેકેશન, દિવાળી વેકેશન તથા અન્ય જાહેર રજાઓ સહિત ૮૦ જાહેર રજાઓનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત બાર મહિનાના પ૦ ની આસપાસ રવિવાર આવે, અન્ય છૂટક રજાઓ અપાય, કુદરતી આફતો કે આકસ્મિક સંજોગો અથવા ઋતુગત કારણોથી રજાઓ અપાય અને દર શનિવારે મોટાભાગે અડધા દિવસનું શિક્ષણ હોય, તેની ગણત્રી કરીએ તો આખા વર્ષમાં બસો-સવાબસ્સો દિવસનું જ શિક્ષણ બાકી રહે.
આ કેલેન્ડર તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું છે, એટલે કે ધોરણ ૯ થી ૧ર સુધીનું જ છે. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તો જાહેર રજાઓ, રવિવારો અને ઈત્તર કારણોસર પડતી રજાઓ ઉપરાંત સ્થાનિક રજાઓ, પ્રાસંગિક રજાઓ કે સારા-માઠા પ્રસંગે અપાતી રજાઓનો હિસાબ કરવામાં આવે તો એવું કહી શકાય કે વર્ષમાં અડધું વર્ષ જ શાળાઓ ચાલુ રહે અને અડધોઅડધ વેકેશનો, જુદા-જુદા પ્રકારની રજાઓ અને સ્થાનિક - પ્રાસંગિક રજાઓ તથા સરકારી મેળાવડાઓમાં જ વીતી જતું હોય છે.
આ કારણે બાળકોના શિક્ષણ પર, તો અસર પડે જ છે, પરંતુ માતા-પિતા પરિવારના ગજવા પર પણ કાતર ફરતી હોય છે.
બન્ને વેકેશનો અને રજાના દિવસોમાં શાળાકીય પ્રવૃત્તિઓ બંધ રહે, તો પણ ખાનગી શાળાઓ દ્વારા જુદી-જુદી પ્રકારના ચાર્જીસ વિગેરે લગાડીને પૂરેપૂરી તોતીંગ ફી વસુલ કરી લેવામાં આવે છે. ફી નિર્ધારણ થયા પછી પણ કોઈને કોઈ બહાને બાળકો પાસેથી તોતીંગ ફી મેળવતી શાળાઓ નિર્દ્યપણે માતા-પિતા, વાલીઓને પઠાણી ઉઘરાણીઓ કરીને પજવતી હોય છે. જે શાળાઓ સ્કૂલ બસો કે વાહતુક સુવિધાઓ આપે છે, તે સ્કૂલો જ વેકેશન સહિતનું બસભાડું એડવાન્સમાં વસુલતી હોવાથી જે ગરીબ-મધ્યમવર્ગીય માતા-પિતા, વાલીઓ રિક્ષા, રિક્ષા છકડા, ઈક્કોવેન જેવા અન્ય વાહનોમાં પોતાની રીતે બાળકોને શાળાએ મોકલતા હોય છે. તેઓ પાસેથી ખાનગી વાહનોવાળા પણ વેકેશન સહિતનું તોતીંગ વાહનભાડું વસુલતા હોય છે. આ ઉઘાડી લૂંટ સામે વિપક્ષી નેતાગણ દ્વારા ઘણી વખત અવાજ ઉઠાવાતો હોય છે, પરંતુ એ વિરોધ પણ માત્ર "પ્રાસંગિક" હોય, તેમ એકાદ વિરોધ પ્રદર્શન કે આવેદનપત્ર આપવા સુધી જ મર્યાદિત રહેતો હોય છે, અને પછી રહસ્યમય રીતે સમી જતો હોય છે.
શાસકપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિતના નેતાઓ પણ આ મુદ્દે જુદા-જુદા સ્તરે રજૂઆતો તો કરતા હોય છે, પરંતુ આ મુદ્દાઓના ઉકેલ સુધી પહોંચવાનો જુસ્સો હોતો નથી અને ઘણી વખત આ બધી જ કવાયત દેખાવ ખાતર જ થતી હોય તેમ જણાય છે.
જ્યારે આ મુદ્દે મીડિયામાં ચર્ચા થાય છે, ત્યારે એવા તારણો પણ નીકળતા હોય છે કે, કેટલાક વિપક્ષના નેતાઓ સહિત શાસકપક્ષના નેતાગણના નજીકના વર્તુળો, સગા-સંબંધી કે મળતીયાઓ જ ગુજરાતમાં ઘણી ખાનગી સ્કૂલોની સંચાલક બોડી સાથે સંકળાયેલા હોવાથી કદાચ તેની "શરમ" (કે બીજુ કાંઈક) લાગવાથી આ ઉઘાડી લૂંટ સામે આંખ આડા કાન કરાતા હશે.
રાજ્યના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો એવી અપેક્ષા તો રાખી જ શકે ને કે કમ-સે-કમ વેકેશનના સમયગાળાની કોઈપણ ફી, વાહન ભાડું કે ચાર્જીસ વિદ્યાર્થીઓ, વાલીઓ પાસેથી વસુલવામાં આવે નહીં. જો સ્કૂલો જ વેકેશનના નાણા વસુલતી હોય તો ખાનગી વાહનધારકો ક્યાંથી છોડે...?
સરકારે તથા નેતાગણે આ મુદ્દે માનવતાલક્ષી અભિગમ દાખવીને વેકેશનમાં લેવાતા મનસ્વી ચાર્જીસ અને વાહન ભાડું, ટ્રાન્સપોર્ટેશન કે બસભાડું વિગેરે જે વાહતૂક વ્યવસ્થાઓ અપાતી જ ન હોય, અને વેકેશનમાં બંધ જ રહેતી હોય, તેવા ચાર્જીસ લેવાતા બંધ થાય તે માટે ખાનગી શાળાઓના સંચાલકોને સમજાવવા જોઈએ અને ન માને તો તે માટે આદેશો આપવા જોઈએ, કારણ કે, જે સેવાઓ બંધ જ હોય, તેનું ભાડું કે ચાર્જ લેવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની પણ વિરૂદ્ધમાં છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, વેકેશન તથા જાહેર રજાઓ વિગેરેમાં વિદ્યાર્થીઓ, બાળકોએ પ્રવાસ જ કર્યો નહીં હોવા છતાં તેનું ભાડું લેવાના સ્વરૂપે થતી કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધનો આ મનસ્વી અને ઉઘાડી લૂંટ સામે કોઈએ અદાલતના દ્વાર કેમ ખખડાવ્યા નહીં હોય...? આરટીઆઈ એક્વિવીસ્ટો, સમાજના જાગૃત નાગરિકો અને શિક્ષણ ક્ષેત્રની સંસ્થાઓ (એનજીઓ), વિદ્યાર્થીઓ સંગઠનો પણ આ મુદ્દે "કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધમાં જઈને થતી વસુલાત સામે અદાલતના દ્વાર ખખડાવી શકે છે. વિપક્ષના કોર્પોરેટરો પાલિકા - મહાપાલિકાઓ અને ધારાસભ્યો વિધાનસભાગૃહમાં પણ આ મુદ્દે અવાજ ઉઠાવી શકે છે, અને ગુજરાતમાં વિપક્ષના અલ્પ સાંસદો હોવાથી જરૂર પડ્યે શાસકપક્ષના સાંસદોએ પણ આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને તથા પાર્ટીની કક્ષાએ પણ આ ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો સહિતના વિદ્યાર્થીઓ, વાલીઓને સ્પર્શતા મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ ને...?
ખુદ સરકાર પણ કોન્ટ્રાક્ટ બેઈઝ પર જે સેવાઓ મેળવે છે, તેનું ચૂકવણું થયેલા કામ આધારિત જ કરે છે ને...? વચ્ચે અપાતી રજાઓનો ચાર્જ કે ઉધડુ વાહન ભાડું પૂરેપૂરૃં ચૂકવાય એ સમજાય, પણ સળંગ બબ્બે વેેકેશન કે અઠવાડિય, પંદર દિવસ માટે શાળાઓ જ બંધ રહે, છતાં વાહન ભાડા વસુલવા એ ખૂલ્લો અન્યાય જ છે, અને આ મુદ્દે અદાલતોમાં પણ સુઓમોટો સુનાવણી થાય તે પણ ઈચ્છનિય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજ્યના પાણી પુરવઠા મંત્રીનો દાવો છે કે, આ ઉનળાામાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે. રાજ્યના ર૦૦ થી વધુ જળાશયોમાં પ૭% થી વધારે જળસંગ્રહ છે અને આ વર્ષે સાર્વત્રિક પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી જમીનની સપાટી ઉપર અને ભૂગર્ભ જળની સ્થિતિ પણ એકંદરે જળવાઈ રહી છે, તેથી ઉનાળામાં ગુજરાતની જનતાને પીવાના પાણી માટે તકલીફ નહીં પડે.
બીજી તરફ રાજકોટમાં લદાયેલા પાણીકાપના કારણે મહિલાઓએ થાળી વગાડીને તથા માટલા ફોડીને વિરોધ વ્યક્ત કર્યા પછી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને વિપક્ષના અન્ય સ્થાનિક વર્તુળો કહે છે કે, સરકારના દાવાઓની પોલ ખૂલી ગઈ છે અને અત્યારથી જ પાણીકાપ લાદવાની નોબત આવી છે, ત્યારે ઉનાળામાં શું થશે...? તેના જવાબમાં ભાજપના વર્તુળો કહે છે કે, આ પાણીકાપ પાણીની તંગીના કારણે નહીં, પરંતુ પ્રિ-મોન્સુનની કામગીરીને લઈને ચાલી રહેલી મરામતના કારણે લગાવાયો છે, તો લોકો કહે છે કે, આ તો બધી બહાના બાજી છે.
રાજકોટની જેમ જ સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાંથી પીવાના પાણીની વકરી રહેલી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બીજી તરફ વીજ પુરવઠાના ધાંધિયા પણ અત્યારથી જ ચાલુ થઈ ગયા છે, અને નોટીસ આપ્યા વિનાનો વીજકાપ અવાર-નવાર લગાવાઈ રહ્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો વીજળીરાણી ક્યારે રિસાઈ જાય અને કેટલા કલાકો સુધી રાહ જોવી પડશે, તે નક્કી જ નથી રહેતું, તેથી વીજ પુરવઠાને લઈને પણ અત્યારથી જ વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. એક તરફ ગરમી વધી રહી હોવાથી પંખા, કૂલર, એરકન્ડિશન્ડ મશીનો, રેફ્રિજરેટરો વિગેરે ઉપકરણોનો ઉપયોગ વધી રહ્યો હોવાથી વીજળીની માંગ ક્રમશઃ દરરોજ વધી રહી છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીઓ પણ પ્રિ-મોન્સુન કામગીરી, ફોલ્ટ તથા મરામતના બહાને અવારનવાર સપ્લાઈ બંધ કરતી હોવાથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણાં વિસ્તારોમાં લોકોની રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે, અને વીજ આધારિત કામધંધાને પણ માઠી અસર પડી રહી છે.
અહેવાલો મુજબ ગત્ નાણાકીય વર્ષ દરમિયાન વીજ પુરવઠાને લગતી પપ હજાર કમ્પ્લેઈન નોંધાઈ હતી. વીજ કંપનીઓએ જંગી ખર્ચ કરીને વીજ વાયરો બદલ્યા, ઉપકરણો બદલ્યા, સાધન-સામગ્રીનું અપગ્રેડેશન કર્યુ, તે પછી પણ જો એક વર્ષમાં (ચોપડે નોંધાયેલી) પપ હજાર ફરિયાદો આવતી હોય, તો આ આધુનિકરણ શું કામનું...? તેવો સવાલ તો ઉઠે જ ને...?
ગ્રામ્ય વિસ્તારો તથા નાના નગરોમાં તો નાના-મોટા ફોલ્ટ કે થાંભલેથી લૂસ કોન્ટેક્ટ જેવી ફરિયાદો ચોપડે નોંધાતી જ હોતી નથી અને સ્થાનિક હેલ્પરો કે ખાનગી ઈલેક્ટ્રિશ્યનો રીપેર કરી નાંખતા હોય છે, તેથી વીજ સપ્લાઈ તથા ફોલ્ટ નિવારણ વ્યવસ્થાઓ નાનામાં નાના ગામડા સુધી વધુ મજબૂત અને નિયમિત કરવાની જરૂર છે, કારણ કે, હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ અનેકગણો વધી રહ્યો હોવાથી નિયમિત - અવિરત વીજ પુરવઠાની ડિમાન્ડ પણ સ્વાભાવિક રીતે જ વધી રહી છે.
જામનગરની મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરની મિટિંગમાં રંગમતી નદીને ઉંડી ઉતારીને તેમાં જળસંગ્રહ ક્ષમતા વધારવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠાની પાઈપ લાઈનોના ખર્ચની દરખાસ્તો પણ મંજૂર થઈ, તેમ છતાં આ વર્ષે ઉનાળામાં નગરને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે, તેવા આશ્વાસનો કેટલા સાચા પડે છે, તે જોવું રહ્યું.
હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં જ દેશના નવ રાજ્યોમાં તો હીટવેવ અને ગરમ પવન ફૂંકાવાની તાજી આગાહી હવામાન ખાતાએ કરી છે, અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હોવાથી ગુજરાતને પણ એલર્ટ કરાયું છે, ત્યારે હવે તંત્રોએ પીવાનું પાણી અને વીજ પુરવઠા ઉપરાંત હવે આરોગ્ય અને તબીબી ક્ષેત્રે પણ સજ્જ રહેવું પડશે, અને ઋતુજન્ય રોગચાળો, સનસ્ટોક તથા બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીથી જાહેર આરોગ્ય પર ખતરો ઊભો ન થઈ જાય, તે માટે જાગૃત રહેવું પડશે. હવે આ માટે ચેકીંગ કરતા તગડા પગાર મેળવતા સંબંધિત તંત્રો 'સિમ્બોલિક' ચેકીંગ કરવાથી આગળ વધીને ગ્રામ્ય વિસ્તારો સહિત "સાર્વત્રિક" ચેકીંગ કરે, તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દુનિયાભરના શેરબજારો કડડભૂસ... કરતા ફસડાઈ પડ્યા અને હાહાકાર મચી ગયો. નગરથી નેશન સુધી અને ગામડાઓથી ગ્લોબ સુધી કોણે કેટલા ગુમાવ્યા...? તેની જ ચર્ચા થતી રહી અને ટ્રમ્પના ટેરિફ એટેકને જવાબદાર ગણાવાતો રહ્યો. હજુ શેરબજારની કળ ઉતરી નહોતી, ત્યાં જ દેશવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો.
ગઈકાલે એલપીજી ગેસના ભાવોમાં વધારો ઝીંકી દેવાયો. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જ જાહેરાત કરી કે ગઈકાલથી સબસીડીવાળા અને સબસીડી વગરના તમામ ગેસ સિલિન્ડર દીઠ પચાસ રૂપિયાનો વધારો લાગુ કરી દેવાયો છે. આ જાહેરાતો ઘરખર્ચના બે છેડા માંડ પૂરા કરી રહેલી મહિલાઓ (ગૃહિણીઓ) ને પણ ઝટકો આપ્યો અને મોંઘવારીના મારથી પિડીત પુરૂષવર્ગમાં પણ નારાજગી ફેલાવા લાગી.
રાજયભરમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મિલ્લાકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, મોદી સરકારે લોકોના ઝખમ પર મીંઠુ ભભરાવવાનું કામ કર્યુ છે. ખડગેએ ખૂબ જ આક્રમક ભાષામાં "એક્સ" પર પોષ્ટ કરીને લખ્યું કે, ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ૪૧ ટકા જેટલો ભાવ ઘટાડો થયો, તેનો લાભ જનતાને આપવાના બદલે લૂંટારી સરકારે એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ બે રૂપિયા વધારી દીધી છે. ખડગેએ આ પોષ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જે લખ્યુ, તે ગઈકાલે દિવસભર ચર્ચામાં રહ્યું. શેરબજારમાં રોકાણકારોને ૧૯ લાખ કરોડનું જંગી નુકસાન થયું, તેના માટે પણ મોદી સરકારની કુંભકરણી જેવી ઊંઘ (લાપરવાહી) ને જવાબદાર ગણાવીને ખડગેએ લખ્યું કે, મોદી સરકારે એલપીજીના ભાવો વધારીને ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યુ છે. તેમણે ઉજ્જવલાની ગરીબ મહિલાઓની બચત પર તરાપ મારવાનો આક્ષેપ કરીને કહ્યું કે, લૂંટ અને જબરદસ્તી વસુલી એ મોદી સરકારના જાણે પર્યાય બની ગયા છે.
બીજી તરફ ભૂતકાળમાં એલપીજી ગેસમાં ભાવો વધ્યા, તેવા સમયે યુપીએ સરકારના સમયગાળાનો વડાપ્રધાન મોદીનો જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાના અહેવાલોમાં જે કાંઈ કહેવાય રહ્યું છે, તેને સાંકળીને કોંગ્રેેસ પાર્ટી આને મોદી સરકારના બેવડા ધોરણો ગણાવીને જનતા પર મોંઘવારીનો બેવડો બોજ ઝીંકવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ઘરેલું ગેસ સિલિન્ડર પર પચાસ રૂપિયાનો બોજો નખાતા ગરીબ અને મધ્યમવર્ગની ગૃહિણીઓના બજેટ તો ખોરવાઈ જ જશે, સાથેસાથે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અપેક્ષાકૃત ઘટાડો નહીં થતા દેશની જનતા છેતરાઈ હોવાની અનુભૂતિ કરી રહી હશે.
કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો, પરંતુ તેનો બોજ ઓઈલ કંપનીઓ પર લાદ્યો (નાંખ્યો) છે, જેથી પેટ્રોલ-ડીઝલની રિટેઈલ પ્રાઈઝમાં કોઈ વધારો નહીં થાય, પરંતુ કંપનીઓને તેની અસર થશે.
સરકારે લીટરદીઠ એક્સાઈઝ ડ્યૂટી બે રૂપિયા વધારી છે, જે કદમ ઓએમસીને ગેસ સેગમેન્ટમાં થયેલા રૂ. ૪૩૦૦૦ કરોડનું વળતર મળી રહે, તેવા હેતુથી ઉઠાવાયુ હોવાનું કહેવાય છે. જો કે, અંતે તો આ વિષચક્રનો અંત પબ્લિક મનીમાંથી થતી ચૂકવાણીઓ દ્વારા જ આવશે ને...?
ટૂંકમાં ક્રૂડમાં ભાવ ઘટાડાનો ફાયદો દેશવાસીઓને થવાનો નથી. વૈશ્વિક ક્રૂડના ભાવો ઘટતા લોકોને એવી આશા હતી કે, પેટ્રોલ-ડીઝલના ભાવો પણ ઘટશે અને તેના કારણે તમામ વીજ વસ્તુઓ તથા પેઈડ સેવાઓની મોંઘવારીમાં પણ રાહત થશે, પરંતુ આ આશા ઠગારી નિવડી છે અને વિપક્ષો કેન્દ્રના બેવડા ધોરણોની આલોચના કરી રહ્યાં છે, તો બેરોજગારી અને મોંઘવારીના બેવડા મારમાં પીસાતી જનતા ગેસના ભાવોમાં ઘટાડા માટે આગામી ચૂંટણીઓની રાહ જોઈ રહી છે, જોઈએ, સરકાર કૃપાળુ બને છે કે નહીં...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર સહિત ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, અને આ વર્ષે ગરમી નવા રેકોર્ડસ સ્થાપશે, તેવા અનુમાનો વચ્ચે ભારતીય હવામાન વિભાગે અલનીનોની સંભાવનાઓને નકારી દેતા ચોમાસા વિષે ઊભી થઈ રહેલી આશંકાઓ ઓછી થઈ છે. જો કે, હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ચોમાસુ કેવું રહેશે, તેની સચોટ આગાહી કરવા માટે એપ્રિલ એન્ડીંગ સુધી રાહ જોવી પડશે. એપ્રિલથી જૂન સુધી પ્રચંડ ગરમી (હીટવેવ) ની આગાહી થઈ છે, અને પૂર્વ ભારતમાં ૧૦ દિવસ સુધી ગરમીના મોજા ઉછળવાની સંભાવના જણાવાઈ છે.
તો આજે ભારતીય શેરબજાર સહિત વૈશ્વિક બજારો કડડભૂસ થઈ ગઈ હોવાથી ગભરાટ ફેલાયો છે.
એક તરફ બળબળતા બપોર અને ધોમધખતા તાપ સાથે ઉનાળાનો પ્રકોપ જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે, તો બીજી તરફ ગ્લોબલ વોર્મીંગ અને ક્લાઈમેટ ચેઈન્જની અસરોના કારણે સમગ્ર વિશ્વમાં ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, જેની સીધી કે આડકતરી અસરો અર્થતંત્રો અને વૈશ્વિક પરિવહન, જનજીવન અને સરકારો પર પણ પડી રહી છે. ગઈકાલે રામનવમી ઉજવાઈ, અને આજે તેના પારણાં થઈ રહ્યાં છે, ત્યારે ભગવાન શ્રીરામની કૃપા સૌ પર વરસે તેવું પ્રાર્થીએ...
કુદરતી ગરમીની સાથે-સાથે વિશ્વભરમાં ટ્રમ્પ ટેરિફ યુદ્ધો અશાંતિ, વિદ્રોહ અને અનિશ્ચિતતાઓના કારણે વૈશ્વિક અને ઘરઆંગણાની રાજનૈતિક તથા કૂટનૈતિક ગતિવિધિઓને પણ માઠી અસરો થઈ રહી છે.
અત્યારે દેશભરમાં વકફ બિલના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેની સામે તરફેણમાં પણ નિવેદનો આવી રહ્યા, આ બધી ગતિવિધિઓની વચ્ચે સંસદે - રાજયસભાએ પાસ કર્યા પછી વકફ સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહી થતા જ તે હવે "કાયદો" બની ગયું છે.
નવું વકફ શંસોધન બિલ "ઉમ્મીદ" ના નામે ઓળખાશે, જેનું ફૂલ ફોર્મ "યુનાઈટેડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી અને ડેવલપમેન્ટ" રખાયું છે. આ બિલ અંગે સરકારનો દાવો એવો છે કે, વકફના વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને વ્યાપકતાનો સમાવેશ થયો છે. જે ગરીબ મુસ્લિમો પોતાના અધિકારોથી વંચિત રહેતા હતા, તેઓને તેઓનો હક્ક મળશે.
દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ કદમ છે. આ કાયદો સુનિશ્ચિત કરે છે કે, મહિલાઓને પણ વકફની મિલકતો પર સમાન અધિકારો છે. આ કાયદો લૈંગિક સમાનતાને પ્રોત્સાહિત કરવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે, વિગેરે...
જો કે, વિરોધપક્ષો આ મુદ્દે એકજૂથ થઈ ગયા છે, અને આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તેને સુપ્રિમકોર્ટમાં પડકારવાનું જાહેર કર્યુ છે. આ કાયદાના વિરોધમાં દેશવ્યાપી દેેખાવો તો થઈ રહ્યાં છે, પરંતુ સુપ્રિમકોર્ટમાં આ કાયદાના વિરોધમાં ચાર જેટલી અરજીઓ પણ દાખલ થઈ ગઈ હોવાના અહેવાલો છે, આ કારણે હવે આ મુદ્દે કાનૂની જંગ લડાશે, તે નક્કી છે.
વ્યક્તિગત અને સંસ્થાકીય રીતે સુપ્રિમકોર્ટમાં દાખલ થયેલી અરજીઓમાં મુખ્યત્વે આ કાયદાને ગેરબંધારણીય કરાવવાની માંગણી કરવામાં આવી છે, અને અરજીમાં તર્ક અપાયો છે કે, આ કાયદો વકફ પ્રોપર્ટી અને તેમના મેનેજમેન્ટ પર મનસ્વી નિયંત્રણો લાદે છે, જેથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વાયતતાને નુકસાન પહોંચે છે. સરકારનું કહેવું છે કે, આ નવો કાયદો કોઈપણ રીતે મુસ્લિમ સમુદાયના ધાર્મિક માળખાને અસરકર્તા નથી, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ માટેની એડમિનિસ્ટ્રેટિવ જોગવાઈઓ જ કરે છે. હવે આ મુદ્દો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે, ત્યારે તેમાં તબક્કાવાર સુનાવણીઓ થશે, તે દરમિયાન હજુ વધુ તાર્કિક અને કાનૂની મુદ્દાઓ ઉદ્ભવશે.
વકફ સુધારા બિલનો મુદ્દો હવે માત્ર સામુદાયિક કે કાનૂની નથી રહ્યો, પરંતુ શુદ્ધ રાજનૈતિક મુદ્દો બની ગયો છે, અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ભાજપના મુસ્લિમ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હોવાના અહેવાલો પણ છે.
ભારતીય જનતા પક્ષને એક તરફ સમગ્ર દેશમાં વકફ બિલના કારણે થોડા-ઘણાં અંશે પણ આંતરિક અજંપો વર્તાઈ રહ્યો હશે, ત્યાં તામિલનાડુમાં ત્યાંના પ્રદેશ ભાજપ પ્રમુખના રાજીનામાનું પ્રકરણ તામિલનાડુમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એવું કહેવાય છે કે, તામિલનાડુ વિધાનસભાની આગામી ચૂંટણીમાં એઆઈએડીએમકે સાથે ગઠબંધન માટે તામિલનાડૂના વર્તમાન પ્રદેશ પ્રમુખનો ભોગ લેવાયો છે, જે હોય તે ખરૃં, પણ ભાજપ, નિતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડૂ માટે કપરાં ચઢાણ તો છે જે...
ગ્લોબલ વોર્મિંગ, ટેરિફ ટેસ્ટ, ટ્રેડવોર, ગૃહયુદ્ધો, યુદ્ધો અને રાજકીય ગરમીના આ માહોલમાં સાઉદી અરેબિયાએ વધારો કર્યો છે, ત્યાંના વિદેશ મંત્રાલયે ભારત અને પાકિસ્તાન સહિતના ૧૪ દેશો માટે વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે...!
જો કે, બિઝનેસ, ઉમરાહ એન ફેમિલી વિઝા પર મૂકાયેલો આ પ્રતિબંધ ૧પમી જૂન અથવા જૂનના ત્રીજા સપ્તાહ સુધી જ ચાલુ રહેશે, અને ઉમરાહ વિઝા ધરાવતા લોકોને થોડી છૂટછાટ પણ અપાઈ છે, પરંતુ આ પ્રતિબંધ હજ્જયાત્રામાં થતી ગેરકાનૂની ઘૂસણખોરી અટકાવવા લેવાયો હોવાનું કહેવાય છે, એવું કહેવાય છે ક,ે અન્ય વિઝા) પર પ્રવેશ મેળવીને અયોગ્ય રીતે હજયાત્રા કરવાની આ પ્રવૃત્તિના કારણે હજયાત્રા માટે જરૂરી પ્રબંધો કરવામાં મુશ્કેલી પડતી હતી, જેથી ભીડ વધતી હતી તથા હજયાત્રીઓની સુરક્ષા અને સલામતીને લઈને સમસ્યાઓ ઊભી થતી હતી. આ કારણે આ પ્રકારનો હંગામી પ્રતિબંધ લગાવાયો છે. ભાગદોડ કે અવ્યવસ્થાઓ સર્જાતી અટકાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત ત્યાંની સરકારે કર્યા પછી આશંકાઓ અને અટકળોનો દોર ખતમ થયો છે.
અત્યારે મોદી-૦૩ ને નવ મહિના થયા તેમ છતાં કેન્દ્રીય મંત્રી બનેલા જે.પી. નડ્ડાના સ્થાને ભાજપ હજુ સુધી નવા અધ્યક્ષ જાહેર કરી શક્યું નથી, અને એવું જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના કિસ્સામાં થયું છે. બીજી તરફ કર્ણાટક કોંગ્રેસમાં પણ સિધ્ધાર મૈયા અને ડી. શિવકુમારનો ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ બધી ગરમીઓની વચ્ચે લોકોને ઠંડક મળે, કાંઈક રાહત થાય, તે માટે ભગવાન શ્રી રામને પ્રાર્થીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉનાળોઆવ્યો અને ક્રમશઃ તાપમાન વધી રહ્યું છે, આગઝરતી ગરમીની આગાહીઓ થઈ રહી છે અને બપોરના સમયે સૂર્યપ્રકોપના કારણે લોકો બહાર નીકળતા નથી અને રહેણાંક વિસ્તારોમાં તો કુદરતી કરફ્યૂ જેવું વાતાવરણ સર્જાઈ જ જાય છે, પરંતુ બજારો પણ સુમસામ થઈ જાય છે. ગઈકાલે જામનગરનું તાપમાન ૪૦ ડીગ્રી નજીક પહોંચતા પ્રચંડ ગરમીથી નગરજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતાં. કેટલાક શહેરોમાં તો તાપમાન ૪૩-૪૪ ડીગ્રીથી પણ વધી જતા જનજીવન પ્રભાવિત થયું હતું.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ઘણાં શહેરોમાં ૪૦ થી ૪પ ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. અસહ્ય ગરમીના કારણે ધંધા-વ્યવસાય ઉપર પણ માઠી અસર પહોંચી રહી છે અને રોજેરોજનું કમાઈને ગુજરાન ચલાવનારા અત્યંત ગરીબ પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, એપ્રિલમાં આટલી ભયંકર ગરમી પડી રહી છે, ત્યારે મે મહિના અને જૂનમાં ચોમાસાના પ્રથમ વરસાદ થતા સુધી શું થશે, તેનું આકલન કરીને સંબંધિત તંત્રો અત્યારથી જ તૈયારી નહીં કરે, તો આ ઉનાળામાં જિંદગી જીવવી મુશ્કેલ બની જશે.
તંત્રોએ અત્યારથી જ ધોમધખતો ઉનાળો, સંભવિત માવઠું અને ઋતુચક્રમાં થતા ફેરફારોને લક્ષ્યમાં રાખીને જરૂરી પ્રબંધો વિચારી લેવા પડશે, અને જરૂરી પ્રક્રિયા, દરખાસ્તો, મંજૂરીઓ, એસ્ટીમેટ, કાર્યયોજના અને વૈકલ્પિક વ્યવસ્થાઓ સહિતનો રોડમેપ તૈયાર કરી લેવો પડશે, અન્યથા આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવો ઘાટ સર્જાશે.
ગયા વર્ષે જ્યારે ગરમીનો પ્રચંડ પ્રકોપ હતો, ત્યારે પંખા, એ.સી., કૂલર, ફ્રીઝ અને બરફનું ઉત્પાદન કરતા સાધનોના ઉપયોગમાં અનેકગણો વધારો થયો હતો, અને તેના કારણે લોડ વધી જતા ઘણાં વિસ્તારોમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હતું, તો લો વોલ્ટેજની સમસ્યાના કારણે પણ ઠંડક આપતા સાધનો ચાલી શક્યા નહોતા. વોલ્ટેજની વધઘટના કારણે ઘણાં સ્થળે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેથી ઘરેલુ વ્યવસ્થાઓ પણ વેરવિખેર થઈ જતી હતી. વીજતંત્રોએ આ વર્ષે ગયા વર્ષનો અનુભવ અને ચાલુ વર્ષે અંદાજીત ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો જાળવી રાખવાની કવાયત કરી લેવી પડશે અને જ્યાં જરૂર હોય ત્યાં વીજ લાઈનો તથા તેને સંલગ્ન ઉપકરણોની ક્ષમતા વધારી લેવી પડશે.
જામનગર સહિતના શહેરોની વસ્તી વધી છે. વેકેશનનો માહોલ છે. વીજ ઉપકરણોની જરૂરિયાતો પણ વધી રહી છે. અત્યારે ઘેરઘેર એરકન્ડીશન્ડ મશીનો, વોશીંગ મશીનો, ઘરઘંટી, ટેલિવિઝન, વીજ આધારિત ચુલાઓ, ઈલેક્ટ્રિક મોટરો, એરકૂલરો, રેફ્રીજરેટરો અને ઈ-વાહનોની સુવિધાઓ ઉપલબ્ધ બની છે, અને હવે મધ્યમવર્ગીય પરિવારો તથા અપર-પૂઅર વર્ગોના પરિવારો પણ આ પ્રકારના વીજ આધારિત ઉપકરણો તથા સેવાઓ મેળવવા લાગ્યા છે, ત્યારે જરૂર પહેલા ડોર-ટુ-ડોર સર્વે કરીને પણ શહેરમાં અંદાજીત કેટલાક ઉપકરણો છે, તેના અંદાજ આધારિત વીજક્ષમતા વધારવાની કવાયત અત્યારથી જ કરી લેવી જોઈએ, જેથી ભર ઉનાળે ધોમધખતી ગરમીમાં પીસાતી જનતાને થોડી રાહત આપી શકાય.
જામનગર મહાનગરપાલિકાના તંત્રો દ્વારા ઘેર-ઘેર નળ દ્વારા અપાતો પાણી પુરવઠો ઉપરની ટાંકીમાં પહોંચાડવા ભૂગર્ભ ટાંકીઓમાં દેડકો મોટર કે ઈલેક્ટ્રિક મોટરો પણ વાપરવામાં આવે છે, અને તેનો અંદાજ ભાગ્યે જ ગણતરીમાં લેવાતો હોય, તે ઉપરાંત વીજ આધારિત વ્યવસાયો, ઔદ્યોગિક-વ્યાપારિક જરૂરિયાતો અને કોમ્પ્યુટર્સ, વાયફાય અને મોબાઈલ સેલફોન આધારિત પ્રવૃત્તિઓ માટે પણ વીજ પુરવઠાની જરૂર તો પડવાની જ છે ને...?
ટૂંકમાં વીજતંત્રોએ માઈક્રો પ્લાનીંગ પણ કરવું જોઈએ અને અત્યારથી વિસ્તારવાઈઝ અંદાજો કાઢીને તે મુજબ વીજલાઈનો તથા સંલગ્ન સાધનોનું અપગ્રેડેશન કરી લેવું જોઈએ.
વીજ તંત્રોની જેમ જ પાણી પુરવઠાના વિભાગ તથા પાલિકા-મહાપાલિકા, પંચાયતોના વોટરવર્કસ તંત્રોએ પણ ઉનાળામાં માનવી અને પશુઓ માટે જરૂરી પાણી પુરવઠાનો અંદાજ કાઢીને આગામી બે-અઢી મહિના સુધી એટલે કે જુલાઈ મહિના સુધીનું માઈક્રો પ્લાનીંગ કરી લેવું જોઈએ. તે ઉપરાંત જે વિસ્તારોમાં હજુ પણ ટેન્કરો ચાલી રહ્યાં છે, ત્યારે ટેન્કરોના ફેરા કે સંખ્યા વધારીને લોકોને કમસેકમ પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે, તેવી વ્યવસ્થાઓ તંત્રોએ અત્યારથી જ કરી લેવી જોઈએ, ખરૃં ને...?
ઉનાળામાં વીજ વપરાશ વધવાની સાથેસાથે આગ અકસ્માત જેવી ઘટનાઓમાં પણ વધારો થતો હોય છે, જેથી ઉનાળાના પ્રારંભે જ ફાયરસેફટી સહિતની વ્યવસ્થાઓ ચકાસી લેવામાં આવે તે જરૂરી છે. ઉનાળામાં ઘણી બધી સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ પાણીના પરબ, છાશ વિતરણ તથા શિતળ છાંયડાની વ્યવસ્થાઓ થતી હોય છે, અને ઘરવિહોણાં રખડતા-ભટકતા લોકો માટે શેલ્ટર હોમ પણ ઊભા કરાતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓનું સંકલન કરીને જરૂરિયાત મુજબના તમામ સ્થળોએ સમાન ધોરણે પૂરતા પ્રમાણમાં આ નિઃશુલ્ક સેવાઓ મળી શકે તેવું સંકલિત આયોજન થાય તે ઈચ્છનિય રહેશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદીને પગ પર કૂહાડો માર્યો હોય, તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે. શેરબજારો ડગમગવા લાગ્યા છે, અને ડોલરને પણ ફટકો પડવા લાગ્યો છે. વ્યાપારમાં "જેવા સાથે તેવા" નો અભિગમ ચાલે નહીં, કારણ કે, વિવિધ દેશોમાં માંગ, પુરવઠાની ઉપલબ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર તથા પરસ્પર દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય કરારો, સમજૂતિઓ અને ખાસ કરીને વિવિધ દેશો સાથેના દ્વિપક્ષીય રાજનૈતિક તથા કૂટનૈતિક સંબંધો અને ટ્રેડ અને ટ્રાન્સપોર્ટેશન તથા ટ્રાન્ઝેકશન જેવા તમામ પરિબળો પર વ્યાપારિક ગતિવિધિઓનો આધાર રહેતો હોય છે, અને તેમાં ઋતુચક્ર, કુદરતી આફતો અને વૈશ્વિક શાંતિ-અશાંતિ-યુદ્ધો વગેરેની અસર પણ થતી હોય છે. આ કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ ઘર આંગણે જ ઝટકાઓ લાગે અને આંતરિક અવરોધો ઊભા થાય, તો તેમાં નવાઈ નહીં લાગે.
વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ, શેરબજારો, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રો અને બેન્કીગ ક્ષેત્રોના તજજ્ઞો, વિશ્લેષકો અને બ્યુરોક્રેટ્સના અભિપ્રાયોનું તારણ એવું નીકળે છ કે, ટ્રમ્પનો ટેરિફ ટેરર અમેરિકાને તો ડુબાડશે જ, પરંતુ આખી દુનિયાને પણ માઠી અસરો પહોંચાડશે. કેટલાક જાણકારો માને છે કે, ટેરિફ નીતિ પછી ભારત-અમેરિકાના સંબંધો બગડશે.
અમેરિકાના મશહૂર અર્થશાસ્ત્રી ડેવિડ રોઝનબર્ગ તર્કબદ્ધ પ્રત્યાઘાતો આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ટ્રમ્પની ટેરિફ પોલિસીથી અમેરિકા મંદીના વમળમાં ફસાઈ શકે છે, અને અર્થતંત્રને ફટકો પડી શકે છે. રોઝનબર્ગે તો ત્યાં સુધી કહ્યું છે કે, ટ્રમ્પની આ પોલિસી માત્ર અમેરિકા જ નહીં, આખી દુનિયાને મહામંદીમાં ધકેલી શકે છે અને આ વૈશ્વિક મંદીની અસરો ઘણી જ ગંભીર હશે.
ટ્રમ્પના કદમની બોમ્બ, ટેરર કે એટેક જેવા ભારેખમ શબ્દપ્રયોગ કરીને જે આલોચના થઈ રહી છે, તેમાંથી વૈશ્વિક પ્રત્યાઘાતોની આક્રોશિત જનભાવનાઓ પ્રગટે છે, અને વિવિધ ક્ષેત્રોમાંથી પણ તીવ્ર નારાજગી સાથેના ઘરઆંગણે ચર્ચાઈ રહેલા પ્રત્યાઘાતો પછી ટ્રમ્પ કદાચ થોડા નરમ પડશે, તેવા સંકેતો પણ મળી રહ્યાં છે.
જો કે, ભારતને લાગે-વળગે છે ત્યાં સુધી ભારત પર ર૭ ટકા જેવો ટેરિફ લગાવ્યા પછી પણ એટલો મોટો ફટકો નહીં લાગે, જેટલા નુકસાનની કલ્પના કરવામાં આવે છે, તેવું ભારતીય રિઝર્વબેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન સહિતના કેટલાક ફાયનાન્સ એન્ડ બેંન્કીગ સેક્ટરના નિષ્ણાતોનું મંતવ્ય છે.
રઘુરામ રાજને ટ્રમ્પના ટેરિફ એટેકને સેલ્ફ ગોલ ગણાવ્યો છે, જેને ગુજરાતી કહેવત મુજબ પોતાના જ પગ પર કૂહાડો મારવા જેવું કદમ ગણાવી શકાય.
જો કે, ટ્રમ્પે ટેરિફ લગાવ્યા પછી અમેરિકન કસ્ટમર્સને વિપરીત અસરો થતા ડિમાન્ડ ઘટશે અને ટ્રમ્પે ૬૦ દેશો પર નોંધેલા ટેરિફની નેગેટિવ અને પોઝિટિવ અસરોનો સરવાળો-બાદબાકી કરતા એકંદરે ભારતને ઓછી વિપરીત અસર થશે, તેવું રઘુરામ રાજન માને છે.
ભારતની અમેરિકામાં નિકાસ ઓછી થતી હોવાથી આખી ઈન્ડિયન માર્કેટ કે ઈકોનોમીને સીધી અને ગંભીર અસરો થવાની સંભાવના ઓછી છે. અમેરિકાએ ટેરિફ વધારતા ચીન જેવા દેશને પણ ભારતની જરૂરિયાતો મુજબની નવી વ્યાપાર નીતિ અપનાવશે, જેનો ફાયદો પણ ભારતને થઈ શકે છે.
રઘુરામ રાજન માને છે કે, જ્યારે આખી દુનિયા "નેશન ફર્સ્ટ" ની નીતિ અપનાવીને પોતાને "સુરક્ષિત" રાખવાને અગ્રીમતા આપતી હોય, ત્યારે ભારતે પણ ચાલાકીપૂર્વક કામ કરવું જોઈએ. ભારતે યુરોપ, આફ્રિકા અને ચીન સાથે વ્યાપારિક સંબંધો વિકસાવવા ઉપરાંત ચીન સાથે સાવધાનીપૂર્વક અને સમોવડિયા થઈને નવી ફૂડપોલિસી અખત્યાર કરવી જોઈએ.
રઘુરામ રાજન એવું પણ માને છે કે, ભારતે આડોશ-પાડોશના દેશો સાથે સહયોગ વધારીને સંબંધો મજબૂત બનાવવાની જરૂર છે. પડોશી દેશો સાથેના રાજદ્વારી સંબંધો અને મતભેદોની વિપરીત અસરો વ્યાપાર અને આર્થિક વ્યવહાર પર પડવી ન જોઈએ. ચીને તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં પ૪% ટેરિફનો મુદ્દો લઈ જવાનું મન બનાવ્યું છે, તેવા અહેવાલો પછી વૈશ્વિક ટ્રેડ વોર અને સંભવિત મંદીની સંભાવનાઓ વચ્ચે ભારતે "નેશન ફર્સ્ટ" ની નીતિ મુજબ નવા સમીકરણો રચવા પડશે. આ ઉપરાંત ભારતીય મૂળના અમેરિકન સાંસદોના પ્રત્યાઘાતો પણ નોંધનીય છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને તો ટ્રમ્પ પર દગાબાજીનો આરોપ લગાવતા કહ્યું કે, આ કોઈ મિત્ર જેવો વ્યવહાર નથી. ઓસ્ટ્રેલિયાના એકાદ-બે ટાપુ પર તો માનવ વસ્તી જ નથી, ત્યાં લગાવાયેલા રેસિપ્રોેકલ ટેરિફની હાંસી પણ ઉડાવાઈ રહી છે.
ભારતમાં ટ્રમ્પની ટેરિફ નીતિની મિશ્ર અસરો થશે, અને કેટલાક સેક્ટર્સને લાભ પણ થશે, તેવા અભિપ્રાયો અને તેના સંદર્ભે થઈ રહેલી ચર્ચા મુજબ ભારતના જ્વેલરી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ અને ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની પોલિસીથી ગંભીર ફટકો પડવાની સંભાવનાઓ જણાવાઈ રહી છેે, કારણ કે, ભારતમાંથી જ્વેલરી, હીરા, રત્નો, ફાર્મા પ્રોડક્ટસ, ટેલિકોમ્યુનિકેશનના ઉપકરણો, પેટ્રો પ્રોડક્ટસ, ગારમેન્ટસ વિગેરેની નિકાસ થાય છે. બીજી તરફ અમેરિકાએ બીજા દેશો પર લગાવેલા ભારે ટેરિફથી ટેક્સટાઈલ્સ સેક્ટરને ફાયદો થઈ શકશે. જ્યારે કેટલાક સેક્ટરોમાં ટેરિફ નહીં લગાડાતા રાહત પણ થઈ છે. જોઈએ, હવે તબક્કાવાર ટ્રમ્પ ટેરિફના અમલીકરણ પછી શું થાય છે તે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે જામનગર નજીક જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થવાના સમાચારોએ ચિંતા જગાવી હતી, તે પણ દેશવાસીઓ મીઠી ઊંઘ માણી રહ્યાં હશે ત્યારે જાણે કે, ત્રિપલ ધમાકા થયા હોય, તેવી હલચલ દેશ અને દુનિયામાં અનુભવાઈ હતી. દેશમાં જે લોકો સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ નિહાળી રહ્યાં હતાં. તેઓએ ગઈકાલની લગભગ ૧૩ કલાકની લાંબી ચર્ચા પછી લોકસભામાં વકફનું બિલ બહુમતીથી પસાર થયું, તે પછી મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચર્ચા નિહાળી હશે, તે પછી અમેરિકામાં ટ્રમ્પે ટેરિફ એટેકની જાહેરાત કરી ત્યારે દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો.
ભારતમાં મધ્યરાત્રિ વીતી ગઈ હતી, તેવા સમયે ટ્રમ્પે ભારત પર ૨૬ ટકા સહિત વિવિધ દેશો પર જંગી રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી.
ગઈકાલે મધ્યરાત્રિ પછી બહુમતીથી વકફનું બિલ પસાર તો થયું, પરંતુ તે પહેલા થયેલી લાંબી ચર્ચામાં લગભગ તમામ રાષ્ટ્રીય પક્ષો તથા અપક્ષ સાંસદોએ પણ મન મૂકીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં અને તીખાતમતમતા ભાષણો કર્યા હતાં. વિરોધપક્ષોએ એકજૂથ થઈને મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી અને વકફ બિલ પાછળ સરકારની ગુપ્ત નીતિ-રીતિઓ અંગે આશંકાઓ વ્યક્ત કરી હતી. કેટલાક સાંસદોએ સરકાર બંધારણ પર આક્રમણ કરી રહી હોવાના આક્ષેપો લગાવ્યા હતાં. તો સરકાર તરફથી એનડીએના સાંસદોએ પણ તેટલી જ કડક અને આક્રમક ભાષાના જવાબો આપીને આક્ષેપો ફગાવ્યા હતાં.
લાંબી ચર્ચાના અંતે પાક્કી બહુમતી સાથે વકફ બિલ પસાર થઈ ગયું અને સરકારને વિપક્ષો કરતા પ૩ મતો વધુ મળ્યા, તેથી મોદી સરકાર તથા એનડીએ મજબૂત દેખાયા અને આજે બપોરે આ બિલ રાજ્યસભામાં રજૂ થયા પછી તેના પર લાંબી ચર્ચા થશે અને જો રાજ્યસભા પણ આ બિલ પાસ કરી દેશે, તો તે પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે કાયદો બની જશે. જો કે, તે પછી પણ વિરોધપક્ષો દ્વારા આ બિલનો વિરોધ થતો રહેશે અને કદાચ આ મુદ્દો અદાલતની અટારીએ પહોંચે, તો પણ નવાઈ જેવું નહીં હોય, કારણ કે, કેટલાક નેતાઓએ આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે, એવું કહેવાય છે કે, વિપક્ષના એક સાંસદે તો બિલને ત્યાં જ ફાડ્યું, તેમાંથી નવો વિવાદ ઊભો થયો છે.
ગઈકાલે મધ્યરાત્રિ પછી લગભગ બે વાગ્યાની આસપાસ આ બિલ લોકસભામાં પાસ થયું હતું, જેથી આપણાં દેશને અડધી રાત્રે આઝાદી મળી, ત્યારથી લઈને જીએસટીની મંજુરી સુધીના મહત્ત્વના નિર્ણયો સંસદમાં મધ્યરાત્રિ કે મોડી રાત્રે લેવાયા હોવાની ચર્ચા પણ થવા લાગી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમી નવેમ્બર-ર૦૧૬ ની રાત્રે આઠ વાગ્યે નોટબંધીની જાહેરાતનો અમલ પણ તે દિવસે મધ્યરાત્રિથી જ શરૂ થયો હતો ને...?
હજુ તો વકફ બિલ પાસ થયા પછી લોકસભામાં મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસનના મુદ્દે ચર્ચા શરૂ જ થઈ હતી, ત્યાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોરનું બ્યુગલ ફૂંક્યુ હતું અને તેનું જીવંત પ્રસારણ વિશ્વભરના ટેલિવિઝન નેટવર્ક તથા રેડિયો બ્રોડકાસ્ટીંગ વિગેરે માધ્યમો દ્વારા થવા લાગ્યું હતું. તેમાં સૌથી પહેલા તેમણે ઓટોમોબાઈલ્સ સેક્ટર માટે રપ% ટેરિફની જનરલ જાહેરાત કરી હતી અને પછી ક્રમશઃ રેસિપ્રોકલ ટેક્સની ઘોષણા કરી હતી. જ્યારે ટ્રમ્પ આ ટેરિફવોરની જાહેરાત કરી રહ્યાં હતા, ત્યારે જ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "મિત્રો" ગણાવ્યા, અને હળવેકથી ભારત પર ર૬% ટેરિફ પણ લગાવી દીધો, તે પછી આજે આવી રહેલા પ્રતિભાવોમાં "મોદી-ટ્રમ્પની વ્યક્તિગત દોસ્તી દેશને શું કામની...?" તેવા સવાલો સાથે મોદી સરકારની વિદેશનીતિ તથા અનિર્ણાયક અથવા કન્ફ્યુઝડ પોલિસીની આલોચના પણ થવા લાગી છે, અને હવે બિમ્સ્ટેકમાં પી.એમ. મોદીના વલણ પણ સૌની નજર રહેવાની છે.
ભારત પર ર૬% ટેરિફ લગાવવા છતાં ટ્રમ્પે ભારત સાથે જાણે મિત્રતા નિભાવી હોય તેવા સ્વરમાં કહ્યું કે, ભારત-અમેરિકા પર બાવન ટકા ટેરિફ લગાવે છે, પંરતુ અમે (અમેરિકા) ભારત પર અડધો જ ટેરિફ લગાવ્યો છે...!
જો કે, ટ્રમ્પે પાંચ-સાત અપવાદો સિવાય દુનિયાના અનેક દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવ્યો છે અને રેસિપ્રોકલ ટેરિફ ટેરરની હકીકતમાં જાહેરાત કરીને તેના અમલની તારીખો પણ જાહેર કરી દીધી છે.
ભારત પર ર૬% ટેરિફ અને ઓટોમોબાઈલ પર રપ% ટેરિફના એટેકથી ભારતમાં તો હલચલ મચી જ છે, પરંતુ દુનિયાભરના બજારોમાં આજે જે હડકંપ મચ્યો છે, તે આપણી સામે જ છે. દુનિયાભરના શેરમાર્કેટમાં પણ અફરાતફરી મચી ગઈ છે, અને ભારતનું શેરબજાર પણ પછડાયું છે... ભારત સરકારે તો આ માટે ખાસ કંટ્રોલરૂમ પણ ઊભો કરી દીધો છે...!
ગઈકાલે મધ્યરાત્રિ પછી સંસદમાં વકફ બિલ પાસ થયું અને મણીપુરનું રાષ્ટ્રપતિ શાસન પણ ગુંજ્યું, અને તેની સાથે-સાથે ટ્રમ્પનો ટેરિફ એટેક થયો, તે ત્રિપલ ધમાકાઓના તીવ્ર આફટરશોક્સ આજે પણ આવી રહ્યાં છે., અને ટ્રેડવોર અને જમીન યુદ્ધોમાં અટવાયેલી દુનિયાના તમામ સમીકરણો હવે ધરમૂળથી બદલાઈ જશે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
એક રસપ્રદ ઘટના એ પણ બની હતી કે, ટ્રમ્પની સામે ડેમોક્રેટ સાંસદ કોરી બુકરે ત્યાંની સેનેટમાં સોમ-મંગળવારે નોનસ્ટોપ રપ કલાક અને પાંચ મિનિટ સુધી ભાષણ કરીને ટ્રમ્પના મનસ્વી અને આડેધડ નિર્ણયોથી તેમનો દેશ - (અમેરિકા) સંકટમાં હોવાનો આક્ષેપ કર્યો હતો, અને તે પછી ટ્રમ્પે ગઈકાલે ત્યાંના સમય મુજબ સાંજે સાડાચાર વાગ્યે ટેરિફવોરનું બ્યુગલ ફેંકતું આક્રમક ભાષણ કર્યુ હતું. ઘણાં વૈશ્વિક વિશ્લેષકો આ બન્ને ઘટનાક્રમોને જોડીને એવો કટાક્ષ કરી રહ્યાં છે કે, આ એક યોગાનું યોગ હતો, કે પછી પૂર્વ નિર્ધારીત પબ્લિસિટી સ્ટંટ હતો...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં અગ્નિકાંડો અંગેનો વિસ્તૃત વિવરણો લખવામાં આવે, તો કદાચ મહાભારત જેવડો ગ્રંથ રચાઈ જાય. આ માનવસર્જિત અગ્નિકાંડો સંખ્યાબંધ નિર્દોષ લોકોના જીવ લઈ લેતા હોય છે, અને અવારનવાર અગ્નિકાંડો સર્જાતા હોવા છતાં શાસન-પ્રશાસનની ઊંઘ ઉડતી હોય તેમ લાગતું નથી. આ પ્રકારના અવારનવાર સર્જાતા અગ્નિકાંડોનું જવાબદાર કોણ...? તેવો સવાલ આજે ફરીથી ગુંજી રહ્યો છે, અને અગ્નિકાંડ સર્જાય, તે સ્થળના સંચાલકો, માલિકો કે આયોજકો પર કેસ નોંધીને તત્કાળ તપાસના નાટકો થાય અને વર્ષો સુધી કેસ ચાલ્યા કરે, અને મોટાભાગે જામીન પર છૂટી જતા આરોપીઓ મસ્તીમાં મહાલ્યા કરે, તે નક્કર હકીકત જ છે ને...?
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક તદ્દન ગેરકાયદે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા ર૧ જેટલા ગરીબ શ્રમિકોના મૃત્યુ થઈ ગયા અને તેના મધ્યપ્રદેશમાં રહેતા પરિવારો બરબાદ થઈ ગયા, તેની જવાબદારી શું માત્ર તે ફેક્ટરીના માલિકની જ ગણાય...? આવડી મોટી ફેક્ટરી ધમધમતી હોય, તે શું કોઈ ઉચ્ચ અધિકારી, સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ કે અન્ય જનપ્રતિનિધિઓની નજરે જ નહીં ચડી હોય...? સંબંધિત કરપ્ટેડ તંત્રોએ કદાચ તોડબાજી કરી હોય કે હપ્તા ઉઘરાવ્યા હોય, પરંતુ ત્યાંની સ્થાનિક નેતાગીરીએ પણ આંખ આડા કાન કર્યા હોય...? તેવો અણીયારો સવાલ ઉઠી રહ્યો છે, અને તેનો જવાબ કોઈ પાસે નથી.
દુર્ઘટના થઈ ગયા પછી દુઃખ વ્યક્ત થાય, આશ્વાસનો અપાય, સહાયની જાહેરાતો થાય અને તપાસના નાટકો થાય, પરંતુ જેના જીવ ગયા અને જે ગરીબ શ્રમિકોના પરિવારોએ સ્વજન ગુમાવ્યા, તે કમભાગી મૃતકો થોડા પાછા આવવાના છે...?
વડાપ્રધાન, મુખ્યમંત્રી, લોકસભામાં વિપક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રીઓ તથા સાંસદો, રાજ્યના મંત્રીઓ તથા અન્ય નેતાઓએ ડીસાની દુર્ઘટના પછી સંવેદના પાઠવી અને દુઃખ વ્યક્ત કર્યુ, રાજય સરકારે એસઆઈટીની રચના કરી, પરંતુ અત્યારસુધી આ ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી ત્યારે સ્થાનિક નેતાગીરી ક્યાં ગઈ હતી...? તે સવાલ તો રાજકીય પક્ષો સામે પણ ઊભો થવો જ જોઈએને...?
એવું કહેવાય છે કે, અને ફેક્ટરીમાં ફટાકડાના ઉત્પાદન માટે કોઈ મંજૂરી જ લેવામાં આવી નહોતી, અને માત્ર ફટાકડાના સંગ્રહ માટે પરવાનગી લઈને ત્યાં ફટાકડા બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગેરકાનૂની દારૂગોળાનો ઉપયોગ કરીને જોખમી ઢબે ફટાકડા બનાવાઈ રહ્યાં હતાં, તેથી આ કેસ કોઈ લાપરવાહી કે માત્ર નિયમભંગ કે પ્રક્રિયાનો નથી, પરંતુ આ સ્થળે કામ કરતા તથા આજુબાજુ વસવાટ કરતા અને અહીંથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂકીને ઝડપથી નાણા કમાઈ લેવાનું ઘાતકી કાવતરૂ જ હતું, જે પૂર્વ આયોજીત રીતે સમજી, વિચારીને આચરાયુ હતું, તેથી આને દુર્ઘટના નહી, પરંતુ સામૂહિક હત્યાકાંડ અને પૂર્વ આયોજીત ષડયંત્ર ગણીને કેસ ચલાવવો જોઈએ, તેવો જનાક્રોશ ઉઠતો હોય તો તે અસ્થાને નથી...
ગુજરાતમાં સુરતના તક્ષશીલાથી લઈને રાજકોટના તાજેતરના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સુધીની ભયંકર આગ દુર્ઘટનાઓ, ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉન સળગાવવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ પછી પણ સરકારી તંત્રો, સરકાર કે નેતાઓ જાગ્યા નથી. એમ કહેવાના બદલે એમ કહેવું જોઈએ કે આ તમામ અગ્નિકાંડોમાં થયેલા મૃત્યુ અને નુકસાનોના પાપના ભાગીદાર છે. આને શાસન-પ્રશાસનની ગુનાહિત બેદરકારી જ ગણવી જોઈએ.
ડીસાની દુર્ઘટના પછી રાતોરાત ફેક્ટરીના માલિક પિતા-પુત્રની ધરપકડ થઈ ગઈ અને એસઆઈટી રચાઈ ગઈ, પરંતુ સો મણનો સવાલ એ છે કે, આ દોષિતોને સજા ક્યારે થશે...? વર્ષોના વર્ષો સુધી કેસ ચાલશે, અને સજા થશે, તો પણ મૃતકોના જીવ થોડા પાછા આવવાના છે...?
આ અગ્નિકાંડને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના વિપક્ષના નેતાઓએ સવાલો ઉઠાવ્યા, અને શાસકપક્ષના નેતાઓએ દુઃખ વ્યક્ત કરીને સરકારી સહાયની જાહેરાતો સાથે દોષિતોને કડક સજા થશે, તેવા નિવદનો કર્યા, પરંતુ આજ સુધી આ ગેરકાનૂની ફેક્ટરી ધમધમી રહી હતી, તેની સામે સ્થાનિક રાજનેતાઓ, જનપ્રતિનિધિઓ કે અન્ય અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યો હતો ખરો...? તેની પણ તપાસ થવી જોઈએ, અને માત્ર ફેક્ટરીના માલિકો જ નહીં, પરંતુ લોલંલોલ ચલાવી લેનારા (ફેક્ટરીના પ્રારંભથી અત્યાર સુધીના) જવાબદાર અધિકારીઓ સામે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ, અને સ્થાનિક નેતાગીરી તથા ચૂંટાયેલા વિવિધ સ્તરના જનપ્રતિનિધિઓનો ખૂલાસો પણ સંબંધિત રાજકીય પક્ષોએ પૂછવો જોઈએ. આ ફેક્ટરી જે વિસ્તારમાં ધમધમી રહી હતી, તે વિસ્તારના ચૂંટાયેલા સ્થાનિક પ્રતિનિધિઓ અને મુખ્ય રાજકીય પક્ષોના જે-તે વિસ્તારના હોદ્દેદારોને હટાવવા સુધીની કાર્યવાહી થવી જોઈએ. જો આવું થશે, તો જ આ પ્રકારના ગોરખધંધા અને ગેરકાનૂની ઘાતક પ્રવૃત્તિઓ અટકશે.
આજે પણ રાજકોટ સહિતના કેટલાક સ્થળોએ નાની-મોટી આગની ઘટનાઓ બની હોવાના અહેવાલો છે. અકસ્માતે આગ લાગવાની ઘટનાઓ ઘટાડવા માટે વ્યાપક જનજાગૃતિની પણ જરૂર છે, જો જનતા નહીં જાગે, તો તંત્રો અને ભ્રષ્ટ પરિબળોની સાઠગાંઠ આવી રીતે જ ચાલતી રહેવાની છે, તેથી જાગો...ગુજરાતીઓ... જાગો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશભરમાં એક ખબર આગની જેમ ફેલાવા લાગી અને એવા અનુમાનો થવા લાગ્યા કે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજકીય ક્ષેત્રે મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગપુરમાં આર.એસ.એસ.ની લીધેલ મુલાકાતને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સંજય રાઉતે આપેલા નિવેદને ગઈકાલે સમગ્ર દેશમાં અને વિશ્વમાં પણ ખળભળાટ મચાવી દીધો હતો.
અહેવાલો મુજબ સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસના હેડક્વાર્ટરમાં જઈને આગામી સપ્ટેમ્બરથી પોતે (નરેન્દ્ર મોદી) વડાપ્રધાન પદેથી રિટાયર થઈ રહ્યાં હોવાની રજૂઆત કરી દીધી છે.
રાઉતના કહેવા મુજબ સપ્ટેમ્બર-ર૦રપ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર ૭પ વર્ષની થઈ જશે, અને તે પછી તેઓ પાર્ટીએ નક્કી કરેલી ઉંમર મર્યાદા મુજબ જ "નિવૃત્ત" થઈ જશે. તેમણે કહ્યું કે, ૧૧ વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘના હેડક્વાર્ટરમાં ગયા ત્યારે તેઓની નિવૃત્તિની ઈચ્છા જાહેર કરી હોય શકે છે.
સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી વડાપ્રધાન કોણ બનશે, તે અંગેની ચર્ચા કરી હોવાના મીડિયાના અહેવાલો પછી દેશભરમાં અટકળો અને અફવાઓનું બજાર ધગધગી રહ્યું હતું અને એક અલગ જ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો ત્યાં સુધી કહેવા લાગ્યા હતાં કે, સપ્ટેમ્બર-ર૦રપ સુધીમાં નરેન્દ્ર મોદી પોતાના જ કાર્યકાળમાં સમાન સિવિલ કોડ અને પીઓકે પાછું મેળવવા માટેના સામૂહિક કદમ ઉઠાવી શકે છે. એનડીએમાં આંતરીક વિરોધ છતાં વકફ બીલને લઈને મોદીની મક્કમતાને પણ આ જ અટકળો સાથે સાંકળવામાં આવી રહી છે.
લોકો એવી અટકળો પણ કરી રહ્યાં છે કે, જો બોલકા નેતા સંજય રાઉતની વાતમાં દમ હોય તો મોદીની ગેરહાજરીમાં એનડીએની સરકાર ચલાવવી લોઢાના ચણા ચાવવા જેવી હશે અને એનડીએ વિખેરાઈ જાય, તો ઈન્ડિયા ગઠબંધનમાં પણ ઘણાં મુરતિયા (અને મહિલા નેતાઓ પણ) વડાપ્રધાન પદે બેસવા થનગની રહ્યાં છે, ત્યારે કદાચ સપ્ટેમ્બર-ર૦રપ માં દેશમાં મોટી રાજકીય ઉથલપાથલ પણ થઈ શકે છે અને પ્રવાહી સ્થિતિમાં લોકસભાની મધ્યાવધી ચૂંટણીઓ પણ કરવી પડે તેવા સંજોગોનું નિર્માણ થઈ શકે છે.
સંજય રાઉતના નિવેદનની હાંસી ઉડાવતા પણ કેટલાક કટાક્ષો થઈ રહ્યાં છે. ઘણાં લોકો એવું માને છે કે, સંજય રાઉત "એપ્રિલ ફૂલ" ની માનસિકતામાં ૩૧-માર્ચે જ પહેલી એપ્રિલ સમજીને આ નિવેદન કરી બેઠા હોય તેવું લાગે છે...!
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સંજય રાઉતના એ નિવેદનને ફગાવી દેતા તત્કાળ પ્રતિભાવ આપ્યો અને કહ્યું કે, નરેન્દ્ર મોદી વર્ષ-ર૦ર૯ સુધી વડાપ્રધાન રહેવાના જ છે. ફડણવીસે કહ્યું કે, બાપની હાજરીમાં જ તેના ઉત્તરાધિકારીની ચર્ચા કરવાની આપણી સંસ્કૃતિ જ નથી...!!
અટકળોની આંધી વચ્ચે આજે થઈ રહેલા નિવેદનો પણ ચર્ચામાં છે, ભારતીય બંધારણમાં લોકસભાના સભ્ય થવા માટે રપ વર્ષ અને રાજ્યસભાના સભ્ય થવા માટે ૩૦ વર્ષની લઘુત્તમ ઉંમર નિર્ધારીત છે, પરંતુ મહત્તમ ઉંમરની કોઈ મર્યાદા નથી. જેથી વડાપ્રધાને પદે મોદી ૭પ વર્ષની ઉંમર પછી પણ રહી શકે છે. ભારતીય જનતાપક્ષના મુરલી મનોહર જોશી, એલ.કે. અડવાણી સહિતના નેતાઓને ૭પ વર્ષની વયમર્યાદાના સંદર્ભે માર્ગદર્શક મંડળમાં સમાવાય તેવું નરેન્દ્ર મોદી સાથે નહીં થાય, અને ભાજપમાં ૭પ વર્ષની વયમર્યાદાનો કોઈ જડ નિયમ છે જ નહીં, તેવા દાવાઓ થઈ રહ્યાં છે, અને ભાજપના દિગ્ગજો આ બધી અટકળોને હવાહવાઈ ગણાવી રહ્યાં છે, ત્યારે જોઈએ, આગે-આગે હોતા હૈ ક્યા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ભારત સહિત વિશ્વમાં ઈદ-એ-મિલાદ એટલે કે, રમઝાન ઈદની ઉજવણી થઈ રહી છે, અને દેશભરમાં અને વિશ્વના અન્ય દેશોમાં વસતા ભાવિકો દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી પણ થઈ રહી છે. આ તહેવારો સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપ અને સૌજન્યનો સંદેશ આપે છે, અને વિશ્વભરમાં આ તહેવારો એખલાસ, એકતા અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ બન્ને તહેવારોનો સુભગ સમન્વય દેશ-દુનિયા માટે પ્રવર્તમાન સંજોગોમાં સમજદારી, શાંતિ અને સૂલેહનો સંદેશ પણ આપે છે.
ગઈકાલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે અને માતૃભક્તો વ્રતો, અનુષ્ઠાનો, પૂજન-અર્ચન અને સેવાકાર્યો, દાન-૫ુણ્ય સાથે નવરાત્રિ ઉજવી રહ્યાં છે. આ નવરાત્રિનું સમાપન રામનવમીના દિવસે થશે. કેટલાક લોકોના અભિપ્રાય મુજબ આ વર્ષે આઠ દિવસ સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે, અને સાતમી એપ્રિલ સુધી ચાલશે. આ શક્તિ ઉપાસનાનો તહેવાર છે. જે ભાવિકો વિવિધ રીતે ઉજવે છે.
આજે ભારત સહિત વિશ્વમાં ઉજવાઈ રહેલી રમઝાન ઈદને મીઠી ઈદ પણ કહે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો સુંદર વસ્ત્રો પરિધાન કરીને એકબીજાને ભેટીને શુભકામનાઓ આપે છે અને સેવ ઈ અને મીઠાઈઓ ખવડાવે છે. દિવાળીના પર્વની જેમ જ આ તહેવાર પણ પરસ્પર કોમી એખલાસ અને સહિયારી સંસ્કૃતિનો ઘાતક છે અને અન્ય ધર્મ-સંપ્રદાયના લોકો પણ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવે છે, અને પરસ્પર સ્નેહ પ્રગટ કરે છે. ચૈત્રી નવરાત્રિ અને ઈદનો આ સુભગ સમન્વય સમગ્ર સૃષ્ટિ માટે સુખ, શાંતિ, સંપ, સમૃદ્ધિ અને સૌજન્યનો સંદેશ આપે છે. આપણા દેશમાં પ્રત્યેક ધાર્મિક તહેવારો પણ પરસ્પર આદર, સન્માન અને એખલાસ સાથે ઉજવાય છે, જેમાં કેટલાક પરિબળો ખલેલ પહોંચાડવાના પ્રયાસો પણ કરતા હોય છે, પરંતુ તેવા પરિબળોની અવગણના કરવી જોઈએ અને તેઓને બહુ મહત્ત્વ ન આપવું જોઈએ.
જો કે, આપણા દેશમાં કેટલાક સ્થળે વિશેષ બંદોબસ્તો કરવા પડી રહ્યા છે, અને તોફાની તત્ત્વોની સામે કાયદો-વ્યવસ્થા જાળવવા તંત્રો દોડધામ કરી રહ્યા છે, દેશની શાંતિ જોખમાવવા પ્રયાસો કરતા પરિબળોનો કોઈ ધર્મ હોતો નથી અને તેવા પરિબળોને સખ્તાઈથી દૂર કરવા જોઈએ, પછી તે કોઈ પણ ધર્મ-સંપ્રદાય, વર્ગના હોય તો પણ તેને છોડવા ન જોઈએ. આ પ્રકારની માંગણીઓ પણ થતી રહે છે, દાવાઓ પણ થતા રહે છે, તેમ છતાં દેશના કેટલાક વિસ્તારોમાં વિશેષ પ્રબંધો કરવા પડતા હોય તો તે શું સૂચવે છે...?... સૌ કોઈ માટે આ મુદ્દો આત્મમંથન કરવાની જરૂર નથી લાગતી...?
આજે મહારાષ્ટ્રના રાજનેતા રાજ ઠાકરે અને ગુજરાતના કદાવર નેતા નીતિનભાઈ પટેલે કરેલા નિવેદનોએ જે ખળભળાટ મચ્યો છે, તે શું સૂચવે છે...? જરા વિચારો...
એક તરફ સંસદમાં વકફનું બીલ રજૂ કરવાની વાતો ચાલે છે, તો બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ અને નિતીશકુમાર વકફ બીલ સાથે સહમત નહીં હોવાની વાતો થઈ રહી છે. નિતીશકુમાર હવે એનડીએ નહીં છોડે, તેવો દાવો કરી રહ્યાં હોવા છતાં કોઈને તેના પર વિશ્વાસ નથી, તેથી મોદી સરકાર જેડીયુ અને ટીડીપીની કાંખ ઘોડીઓ પર હોવાથી ગમે ત્યારે ગબડી શકે છે, તેવા અનુમાનો પણ થઈ રહ્યાં છે, બીજી તરફ બિહારની ચૂંટણીઓમાં બન્ને તરફથી ફાયદો મેળવવા માટે વકફનું બીલ લટકતું રાખવાની ગુપ્ત રણનીતિ હોવાનું પણ કહેવાય છે.
બીજી તરફ ટ્રમ્પે ઈરાન પર પરમાણું કરાર કરવાનું દબાણ ઊભું કરવા બોમ્બમારો કરવાની આપેલી ધમકી અને રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા અને સ્વાસ્થ્ય વિષે વિવિધ અહેવાલોના સ્વરૂપમાં થઈ રહેલા ધમાકાઓ વચ્ચે વૈશ્વિક શાંતિ પણ જોખમાઈ રહી છે, ત્યારે ચૈત્રી નવરાત્રિ અને ઈદ જેવા તહેવારોમાંથી નીકળતો શાંતિ, સંપ અને સૌજન્યનો સંદેશ વિશ્વસ્તરે ફેલાય અને વિશ્વ સંઘર્ષો, યુદ્ધો અને વિવાદોમાંથી બહાર આવીને સુખ, સારા સ્વાસ્થ્ય અને શાંતિના માર્ગે આગળ વધે તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણા દેશને અડધી રાતે આઝાદી મળી હતી તે પછી પણ કેટલાક મહત્ત્વના નિર્ણયો અડધી રાતે લેવાતા રહ્યા છે, તો કેટલાક નિર્ણયો અડધી રાતથી લાગુ કરાતા હોય છે.
ગત્ મધરાતથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર કોર્પોરેશને બસભાડામાં ૧૦ ટકા સુધીનો વધારો ઝીંકી દેતા રાજ્યના લાખો મુસાફરોને ઝટકો લાગ્યો છે અને એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પિસાઈ રહેલા સામાન્ય લોકોની મુશ્કેલી વધી ગઈ છે.
એસ.ટી.ના ભાડા વધતા જ હવે ખાનગી ટ્રાવેલ્સમાં પણ બસભાડા કદાચ વધી જશે. એટલું જ નહીં, ટેક્સી સેવા પણ મોંઘી થઈ શકે છે, જેથી કાયમી ભરચક્ક રહેતી ટ્રેનોમાં પણ ભીડ વધશે, જેના કારણે એક નવી જ સમસ્યા ઊભી થઈ જશે. એવું કહેવાય છે કે ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી પર એક રૂપિયાથી ચાર રૂપિયા સુધીનું ભાડું વધી જશે. ભલે આ આંકડો સામાન્ય લાગતો હોય, પરંતુ કામધંધા માટે દરરોજ મુસાફરી કરતા લોકો, ખેતી માટે ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કામે મુસાફરી કરતા નાના ખેડૂતો, પારિવારિક, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કે વ્યવહારિક કામો માટે એસ.ટી.ની મુસાફરી કરતા મુસાફરોને ૪૮ કિ.મી. કે તેથી વધુ મુસાફરી કરે તેના પર વધુ બસભાડું ચૂકવવું પડશે, તેથી ગરીબ-નિમ્ન મધ્યમ વર્ગિય પરિવારોના બે છેડા ભેગા કરવામાં વધુ મુશ્કેલી પડશે, તે નક્કી છે.
જો કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણાં લાંબા સમયગાળા પછી ગુજરાતના એસ.ટી. કોર્પોરેશને બસભાડા વધાર્યા છે. એવો દાવો પણ કરાયો છે કે નિમયાનુસાર ૬૮ ટકા બસભાડા વધારવાનો પ્રસ્તાવ હતો, પરંતુ ગરીબ-નાના વર્ગોને ધ્યાને રાખીને જ સરકારે માત્ર ૧૦ ટકા બસભાડું વધાર્યું છે, જે મનફાવે તેવા ભાડા લેતી કેટલીક પ્રાઈવેટ બસ સર્વિસો કરતા ઘણું ઓછું છે!!
જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વધારાયેલા આ બસભાડાને લઈને રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, અને પ્રેસ-મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વિવિધ પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આંકડાઓ મુજબ જો દરરોજ ર૭ લાખથી વધુ મુસાફરો એસ.ટી. બસોમાં મુસાફરી કરતા હોય તો આજથી મીનીમમ ર૭ લાખથી ૧૦૮ લાખ રૂપિયા કે તેથી વધુ રકમની એસ.ટી.ની આવક વધી જશે અને સામાન્ય મુસાફરોના ગજવામાંથી આ જંગી રકમ ખંખેરાઈ જશે, તેવો અંદાજ લગાડી શકાય. આ અંદાજીત આંકડો છે, પરંતુ મુસાફરોની સંખ્યા અને મુસાફરોનું અંતર વધે, તેમ આ રકમ વધતી જશે. એટલે કે રાજ્યની ભાજપ સરકારે આજથી રાજ્યની જનતા પર કરોડો રૂપિયાનો વધારાનો બોજો ઝીંકી દીધો છે.
આ આંકડો તો માત્ર એસ.ટી.નો છે, પરંતુ એસ.ટી. પછી પ્રાઈવેટ ટ્રાવેલ્સવાળા પણ જો બસભાડા વધારશે, તો પબ્લિક પર વધુ બોજ પડે. ટ્રાવેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો એવું પણ માને છે કે, એસ.ટી.ના બસભાડામાં વધારો થતા પ્રાઈવેટ બસો તરફ મુસાફરોનો ધસારો વધારવાની તક ઝડપવા જેવી છે!!
દરરોજ ૮૩૦૦ થી વધુ એસ.ટી. બસો દરરોજ ૪ર હજારથી વધુ ટ્રીપ (ફેરા) કરીને ૩પ લાખ કિલોમીટર જેટલા અંતર કાપતી હોય, તો તેની પાછળ થતા ખર્ચના હિસાબે ગણતરી કરીને જ બસોના ભાડામાં વધારો કરવો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે, અને એસ.ટી. દ્વારા વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, અન્ય માસિક યોજનાઓ વગેરેમાં કન્સેશન અને કેટલાક કિસ્સાઓમાં દિવ્યાંગોના એક સાથીદારને પણ નિઃશુલ્ક કે અડધી ટિકિટે મુસાફરીનો લાભ અપાય છે, તે ઉપરાંત પણ પત્રકારો, ધારાસભ્ય વગેરેને નિઃશુલ્ક કે અડધી ટિકિટ લઈને મુસાફરી કરવાના લાભો અપાતા હોય તો તેની અસરોના પરિણામે આ ભાડા વધારો નાછૂટકે અને લઘુતમ પ્રમાણમાં કરાયો હશે, તેવી દલીલ થઈ રહી હોય, ત્યારે કન્ફ્યૂઝન ઊભું થાય, તે પણ સ્વાભાવિક જ છે, પરંતુ સામાન્ય મુસાફરો પર આ વધારો ઝીંકવાના બદલે લક્ઝરિયસ સેવાઓ તથા અન્ય ક્ષેત્રે આવક વધારવાના પ્રયાસો જીએસઆરટીસીએ કરવા જોઈતા હતા, તેવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
બસના ભાડામાં વર્ષો પછી વધારો થાય, તે સમજાય, પરંતુ તે મુજબ એસ.ટી. બસોની સુવિધાઓ, સ્વચ્છતા, વિવેકી સર્વિસ અને જરૂર મુજબના સુધારા-વધારા પણ થવા જરૂરી છે. તે ઉપરાંત હવે ટિકિટના દર પાંચ રૂપિયાના ગુણાંકમાં રાઉન્ડ ફીગરમાં અને મુસાફરોને ફાયદો થાય, તેવી રીતે નક્કી કરવા જોઈએ, જેથી છૂટા રૂપિયાની રોજીંદી રકઝક દૂર થાય અને મુસાફરોને એક, બે કે ત્રણ રૂપિયા જતા કરવા પડે, તેવી સ્થિતિને ટાળી શકાય. મોંઘવારીનો આ માર ખમી રહેલી જનતાનો અવાજ મક્કમતાથી કોઈ ઊઠાવશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં ફ્લાય ઓવર બ્રીજ બની રહ્યો છે, તેવી જ રીતે ઓવરબ્રીજ બની રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સંખ્યાબંધ વિકાસના કામો ચાલી રહ્યા છે, અને જુદા જુદા સ્થળે ગેરકાયદે દબાણો હટાવાઈ રહ્યા છે. કેટલાક સ્થળે નોટીસ આપ્યા વિના જ નાની-મોટી પાડતોડ શરૂ થતા જામનગરની જેમ પબ્લિકને તકલીફ પડ્યા પછી જાહેરનામું બહાર પાડવાની નોબત પણ આવી શકે છે.
ગુજરાતમાં થઈ રહેલા અર્બન ડેવલપમેન્ટની ચર્ચા ગલી-મહોલ્લાથી લઈને વિધાનસભામાં ગલિયારાઓ સુધી થઈ રહી છે, અને ચોતરફ નિર્માણાધિન શહેરી વિકાસના કામોની વાહવાહી પણ મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને સાંકળીને કરવામાં આવી રહી છે.
સિક્કાની બીજી બાજુની જેમ રાજ્ય સરકારનું અર્બન ડેવલપમેન્ટ ડિર્પાર્ટમેન્ટ ભ્રષ્ટાચારની દિશામાં પણ ગતિની હરણફાળ ભરી રહેલું હોય, તેવા અહેવાલો વહેતા થયા પછી તેના પ્રત્યાઘાતો રાજ્યની તથા દેશની રાજધાની સુધી પડઘાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
પ્રેસ-મીડિયા તથા સોશ્યલ મીડિયામાં થઈ રહેલી ચર્ચાઓ તથા કોમેન્ટો મુજબ વર્ષ ર૦ર૩ માં રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી. તકેદારી પંચના આંકડાઓને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ એક જ વર્ષમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ સાથે ભ્રષ્ટાચારની ર૧૭૦ ફરિયાદો નોંધાઈ હતી.
આ અહેવાલ મુજબ ભ્રષ્ટાચારની ફરિયાદોમાં એ વર્ષમાં બીજા ક્રમે મહેસુલ વિભાગ અને ત્રીજા ક્રમે પંચાયત અને ગૃહનિર્માણ વિભાગ ૧૮૦૦ થી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો સાથે રહ્યું હતું.
વર્ષ ર૦ર૩ માં આશ્ચર્યજનક રીતે ગૃહવિભાગમાં ૧ર૪૧ ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધાઈ હતી, તે પછી શિક્ષણ વિભાગ રહ્યો હતો. આ આંકડાઓ મુજબ પાણી, વીજળી, પરિવહન અને પ્રદૂષણ નિયંત્રણ વગેરે બોર્ડ-નિગમો-કોર્પોરેશનોમાં પણ ભ્રષ્ટાચારની નોંધપાત્ર ફરિયાદો નોંધાઈ હતી. આ આંકડાઓમાં બીજી નવાઈ પમાડે તેવી વાત એ છે કે એસીબી દ્વારા એ વર્ષમાં નોંધાયેલા કેસોમાં વર્ગ-૧ અને વર્ગ-૪ ના અધિકારીઓ-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારના કેસો ડબલ ડિજિટમાં પણ નથી, જ્યારે વર્ગ-૩ ના ૧૦૦ થી વધુ અને વર્ગ-ર ના ર૯ તથા વચેટિયાઓ સામે સૌથી વધુ ૧૩ર જેટલા કેસો નોંધાયા છે!!!
આ તો માત્ર નોંધાયેલા એક જ વર્ષના આંકડા છે. કેટલાક કેસો નોંધાયા જ નહીં હોય, કેટલાક કેસોમાં વિલંબ થયો હતો, તો સંખ્યાબંધ 'સહમત પીડિતોએ' ફરિયાદ જ નહીં નોંધાવી હોય, તેથી જ એવું કહેવાય છે કે લાંચ લેનાર જેટલો દોષિત ગણાય, તેટલો જ દોષિત લાંચ આપનાર પણ ગણાય? લાંચ આપનારા બધા લોકો ફરિયાદ નોંધાવતા હોતા નથી, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
એવા અહેવાલો છે કે રીપેરીંગ માટે રંગમતી ડેમના દરવાજા ખોલવાના કારણે લાખોટું તળાવ પાણીથી ભરાઈ જશે, પરંતુ લાખોટા તળાવને જોડતી કેનાલ જ ઔદ્યોગિક ગંદકીના પ્રદૂષિત પાણીથી ભરેલી પડેલી હોવાથી તેની સફાઈ બે દિવસમાં કેવી રીતે થશે, તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે, ત્યારે પ્રશ્ન એ પણ ઊઠે છે કે જો કેનાલમાં પ્રદૂષિત પાણી હકીકતે કોઈ છોડી રહ્યું હોય તો તેનું જવાબદાર કોણ? આ પણ શહેરી વિકાસની પ્રક્રિયામાં ખદબદતા ગંધાતા ભ્રષ્ટાચારનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને? એવો સવાલ ઊઠાવાઈ રહ્યો છે કે, પ્રદૂષિત પાણીવાળી કેનાલમાંથી પસાર થઈને રંગમતી ડેમનું પાણી તળાવમાં આવશે, તો તળાવની જીવસૃષ્ટિ મરી જશે. તે ઉપરાંત તળાવની ફરતે આવેલા શહેરના બોર-ડંકી દ્વારા આ પાણી લોકો પીવા લાગશે, તો તેઓનું આરોગ્ય પણ જોખમાશે. જો હકીકતે આવી જ સ્થિતિ ઊભી થઈ હોય તો તે લાપરવાહી નહીં, પરંતુ અર્બન કરપ્શનનું જ દૃષ્ટાંત ગણાવું પડે.
જામનગરમાં કચરાની ગાડીઓ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન તથા તેના ઈજારા અંગે પણ શંકાસ્પદ હિલચાલની ચર્ચા થઈ રહી છે. હવે અઢી-અઢી વર્ષ હોદ્દાઓ બદલાતા હોય અને પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય, ત્યારે કોઈપણ પ્રકારનો ઈજારો એક દાયકા માટે આપવાની પેરવી થતી હોય તો તે શું સૂચવે છે?... જરા વિચારો...
એક કવિએ અલંકૃત ભાષામાં અને શબ્દોમાં લખેલી કવિતામાં લખ્યું છે કે, જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ત્યારે ભસ્મકણી પણ બચશે નહીં, મતલબ કે જ્યારે ભૂખથી પીડાતા લોકોનો વિદ્રોહ થશે, ત્યારે તેના ગંભીર પરિણામો આવશે, જો કે અત્યારે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બધાએ એકસંપ થઈને રાતોરાત પોતાના પગાર-ભથ્થા વધારી દીધા છે, અને પોતાનો જઠરાગ્નિ તૃપ્ત કરી લીધો છે. પરંતુ નાના નોકરિયાતો-કર્મચારીઓને નાની-નાની માંગણી કરવી પડી રહી છે, ત્યારે કહી શકાય કે હમામ મેં સબ નંગે હૈ... યે દેશ કા ક્યા હોગા...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરમાં વીઆઈપી કે રાષ્ટ્રીય કક્ષાના વીવીઆઈપી આવે, ત્યારે એરપોર્ટ અથવા એરફોર્સમાં તેઓનું વિમાન કે હેલિકોપ્ટર ઉતરાણ કરે, અને તે પછી કાર્યક્રમના સ્થળે જાય, સરકીટ હાઉસમાં જાય છે. આ સમયે એરપોર્ટ કે એરફોર્સથી લાલબંગલા સુધીના માર્ગો તથા જે-તે મહાનુભાવોના કાર્યક્રમના સ્થળ સુધીના માર્ગો તદ્દન સાફ-સુથરા થઈ જાય, દવા છંટકાવ થઈ જાય, રખડતા ઢોર, અને આવારા શ્વાન હટી જાય અને જ્યાં પોલ ખુલી જાય, તેવા આજુબાજુના સ્થળો છુપાવવા બન્ને સાઈડમાં કામચલાઉ પાર્ટીશન ઊભા કરીને પડદા લાગી જાય, તે જામનગરની જનતાએ અવાર-નવાર જોયું જ હશે. ઘણી વખત ગવર્નર કે નેવીના સર્વોચ્ચ સત્તાધીશો આવે અને આઈએઅએસ વાલસુરા તરફ જાય, ત્યારે એરપોર્ટ કે એરફોર્સ ચોકડીથી દિગ્જામ મીલ, બેડીબંદરવાળા રોડ ઉપર પણ આવું જ "કામચલાઉ" પરિવર્તન થતુ જોવા મળે.
આ સ્થાનિક તંત્રો અને નેતાઓની તરકીબ માત્ર જામનગરમાં જ અજમાવાતી હોય તેવું નથી, પરંતુ અન્ય શહેરોમાં પણ આવું જ હંગામી અથવા પ્રાસંગિક પરિવર્તન થતું હોય છે, અને ત્યાંના નગરજનો પણ આવા "દુર્લભ" બદલાવ હંગામી ધોરણે થતો જૂએ ત્યારે બોલી ઉઠતા હશે કે, "આજે કોઈક (વીઆઈપી કે વીવીઆઈપી) આવવાનું લાગે છે...!!!
એવું નથી કે આ પ્રકારની ચબરાકીભર્યા "ટેમ્પરરી એકસન્સ" થી આગંતૂક મહાનુભાવ - વીઆઈપી કે વીવીઆઈપીથી અજાણ હોય છે અથવા માહિતગાર હોતા નથી. આ પ્રકારની "તડામાર તૈયારીઓ" ની તેઓને પણ પૂરેપૂરી ખબર જ હોય છે, પરંતુ સ્વાભાવિક રીતે તેઓની પણ આ પ્રકારની ડ્રામેબાજીમાં મૂક સંમતિ જ હોય છે.
જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ અને મોરબીની મુલાકાતો દરમિયાન સ્થાનિક તંત્રો અને નેતાગીરીને કરેલી "ટકોર" પછી એ પુરવાર થઈ ગયું છે કે, સરકાર અને મહેમાન (વીઆઈપી કે વીવીઆઈપી) ને એ ખબર જ હોય છે કે તેઓની મુલાકાત સમયે જ આવી ચોક્કસાઈ રખાતી હોય છે, પરંતુ તેમાંથી જ કેટલાક સવાલો પણ ઉઠે છે, કેટલાક પોથીના પંડિતો સવાલો ઉઠાવવા સામે પણ સવાલો ઉઠાવતા હોય છે, પરંતુ જો સવાલો જ નહીં ઉઠે તો જવાબો પણ નહીં મળે, રાઈટ...?
મુખ્યમંત્રીએ ભલે જાહેર કાર્યક્રમોમાં ટકોરો કરી હોય કે "નેતાઓ આવે ત્યારે જ સફાઈ કરવાના બદલે કાયમી ધોરણે સફાઈ કરજો", પરંતુ "શેઠની શિખામણ ઝાપા સુધી" ની કહેવતની જેમ સ્થાનિક નેતાઓ અને તંત્રો બીજા જ દિવસે આ ટકોર ભૂલી ગયા હશે અથવા હળવી મજાક કે ઝુમલો ગણીને અવગણી રહ્યાં હશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝીણી નજરવાળા છે અને કાર્યક્રમમાં કોઈ સ્થાનિક નેતાની અવગણના થઈ હોય કે આંતરિક ખેંચતાણના કારણે કોઈ મહત્ત્વના લોકલ નેતાને યોગ્ય સ્થાન ન અપાયું હોય, ત્યારે મુખ્યમંત્રી નામ જોગ ઉલ્લેખ કરે છે અથવા "ક્યાંય દેખાતા કેમ નથી...?" તેવી ટકોર કરીને પાર્ટીના સ્થાનિક નેતૃત્વને પણ ઢંઢોળતા હોય છે.
જો કે, નિયમિત સ્વચ્છતા, સુશોભન, સારા માર્ગો અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રવૃત્તિઓ કાયમી ધોરણે થતી રહે, તે માટે માત્ર આ પ્રકારની "ટકોર" કામ નહીં લાગે, બલ્કે ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે "ટકોરા" પણ મારવા પડશે... તંત્રો અને નેતાઓને સુધારવા "ટકોરા" કેવી રીતે મારવા, તે તો ભૂપેન્દ્રભાઈએ તેઓના રાષ્ટ્રીય નેતૃત્વ પાસેથી શિખી જ લીધુ હશેને...?
હમણાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શ્રેણીબદ્ધ આકરા કદમની આખી દુનિયામાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને રેસિપ્રોકલ ટેરિફનો મુદ્દો ઉકેલવા તો ભારત સરકારે એક આખું પ્રતિનિધિમંડળ પણ મોકલવું પડ્યું, પરંતુ ભારત પાસેથી "પ્રેરણા" મેળવીને ટ્રમ્પે અમેરિકામાં પણ વિદેશી મહેમાન (વીવીઆઈપી) ના આગમન સમયે આજુબાજુની ઝુંપડપટ્ટી કે અયોગ્ય દૃશ્યો દેખાય ન જાય તે માટે પાર્ટીશન ઊભા કરાવ્યા હોવાના અહેવાલો આવ્યા હતાં.... જો આ પ્રકારની "પ્રેરણા" ટ્રમ્પે ભારતીય નેતાગીરી કે તંત્રો પાસેથી મેળવી હોય તો તે "ગૌરવપ્રદ" ન ગણાય...?.... વિચારો...
ગુજરતના શહેરો કે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે વીવીઆઈપી કે વીઆઈપીની મુલાકાતો સમય આ પ્રકારનો "ઢાંકપિછોડો" થતો હોય અને તે અંગે જો ત્રિપલ એન્જિનની સરકાર અને શાસક પક્ષની ત્રિસ્તરિય નેતાગીરી પણ માહિતગાર જ હોય, તો સવાલ એ પણ ઉઠે છે કે, આ પ્રકારનો "ઢાંક પિછોડો" કરવાનો અર્થ શું...? આવો "દેખાડો" શા માટે કરાતો હશે...?
તેનો જવાબ એ હોય શકે કે આ પ્રકારના પૂર્વ આયોજીત પ્રબંધો "કેમેરા" ની આંખોથી બચવા માટે કરાતા હશે. પ્રેસ મીડિયા જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના એક્ટિવ પબ્લિક "રિપોર્ટરો" ના હાથવગા મોબાઈલ સેલફોનના કેમેરાઓમાં "અનિચ્છનિય" દૃશ્યો ઝડપાઈ જાય, તેની તકેદારી રખાતી હોય, તેવું બની શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એવા અહેવાલો આવ્યા છે કે પહેલી મે થી કેટલીક બેન્કીંગ સેવાઓના ચાર્જીસ વધી જશે. આરબીઆઈની મંજુરીથી એટીએમ ઈન્ટરચેઈન્જના ચાર્જમાં વધારો લાગુ થઈ જશે. એટલે કે પોતાનું જે બેંકમાં ખાતું હોય, તે સિવાયની અન્ય બેંકના એટીએમમાંથી નાણા ઉપાડવાનો ચાર્જ વધી જશે. રિઝર્વ બેંકે આ નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર લીધો છે. વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોને ટાંકીને એવું જણાવાઈ રહ્યું છે કે વધી રહેલા ખર્ચને કારણે આ વધારો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત પોતાની જ બેંકના એ.ટી.એમ.માંથી પણ નિર્ધારિત કરાયેલી મર્યાદાથી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરવા માટેનો ચાર્જ પણ વધી જશે.
ઘણી નાની નાની બેંકો પાસે ખૂબ જ ઓછા એટીએમ છે. એટલું જ નહીં, તમામ બેંકોના એટીએમ તમામ સ્થળે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી કસ્ટમરોએ (જનતાએ) ફરજિયાત અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરવો પડી રહ્યો હોવાથી નારાજગી વધી રહી છે.
જો કે, બેન્કીંગ ક્ષેત્રના વર્તુળોનો દાવો એવો છે કે ઈન્ટર ચાર્જીસ વધવાથી લોકો પોતાની જ બેંકના ખાતા સાથે જોડીને ડિજિટલ પેમેન્ટ વધારશે અને રોકડ કાઢવાની માનસિક્તામાંથી બહાર આવીને યુપીઆઈ અને મોબાઈલ બેન્કીંગનો વધુને વધુ ઉપયોગ કરતા થશે.
અહેવાલો મુજબ ગ્રાહકોએ બેલેન્સ ચેક કરવું હોય, તો હવે સાત રૂપિયાનો (હિડન?) ચાર્જ કપાઈ જશે, જ્યારે એટીએમની નિર્ધારીત મર્યાદાથી વધુ થતા રોકડ ટ્રાન્ઝેક્શન (ઉપાડ) પર હવે ૧૯ રૂપિયા જેવો ચાર્જ કપાઈ જશે, એટલે કે ગ્રાહકોની એકાઉન્ટમાંથી ડાયરેક્ટ આ ચાર્જીસ કપાતા રહેશે, જેની લોકોને ખબર પણ નહીં પડે!
આ પ્રકારે ચાર્જીસ વધારીને ડિજિટલ ઈન્ડિયા માટે પ્રેરક ગણાવાઈ રહ્યા છે, તેની સાથે કેટલા લોકો સંમત હશે?... જરા વિચારો...
અત્યારે પ્રાઈવેટ સેક્ટર જ નહીં, પરંતુ પબ્લિક સેક્ટરમાં એક જ પ્રકારની 'મોડસ ઓપરેન્ડી' ચાલી રહી છે. પહેલા લોકોને કોઈ વસ્તુની ટેવ પાડવી અને પછી તેમાં ચાર્જીસ, કરવેરા કે કમિશન વગેરે વધારીને લોકોના ખિસ્સા ખંખેરવાની આ મોડસ ઓપરેન્ડી ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની માનસિક્તા જ દર્શાવે છે ને?
કેટલીક નોનબેન્કીંગ ગતિવિધિઓમાં પણ ચાલાકીભરી તરકીબો અપનાવાઈ રહી છે. લોકોના ખિસ્સા ખંખેરવાની આ તરકીબો હળવેકથી ખિસ્સુ કાપી લેતા પોકેટમાર જેવી હોય છે, જેની સામાન્ય રીતે લોકોને તરત જ ખબર પણ પડતી હોતી નથી!
દૃષ્ટાંત તરીકે કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલો પહેલા મોબાઈલ ફોનમાં કેટલીક એપ્સ દ્વારા ફ્રીમાં બતાવીને લોકોને ટેવ પાડવામાં આવે છે, અને તે પછી તેમાં નજીવો ચાજ લાગુ કરી દેવાય છે, તે પછી તેમાં ક્રમશઃ વધારો થતો રહે છે. હમણાંથી સંચાર અને મનોરંજન ક્ષેત્રની પ્રતિસ્પર્ધક કંપનીઓએ હાથ મિલાવ્યા, જોડાણ કર્યું કે પછી મર્જર કર્યું અને તે પછી ઈજારાશાહી સ્થાપિત કરીને સ્પોર્ટસ, મનોરંજન અને બિઝનેસ ક્ષેત્રે ચાર્જીસ (ભાવ) વધારી દીધા, તે ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની મનોવૃત્તિ જ ગણાય ને?
જો કે, આ પ્રકારની રણનીતિ અથવા લૂંટનીતિને 'બિઝનેસ પોલિસી'નું નામ આપીને તેનું પૂર્ણ આયોજિત મહિમામંડન પણ થાય છે અને આ લૂંટનીતિનું જસ્ટીફિકેશન પણ થાય છે. પહેલા લોકોને 'વ્યસની' બનાવો અને પછી તેને લૂંટો, તેવી આ બિઝનેસ પોલિસી જો હવે પ્રાઈવેટ સેક્ટરથી આગળ વધીને કોર્પોરેટ સેક્ટર, કો-ઓપરેટિવ સેક્ટર અને પબ્લિક સેક્ટર સુધી પહોંચવા લાગી હોય તો કહી શકાય કે પોતાના જ પગાર-ભથ્થા રાતોરાત વધારી દેતા દેશના રાજનેતાઓ અને જનપ્રતિનિધિઓના દિલમાં સામાન્ય જનતાની કાંઈ પડી જ નથી...
પહેલા કાળા નાણા નાથવાની વાતો કરીને ડિજિટલ વ્યવહારો માટે છેક ગરીબ-મધ્યમ વર્ગિય લોકોને પ્રોત્સાહિત કરવા અને તે પછી જનતાની સુવિધાઓ વધારવાના નામે નવા નવા ચાર્જ લગાડવા, તે ક્રમશઃ વધારવા અને હવે લોકોના પોતાના જ નાણા ઉપાડવા કે મોકલવા માટે તોતિંગ ચાર્જ લગાડવાની આ પોલિસી માત્ર બેન્કીંગ સિસ્ટમમાં જ નહીં, પણ અન્ય ઘણાં પબ્લિક સેક્ટર્સમાં પણ જોવા મળે છે, તેથી એવું કહી શકાય કે 'દયાહીન થયો છે નૃપ... નહિં તો ન બને આવું...!!'?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ફોટો
સ્વ. શેખર રતિલાલ માધવાણી
વૈકુંઠવાસઃ તા. રપ-૦૩-૧૯૯૬
'નોબત'ના આદ્યસ્થાપક અને અમારા બધાના પ્રેરણાસ્ત્રોત સ્વ. રતિલાલ માધવાણીએ કંડારેલી કેડીએ અમારી સાથે ચાલીને સ્નેહ, સમર્પણ અને સૌજન્યતા સંગમથી સૌ કોઈના હૃદયે વસી જનાર સ્વ. શેખર માધવાણી જ્યારે અનંતયાત્રાએ નીકળી ગયા, તે દિવસ અમારા બધા પર વજ્રઘાત સમો હતો, અને અણધારી વિદાયે અમને બધાને હતપ્રભ કરી દીધા હતાં.
સ્વજન વિદાય લઈ લ્યે છે, પરંતુ સ્મૃતિઓ કાયમ જળવાઈ રહેતી હોય છે. આજે 'નોબત'ના ખૂણે ખૂણે સ્વ. શેખરભાઈની સ્મૃતિઓ સચવાયેલી છે.પડકારરૂપ પરિસ્થિતિને પણ પડકારીને પ્રગતિ કરવાની તાકાત તેઓ ધરાવતા હતાં, અને માત્ર પરિવાર કે અખબારના સહયોગીઓ જ નહીં, પરંતુ નગર અને હાલારમાં તેઓ ઘણાં જ લોકપ્રિય હતાં અને તેઓનું વર્તુળ સમગ્ર હાલાર ઉપરાંત દેશ-વિદેશ સુધી ફેલાયેલું હતું, તેઓ કર્મના સિદ્ધાંતને માનતા હતાં અને સ્પષ્ટવક્તા પણ હતાં. કર્મ માટે કઠોર અને સેવાકાર્યો માટે સદેવ મૃદુ રહેનાર શેખરભાઈએ જ્યારે અચાનક દુનિયા છોડી દીધી, ત્યારે તેઓની સાથે સંકળાયેલા લોકો ઊંડા આઘાતમાં સરી પડ્યા હતાં, અને તે ગોઝારો દિવસ આજે પણ અંતરમાં ઉથલપાથલ મચાવે છે.
સ્વ. શેખરભાઈ સેવાકાર્યોને પણ સમર્પિત હતાં અને માધવાણી પરિવારની સાથે તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત દેશ માટે પણ જ્યારે જરૂર પડી ત્યારે સેવકાર્યોમાં અગ્રેસર રહેતા હતાં.
જેનો જન્મ થાય, તેની વિદાય પણ નિશ્ચિત જ હોય છે, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધિન રહે છે. એવું કહેવાય છે કે, સારા માણસોની ઈશ્વરને પણ જરૂર પડતી હશે, અને તેથી જ યુવાવયે શેખરભાઈ જેવા સજ્જનોને ભગવાન પોતાની પાસે બોલાવી લેતા હશે.
આજે આપણાં સૌના હૃદયે વસેલા સ્વ. શેખરની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સત્કાર્યોને યાદ કરીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપીએ...
જામનગર
તા. રપ-૦૩-ર૦રપ
- માધવાણી પરિવાર
- 'નોબત' પરિવાર
ગાંધીજીએ ગ્રામ સ્વરાજની કલ્પના કરી હતી અને ગામના લોકો પોતાના વિકાસનું આયોજન પોતે જ કરી શકે, તે માટે ગ્રામ પંચાયતોને જરૂરી ફંડ, સત્તાઓ અને જવાબદારીઓ સાથે સુપ્રત કરવામાં ગુજરાતે અગ્રીમ ભૂમિકા અદા કરી હતી અને રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થા સફળતાપૂર્વક કામ રહી છે, એટલું જ નહીં, ગુજરાતે જ સમગ્ર દેશને પંચાયતી રાજનો રાહ ચિંધ્યો હતો.
તાજેતરમાં કેન્દ્ર સરકારનો રિપોર્ટ ચર્ચામાં આવ્યો છે. પંચાયતીરાજ અંગેના કેન્દ્ર સરકારના ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ના રિપોર્ટને ટાંકીને આવેલા અહેવાલો મુજબ દેશને પંચાયતીરાજના પાઠ શિખવાડનાર ગુજરાત પોતે જ અત્યારે પરોઠના પગલા ભરી રહેલું જણાય છે. આ રિપોર્ટ મુજબ અત્યારે પંચાયતીરાજની શ્રેષ્ઠ કામગીરી કર્ણાટકમાં થઈ રહી છે, અને તેનો સ્કોર ૭ર.ર છે. કર્ણાટકનું પંચાયતીરાજ વ્યવસ્થાપન અત્યારે દેશમાં ટોપ પર છે, જ્યારે ગુજરાત ટોપ-ફાઈવમાં પણ નથી...!
ગુજરાત ટોપ-ફાઈવમાં તો નથી જ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો સ્કોર સાથે ગુજરાતની પંચાયતીરાજ વ્યવસ્થાઓ ગોથાં ખાઈ રહી છે, અથવા ગોટે ચડી ગઈ હોય તેમ જણાય છે.
પ્રેસ-મીડિયામાં ડિવોલ્યુશન ઈન્ડેક્ષ-ર૦ર૪ ની ચાલી રહેલી ચર્ચાના પડઘા ગુજરાતની રાજધાની સુધી પહોંચ્યા છે, અને મુદ્દો ઉઠાવીને હવે વિપક્ષો પંચાયતીરાજ વ્યવસ્થાને લઈને સરકારને ઘેરશે, તેવા સંકેતો મળી રહ્યાં છે.
જો કે, ગુજરાત આ ઈન્ડેક્ષના ટોપટેનમાં તો છે જ, અને કેટલાક માપદંડોમાં અગ્રેસર હોવાના દાવાઓ પણ થઈ રહ્યાં છે. બીજી તરફ આ ઈન્ડેક્ષ પંચાયતીરાજ વ્યવસ્થાઓની સમગ્ર કામગીરીને પ્રતિબિંબિત કરી રહ્યો નહીં હોવાની ચર્ચા પણ થઈ રહી છે, તેથી સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, કૌન સચા, કૌન જૂઠ્ઠા...?
પંચાયતીરાજ ક્ષેત્રના વિદ્વાનો તથા પોલિટિકલ પંડિતોના તારણો એવા છે કે, પંચાયતીરાજના ક્ષેત્રે ગુજરાતની પીછેહઠમાં મહિલા હોદ્દેદારોના પતિદેવો, ભાઈકો કે અન્ય પ્રભાવશાળી પરિવારજનનો હસ્તક્ષેપ, ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ જ નહી, પરંતુ પદાધિકારીઓ સુધી પહોંચેલો ભ્રષ્ટ સડો અને સ્થાનિક સ્થાપિત હિતો તથા મતબેંકની રાજનીતિના કારણે ગાંધીજીના ગુજરાતમાંથી પંચાયતીરાજની સ્થિતિ ધીરે-ધીરે કથળી રહેલી જણાય છે.
અત્યારે ત્રીપલ એન્જિનની સરકારના ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, અને પંચાયતો, પાલિકા, મહાપાલિકાઓ, રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની કક્ષા સુધી ત્રિસ્તરીય ભાજપના શાસનના કારણે લોકોને થતા ફાયદાઓ વર્ણવાઈ રહ્યાં છે, તેવા સમયે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે ઓળખાતુ "ત્રીજુ એન્જિન" ઢીલું પડીને ઢસેડાઈ રહ્યું હોવાનો આભાસ થાય છે.
આ ઈન્ડેક્ષના ગુજરાતનો સ્કોર પ૮.૩ પોઈન્ટ છે, જ્યારે ઉત્તરપ્રદેશનો ૬૦.૧, મહારાષ્ટ્રને ૬૧.૪, તામિલનાડુનો ૬૮.૪, કેરળનો ૭૦.૬ અને કર્ણાટકનો ૭ર.ર છે. આમ, ગુજરાતમાં ત્રીજુ એન્જિન રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછો સ્કોર મેળવીને ગરિમા ગુમાવી રહ્યું હોય તેમ નથી લાગતું...?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સ્વાયતતાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી. નાણાકીય સ્વાયતતા (ઓટોનોમી) માં તો ગુજરાત છેલ્લી હરોળમાં જણાવાયું છે. સ્ટેટ ફાયનાન્સ કમિશન દ્વારા ફાળવણીના ક્ષેત્રે ગુજરાતનો સ્કોર પ૦.૩ છે, જે ઘણો નબળો ગણાય.
આ રીપોર્ટને લઈને કોંગ્રેસે પણ કેટલીક ટીપ્પણીઓ કરી છે. આ અહેવાલોમાં કરાયેલો ઉલ્લેખ મુજબ પૂરતી આરોગ્ય સેવાઓ નથી. આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં ગુજરાત અન્ય કેટલાક રાજ્યોની સરખામણી પાછળ છે, સરકારી શાળાઓમાં બેઝીક વ્યવસ્થાઓનો અભાવ છે, સ્કૂલોના ઈન્ફ્રાસ્ટ્રકચર અને શિક્ષકોની સંસ્થાના સંદર્ભમાં ગુજરાત કર્ણાટક અને મહારાષ્ટ્રની પણ બરાબર નથી. ગુજરાતમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. ગુજરાતની સરખામણીમાં તેલંગણા અને રાજસ્થાનની રોજગાર સર્જન યોજનાઓ વધુ અસરકારક છે. આ તમામ ઉલ્લેખો કેન્દ્ર સરકારના જ કોઈ રિપોર્ટને ટાંકીને આવી રહ્યાં છે, ત્યારે તેને નકારવાનો તો પ્રશ્ન જ ઉઠતો નથી, પરંતુ તેને ડસ્ટબીનમાં ફેંકવાના બદલે ગુજરાત સરકારે સ્પષ્ટતાઓ સાથે આ ક્ષતિઓ નિવારવાની દિશામાં આગળ વધવું જોઈએ.
આ રિપોર્ટ વર્ષ-ર૦ર૪ નો છે, તે સમયગાળામાં ગુજરાતમાં સાતેક હજાર ગ્રામપંચાયતોની બે વર્ષ સુધી ચૂંટણી ન યોજાઈ, અને વહીવટદારોનો "વહીવટ" રહ્યો હોવાના કારણો તથા તારણો પણ ચર્ચાઈ રહ્યાં છે.
ટૂંકમાં, જો આ રિપોર્ટને ગંભીરતાથી વિચારીને ગુજરાત સરકાર યોગ્ય કદમ સમયસર નહીં ઉઠાવે તો ગુજરાત ટોપ-ટેનમાંથી પણ બહાર ફેંકાઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતમાં આંતરિક મતભેદો ગમે તેટલા હોય, પરંતુ જ્યારે રાષ્ટ્રીયતા અને દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે આપણા દેશના રાજકીય પક્ષો તથા વિવિધ વિચારધારાઓ એકજુથ જઈ જતી હતી અને યુદ્ધના સમયમાં તો કેટલાક અપવાદોને બાદ કરતા આખો દેશ એકી અવાજે દુશ્મનોને પડકારતો હતો. આપણા દેશની વિવિધતામાં એક્તા અને નેશન ફર્સ્ટની ખૂબીએ જ આપણાં દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે, અને સત્તા પરિવર્તનો થવા છતાં મૂળભૂત વિદેશનીતિ મોટાભાગે યથાવત્ જ રહેતી આવી છે.
જો કે, પ્રવર્તમાન સમયગાળામાં વૈશ્વિક સમિકરણો બદલી રહ્યા હોય તેવું લાગે છે. વિશ્વના બે-ત્રણ પ્રખંડોમાં ચાલી રહેલા યુદ્ધોને સાંકળીને શક્તિશાળી દેશો શતરંજની ખતરનાક અને વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યા છે. એક તરફ તો રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાનું બીડું ઝડપીને અને રશિયાની તરફેણ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિએે ઝેલેન્સ્કીને જાહેરમાં ખખડાવી નાંખ્યા અને તે પછી યુક્રેને મૂકેલા પ્રસ્તાવ મુજબ રશિયાએ 'શરતી' યુદ્ધવિરામની વાતો કરીને અમેરિકાને જ ટીંગાળી દીધું, આ બધી ચાલાકીભરી ચાલબાજીઓએ વિશ્વની રાજનીતિને ગુંચવણભરી સ્થિતિમાં મૂકી દીધી છે, જો કે રશિયા દ્વારા એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ટ્રમ્પે આ મુદ્દે પુનઃ પ્રયાસો શરૂ કર્યા અને મંગળવારથી જે પ્રયાસો થઈ રહ્યા છે, તે આપણી સામે જ છે. જોઈએ હવે શું થાય છે તે...
ભારત એક તરફ તો સામ્રાજ્યવાદી ચીન સામે પહેલેથી જ ઝઝુમી રહ્યું હતું અને તે પછી પાકિસ્તાનના આતંકવાદની સામે પણ અવિરત સંઘર્ષ કરી રહ્યું હતું, તેમાં હવે પડોશી મિત્ર દેશ બાંગલાદેશ શેખ હસીનાને શરણ આપવાના કારણે દુશ્મનાવટ તરફ આગળ વધી રહ્યો છે, અને પાકિસ્તાન અને ચીન સાથે મળીને ત્યાંની કામચલાઉ સરકાર પણ ભારત વિરોધી નીતિ-રીતિ અપનાવી રહી છે.
બીજી તરફ હવે રેસિપ્રોકલ ટેરિફ અને ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની ટ્રમ્પનીતિના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં પણ પહેલા જેવી મધૂરતા રહી નથી. ટ્રમ્પ-મોદીની વ્યક્તિગત મિત્રતાની દ્વિપક્ષિય સંબંધો તથા 'નેશન ફર્સ્ટ'ની બન્ને દેશોની નક્કર નવી નીતિ પર કોઈ હકારાત્મક અસરો પડશે, તેવી આશા રાખવી નકામી છે.
અક્સાઈ ચીન અને તાઈવાન સંદર્ભે અપનાવેલી નીતિ તથા મહાસાગરોમાં દાદાગીરીની રણનીતિના કારણે ચીન લુચ્ચુ અને સામ્રાજ્યવાદી છે, તે તો ઓપન ગ્લોબલ સિક્રેટ છે, અને હવે ચીને નાના-નાના દેશોને મોટી લોન આપીને આર્થિક સામ્રાજ્યવાદની પોલિસી પણ અખત્યાર કરી છે, ત્યારે ચીનની ચબરાકીઓ સામે પણ ભારતને સતત ઝઝુમવું પડી રહ્યું છે.
રશિયાએ યુક્રેનના તો કેટલાક વિસ્તારો દબાવી જ લીધા છે, અને હવે જ્યોર્જિયાને હડપ કરવાનો ઈરાદો ધરાવે છે, જ્યારે તિબેટ, હોંગકોંગ, દક્ષિણ ચીન સમુદ્ર, તાઈવાન, કેટલાક ટાપુઓ તથા ભારતના અરૂણાચલ પ્રદેશ સહિતના ભાગોમાં ચીની સામ્રાજ્ય સ્થાપવાના મનસુબા શી જીનપીંગ ધરાવે છે, તે હવે છૂપુ રહ્યું નથી.
વિશ્વની સૌથી જુની લોકશાહી ધરાવતા અમેરિકાની ટ્રમ્પનીતિ પણ હવે સામ્રાજ્યવાદી બનવા લાગી હોય, તેમ જણાય છે. અમેરિકાએ પનામા નહેર કબજે કરવાની મનસા તો પહેલેથી જ જાહેર કરી દીધી છે, અને કેનેડાને તો ટ્રમ્પે અમેરિકાનું પ૧ મું સ્ટેટ જ ગણાવી દીધું છે. અમેરિકાએ ગાઝાને હસ્તગત કરવાની ઈચ્છા પણ સરાજાહેર કરી દીધી છે. ગ્રીનલેન્ડને કબજે કરવાની નીતિ પણ ટ્રમ્પે જાહેર કરી દીધી છે. આ કારણે અમેરિકા પણ હવે સામ્રાજ્યવાદી મહાસત્તા બનવા લાગ્યું છે.
ટૂંકમાં, ભારત સામ્રાજ્યવાદી રાષ્ટ્રો, તથા આતંકવાદી રાષ્ટ્રો વચ્ચે જાણે કે પીસાઈ રહ્યું છે. ભારત સરકાર બિનજુથવાદી આંતરાષ્ટ્રીય રણનીતિ તો પહેલેથી જ ધરાવે છે, પરંતુ હવે ટ્રમ્પે મિત્ર દેશો અને દુનિયાની પરવાહ કર્યા વિના 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ, રેસિપ્રોકલ ટેરિફ નીતિ તથા અમેરિકાના ગેરકાયદે ઈમિગ્રેન્ટ્સની હકાલપટ્ટીની સાથે સાથે અમેરિકાના નાગરિકત્વના અધિકારો પણ સીમિત કરી નાંખ્યા છે. ભારતે અમેરિકાના દબાણમાં આવ્યા વગર કોવિડ પછી રશિયા પાસેથી સસ્તુ ક્રૂડ ખરીદ્યુ હતું, તેનો બદલો લેવા ટ્રમ્પ હવે ઉંદરની જેમ ભારતને ફૂંકી ફૂંકીને કોતરી ખાવાની નીતિ ધરાવતા હોય, તેવી આશંકા જાગે છે. ટ્રમ્પે પર્યાવરણ સમતુલાની પેરિસ સમજુતિને ફગાવી દીધી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ અમાન્ય ઠરાવી દીધી છે, અને કવાડ, બ્રિક્સ જેવા ગ્રુપોને નબળા પાડીને પોતાનું વર્ચસ્વ સ્થાપવાની જે કુટનીતિ (કટૂનીતિ) અપનાવી છે, તે ભારત માટે પણ હાનિકર્તા જ છે ને?
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં થયેલા કરારોના કારણે વ્યાપારવૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાઓમાં સહયોગ, ડેરી ક્ષેત્રખાદ્યાન્ન ક્ષેત્ર અને સ્પેસ સેક્ટરમાં પણ સહયોગની નવી દિશાઓ ખુલશે. એ ઉપરાંત ટુરીઝમ એજ્યુકેશન અને કનેક્ટિવિટીના ક્ષેત્રે પણ બન્ને દેશો આગળ વધશે, તેવો જે દાવો કરાયો છે, તેની પણ ચર્ચા થઈ રહી છે.
કેટલાક લોકો ભારતની વિદેશનીતિને યોગ્ય જણાવે છે, તો ઘણાં લોકો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ભારતની વિદેશનીતિ ભટકી ગઈ છે અને કક્કાવારીના 'અંગ કોઈનો નહીં'ની જેમ ભારત ચારેય બાજુથી લટકી તો નહીં જાય ને? જો કે, આશંકાઓની આંધી વચ્ચે પણ આશાઓ પ્રગટી રહી હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત વિધાનસભામાં એજ્યુકેશનના વિષય પર ચર્ચા થાય કે રાજ્ય અથવા રાષ્ટ્રીય કક્ષાના પ્લેટફોર્મ્સ પર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ, સિસ્ટમ અને ભરતીપ્રક્રિયાની ચર્ચા થાય, ત્યારે સરકાર તરફથી વિવિધ પ્રકારના મોટા મોટા દાવાઓ થતા હોય છે, તો વિપક્ષો રાજ્યમાં પેપરલીક, કાર્યપદ્ધતિ તથા મોંઘા ખાનગી શિક્ષણ જેવા મુદ્દાઓ જોરશોરથી ઊઠાવતા હોય છે. આ બધા દાવા-પ્રતિદાવાઓ વચ્ચે ભરતી કેલેન્ડર તથા રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ચિંતાજનક સ્થિતિ અંગે વિવિધ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
એવા અહેવાલો પણ આવ્યા હતાં કે રાજ્ય સરકારે દસ વર્ષ આયોજનમાં કેટલીક ભૂલો કરી છે, અને ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને આચાર્યો જ ભૂલાઈ ગયા છે!
રાજ્ય સરકારના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની ગયા વર્ષે મળેલી બેઠકમાં ૧૦ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરાયું હતું. સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો, આચાર્યો, ડીઈઓ, ટીપીઓની ભરતી માટે દસવર્ષિય આયોજન કરાયું છે. આ ઉપરાંત એજ્યુકેશન બોર્ડ, સરકારી કચેરીઓ, ટેકનિકલ એજ્યુકેશન સહિતના શિક્ષણ સાથે સંકળાયેલા વિભાગોમાં ભરતી માટે પણ દસ વર્ષિય આયોજન કરાયું છે. આ દસ વર્ષિય આયોજનમાં રાજ્ય સરકારે ગ્રાન્ટેડ સ્કૂલો-કોલેજો માટે કોઈ આયોજન જ નહીં કરાયું હોવાની રાવ શાળા સંચાલક મંડળે ચીફ સેક્રેટરીને કર્યા પછી આ મુદ્દે રાજ્યવ્યાપી પડઘા પણ પડી રહ્યા છે. એવી રજૂઆત થઈ છે કે વર્ષ ર૦ર૩ સુધીના શિક્ષણ ક્ષેત્રના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળા-મહાશાળાઓનો ઉલ્લેખ જ નથી. વર્ષ ર૦ર૩ થી લાગુ કરાયેલા આ કેલેન્ડરમાં આગામી તા. ૧૦ વર્ષ દરમિયાન ખાલી પડનારી જગ્યાઓ પર ભરતી કરવા માટે જે સમયબદ્ધ આયોજન ઘડાયું છે, તેમાં ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં ખાલી પડનારી શિક્ષકો-આચાર્યોની જગ્યાઓ પર ભરતીનો ઉલ્લેખ જ નથી, તે ઉપરાંત છેલ્લા પંદરેક વર્ષોથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં પટાવાળાઓ તથા ક્લાર્કની ભરતી પણ થઈ નથી, તેથી શિક્ષણ ખાડે નહીં જાય?તેવા સવાલો ઊઠી રહ્યા છે.
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અને શૈક્ષણિક સુવિધાઓ અંગે પ્રેસ-મીડિયા જ નહીં, વિલેજથી વિધાનસભા અને સડકોથી શહેરો સુધી ચર્ચા થતી રહી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતી કેલેન્ડર અંગે હવે સરકાર ગમે તેવી ચોખવટો કરે કે ફીફાં ખાંડે, પણ 'અબ પછતાને સે ક્યા ફાયદા, જબ ચુડિયા ચુભ ગઈ ખેત...'
તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતાં કે દેશના રાજ્યોમાં હાયર એજ્યુકેશનના ક્ષેત્રે ગુજરાતનો ક્રમ ૧૮ મો છે. એક સેન્ટ્રલ રિપોર્ટ મુજબ ધોરણ ૧ર પછીના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત છેલ્લેથી ૬ઠ્ઠા ક્રમે છે. રાજ્યમાં ધોરણ-૧ર ઉત્તીર્ણ કર્યા પછી ચોથા ભાગના વિદ્યાર્થીઓ પણ આગળ વધતા નથી.
જો ગુજરાતમાં ૧૮ વર્ષથી ર૩ વર્ષના વયજુથના ધોરણ ૧ર ઉત્તીર્ણ કરેલા ૭૬ ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ જ છોડી દેતા હોય, તો તેને એજ્યુકેશનમાં હરણફાળ ભરેલી કહેવાય કે પીછેહઠ કરી ગણાય, તે રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રીને પૂછવું જોઈએ. જો આ રિપોર્ટને ધ્યાને લેવામાં આવે તો રાજ્યના યુવાવર્ગમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે અણગમો છે, કે પરંપરાગત વ્યવસાયો કે બેરોજગારીની સ્થિતિમાં યુવાધન જાય છે, તેનું સંશોધન કરવું જ જોઈએ. હાયર એજ્યુકેશનની રાષ્ટ્રીય સરેરાશ ર૮.૪ ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો ર૪ ટકાનો છે, તેનો મલતબ એવો થાય કે ગુજરાતમાં હાયર એજ્યુકેશનનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે.
હાયર એજ્યુકેશનના ટોપટેનમાં દિલ્હી, તામિલનાડુ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, તેલંગણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર છે, જ્યારે લાસ્ટ ટેનમાં પંજાબ, પ. બંગાળ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઓડિસા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને આસામ છે. હરિયાણા, મધયપ્રદેશમાં ર૮ થી ૩પ ટકા વચ્ચે ઉચ્ચ શિક્ષણનો દર છે. દિલ્હીમાં સૌથી વધુ ૪૯ ટકા હાયર એજ્યુકેશનનો દર છે, જ્યારે સૌથી ઓછો હાયર એજ્યુકેશન દર માત્ર ૧૬.૯ ટકા જેવો આસામનો જણાવાયો છે. આ આંકડા ઓલ ઈન્ડિયા હાયર એજ્યુકેશનના છેલ્લા સરવેના આધારે બહાર આવ્યા છે.
જો કે, કેન્દ્ર સરકારના ક્યા તાજા રિપોર્ટના આધારે આ આંકડાની ચર્ચા થઈ રહી છે, તે સ્પષ્ટ થયું નથી, પરંતુ જો દેશમાં એક પણ રાજ્યમાં ધોરણ-૧ર પછી હાયર એજ્યુકેશનનો આંકડો પ૦ ટકા સુધી પણ પહોંચતો ન હોય, તો તે દેશની શિક્ષણ નીતિ તથા સિસ્ટમ સામે પ્રશ્નચિન્હ જરૂર ખડુ કરે છે. આ પ્રકારના પ્રશ્ન ચિન્હો સામે કેટલાક 'વિદ્વાનો'ને વાંધો હોવાથી આ પ્રકારના પ્રશ્નો દબાઈ જતા હોય છે, અને સરવાળે શિક્ષણનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરીને વાહવાહી લૂંટનારા પબ્લિક અને પ્રાઈવેટ પરિબળોને મોકળું મેદાન મળી જતું હોય છે. આવું ક્યાં સુધી ચાલશે, તે પણ એક સો મણનો સવાલ જ છે ને???
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ મનાવાઈ રહ્યો છે, અને વિશ્વ ચકલી દિનની ઉજવણી પણ થઈ રહી છે. આજે આ બન્ને ઉજવણીઓના સમયે એ નક્કર હકીકત છે કે આ બન્ને વિષયો આજની તારીખે ઘણાં જ સાંપ્રત છે. આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે અને ચકલીઓ પણ ધીમે ધીમે લૂપ્ત થતી જાય છે. આ કારણે આજના બન્ને વિષયોને લઈને વાસ્તવમાં વૈશ્વિક ચિંતા અને ચિંતન જરૂરી છે.
આજની આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક થાય, જ્યારે વિશ્વમાં શાંતિ હોય, વિશ્વના દેશો વચ્ચેના સંબંધો સારા હોય, દુનિયાની સમસ્યાઓ ઘટી રહી હોય અને સુખ, તંદુરસ્તી અને સમૃદ્ધિ વધી રહી હોય, ગરીબી ઘટી રહી હોય અને ભેદભાવો ખતમ થઈ રહ્યા હોય, ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંત મુજબ હકીકતે આખી દુનિયામાં 'વસુધૈવ કેટુંબકમ્'ની વિભાવના વધુ ને વધુ દૃઢ બની રહી હોય, વિશ્વને ડરાવતા પરિબળો ખતમ થઈ રહ્યા હોય, આતંકવાદ, નક્શલવાદ અને કટ્ટરતામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો હોય, અને હકીકતે માનવતાની જ્યોત ઝળહળતી રહેતી હોય.
આજે દુનિયા આખી આંતરવિગ્રહમાં સપડાયેલી છે. ઈઝરાયલે ફરીથી ગાઝાપટ્ટી પર હુમલાઓ શરૂ કર્યા પછી ત્યાં સ્થપાયેલી શાંતિ છેતરામણી પૂરવાર થઈ રહી છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધના અંતની વાટાઘાટો વચ્ચે જ અમેરિકાના હુથીઓ પર હુમલાના કારણે ઈરાનની ભમ્મરો ઊંચાનીચી થવા લાગી છે. અમેરિકા-ચીનની ખેંચતાણ આજે યુરોપિય દેશોના અમેરિકા સાથેના સંબંધોમાં આવી રહેલી ખટાશના કારણે વિશ્વમાં તંગદિલી વધી રહી છે. કેટલાક દેશોમાં આંતરવિગ્રહની સ્થિતિ છે. પડોશી દેશ પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓ પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માંગે છે, તેથી ટ્રેનનું અપહરણ કરવા જેવી ઘટનાઓ બની રહી છે, તો બાંગલાદેશમાં ભારે અરાજક્તા અને અસ્થિરતા ફેલાઈ રહી છે, જો કે પુતિને ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીતમાં એક મહિનાના યુદ્ધ વિરામ (આંશિક) ની જાહેરાત કરતા થોડી રાહત થઈ છે.
આપણા દેશની વાત કરીએ તો નાગપુરમાં હિંસક તોફાનો થયા, મણિપુરના મુદ્દે ફરી એક વખત સંસદમાં ગોકીરૃં થયું, લાંબા સમયે દેશના કોઈ રાજ્યમાં કર્ફયુ લદાયો, દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ભાષા વિવાદ વકરી રહ્યો છે, અને વિવિધ રાજ્યોમાં અનેક પ્રકારના આંદોલનો અને ચળવળો ચાલી રહી છે, તેથી આપણા દેશમાં પણ ખૂબ જ અશાંતિ ફેલાઈ જાય, તેવા ઘટનાક્રમોની બુનિયાદ રચાઈ રહી છે. એક તરફ દેશમાં રાજકીય ક્ષેત્રે વિચારધારાઓનો ટકરાવ સર્જાઈ રહ્યો છે અને વૈશ્વિક ક્ષેત્રે પણ નવા સમિકરણો સર્જાઈ રહ્યા છે, અને તેની અસરો આપણા દેશના જનજીવન, અર્થતંત્ર અને આંતરિક શાંતિ પર પણ પડી રહી છે.
આ સંજોગોમાં જ્યારે દેશ-દુનિયામાં સંઘર્ષ, હિંસા, તંગદિલી અને તકરારોનો માહોલ હોય, ત્યારે જો આંતરરાષ્ટ્રીય શાંતિના ગંભીરતાપૂર્વક વાસ્તવિક પ્રયાસો થાય, તો જ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસની ઉજવણીનો કાંઈક અર્થે સરી શકે, અન્યથા આ પ્રકારની ઉજવણીઓ દર વર્ષે થતી જ રહેશે અને પ્રસન્નતા તો ચકલીઓની જેમ લૂપ્ત જ થતી રહેશે, તે નક્કી છે.
આજે વિશ્વમાંથી પ્રસન્નતા ઘટી રહી છે, તેવી જ રીતે ચકલીઓ પણ લૂપ્ત થતી જાય છે. વિશ્વમાં પ્રસન્નતા વધારવા માટે જેવી રીતે આજે આપણે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ ઉજવીએ છીએ, તેવી જ રીતે આજે વિશ્વ ચકલી દિવસ ઉજવીને ચકલીઓની સુરક્ષા તથા વૃદ્ધિ માટે પણ પ્રયાસો કરવા જ જોઈએ ને?
દર વર્ષે ર૦ મી માર્ચે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની ઉજવણી થાય છે, તેવી જ રીતે દર વર્ષે વર્લ્ડ સ્પેરો ડે અથવા વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, તેથી એક યોગાનુયોગ સુભગ સમન્વય સર્જાયો છે, અને આ ઉજવણી પછી વિશ્વમાં ચકલીઓનો કલરવ ફરીથી ભૂતકાળની જેમ ગુંજવા લાગે અનેે આખી દુનિયામાંથી અશાંતિ અને સંઘર્ષ ખતમ થઈ જાય અને સર્વત્ર પ્રસન્નતા છવાઈ જાય, તેવું ઈચ્છીએ...
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ર૦૧ર માં ર૦ મી માર્ચને આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ જાહેર કરાયો,તે પછી દર વર્ષે હેપીનેસ સર્વે થાય છે, અને વિશ્વભરમાં ખુશી ફેલાવવાની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. આપણે હકીકતમાં આખી દુનિયાને પ્રસન્ન કરવી હોય તો પહેલા આપણે સ્વયં પ્રસન્ન રહેવું પડશે, અને આપણા સમાજ અને દેશને પણ ખુશહાલ રાખવા પડશે.
એવી જ રીતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી વર્ષ ર૦૧૦ થી શરૂ થઈ હતી. ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવર દ્વારા સ્થાપિત નેચરફોર એવર સોસયટી દ્વારા ચકલીની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે. તે ઉપરાંત ફ્રાન્સની ઈકો-સિસ એક્સન ફાઉન્ડેશન દ્વારા પણ ચકલીઓના સંરક્ષણની પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ચકલીઓના મીઠા કલરવ સાથે વૈશ્વિક પ્રસન્નતાનું આપણું સ્વપ્ન સાકાર થઈ જાય, તેવું પણ ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે કોઈ ડાઈનીંગ હોલ કે રેસ્ટોરન્ટમાં અલ્પાહાર કે ભોજન કરવા જઈએ, ત્યારે ત્યાંનું ફૂડ કેવું છે, તે તો પરખીયે જ છીએ, સાથે સાથે ત્યાંની સર્વિસ કેવી છે, તેની નોંધ પણ લઈએ છીએ. ઘણી વખત ઉત્તમ ગુણવત્તાવાળું ફૂડ હોય, પણ સર્વિસ સારી ન હોય, તો આપણે ત્યાં ફરીથી જતા પહેલા વિચારીએ છીએ અને મોટાભાગે તેને અવગણીએ છીએ. એટલું જ નહીં, આપણા સ્નેહી, મિત્રો, પરિવારજનોને પણ ત્યાંની બોગસ સર્વિસ અંગે ચેતવી દેતા હોઈએ છીએ.
આવું જ કાંઈક કસ્ટમર કેરની વ્યવસ્થાઓ દરમિયાન થતી ફરિયાદોમાં પણ સંભળાતું હોય છે. કેટલાક ક્ષેત્રોના સેવા વ્યવસ્થાઓમાં ગ્રાહકોને સંતોષ આપવા અને તેઓની ફરિયાદો સાંભળીને તેનો ઉકેલ લાવવા માટે કંપનીઓ તથા પેઢીઓ દ્વારા કસ્ટમર કેરની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. આ પ્રકારની વ્યવસ્થાઓ દરમિયાન કસ્ટમર કેરના ઓપરેટરો સમક્ષ રજૂ થતી મોટાભાગની ફરિયાદો સર્વિસ યોગ્ય નહીં હોવાની જ હશે, કારણ કે સર્વિસમાં લોલંલોલની બીમારી હવે માત્ર સરકારી ક્ષેત્રોમાં જ રહી નથી, પ્રાઈવેટ સેક્ટરમાં પણ પ્રવેશી ગઈ છે. આ જ કારણે કદાચ ખ્યાતનામ કંપનીઓના ફૂડ કે કોલ્ડ્રીંક્સ, પેક્ડ ખાદ્યચીજો વગેરેમાંથી કીડા, ફૂગ કે કચરો નીકળ્યો હોવાની ફરિયાદો અવારનવાર સંભળાતી હોય છે, અને વ્યાપક પ્રસિદ્ધિ પણ મેળવાતી હોય છે.
આ તો થઈ ખાનગી ક્ષેત્રની સેવાઓ તથા સર્વિસ સેક્ટરની વાત, પરંતુ પબ્લિક સેક્ટરમાં પણ આ જ રીતે લોલંલોલ અને પોલંમોલ ચાલતી હોય છે, અને તેના કારણે સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા થતા જંગી ખર્ચાઓ પર પાણી ફરી વળતું હોય છે.
આપણે આવકવેરો, જીએસટી, વેટ વગેરે કરવેરાઓ ભરીએ છીએ, તેવી જ રીતે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓને પણ ઘરવેરો, પાણીવેરો, ભૂગર્ભ ગટર ચાર્જ, મિલકત વેરો, સફાઈ વેરો, લાઈટ વેરો વગેરે અનેક પ્રકારના કરવેરા પણ ભરીએ છીએ, અને તેની સાથે જે સેવાઓ માટે કરવેરાઓ લેવામાં આવે છે, તેવી સેવાઓ તથા સુવિધાઓ હકીકતમાં આપણને મળે છે ખરી?... જરા વિચારો...
જામનગરનું જ દૃષ્ટાંત લઈએ, તો નગરમાં પબ્લિક સર્વિસીઝ એટલે કે જાહેર સેવાઓ કેટલી સંતોષકારક છે, તે આપણે જાણીએ જ છીએ. ભૂગર્ભ ગટરના નેટવર્ક છતાં ઘણાં વિસ્તારોમાંથી હજુ પણ ફરિયાદો સંભળાતી રહે છે. સફાઈ વેરો લેવા છતાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોવા મળતા હોય છે. તાજેતરમાં મચ્છરનો ઉપદ્રવ અસહ્યપણે વધ્યો હોવા છતાં તેને અટકાવવાના પૂરતા કદમ ઊઠાવાઈ રહ્યા નથી. પીવાનું પાણી એકાંતરા નળ દ્વારા આવે છે, પરંતુ હજુ પણ કેટલાક સ્થળે પાણીની બૂમ ઊઠતી સંભળાતી હોય છે. નગરના મુખ્ય માર્ગો હોય, શેરી-ગલી-મહોલ્લાઓ હોય કે સોસાયટીઓ હોય, આંતરિક માર્ગો હોય કે રીંગરોડ હોય, ઠેર-ઠેર ખાડા, ચીરોડા, ઉબડખાબડ સડકો, અચાનક પડતા ભૂવા (મોટા ખાડા) વગેરેની તસ્વીરો પણ ઘણી વખત અખબારોના પાને ચમકતી હોય છે અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ નગરની દુર્દશાના દૃશ્યો પ્રસારિત પણ થતા હોય છે.
એવું પણ નથી કે મહાનગરપાલિકા દ્વારા જન-ઉપયોગી કોઈ કામ થતા જ નથી, પરંતુ ફ્લાયઓવર બ્રીજ, ટાઉનહોલનું આધુનિકરણ, ડિવાઈડરોનું રંગરોગાન, નવા ટાઉનહોલ કે અદ્યતન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ઊભા કરીને નગરજનોની મૂળભૂત જરૂરિયાતો અને સુવિધાઓમાં ખામીઓ અને સેવાઓમાં લોલંલોલ અને પોલંપોલ પ્રત્યે આંખ આડા કાન કરવાની માનસિક્તા યોગ્ય નથી.
નગરમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે વાહનો તો નિયમિત રીતે દોડાવાય છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં, અને ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં કચરાની ગાડીઓ ગૃહિણીઓ ઘરની બહાર આવીને કચરો નાંખી શકે, તેટલી પણ થોભતી નહીં હોવાની ફરિયાદો ઊઠતી હોય છે, અને કેટલીક કચરાગાડીઓ ઝડપથી આંટો મારીને પછી કોઈને કોઈ સ્થળે આરામ ફરમાવતી પણ જોવા મળતી હોય છે. લોકો અવારનવાર ફરિયાદ કરતા હોવા છતાં કેટલીક સેવાઓ સુધરતી નથી. કચરાની ગાડીઓ જ ગંધાતા કોથળાઓમાંથી રોડ પર કચરો વેરતી જાય, તો તેને સ્વચ્છતા અભિયાનની મશ્કરી જ ગણવી પડે ને?
આ તો ફક્ત કચરા કલેક્શનની જ વાત થઈ, પરંતુ મહાનગરપાલિકાની અન્ય સેવાઓમાં પણ કેટલું લોલંલોલ ચાલે છે અને નગરજનોને સરકારી કામો માટે કેટલી પરેશાનીઓ થઈ રહી છે, તેનો તટસ્થ સર્વે કરવામાં આવે, તો વરવી વાસ્તવિક્તા પ્રગટ થઈ શકે તેમ છે.
શાસકો-અધિકારીઓ દ્વારા આયોજનો થાય, સરકાર ફંડ ફાળવે, સેવાઓનો વ્યાપ વધારવા અને સુધારવાના પ્રયાસો થાય, તેમ છતાં જો પરિણામો ન આવતા હોય તો ક્યાં કચાશ છે, ક્યાં ઉણપ છે અને ક્યાં 'ચુવાક' છે, તેનું સંશોધન કરવું પડે તેમ છે. એક વખત આયોજન થયા પછી તેમાં 'કાપકૂપ' કેમ કરવી પડે? તેવા સવાલોના જવાબ પણ બધાને ખબર હોવા છતાં કોઈને મળી રહ્યા નથી!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશ-દુનિયામાં વિવિધ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે અને હિંસક ઘટનાઓ, હિંસક હુમલાઓ તથા હિંસક અફવાઓનો જાણે ત્રિકોણિયો સમાગમ રચાયો છે. અમેરિકાએ હુથી આતંકવાદીઓ પર હુમલો કર્યો, ઈઝરાયેલે ફરીથી ગાઝામાં આક્રમણ કર્યું અને પાકિસ્તાનમાં બળવાખોરોના ત્યાંની સેના પર હુમલાઓના કારણે અઢી હજાર જેટલા પાક. સૈનિકોએ સેનાની નોકરી છોડી દીધી હોવાના અહેવાલો રક્તરંજીત સંઘર્ષની વાસ્તવિક્તા દર્શાવે છે, તો મહારાષ્ટ્રના નાગપુરમાં જે હિંસક ઘટનાઓ બની, આગજની થઈ, પથ્થરમારો થયો અને રાતભર જુથ અથડામણો ચાલી, તેથી આપણા દેશમાં પણ હિંસાનો પંજો પડ્યો, તેની પાછળ ઉશ્કેરણીજનક અફવાઓ વધુ જવાબદાર હોવાનું કહેવાય છે.
બીજી તરફ ગુજરાત સહિત દેશમાં વિવિધ પ્રકારની ચળવળો ચાલી રહી છે, તો ક્યાંક વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે અને એલ્ટિમેટમ પણ અપાઈ રહ્યા છે. આગામી તા. ર૪-રપ માર્ચે ગુજરાતમાં બેંક ક્ષેત્રની હડતાલનું એલાન અપાયું છે, તો હાલાર સહિત રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન શરૂ થયું છે. દેશની રાજધાની સહિત દેશભરમાં વકફ બિલનો વિરોધ થઈ રહ્યો છે, અને સંસદમાં પણ આ મુદ્દે વોકઆઉટ થઈ રહ્યો છે અને ધરણાં કરાયા છે. બિહારમાં ચૂંટણીલક્ષી રાજકીય વ્યૂહરચનાઓ ગોઠવાઈ રહી છે, તો દક્ષિણ ભારતના રાજ્યો ભાષા વિવાદમાં અટવાયા છે. તમિલનાડુના મુખ્યમંત્રી હિન્દીવિરોધી નિવેદનો કરીને અને 'રૂપિયા'નું ચિન્હ બદલાવીને દેશની સંઘભાવનાથી અલગ વલણ અપનાવી રહ્યા છે, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હિન્દીને દેશની રાજધાની સાથેની સંપર્કભાષા ગણાવી રહ્યા છે. તેલંગણાના મુખ્યમંત્રીએ સુપ્રિમ કોર્ટે સૂચવેલી પ૦ ટકાની અનામતની મર્યાદાને ઓળંગીને ઓબીસીને ૪ર ટકા સાથે ૬૦ ટકાથી વધુ અનામતનું એલાન કર્યું છે. આ બધા ઘટનાક્રમો એકંદરે રાજકીય લાભ મેળવવા માટે જ પ્લાન્ટ કરાઈ રહ્યા હોય, તેવું લાગે છે ને?
છેલ્લા દસેક વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રાઓના જ નેગેટીવ અને પોઝિટિવ અહેવાલો અગ્રીમતાથી છપાતા હતાં, ચર્ચાતા હતાં, અને પ્રકાશિત અને પ્રસારિત થતા હતાં, પરંતુ હમણાથી તેમાં થોડો બદલાવ આવ્યો હોય તેમ જણાય છે. હવે વિદેશમંત્રી એસ. જયશંકર, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના કેટલાક કેન્દ્રિય મંત્રીઓના દેશ-વિદેશના પ્રવાસો તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહના દેશના વિવિધ રાજ્યોમાં થતા પ્રવાસ-કાર્યક્રમોની પણ બહોળી પ્રસિદ્ધિ થઈ રહી છે, તે ઘણો જ સાંકેતિક બદલાવ હોવાની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી છે.
તાજેતરની જ વાત કરીએ તો ટેરિફ મુદ્દે કેન્દ્રિય મંત્રીઓને અમેરિકા તરફ દોડાવાયા હતાં અને હાલમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગાબાર્ડ સાથે કરેલી મુલાકાતની ડિટેઈલ પબ્લિસિટી થઈ રહી છે, તે ઉપરાંત ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તુલસી ગાબાર્ડ વચ્ચેની ઉચ્ચ સ્તરિય બેઠકની પણ ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મંચ પરથી કરેલા હકારાત્મક નિવેદનો પછી ચીન ગદ્ગદ થઈ ગયું છે અને ચીન તરફથી પણ પોઝિટિવ પ્રત્યાઘાતો આવ્યા છે, તો બીજી તરફ મોદી સરકારે અમેરિકાને ખુશ કરવા લોકોને ચીનના ઉત્પાદનોના બદલે અમેરિકન ચીજવસ્તુઓ વધુ પસંદ કરવાની હિમાયત કરી હોવાના અહેવાલો વહેતા થતા કન્ફ્યુઝન પણ ઊભું થયું છે. હકીકતે અત્યારે આંતરરાષ્ટ્રીય નીતિ પણ એવી છે કે પરંપરાગત દુશ્મનો ગળે મળી રહ્યા છે, અને મિત્રદેશોની પીઠમાં ખંજર ભોંકવામાં આવી રહ્યું છે, ત્યારે નીતિગત બેલેન્સ જાળવવા જતા ઘણી વખત છોકરમત જેવી હરકતો પણ કરવી પડતી હશે ને?
આપણે બધા ભૂતકાળના નોસ્ટ્રેડોમસની આગાહીઓથી પરિચિત છીએ, પરંતુ હમણાંથી બ્રિટનના ભવિષ્યવેતા કેગ હેમિલ્ટન પાર્કરની કેટલીક આગાહીઓ સાચી પડ્યા પછી લોકો તેને નવા નોસ્ટ્રેડોમસ ગણાવી રહ્યા છે. તેમની કોવિડ, દરિયાઈ અકસ્માત, બ્રિટનના મહારાણી એલિઝાબેથના નિધન સહિતની કરેલી આગાહીઓ સાચી પડી અને છેલ્લે અમેરિકામાં ચૂંટણીઓ દરમિયાન ટ્રમ્પ પર હુમલાની ભવિષ્યવાણી સાચી પડ્યા પછી હવે વર્ષ ર૦રપ ના અંત સુધીમાં ત્રીજુ વિશ્વયુદ્ધ થવાની ભવિષ્યવાણી કરી છે. બલ્ગેરિયાના એક અન્ય ભવિષ્યવેતા બાબા વેંગાચે પણ આ જ પ્રકારની ભવિષ્યવાણી કરી હતી અને ૧૬ મી સદીમાં થઈ ગયેલા નેસ્ટ્રેડોમસે પણ વર્ષ ર૦ર૦ થી આંતરરાષ્ટ્રીય રાજનીતિ ચકરાવે ચડશે ને વર્ષ ર૦રપ ના અંત સુધીમાં વિશ્વયુદ્ધનો સંકેત આપ્યો હતો, તેમ કહેવાય છે, જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી જામનગરમાં બસ ડેપો કામ ચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયો છે અને હાલના બસડેપોના સ્થળે અદ્યતન બસપોર્ટ બનવાનું છે, તે ઉપરાંત હાલના વર્કશોપના સ્થાને નવું આધુનિક વર્કશોપ પણ બનવાનું છે, તેથી સ્વાભાવિક રીતે જ કેટલીક પ્રારંભિક મુશ્કેલીઓ એસ.ટી. તંત્ર અને મુસાફરોને પણ થવાની છે. એટલું જ નહીં, કેટલીક આડઅસરો અન્ય ટ્રાફિક તથા ટ્રાન્સપોર્ટેશનને પણ થવાની છે. કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે, તે કહેવત મુજબ લોકો પાસે હવે બીજો કોઈ વિકલ્પ પણ નથી અને એસ.ટી. તંત્ર સામે પણ આ પડકાર ઝીલી લેવા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી હવે બધાએ વ્યવહારૂ અભિગમ તો અપનાવવો જ પડે તેમ છે.
જો કે, આ પ્રકારના ફેરફારો થાય, ત્યારે મુસાફરો, નગરજનો તથા અન્ય ટ્રાફિકને ઓછામાં ઓછી તકલીફ થાય, તેની જવાબદારી માત્ર એસ.ટી. તંત્રની જ નહીં, પરંતુ સમગ્ર વહીવટીતંત્રની પણ છે. એસ.ટી.ની સેવાઓ પણ સરળ અને સુવિધાજક રીતે ચાલતી રહે અને પ્રવર્તમાન સુવિધાઓમાં પણ કોઈ વધુ તકલીફો ઊભી ન થાય, તે જોવાની જવાબદારી સ્થાનિક નેતાગીરીની પણ ગણાય જને?
ઘણી વખત વધારે પડતો સ્નેહ કે પ્રેમ ગુંગળાવનારો હોય છે, તેવી જ રીતે વિચારોનો વંટોળ પણ અકળાવનારો બની જતો હોય છે. નવા નવા કોન્સેપ્ટ રજૂ થાય, અમલી બને અને ઢગલાબંધ વિકાસના કામો સંપન્ન થાય, તે તો આવકારદાયક જ છે, અને વિકાસ પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે થોડી-ઘણી તકલીફો પડે તો પણ નાગરિકોએ તેનો સામનો કરીને પણ વિકાસ તંત્રોને સહયોગ આપવો જોઈએ, તે પણ હકીકત છે, પરંતુ લાંબુ વિચાર્યા વગર કે વૈકલ્પિક પૂરતી વ્યવસ્થા કર્યા વગર જ્યારે અનેક પ્રકારના વિકાસના કામો એકીસાથે ચારે તરફ શરૂ કરી દેવામાં આવે, અને તે દિવસો કે અઠવાડિયાઓ નહી, પરંતુ મહિનાઓ સુધી ચાલ્યા કરે, અને રોજીંદુ જનજીવન ખોરવાઈ જાય, તો તે પણ યોગ્ય ન જ ગણાય ને?
હવે નવું બસપોર્ટ બને, ત્યારે ખરૃં, પરંતુ જે કામચલાઉ બસડેપો અથવા બસસ્ટેશન ઊભું કરાયું છે, તેમાં મુસાફરોને પૂરેપૂરી સુવિધા મળી રહે, અને ઓછામાં ઓછી તકલીફો પડે, તે જોવાની જવાબદારી તંત્રો અને નેતાગીરી નિભાવી શકશે ખરી? તેવા પ્રશ્નો ઊઠે, તે પણ અસ્થાને નથી.
નગરમાં જે ઓવરબ્રીજ બની રહ્યો છે, તેને લાંબો સમય થયો છે, અને તે ફેબ્રુઆરી-ર૦રપ માં સંપન્ન થઈ જશે, તેવી તારીખ પછી હવે જૂન મહિનાની વાતો ઊડવા લાગી છે, જો કે બે-ત્રણ મહિનામાં ફ્લાયઓવર બ્રીજનું કામ સંપૂર્ણપણે સંપન્ન થઈ જાય, અને તેના પરથી વાહનો દોડતા થઈ જાય, તેવું લાગતું તો નથી, પરંતુ આ કામને ટૂંકાવીને કેટલીક કાપકૂપ કરીને તથા કેટલાક કામો અધુરા રાખીને અધકચરો ફ્લાયઓવરબ્રીજ ચાલુ થઈ જાય, તેવું બની શકે છે, પરંતુ તેનો કોઈ અર્થ ખરો?
નગરમાં વધુ ટ્રાફિક સમસ્યા થતી હતી, તે અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી વગેરેને લક્ષ્યમાં લઈને પહેલા તો ટૂંકો ફ્લાયઓવરબ્રીજ બનવાનો હતો, પરંતુ તેમાં વિસ્તૃતિકરણ કરીને વિક્ટોરિયા બ્રીજથી સાત રસ્તા સુધીનો ફ્લાયઓવરબ્રીજ મંજુર થયો, તે દરમિયાન રંગમતી-નાગમતી નદીઓમાં ઘણાં પાણી વહી ગયા છે. મૂળ એસ્ટીમેન્ટથી વર્તમાન ખર્ચ કદાચ સવાયો કે દોઢો થઈ જશે. એટલું જ નહીં, અંબર ચોકડી પાસે જે ડિઝાઈનથી માર્ગો બનવાના હતાં, તેમાં ફેરફાર કરીને સળંગ ફ્લાયઓવરબ્રીજ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયા પછી નગરમાં જે ચર્ચા ચાલી રહી છે, તે સૌ કોઈ જાણે છે.
આ ફ્લાયઓવરબ્રીજ બની જાય, તે પછી પણ નીચેની સડકો પરથી સ્થાનિક ટ્રાફિક બહું ઘટવાનો નથી, અને એસ.ટી. બસો, અન્ય ટ્રાવેલ્સની બસો, સ્થાનિક ટ્રાન્સપોર્ટસના વાહનો, રિક્ષાઓ, રિક્ષાછકડાઓ, ટેક્સીઓ તથા દ્વિચક્રી વાહનોનો ટ્રાફિક તો નીચેની સડકો પરથી જ વધુ રહેવાનો હોય, તો આટલા જંગી ખર્ચે નિર્માણ થઈ રહેલા ફ્લાયઓવરબ્રીજનો અર્થ શું? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. જોઈએ હવે આ 'નગરચર્ચા' ક્યાં સુધી પહોંચે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હૂતાશણીનું પર્વ ઉમંગપૂર્વક ઉજવાઈ ગયું અને બોર્ડની પરીક્ષાઓ પણ સંપન્ન થઈ ગઈ, બીજી તરફ બળબળતા ઉનાળની આગાહીઓ થવા લાગી અને આખું વર્ષ કેવું નિવડશે, તેના અનુમાનો પણ થવા લાગ્યા, તો આગાહીઓ, અનુમાનો તથા ભવિષ્યવાણીઓની યથાર્થતા અંગે એક જ પ્રકારની ચર્ચા થવા લાગી.
હૂતાશણી પર્વે ધૂળેટીના દિવસે રંગ ઊડાડતા ઊડાડતા અથવા મંદિરોમાં દર્શન કર્યા પછી દેશના વિવિધ રાજ્યોમાં કેટલાક નેતાઓએ કરેલા નિવેદનો પછી દેશમાં રાજકીય, આર્થિક, સામાજિક અને સંવેદનશીલ વિષયો પણ ચર્ચાના ચાકડે ચડ્યા છે, અને આ સમયમાં ગુજરાતમાં થયેલા રોડ-એક્સિડન્ટ્સની ચર્ચા પણ અલગથી થઈ રહી છે. રાજ્યમાં એકંદરે હર્ષોલ્લાસ સાથે હૂતાશણી પર્વ મનાવાયું, તો કેટલાક સ્થળે નાની-મોટી તકરારો અને મારામારી થઈ હોવાના અહેવાલો પણ આવ્યા.
આપણે ત્યાં હૂતાશણીનં પર્વ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાય છે, અને કેટલાક સ્થળે ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. યાત્રાધામ દ્વારકામાં તો ફૂલડોલ ઉત્સવ માટે ભાવિકોનો જાણે મહાસાગર ઘુઘવાતો હોય તેવા દૃશ્યો ઊભા થયા હતાં, અને લાખો ભાવિકો પદયાત્રાઓ કરીને દ્વારકા પહોચ્યા હતાં. દ્વારકામાં ભાતીગળ હોલિકાત્સવની રૂડી ભાત જોવા મળી હતી, તો દેશ-વિદેશથી દ્વારકા પહોંચેલા દર્શનાર્થીઓની બહુ રંગી આભા પણ પ્રગટતી જોવા મળી. એકંદરે હોલિકાદહ્ન, રંગોત્સવની સાથે સાથે સ્પર્ધાત્મક મનોરંજનો સાથે હોળી-ધૂળેટીનો ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો.
ભારતીય જનતા પક્ષના દિગ્ગજ પ્રાદેશિક નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ઘરઆંગણે હૂતાશણી પર્વ ઉજવ્યું અને રંગોત્સવની મજા માણી. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આપેલા નિવેદનના પડઘા કદાચ દિલ્હી સુધી પડવાના છે, અને નવા પ્રદેશ પ્રમુખ નિમવાની દ્વિધાજનક સ્થિતિ વચ્ચે ભાજપની પ્રાદેશિક નેતાગીરીમાં પણ તેની ચર્ચા થવા જ લાગી હશે, કારણકે 'વિજયવાણી' ઘણી જ સૂચક, સમજી વિચારીને પ્રગટ થનારી તથા ઘણી વખત સ્ફોટક પણ હોય છે.
વિજયભાઈએ જે કાંઈ કહ્યું, તેનો સારાંશ એવો છે કે ભારતીય જનતા પક્ષે સત્તા માટે થઈને કોંગ્રેસીઓ સાથે સમજુતિ ન કરવી જોઈએ. પરોક્ષ રીતે આ નિવેદન ભાજપના ભરતી મેળાના સંદર્ભે અપાયેલી વોર્નિંગ ગણવામાં આવે છે, તો ઘણાં લોકો ભાજપના મૂળ અને વફાદાર, નિષ્ઠાવાન કાર્યકર્તાઓના અસંતોષને વાચા અપાઈ હોવાનો મત પણ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આને વ્યક્તિગત અસંતોષની અભિવ્યક્તિ ગણાવે છે, તો ઘણાં લોકો વાસ્તવિક્તાનું પ્રગટીકરણ ગણાવે છે. જે હોય તે ખરૂં, પરંતુ આગ લાગી હોય ત્યાં ધૂમાડો તો દેખાવાનો જ છે ને??
કેટલાક નેતાઓ પરંપરાગત રીતે હૂતાશણી પર્વની ઉજવણી વિશેષ ઢબે કરતા હોય છે. વિજયભાઈ રૂપાણીએ હૂતાશણીનું પર્વ પરિવાર તથા અડોશ-પડોશના બાળકો સાથે રંગોત્સવ સાથે ઉજવ્યું, તો જામનગરમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી લીમડાલેનના વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં પરિવાર તથા ગ્રુપના સભ્યો સાથે રંગોત્સવ ઉજવવા પહોંચ્યા હતાં. તેઓએ ત્યાંના વડીલો તથા અન્ય આશ્રિતોને શુકનવંતો રંગ લગાવીને શુભકામનાઓ વ્યક્ત કરી અને આત્મિયતા દર્શાવી. આ પ્રકારના દૃશ્યો આપણાં સમાજની સિક્કાની બીજી બાજુ તથા વરવી વાસ્તવિક્તા પણ રજૂ કરે છે.
પૂર્વ મંત્રી અને જામનગરના દિગ્ગજ નેતા હકુભા જાડેજા પણ દર વર્ષે હોળી-ધૂળેટી પર્વે વૃદ્ધાશ્રમમાં જઈને વડીલો સાથે 'તિલકહોળી' દ્વારા ઉજવણી કરે છે.
નેતાઓ વૃદ્ધાશ્રમોમાં વાર-તહેવારે જઈને હૂતાશણી-દીપોત્સવી જેવા તહેવારોની ઉજવણી કરીને ત્યાં રહેતા લોકોને તેના પરિવાર જેવી હૂંફ આપતા હોય છે, અને કેટલાક વડીલોના પરિવરજનો પણ ત્યાં જતા હોય છે, જો કે આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. તેના પડઘા મહારાષ્ટ્રની વિધાનસભા સહિત વિવિધ ધારાગૃહોમાં પણ પડઘાતા હોય છે. અસદુદીન ઓવૈસીની પાર્ટીના એક ધારાસભ્યે પણ આ પ્રકારના વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, અને સંતાનો વૃદ્ધ માતા-પિતા કે વડીલોને કચરાની જેમ કચરાટોપલીમાં ફેંકવા હોય, તેવી માનસિક્તાથી વૃદ્ધાશ્રમોમાં (તરછોડીને) છોડી જતા હોય છે, તે સારી બાબત નથી. તેમણે સવાલ ઊઠાવ્યો છે કે શું આ પ્રકારના વૃદ્ધાશ્રમોને લઈને આપણા દેશમાં કોઈ નક્કર કાયદા છે ખરા? શું વૃદ્ધોને તરછોડનાર સંતાનોને દંડાત્મક કે શિક્ષાત્મક કડક કાયદાઓ હેઠળ આવરી લેવા ન જોઈએ? શું આવા કડક કાયદા ન બનાવી શકાય?
જે માતા-પિતાએ ઉછેરીને મોટા કર્યા હોય, ભણાવી-ગણાવીને હોશિયાર કર્યા હોય, તેને જ આવી રીતે તરછોડવા કે ઘરમાં અપમાનજનક રીતે રાખીને ત્રાસ ગુજારતા સંતાનોની શાન ઠેકાણે લાવવાના કડકકાનૂનની જરૂર જણાતા તેમણે એક પૂર્વ જજ (નિવૃત્ત જજ) પણ વૃદ્ધાશ્રમમાં મળ્યા હોવાનો દાવો પણ કર્યો હતો.
હૂતાશણીમાં આ પ્રકારની સેવા-ભાવનાઓના પ્રગટિકરણની સાથે સાથે વૃદ્ધ માતા-પિતાને તરછોડનાર સંતાનો સામે કોઈ નક્કર કાયદાની સાથે સાથે સામાજિક જાગૃતિની જરૂર પણ છે જ ને??
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે જામનગર મહાનગરપાલિકામાં પોઝિટિવ એનર્જી સર્જાઈ હોય, તેવા દૃશ્યો ખડા થયા હતાં અને શિક્ષણ સમિતિ હેઠળના કેટલાક કર્મચારીઓને પાર્ટટાઈમમાંથી કાયમી કરવાના અદાલતી હુકમ પછી બાકીના સમકક્ષ કર્મચારીઓને પણ કાયમી કરવાની દરખાસ્તને સર્વાનુમત્તે મંજુરી અપાતા ૩પ જેટલા પરિવારોમાં પણ આનંદ ફેલાયો હતો. 'શેરડી સાથે એરડીને પણ પિયત મળી જાય' તેવી ગામઠી કહેવતની જેમ જ સ્પેશ્યલ જનરલ બોર્ડમાં બીજી બે-ત્રણ દરખાસ્તો પણ મૂકાઈ, અને એકાદ દરખાસ્ત વિરોધ પક્ષના વાંધા સાથે બહુમતિથી પણ પસાર થઈ ગઈ. મનપામાં ખાલી જગ્યાઓ પર ભરતી થાય, ત્યારે અડધી જગ્યાઓ મનપામાં જ દસ-વીસ વર્ષથી ફરજ બજાવતા હોય, તેને પ્રાયોરિટી આપવાની દરખાસ્તને પણ વિપક્ષનું શરતી સમર્થન મળ્યું હોવાની ચર્ચા છે. આ દરખાસ્તને વિપક્ષે આવકારી અને ભરતી થાય, ત્યારે વિપક્ષને પણ સાથે રાખવાની વાત કરી, તે એડવાઈઝીંગ સ્કીલની 'ફૂદડી'વાળી 'શરતો લાગુ' જેવી કન્ડીશનલ સહમતિ તો નહોતી ને? તેવી ચર્ચા પણ થવા લાગી હતી. જે હોય તે ખરૂ, પરંતુ મનપા માટે કોન્ટ્રાક્ટ બેઇઝ હેઠળ ઘણાં બધા વર્ષો આપ્યા હોય, તેને પ્રાધાન્ય અપાય અને મેરિટ પણ જળવાય, તો તે આવકારદાયક છે.
તે પહેલા સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરમાં રૂ. પપર કરોડથી વધુની જોગવાઈઓ હેઠળ વિવિધ વિકાસકામો તથા ખર્ચ-દરખાસ્તોને મંજુરી આપી, તે સંદર્ભે પણ લોકચર્ચા સાંભળવા મળી હતી. આ મંજુર થયેલી દરખાસ્તોમાં મોટાભાગના ઈન્ફ્રાસ્ટરક્ચરના કામો હતાં, જેમાં હાપા વિસ્તારમાં મલ્ટીપર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષના નિર્માણની દરખાસ્ત ધ્યાન ખેંચનારી હતી.
ઘણાં લોકો તો સૂચિત મલ્ટી પર્પઝ કલ્ચરલ કોમ્પ્લેક્ષ અથવા ઓડીટોરિયમના સૂચિત ખર્ચને તાજેતરમાં જેનું કામ સંપન્ન થયું છે, તે નગરના ટાઉનહોલના રીપેરીંગ અથવા નવીનિકરણ માટે થયેલા ખર્ચની સરખામણી પણ કરવા લાગ્યા હતાં.
આ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે, પરંતુ તેના પર બહુ લક્ષ્ય અપાતું હોતું નથી, પરંતુ કબીરજીનો દોહરો યાદ રાખવા જેવો છે કે 'નિંદક સાયરે સખીયે, આંગન કૂટિ છવાઈ, બિન સાબુ-પાની બિના... પાપ તુમ્હારા ધોવાય...'!
લોકતંત્રમાં આલોચના થવી, વિરોધ દર્શાવવાો, સૂચનો કરવા, એ નાગરિકોનો હક્ક પણ છે, અને ફરજ પણ છે, અને તે સાંભળવાની શાસકોની ફરજ પણ છે, અને જવાબદારી પણ છે. આ પ્રકારની ટિકા-ટિપ્પણીઓમાંથી ઘણી વખત ઉપયોગી માર્ગદર્શન પણ મળી રહેતું હોય છે. આ પ્રકારના સૂચનો ઘણી વખત અભ્યાસુઓના પોઝિટિવ થિન્કીંગમાંથી નીકળતા હોય છે, તો ઘણી વખત માત્ર શ્રેષ્ઠ જ્ઞાન કે હોંશિયારી દેખાડવા માટે પણ થતા હોય છે. આ બધા વચ્ચે સમતુલન, ધૈર્ય અને હકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લેવા જોઈએ. આજની અદ્યતન ટેકનોલોજીના દરરોજ બદલતા યુગમાં પણ ૧૮ મી સદીની માનસિક્તા ધરાવતા લોકો એક સીમિત વર્તુળમાંથી બહાર આવતા હોતા નથી, પરંતુ તેવા પોથીના પંડિતોને આદરપૂર્વક 'ઈગ્નોર' કરીને પારદર્શક જનલક્ષી અને સર્વજન હિતાય... સર્વજન સુખાય... નિર્ણયો લેવાય, તે અત્યંત જરૂરી છે, અને આ લોકતંત્રનો સિદ્ધાંત તમામ ક્ષેત્રોમાં ટોપ-ટુ-બોટમ લાગુ પડે છે. ધડમાથા વગરના વિચારોનો કોઈ મતલબ જ નથી.
લોકતંત્રમાં સોલીડ બહુમતી હોય, તો પણ વિપક્ષના માધ્યમથી પ્રગટ થતો જનતાનો અવાજ પરખીને જ યોગ્ય નિર્ણયો લેવાય, તો તે શ્રેષ્ઠ લોકતાંત્રિક શાસન ગણાય. તેવી જ રીતે તર્કવિહીન કે વેસ્ટેડ ઈન્ટ્રેસથી થતા સૂચનો કે લેવાતા નિર્ણયોને હવે જનતા પારખવા લાગી છે, જે ભૂલવું ન જોઈએ.
પંચાયતો હોય કે પાલિકા-મહાપાલિકાઓ હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કે પછી બોર્ડ-નિગમો કે અન્ય બંધારણીય સંસ્થાઓ હોય, એ વાત યાદ રાખવાની જરૂર છે કે લોકોને કાયમ માટે ભ્રમિત રાખી શકાતા નથી. આનું તાજુ ઉદાહરણ દિલ્હીમાં થયેલું સત્તા પરિવર્તન છે.
જ્યારે કોઈ સારા નિર્ણયો લેવાતા હોય અને તેને વિપક્ષ આવકારે, તે લોકતંત્રની ખૂબસૂરતી ગણાય, અને તેવા આવકારનેે શાસકો સાથે ઈલૂ-ઈલૂ કરવાના આક્ષેપો કરવા કે મિલીભગતના આક્ષેપો કરવા યોગ્ય નથી. તેવી જ રીતે વિપક્ષોની સાચી વાત, તથ્યાપક અને લોકોની લાગણીઓ સાથેનો અવાજ અવગણવો એ પણ યોગ્ય નથી.
જામનગરની મહાનગરપાલિકાએ તાજેતરમાં કચરાની ગાડીઓના વજન આધારિત બીલો બનાવવાના બદલે ફેરા આધારિત બીલો બનાવવાની તૈયારી બતાવી હોવાના અહેવાલો આવ્યા, તેને આવકારવા જ જોઈએ. આ પ્રકારની વિપક્ષની લાગણી અને માગણીમાં જનતાના સમર્થનનું બળ પણ હતું. એવી જ રીતે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતા વાહનોની પાછળ કે સાઈડોમાં કોથળા ટીંગાળવાથી ઊભી થતી પરેશાનીઓ તથા કેટલાક સ્થળે આ કોથળામાંથી ખરતા જતા કચરાથી (ઘટવાના બદલે) વધતી ગંદકીની રાવ ઊઠ્યા પછી કેટલીક કચરાગાડીઓએ સાઈડમાં કોથળા લટકાવવાનું ટાળ્યું હોય તેમ જણાય છે, પરંતુ હજુ પણ પાછળના ભાગે તો ગંદા દૃશ્યો ઊભા કરતા કચરાઓથી ભરેલા કોથળાઓ લટકાવાય છે. જોઈએ, હવે જનતાનો આ અવાજ કોના કોના સુધી પહોંચે છે તે...
ઘણી વખત લાંબી લાંબી કાનૂની કાર્યવાહીઓ કરીને ઘણો બધો સમય વેડફવાની સાથે સાથે તેની પાછળ જંગી ખર્ચાઓ કર્યા પછી નિર્ણયો લેવાના બદલે ન્યાયસંગત વાત હોય, એ પહેલેથી જ સ્વીકારી લેવામાં વાંધો શું???
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે અને હવે તો શ્રમિકથી લઈને શ્રીમંત સુધી, ટ્યુશનથી પ્રાઈમ મિનિસ્ટર સુધી અને ગામડાથી લઈને ગ્લોબલ વ્યવહારોમાં લોકો ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ કરવા લાગ્યા છે. લારી-ગલ્લા-પથારાવાળા પણ હવે મોબાઈલ સેલફોનના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. એટલું જ નહીં, શાકમાર્કેટથી લઈને શેરમાર્કેટ સુધી તથા સોનીબજારથી લઈને ગ્રેઈન માર્કેટ સુધી ડિજિટલ પેમેન્ટ દ્વારા નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટનો કોન્સેપ્ટ દસેક વર્ષ પહેલા વ્યાપક બનાવાયો અને કોરોનાકાળમાં તેને નોંધપાત્ર ઉત્તેજન પણ મળ્યું, તે પછી આપણાં દેશમાં ડિજિટલ પેમેન્ટ વધુને વધુ લોકપ્રિય બનવા લાગ્યું છે, અને તેનો સરળતાથી ઉપયોગ પણ થઈ રહ્યો છે.
હવે એવા અહેવાલો આવ્યા છે કે, યુપીઆઈ અને રૂપે દ્વારા થતા નાણાકીય વ્યવહારો પર એમડીઆર ફરીથી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે, ત્યારે આ પ્રકારની તૈયારી થઈ રહી હોય તો દેશના લોકો સાથે બિઝનેસમેન્સની જેમ સરકારે પહેલા ટેવ પાડીને પછી ખિસ્સા ખંખેરવાની નીતિ-રીતિ અપનાવી હોય તેમ નથી લાગતું?
મીડિયા અહેવાલો મુજબ કેશલેશ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. એમડીઆરનું ફૂલફોર્મ જ વ્યાપારિક અર્થ દર્શાવે છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ફેર એટલે એમડીઆર... જો હવે સરકાર ફરીથી આ પ્રકારનો રેટ (કમિશન અથવા ચાર્જ) લાગુ કરવાની નીતિ અપનાવીને ફી માફી એટલે કે એમડીઆરમાંથી આપેલી મુક્તિ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવા જઈ રહી હોય તો એવો સવાલ સ્વાભાવિક રીતે જ ઊઠે કે, શું સરકાર વેપારી છે?... ડિજિટલ પેમેન્ટની પહેલા ટેવ પાડીને પછી તેના પર અપાયેલી છૂટ પાછી ખેંચી લેવી, તે પ્રજા સાથેનો વિશ્વાસઘાત ન ગણાય?... જરા વિચારો...
અહેવાલો મુજબ બેન્કીંગ સેક્ટર તરફથી કેન્દ્ર સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જેનું વાર્ષિક ટર્નઓવર ૪૦ લાખથી વધુ હોય, તેવા બિઝનેસમેન પર એનડીઆર લગાવવામાં આવે.
જો કે, આ દરખાસ્ત હજુ સરકારે મંજુર કરી દીધી નથી, પરંતુ સરકારની સક્રિય વિચારણા હેઠળ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. સરકાર કદાચ ૪૦ લાખના ટર્નઓવરની મર્યાદા વધારીને એક કરોડ કે તેથી વધુની કરીશકે, મતલબ કે સરકાર નાના અને મધ્ય વર્ગિય વેપારી વર્ગને મુક્તિ આપીને જાયન્ટ બિઝનેસમેન પાસેથી જ એમડીઆર વસૂલવાની મંજુરી આપી શકે છે.
બેન્કીંગ સેક્ટરની દલીલ એવી છે કે જો બિઝનેસમેનો ક્રેડિટકાર્ડ, વિઝાકાર્ડ અને માસ્ટરકાર્ડ પર એમડીઆર ચૂકવી રહ્યા હોય, તો યુપીઆઈ અને રૂપે પર કેમ ન ચૂકવે?
સરકારે જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે એમડીઆર નાબૂદ કરી દીધો હતો, ત્યારે ઠીક હતું, પરંતુ જ્યારે કેટલાક ડિજિટલ નાણાકીય વ્યવહારો પર એમડીઆર લેવામાં આવી રહ્યો હોય તો યુપીઆઈ અને રૂપે પર પણ હવે એમડીઆર ફરીથી લાગુ કરવો જોઈએ, કારણ કે બેંકો અને અન્ય પેમેન્ટ કંપનીઓને આ સુવિધાઓ આપવા પાછળ માળખાકીય (ઈન્ફ્રાસ્ટ્રક્ચર)નો ખર્ચ કરવો પડતો હોય છે, જેની ભરપાઈ થઈ શકે.
આ અહેવાલો પછી એવા કટાક્ષો પણ થઈ રહ્યા છે કે, સરકારે ખાનગિકરણની નીતિ હેઠળ ઘણી સેવાઓ ચાર્જેબલ કરી દીધી છે, અને હવે ખુદ સરકાર પણ વ્યાપારિક નીતિ અપનાવી રહી છે, તેથી ભારતના નાગરિકો સરકાર માટે સિટીઝન્સ નહીં, પણ 'કસ્ટમર' બની રહ્યા છે!
સરકારી હોસ્પિટલોમાં તબીબી સેવાઓ મફત હોય છે અને કેટલીક સેવાઓ માટે ટોકન ચાર્જ લેવાતો હશે, જ્યારે ખાનગી હોસ્પિટલો આ જ પ્રકારની સેવા-સુવિધાઓ કે લેબ ટેસ્ટીંગ માટે ચાર્જ વસૂલતી હોય છે. હવે સરકારી હોસ્પિટલો પણ એવો દાવો કરે કે ખાનગી હોસ્પિટલોને લોકો આ બધા ચાર્જ ચૂકવે છે, તો સરકારી હોસ્પિટલોમાં કેમ ન ચૂકવે?... તેવા પ્રકારના વ્યંગાત્મક સવાલો પણ ઊઠવા લાગ્યા છે, ત્યારે હવે સરકાર અંતે શું નિર્ણય લ્યે છે, તે જોવાનું રહે છે.
લોકોએ પણ એ સમજી લેવું પડશે કે કાંઈ તદ્ન 'મફત' મળતું નથી. તાજેતરમાં 'એપ'નું જોડાણ થયું છે, જેમાં ક્રિકેટ મેચ, ટીવી સિરિયલો વગેરે મોબાઈલ સેલફોન દ્વારા 'મફત' બતાવાશે. આ પહેલા પણ પહેલા લોકોને નિઃશુલ્ક 'ટેવો' પાડીને પછીથી તેના પર ચાર્જ લગાવીને ખિસ્સા ખંખેરવાની ખાનગી ક્ષેત્રોની બિઝનેસ પોલિસીના રવાડે ચડીને સરકાર પણ એવું જ કરશે, તો લોકોનો વિશ્વાસ વધુ ગુમાવશે, જો કે સરકાર 'મફત' આપશે, તેની વસૂલાત પણ આપણી પાસેથી જ કરશે. સરકારી ખજાનો પણ ટેક્સપેયરો જ ભરે છે ને?
ગુજરાતીમાં એક કહેવત છે કે 'વાવમાં ઉતારીને વરત કાપવું'... એટલે કે કોઈ વ્યક્તિને કોઈપણ બહાને તેમની સુરક્ષા અને પરત બહાર લાવી શકાય, તે માટે દોરડાથી કૂવામાં ઉતારવામાં આવે, અને પછી વિશ્વાસઘાત કરીને દોરડું કાપી નાંખવામાં આવે, જેથી કૂવામાં ઉતરેલી વ્યક્તિ તેમાં ડૂબી જાય, અને જીવ ગુમાવે.
બીજા અર્થમાં વરત એટલે ક્રોસ ખેંચવાનું દોરડું... વાવમાં કોસને ઉતારીને દોરડું કાપવાથી કોસ ડૂબી જાય. કૂવામાંથી પાણી ખેંચવા માટે જુના જમાનામાં કોસ ચાલતા, જેને ખેંચતા દોરડાને 'વરત' કહેવામાં આવતું. આ 'વરત'ને પકડીને જુના જમાનામાં કૂવામાં ઉતરેલા વ્યક્તિ સાથે દગાબાજી થતી, તેવું જ કાંઈક હાલમાં થઈ રહ્યું હોય તેવું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે લોકસભામાં હોબાળો થતો રહ્યો. નવી શિક્ષણ નીતિ સામે વિપક્ષના સાંસદોની તડાફડી અને મતદારયાદીઓમાં ગરબડના મુદ્દે પણ સંસદમાં પડેલા પડઘા પછી આ મુદ્દો પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાથી આગળ વધીને સરકારી ગલિયારાઓ સુધી ગૂંજી રહ્યો છે. આ બન્ને મુદ્દાઓ આજે 'ટોક ઓફ ધ નેશન' બની ગયા છે. ગઈકાલે આ બન્ને મુદ્દાઓ અંગે સંસદમાં કેટલીક રકઝક, કેટલાક કટાક્ષો અને કેટલીક રમૂજો પણ થતી જોવા મળી. હકીકતે આ બન્ને મુદ્દે ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ તેવા પ્રત્યાઘાતો પણ પડ્યા છે.
ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ આ મુદ્દો ઊઠાવ્યો. લોકસભાના અધ્યક્ષે ટકોર કરી કે મતદારયાદીઓ સરકાર થોડી જ બનાવે છે?... તેના જવાબમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તમામ વિપક્ષો વતી કેન્દ્ર સરકારને આ મુદ્દે ચર્ચા કરાવવાની અપીલ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મતદાર યાદીઓ તૈયાર કરાતી નથી, તે તેને ખબર છે, પરંતુ વિપક્ષો જો આ મુદ્દે લોકસભામાં ચર્ચા કરવા માંગતા હોય, અને સરકાર તેના પર સંસદમાં ચર્ચા કરવા ન ઈચ્છતી હોય, તેવા સંજોગોમાં અધ્યક્ષ દ્વારા તો લોકસભામાં ચર્ચાની મંજુરી તો મળવી જ જોઈએ ને?
રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે આખા દેશમાં મતદાર યાદીમાં ગરબડો અંગે સવાલો ઊઠી રહ્યા છે અને વિપક્ષોની સરકારો છે, ત્યાંથી આ પ્રકારની વધુ ફરિયાદો આવી રહી છે, ત્યારે વિપક્ષ માત્ર આ મુદ્દે સંસદમાં ચર્ચા જ ઈચ્છે છે, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
રાહુલ ગાંધીએ 'એક્સ' પર પોસ્ટ મૂકીને, 'મહારાષ્ટ્રની મતદાર યાદીઓમાં ગરબડોને લઈને તેમણે (રાહુલ ગાંધીએ) કરેલી પ્રેસ કોન્ફરન્સને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ટ્રાન્સપરન્સીને લઈને ચૂંટણીપંચ સમક્ષ કોંગ્રેસે જેે માંગણીઓ કરી હતી, તે હજુ સુધી પૂરી થઈ નથી.'
ગઈકાલે કેન્દ્ર સરકાર ત્યારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ હતી, જ્યારે કેન્દ્રિયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પોતાનું એક નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું.
હકીકતે તામિલનાડુ સરકાર વિદ્યાર્થીઓનું અહિત કરી રહી છે ને રાજકીય લાભ લેવા હિન્દી ભાષાનો વિરોધ કરે છે, તેવું કહેતા કહેતા મંત્રી મહોદયે ડીએમકેના સાંસદોને અપ્રામાણિક (બેઈમાન) ગણાવી દેતા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. તે પછી અધ્યક્ષે એ મંત્રી મહોદ્યના કેટલાક શબ્દો રેકર્ડમાંથી કાઢી નાખવાની સૂચના આપી, અને મંત્રી મહોદયે ગૃહમાં પોતાના વિવાદાસ્પદ શબ્દો પાછા ખેંચવા પડ્યા હતાં, તો બીજી તરફ ડીએમકેના સાંસદો વોકઆઉટ કરી ગયા હતાં.
બજેટ સત્રના બીજા તબક્કામાં અત્યારે સંસદમાં મતદારયાદીમાં ગરબડ અને કેન્દ્રની નવી શિક્ષણનીતિના મુદ્દે વિપક્ષો એકજુથ થઈને સરકારને ઘેરી રહ્યા છે, અને સરકાર બેકફૂટ પર હોય, તેમ જણાઈ રહ્યું છે.
વાસ્તવમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં ત્રિભાષીય શિક્ષણની જે જોગવાઈ કરી છે, તેનો દક્ષિણ ભારતમાં કેટલાક સાંસદો વિરોધ કરી રહ્યા છે. અને ખાસ કરીને તામિલનાડુના ટીએમકેના સાંસદો વધુ આક્રમક ઢબે વિરોધ દર્શાવી રહ્યા છે, જેના સંદર્ભે ગઈકાલે સંસદમાં હોબાળા થયા હતાં.
ડીએમકેનો આક્ષેપ એવો છે કે મોદી સરકાર તેમના (તામીલનાડુ) પર હિન્દી ભાષા ધરાર ઠોકી બેસાડવા માગે છે.
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિમાં એક સ્થાનિક ભાષા, હિન્દી અને અંગ્રેજીમાં શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે, જેથી ભાષા વિવાદ ખતમ થઈ જાય, તેવો સરકારનો દાવો છે, જ્યારે ડીએમકેના સાંસદો કહે છે કે મોદી સરકાર આવું કરીને તામિલનાડુ પર હિન્દી ભાષા લાદવા માગે છે. આ મુદ્દે થયેલા રાજકીય ધમાસાણ વચ્ચે પ્રજાના મૂળભૂત પ્રશ્નો, સમસ્યાઓ તથા મોંઘવારી, બેરોજગારીના મુદ્દાઓ હવાહવાઈ થઈ ગયા હોય તેવા સંજોગોમાં રાહુલ ગાંધીએ ઊઠાવેલો મતદાર યાદીઓનો મુદ્દો પણ ક્યાંક હોબાળાઓમાં અટવાઈ જશે, એવું કહેવાય છે ને કે, રાજનીતિમાં જે દેખાય તેવું જ બધું હોતું નથી, અને જે હોય છે, તે દેખાતું હોતું નથી. ઘણી વખત આ પ્રકારના હોબાળાઓ અસલ મુદ્દાઓ છાવરવા માટે પણ સર્જાતા હોય છે, તો ઘણી વખત લોકોનું ધ્યાન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પરથી હટાવવા માટે પણ વિશેષ પ્રકારની રણનીતિઓ અપનાવતી હોય છે. વિપક્ષોનો સવાલ છે કે સરકાર મતદાર યાદીમાં ગરબડના મુદ્દે ચર્ચા કરવા કેમ તૈયાર નથી? ત્રિભાષિય શિક્ષણનીતિના મુદ્દે સરકાર કેમ ફીફાં ખાંડે છે?
વિપક્ષો તરફથી ઊઠાવાતા આ પ્રકારના સવાલો ઘણાં લોકોને ગમતા હોતા નથી અને આ પ્રશ્નાર્થોના જવાબો ન મળે ત્યારે પ્રક્રિયાત્મક કે પરંપરાગત રીતે તેની પ્રશ્નાર્થો સામે જ પ્રશ્નો ઊઠાવીને તેને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થતો હોય છે. રાજકીય પક્ષો જ્યારે સત્તામાં હોય, ત્યારે તેઓને પ્રશ્ન ચિન્હો ગમતા હોતા નથી, પરંતુ જ્યારે વિપક્ષમાં હોય, ત્યારે એ જ પ્રશ્ન ચિન્હોનો સહારો લેવો પડતો હોય છે. લોકતંત્રની આ જ ખૂબી અને ખૂબસૂરતી છે,. તો બીજી તરફ ઉભય પક્ષે જડતા અને સંકુચિતતાઓ પણ ભૂંડી ભૂમિકા ભજવતી હોય છે. હમામ મેં સબ નંગે હૈ...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફીની ફાયનલમાં ન્યુઝીલેન્ડને પછડાટ આપીને નવા કીર્તિમાન રચી દીધો અને દેશભરમાં ક્રિકેટરસિયાઓ જ નહીં, પરંતુ દેશપ્રેમી નાગરિકો પણ ખુશીથી જુમી ઊઠ્યા હતાં. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની અને વન-ડે એટલે કે ઓડીઆઈના 'મીની' વર્લ્ડકપ તરીકે પ્રચલિત આ ક્રિકેટ શ્રેણી જીતીને ભારતે ચેમ્પિયન ટ્રોફી અંકે કરી. હવે ક્રિકેટ રસિયાઓ ધમાકેદાર ટકાટક ક્રિકેટ ટુર્નામેનટ આઈપીએલ પર નજર માંડીને બેઠા છે.
ચેમ્પિયન શ્રેણીની વિશેષતા એ રહી કે ભારતની વિજયકૂચ અણનમ રહી અને લીગ મેચો, સેમિફાયનલ તથા ફાયનલ સુધી શ્રેષ્ઠ દેખાવ કર્યો. આપણા દેશમાં હવે ક્રિકેટ ક્ષેત્રે દૂર, અંતરિયાળ, વિસ્તારોના નાના-નાના કેન્દ્રો, દુર્ગમ સ્થાનો તથા પહાડી વિસ્તારોમાંથી વિશ્વ વિક્રમ સર્જી શકે તેવા ક્રિકેટરત્નો મળી રહ્યા છે. આપણા બેટધરો વૈશ્વિક ઉચ્ચ કક્ષાની હરોળમાં રહે છે, અને હાલની આપણી ભારતીય ક્રિકેટ ટીમ (પુરુષ) માં ઓપનરો તેજરીતે છે, મીડલ ઓર્ડર પણ મજબૂત છે અને ઓલારાઉન્ડરોની ભરમાર છે. તો બીજી તરફ બોલરો પણ વિશ્વકક્ષાની ઝળહળતી સફળ મેળવી ચૂક્યા હોય તેવા છે, અને દેશભરના વિવિધ વિસ્તારોમાંથી શોધી કાઢ્યા છે. હવે તો ફિલ્ડીંગ પણ ઘણી જ મજબૂત થતી રહે છે.
આ પહેલા વર્ષ ર૦૧૩ માં ભારતે બીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વાધિક રનનો વિક્રમ પણ સર્જ્યો છે. આ પહેલા વર્ષ ર૦૦૦ માં પણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાયનલ મુકાબલો થયો હતો, પરંતુ તેમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવી દીધું હતું. તે વખતના ભારતીય કપ્તાન ગાંગુલીના ૧૧૭ રન પણ એળે ગયા હતાં. ગઈકાલની મેચમાં વિરાટ કોહલી તદ્ન સસ્તામાં આઉટ થવા છતાં અન્ય બેટ્સમેનોએ રોહિત શર્માની ૭૬ રનની તોફાની ઈનિંગ પછી નોંધપાત્ર રન કર્યા હતાં, જો કે સમયાંતરે ભારતની વિકેટો પડતી હોવાથી ફાયનલ મેચ ઘણો રોમાંચક રહ્યો જ હતો.
આ વિજય થયા પછી રોહિત શર્માએ એવી ચોખવટ પણ કરી દીધી કે તે હાલ તુરત વન-ડે માંથી રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યો નથી, અને આ પ્રકારની ચાલતી વાતો માત્ર અફવા છે.
ભારતીય ટીમના વિજયના દેશભરમાં ધમાકેદાર ઉજ્જણી થઈ અને ફટાકડા ફૂટ્યા. માત્ર શહેરોમાં જ નહીં, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ ઢોલ-નગારા સાથે એકબીજાના મીઠા મોઢા કરાવીને ભવ્ય ઉજવણી કરી. જામનગર સહિતના રાજ્યના શહેરી વિસ્તારમાં લોકોએ આતશબાજી તથા નૃત્ય કરીને ટીમ ઈન્ડિયાના આ વિજયને વધાવી લીધો, ધોની પછી બારવર્ષે રોહિત શર્માએ મેળવેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ધૂમ દેશભરમાં સવારોસવાર ગૂંજતી રહી.
દેશના દિગ્ગજ ક્રિકેટરો, વિવિધ ક્ષેત્રોના માંધાતાઓ ઉપરાંત રાજકીય ક્ષેત્રના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા. આજે પણ સવારથી જ દેશભરમાં ચોરે ને ચૌટે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેળવેલી શાનદાર જીતની જ ચર્ચા થઈ રહી છે, અને પ્રેસ-મીડિયામાં પણ વિજયના વધામણા સાથે વિવિધ વિશ્લેષણો થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે દેશમાં જાણે દીપોત્સવી ઉજવાઈ રહી હોય તેવો માહોલ હતો.
આ મેચમાં રાબેતામુજબ અપાતા પ્લેયર ઓફ ધ મેચ, ઓવર ઓફ ધ સિરિઝ વગેરે સન્માનો ઉપરાંત ન્યુઝીલેન્ડની ટીમના ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રને ગોલ્ડન બેટ એવોર્ડ મેળવ્યો. તેમને આ એવોર્ડ ચાર મેચમાં ર૬૩ રન બનાવ્યા, અને આખી ટુર્નામેન્ટમાં બે વખત સદી ફટકારીને રોહિતની સિદ્ધિઓ બદલ અપાયું હતું, જ્યારે પ્લેયર ઓફ ટુર્નામેન્ટ પણ રચિન રવિન્દ્ર જ બન્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમના શ્રેયસ ઐય્યર, ઈંન્ગલેન્ડના બેટ્સમેન બેન ડકેટ, ઈંગ્લેન્ડના જો રૂટ અને વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારની શ્રેણી ટોપ-ફાઈવમાં રમ્યા છે.
આજે રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં કોંગ્રેસના સંદર્ભે રાહુલ ગાંધી અને તેના અનુસંધાન કોંગી નેતા દિગ્વિજયસિંહજીના નિવેદનો, મહાકુંભમાં ગંગાસ્નાન અંગે રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, અંબાલાલની નવી આગાહી, શરૂ થનારૂ સંસદીય સત્ર, પહેલી એપ્રિલથી થનારા મોટા ફેરફારો, સનાતન ધર્મ અને મોરારીબાપુનું નિવેદન, જલાબાપા અંગે એક સ્વામી સંતની બદજુબાની પછી વીરપુરમાં માફી માંગ્યા પછી રઘુવંશીઓ દ્વારા આ પ્રકરણ પર ફૂલસ્ટોપ મૂકવાની જાહેરાતને દરિયાદિલી તથા મિશ્ર ઋતુની ચોતરફ ચર્ચા થઈ રહી છે.
ભારતીય ક્રિકેટ આજે વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે અને ભારતમાં રમાતી આઈપીએલ ટુર્નામેન્ટોના કારણે વિશ્વભરની ટીમો જાણે ભારતીય ક્રિકેટનો જ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હોય તેવી અદ્ભુત એકાત્મતા ઊભી થઈ રહી છે અને ખેલભાવના વિકસી રહી છે, તે સારી વાત છે, પરંતુ ક્રિકેટ પર ગેરકાનૂની રીતે ચોરેને ચૌટે જાહેરમાં રમાતો જુગાર, એ આવનારી પેઢીના વિકાસમાં રૂકાવટ તથા ઘણાં વર્તમાન પરિવારની બરબાદીનું કારણ બની રહ્યો છે, ત્યારે આ વિષય માત્ર કાનૂની નથી, પરંતુ વિવિધ સમાજો તથા ખાસ કરીને ભદ્ર સમાજના લોકોએ આ માટે જાગૃતિ ઝુંબેશો ચલાવવી જોઈએ, તેમ નથી લાગતું...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ નારીશક્તિ પૂજાય છે, અને દુનિયાનો સૌથી લાંબો, મોટો અને અજાયબી સ્વરૂપ મનાતો નવરાત્રિ મહોત્સવ માતા આદ્યશક્તિના વિવિધ સ્વરૂપો પ્રત્યેની માતૃભક્તિનો જ મહોત્સવ છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતાને પૂજનિય ગણાવામાં આવે છે, અને મહિલાઓ પ્રત્યેનું સન્માન આપણી પ્રાચીન સંસ્કૃતિની મૂળભૂત ધરી છે. આપણા દેશમાં ઘણાં નારીરત્નો પાક્યા છે, અને અધર્મ, આસુરી શક્તિઓ અને અન્યાય સામેની લડતથી માંડીને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી પણ મહિલા અધિકારો તથા માનવતા માટે સમર્પિત મહિલાશક્તિઓના અનેક ઉદાહરણો આપણી સંસ્કૃતિની તવારીખમાં ભરેલા પડ્યા છે. આપણે નારીશક્તિને મહાન માનીએ છીએ અને નારીને નારાયણીનો દરજ્જો આપીએ છીએ. તેમ છતાં કેટલાક વિકૃત માનસિક્તા ધરાવતા લોકોની બીભત્સ હરકતોના કારણે આપણા જ દેશમાં દૂષ્કર્મોની ઘટનાઓ બનતી રહે છે. હજુ પણ પુત્રવધૂ અને દીકરી વચ્ચે ઘણાં સ્થળે ભેદભાવ રખાય છે. હજુ પણ સાસરિયામાં ત્રાસ અપાત હોવાની ફરિયાદો ઊઠતી રહે છે. એટલું જ નહીં, હજુ પણ બાળલગ્નો કરીને કુમળીવયની કન્યાઓનું બાળપણ અને શિક્ષણ છીનવી લેવાની ઘટનાઓ પણ બનતી રહે છે, તે આપણી પ્રાચીન સંસ્કૃતિની શક્તિ ઉપાસનાની ભાવના પર કલંક સ્વરૂપ નથી? આજે મહિલા દિને મહિલાનું મહિમાગાન કરવાની સાથે સાથે સિક્કાની બીજી બાજુ તરફ પણ દૃષ્ટિપાત કરીને એક સામાજિક આંદોલન આદરવું જોઈએ, તેમ નથી લાગતું?
બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં છે. વડાપ્રધાને ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલીક મિટિંગો-સભાઓ કરી, લોકાર્પણો કર્યા અને રોડ-શો કર્યો, અને આજે જી-મૈત્રી, જી-સફલ જેવી મહિલા અને ગ્રામ્ય લક્ષી યોજનાઓનું નવસારી જિલ્લાના વાંસી-બોરસી ગામેથી લોન્ચીંગ કર્યું, એ ઉપરાંત સ્વસહાય જુથોની અઢી લાખથી વધુ મહિલાઓને સાડાચારસો કરોડથી વધુ સહાય પહોંચતી કરાઈ હોવાનો સરકારે દાવો કર્યો છે, અને લખપતિ દીદીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો છે. બીજી તરફ ગુજરાતમાં આગામી આઠમી એપ્રિલની આસપાસ યોજાનારા કોંગ્રેસ અધિવેશનની પૂર્વતૈયારી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તૈયારી કરી રહી છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસની જવાબદારીઓ વધી ગઈ છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને આગામી કોંગી અધિવેશન દરમિયાન કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપાશે, અને ગુજરાતની પ્રાદેશિક નેતાગીરીથી લઈને ગ્રામ્ય-શહેરોની કક્ષા સુધીના તમામ સ્તરે મહિલા નેતાઓ-કાર્યકરોની સહભાગિતા વધારવાની રણનીતિ ઘડાઈ રહી હોય, તો તે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાંકળનો એક આવકારદાયક યોગાનુયોગ જ ગણાય ને?
આજે મહિલાઓ પુરુષ સમોવડી તો બની જ ગઈ છે, પરંતુ તેનાથી પણ આગળ નીકળી રહી છે, તેવો નોબતના લેખિકા દિપાબેન સોનીનો અભિપ્રાય તાદ્શ્ય થતો હોય, તેમ આજે પ્રેસ-મીડિયામાં વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓ અને પ્રગતિની વાહવાહી થઈ રહી છે. પોલીસ તંત્રમાં મહિલા અધિકારીઓ-મહિલા પોલીસકર્મીઓનો સપાટો, મહિલા કન્ક્ટરોની સાહસિક તથા નિષ્ઠાપૂર્વકની ફરજો, શિક્ષિકાઓ અને મહિલા પ્રાધ્યાપકો, બેન્કીંગ સેક્ટર, વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર અને દરિયાઈ સાહસોથી માંડીને ભારતીય સેનાની ત્રણેય પાંખો સુધી પહોંચી રહેલી નારીશક્તિ તથા સ્પેસમાં પહોંચેલી સુનિતા વિલિયમ્સ સહિતના ગૌરવભેર ગુણગાન ગવાઈ રહ્યા છે. જે દેશ-દુનિયામાં પાતાળથી અંતરીક્ષ સુધી વધી રહેલા નારીક્તિની ગૌરવ ગાથાઓ જ છે ને?
રાજકીય ક્ષેત્ર પણ મહિલાઓની સહભાગિતા વધી રહી છે. હાલાર સહિત ગુજરાતમાં ઘણી ગ્રામપંચાયતોમાં મહિલા સરપંચો છે, તાલુકા-જિલ્લા પંચાયતમાં સભ્યો છે. હાલારમાંથી સંસદમાં પૂનમબેન માડમ અને ધારાસભામાં રિવાબા જાડેજા જનપ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લોકસભાની વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં લોકસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એક માત્ર સંસદસભ્ય ચૂંટાયા, તે પણ મહિલા સાંસદ ગનીબેન ઠાકોર છે. મહાનગરોનગરો-શહેરોમાં મહિલા કોર્પોરેટરો તથા ગ્રામ પંચાયતોમાં મહિલા સભ્યો પણ હવે પોતેજ સક્રિયતાથી વિકાસ પ્રક્રિયાના સહભાગી બની રહ્યા છે. કેટલીક આખેઆખી ગ્રામપંચાયતો પણ મહિલાઓ ચલાવી રહી છે. સખીમંડળો-સ્વસહાય જુથોના માધ્યમથી ગ્રામ્ય અર્થતંત્રને ઉત્તેજન આપવામાં પણ નારીશક્તિને અદ્ભુત સફળતાઓ મળી રહી છે. સુરક્ષાદળોથી લઈને ગુપ્તચર સંસ્થાઓ સુધી મહિલાઓ સક્રિય કે પરોક્ષ અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી રહી છે. ઘણી મહિલાઓ ઘર પણ સારી રીતે ચલાવે છે, અને ઉચ્ચ હોદ્દો, ઉદ્યોગ-વ્યાપાર કે વ્યવસાય પણ સારી રીતે સફળતાપૂર્વક નિભાવે છે, તે ગૌરવપૂર્ણ છે.
મહિલાઓના પતિઓએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોઈ જગ્યાએ શપથ લીધા હોવાની ઘટનાના અહેવાલો વાયરલ થયા પછી સરપંચપતિ (એસ.પી.) ની ચર્ચા ફરીથી થવા લાગી છે અને ચૂંટાયેલા મહિલા સરપંચો, સભ્યો, કોર્પોરેટરો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યોના બદલે મિટિંગ, કાર્યક્રમો અને ઓફિસના વહીવટમાં પણ તે મહિલા જનપ્રતિનિધિના પતિ (ક્યારેક ભાઈ, પિતા કે પુત્ર કે અન્ય પરિવારજન) હાજર રહેતા હોય કે હસ્તક્ષેપ કરતા હોય તેવા દૃષ્ટાંતો બહાર આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓ તેના કોઈપણ પરિવારજનોને આવો હસ્તક્ષેપ કરવા દેતા હોતા નથી, તેવું પણ બને છે.
આપણા દેશના રાષ્ટ્રપતિ અત્યારે એક આદિવાસી મહિલા છે. આપણા દેશના સર્વોચ્ચ બંધારણીય પદો, જેવા કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા-રાજ્યસભાના સભાપતિ અને મુખ્યમંત્રી તથા ગવર્નર-લેફ્ટનન્ટ ગવર્નર જેવા હોદ્દાઓ પર મહિલાઓએ નિભાવેલી ગરિમાપૂર્ણ જવાબદારીઓ પણ આજે યાદ કરવી જ પડે...
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને એ પણ સ્વીકારવું પડે કે એક તરફ અનેક મહિલાઓ સિદ્ધિઓની ઊંચી ઊડાન ભરી રહી છે, તો બીજી તરફ ઘણી મહિલાઓનું શોષણ પણ થઈ રહ્યું છે, દુષ્કર્મ થઈ રહ્યા છે, બાળવિવાહ થઈ રહ્યા છે, ચાઈલ્ડ ટ્રાફિકિંગથી લઈને દેહવ્યાપાર સુધીની બદીઓમાં કુમળી કન્યાઓથી લઈને ઘણી મજબૂર મહિલાઓ પિસાઈ રહી છે. આ અસમતુલાને સમાપ્ત કરવી પડશે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નારીશક્તિને કોટી કોટી વંદન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણૂક થઈ, અને દેવભૂમિ દ્વારકા જિલલાના ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી રિપિટ થયા છે, જેની ભાજપ દ્વારા ઉજવણી થઈ રહી છે. પ્રેસ મીડિયા દ્વારા વિવિધ વિશ્લેષણો સાથે ટિપ્પણીઓ થઈ રહી છે, તો વિપક્ષી વર્તુળોમાં કટાક્ષવાણી સંભળાઈ રહી હોય, તે સ્વાભાવિક છે.
આવતીકાલે મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે તે પહેલા જ જામનગરના શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી બન્યા, તેને નગર તથા મહિલાઓના ગૌરવ તરીકે ગણાવાઈ રહ્યું છે.
જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરીની નિમણૂક પછી એવી ટકોર પણ થઈ રહી છે કે હવે 'નગરની મનની વાત' પણ 'ઉચ્ચકક્ષા' સુધી સરળતાથી પહોંચી શકશે... ખરૃં ને?... સમજદાર કો ઈશારા બહોત!!
એક તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવા હોદ્દેદારોની ઉજવણી ભાજપ દ્વારા થઈ રહી છે, તો બીજી તરફ રાષ્ટ્રીય નેતાગીરી પણ ગુજરાત તરફ આવી રહેતી હોવાથી ગુજરાતમાં નેશનલ પોલિટિક્સ પણ ચર્ચાની એરણે ચડ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું પલડું ભારે રહ્યા પછી ભારતીય જનતા પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષો પણ પરાજય પછી વધુ સક્રિય થઈને સંગઠનને મજબૂત બનાવવા વધુ સક્રિય થઈ રહેલા જણાય છે.
આજે કોંગી નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે છે અને હવે રાજીવ ગાંધી ભવનમાં મેરેથોન બેઠકો યોજીને કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓનો જુસ્સો વધારવો, અને સંગઠનની બુનિયાદ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરશે, તેવા મીડિયા અહેવાલો છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ અઠવાડિયામાં બીજી વખત આજથી ગુજરાતની મુલકાતે છે. નવસારી અને સુરત જિલ્લાઓમાં યોજાનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાન કોઈ મોટી જાહેરાત કરશે, તેવા અનુમાનો લગાવાઈ રહ્યા છે.
ભાજપના બીજા દિગ્ગજ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આ વીક-એન્ડમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, અને ગુજરાત બારકાઉન્સિલના એક મેગા પ્રોગ્રામ સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.
આમ, રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં વારંવાર આવી રહ્યા છે, ત્યારે રાજ્યમાં નજીકમાં કોઈ ચૂંટણી નહીં હોવા છતાં કાંઈક મોટું રાજકીય ગણિત મંડાઈ રહ્યું હોય, તેવી અટકળો થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ધોવાણ થયા પછી કોંગ્રેસનું સંગઠન ધરમૂળથી બદલીને મજબૂત કરવાના ફીડબેક પણ કોંગ્રેસની હાઈકમાન્ડ સુધી પહોંચ્યા પછી કદાચ રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગોઠવાયો હશે, તેવી અટકળો વચ્ચે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ તરફથી અથવા ખુદ રાહુલ ગાંધી તરફથી શું કહેવામાં આવે છે, કેવા નિવેદનો આવે છે અથવા વિશેષ પ્રેસકોન્ફરન્સ યોજીને પ્રેસ-મીડિયાને શું જણાવવામાં આવે છે, તેના પરથી કોંગ્રેસની ગુજરાતને લઈને આગામી રણનીતિ તથા વ્યૂહરચનાનો અંદાજ આવી શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રકાસ પછી હવે કોંગ્રેસને નવેસરથી સમિકરણો રચવા પડી રહ્યા હોય તેમ જણાય છે.
જો કે, ભાજપમાં પણ બધું બરાબર નથી. કેટલીક વિધાનસભાની ચૂંટણીઓ પછી રાષ્ટ્રીય કક્ષાએ નવા પરિપ્રેક્ષ્યમાં ભાજપ મજબૂત થયું, પરંતુ જાણે કે ભરતી મેળા યોજ્યા હોય, તેમ વિરોધપક્ષના નેતાઓને ભાજપમાં સામેલ કર્યા પછી ભાજપમાં આંતરિક જુથવાદ વધુ ને વધુ વધી રહ્યો છે, તે પણ ઓપન સિક્રેટ જ છે ને?
સુરેન્દ્રનગરના થાનમાં ફરીથી મગફળીનું ગોડાઉન સળગી ઊઠ્યું અને ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો વિપુલ જથ્થો ખાખ થઈ ગયો, તે દુર્ઘટનાએ ભૂતકાળના અગ્નિકાંડોની યાદ તાજી કરાવી દીધી છે. મગફળીના કૌભાંડોને ઢાંકવા આ આગ લગાડાઈ છે કે અગ્નિકાંડ જ એક કૌભાંડ છે, તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.અધિકારીઓ-કૌભાંડિયાઓની મિલીભગત છે, ખરેખર કોઈ શુદ્ધબુદ્ધિપૂર્વકની ભૂલ થઈ ગઈ છે કે પછી ટોપ ટુ બોટમ સુધી સડો પેશી ગયો છે, તે તો તટસ્થ તપાસ પછી જ ખબર પડશે ને?
આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થનાર છે, ત્યારે દિલ્હીની ભાજપ સરકારે ચૂંટણીના વાયદા મુજબ મહિલાઓના ખાતામાં રૂ. અઢી હજાર જમા કરાવવાની પ્રક્રિયા અંગે અપનાવેલી રણનીતિ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત અને રોડ-શો વગેરે કાર્યક્રમોની સાથે સાથે ભારતીય જનતા પક્ષની આંતરિક રણનીતિ તથા વ્યૂહરચના માટે થઈ રહેલી હલચલની અટકળ વચ્ચે કાંઈક નવું થાય, અથવા કાંઈક મોટું કદમ ઊઠાવાય, કે મોટા ફેરફારો થાય, તેવી પ્રબળ સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.
હાલારમાં નગરપાલિકાઓના નવા હોદ્દેદારો તથા તે પછી ભાજપના નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રજાની અપેક્ષાઓમાં ખરા ઉતરે, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ ગુજરાતમાં શૈક્ષણિક સુવિધાઓની ઘટ અંગે રાજ્યમાં ચર્ચા થઈ રહી છે, અને રાજ્યમાં અદ્યતન શિક્ષણની હાંકવામાં આવતી ગુલબાંગોની ટીકા સાથે સરકારની જ આંકડાકીય વિગતોનું પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે.
અહેવાલો તો એવા છે કે, હાલારમાં સરકારી સ્કૂલોમાં ૬ર૮ વર્ગખંડોની ઘટ, જેમાં જામનગરની દોઢસો જેટલી સ્કૂલમાં ૩ર૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૧૦ સરકારી સ્કૂલોમાં ૩૦પ વર્ગખંડોની અછત છે. કેટલાક જિલ્લાઓમાં તો સેંકડો ઓરડાઓ એટલા જર્જરિત છે કે બાળકો કદાચ જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર બન્યા હશે.
સંખ્યાબંધ શાળાઓમાં ઓરડાઓ ઘટે છે, તો ઘણી સ્કૂલોમાં જર્જરિત વર્ગખંડો છે, તેવી આંકડાકીય માહિતી ઉપરાંત રાજ્યમાં શિક્ષકોની પણ ઘટ હોવાનું ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકારવું પડ્યું છે. સરકાર એવી દલીલ કરે છે કે શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે જ્ઞાનસહાયકોની ભરતી કરીને શિક્ષણને બહેતર બનાવાઈ રહ્યું છે, અને કેટલીક સરકારી શાળાઓ તો એટલું સુંદર કામ કરી રહી છે કે ખાનગી સ્કૂલમાંથી સદ્ધર પરિવારોના બાળકો પણ સરકારી સ્કૂલો તરફ આકર્ષાઈ રહ્યા છે.
બીજી તરફ એવી વિગતો પણ બહાર આવી રહી છે કે હાલારમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. દ્વારકા જિલ્લામાં ૧ર૦૦ થી વધુ અને જામનગર જિલ્લામાં ૮૦૦ થી વધુ શિક્ષકોની ઘટ છે. એવી જ રીતે ગીરસોમનાથમાં પણ ર૦૦ થી વધુ શિક્ષકો ઘટે છે.
શિક્ષણ જગતના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ હાલારમાં બે હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, તેની સામે માત્ર પ૦૦ જેટલા જ્ઞાનસહાયકોની જ ભરતી કરવામાં આવે છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો પૂરા સવાસો જ્ઞાન સહાયકો પણ નિમાયા નથી. આ આંકડાઓ સરકારના વિવિધ દાવાઓની પોલ ખોલી નાંખે છે, તેમ નથી લાગતું?
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે શિક્ષણમંત્રીને પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં જણાવાયું કે ૩૧ મી ડિસેમ્બરની સ્થિતિમાં રાજ્યમાં ૩૩૭ ગવર્મેન્ટ પ્રાયમરી સ્કૂલ્સમાં માત્ર એક જ ઓરડો છે. સરકારી જવાબ મુજબ કેટલીક શાળાઓમાં બાળકોની સંખ્યા ઓછી છે, અને કેટલીક શાળાઓમાં વધુ ઓરડાઓ બાંધવાની જમીન ઉપલબ્ધ નથી. કેટલીક એવી સ્કૂલો પણ છે, જ્યાં શિક્ષકો ઓછા છે. આ ખૂટતી કડીઓ માટે સરકાર ઝડપભેર કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કરાયો હતો.
કોંગ્રેસ જ નહીં, સત્તાધારીપક્ષના ધારાસભ્યો પણ વિધાનસભામાં શિક્ષણ ક્ષેત્રે પોતાના વિસ્તારની સુવિધાઓ સહિતના રાજ્યવ્યાપી પ્રશ્નો કરી રહ્યા છે. એક ભાજપી ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારી જવાબ ચોંકાવનારો હતો. સરકારે સ્વયં સ્વીકાર્યું કે છોટા ઉદેપુર જિલ્લામાં બસ્સોથી વધુ સ્કૂલ્સમાં ફોલ્ડીંગ વર્ગખંડો છે. જર્જરિત ઓરડાઓની ફરિયાદ કરીને ત્યાંની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ નવા ઓરડાઓની પ્રપોઝલ જ કરી નથી!
વિપક્ષી ધારાસભ્યોનો આક્ષેપ એવો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે ઝડપભેર કામોની મંજુરી આપતી હોતી નથી, જ્યારે જનપ્રતિનિધિઓ માટે વાહનો ખરીદવા હોય, ભથ્થા વધારવા હોય કે તેઓના નિવાસ કે સુખ-સગવડતાની સુવિધાઓ કે અદ્યતન સાધન-સામગ્રી ખરીદવી હોય, ત્યારે ફટાફટ મંજુરીઓ મળી જતી હોય છે. આવું શા માટે?
એ પણ હકીકત છે કે બે-ત્રણ દાયકાઓ પહેલા સરકારી સ્કૂલો તથા શિક્ષણની જે સ્થિતિ હતી, તેમાં ઉત્તરોત્તર સુધારા-વધારા થતા રહ્યા છે, પરંતુ તેમાં કેટલાક જાગૃત ધારાસભ્યો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત સરપંચોની જાગૃતિનો સિંહફાળો રહ્યો છે. જે વિસ્તારની નેતાગીરી શિક્ષણ પ્રત્યે સંવેદનશીલ અને જાગૃત રહે છે ત્યાં સરકારી સ્કૂલો સહિતની મૂળભૂત જરૂરિયાતોના કામોની મંજુરી પણ ઝડપથી મળતી હોય છે, અને કામોનું નિર્માણ પણ સમયસર અને ગુણવત્તાસભર થતું હોય છે, ખરૃં કે નહીં?
એક કહેવત છે કે 'આગેવાન આંધળો, તેનું કટક કૂવામાં, કે જ્યાં નેતાગીરી નબળી હોય, ત્યાંના લોકોને મનોવાંચ્છિત સુખ-સુવિધાઓ તો નથી મળતી, ઉલટાના પરેશાનીના પહાડ નીચે દબાઈ જવું પડતું હોય છે. જે વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રની સુવિધાઓ પર્યાપ્ત કે સંતોષજનક ન હોય, તે વિસ્તારના જનપ્રતિનિધિઓને ઢંઢોળવાની જરૂર છે, પછી ભલે તે કોઈપણ રાજકીય પક્ષના હોય કે અપક્ષ હોય, ખરૃં કે ખોટું?
ગુજરાતમાં 'નકલી'નો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે નકલી અથવા ડમી વિદ્યાર્થીઓનો મુદ્દો પણ એક વખત ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે. કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે એસબીએસઈ દ્વારા ઓચિંતી તપાસ કરીને ૧૪ સ્કૂલોમાં ડમી વિદ્યાર્થીઓ પકડાતા તેની માન્યતા રદ્ થઈ ગઈ હોવાની ઘટના જ રાજ્યમાં ચાલતા લોલંલોલની પોલ ખોલે છે. કેન્દ્રિય સ્કૂલોમાં અપાતા શિક્ષણ તથા તેની દેખરેખની જેની જવાબદારી હોય છે, તે જિલ્લા શિક્ષણ ખાતાને જાણ કર્યા વિના જ કેન્દ્રિય ટીમે રેડ પાડી હોવાનો ઘટનાક્રમ જ એવું પૂરવાર કરે છે કે, એસબીએસઈને રાજ્યના શિક્ષણતંત્ર પર વિશ્વાસ જ નથી અને ડમી વિદ્યાર્થીઓ પકડાયા, તે તેનો પુરાવો પણ છે ને?
એવું કહેવાય છે કે રાજ્યના શાળા સંચાલકો તરફથી પણ ડમી સ્કૂલો તથા ડમી વિદ્યાર્થીઓ અંગે રાજ્ય સરકારના તંત્રોને ચેતવવામાં આવ્યા હતાં, પરંતુ કોઈએ ધ્યાન જ આપ્યું નથી. શું આ લાપરવાહી છે, આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ છે કે પછી મિલીભગત છે, તે તો ઊંડી તપાસ થાય તો જ ખબર પડે ને... દલા તરવાડીની વાર્તા જેવું બની રહ્યું હોય તેમ લાગે છે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત જનાદેશ સાથે ચૂંટાયેલા હોવાથી તેની અને અમેરિકાની તાકાત વધી છે અને આજે તેમણે અમેરિકન કોંગ્રેસને સંયુક્ત સંબોધન કરતા જુસ્સાપૂર્વક 'અમેરિકા ઈઝ બેક' જેવા શબ્દો સાથે કહ્યું કે, હવે અમેરિકા સાચી દિશામાં જઈ રહ્યું છે, અને દેશનો સૂવર્ણકાળ શરૂ થયો છે. તેમણે રાષ્ટ્રપતિપદે શપથગ્રહણ કર્યા પછી તરત જ ૧૦૦ જેટલા વહીવટી આદેશો પર હસ્તાક્ષર કર્યા તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે, હવે અમેરિકામાં 'ફી સ્પીચ' એટલે કે અભિવ્યક્તિની આઝાદીની વાપસી થશે.
ટ્રમ્પના આજના ભાષણ પર આખી દુનિયાની નજરો મંડાયેલી હતી. જેવી રીતે ભારતમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથવિધિ પછી સંસદને પ્રથમ સંબોધન કર્યું તેવા જ અંદાજથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકન સંસદને સંબોધી રહેલા જણાયા હતાં, અને કહ્યું હતું કે હવે પછીનો મારો પ્રત્યેક દિવસ અમેરિકન માટે છે. તેમણે પણ પૂર્વની વિપક્ષની સરકારની ટીકા કરી અને પોતાની સરકારના ભરપૂર વખાણ કર્યા.
આજના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ પર માત્ર અમેરિકા જ નહીં, પરંતુ આખી દુનિયાની નજર હતી. ટ્રમ્પના આજના ભાષણ પરથી જ અમેરિકાની વૈશ્વિક રણનીતિ, યુદ્ધો તથા ટેરિફના કડક નિર્ણયો પછીના ટ્રમ્પની કેવી અર્થનીતિ તથા સંરણનીતિ હશે, તેના પર પણ આખી દુનિયાની નજર હતી. યુક્રેનની મદદ બંધ કરી અને ત્રણ દેશોના ટેરિફ વધાર્યા પછી હવે ટ્રમ્પ ભારત સહિતના મિત્રદેશો સાથે કેવું વલણ અપનાવશે, તેના સંકેતો પણ ટ્રમ્પના આજના ભાષણમાંથી મળવાના હતાં.
એક દાયકા પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેને જે જનાદેશ મળ્યો હતો, તેના કરતા આ વખતે પ્રચંડ જનાદેશ મળ્યો હોવાથી તેનો જુસ્સો વધ્યો છે. વર્ષ ર૦૧૪ પછી વર્ષ ર૦૧૯ ની ચૂંટણીમાં ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જ પ્રકારનો પ્રચંડ જનાદેશ મળ્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ એનડીએની બહુમતિ પર બન્યા છે, જ્યારે ભાજપની બેઠકો બહુમતી સુધી પહોંચી શકી નથી, તેનો ઉલ્લેખ કરીને ઘણાં લોકો ટ્રમ્પ અને મોદીની કાર્યપદ્ધતિ, લોકપ્રિયતા અને મક્કમતાની સરખામણી પણ કરવા લાગ્યા છે અને હવે તે પ્રકારના વિશ્લેષણો પણ પ્રેસ-મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળશે.
ટ્રમ્પે તેમના ભાષણમાં પૂર્વ રાષ્ટ્રપતિ બાઈડેનની આકરી ટીકા કરી અને ઈલોન મસ્કની ભરપૂર પ્રશંસા કરી. તેમણે ડિમોક્રેટ્સની નીતિઓની આલોચના કરી અને પોતાના પક્ષના સ્વાભાવિક રીતે જ પેટ ભરીને વખાણ કર્યા.
ટ્રમ્પના ભાષણમાંથી તેમની હવે પછીની રણનીતિ તો ઝલક જ હતી, પરંતુ કેટલાક તદ્ન નવા અભિગમોનો અણસાર પણ જોવા મળ્યો હતો. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાને ભ્રષ્ટ ગણાવી, યુનોના માનવાધિકાર પંચ તથા પેરિસ ક્લાઈમેટ કરાર, ગ્રીન ન્યુ સ્કેમ તથા ઈ.વી. વાહનોને લગતી અમેરિકન પોલિસી હેઠળના નિયમો વગેરે અંગે જે કાંઈ નિર્ણયો લીધા તેની વૈશ્વિક અસરો પડવાની છે. એટલું જ નહીં, અમેરિકા તરફથી કેટલાક ગરીબ દેશોને મળતી વિવિધ પ્રકારની સહાય બંધ થઈ જશે, તેની પણ આંતરરાષ્ટ્રીય ઘેરી અસરો પડવાની છે, અને રાજકીય સમીકરણો પણ તદ્ન બદલી જશે, તે નક્કી છે.
જેવી રીતે ભારતની સંસદમાં પી.એમ. મોદીએ વિકસિત ભારતની પરિકલ્પના રજૂ કરી હતી, તેવી જ સ્ટાઈલથી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હવે અમેરિકાનો સૂવર્ણયુગ શરૂ થયો છે, અને અમેરિકનોના સપના હવે સાકાર થવા જઈ રહ્યા છે. અમેરિકા હવે નવી સફળતાઓની ઊડાન ભરશે, અને અમેરિકા ફર્સ્ટની નીતિઓને જ અનુસરશે, તેમ જણાવીને ટ્રમ્પે અમેરિકામાં હવે બે જેન્ડર જ રહેશે, તેવી જે વાત કરી, તેના સંદર્ભે પણ એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો કે, વ્હાઈટ હાઉસે પણ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધોનનો વિષય 'અમેરિકન સપનાઓનું નવીનિકરણ' છે. એનો મતલબ એવો થાય કે આ સંબોધન 'સ્ટેટ ઓફ ધ યુનિયન' હેઠળ નહીં ગણાય, પરંતુ અમેરિકન કોંગ્રેસ (સંસદ) માં કરેલું સામાન્ય સંબોધન (જનરલ સ્પીચ) જ ગણાશે.
ભારતમાં આમ તો આજે સૌથી વધુ ચર્ચા ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને રસાકસીભરી સેમિફાઈનલ મેચમાં હરાવીને ફાયનલમાં પ્રવેશ મેળવ્યો, તેની થઈ રહી છે, પરંતુ આજે ટ્રમ્પના ભાષણ પછી તેની ભારત પર કેવી, કેટલી અને ક્યારથી અસરો પડશે, તેમજ ભારત-અમેરિકા વચ્ચેના મૈત્રિપૂર્ણ સંબંધો પર નવી ટ્રમ્પ નીતિની અસરો અંગે પણ અનુમાનો થવા લાગ્યા છે અને દરે ભારત-અમેરિકા સંબંધો ઉપરાંત બદલી રહેલા વૈશ્વિક સમિકરણો વચ્ચે ભારતની ભૂમિકા કેવી હશે, અને ટ્રમ્પની ભારત પ્રત્યેની નીતિરીતિ પ્રથમ કાર્યકાળની સરખામણીમાં કેટલી બદલી ગઈ છે, તેની ચર્ચા પણ થઈ રહી છે.
ટ્રમ્પે ઘૂસપેઠિયાઓ ક્રાઈમ કરે છે, તેવું કહીંને ભારતીયો સહિત વિવિધ દેશોના ગેરકાયદે અમેરિકામાં રહેતા લોકોને કડક સંદેશ આપ્યો છે, તેની સાથે જ અમેરિકામાં ગેરકાનૂની રીતે લાંબા સમયથી રહેતા હોય તેવા લોકોને તો ચિંતા થવાની જ છે, તેની સાથે સાથે સંબંધિત દેશો સાથેના સંબંધો તથા વૈશ્વિક રાજનીતિની દૃષ્ટિએ પણ ઘૂસપેઠ અટકાવવા અંગે ટ્રમ્પનીતિની દૂરગામી તથા તત્કાલિન અસરો પણ થવાની છે.
ટ્રમ્પે કેટલાક નિર્ણયો ભારતની કોપી કરીને લીધા હોવાના તારણો પણ કેટલાક વિશ્લેષકો કાઢી રહ્યા છે, તો ચીન અને ભારત સહિત અન્ય દેશો જે ટેરિફ અમેરિકાથી થતી આયાત પર લગાવે છે, તેટલો જ ટેરિફ અમેરિકા તે દેશો પર લગાવશે, તેવી ટ્રમ્પનીતિમાં કોઈ બદલાવ થયો હોય તેમ જણાતું નથી. જોઈએ... હવે શું થાય છે તે...''
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ટેકનોલોજિકલ ઈવોલ્યુએશન એટલે કે તકનિકી ક્રાંતિના કારણે માનવજીવનમાં ઘણાં બદલાવ આવ્યા છે અને અનેક પ્રકારની સુવિધાઓ વધી છે. એક સમય એવો હતો, જ્યારે બેન્કીંગ સુવિધાઓ માટે બેંકોમાં જઈને લાંબી કતારમાં બેસવું પડતું અથવા ઊભવું પડતું અને નાણા જમા કરાવવા, ઉપાડવા કે ડ્રાફ્ટ કઢાવવા માટે વારો આવે, તેની રાહ જોવી પડતી. આજે આ લાઈનો ઘટી રહી છે અને નેટબેન્કીંગ વધી રહ્યું છે. તેનું કારણ કોમ્પ્યુટરાઈઝ ઓનલાઈન બેન્કીંગ સુવિધાઓ પછી હવે ઝડપભેર વિસ્તરી રહેલી સ્માર્ટ ફોન ઓનલાઈન બેન્કીંગ સુવિધાઓ છે.
નેટબેન્કીંગમાં સાયબર ફ્રોડથી સાવચેત પણ રહેવું પડે અને અધુરા જ્ઞાનના કારણે કદાચ અટવાવું પડે, પરંતુ જો પૂરેપૂરા સેફગાર્ડઝ સાથેની નેટબેન્કીંગ ટેકનિનો ઉપયોગ કરવામાં આવે, તો નેટબેન્કીંગ ઘણું જ સરળ થવા લાગ્યું છે. ફોન દ્વારા નેટબેન્કીંગ અત્યારે ઘેર-ઘેર પહોંચ્યું છે અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ હવે બિઝનેસ તથા અન્ય ચૂકવણીઓથી આગળ વધીને તમામ પ્રકારના ઘરેલુ નાણાકીય વ્યવહારો માટે પણ થવા લાગ્યો છે. હવે તો ગૃહિણીઓ પણ ફટાફટ ઓનલાઈન શોપીંગ અને ખાવા-પીવાની ચીજવસ્તુઓની હોમ-ડિલિવરી મેળવી રહી છે.
સ્માર્ટ ફોનને સાંકળતો દિલ્હી હાઈકોર્ટનો એક ચૂકાદો આજે ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા અહેવાલો મુજબ દિલ્હીની હાઈકોર્ટે શાળાઓમાં સ્માર્ટ ફોન લઈ જવા પર સ્થાયી પ્રતિબંધ મૂકવાને અયોગ્ય કદમ ગણાવ્યું છે, અને સ્કૂલો માટે ગાઈડલાઈન્સ આપી છે.
દિલ્હી હાઈકોર્ટે સ્કૂલોમાં સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે આ વલણ અવ્યવહારૂ અને અનિચ્છનિય છે. મોબાઈલ સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂકવાના બદલે અદાલતે બાળકો દ્વારા સ્માર્ટ ફોનનો નિયંત્રિત ઉપયોગ થાય તે અંગે દિશાનિર્દેશો આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટની આ ગાઈડલાઈન્સ માત્ર મર્યાદિત વિસ્તાર કે કેસ રિલેટેડ સ્કૂલ માટે નહીં, પરંતુ દેશવ્યાપી અનુસરણને પાત્ર છે.
અદાલતે કહ્યું કે, આજના યુગમાં અદ્યતન ટેકનોલોજી શિક્ષણનું અભિન્ન અંગ બની ગઈ છે, ત્યારે સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ સુસંગત નથી, પરંતુ અવાસ્તવિક કદમ છે. બાળકો સ્માર્ટફોનથી પોતાના માતા-પિતાના સતત સંપર્કમાં રહી શકે છે, જરૂર પડ્યે કોઈની હેલ્પ માંગી શકે છે અને પોતાનું લોકેશન બતાવી શકે છે. તેથી તેની સિક્યુરિટી (સુરક્ષા અને સલામતી) સુનિશ્ચિત રહે છે.
અદાલતે એમ પણ કહ્યું છે કે સ્માર્ટ ફોન સાથે રાખવાની છૂટનો અર્થ એવો પણ નથી કે સતત સોશિયલ મીડિયા કે મનોરંજનમાં વ્યસ્ત રહેવું.
સ્ક્રીન પરથી નજરો હટાવી જ નહીં, અને આજુબાજુની દુનિયાને ભૂલી જઈને મોબાઈલ ફોનમાં ખોવાયેલું રહેવું કે પછી સતત ગેઈમ રમ્યા કરવી, વગેરે કૂટેવો સામે બાળકો અને વાલીઓને સાવધ કરતા કોર્ટે કહ્યું કે શક્ય હોય તો શાળામાં શિક્ષણના સમયે વિદ્યાર્થીએ પોતાના ફોન સ્કૂલ દ્વારા કરેલી વ્યવસ્થા મુજબ જમા કરાવી દેવા જોઈએ. વર્ગખંડ, પ્રાર્થના હોલ કે શાળાના વાહનોમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ અટકાવવા આ પ્રકારની સ્થાયી વ્યવસ્થાઓ થઈ શકે છે.
અદાલતે સ્કૂલ સંચાલકો, શિક્ષણ વિભાગ તથા સરકારને ઉદ્દેશીને જણાવ્યું કે બાળકોએ ઓનલાઈન વર્તણૂંક, ડિજિટલ મેનર્સ અને સેલફોનના લિમિટેડ યુજ અંગે કમ્પલ્સરી એજ્યુકેશન પૂરૃં પાડવાની ખાસ જરૂર છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ મનોરંજન માટે જ સ્માર્ટફોનનો ઉપયોગ ન કરે, તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ-બાળકો ટેકનોસેવી બને તે જરૂરી છે, પરંતુ તેઓ સેલફોન એડિક્ટ ન બની જાય, તેનો ખાસ ખ્યાલ સ્કૂલો, વાલીઓ તથા સહયોગીઓએ રાખવો જ જોઈએ.
આપણે બાળક હજુ ફીડીંગ કરતું હોય, ત્યાં તેની સામે સેલફોન ધરી દઈએ છીએ અને બાળકને ભોજન કરાવવા, રડતું છાનુ રાખવા કે પોતાના કામકાજમાં ખલેલ ન પહોંચે, તે માટે બાળકને સેલફોનમાં વ્યસ્ત રાખવા માટે સ્માર્ટફોનનો એક પૂરક સહાયકની જેમ ઉપયોગ કરીએ છીએ, તે જ બાળકને સ્માર્ટફોન એડિક્ટ બનાવી દ્યે છે અને બાળક મોટું થતા સોશિયલ મીડિયા એડિક્ટ પણ થઈ જાય છે, જેના કેટલા ખતરનાક વિપરીત પરિણામો આવતા હોય છે, જેના ઘણાં દૃષ્ટાંતો રોજ-બ-રોજ આપણી સામે આવતા હોય છે, તેમ છતાં આપણે જાગૃત થતા નથી, તે પણ હકીકત જ છે ને?
સોશિયલ મીડિયાનો વ્યાપક સદુપયોગ પણ થઈ રહ્યો છે અને જનજાગૃતિનું આ મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું છે, પરંતુ આ જ માધ્યમનો કેટલી ભયાનક રીતે દુરૂપયોગ પણ થઈ રહ્યો છે, તેથી જ બાળકોને શિશુકાળથી જ ટેકનોસેવી બનાવીએ, પરંતુ ફોન એડિક્ટ ન થવા દઈએ તે અત્યંત જરૂરી છે, તેમ નથી લાગતું?
ખાસ કરીને નાના બાળકોના વર્ગખંડો, ટ્યુશન ક્લાસીસમાં શિક્ષકોએ અને ઘરે માતા-પિતા-પરિવારે પણ તેઓની સામે જ સ્માર્ટફોન-સોશિયલ મીડિયાના માધ્યમથી ભદુ મનોરંજન માણવાથી દૂર રહેવું જોઈએ. ટૂંકમાં બાળકોને તદ્ન પ્રતિબંધિત કરીને નહીં, પરંતુ સતત પ્રશિક્ષિત કરીને જ સ્માર્ટફોનનો સદુપયોગ કરતા શિખવી શકાય અને સ્માર્ટફોન-અયોગ્ય સોશિયલ મીડિયાની લત લાગવાથી બચાવી શકાય... રાઈટ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાકિસ્તાન સામે વિજય મેળવ્યા પછી ગઈકાલે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિન્સ ટ્રોફીની વન-ડેમાં વિજય મેળવ્યો, તેથી ગ્રુપ 'એ'માં ટીમ ઈન્ડિયા ટોપ પર પહોંચી અને હવે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ રમશે. ન્યુઝીલેન્ડ સામેનો વિજય ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારશે, તેની સાથે સાથે ક્રિકેટ રસિયાઓનો રોમાંચ પણ પરાકાષ્ટાએ પહોંચશે તે નક્કી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી છોટીકાશીમાં તંત્રોની દોડધામ મચી રહી હતી અને ક્રિકેટના રોમાંચની જેમ નગરમાં વડાપ્રધાનનું આગમન થવાનું હોવાથી લોકોમાં કુતૂહલ અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓમાં જુસ્સો પણ વધી રહ્યો હતો. શાનિવારે સાંજે વડાપ્રધાને નગરમાં રાત્રિ મૂકામ કર્યો અને તે પહેલા એરપોર્ટથી સરકીટ હાઉસના માર્ગે દિગ્જામ સર્કલથી પાઈલોટ બંગલા સુધી નગરજનોનું અભિવાદન પણ ઝીલ્યું, તે પછી ગઈકાલે વડાપ્રધાને વનતારાની મુલાકાત લીધી અને સોમનાથ તરફ ગઈકાલે પ્રયાણ કર્યું.
એક તરફ ક્રિકેટ રસિયાઓ ક્રિકેટની મોજ માણી રહ્યા હતાં, અને બીજી તરફ ગઈકાલે પી.એમ. પ્રોગ્રામ પછી તંત્રોએ સંતોષજનક રાહતનો શ્વાસ લીધો હશે. એકંદરે વડાપ્રધાનની જામનગરની મુલાકાત સંતોષજનક રીતે સંપન્ન થઈ ગઈ. તંત્રો-મીડિયા અને નેતાઓ-કાર્યકર્તાઓ વ્યસ્ત રહ્યા હતાં, અને આયોજન સમુસુતર પાર ઉતરી ગયું તેનો સંતોષ પણ વર્તાઈ રહ્યો હતો.
બીજી તરફ વડાપ્રધાનની જામનગરની મુલાકાત દરમિયાન સુરક્ષા અને સુવિધાને લક્ષ્યમાં લઈને નગરના કેટલાક માર્ગો કામચલાઉ ધોરણે બંધ કરાયા હતાં, અને તેના વિકલ્પે અન્ય માર્ગો સૂચવાયા હતાં, તેથી એરપોર્ટ અને એરફોર્સ તરફથી સાત રસ્તા થઈને ટાઉનહોલ તરફ જતા તથા આ સર્કલોને જોડતા અન્ય માર્ગોના તમામ ટ્રાફિક વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો, તે પછી ઠેર ઠેર ટ્રાફિક જામના જે દૃશ્યો સર્જાયા, તેમાંથી એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીવીઆઈપીની સુરક્ષા માટે ચૂસ્ત બંદોબસ્ત અનિવાર્ય હોય છે, પરંતુ પબ્લિકનું ધ્યાન પણ રાખવું તો જોઈએ ને? તેવા જનપ્રતિભાવો છે.
શનિવારે વડાપ્રધાનના આગમન પહેલા જ અગાઉથી જાહેર થયેલા જાહેરનામા મુજબના નગરના માર્ગો બંધ કરી દેવાયા હતાં, અને તે પછી આ ચોવીસેય કલાક ટ્રાફિકથી ધમધમતા રહેતા મુખ્ય માર્ગોને ટ્રાફિક જાહેરનામામાં સૂચવેલા મોટાભાગના વૈકલ્પિક માર્ગો તરફ વાળવામાં આવતા ટ્રાફિક જામ તથા અફડાતફડીની સમસ્યા સર્જાઈ ગઈ હતી. વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક નિયમન કરવાની કે વાહનોને યોગ્ય દિશામાં વાળવા માટે માર્ગદર્શનની વધારાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા નગરજનો જ નહીં, બહારથી આવતા લોકો તથા વાહનો પણ હાલાકીમાં મૂકાયા હતાં અને લબડધક્કે ચડ્યા હતાં. તંત્રે સ્થાનિક વૈકલ્પિક માર્ગો તરીકે ઉપયોગમાં લેવાતી કેટલીક શોર્ટકટ શેરીઓમાં પાર્ક કરેલા વાહનો એક દિવસ પૂરતા હટાવ્યા હતાં, તો પણ થોડી રાહત થઈ હોત, ખરૃં કે નહીં?
આ સ્થિતિ કાંઈ નવી નથી, અને જ્યારે જ્યારે પી.એમ., રાષ્ટ્રપતિ, ગવર્નર, મુખ્યમંત્રી કે વિદેશી સત્તાવાર મહેમાનો હાલારની મુલાકાતે આવે છે, ત્યારે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, કારણકે આખું વહીવટીતંત્ર વીવીઆઈપી રૂટો પર જ ગોઠવાઈ જતું હોય છે, અને જે માર્ગો-વિસ્તારો કે સંકુલો લોકોની અવર-જવર માટે બંધ કરાયા હોય, તેના વૈકલ્પિક માર્ગો પર ડબલ ટ્રાફિક થાય, કે અન્ય કોઈ સમસ્યા ઊભી થાય તો તેના નિવારણ માટે વધારાની વ્યવસ્થાઓ તો ઊભી કરાતી જ નથી, પરંતુ ઘણી વખત રોજીંદી વ્યવસ્થાઓને પણ પાંખી કરી નાંખવામાં આવતી હોય છે, તેથી અસંતોષ પણ થતો હોય છે કે મહાનુભાવો આવે, ત્યારે જનતા ગૌણ બની જતી હોય છે, અને લોકોને તંત્રો રામભરોસે છોડી દેતા હોય છે!
આથી જામનગર સહિતના મેટ્રોપોલિટન શહેરો તથા દ્વારકા જેવા યાત્રાધામોમાં, જ્યાં અવારનવાર વીવીઆઈપી મહાનુભાવોની અવર-જવર રહેતી હોય, તેવા સ્થળો માટે કોઈ કાયમી વીઆઈપી-વીવીઆઈપી પ્રોટોકોલ પોલિસી જિલ્લા તંત્રે કાયમી ધોરણે ઘડી રાખવી જોઈએ, તેમ નથી લાગતું?
નગરની મુલાકાતે આવનાર વીઆઈપી કે વીવીઆઈપીને મળેલી સુરક્ષા વ્યવસ્થાની શ્રેણી, રૂટ, રોકાણ, કાર્યક્રમોનો પ્રકાર, (રોડ-શો, સભા કે મિટિંગ, રાત્રી મૂકામ વગેરે), આવનાર મહાનુભાવો તથા સ્થાનિક મહાનુભાવોની સંખ્યા, હાજર રહેનાર પબ્લિકની અંદાજીત સંખ્યા, સંભવિત રોકાણ અને આકસ્મિક રોકાણ કે કાર્યક્રમમાં સંભવિત ફેરફાર વગેરે તમામ પાસાઓ તથા તેમાં બંદોબસ્ત માટે માનવબળ તથા સાધનોનું માઈક્રોપ્લાનિંગ કરીને તેના સંદર્ભે સ્થાનિક પરિવહન, નગરજનો કે પ્રજાજનો તથા બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો (માત્ર એમ્બ્યુલન્સ નહીં, તમામ પ્રકારના દર્દીવાહક વાહનો), સ્મશાન યાત્રાઓ, મંગલ પ્રસંગો, વરઘોડાઓ તથા કેટલાક ખાસ દિવસોમાં નિયમિત રીતે પરંપરાગત્ ધાર્મિક-સામાજિક યાત્રાઓ વગેરેને અડચણ ઊભી ન થાય, તેવી રીતે વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ સમયે પૂર્વ-નિર્ધારિત માર્ગો (રૂટ) નક્કી કરવા જોઈએ, અને પ્રતિબંધ મૂક્યા પછી લોકોને ઓછામાં ઓછી પછીના વૈકલ્પિક માર્ગો પર પૂરેપૂરી ટ્રાફિક નિયમન, સુરક્ષા, સુવિધા, તથા માર્ગદર્શનની વિવેકપૂર્ણ વ્યવસ્થાઓ થઈ શકે, તેવું કાયમી સ્થિતિસ્થાપક પ્લાનિંગ તૈયાર રાખવું જોઈએ, અને વૈકલ્પિક વ્યવસ્થાઓનું માઈક્રોપ્લાનિંગ વીવીઆઈપી કે વીઆઈપી માટે થતા પ્લાનિંગની સમકક્ષ અને તેટલી જ ગંભીરતાથી થવું જોઈએ, ખરૃં કે નહીં?
આ પ્રકારે ઘડાયેલા કાયમી વીઆઈપી-વીવીઆઈપી વિઝિટ પરમેનન્ટ પ્રોટોકોલથી તંત્રોને પણ જે-તે સમયે દોડધામ ઓછી થઈ શકે છે.
પબ્લિકને અસહ્ય પરેશાની થાય ત્યારે લોકોનો અણગમો, અસંતોષ કે આક્રોશ તો જે-તે વીઆઈપી-વીવીઆઈપી મહાનુભાવો પ્રત્યે જ પ્રગટતો હોય છે, તેની નોંધ લઈને સ્થાનિક સંબંધિત નેતાઓ-આગેવાનો અને આયોજકોએ પણ આ પ્રકારના કાર્યક્રમો સમયે નગર કે સંબંધિત વિસ્તારની આમજનતા સમાન મહત્ત્વ આપીને કાયમી આયોજન ઘડી રાખવું જોઈએ, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, અને બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ પછી તેઓ ફરીથી સાત-આઠ માર્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે, જ્યારે બીજી તરફ લગભગ ૬ દાયકા પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે. આજે અને કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતમાં છે. તેઓ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે હતાં. ગૃહમંત્રીની ગુજરાતના વધી રહેલા પ્રવાસો તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અઠવાડિયા જેટલા સમયમાં ગુજરાતની બે દિવસની મુલાકાત ઘણી જ સૂચક છે, અને ગુજરાતમાં કાંઈક 'મોટું' થવા જઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ ભાજપમાં તો ટૂંક સમયમાં ધરમૂળથી ફેરફાર થવાના છે તે નક્કી જ છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની સર્વોચ્ચ નેતાગીરીના ગુજરાતના પ્રવાસો અચાનક વધી રહ્યા છે, તે જોતા તો એવી અટકળો થવા લાગી છે કે માત્ર રાજ્યમાં ભાજપના સંગઠનમાં જ નહીં, પરંતુ સરકારમાં પણ કાંઈક નવાજુની થઈ શકે છે. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તો ઠીક-ઠીક કામ કરી રહેલી જણાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સંગઠનમાં છૂપો અસંતોષ તથા સરકાર સામે ધીમી ગતિએ ઊભી થઈ રહેલી એન્ટી-ઈન્કમબન્સીના ફીડબેક મળ્યા હશે, અને તેથી જ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીએ પોતાના હોમસ્ટેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે, તેવી ગુસપુસ પણ રાજકીય ગલિયારાઓમાં થઈ રહી હોવાનું ચર્ચાય છે.
પ્રયાગરાજમાં કુંભમેળો સંપન્ન થયો કે તરત જ ગુજરાતમાં શરૃ થયેલી હલચલ જોતા ટૂંક સમયમાં રાજ્યમાં રાજનીતિનો કુંભમેળો ભરાશે, તેમ જણાય છે. અત્યારે ગુજરાતમાં કેન્દ્રિય મંત્રીઓના પ્રવાસો તો વધી જ રહ્યા છે, અને ભાજપની સર્વોચ્ચ નેતાગીરી ઉપરાંત સંઘના કેટલાક પ્રચારકો પણ સક્રિય થયા હોવાની વાતો વચ્ચે કાંઈક તો નવું થવાનું છે તેવા અંદાજો થઈ રહ્યા છે.
ગુજરાતની ચૂંટણીને તો વાર છે, પરંતુ બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શું બિહારની ચૂંટણીનું બ્યુગલ ગુજરાતથી ફૂંકાવાનું છે કે પછી ભાજપના 'ગુજરાત મોડલ' પર બિહારમાં વધુમાં વધુ બેઠકો જીતીને બિહારમાં પણ ધમાકેદાર સીંગલ પાર્ટી સરકાર રચવાની રણનીતિ ઘડાઈ રહી છે? તેવા અનુમાનિત સવાલો પણ પૂછાઈ રહ્યા છે.
પ્રયાગરાજમાં ગંગા, યમુના તથા 'ગુપ્ત' સરસ્વતીના સંગમ સ્થાને પવિત્ર મહાકુંભ યોજાઈ ગયો, અને હવે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને 'લૂપ્ત' થતી જતી આમ આદમી પાર્ટીના રાજકીય ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો હોય, તેમ નથી લાગતું?
તાજેતરમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો, પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેટલાક સ્થળે આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર ફતેહ મેળવી, તેથી 'આપ'નું ફોકસ પણ હવે દિલ્હીથી સિફ્ટ થઈને પંજાબ તથા ગુજરાત પર કેન્દ્રિત રહેશે, તેવા કેટલાક વિશ્લેષકો માને છે.
એવું કહેવાય છે કે કોંગ્રેસનું ગુજરાતમાં મજબૂત શાસન હતું, તે સમયે ભાવનગરમાં વર્ષ ૧૯૬૧ માં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, પરંતુ તે પછીથી કોઈએ ગુજરાત પર બહું ધ્યાન આપ્યું નહીં, તેથી ૧૯૯૦ થી ર૦૦૦ ના દાયકા દરમિયાન ગુજરાત કોંગ્રેસના હાથમાંથી સરકી ગયું, અને હજુ સુધી કોંગ્રેસ વાપસી તો કરી શકી નથી, પરંતુ વર્ષ-પ્રતિવર્ષ ધોવાણ થતું રહ્યું છે. તેથી હવે કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન યોજીને મોદી-શાહની જોડીને તેઓની હોમપીચ પરથી જ પડકારવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનની સાથે જ કોંગ્રેસ વર્ષ ર૦ર૭ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી પણ શરૃ કરી દેશે, અને ત્રણ-ત્રણ દાયકાથી ગુજરાતમાં સત્તાથી વિમુખ થઈને સતત ઘસાતી રહેતી કોંગ્રેસની સત્તામાં વાપસી થાય, તેવા પ્રયાસો સઘન બનાવશે અને કોંગ્રેસ ગુજરાતમાં જ વર્ષ ર૦ર૭ માં ભાજપને હરાવી શકે, તો વર્ષ ર૦ર૯ માં લોકસભાની ચૂંટણીમાં સફળતા મેળવવાનો રસ્તો પણ સાફ થઈ જાય, તેવું કોંગ્રેસ માને છે. તેવા વિશ્લેષણોની સાથે સાથે વિશ્લેષકો આને 'ઈફ એન્ડ બટ' વચ્ચેની કાલ્પનિક સંભવનાઓ પણ ગણાવે છે.!!
ગુજરાત અને બિહારમાંથી ભૂતકાળમાં પણ એવા જન-આંદોલનો પ્રગટ્યા છે, જેમણે દેશની રાજનીતિમાં ક્રાંતિ લાવી દીધી હતી. ગાંધીજી, સરદાર પટેલ, આંબેડકર, જયપ્રકાશ નારાયણ, કર્પુરી ઠાકુર જેવા રિવોલ્યુશનરી જનનેતાઓ ગુજરાત અને બિહાર જેવા રાજ્યો સાથે સંકળાયેલા હતાં, તો વર્તમાન સદીમાં અન્ના હજારેના આંદોલને પણ રાજનીતિની દશા અને દિશા બદલી નાંખી છે, જેઓ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા ગાંધીવાદી નેતા છે.
જે હોય તે ખરું, આજે દેશના વડાપ્રધાન જામનગરમાં પધારી રહ્યા છે, ત્યારે તેઓનું હરખભેર સ્વાગત થાય, તે પણ સ્વાભાવિક જ છે ને? વેલકમ પ્રધાનમંત્રીજી... છોટીકાશીમાં આપનું સ્વાગત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મહારાષ્ટ્રના પૂણેમાં ફરી એક નિર્ભયા કાંડ થયો અને ઉહાપોહ પછી હવે ત્યાંનું તંત્ર હરકતમાં આવ્યું હોય, તેમ લાગે છે. આ સંદર્ભે દેશના પૂર્વ ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડે જે કાંઈ કહ્યું છે, તેની તથા પોક્સો કેસોમાં ગુજરાતમાં આવેલા અદાલતી ફેંસલાની ચર્ચા આજે માત્ર અદાલતી કે કાનૂની ક્ષેત્રો જ નહીં, પરંતુ મહિલા સુરક્ષા, સામાજિક સદ્ભાવ તથા ફેલાઈ રહેલી માનસિક વિકૃતિઓના સંદર્ભમાં પણ ટોક ઓફ ધ નેશન બની ગઈ છે.
ગઈકાલે એવા અહેવાલો આવ્યા હતાં કે ગુજરાતની વિવિધ અદાલતોમાં એક જ દિવસમાં પોક્સો કેસોમાં રાજકોટ, અમરેલી અને વડોદરાની ૭ પીડિતાઓને ન્યાય મળ્યો છે. અદાલતોએ અપરાધીઓ પ્રત્યે ઘણું કડક વલણ અપનાવ્યું છે, અને આ કેસો ઝડપથી ચલાવીને ઊંડાણપૂર્વકના અભ્યાસ તથા કેસના તમામ પાસાઓને ધ્યાને લઈને આ ફેંસલાઓ સંભળાવ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષમાં અદાલતે ૯૪૭ ચૂકાદાઓ પોક્સોના કેસોની સુનાવણી પછી આપ્યા છે, જેમાં અપરાધીઓ પ્રત્યે કાનૂનની મર્યાદામાં રહીને પણ ઘણું જ કડક વલણ અપનાવાયું છે અને ત્રણ વર્ષમાં પોક્સો કેસોમાં અપાયેલા ચૂકાદાઓમાં પ૭૪ અપરાધીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે, તે ઉપરાંત આ જઘન્ય ગુન્હા બદલ ૧૧ અપરાધીઓને ફાંસીએ લટકાવવાના ચૂકાદાઓ પણ આવ્યા છે. આ ચૂકાદાઓ આવ્યા, તેમાં પોલીસતંત્ર, સરકારી વકીલો તથા પોલિટિકલ સર્વસંમત ઈચ્છાશક્તિની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આમ પણ કુમળી કન્યાઓ કે મહિલાઓને પીખી નાખતા ભેડિયાઓને અત્યંત કડક સજા થવી જ જેમાં બધા જ સહમત છે, અને આ મુદ્દો પોલિટિકલ છે જ નહીં, અને આ પ્રકારની નિંદનિય ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જ રહે છે, તેથી એ પણ પૂરવાર થાય છે કે અપરાધીઓને કાનૂનનો ડર નથી અને અત્યંત કડક સજાઓ થવા છતાં આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો રહ્યો નથી, તેથી આ સમગ્ર ઈશ્યુ હવે નવેસરથી જ વિચારવો પડે તેમ છે, ખરૃં કે નહીં?
જો કે, ગુજરાતમાં રપ મી ફેબ્રુઆરીના દિવસે ત્રણ જિલ્લાઓની અદાલતોએ ફટાફટ સાત મહત્ત્વપૂર્ણ ફેંસલાઓ સંભળાવ્યા અને સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા સંભળાવી, તેથી પીડિતાઓમાં હિંમત વધશે અને આગળ આવીને બુરી નજર કે છેડતી કરનારાઓ સામે તત્કાલ અવાજ ઊઠાવવામાં પાછીપાની નહીં કરે. એટલું જ નહીં, તંત્રો પણ હવે આ પ્રકારના કિસ્સાઓમાં જરાયે ઢીલાસ નહીં રાખે, તેવો આશાવાદ જરૂર જાગ્યો છે. આ જ પ્રકારની ઝડપ અને કડક કાર્યવાહી થતી રહેશે, તો મહિલાઓ-કન્યાઓમાં પણ હિંમત વધશે, અને અધમ કૃત્યો કરતા પરિબળોને પ્રારંભથી જ પાઠ ભણાવશે, આ કડક અભિગમમાં ન્યાયવિદે, વકીલો તથા પોલીસતંત્રની સાથે સાથે સાક્ષીઓ, પંચો તથા રિપોર્ટીંગ તથા તબીબી ક્ષેત્રની ઓથોરિટીઝનો પણ સહયોગ ભૂલી કેમ શકાય?
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એવો દાવો કરી રહ્યા છે કે, મુખ્યમંત્રીની સૂચનાથી રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, દુષ્કર્મ અને શોષણ સામે કડક અભિગમ અપનાવાઈ રહ્યો છે તથા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા નક્કર પુરાવાઓ સાથે કેસ મજબૂત બનાવીને રજૂ કરવામાં આવે છે. સરકાર પોતાની પીઠ ભલે થાબડે, અને પ્રબળ પોલિટિકલ પીઠબળની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ હોય જ છે, પરંતુ વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને હિંમતભર્યો જનસહયોગ આ પ્રકારના કેસોમાં કડક સજા આપી શકાય, તેમાં ન્યાયિક ચૂકાદાઓમાં સહભાગી હોય છે, તે પણ હકીકત જ છે ને?
આ જ રીતે અત્યંત કડક અભિગમ અપનાવીને અને ઝડપી કાનૂની પ્રક્રિયા નિપટાવીને કડક સજાઓ સતત થતી રહેશે, તો જ અપરાધીને કડક સજાઓ સતત થતી રહેશે, તો જ અપરાધીઓમાં થોડો ઘણો કાનૂનનો ડર બેસશે, ખરૃં ને?
દેશના તાજેતરમાં જ નિવૃત્ત ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચુડે પૂણેમાં એક બસમાં મહિલા સાથે થયેલા દુષ્કર્મ સંદર્ભે કહ્યું હતું કે નિર્ભયા કાંડ પછી કડક કાયદો બનાવાયો અને કેટલાક બદલાવ કરાયા, પરંતુ માત્ર કડક કાનૂન બનાવી દેવાથી સ્થિતિ નહીં સુધરે. ચંદ્રચુડે પણ આ કિસ્સામાં કડક અને ઝડપી સજા થાય, તેના પર ભાર મૂક્યો હતો.
નિર્ભયાકાંડ બન્યો તેને બાર-તેર વર્ષ થઈ ગયા. સરકાર બદલી, કાયદા બદલ્યા, દેશવ્યાપી આંદોલનો થયા, તેમ છતાં હજુ પણ જો દુષ્કર્મની ઘટનાઓ વધતી જ રહેતી હોય, તો આ મનોવૃત્તિને માત્ર કાનૂન નહીં, પરંતુ સામાજિક અને નૈતિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ પરખવી પડશે અને તત્કાળ અંકુશમાં લેવી પડશે, તેમ નથી લાગતું?
નાગરિકોને મળેલા બંધારણીય અધિકારો હેઠળ નીચલી અદાલતોમાં અપાતા ચૂકાદાઓ સામે અપીલ કરવાનો અધિકાર મળે છે અને પોક્સો જેવા કેસોમાં અપીલોની પણ ઝડપભેર સુનાવણી થાય અને દુષ્કર્મ કરનારા ભેડિયાઓને અત્યંત કડક સજાનો અમલ પણ નિયમાનુસાર પણ ઝડપથી થાય, તે ઉપરાંત સમાજમાં ફેલાઈ રહેલી બેખોફ વિકૃતિઓના કારણોના મૂળમાં જઈને સમાંતર લોકજાગૃતિ તથા યુવાવર્ગને ગુનાખોરી તથા વિકૃત માનસિક્તા તરફ ધકેલાતો અટકાવવાના ઉપાયો કરવા માટે હવે સમાજ, સરકાર, સંસ્થાઓ તથા ન્યાયક્ષેત્રે સહિયારા પ્રયાસો વધારવા જ પડે તેમ છે, ખરૃં ને?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પ્રયાગરાજમાં મહાકુંભ સંપન્ન થયો, અને રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓએ આ મહાકુંભમાં ત્રિવેણી સ્નાન કર્યું, તેના વિસ્તૃત આંકડાઓ આવી રહ્યા છે, અને દેશભરમાં ગઈકાલે મહાશિવરાત્રિ ધામધૂમથી ઉજવાઈ ગઈ. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની પરીક્ષાઓનો પ્રારંભ પણ થયો છે. આ ત્રણેય ઘટનાક્રમોનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો છે, અને ગંગા-યમુનાના સ્મરણ સાથે માતા સરસ્વતીની આરાધના પણ થઈ રહી છે. આજે સમાપન પછી મહાકુંભમાં સ્નાન કરનારા ભાવિકો, કરાયેલી વ્યવસ્થાઓ તથા મહાકુંભના કારણે રોજગારી તથા વ્યાપાર, આર્થિક પ્રગતિ તથા સ્થાનિકોને થયેલા ફાયદાની વિગતો આંકડાઓ સાથે રજૂ થઈ રહી છે. મહાકુંભની સાથે સાથે હરિદ્વાર, કાશી, અયોધ્યા, ઉજ્જૈન સહિતના યાત્રાધામોમાં પણ બહોળી સંખ્યામાં યાત્રિકો પહોંચ્યા તેથી આ મહાકુંભ બહુહેતુક પૂરવાર થયો અને 'વસુધૈવ કુટુમ્બકમ્'ની આપણી સંસ્કૃતિના પ્રતીક સમો બની ગયો, ખરૃં કે નહીં?
ત્રિવેણી સંગમમાં સ્નાનની સાથે સાથે ગઈકાલે દેશભરમાં મહાશિવરાત્રિ પર્વે કરોડો લોકોએ મહાશિવરાત્રિ ઉજવી, તેથી આખો દેશ શિવમય થયેલો જોવા મળ્યો હતો.
પ્રયાગરાજ મહાકુંભ પછી ગુજરાતમાં હવે શિક્ષણનો પરીક્ષા કુંભ શરૂ થયો છે, અને આજથી બોર્ડની પરીક્ષાઓમાં કુલ ૧૪ લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, તેવા આંકડાઓ પણ જાહેર થયા છે.
બોર્ડની પરીક્ષાઓ માટે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે ૮૭ વિભાગ પાડીને સાડાસોળ હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો ઊભા કર્યા છે, અને આ માટે શાળાસંકુલોની પાંચ હજારથી વધુ બિલ્ડીંગમાં પ૦ હજારથી વધુ વર્ગખંડોમાં પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠાવવામાં આવી છે, અને એવું કહેવાય છે કે બોર્ડે આ માટે ૮૦ હજારથી વધુનો સ્ટાફ ગોઠવ્યો છે. કેટલાક કેદીઓ તથા સાડાછ હજારથી વધુ દિવ્યાંગો પણ આ પરીક્ષા આપી રહ્યા છે.
બોર્ડની પરીક્ષાઓનો 'હાઉ' દૂર કરવા અને વિદ્યાર્થી ભાઈ-બહેનો મુક્તમને તથા પ્રસન્નતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તેવો માહોલ ઊભો કરીને આજે પહેલા દિવસે પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર આવકાર પણ અપાઈ રહ્યો છે, જો કે થોડા વર્ષો પહેલા આ પરંપરા ઊભી કરાઈ, તે સમયગાળાની સરખામણીમાં હવે આ એક રાબેતામુજબની ફોર્માલિટી બની ગઈ હોય, તેવું ઘણી જગ્યાએ પ્રતિત થતું હોય છે. એકંદરે પ્રસન્નતાવાળા માહોલમાં હસતા હસતા પરીક્ષાનો પ્રારંભ થાય તેની પરીક્ષાર્થીઓના માનસ પર પોઝિટિવ અસરો પડતી હોય છે. તેથી આ અભિગમ ખોટો નથી, પરંતુ જે કાંઈ થવું જોઈએ તે 'દિલ'થી થવું જઈએ, ખરૃં કે નહીં?
આજે સવારે ધોરણ ૧૦ ના ભાષાના પેપરો હતાં અને અત્યારે બપોરે ધોરણ ૧ર ના સામાન્ય પ્રવાહનું એકાઉન્ટનું તથા સાયન્સ પ્રવાહમાં ફિઝિક્સનું પેપર લેવાઈ રહ્યું છે. આંકડાઓ મુજબ આજે હાલારમાં ધો. ૧૦ ના ર૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧રના બન્ને પ્રવાહના મળીને ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતાં, તે પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
વિદ્યાર્થીઓના રિસ્પોન્સ, કાઉન્સિલીંગ તથા પેપર આપતી વખતે યોગ્ય સુવિધાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જો કે પરીક્ષાર્થીઓને લોકલ પરિવહનની કેટલીક મુશ્કેલીઓ પણ પડી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. હજુ વધુ કાળજીપૂર્વકની વ્યવસ્થાઓ થાય તથા એક ઊડતી સમીક્ષા કરીને કેટલાક ચોક્કસ પોઈન્ટથી પરીક્ષા કેન્દ્રો સુધીની બસ પરીક્ષાર્થીઓને મળી રહે, તેવી વ્યવસ્થા તો થઈ જ શકે છે ને?
જામનગરમાં પણ કેટલાક આંતરિક દૂરના વિસ્તારો-સોસાયટીઓને જોડતી સિટીબસ સેવા બોર્ડની પરીક્ષાઓ દરમિયાન એવી રીતે તત્કાળ અસરથી શરૂ કરવી જોઈએ, જે પરીક્ષાના પેપરોના પ્રારંભ તથા પૂર્ણ થવાના સમયપત્રકને અનુરૂપ દોડે. આ પ્રકારની 'નિઃશુલ્ક' સુવિધા સંબંધિત સ્કૂલો, કેન્દ્રો તથા શિક્ષણક્ષેત્ર અને વિદ્યાર્થી સંગઠનો સાથે પરામર્શ કરીને મહાનગરપાલિકા સાથે, તો સોનામાં સુગંધ ભળે, ખરૃં કે નહીં?
આમ પણ, જામનગરમાં સિટીબસનું સંચાલન એવી રીતે થાય છે કે ઈજારેદારને મીનીમમ રોજીંદુ બસભાડું તથા અન્ય ચૂકવણીઓ તો (કરેલા કરાર મુજબ) કરવી જ પડતી હશે ને? જો આ જ રીતે પરીક્ષાર્થીઓને જ્યાં જરૂરિયાત જણાય ત્યાં અથવા કોઈ શિડ્યુલ નક્કી કરીને નિઃશુલ્ક લાવવા-લઈ જવાની વ્યવસ્થા વિસ્તારાય, તો તેમાં કાંઈ હરકત જેવું પણ નથી.
આજે જે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવાનું શરૂ કર્યું છે, તેઓ તથા આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉજ્જવળ પરિણામોની 'નોબત' પરિવાર અને 'માધવાણી પરિવાર' શુભેચ્છાઓ પાઠવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે મહાશિવરાત્રિનું પર્વ છે અને આ સાથે જ પ્રયાગરાજમાં મહાકુંભનું સમાપન થવા જઈ રહ્યું છે. દેશભરમાં હરહર મહાદેવ, હર હર ગંગે, બમ્ બમ્ ભોલે અને જય ભોલેનાથનો નાદ્ ગૂંજી રહ્યો છે. ભોળાનાથ શિવશંભુ પણ જાણે કે કરોડો શિવભક્તો પર પ્રસન્ન થયા હોય, તેવો મંગલમય પવિત્ર માહોલ આજે શિવાલયો અને મંદિરોમાં જ નહીં, પરંતુ દેશભરમાં ઘેર-ઘેર એક અલગ જ અનુભૂતિ કરાવી રહ્યો ઠેર-ઠેર શોભાયાત્રાઓ નીકળી રહી છે અને ગામો તથા શહેરો શિવમય બની રહ્યા છે. છોટીકાશી પણ આજે ભગવાન શિવજીની ભક્તિમાં તરબોળ જોવા મળી રહી છે.
આ વખતે મહાકુંભમાં કરોડો લોકો ઉમટ્યા અને દોઢ મહિના સુધી પ્રયાગરાજમાં ગંગાસ્નાન થતું રહ્યું, જેમાં જામનગર સહિત હાલારમાંથી પણ ઘણાં લોકો આસ્થાની ડૂબકી લગાવીને પણ આવ્યા, અને ધન્યતા અનુભવી.
દર બાર વર્ષે આવતા મહાકુંભ બાર વખત યોજાયા, એટલે તેનું અલભ્ય મહાત્મય હોય છે અને તેનો લાભ આ વર્ષે મહાકુંભમાં કરોડો લોકોએ લીધો છે, તેને સમગ્ર વિશ્વ અચંબિત બનીને નિહાળી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક ટીકા-ટિપ્પણીઓ પણ થઈ રહી છે. વિવિધ મંતવ્યો અપાઈ રહ્યા છે, અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ ભગવાન શિવજી પ્રત્યેની શ્રદ્ધામાં સૌ કોઈ એકમત છે, અને આજે સૌ કોઈ શિવભક્તિમાં ડૂબેલા છે, તે તેનો પ્રત્યક્ષ પુરાવો જ છે ને?
પ્રથમ દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથમાં આજે શિવભક્તોનો મહેરામણ હિલોળા મારી રહ્યો છે, ગીરનારની તળેટીમાં ભવનાથના મેળામાં પણ બહોળા પ્રમાણમાં ભાવિકો ઉમટી રહ્યા છે. સુવર્ણરેખા નદીના કિનારે મહાવદ એકાદશીથી શરૂ થતો આ મેળો અમાસના દિવસે સંપન્ન થાય છે. આ દરમિયાન મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી થાય છે. ભગવાન ભવનાથની પૂજા કરવા મોટી સંખ્યામાં નાગાસાધુઓ પણ આવે છે. ભવનાથનો મેળો પણ કુંભમેળાની જેમ એક વિશેષ મહત્ત્વ ધરાવે છે.
તેવી દ્વાદશ જ્યોતિર્લીંગમાં ગણાતું નાગેશ્વર પણ આજે શિવભક્તોથી ઉભરાઈ રહ્યું છે, તો દ્વારકામાં દરિયાની અંદર એક ટેકરી પર આવેલા ભડકેશ્વર મહાદેવના મંદિરે પણ દેશભરના શિવભક્તો તથા સ્થાનિક ભાવિકોની ભીડ જામી છે.
દ્વારકામાં સિદ્ધનાથનું મંદિર પણ પ્રખ્યાત છે. જામનગરમાં પણ ભીડભંજન, કશીવિશ્વનાથ, રામેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, નર્મદેશ્વર, ભાવેશ્વર, અંકલેશ્વર, નિલકંઠ, સોમનાથ મહાદેવ સહિતના સંખ્યાબંધ શિવાલયો તથા મંદિરોમાં આજે ભાવિકોનો પ્રવાહ ઉમટી રહ્યો છે, જે આપણી સંસ્કૃતિની સોનેરી ઝલકના દર્શન જ કરાવે છે ને?
આજે મહાશિવરાત્રિનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, ત્યારે પ્રયાગરાજના મહાકુંભમાં પણ આસ્થાનો મહાસાગર આજે પરાકાષ્ટાએ પહોંચ્યો હોય, તેમ ભાવિકોથી ઘુઘવી રહ્યો છે. હર હર ગંગે અને હર હર મહાદેવનો નાદ્ ગગનમાં ગૂંજી રહ્યો છે. જેને આખી દુનિયા દંગ બનીને નિહાળી રહી છે.
ગઈકાલ સુધી જ મહાકુંભમાં ૬પ કરોડ લોકોએ ગંગાસ્નાન કર્યું હોવાના અહેવાલો હતાં, અને આજે પણ મહાકુંભમાં લાખો લોકો ગંગાસ્નાન કરી રહ્યા છે. આજે મહાકુંભનું સમાપન થશે, અને ઈતિહાસના સુવર્ણ પૃષ્ઠ પર નોંધાઈ જશે, તે હકીકત છે.
આ મહાકુંભ દરમિયાન ભાગદોડ, આગ-અકસ્માતો તથા જીવલેણ ઘટનાઓ પણ બની, વિક્રમજનક ટ્રાફિકજામ પણ સર્જાયા અને ઉત્તરપ્રદેશમાં રાજનીતિ પણ ઉફાણે ચડી હતી, અને આ દરમિયાન બદલતી ઋતુ તથા પરિવહનની સમસ્યાઓ અને કેટલાક સ્થળે ઉઘાડી લૂંટ ચલાવાઈ તેમ છતાં આખો મહિનો મહાકુંભમાં લાખો લોકોએ ગંગાસ્નાન કર્યું, તે હકીકતને વિશ્લેષકો આસ્થાની તાકાત ગણાવી રહ્યા છે, અને ભાવિકો શિવજીની કૃપા ગણાવી રહયા છે.
આજે મહાશિવરાત્રિના દિવસે આપણે પણ શિવજીને પ્રાર્થીએ કે હે શિવ શંભુ... શિવભક્તો પર આશીર્વાદ વરસાવો, આપની અસીમ કૃપાની વૃષ્ટિ કરો, જન-જનમાં માનવતા, દયા, સહાધ્યતા અને નિર્મળ સ્નેહ ઉભરાય, સમાજમાં સમાનતા, સંપ અને સૌજન્યતાનો ત્રિવેણી સંગમ કાયમી બને અને જીવસૃષ્ટિ પરના તમામ જોખમો ખતમ થાય, તેવું વરદાન સંસારના પ્રત્યેક માનવીને આપો, અને આપના પ્રત્યેક સાચા ભક્તની સામાજિક સુરક્ષા અને શુદ્ધ પ્રેમની સાથે સારૃં સ્વાસ્થ્ય અને સુખ-શાંતિ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થનાઓ સ્વીકારો... સૌ કોઈનું ભલુ કરો... અને હવે ત્રીજુ નેત્ર પણ ખોલો... શિવજી...
દુષ્ટો, દુર્જનો અને મુસીબતોને બાળીને ભસ્મ કરવા આપનું ત્રીજુ નેત્ર ખોલો... જન જનની અસુવિધાઓ, તકલીફો અને રોજીંદી સમસ્યાઓનો ખાત્મો થાય, ઠગો, દગાબાજો અને પાપીઓનો પ્રભાવ બળીને ભષ્મ થઈ જાય, ભોળી જનતાનું સફેદ પોશ ભેડિયાઓથી રક્ષણ , અને જનભાવનાઓને ખોટી રીતે ઉત્તેજન આપીને પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગતા નાટકિયા ડ્રામેબાજોની ડ્રામેબાજી નિષ્ફળ થઈ જાય, તે માટે આપના ત્રીજા નેત્રનો પ્રહાર કરો પ્રભુ...
ભાવનાઓની આડમાં રાજરમત કરતા અને જુઠ્ઠાણાઓની આડમાં આસ્થાઓ પર પ્રહાર કરતા પ્રપંચીઓ ક્યારેય સફળ ન થાય અને સત્યનો હંમેશાં જય થાય, તેવી આપની ત્રિનેત્ર દૃષ્ટિ વરસાવો, હર હર મહાદેવ, જય ભોળેનાથ... હર હર ગંગે... સત્ય મેવ જયતે... સત્ય મેવ જયતે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજકોટમાં સમૂહલગ્નના નામે નાણા ઉઘરાવીને આયોજકો ભાગી ગયા અને તંત્રો, મીડિયા અને જનસહયોગથી આ કાર્યક્રમ સંપન્ન થયો, તેવા અહેવાલો પછી એવી ચર્ચા થઈ રહી છે કે 'સેવાના નામે મેવા'ના કારસા રચતા પરિબળો કેટલી હદે નફ્ફટાઈ કરી શકે છે, અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નો જ નહીં, પરંતુ 'સેવાના નામે મેવા'ના કાયમી કૌભાંડો થવા લાગ્યા છે, ત્યારે આ પ્રકારના કૌભાંડિયાઓને ઓળખવા કેવી રીતે?
અત્યારે ઘણાં લોકો શોર્ટકટમાં કમાણી કરવાના કારસા રચવામાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે, અને તે માટે કોઈપણ પ્રકારનું ગેરકાનૂની, અનૈતિક, અપરાધિક, અયોગ્ય કે અનિચ્છનિય કૃત્ય કરવા પણ તૈયાર થઈ જતા હોય છે. આ પ્રકારના કૃત્યો કરનાર પરિબળોની કોઈ ચોક્કસ જ્ઞાતિ-જાતિ કે સમાજ હોતો નથી, અને હવે તો ભણેલા ગણેલા અને પ્રતિષ્ઠિત શ્રેણીઓમાં ગણાતા લોકો પણ સેવાના નામે નાણા ઉઘરાવીને તેમાંથી પોતાનો ફાયદો કાઢવાના નુસ્ખા જોવા મળવા લાગ્યા છે. તેથી જ કન્ફ્યુઝન ઊભું થતું હોય છે કે ભરોસો કરવો તો કોનો કરવો? કૌન સચ્ચા, કૌન જૂઠ્ઠા?
વિદેશમાં વસવાટ કરતા ઘણાં ભારતીય પરિવારો પોતાના વતનમાં ઘણી વખત વિકાસના કાર્યો કે લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટે છૂટા હાથે દાનની સરવાણી વહેડાવતા હોય છે, અને તેના કારણે આપણા દેશમાં અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ સંખ્યાબંધ સેવાપ્રવૃત્તિઓ ધમધમતી રહે છે, અને તેનો લાભ લાખો જરૂરિયાતોને પહોંચતો હોય છે. લગભગ દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સેવાયજ્ઞો ચાલતા જ હોય છે. વિવિધ પ્રકારના રોગનિદાન-સારવાર કેમ્પો, રક્તદાન કેમ્પો, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પો, દિવ્યાંગ સહાયતા કેમ્પો, નેત્રયજ્ઞો, સમૂહલગ્નો, સમૂહ યજ્ઞોપવિત, વેવિશાળ કેમ્પો, જ્ઞાતિભોજન તથા અન્ય ધાર્મિક-સામાજિક કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે, અને તેમાં દેશ-વિદેશના દાનની સરવાણી વહેવાતા હોય છે. આ પ્રકારના આયોજનોમાં ધનની સરવાણી વહેવડાવતા ઉદારદિલ દાનવીરો તથા તેના દાનમાંથી સેવાકાર્યો સંપન્ન કરતા સેવાભાવી લોકો, આયોજકો, સ્વયંસેવકો તથા સહયોગીઓને બીરદાવવા જ જોઈએ, અને તન-મન-ધનથી થતી સંયોજિત સેવાઓ થકી સંપન્ન થતા આ સેવાકાર્યોના કારણે અનેક જરૂરતમંદોની મુંઝવણો દૂર થતી હોય છે. એટલું જ નહીં, સામાજિક સ્વાસ્થ્ય સંપ, અને સૌહાર્દ પણ જળવાતું હોય છે. સૌરાષ્ટ્ર જેવી રીતે સંતો-મહંતો અને ભક્તોની ભૂમિ છે, તેવી જ રીતે દાનવીરો તથા સેવાભાવીઓની પણ ભૂમિ છે, અને તેથી જ સૌરાષ્ટ્રના સેવાભાવીઓ તથા સખાવતીઓની સુવાસ દેશના સીમાડા ઓળંગીને સાત સમંદર પાર પહોંચી રહી છે, અને તેનું આપણે બધાએ ગૌરવ લેવું જ જોઈએ, ખરૃં કે નહીં?
આપણે ઘણી વખત વાર-તહેવારો કે મંગલ પ્રસંગો-સમારોહોમાં થતી સામાન્ય ચર્ચાઓ દરમિયાન એવું સાંભળતા પણ હોઈએ છીએ કે વિદેશમાંથી આવતી દાન-સરવાણીમાંથી સેવાકાર્યોના આયોજનોમાં કેટલાક પરિબળો મલાઈ તારવી લેવાના પ્રયાસ કરતા હોય છે, અથવા કેટલાક લોકો માટે તો આ પ્રકારની પ્રવૃત્તિઓ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું માધ્યમ બની જતી હોય છે. આ પ્રકારના કેટલાક અપવાદોના કારણે શ્રમસેવા, ધનસેવા કે અન્ય રીતે મદદરૂપ થતા અને નિસ્વાર્થે માત્ર સેવાભાવનાથી રાત-દિવસ સેવા આપતા બહોળા સેવાભાવી સમુદાય પર પણ સોનાની થાળીમાં લોઢાની મેખ હોય, તેવું કલંક લાગતું હોય છે, તે પણ હકીકત જ છે ને?
સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે આ જ પ્રકારના સેવાકાર્યોના નામે હવે છલબાજી, છેતરપિંડી અને હવે તો કોમર્શિયલ એક્ટિવિટીઝ પણ થવા લાગી છે. આ પ્રકારની દંભી લોબી હવે ઝડપભેર વિસ્તરી રહી હોવાથી સમાજે ખાસ કરીને સામાન્ય, ભોળા, સધી-સાદી જનતાને આ લોબીથી બચાવવા આગળ આવવું જ પડે તેમ છે. એટલું જ નહીં, સાર્વજનિક લાભોની આંબલી-પીપળી દેખાડીને કે કોઈ સરકારી કામો કરાવી આપવા કે ઝડપભેર મોટું નાણાકીય વળતર આપવાના પ્રલોભનો આપીને છેતરપિંડી કરતા ખતરનાક પરિબળોથી સામાન્ય જનતાને બચાવવા સંબંધિત સરકારી તંત્રો તથા સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને દરેક જ્ઞાતિ-સમાજના ભણેલા-ગણેલા તથા લબ્ધ પ્રતિષ્ઠિત અગ્રગણ્ય નાગરિકોએ પણ આગળ આવવાની જરૂર છે, તેમ નથી લાગતું?
વિદેશમાંથી સામાજિક, ધાર્મિક કે જનસેવાની પ્રવૃત્તિઓ માટે મળતા દાનનો દુરૂપયોગ થતો હોવાની ઘણી ચર્ચા થતી રહેતી હોય છે અને તેમાંથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને પણ પરોક્ષ રીતે મદદ પહોંચાડવામાં આવતી હોવાના આક્ષેપો પણ થતા રહેતા હોય છે, અને તે પ્રકારના કેટલાક કિસ્સાઓ તો અદાલતની અટારીએ પહોંચી જતા હોય છે. તે આપણે બધા જાણીએ જ છીએ ને?
પબ્લિક-ટુ-પબ્લિક સખાવત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ પણ અન્ય દેશોને મદદરૂપ થવા માટે ફંડીંગ કરતી હોય છે, જે પૈકી કેટલીક કુદરતી આફતો, મોટા અકસ્માતો, યુદ્ધ, મહામારી જેવા સમયે લોકોને મદદરૂપ થવા માટે અપાતી હોય છે, જ્યારે કેટલીક યુનો સંચાલિત, યુનો સમર્થિત કે વૈશ્વિક દેશોના જુદા જુદા સંગઠનો, ફોરમ કે પ્લેટફોર્મ્સ પરથી સહાય પહોંચાડાતી હોય છે, જ્યારે અમેરિકા જેવા શક્તિશાળી દેશો વિદેશોમાં માનવિય સેવા કે પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ માટે પણ ફંડીંગ કરતા હોય છે. અમેરિકા આ પ્રકારનું ફંડ યુ.એસ. એઈડ મારફત આપે છે, જેનો ઉદ્દેશ્ય સેવાકીય હોવો જોઈએ, તેના બદલે છેલ્લા બે-ત્રણ દાયકાથી પોતાને અનુકૂળ ન હોય તેવી અન્ય દેશોની સરકારોને ઉથલાવા માટે થયો હોવાના ઘટસ્ફોટ પછી એટલું જરૂર કહી શકાય કે સૌરાષ્ટ્ર હોય કે ગુજરાત, દેશ હોય કે દુનિયા અને વ્યક્તિ હોય, સંગઠન હોય, સંસ્થા હોય કે દેશ હોય, તેની સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા પહેલા તેને પૂરેપૂરી પરખવીજ પડે તેમ છે, ખરૃં કે નહીં?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે વિવિધ ક્ષેત્રોની ઘણી વાતો ચર્ચાઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા તો પાકિસ્તાન સામે ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે મેળવેલા શાનદાર વિજયની જ થઈ રહી છે. કોઈપણ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોય કે વર્લ્ડકપ હોય, તેમાં ફાયનલ મેચ કરતા પણ વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન સામસામે ટકરાય, તેમાં ફાયનલ મેચ કરતા પણ વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન સામસામે ટકરાય, તેમાં જ હોય છે, આ કારણે જ જે ટુર્નામેન્ટ કે વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન સામેલ હોય અને તેની પરસ્પર મેચ હોય, ત્યારે તેની અલગ ઢબે જ ચર્ચા થતી હોય છે. પાકિસ્તાન હવે ભાગ્યે જ ચેમ્પિયન્સ ટ્રોફીની સ્પર્ધામાં ટકી શકે તેમ હોવાથી તેની હવે પછીની મેચ માત્ર ફાર્મોલિટી બની રહેશે, તેમ કહેવાય છે. વિશ્લેષકો વર્ષ ર૦૧૭ ની ચેમ્પિયન ટ્રોફીનો બદલો ૬ વિકેટે જીતીને ટીમ ઈન્ડિયાએ લઈ લીધો હોવાના અભિપ્રાયો આપી રહ્યા છે, અને આજે ન્યુઝીલેન્ડ જીતે તો પાકિસ્તાન આ સ્પર્ધામાંથી બહાર થઈ જશે, તેવા તારણો કાઢવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે વિરાટ કોહલી મૂળ ફોર્મમાં આવી ગયો અને ટીમ ઈન્ડિયાનો વિજય વધુ નિશ્ચિત બનાવી દીધો, તેની સૌથી વધુ પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યાની કિંમતી રિસ્ટ વોચ પણ ક્રિકેટ રસિયાઓના ચર્ચાનો વિષય છે!
જામનગરમાં પણ પાકિસ્તાન સામે ભારતીય ટીમના વિજયની ઉજવણી થઈ અને ફટાકડા ફૂટ્યા તો રાજકોટ, અમદાવાદ, સુરત, ભરૂચ, ભૂજ, જૂનાગઢ, ઉપરાંત રાજ્યભરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ અન્ય લોકોએ પણ જુદી જુદી રીતે ઉજવ્યો.
ટીમ ઈન્ડિયાના વિજયને નેતાઓએ પણ રાજકરણને બાજુ પર મૂકીને એક સૂરે વધાવ્યો અને રાહુલ ગાંધી, અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે, મમતાબેનર્જી પુષ્કરસિંહ ધામી સહિતના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાના વિજયને વધાવીને અભિનંદન વરસાવ્યા છે. આજે સોશિયલ મીડિયામાં તો ટીમ ઈન્ડિયા અને ગઈકાલની મેચના વિજયમાં સહભાગી થયેલી આખી ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ખાસ કરીને 'વિરાટ' સદીની મૂકતકંઠે પ્રશંસા થઈ રહી છે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું એક અલગ જ મહત્ત્વ પણ છે, જો કે વર્ષ ર૦૧૮ થી ર૦રપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે જુદી જુદી આંતરરાષ્ટ્રીય કક્ષાની ૬ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ, તેમાં ક્યારેય પાકિસ્તાનની ટીમ જીતી શકી નથી.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા યોજાતી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને ક્રિકેટના વર્લ્ડકપ પછીની સૌથી મોટી વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાત્મક શ્રેણી ગણવામાં આવે છે, જેથી તેને મીની વિશ્વકપ પણ ગણવામાં આવે છે.
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વર્ષ ૧૯૯૮ થી અત્યાર સુધીમાં દ. આફ્રિકા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ભારત ચેમ્પિયન બન્યા છે, જ્યારે વર્ષ ર૦૦ર માં આ ટ્રોફી તે સમયના સંજોગો મુજબ ભારત અને શ્રીલંકાને સંયુક્ત રીતે મળી હતી. આ ઉપરાંત ભારત બે વખત રનર્સ-અપ એટલે કે દ્વિતીય ક્રમે પણ રહી હતી. દર બે વર્ષે યોજાતી આ સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ દર બે વર્ષે યોજાય છે અને પ્રત્યેક સ્પર્ધાત્મક શ્રેણીની યજમાની અલગ-અલગ દેશ કરે છે. આ વખતે પાકિસ્તાન યજમાન છે, જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો યુએ (દુબઈ) માં યોજાતી હોય છે. ગઈકાલની વન-ડે ક્રિકેટ મેચ પણ દુબઈમાં યોજાઈ હતી. આજે બોલિવૂડ, ગોલિવૂડના દિગ્ગજો, ક્રિકેટ ઉપરાંત અન્ય ક્ષેત્રના ગોલ્ડમેડલિસ્ટો, સહિતના ખ્યાતનામ ખેલાડીઓ, સેલિબ્રિટીઝ અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના દિગ્ગજો દ્વારા પણ ભારતીય ટીમને અભિનંદન અપાઈ રહ્યા છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતીયોનો જુસ્સો અને માત્ર ક્રિકેટરસિયા જ નહીં, અન્ય દેશવાસીઓની જનભાવનાઓ પણ દર્શાવે છે.
વર્ષ ર૦૧૭ માં આઈસીસી ચેમ્પીયન્સ ટ્રોફીની ફાયનલ મેચમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતાં, ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. પાકિસ્તાને ચાર વિકેટે ૩૩૮ રન બનાવ્યા હતાં, જેની સામે ટીમ ઈન્ડિયા માત્ર ૩૦.૩ ઓવરમાં ૧પ૮ રને સમેટાઈ ગઈ હતી, અને પાકિસ્તાન ૧૮૦ રને જીત્યું હતું. તે સમયે સમગ્ર દેશના ક્રિકેટપ્રેમીઓમાં હતાશા ફેલાઈ ગઈ અને આક્રોશ વ્યક્ત થઈ રહ્યો હતો. તે પછી પાકિસ્તાન જુદી જુદી ટુર્નામેન્ટોમાં અડધો ડઝન જેટલી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ પાકિસ્તાનને ૬ વિકેટે માત્ર ૪૩ ઓવરમાં જ હરાવીને ભારતે વિજય મેળવ્યો, તેથી વર્ષ ર૦૧૭ ની કારમી હારનું સાટુ વળી ગયું છે, ખરૃં કે નહીં?
હાર જીત કોઈપણ રમતનો એક ભાગ હોય છે, અને તેનો સહર્ષ સ્વીકાર કરવો જ પડે, પરંતુ ભારત અને પાકિસ્તાનનો બ્રિટિશ ઈન્ડિયા વખતે જે ટીમ હતી, તેમાંથી જ નીકળેલી સહોદર ટીમો છે, તે ઉપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય ભાવનાઓ ભળી જતી હોવાથી હંમેશાં રોમાંચક બની રહેતી હોય છે, જો કે આ બન્ને પ્રતિસ્પર્ધી ટીમોના ખેલાડીઓ વચ્ચેના સંબંધો હંમેશાં મોટાભાગે ઉષ્માભર્યા જ રહ્યા છે. આવો, આપણે ટીમ ઈન્ડિયાના વિજયને વધાવીએ... પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને તથા સમયસર સદી ફટકારવા બદલ વિરાટ કોહલીને ખૂબ ખૂબ અભિનંદન... દશેરાના દિવસે ઘોડું દોડ્યું ખરૃં...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુજરાતના ઊર્જા મંત્રીએ વિધાનસભામાં સ્માર્ટ વીજમીટરો ફરજિયાત હોવા અંગે ચોખવટકર્યા પછી તેના રાજ્યવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ૩૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી આપવા અંગે થઈ રહેલી ચર્ચાઓના સંદર્ભે સ્પષ્ટ કહી દીધું છે કે ગુજરાતમાં ફ્રી વીજળી આપવાની કોઈ જ યોજના નથી, જો કે તેમણે કહ્યું કે સૂર્યઘર યોજના હેઠળ સોલાર ઊર્જાનો વપરાશ કરીને વીજળીનું બીલ જરૂર બચાવી શકાય છે.
દિલ્હીમાં સત્તા પરિવર્તન પછી કેજરીવાલે શરૂ કરેલી 'ફ્રી'ની યોજનાઓ હવે કેટલો સમય ચાલુ રહેશે, તે અંગે પણ અટકળો થવા લાગી છે. ભાજપ સરકારની પહેલી જ કેબિનેટમાં મહિલાઓને રૂ. રપ૦૦ ચૂકવવાનો ઠરાવ ન થયો, તેને લઈને પણ ટીકા થવા લાગી છે. 'આપ'ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ આ અંગે સવાલો પણ ઊઠાવ્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ યોજના બંધ નહીં થાય' તેવી વાતો કરી હતી. તેના કારણે હાલ તુરત તો 'ફ્રી'ની યોજનાઓ ચાલતી રહેશે, પરંતુ સમય જતાં તેમાં ફેરફાર થાય, તો નવાઈ જેવું નહી હોય. દિલ્હીમાં પણ હવે સૂર્યઘર યોજનાનો વ્યાપ વધારીને ફ્રી વીજળી ઉપરાંત વધારાની વીજળી વેંચીને આવક ઊભી કરવાની તકો અંગે ત્યાંની જનતાને વિશ્વાસમાં લઈને ધીમે ધીમે ફ્રી વીજળીની યોજના પર પૂર્ણવિરામ મૂકી દેવાની રણનીતિ ઘડાઈ રહી હોવાના સંકેતો રાજકીય અંતરંગ વર્તુળોના માધ્યમથી મળી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે જોઈએ, આગળ શું થાય છે તે...
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, રાજ્યમાં વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. મોબાઈલ ફોનની જેમ જરૂરિયાત મુજબ રિચાર્જ કરાવીને વીજળીનો વપરાશ થઈ શકે અને ઊર્જા બચત થઈ શકે. એટલું જ નહીં, ઠેર-ઠેર જુદી જુદી તરકીબો અજમાવીને થતી વીજચોરી અટકાવવા તથા બાકી બીલોની વસૂલાતની પ્રક્રિયા તથા તેના સંદર્ભે લાંબી ચાલતી કાનૂની કાર્યવાહીઓથી બચી શકાશે, તેવો દાવો પણ સરકારે કર્યો છે, જેની સામે વિપક્ષના નેતાઓએ સવાલો ઊઠાવ્યા છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો હતો કે સાદા મીટરથી લોકોને ફાયદો હતો, પરંતુ સ્માર્ટ મીટર લગાવાશે, તો લોકોને વીજળીનું બીલ વધુ ભરવું પડશે. તેમણે એવો આરોપ પણ લગાવ્યો છે કે સરકારે વગરવિચાર્યે અને કોઈપણ પૂર્વ આયોજન વગર કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર ઉતાવળે ખરીદી લીધા છે, તેથી હવે સરકાર ઘરવપરાશની વીજળી માટેના વર્તમાન મીટરો બદલાવીને 'ધરાર' નવા સ્માર્ટ મીટરો લગાવવાની જીદ પકડી રહી છે.
જો કે, ઊર્જા વિભાગના વર્તુળો તથા ટેકનિકલ જાણકારો સ્માર્ટ મીટર વીજકંપની તથા ગ્રાહકો-બન્નેને લાભકર્તા હોવાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. વીજળીના બીલો ભરવા કતારોમાં ઊભવું પડે અને તેના માટે વધારાનો ટાઈમ કાઢવો પડે, તે ઝંઝટમાંથી પણ ગ્રાહકોને મુક્તિ મળશે. સરકારને પણ એડવાન્સ મીટરિંગ સિસ્ટમના કારણે વીજપુરવઠાની માંગને અનુરૂપ પુરવઠો જાળવવાનું આયોજન કરવામાં સરળતા રહેશે, અને એક તરફ વીજકંપનીની આવક વધશે, તો બીજી તરફ ગ્રાહકોને પણ ફાયદો થશે, તેમ જણાવાઈ રહ્યું છે.
સ્માર્ટ મીટર ફરજિયાત હોવાના ઊર્જા મંત્રીના નિવેદન પછી જામનગર સહિતના કેટલાક શહેરોમાં વિરોધ થઈ રહ્યો હતો, ત્યાં આ મુદ્દે કોઈ આંદોલન થાય કે સામૂહિક રજૂઆતો થાય કે પછી અદાલતના દ્વાર ખખડાવાય, તેવી સંભાવનાઓ ઉપરાંત જ્યાં અત્યાર સુધી વિરોધ થઈ રહ્યો નહોતો, તેવા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણગણાટ શરૂ થઈ ગયો હોવાના અહેવાલો પણ હવે આવવા લાગ્યા છે. એકંદરે રાજ્ય સરકારે કાં તો સ્માર્ટ મીટર મરજિયાત રાખવા જોઈએ, અથવા લોકોની શંકાઓ દૂર કરવી જોઈએ, ખરૃં ને?
ગુજરાતમાં વીજલાઈનો બિછાવાઈ, તે સમયે તો દેશી મીટરો હતાં. લાંબો સમય ચકરડીવાળા વીજમીટરો વપરાયા, અને તેમાં ચેડા કરીને વીજચોરીની બદી વધવા લાગી, તે પછી ડિજિટલ મીટરો આવ્યા. છેલ્લા બે-અઢી દાયકાથી ડિજિટલ મીટરો વપરાય છે, પરંતુ તે પણ તદ્ન ફૂલપ્રૂફ પૂરવાર થયા નથી, અને તેમાં પણ ચેડાં કરીને અવનવી તરકીબો દ્વારા વીજચોરી થતી જ રહી છે, તે ઓપન સિક્રેટ છે. તેથી હવે નવા સ્માર્ટ વીજમીટરો તદ્ન ફૂલપ્રૂફ હશે અને તેના સંપૂર્ણ અમલ પછી પણ વીજચોરો કોઈ નવી તરકીબ શોધી નહીં કાઢે, તેની કોઈ ગેરંટી ખરી? તે ઉપરાંત 'લંગારિયા' નાંખીને વીજળીનું 'અપહરણ' કરી લેતા વીજચોરોને તો કોઈપણ પ્રકારનું મીટર ક્યાં નડવાનું છે?
વિધાનસભામાંથી શરૂ થયેલી વીજસ્માર્ટ મીટરોની ચર્ચા હવે જ્યારે રાજ્યવ્યાપી બની રહી છે, ત્યારે આ મુદ્દે સરકાર કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું, ખરૃં કે નહીં ?...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુજરાતનું વર્ષ ર૦રપ-ર૬ નું જે બજેટ રજૂ થયું, તેના મિશ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે. શાસક પક્ષ બજેટના વખાણ કરે અને વિપક્ષ ખામીઓ વર્ણવે, તે તો સ્વાભાવિક ગણાય, પરંતુ તટસ્થ વિવેચકો, વિશ્લેષકો તથા જુદા જુદા ક્ષેત્રોના તજજ્ઞો-તદ્વિષયક નિષ્ણાતો દ્વારા તર્કબદ્ધ રીતે બજેટની ખૂબીઓ અને ખામીઓ વર્ણવવામાં આવે, તે વધુ વિશ્વસનિય તથા વિચારપાત્ર ગણાય, ખરૃં કે નહીં.?
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે રૂ. ૩.૭૦ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, તેમાં રાજ્યની જનતાને શું લાભ થયો અને વ્યાપાર-ઉદ્યોગને આ બજેટની કેવી અસરો થશે તે અંગે પડી રહેલા મુખ્ય પ્રત્યાઘાતો જોઈએ તો નાણામંત્રીએ ઉદ્યોગ-વ્યાપાર કે આમ જનતાને સીધો ફાયદો થાય, તેવી બહુ જોગવાઈઓ કરી નથી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો તથા સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારા-વધારા અને કેટલીક નગરપાલિકાના અપગ્રેડેશનની જાહેરાતોને આવકાર પણ મળી રહ્યો છે.
આમ તો જીએસટી અમલી બન્યા પછી રાજ્ય સરકારો (કેન્દ્ર સરકાર) પાસે કરવેરાના ધારાધોરણો નક્કી કરવાના મહત્તમ વિષયો રહ્યા જ નહીં, પરંતુ જીએસટીમાં સમાવિષ્ટ ન થયા હોય, તેવા કરવેરા તથા ચાર્જીસ ઉપરાંત લોક-સુવિધાના કામો, જનકલ્યાણની યોજનાઓ અને નીતિવિષયક બાબતોમાં રાજ્યના બજેટની જનજીવન તથા માર્કેટ પર પ્રત્યક્ષ તથા પરોક્ષ અસરો પડતી જ હોય છે, તે ઉપરાંત રાજ્ય સરકારનું બજેટ ઘણી વખત રાજકીય રીતે શાસક પક્ષને પણ લાભદાયક બનતું હોય છે, તે ઓપન સિક્રેટ જ છે ને?
સામાન્ય રીતે બજેટ આખા રાજ્યનો સમતોલ વિકાસ થાય, તમામ વર્ગો, પ્રદેશો તથા વયજુથોને સમાન ધોરણે ફાયદો થાય તથા ખૂટતી સુવિધાઓની પૂર્તિ થાય અને વિકાસની ગતિ વધુ વેગીલી બને તેવા કોન્સેપ્ટ સાથે રજૂ થતું હોય છે, પરંતુ ઘણી વખત આગામી ચૂંટણીઓમાં લાભ થાય, તે પ્રકારના ગણિત માંડીને પણ બજેટમાં કેટલીક જોગવાઈઓ થતી હોય છે, ખરૃં કે નહીં?
બજેટ રજૂ થાય, એટલે આપણાં વિસ્તારને તેમાંથી શું શું મળ્યું છે, તેની ચર્ચા પણ થતી જ હોય છે. કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં રાજ્યની ૬૯ નગરપાલિકાઓના અપગ્રેડેશનની જોગવાઈ કરવામાં આવી છે, તેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે. બજેટમાં રૂ. ૯૩ હજાર કરોડથી વધુના ખર્ચે ૧૧૧૦ કિલોમીટરના જે નવા એક્સ્પ્રેસ-વે બનવાની જોગવાઈ છે, તેમાં ર૧૦ કિલોમીટરના રાજકોટ-દ્વારકા લીંક એક્સપ્રેસ-વે માટે રૂ. ૧૭ હજાર કરોડથી વધુની મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત ટુરિઝમ તથા કૃષિ-સિંચાઈને લગતી કેટલીક જોગવાઈઓ તથા નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ૩૪૦૦ કરોડની જોગવાઈનો પરોક્ષ ફાયદો હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રને થવાનો છે. તે ઉપરાંત મત્સ્યોદ્યોગ વિકાસના ક્ષેત્રે રૂ. ૧૬રર કરોડની જોગવાઈનો ફાયદો પણ જે માછીમારોને થશે, જેમાં મહત્તમ માછીમારો હાલાર સહિત સૌરાષ્ટ્રના હશે.
જો કે, વિપક્ષોએ ગુજરાતના બજેટથી સામાન્ય જનતા કે ઉદ્યોગ-વ્યાપારને કોઈ લાભ થવાનો નથી, તેમ જણાવીને કનુભાઈ દેસાઈના બજેટને દિશાહીન અને નિરાશાજનક ગણાવ્યું છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણીલક્ષી ગણતરીઓ રાખીને આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સરકારે તત્પરતા દેખાડી છે, અને શહેરી વિસ્તારો માટે ૪૦ ટકા વધુ ફાળવણી કરાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોને અન્યાય કરાયો છે. મોટી મોટી વાતો કર્યા પછી સ્ટાર્ટ-અપ માટે અપેક્ષા મુજબની જોગવાઈ કરાઈ નથી. સેમિકન્ડક્ટરના સેમિનારો યોજાય, તેમાં મોટા મોટા ભાષણો અને દાવાઓ કરવામાં આવે, પરંતુ બજેટમાં સેમિકન્ડક્ટરને રાજ્ય કક્ષાએ પ્રોત્સાહન મળે તેવી કોઈ જોગવાઈ કરાઈ નથી. ટેક્સટાઈલ ઉદ્યોગ અને ફાર્મા સેક્ટરને પણ આ બજેટમાંથી નિરાશા જ હાથ લાગી છે, વગેરે...
જો કે, કેટલીક જોગવાઈઓને લોકોનો આવકાર પણ મળી રહ્યો છે. જેમાં પ્રાકૃતિક ખેતી માટે રૂ. ૪૦૦ કરોડ, આવાસ યોજનાના લાભાર્થીને રૂ. પ૦ હજાર જેટલી વધુ સહાયની જોગવાઈ, કૃષિ યંત્રો માટે રૂ. ૧પ૦૦ કરોડની જોગવાઈ, નવી સખી સહાય યોજના, ચાર ડિવિઝનમાં એ.આઈ હબ, બાળપોષણની જોગવાઈમાં વધારો, ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના, રૂ. પ૦ હજાર કરોડનું 'વિકસિત ગુજરાત' ફંડ, પાંચ રિજિયોનલ ગ્રોથ હબ, બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે તથા ડઝનેક હાઈ-સ્પીડ કોરિડોર તથા કેટલાક ટુરિઝમ ડેવલ્પમેન્ટ પ્રોજેક્ટોની જાહેરાતોને લઈને એકંદરે પોઝિટિવ પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે.
બીજી તરફ માતૃભાષા દિનની ઉજવણીની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાના ઉપયોગને લઈને માંગણી વધુ તીવ્ર બની રહી છે, અને વકીલો દ્વારા ધરણાં જેવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે, ત્યારે આ જટિલ મુદ્દે ઉભય પક્ષે વ્યવહારૂ ઉકેલ લાવવાના પ્રયાસો થાય, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ ર૦રપ-ર૬ નું અંદાજપત્ર રજૂ થયું. તે પહેલા ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રવચન સાથે બજેટ સત્રનો પ્રારંભ થયો હતો, અને તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ પરિસરમાં જ સરકાર વિરોધી દેખાવો કર્યા હતાં. આજે રાજ્ય સરકારના બજેટના પ્રત્યાઘાતો આવવાના શરૂ થાય, તે પહેલા જ કેટલાક અંદાજો તથા ધારણાઓ પણ બહાર આવી હતી, 'હવે શું?'
આ પહેલા ગઈકાલે જામનગર મહાનગરપાલિકાનું બજેટ મંજુર થયું અને તેમાં જામનગરની જનતા પર લગભગ સાડાચાર કરોડ જેવો કરબોજ વધારી દેવામાં આવ્યો, તેના પણ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
જામ્યુકોના વર્ષ ર૦રપ-ર૬ ના રૂ. ૧૮૧૯ કરોડ જેટલી રકમના બજેટમાં રૂ. ૧પર૬ કરોડનો ખર્ચ સૂચવાયો છે, અને વોટર ચાર્જ, કચરા કલેક્શન કર તથા ટાઉનહોલના ભાડામાં વધારો કરીને નગરજનો પર રૂપિયા સવાસાત કરોડનો નવો કરબોજ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જનરલ બોર્ડમાં નવું સ્મશાન, સુભાષ માર્કેટ મરામત, શ્વાનનું ખસિકરણ, રખડતા ઢોર, વરસાદી પાણીના વોંકળા, રમતગમતનું મેદાન, જન્મ-મરણના દાખલા, એનિમલ હોસ્પિટલ, તળાવ-બગીચાઓમાં ફ્રી એન્ટ્રી વગેરે મુદ્દે વિપક્ષના કોર્પોરેટરોએ તડાપીટ બોલાવી હતી, અને મનપાના તંત્ર દ્વારા કેટલાક જવાબો અપાયા હતાં, પણ 'હવે શું?'
આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે, તેના પર વિધાનસભામાં વ્યાપક ચર્ચા-પરામર્શ થશે. વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર પણ ચર્ચા થશે, અને બજેટની પૂરક માંગણીઓ માટે પણ વિધાનસભાની બે બેઠકો યોજાશે. બજેટ સત્રની ૧ર બેઠકોમાં બજેટ પર ચર્ચા અને મતદાન પછી વર્ષ ર૦રપ-ર૬ ના બજેટને આખરી ઓપ મળશે, અને આ અંદાજપત્ર વર્ષ ર૦રપ-ર૬ ના પ્રારંભે પહેલી એપ્રિલ ર૦રપ થી લાગુ થશે. આજે રજૂ થયેલું અંદાજપત્ર આપણી સામે જ છે. વર્ષ ર૦ર૪-રપ માં રૂ. ૩.૩ર લાખ કરોડનું બજેટ રજૂ થયું અને કોઈ નવા કરવેરા નાંખ્યા નહોતાં. આજે બજેટ રજૂ થયા પછી પણ એવો સવાલ ગૂંજી રહ્યો હતો કે 'હવે શું?'
ગઈકાલે વિધાનસભાના બજેટસત્રને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાબેતામુજબ રાજ્ય સરકારની પ્રશંસા કરી અને સિદ્ધિઓ વર્ણવી. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટેના 'જ્ઞાન' સૂત્રનો ઉલ્લેખ કરીને રાજ્યપાલે વર્ષ ર૦ર૭ સુધીમાં વિકસિત ગુજરાતનો રોડમેપ રજૂ કર્યો હતો. તે ઉપરાંત રાજ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટાસ્કફોર્સની રચના, વિકાસ પ્રોજેક્ટો, સુશાસન દિવસ, ટેકનોલોજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસની ગતિશીલતા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
સામાન્ય રીતે રાજ્યપાલની સ્પીચ રાજ્ય સરકારના તંત્ર દ્વારા તૈયાર થતી હોય, કે તંત્રે આપેલા ડેટા આધારિત હોવાથી તેમાં રાજ્યનું ફૂલગુલાબી ચિત્ર રજૂ થાય, તે સ્વાભાવિક છે અને તેમાં ઓફિશ્યલ ડેટાનો આધાર લેવાતો હોવાથી કેટલીક તથ્યપૂર્ણ હકીકતો પણ સામેલ હોય છે, પરંતુ કેન્દ્રિય નીતિ આયોગના તાજેતરના એક રિપોર્ટે કેટલીક બાબતોમાં થયેલા મોટા મોટા દાવાઓની પોલ પણ ખોલી નાંખી છે.
કેન્દ્રિય નીતિ આયોગે વર્ષ ર૦ર૩ ના ડેટા પર આધારિત તાજેતરમાં જ જાહેર કરેલા ફિસ્કલ હેલ્થ ઈન્ડેક્સ-ર૦ર૪ ના રિપોર્ટ મુજબ ગુજરાત એક અંક પાછળ ધકેલાયું છે, અને નાણાકીય વ્યવસ્થાપનની દૃષ્ટિએ ગુજરાતનો સ્કોર બે ટકા જેટલો ઘટ્યો છે, અને ગુજરાત દેશના ૧૮ મોટા રાજ્યોમાં પાંચમા નંબરે હતું, તેમાંથી છઠ્ઠા ક્રમે ધકેલાયું છે. બજેટ ટાણે જ બહાર આવેલી આ હકીકત રાજ્યની કથળેલી અર્થવ્યવસ્થા દર્શાવે છે. વર્ષ ર૦૧૪-૧પ થી વર્ષ ર૦૧૮-૧૯ ના સમયગાળાની તુલનામાં વર્ષ ર૦૧૪-૧પ થી વર્ષ ર૦ર૧-રર ના સમયગાળામાં ગુજરાતનો રેન્ક ઘટ્યો હતો, પરંતુ વર્ષ ર૦રર માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછીનો તુલનાત્મક રેન્ક હવે વર્ષ ર૦ર૬-ર૭ માં નક્કી થશે, પરંતુ અત્યારે ગુજરાતની પીછેહઠ દર્શાવાઈ રહી હોવાથી એવો સવાલ ઊઠે છે કે હવે શું?
કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં મધ્યમવર્ગ તથા નોકરિયાતોને ફાયદો થયો, પરંતુ ટ્રમ્પે રોન કાઢી અને કહી દીધું કે ભારત પૈસાવાળું છે, તેને સહાયની જરૂર જ નથી. તેમણે ટેરિફ તથા ગેરકાયદે રહેતા ભારતીયોની અપમાનજનક હકાલપટ્ટીના મુદ્દે પણ ભારત માટે કોઈ પ્રકારનું કુણુ વલણ અપનાવ્યું નથી, તેથી સવાલો ઊઠ્યા છે અને ભારતની વિદેશનીતિની આલોચના પણ થવા લાગી છે, તેથી સવાલ ઊઠે છે કે, હવે શું?
દિલ્હીની જનતાએ તો ભાજપને જનાદેશ આપ્યો, પરંતુ મુખ્યમંત્રી નક્કી કરતા ભાજપને વાર લાગી અને તેની ટીકા પણ થઈ. હવે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા પછી તેની સામે પડકારો વધવાના છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાં હતાશા છે, અને કોંગ્રેસ પણ કેજરીવાલની વિદાયથી ખુશ છે, પરંતુ દિલ્હી ભાજપમાં બધું બરાબર નહીં હોવાના અહેવાલો વચ્ચે દિલ્હીમાં એલ.જી. (લેફટનન્ટ ગવર્નર) ની મનમાની ચાલશે કે નહીં તેવા સવાલો ઊઠ્યા છે, તેથી દિલ્હીમાં ત્રિપાંખિયો જંગ ખેલેલા ત્રણેય રાજકીય પક્ષોમાં પણ 'હવે શું થશે?' એવો સવાલ જ ગૂંજી રહ્યો છે. ટૂંકમાં દ્વારકાથી દિલ્હી સુધી અને નગરથી નેશન સુધી રાજકીય હલચલ વચ્ચે બજેટની મોસમ છે, ત્યારે જ ચોતરફ એક જ સવાલ ગૂંજી રહ્યો છે કે, 'હવે શું?...'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યભરમાં ભારતીય જનતા પક્ષનો સપાટો બોલ્યો અને હાલારની ૬ માંથી પ નગરપાલિકા ભાજપે જીતી લીધી, તેથી સ્વાભાવિક રીતે જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ આટલી ઝળહળતી સફળતા મળ્યા પછી રાષ્ટ્રીય નેતાગીરીએ પણ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. આ ઘટનાક્રમની સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલે જે સંકેતો આપ્યા છે, તે જોતા ટૂંક સમયમાં તેના સ્થાને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ નિમાશે, તે નક્કી છે, પરંતુ તે કોણ હશે? તે અંગે તો માત્ર અટકળો જ કરવી રહી.
'સોનાની થાળીમાં લોઢાની મેખ'ની કહેવતની જેમ ભાજપ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા અને પોરબંદર જિલ્લાની કુતિયાણા-રાણાવાવ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષને જબરો ઝટકો પણ લાગ્યો છે. સલાયામાં કોંગ્રેસનો પંજો પડ્યો, અને વિપક્ષમાં પણ આમ આદમી પાર્ટીને જનાદેશ મળ્યો. એટલું જ નહીં, ભાજપને એક પણ બેઠક મળી નહીં, તેથી હાલારમાં અન્યત્ર ભાજપને થયેલી સફળતા ઝંખવાઈ ગઈ અને ચંદ્રમામાં દેખાતા ડાઘની જેમ આ નગરપાલિકા રાજ્યવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ, તેના કારણો પણ 'ઓપન સિક્રેટ' જ છે ને? કેટલાક સ્થળે વિપક્ષની આ સફળતાની ઉજવણી બુલડોઝર અને જેસીબીમાં (જોખમી ઢબે) ચડીને કરાઈ, તે શું સૂચવે છે?... સમજદાર કો ઈશારા બહોત...
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલીક બેઠકો બસપાને પણ મળી છે, જ્યારે દિલ્હીમાં પછડાટ પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળેલી કેટલીક બેઠકોના કારણે થોડી રાહત તે પાર્ટીને પણ થઈ જ હશે, પરંતુ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં ફાવી ગયેલા પ્રાદેશિક પક્ષોના કારણે વિપક્ષની હાજરી તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રહેશે, તેવું માનીને ઘણાં લોકો મન પણ મનાવી રહ્યા છે.
જો કે, સૌરાષ્ટ્રમાં સાયકલ દોડી અને કુતિયાણા-રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને સત્તા મળી, તેથી કોંગ્રેસ પણ ખુશ હશે. સલાયા અને કુતિયાણા-રાણાવાવમાં ભાજપને લાગેલો જબરો ઝટકો આજે સૌથી વધુ ચર્ચામાં છે, અને આ સફળતાઓની પાછળ કાંધલ જાડેજા તથા વિક્રમભાઈ માડમની રણનીતિ કામ કરી ગઈ હોવાની ચર્ચા પણ ન્યૂઝ ચેનલો તથા મીડિયામાં થઈ રહી છે.
એવું કહેવાય છે કે કુતિયાણા અને રાણાવાવની સફળતા માટે કાનાભાઈ જાડેજાએ પોતાના મોટાભાઈ કાંધલ જાડેજાને યશ આપ્યો છે, તે નક્કર હકીકત છે. અખિલેશ યાદવ કે સમાજવાદી પાર્ટીને નહીં પણ આ નગરોમાં વ્યક્તિગત રીતે કાંધલ જાડેજા જ જીત્યા છે, અને તેની આ લોકપ્રિયતાના કારણો પણ અલગથી ચર્ચાઈ રહ્યા છે, અને આ સફળતાને કેટલાક વિશ્લેષકો ભાજપની લાંબાગાળાની ચતૂરાઈભરી રણનીતિ પણ ગણાવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાજપે ૩૦ માંથી ર૬ નગરપાલિકામાં વિજયનો વાવટો ફરકાવ્યો, પરંતુ જ્યાં પરાજય થયો, ત્યાં હારી જવાના કારણોનું ભાજપ પોસ્ટમોર્ટમ કરશે, એવું પણ બની શકે કે કોંગ્રેસે કેટલાક સ્થળે સબળ અપક્ષો તથા સાથીદાર વિપક્ષના ઉમેદવારોને જીતાડ્યા. ગુપ્ત સમજુતિ કરી હોય, તેવી જ રીતે ભાજપે પણ કુતિયાણા-રાણાવાવમાં લાંબાગાળાની રણનીતિના ભાગરૂપે 'મોટું મન' રાખ્યું હોય!
કેટલાક જમીની તજજ્ઞો-વિચારકોના મંતવ્યો એવા પણ છે કે પોરબંદરની લોકસભા બેઠક મટે ભાજપ પાસે કોઈ સ્થાનિક સક્ષમ નેતા નહીં હોવાથી પડોશી જિલ્લાઓ કે અન્ય સ્થળેથી આયાતી ઉમેદવારો મૂકવા પડે છે. આ સમસ્યા દૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂૂર કરવા સ્થાનિક કક્ષાએ 'દિગ્ગજ' અને લોકપ્રિય ચહેરો સ્થાપિત કરવાના આશયથી ભાજપના ચાણક્ય નેતાએ કોઈ ઊંડી રણનીતિ ઘડી હોય, આવું તારણ કાઢવા પાછળનો તર્ક એવો રજૂ થઈ રહ્યો છે કે કાંધલ જાડેજાએ એનસીપીના ધારાસભ્ય હોવા છતાં ભાજપ તરફી ઝોક રાખ્યો છે, તેથી સમાજવાદી પાર્ટીના નિશાન પર કાંધલ જાડેજાને સપોર્ટ કરીને તથા તેના ભાઈને સુધરાઈ કક્ષાનું પ્લેટફોર્મ આપીને ભાજપે બાબુભાઈ બોખિરિયા તથા અર્જુનભાઈ મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓને પરોક્ષ રીતે કોઈ 'સંદેશ' પણ આપ્યો હોઈ શકે છે. ગઈકાલે પરિણામો પછી કાંધલ જાડેજાનું કથિત ભાજપ તરફી નિવેદન પણ ચર્ચામાં જ છે ને?
સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો હોવા છતાં સૌથી વધુ ચર્ચા સલાયા, રાણાવાવ અને કુતિયાણાની થઈ રહી છે, જ્યારે જામજોધપુરમાં ત્રિપાંખિયા જંગમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે, તેવી અટકળો પણ ખોટી પડી છે. એકંદરે આ તે વખતે જનતાએ ક્યાં કોને જીતાડવા, ક્યાં કોને હરાવવા અને ક્યાં કોને પછાડવા (અને એક પણ બેઠક ન જીતવા દેવી) તે અંગે પહેલેથી જ મન બનાવી લીધું હતું, તેમ નથી લાગતું?
હવે વિજયના મદમાં કે સત્તાના ઘમંડમાં રાચવા બદલે મળેલા જનાદેશ મુજબ જ્યાં જેને જનાદેશ મળ્યો છે, તે પક્ષો અને ઉમેદવારોએ સક્રિય અને લોકલક્ષી અભિગમ સાથે લાગી જવું જ પડશે, કારણ કે જો છેતરાયા હોવાની અનુભૂતિ થશે, તો મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં 'મન' અને 'મત' બન્ને બદલી નાંખશે... સાવધાન!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે હાલાર સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. સ્વાભાવિક રીતે જ જેનો વિજય થાય, તે ખુશ થાય અને તેના સમર્થકો-કાર્યકરો દ્વારા વિજયના વધામણા થાય અને જેનો પરાજય થયો હોય ત્યાં થોડી નિરાશા વ્યાપે, પરંતુ આપણે ત્યાં લોકશાહી એટલી પૂખ્ત થઈ છે કે પરાજય પછી હારેલા ઉમેદવારો (મોટાભાગે) વિજયી બનેલા ઉમેદવારોને અભિનંદન આપે અને પોતે જનસેવા કરતા રહેશે તેવા પ્રતિભાવો આપે. કેટલીક વખત અપવાદરૂપ આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલતો હોય છે.
મતદાન પૂર્ણ થયા પછી ઘણી બધી અટકળો થઈ હતી, અંદાજો કરાયા હતાં અને ગણિત મંડાયા હતાં. આજે પરિણામો આવ્યા પછી નવેસરથી ગણિત મંડાશે અને નવા સમિકરણો પણ કેટલાક સ્થળે રચાશે. મુખ્યત્વે દ્વિપક્ષિય મુકાબલો હોવા છતાં કેટલાક સ્થળે સબળ અપક્ષ ઉમેદવારો તથા અન્ય રાજકીય પક્ષોએ પણ ઝંપલાવ્યું હોવાથી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઘણી જ મહેનત પણ કરવી પડી હતી, અને આજે આવી રહેલા પરિણામો આપણી સામે જ છે ને?
આજે વિજય મેળવ્યા પછી હવે વિજેતા ઉમેદવારોએ પહેલેથી જ સક્રિયતાથી કામે લાગી જવું પડશે અને ચૂંટણીપ્રચાર દરમિયાન કરેલા વાયદાઓ પૂરા કરવામાં લાગી જવું પડશે. જો આ વખતે મતદારોને છેતરાયા હોવાનો અહેસાસ થશે, તો બે વર્ષ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેના પડઘા પડશે અને ગુજરાત લેવા જતા હવેલી ખોવા જેવો ઘાટ સર્જાશે, તેથી બી કેર ફૂલ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટાભાગે સ્થાનિક મુદ્વાઓ પ્રભાવી રહેતા હોય છે, અને સ્થાનિક કક્ષાની એન્ટી-ઈન્કમબન્સી કે પ્રો-ઈનકમ્બન્સીની પણ અસર થતી હોય છે, તે ઉપરાંત રાજકીય પક્ષોની આંતરિક ખેંચતાણ તથા ભાઈ-ભત્રીજાવાદ તથા ઘણી વખત સ્થાપિત હિતો પણ ભૂમિકા ભજવતા હોય છે, તેથી આ ચૂંટણીઓ વિધાનસભા અને લોકસભની ચૂંટણીઓથી થોડી ભિન્ન હોય છે, જો કે 'ત્રિપલ એન્જિનની સરકાર'વાળો નારો સૌથી વધુ કામ કરી ગયો હોય, તેમ જણાય છે.
આજે પરિણામો આવ્યા પછી પંચાયત-પાલિકાઓમાં જેને સત્તા મળે, તેની જવાબદારી એટલા માટે પણ વધી જવાની છે કે જનાદેશ મળ્યા પછી નગરો-ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી સમસ્યા ઉપરાંત કેટલીક નવી ઊભી થયેલી સમસ્યાઓ તથા લોકોમાં ઊભી થયેલી નવી આકાંક્ષાઓની પૂર્તિ માટે પણ નવા પડકારો ઊભા થવાના છે. એટલું જ નહીં, ચૂંણી સમયે લોકોને આપેલા વચનો પૂરા કરવા માટે મહેનત પણ કરવી જ પડશે, ખરૃં કે નહીં?
આજે હાલારની ૬ નગરપાલિકાની ચૂંટણીનું પણ પરિણામ આવ્યું છે. કેટલીક બેઠકો પર બિનહરિફ પણ જાહેર થઈ હતી. આજે જામજોધપુર, ધ્રોળ, કાલાવડ, દ્વારકા, ભાણવડ અને સલાયા નગરપાલિકાઓ તથા કેટલીક તાલુકા પંચાયતની ખાલી બેઠકોની મતગણતરી પણ થઈ રહી છે. આજે સવારે નવેક વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી અને બપોર થતા સુધીમાં તો ચિત્ર સ્પષ્ટ પણ થવા લાગ્યું હતું.
આજે મગણતરી શરૂ થઈ ત્યારથી જ પાલિકા-પંચાયતો તથા જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત પેટાચૂંટણીઓમાં પણ મહદ્અંશે ભાજપની જ લીડ જોવા મળી રહી હતી, અને કેટલાક સ્થળે કોંગ્રેસ પણ હાજરી નોંધાવી રહી હતી, પરંતુ અત્ર-તત્ર-સર્વત્ર કમળ સોળે કળાએ ખિલી રહ્યું હતું. મતદારોએ ભાજપને ખોબલે-ખોબલે મતો આપ્યા છે, અને જ્યાં ઓછું મતદાન થયું, ત્યાં પણ ભાજપને જ ફાયદો થઈ રહેલો જણાય છે. કેટલાક સ્થળે સપા, બસપા, આપ તથા અન્ય પક્ષોના ઉમેદવારો પણ જીત્યા છે.
જો કે, ભાજપને સલાયા નગરપાલિકા સહિતના કેટલાક સ્થળે ઝટકો પણ લાગ્યો છે. કેટલીક નગરપાલિકાઓમાં કોંગ્રેસને પણ જનાદેશ મળ્યો છે, પરંતુ એકંદરે જોઈએ તો કોંગ્રેસ માટે આ પરિણામો ચિંતાજનક જ નહીં, પરંતુ આત્મચિંતનનો સંકેત આપનારા પણ ગણાય, ખરૃં ને?
કેટલાક સ્થળે ભાજપને લાંબા સમયે જનાદેશ મળ્યો છે, તો ઘણાં સ્થળે અપસેટ અને અપવાદો પણ સર્જાયા છે, પરંતુ એકંદરે સાર્વત્રિક ભાજપનો જ દબદબો રહ્યો છે, જેને વિશ્લેષકો પ્રો-ઈન્કમ્બન્સી નહીં, પરંતુ વિપક્ષોની કમજોરી તથા ગુજરાતમાં જળવાઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની ફલશ્રૂતિ ગણાવે છે, જો કે કેટલીક નગરપાલિકાઓમાં બસપા, સમાજવાદી પાર્ટી, આપ અને કોંગ્રેસને મળેલી સરસાઈ તેમાં અપવાદ છે.
હાલારમાં પહેલેથી જ અનુમાનો થઈ રહ્યા હતાં, તે મુજબના પરિણામો આવી રહ્યા છે. જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓમાં ભાજપની વિજયકૂચના પહેલેથી જ અનુમાનો થઈ રહ્યા હતાં, અને સલાયાની સંભાવનાઓ પણ પહેલેથી જ જગજાહેર થઈ ચૂકી હતી.
હવે ટોપ ટુ બોટમ ભાજપનો દબદબો અને 'ત્રિપલ એન્જિનની સરકાર' પર જનતાએ આટલો બધો ભરોસો મૂક્યો છે, ત્યારે ભાજપની જવાબદારી પણ ઘણી વધી ગઈ છે, જો જો... ભરોસાની લાજ રાખજો...હો...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે બહોળા પ્રમાણમાં લોકો ગંગાસ્નાન માટે ત્રિવેણી સંગમ-પ્રયાગરાજ તરફ જઈ રહ્યા છે, અને મહાશિવરાત્રિ સુધીમાં કરોડો લોકો ચારે તરફથી પ્રયાગરાજ તરફ જતા માર્ગો પર જોવા મળવાના છે, ત્યારે માત્ર પ્રયાગરાજ કે ઉત્તરપ્રદેશ સરકાર જ નહીં, પરંતુ પ્રયાગરાજ તરફ જતા દેશભરના મુખ્ય માર્ગો પર તમામ સંબંધિત રાજ્ય સરકારોએ પણ ટ્રાફિક તથા જરૂર પડ્યે તબીબી સુવિધાઓને લઈને પણ વિશેષ પ્રબન્ધો કરવા પડે તેમ છે. એટલું જ નહીં, વાહનચાલકો તથા સ્વયં યાત્રિકોએ પણ વિશેષ સતર્કતા રાખવી જ પડે તેમ છે.
જેમ જેમ મહાશિવરાત્રિ નજીક આવશે, તેમ તેમ માત્ર સડકો, હાઈ-વે, નેશનલ હાઈ-વેઝ જ નહીં, પરંતુ રેલવે તથા હવાઈ માર્ગે પણ ભાવિકો-યાત્રિકો તથા સંલગ્ન સેવાઓ તથા વ્યવસાયોને લગતો ટ્રાફિક ઘણો જ વધવાનો છે, તેને લક્ષ્યમાં લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્ય-કેન્દ્ર સરકારો તથા એનજીઓ-સ્થાનિક તંત્રોએ સુદૃઢ સંકલન સાથે સંપૂર્ણ સક્રિયતા સાથે સાવચેતી તથા સુવિધાઓના તમામ કદમ સમયોચિત રીતે તત્કાળ ઊઠાવવા જોઈએ, તેમ નથી લાગતું?
જ્યારે ભીડ ઉભરવા લાગે તેમ હોય, કે મોટી સંખ્યામાં બુકીંગ થતું હોય, ત્યારે ટ્રાવેલ્સ સંચાલકો, સ્ટેટ બસ સર્વિસો, રેલવે તથા એરપોર્ટસ ઓથોરિટીયે પણ સતત સતર્ક રહીને સંચાલન કરવું જોઈએ, અને જરૂર પડ્યે બુકીંગ અટકાવી કે ઘટાડીને પણ જાહેર સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવું જોઈએ.
પ્રયાગરાજના સંગમ ઘાટ તરફ વધુ પ્રવાહ હોવાથી એકાદ-બે દુર્ઘટના સર્જાઈ હતી અને ભાગદોડમાં ઘણાં લોકોના જીવ ગયા હતંુ. જુદા જુદા સમયે નાની-મોટી આગ દુર્ઘટનાઓ પણ થઈ હતી. તે ઉપરાંત રેલવે સ્ટેશનો તથા બસમથકો પર અભૂતપૂર્વ ધસારો વધી રહ્યો હતો, તેમાંથી બોધપાઠ નહીં લેતા દિલ્હીના એક રેલવે સ્ટેશન પર સર્જાયેલી ભાગદોડની ઘટનામાં ૧૮ લોકોના જીવ ગયા, તેનું જવાબદાર કોણ? તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે.
નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની દુર્ઘટનામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા છે. રેલવે તંત્રે દુર્ઘટના પછી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ખાલી કરાવીને જે રીતે તત્કાળ 'સફાઈ' કરી અને ભાગદોડ પછી મુસાફરોના વિખરાયેલા સામાન તથા બૂટ-ચંપલને હટાવવા તથા લાંબા સમય સુધી અધિકૃત રીતે તંત્ર કે રેલવે મંત્રી તરફથી કોઈ માહિતી જ અપાઈ નહીં, તેથી લોકોમાં આશંકાઓ પણ વધી હતી અને ગભરાટ પણ વધુ ફેલાયો હતો. રેલવે તંત્રે પોતાની ભૂલ છૂપાવવા કરેલા પ્રયાસોના કારણે સ્થિતિ સામાન્ય થવામાં વાર લાગી હોવાના આક્ષેપો પણ થયા છે.
વિપક્ષોએ પણ હવે આ મુદ્દે મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તો સરકારને આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે મોદી સરકાર સત્ય હકીકતો છૂપાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી રેલવે સ્ટેશન પર ઘણાં લોકોના જીવ ગયા તે દુઃખદ છે. રેલવે સ્ટેશનની આ ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયો જોતા એમ લાગે છે કે સરકાર સાચા આંકડા જાહેર કરી રહી નથી. ઘાયલોની દશા ખરાબ હોવા તથા તેઓને સમયસર સારવાર મળી નહીં હોવાના આક્ષેપો પણ ગઈકાલે થયા હતાં.
એવા તારણો નીકળી રહ્યા છે કે, દિલ્હી રેલવે સ્ટેશને થયેલી ભાગદોડમાં રેલવેના સત્તાધીશોની ઘોર બેદરકારી તથા મિસમેનેજમેન્ટજ જવાબદાર છે. રેલવે સ્ટેશનમાં સંબંધિત પ્લેટફોર્મમાં ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા ન હોય, તેમ છતાં જનરલ કોચની સંખ્યાબંધ ટિકિટો આપવી, એ કોઈપણ રીતે તર્કસંગત નહોતું તથા બેકીંગ ઓથોરિટી, રેલવે પોલીસ તથા ટ્રાફિક કંટ્રોલ ઓથોરિટી વચ્ચે કોઈ પ્રકારનું સંકલન જોવા મળ્યું નહોતું. ટ્રેનો મોડી થવી, રદ્ થવી અને પ્રયાગરાજની સ્પેશ્યલ ટ્રેનની જાહેરાત થવી વગેરે મુદ્દે ઊંડી તપાસની જરૂર છે, પરંતુ રેલવેની જ હાઈપાવર કમિટી તટસ્થ તપાસ કરશે ખરી?
ઘોડા છૂટી જાય, તે પછી તબેલાને તાળા મારવાની જેમ આજે પ્રયાગરાજની સ્પેશ્યલ ટ્રેનો ક્યા પ્લેટફોર્મ પરથી ક્યારે ઉપડશે અને મુસાફરોએ ક્યા રસ્તે જવું તેની જાહેરાત (એનાઉન્સીંગ) થઈ રહ્યું છે, પરંતુ આવી જ વ્યવસ્થા પહેલેથી થઈ હોત તો કદાચ ૧૮ જીવ બચી ગયા હોત. રેલવેએ સંબંધિત સ્ટેશનો પર દિવાળી તથા છઠ્ઠના પર્વે જે વિશેષ પ્રબન્ધો થાય છે, તેને અનુસરવાની જરૂર છે, તેમ નથી લાગતું?
હવે કોંગ્રેસે રેલવેમંત્રીનું રાજીનામું માંગ્યું છે અને દિલ્હી દુર્ઘટનાની ઉચ્ચ ન્યાયિક તપાસની માંગણી કરી છે, ત્યારે જોઈએ, હવે શું થાય છે તે...
મહાશિવરાત્રિ સુધી હવે કોઈ દુર્ઘટના ન સર્જાય અને તમામ પરિવહન-સંચાલન અને સંચાલન યોગ્ય રીતે સંપન્ન થાય, તેવું ઈચ્છીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે મતદાન થશે, જેમાં જે નગરપાલિકાઓ, તાલુકા-જિલ્લા પંચાયત માટે ચૂંટણી-પેટાચૂંટણી થવાની છે, ત્યાં પ્રચાર-પડઘમ શાંત થયા પછી ડોર-ટુ-ડોર સંપર્ક ઉપરાંત ખાનગી બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે, અને છેલ્લી ઘડીના ગણિત મંડાઈ રહ્યા છે. આ વખતે ચૂંટણીઓમાં કેટલાક સ્થળોને બાદ કરતા બહુ ઉત્સાહ કે રસાકસી જોવા મળતી નથી, તો કેટલીક એવી બેઠકો પણ છે, જ્યાં પ્રતિષ્ઠાનો જંગ હોઈ, રાજ્ય-કેન્દ્રિય કક્ષાના નેતાઓ પણ પ્રચાર પછી ગોઠવણો કરતા જોવા મળ્યા છે.
આવતીકાલે ચાર હજારથી વધુ મતદાન મથકો પર મતદાન થવાનું છે, અને ચૂંટણીતંત્ર સજ્જ છે, અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ રહ્યો છે, ત્યારે ઘણાં સ્થળે એક જ ઉમેદવાર હોવાથી કેટલીક બેઠકો બિનહરિફ પણ જાહેર થઈ છે, એટલે કે ત્યાંના એકમાત્ર ઉમેદવાર બિનહરિફ વિજેતા થયેલા ગણાશે. રાજ્યની ર૬ પાલિકાઓની ૧૬૭ બેઠકો બિનહરિફ જાહેર થેલી છે, અને તેમાં ૧૬ર નિર્વિરોધ ચૂંટાયેલા ઉમેદવારો ભાજપના છે, એક કોંગ્રેસના ઉમેદવાર પણ બિનહરિફ થયા છે, તો ચાર અપક્ષો પણ નિર્વિરોધ ચૂંટાશે. આ બિનહરિફ થતી બેઠકો માટે પણ મતદાન પહેલાની ઘણી જ રસપ્રદ રીત-રસમો અજમાવતી હોય છે, જે ઓપન સિક્રેટ જ છે ને?
વાતાવરણમાં હવે ક્રમશઃ ઠંડી ઘટી રહી છે, અને બપોરે ઉનાળાનો અહેસાસ કરાવે, તેવી ઉષ્ણતા ધીમે ધીમે વધી રહી છે, તો વહેલી સવારે ઝાંકળ પડે છે. ઠેર-ઠેર છવાયેલા ધૂમ્મસના કારણે વાહન-વ્યવહાર તથા રોજીંદુ જનજીવન પ્રભાવિત થાય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ પ્રારંભમાં ઠંડી (સુસ્તી) પછી છેલ્લા કેટલાક દિવસોથી ગરમી દેખાણી હતી અને હવે મતદાન તથા પરિણામો અંગે અટકળોનું ધુમ્મસ છવાયું છે. આવતીકાલે સૂરજ ઉગશે, મતદાન શરૂ થશે અને ધીમે ધીમે ધુમ્મસ હટી જશે. તા. ૧૮ ફેબ્રુઆરીના મતગણતરી શરૂ થયા પછી ધુમ્મસ તદ્ન હટી જશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે ખરૃં ને?
આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોસમનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છ, અને એકંદરે પ્રચાર કાર્ય શાંતિપૂર્વક સંપન્ન થઈ ગયું છે, જો કે પરીક્ષાઓનો માહોલ છે, તે ઉપરાંત ઘણાં લોકો મહાકુંભસ્નાન કરવા પ્રયાગરાજ ગયા છે, મતદાન પર કેટલી અસર પડશે, તે અભ્યાસનો વિષય છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, અને મતદારોને રિઝવવાના ઉમેદવારોના પ્રયાસ છેલ્લી ઘડી સુધી ચાલી રહ્યા છે, પરંતુ ઘણી બેઠકો પર કાં તો મતદારોમાં ઉત્સાહ જણાતો નથી, અથવા તો એકપક્ષિય મુકાબલો હોય તેમ જણાય છે. કેટલીક નગરપાલિકાઓમાં તો અત્યારથી જ એકપક્ષિય મતદાન થવાનું હોય, તેમ પ્રચારયુદ્ધ બહું થયું નથી, ત્યારે કેટલીક નગરપાલિકાઓમાં ખરાખરીનો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
દ્વારકા જિલ્લામાં સલાયા-ભાણવડ ને દ્વારકા નગરપાલિકાઓમાં ખરાખરીનો જંગ છે, જ્યારે સલાયામાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા હોવાનું કહેવાય છે, જો કે જીતનો દાવો બધા પક્ષો કરતા હોય, તે સ્વાભાવિક છે, પરંતુ આ સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત પણ કેટલાક રાજકીય, રાષ્ટ્રીય તથા સંવેદનશીલ મુદ્દાઓ પણ કામ કરી રહ્યા હોય, તેમ જણાય છે. સલાયામાં તો એઆઈએમઆઈએમ એટલે કે ઓવૈસીની પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. સલાયામાં પહેલા કોંગ્રેસનું શાસન હતું, અને પછી વહીવટદારનું શાસન હતું, જેમાં રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ જેવી સ્થાનિક સ્વરાજ્યોના મુદ્દે પ્રવર્તતો અસંતોષ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, છતાં બહુપાંખિયો જંગ હોવાનું મનાય છે.
ભાણવડમાં પણ ખરાખરીનો જંગ જામવાનો છે,અને અહીં કેબિનેટમંત્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના કાર્યકર જુથો પણ સક્રિય છે. તદુપરાંત મતદારોનો મિજાજ અને ઈન્કમ્બન્સીની ભૂમિકા પણ રહેવાની છે.
દ્વારકાની નગરપાલિકાની ચૂંટણી તો ખુલ્લી કિતાબ જેવી હોય છે, અને ત્યાં ધારાસભ્ય પબુભા માણેક તથા અન્ય સ્થાનિક નેતાગીરીનો પ્રભાવ હંમેશાં દ્વારકા નગરપાલિકા તથા તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં રહેતો આવ્યો છે.
આમ, સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની ચૂંટણીઓમાં બહુપાંખિયો જંગ રહેવાનો છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો છે, જ્યારે સલાયામાં 'આપ' અને ઓવૈસીની પાર્ટીની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહેવાની છે. તમામ સ્થળે એન્ટી-ઈન્કમ્બન્સી કે પ્રો-ઈન્કમ્બન્સીની અસર પણ રહેશે, તેમ જણાય છે.
જામનગર જિલ્લાની ધ્રોળ-કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પણ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત કેટલાક સ્થાનિક પરિબળો તથા પ્રાદેશિક પક્ષો અને અપક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાઓમાં પણ કેટલાક પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી પણ સીધો કે પરોક્ષ રીતે રસ લઈ રહી છે. ધ્રોળ નગરપાલિકા માટે પણ કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સ્થાનિક ધારાસભ્યોના કાર્યકરજુથો સક્રિય છે, જ્યારે કોંગ્રેસ, આપ, સપા-બસપા વિગેરે પાર્ટીઓની નેતાગીરી પણ સક્રિય જણાય છે. જામજોધપુરમાં ધારાસભ્ય હેમતભાઈ ખવાના કાર્યકર જુથો પ્રતિસ્પર્ધી ઉમેદવારોને પરાજીત કરવા પ્રયાસો કરે, તેમાં કેટલી સફળતા મળે, તેના પર ચૂંટણીની ગણતરીઓ મંડાઈ રહી છે. કાલાવડમાં આ વખતે સ્થાનિક મુદ્દાઓને લઈને જ વધુ ચૂંટણી પ્રચાર થયો હતો. અહીં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ગ્રુપ પણ સક્રિય હશે જ ને?
ટૂંકમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભરેલા નાળિયેર જેવી છે અને અટકળોનું બજાર ગરમ છે. કેટલાક સ્થળે તીવ્ર રસાકસીના પણ એંધાણ છે, તો કેટલાક સ્થળે ઉમેદવારોને પોતાના વિજયનો વિશ્વાસ દૃઢ છે. જોઈએ હવે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો