Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એશિયન ડેવલપમેન્ટ બેંકે વર્ષ ર૦ર૬ માટે ફૂગાવાનો અંદાજ ૬.૯ ટકા કરી દેવાયો છે, જે અગાઉ ૪.પ ટકા મૂકાયો હતો. આમ, અઢી ટકાનો વધારો વૈશ્વિક યુદ્ધગ્રસ્ત સ્થિતિના કારણે કરાયો છે. ફૂગાવાનો અંદાજ વધારાયો, તે દેશમાં મોંઘવારી વધવાના સંકેતો આપે છે. સપ્લાઈ ચેઈન ખોરવાઈ જતા ક્રૂડના ભાવો આસમાને પહોંચવાના કારણે ભારતનો જીડીપી પણ ૦.૬ ટકા ઘટીને ૬.૩ ટકા થઈ જશે. આ ગંભીર સ્થિતિને કારણે ઊભી થનારી વિકટ પરિસ્થિતિ અને તેના નિવારણના ઉપાયો અંગે દેશવ્યાપી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને ગઈકાલના વડાપ્રધાને વિવિધ સ્થળે કરેલા ભાષણોમાં પણ આવી રહેલી વધુ વિકટ પરિસ્થિતિની ચિંતા ઝળકી હતી અને તેના માટે સ્વયંશિસ્તનો સંદેશ પણ વડાપ્રધાને દેશવાસીઓને આપી દીધો હતો.
ગઈકાલે જામનગરમાં લાલબંગલા સર્કલમાં થયેલા અભિવાદન પછી વડાપ્રધાને કરેલા સંબોધનમાં ગુજરાતની વિકાસયાત્રા અને ગુજરાતીઓની પ્રશંસાની સાથે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના સંસ્મરણો પણ વ્યક્ત કર્યા હતાં, જેનો ઉલ્લેખ તેઓએ આજના તેઓના સોમનાથના કાર્યક્રમ દરમિયાન કરેલા સંબોધનમાં વિસ્તૃતપણે કર્યો છે. તેઓએ સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારને આઝાદીકાળના મહાપુરુષો સાથે સાંકળીને તથા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રાજેન્દ્રબાબુને બીરદાવીને પરોક્ષ રીતે તે સમયે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારના વિષયે રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાયેલા મત-મતાંતરો તરફ પણ ગર્ભિત સંકેત કરી દીધો હતો. આજે સોમનાથ અને ગઈકાલ રાત્રે જામનગરના પ્રવાસો પહેલા વડાપ્રધાને કર્ણાટક અને તેલંગણાનો પ્રવાસ સંપન્ન કર્યો હતો, અને તેમાં સિકંદરાબાદમાં કરેલા તેમના ભાષણનો એક મોટો હિસ્સો તેઓના ભૂતકાળના 'રાષ્ટ્રજોગ પ્રવચનો' જેવો જણાયો હતો.
ગઈકાલે વડાપ્રધાને સિકંદરાબાદમાં એક જંગી જનસભાને સંબોધન કર્યું, તે દરમિયાન વર્તમાન વૈશ્વિક તંગદિલીનો ઉલ્લેખ કર્યો. પડોશમાં ચાલી રહેલા યુદ્ધોની અસર ભારત પર ઘણી જ વિપરીત અને ગંભીર રીતે પડી છે, જેને 'સંકટની ઘડી' ગણાવીને વડાપ્રધાને કહ્યું હતું કે, અગાઉ પણ જ્યારે જ્યારે સંકટની ઘડી આવી ત્યારે રાષ્ટ્રીય સંકટના સમયે દેશવાસીઓએ સરકારને મજબૂત સમર્થન આપ્યું હતું, અને જરૂર પડ્યે દેશહિતમાં સરકારને સોનાનું દાન પણ કર્યું હતું. અત્યારે સોનાના દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનું અને સોનાના આભૂષણો ખરીદવાનું ટાળવું જોઈએ, અને હુંડિયામણ બચાવવું જોઈએ.
વડાપ્રધાને પ્રવર્તમાન આર્થિક સંકટથી બચવા મેટ્રોરેલમાં સ્થાનિક મુસાફરી કરવા, પેટ્રોલ-ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, વાહનોનો બિનજરૂરી ઉપયોગ બંધ કરવા, ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધારવાનું, વર્ક ફ્રોમ અને વીડિયો કોન્ફરન્સ દ્વારા મિટિંગો તથા કાર્યક્રમોની (કોરોનાકાળની જેમ) વ્યવસ્થાઓ પુનઃ શરૂ કરવા અથવા વિસ્તારવા, વિદેશ પ્રવાસો ટાળવા, ખાદ્યતેલનો વપરાશ ઘટાડીને વિદેશી હુંડિયામણ બચાવવા, ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ અડધોઅડધ ઘટાડવા તથા દેશી ખતરોનો ઉપયોગ વધારવા તથા સૌર ઊર્જાનું ઉત્પાદન વધારવા સહિતના ઉપાયો માટે દેશવાસીઓનો સહયોગ માંગ્યો હતો.
સામાન્ય રીતે દેશવાસીઓને ઉદ્દેશીને કોઈ મોટી ઘોષણા કે અપીલો કરવાની હોય, ત્યારે વડાપ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરતા હોય છે, પરંતુ આ વખતે પૂર્વનિયોજિત કાર્યક્રમોની વચ્ચે વડાપ્રધાને આ પ્રકારની અપીલ કરી, અને તેના સંદર્ભે (તરત જ) ગૃહમંત્રી અમિત શાહ સહિતના રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ પણ તેને ટાંકીને દેશવાસીઓને જુદી જુદી અપીલો કરવા લાગ્યા, તે ઘણું જ સૂચક છે.
વૈશ્વિક તારણો કાઢતી સંસ્થાઓ, યુનો સાથે સંકળાયેલી આર્થિક-વ્યાપારિક તથા સ્વાસ્થ્ય ક્ષેત્રની સંસ્થાઓ તથા વિવિધ દેશોના ગ્રોથરેટ અને ઈકોનોમિના અંદાજો કરતી સંસ્થાઓ દ્વારા અમેરિકા, ઈરાન, ઈઝરાયલ, યુક્રેન, રશિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, લોબેનોન સહિતના દેશોની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં ડામાડોળ થયેલા અર્થતંત્રો અને વ્યાપાર ઉદ્યોગ તથા સપ્લાઈ ચેઈનને મરણોતલ ફટકાઓના કારણે જે ભયાવહ આગાહીઓ થઈ રહી છે તથા અનુમાનો કરાઈ રહ્યા છે, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, અને આ જ ગંભીર સંભાવનાઓનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને 'સ્વયંશિસ્ત' જાળવવાની અપીલ કરી હોય, તેમ જણાય છે. વડાપ્રધાન જે હુંડિયામણ બચાવીને દેશના અર્થતંત્રની મજબૂતી ટકાવી રાખવાની વાત કરી રહ્યા છે, તે જોતા પ્રવર્તમાન સ્થિતિમાં આપણા દેશની ઈકોનોમિ પણ ડગમગાઈ રહી હોવાનો આભાસ થાય છે, અને એવું હોય તો તે આપણાં દેશ અને સરકાર ઉપરાંત આપણા બધા માટે પણ પડકારજનક છે. ઘણાં વિશ્લેષકો ગઈકાલે વડાપ્રધાને કરેલી અપીલોને સમયોચિત ગણીને સંકટના સમયે દેશવાસીઓની એકજુથતાની જરૂર જણાવી રહ્યા છે, તો બીજી તરફ દેશની ઈકોનોમિને પડનારા ફટકાનો સરકારી એકરાર ગણાવીને પ્રવર્તમાન સ્થિતિને પહોંચી વળવામાં સંભવિત નિષ્ફળતાઓની વ્યંગાત્મક ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.
ગઈકાલે વડાપ્રધાને કરેલી અપીલોની ભીતરથી દેશમાં મોંઘવારી ફાટી નીકળશે, તેવી દહેશત વ્યક્ત થઈ રહી હોવાનું માનતા જાણકારોના મતે અત્યાર સુધી (કદાચ ચૂંટણીઓના કારણે) અંકુશમાં રાખવામાં આવેલા પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવોમાં હવે વધારો થશે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતા બધી ચીજવસ્તુઓ મોંઘી થશે, જેથી મોંઘવારીનો માર વધશે. જો સરકારી કંપનીઓ દરરોજ એક હજાર કરોડનું નુક્સાન વેઠીને હકીકતે ભાવો અંકુશમાં રાખતી હોય, તો તે સ્થિતિ દેશના અર્થતંત્ર માટે પણ યોગ્ય નથી, અને તેથી જ કદાચ વડાપ્રધાને પેટ્રોલ-ડીઝલ અને ગેસનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હશે, અને સૌર ઊર્જા સહિતની વૈકલ્પિક ઊર્જા આધારીત સાધનો-યંત્રોનો મહત્તમ ઉપયોગ કરવાની સલાહ આપી હશે.
ટ્રમ્પનો ચીનનો પ્રવાસ નક્કી થઈ ગયો, તે ઘણું જ સૂચક છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સુલેહ કરાવવા નીકળેલું પાકિસ્તાન નિષ્ફળ થઈ રહ્યું છે, ત્યારે ઘણાં વૈશ્વિક વિશ્લેષકો પણ હવે ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ બંધ કરાવવામાં હવે કોઈ વશ્વસનિય અને બન્ને તરફ ખૂબ જ સારા સંબંધો ધરાવતા મધ્યસ્થીની જરૂર જણાવી રહ્યા છે. ઈરાને અમેરિકાના પ્રસ્તાવનો જવાબ આપ્યા પછી યુદ્ધ ખતમ થશે, તેવી આશા જાગી હતી, પરંતુ બન્ને તરફ કેટલાક મુદ્દે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલાતી નથી, ત્યારે આપણાં દેશને પણ લાંબાગાળાની અસરો થવાની છે. ભૂતકાળમાં ખાદ્યાનની સંકટ સમયે એક ટાઈમ ભોજન, યુદ્ધોના સમયે બ્લેકઆઉટ, કોરોના સમયે લોકડાઉન અને વિવિધ રસિકરણ અભિયાનોમાં જે રીતે ભારતે મક્કમ લડત આપી હતી, તેવી જ લડત માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે સરકારી વિભાગો, શાસક પક્ષના સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે 'સ્વયંશિસ્ત' માટેની વડાપ્રધાનની અપીલોનો અમલ કરીન દૃષ્ટાંત બેસાડે, તેવી અપેક્ષા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા ચાર-પાંચ દિવસથી જામનગર નવા રૂપરંગ સજી રહ્યું છે, અને તંત્રો ઉંધામાથે રાત-દિવસ કામ કરી રહ્યા છે. છોટીકાશી જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થવાનું હોવાથી તેઓને આવકારવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં પ. બંગાળ, આસામ અને પુડુચેરીમાં થયેલા વિજય પછી ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓમાં પણ અનોખો જુસ્સો પ્રવર્તી રહ્યો છે.
સોમવારે સોમનાથમાં યોજાનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા તથ વડોદરાના કાર્યક્રમો માટે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન જામનગરથી પ્રવાસ શરૂ કરી રહ્યા છે અને રાત્રિ મૂકામ કરવાના છે, તેથી હાલારીઓમાં હરખ છે તો સિક્યોરિટી રિઝન્સના કારણે તંત્રોની જવાબદારી પણ ઘણી જ વધી ગઈ છે. આજે તંત્ર દ્વારા રિહર્સલ તથા તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવાની દોડધામ વચ્ચે નગરજનો પણ કેટલાક સુધારા-વધારા રાતોરાત થઈ રહ્યા છે, તેથી ખુશ છે, તો રોજીંદા જનજીવન પર થોડી અસર પણ પડી રહી છે, જો કે વીવીઆઈપી પ્રોગ્રામ સમયે આ પ્રકારના થતા ફેરફારોથી લોકો ટેવાઈ પણ ગયા છે. બીજી તરફ વડાપ્રધાનનો આ રાત્રિમૂકામ ઘણો જ સૂચક પણ માનવામાં આવી રહ્યો છે.
આ પહેલા પણ વડાપ્રધાને ઘણી વખત જામનગરની મુલાકાત લીધી છે. વર્ષ ર૦રપ ની પહેલી માર્ચે તેઓએ વનતારાની મુલાકાત લીધી હતી, અને ઉદ્ઘાટન પછી વાઈલ્ડલાઈફ બોર્ડની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. વર્ષ ર૦ર૪ માં લોકસભાની ચૂંટણી સમયે પણ તેઓએ જામનગરમાં મોટી જનસભાને સંબોધન કર્યું હતું. વર્ષ ર૦રર માં ૧૦ મી ઓક્ટોર વડાપ્રધાને જામનગરથી અંદાજે ૧૪પ૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ, સૌની યોજના વિવિધ લિંકના પેકેજનું લોકાર્પણ, લાલપુર બાયપાસ જંક્શન ફ્લાય ઓવર, હાપા માર્કેટ યાર્ડ રેલવે ક્રોસીંગ ઉપરાંત ૪૦ મે.વોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું દેશને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના હાલારના મુખ્ય મુખ્ય કાર્યક્રમોમાં હંમેશાં જનમેદની ઉમટતી હોય છે, અને રોડ-શોના આયોજનો પણ સફળ રહેતા હોય છે.
વર્ષ ર૦૧૬ ના ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાને જે સુદર્શન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું, તેનું વર્ષ ર૦ર૪ ના ફેબ્રુઆરીમાં લોકાર્પણ કર્યું હતું. રૂા. ૯૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલો સુદર્શન બ્રિજ આજે ટુરિસ્તો માટે આકર્ષણનું કેન્દ્ર અને ગુજરાતનું નજરાણુ ગણાય છે. તેઓએ તે સમયે ડૂબેલી દ્વારકાની અંડરવોટર ડૂબકી મારીને પૂજા-અર્ચના કરી હતી, તે દૃશ્યો ગ્લોબલી વાયરલ થયા હતાં, અને એ પ્રવાસ દરમિયાન તેઓએ રૂા. ૪૧૦૦ કરોડથી વધુ રકમના વિકાસકામોના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતાં. તેઓએ વર્ષ ર૦રર માં વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિનનું ભૂમિપૂજન કર્યું હતું, તે સમયે પણ તેની વૈશ્વિક પ્રસિદ્ધિ થઈ હતી. આ ઉપરાંત વડાપ્રધાને વર્ચ્યુલી પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી, તો જામનગર અને હાલારના ઘણાં વિકાસકામોનું વર્ચ્યુલ લોકાર્પણ પણ કર્યું હતું.
આ પહેલા વડાપ્રધાન જ્યારે જ્યારે જામનગર કે હાલારની મુલાકાતે આવ્યા છે, ત્યારે જામનગર કે હાલારને કેન્દ્ર સરકાર તરફથી કાંઈક ને કાંઈક આપીને ગયા છે. વર્ષ ર૦ર૪ ની ચૂંટણી પહેલા આવ્યા હતાં, ત્યારે પણ ગુજરાત સહિત દેશના વિકાસ તથા લોક-કલ્યાણના ક્ષેત્રે કેટલાક વાયદાઓ કર્યા હતાં, અથવા વચનો આપ્યા હતાં. આ વખતે વડાપ્રધાન જામનગર-હાલારને લઈને કોઈક મોટી જાહેરાત કરશે, અને/અથવા હાલારની તથા જામનગરની કેટલીક કાયમી સમસ્યાઓ ઉકેલાઈ જાય, તેવી ઘોષણા કરશે, તેવી આશા સેવાઈ રહી છે.
વર્ષ ર૦ર૪ માં વડાપ્રધાને ચૂંટણી પહેલા જામનગર અને હાલારના મતદારો પાસે જે અપેક્ષા રાખી હતી અને અપીલ કરી હતી,તે પછી જામનગર સંસદીય મતદાન વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા ઉપરાંત મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોના મતદાતાઓએ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પૂનમબેન માડમને એક વખત ફરીથી દેશની પાર્લામેન્ટમાં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે, અને તે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપને જંગી જનાદેશમાં પણ વડાપ્રધાનની લોકપ્રિયતાની મહત્તમ ભૂમિકા હોવાનું કહેવાય છે, ત્યારે વડાપ્રધાન પાસે જામનગર-હાલાર અને મોરબીની અપેક્ષાઓ હોય, તે સ્વાભાવિક છે.
વડાપ્રધાનના આગમનના કારણે ચાલી રહેલી તૈયારીઓના કારણે તથા વડાપ્રધાનના આગમનથી વિદાય સુધી સુરક્ષા-સલામતિ તથા વ્યવસ્થાઓને લઈને કેટલાક પ્રતિબંધો, નિયમનો કે ફેરફારોના સ્થાનિક જનજીવનને કેટલીક મુશ્કેલીઓ કે અસુવિધા થાય, તે સ્વાભાવિક છે, પરંતુ આ પ્રકારની કાળજી રાખતી વખતેે સામાન્ય જનતાને ઓછામાં ઓછી મુશ્કલી પડે અને માનવીય કે તબીબી ઈમરજન્સી જેવા કિસ્સાઓમાં વ્યવહારૂ અભિગમ દાખવવામાં આવે, તેવી અપેક્ષા પણ રહેતી હોય છે. આ કારણે જનસહયોગની સાથે સાથે તંત્રોનું સુદૃઢ સંકલન તથા સર્વક્ષેત્રિય સમજદારીની પણ અપેક્ષા રહેતી હોય છે.
જામનગરના નગરજનો છેલ્લા ચાર-પાંચ દિવસથી થતી તંત્રોની દોડધામ તથા શહેરની બદલી રહેલી સિકલના સંદર્ભે કટાક્ષમાં એવું કહેતા પણ સંભળાય છે કે જો વડાપ્રધાન દર પખવાડિયે કે મહિને આવતા હોય તો કેવું સારૂ!
આવા ઉદ્ગારો નીકળે, તેની પાછળ લોકોની અપેક્ષાઓ અને તેની ફલશ્રૂતિના પડઘા પડતા હોય તેવું લાગે છે. માર્ગો પરના ખાડા બૂરાઈ જાય, માર્ગો પરથી રખડુ ઢોર તો ઠીક, આવારા શ્વાન પણ (ભલે, વીવીઆઈપી રૂટ પૂરતા) હટી જાય, ચોતરફ ગંદકીનું નામોનિશાન ન રહેવા પામે, ેંજંતુનાશક દવાઓનો છંટકાવ થઈ જાય, રોડ પર નમેલી (ઝાડની) ડાળીઓ કપાઈ જાય, અને ટ્રાફિક પોલીસ એકદમ ચૂસ્ત-દુરસ્ત જણાય, તથા પોલીસ વ્યવસ્થા ચાકચોબંધ રહે, તેથી લોકો થોડી હાલાકી વેઠીને પણ આ ફેરફારોને આવકારતા હોય છે, જો કે કોર્ટ પાસે કૂતરાના સંદર્ભે જે થાય, તે શાણપણપૂર્વક નિવારી શકાયું હોત...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કલ્યાણપુર તાલુકાની પોલીસ પગપાળા પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે હર્ષદ નજીકથી ચાર બિનવારસુ પેક્ેટ મળી આવ્યા અને તેમાંથી સાડાચાર કિલો વજન થાય, તેનાથી પણ વધુ નશીલી ડ્રગ્સનો જથ્થો મળ્યો અને જુદી જુદી બે જગ્યાએથી મળેલા આ જથ્થાની કિંમત સવાબે કરોડથી વધુ થવા જાય છે. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી હોવાના અહેવાલો પછી આ રીતે હાલારના દરિયાકાંઠેથી આ પહેલા પકડાયેલી બિનવારસુ નશીલી ડ્રગ્સની હિસ્ટ્રી તાજી થઈ ગઈ અને ગુજરાત ક્યાંક 'ગેટ-વે ઓફ ડ્રગ્સ ઈન ઈન્ડિયા' તો બની નથી ગયું ને? તેવા સવાલો સાથે હાલાર ડ્રગ્સનું હબ બનાવવા અને હાલારીઓને ડ્રગ્સની હેબિટ પાડવાનું ષડ્યંત્ર તો રચાયું નથી ને? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે. નશીલી ડ્રગ્સ જેવી જીવલેણ અને ખતરનાક આદત યુવાવર્ગને પડી જાય, તો આખો સમાજ બરબાદ થઈ જાય અને સંખ્યાબંધ પરિવારો પાયમાલ થઈ જાય, તે પણ નક્કર વાસ્તવિક્તા છે, જેથી આ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારે ખૂબ જ ગંભીરતાથી એક્સન લેવાની જરૂર છે.
આ પ્રકારની ગેરકાનૂની હેરાફેરીમાં ઘણી વખત થોડો-ઘણો જથ્થો પકડાવીને ખૂબ જ મોટો જથ્થો સગેવગે કરવાની ચાલ પણ સ્મગલરો ચાલતા હોય છે, તો ઘણી વખત વાસ્તવમાં જંગી જથ્થો ઘૂસાડી દીધા પછી થોડોઘણો જથ્થો બચ્યો હોય, ત્યારે જ પકડાતો હોય તેવું બની શકે તે ઉપરાંત કદાચ પકડાઈ જવાની બીકથી આ બિનવાસુ જથ્થો દરિયામાં ફેંકી દેવાતો હોય તો વાસ્તવમાં કેટલો જથ્થો ઘૂસાડવામાં સફળતા મળી છે, અથવા તેમાં સંપૂર્ણ નિષ્ફળતા મળી છે, તેની સર્વગ્રાહી અને ઊંડી તથા વ્યાપક તપાસ પણ કરવી અત્યંત જરૂરી હોય છે, અને કદાચ પોલીસ તથા એજન્સીઓ એ પ્રકારની તપાસ કરતી જ હશે, પરંતુ આ પ્રકારે હાલારના દરિયાકાંઠેથી વારંવાર પકડાતો જથ્થો માત્ર સરકાર નહીં, પરંતુ હાલાર સહિત ગુજરાતના રહીશો તથા ખાસ કરીને યુવાવર્ગ માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય ગણાય, તેથી આ અંગે સમાજે પણ વધુ જાગૃત થવાની જરૂર છે.
આ પહેલા પણ હાલારની દ્વારકા સુધીની દરિયાઈ પટ્ટીમાં નશીલી ડ્રગ્સનો બિનવારસુ જથ્થો પકડાયો હતો. તે ઉપરાંત નશીલી ડ્રગ્સની હેરાફેરી તથા સંગ્રહ કરવાના પ્રયાસો પણ થતા રહે છે. હાલારમાં છેલ્લા બે વર્ષમાં નશીલી ડ્રગ્સ સંબંધિત ૧૩પ કેસ નોંધાયા અને ૩૦૦ થી વધુ આરોપીઓ ઝડપાયા છે. બન્ને જિલ્લામાંથી આ સમયગાળામાં ર૪૪ કરોડથી વધુ કિંમતનો નશીલી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે, જ્યારે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૩૭ર૭ કરોડથી વધુ કિંમતનું ૪૧ હજાર કિલોથી વધુ નશીલું ડ્રગ્સ પકડાયું હોવાના આંકડા પણ બહાર આવ્યા હતાં. ફેબ્રુઆરી સુધીના આંકડાઓ આવ્યા પછી પણ નશીલી ડ્રગ્સનો જથ્થો પકડાતો હતો, તેમાં હર્ષદ પાસેથી મળેલો બિનવારસુ જંગી જથ્થો ટોક ઓફ ધ હાલાર બન્યો છે.
આ પહેલા જ્યારે દ્વારકાના વરવાળા પાસેથી વર્ષ ર૦ર૪ ના જૂન મહિનામાં ૩ર કિલોથી વધુ અફઘાની ચરસ પડાયું હતું, જેની કિંમત રૂ।. ૧૬ કરોડ આકારાઈ હતી. તે સમયે પણ ઊંડી તપાસ કરાઈ હતી, તો તાજેતરમાં મોટી ખાવડી પાસે ૮૩ લાખના હેરોઈન સાથે ચાર શખ્સો દબોચાયા, ત્યાં સુધીમાં ઠેર ઠેરથી નશીલું ડ્રગ્સ પકડાતું રહ્યું છે. વર્ષ ર૦ર૪ માં તો જૂન મહિનામાં બેટદ્વારકાથી ૮૬૩ ગ્રામ અફઘાની ચરસ, ઓક્ટોબરમાં જામનગર, જોડિયાના બંદર રોડ તરફ ઝાડી-ઝાંખરામાંથી પ.૮પ કિલો ચરસ અને માર્ચ ર૦ર૪ માં બેડેશ્વરમાંથી એક ડ્રગ સિંડિકેટનો પર્દાફાશ થયો, ત્યારે પણ આ નશીલું ડ્રગ તસ્કરીનું રેકેટ પાકિસ્તાની ડ્રગ દાણચોરો સાથે સંકળાયેલું હોવાની વાતો વહેતી થઈ હતી. મોટી ખાવડી પાસેથી કરિયાણાની દુકાનમાંથી પણ ૬૬૬ ગ્રામ ગાંજો પકડાયો હોવાના અહેવાલો નજીકની ખાનગી કંપનીઓ માટે પણ ચિંતાજનક ગણાય.
ગુજરાત વિધાનસભામાં પણ હાલાર સહિત ગુજરાતમાં નશીલા ડ્રગ્સની હેરાફેરીનો મુદ્દો ઘણો ચર્ચાયો હતો. સરકારને પ્રશ્નો પૂછાયા હતાં અને સરકારે તેના જવાબો પણ આપ્યા હતાં. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં ૩૦૦ થી વધુ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરાઈ અને લગભગ ર૪૪ કરોડ રૂપિયાથી વધુ કિંમતનો નશીલી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. આ આંકડો જ બતાવે છે કે ગુજરાત ધીમે ધીમે દેશભરમાંથી નશીલા ડ્રગ્સ ઘૂસાડવા માટેનું ગેટ-વે બની રહ્યું છે. આ ઉપરાંત યુવાધનમાં ડ્રગ્સની બદી ધીમે ધીમે વધી રહી છે, અને તેનાથી ઘણાં લબ્ધ પ્રતિષ્ઠિત પરિવારો પણ અલિપ્ત નથી, તે નક્કર હકીકત જોતા નશીલા ડ્રગ્સના મુદ્દે હવે ખોખલી દારૂબંધી જેવી ઢીલી નીતિ નહીં ચાલે અને એ માટે સરકારે અને સમાજે અત્યંત કડક પગલાં લેવા જ પડશે.
તદ્ન તાજા અહેવાલો મુજબ રાજકોટ પોલીસની એસઓજી ટીમે ૧૦૮ કિલો ગાંજો લઈ જતો ટ્રક ઝડપ્યો છે. ઓરિસ્સાથી આવેલા આ ટ્રકમાંથી ગાંજો ઘેલા સોમનાથ નજીક એક હોટલ પાસેથી પકડાયો અને આ જથ્થો કાલાવડ પહોંચાડવાનો હતો, તેવો ઉલ્લેખ મીડિયા રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. આ ગાંજાનો જથ્થો લગભગ પ૪ લાખથી વધુ રૂપિયાની કિંમતનો હતો. પોલીસે ટ્રક અને સેલફોન સહિત રૂ।. ૮૪ લાખની માલમત્તા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા તથા સંલગ્ન અન્ય શખ્સોની શોધખોળ થઈ રહી હોવાના અહેવાલો છે.
શોર્ટકટમાં નાણા કમાવાની લાલચ, કડક નશાબંધી-દારૂબંધી છતાં ચાલતી લોલંલોલ અને પલંપોલ તથા ગૂપચૂપ રીતે નશીલા દ્રવ્યોની વધી રહેલી ગુપ્ત ડિમાન્ડના કારણે ગુજરાતમાં નશીલા દ્રવ્યેનો વધતો પગપેસારો ભાવિ પેઢીને બરબાદ કરી દેશે.
ઓરિસ્સાથી ગાંજાનો જંગી જથ્થો આ જ શખ્સો આ પહેલા પણ ત્રણ વખત લાવ્યા હતાં. પહેલી અને બીજી વખત દોઢ મણ તથા ત્રીજી વખત બેે મણ જથ્થો ઘૂસાડવામાં સફળ થયા પછી આ વખતે સાડાપાંચ મણ જેટલો ગાંજો લાવવા જતા ઝડપાઈ ગયેલા શખ્સો પાસેથી આ પ્રકારના અન્ય રેકેટોની માહિતી મેળવવાના પ્રયાસો થશે, પરંતુ આ ગાંજો અંતે ક્યાંક તો વપરાતો હશે ને? આ તો એક પકડાઈ ગયેલા ટ્રકની કહાની માત્ર ગાંજાની જ છે, પરંતુ અનેક પ્રકારના નશીલા ડ્રગ્સ તથા દેશી-વિદેશી દારૂના થતા ડમ્પીંગ સામે હવે જનતાએ પણ જાગૃત થવું પડશે અને આપણી જ આવતી પેઢીનેે પાયમાલ કરવાના ચાલી રહેલા ષડ્યંત્રોનો પર્દાફાશ કરવો પડશે. આ માટે પ્રામાણિક તંત્રોને બીરદાવવા પડશે અને ભ્રષ્ટ પરિબળોને ખુલ્લા પાડીને કડક સજા કરાવવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આસામ, પ. બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ. પ. બંગાળ, આસામ અને પુદુચેરીમાં ભાજપ-એનડીએને સ્પષ્ટ જનાદેશ મળ્યો અને કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠંબધનને પણ સ્પષ્ટ બહુમતી મળી. તમિલનાડુમાં ટીવીકેને બહુમતીમાં દસ બેઠકો ઘટી, જેતે લઈને ત્યાં દ્વિધા ઊભી થઈ છે. કોંગ્રેસે પાંચ બેઠકો સાથે સમર્થન આપ્યા પછી પણ હજુ પાંચ બેઠકો ખૂટતી હતી તેથી ગઈકાલ સુધી સસ્પેન્સ સાથે અનિશ્ચિતતાઓ જોવા મળી રહી હતી. થલપતિ વિજય રાજ્યપાલને મળી આવ્યા પછીનો ઘટનાક્રમ જોતા આજે તમિલનાડુમાં કાંઈક નવા જુની થશે, તેમ જણાય છે.
પ. બંગાળમાં તો ભાજપને તોતિંગ બહુમતી મળી છે અને મતદાન તથા મતગણતરી થઈ ત્યાં સુધી તો ગત્ ચૂંટણીની સરખામણીમાં હિંસક ઘટનાઓ ઓછી થઈ હોવાનો દાવો પણ ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર અને લગભગ નિશ્ચિત મનાતા શુભેન્દુ અધિકારીએ કર્યો હતો, અને ભાજપ વિજય સરઘસો નહીં કાઢે, અને ચૂંટણી પછી હિંસા આચારનાર સામે કડક પગલાં લેવાશે, તેવા દાવાઓ પણ થયા હતાં, જો કે મતગણતરી સંપન્ન થઈ અને મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઈન્કાર કરીને ચૂંટણીપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા પછી એક તરફ રાજકીય અનિશ્ચિતતાઓ તથા બંધારણીય સંકટ ઊભું થયું હોવાની વાતો વહેતી થઈ તો બીજી તરફ નવમી મે ના દિવસે નવી સરકારની શપથવિધિ યોજાશે, તેવી જાહેરાત પણ થઈ ગઈ.
અત્યારે પ. બંગાળમાં સ્થિતિ એવી છે કે ત્યાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થવા જઈ રહી હોવાથી ચૂંટણીપંચની ભૂમિકા હવે નવી સરકારની રચના સુધીની જ રહી છે, તો બીજી તરફ મમતા બેનરજીએ રાજીનામું નહીં આપ્યું હોવાથી અભૂતપૂર્વ બંધારણીય અનિશ્ચિતતાઓ પણ ઊભી થઈ હતી.
સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી પૂરી થાય અને પરિણામો આવી જાય, તે પછી મુખ્યમંત્રી રાજ્યપાલને રાજીનામું સુપ્રત કરે અને રાજ્યપાલ નવી સરકારની રચના થાય, ત્યાં સુધી વચગાળાની (રખેવાળ) સરકાર તરીકે સેવા ચાલુ રાખવાની સૂચના આપે છે, અથવા વિનંતી કરે છે. એ કારણે રાજ્ય તદ્ન સરકાર વિહોણું રહેતું નથી, જો કે બંધારણીય જોગવાઈઓ મુજબ રખેવાળ સરકાર કોઈ નીતિવિષયક નિર્ણયો લઈ શકતી હોતી નથી.
આ વખતે પ. બંગાળના કિસ્સામાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે આપેલા આદેશો તથા કેન્દ્રિય સુરક્ષાદળો તથા અધિકારીઓ ઉપરાંત ન્યાયતંત્રની દેખરેખના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારની સત્તાઓ ઘણી જ સીમિત થઈ ગઈ હતી, તેથી ચૂંટણી પછીની સ્થિતિમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગે પણ અભૂતપૂર્વ અનિશ્ચિતતાઓ ઊભી થઈ ગઈ હતી. આ બધા ઘટનાક્રમો વચ્ચે ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પદના દાવેદાર શુુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ અને તેના જમણા હાથ સમા યુવા સાથી ચંદુનાથ રથ પર અંધાધુંધ ગોળીબાર કરીને તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી. તે પછી ગઈ આખી રાત પ. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને દ્વિધા તથા અનિશ્ચિતતાઓ પ્રવર્તતી રહી હતી, અને આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. ટીએમસીએ પણ ચંદ્રનાથની હત્યાની ટીકા કરી છે!
આ પ્રકારની પ. બંગાળની હિંસક રાજકીય સંસ્કૃતિ વખોડવાલાયક છે, અને આઝાદી પછીના બે-ત્રણ દાયકા અવારનવાર રાષ્ટ્રપતિ શાસનો પછી સાડાત્રણ દાયકાના ડાબેરીઓના શાસન દરમિયાન પનપેલી પોલિટિકલ ઈજારાશાહી તથા દોઢ દાયકાના મમતા શાસન દરમિયાન ચૂંટણીઓમાં પણ હિંસા, ધાકધમકી, બળપ્રયોગ તથા ભયના માહોલની અસરો રાતોરાત ખતમ નહીં થાય, તે પણ હકીકત છે અને અન્ય રાજકીય પક્ષોના કેટલાક સ્થાનિક નેતાઓના નિવેદનો અને અભિગમો પણ રાતોરાત બદલાવાના નથી. ટૂંકમાં કોઈ દૂધનું ધોયેલું નથી, તેથી હવે પછીની સરકાર સામે પણ 'સ્વયં સિસ્ત' રાખવા સહિતના મોટા પડકારો રહેવાના છે. ચૂંટણી પછીની હિંસામાં અડધો ડઝન જેટલી હત્યાઓ થઈ છે. સ્વાભાવિક રીતે જ ચંદુનાથ રથની હત્યા માટે ભાજપ ટીએમસીને જવાબદાર ઠેરવે અને ટીએમસી તેનો ઈન્કાર ભલે કરે, પરંતુ પ. બંગાળની હિંસક રાજનૈતિક માનસિક્તાને બદલવા બધા પક્ષોએ ઘણી મહેનત કરવી પડશે, તે પણ હકીકત છે.
પ. બંગાળની આ હિંસક રાજનૈતિક સંસ્કૃતિનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો હોવાના મીડિયા અહેવાલો ચિંતાજનક છે. જૂનાગઢમાં ભાજપના ચૂંટણીપ્રચાર માટે ગયેલી ભાજપની ટીમમાં ગુજરાત પરત આવ્યા પછી વિખવાદ થયો અને જૂનાગઢમાં સંગઠનના એક હોદ્દેદારે તથા એક કાર્યકરે સોશિયલ મીડિયામાં ભાજપના જ ધારાસભ્ય વિષે મેસેજ મૂક્યો અને તે પછી ધારાસભ્ય અને કોર્પોરેટરના ઈશારે બૂકાનીધારીઓએ તેઓ પર હુમલો કર્યો હોવાના અહેવાલો ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે અને પ. બંગાળની હિંસક માનસિક્તા ધરાવતી રાજકીય મનોવૃત્તિ ગુજરાત સુધી પહોંચી હોવાની ટિપ્પણીઓ પણ થવા લાગી છે.
બીજી તરફ તમિલનાડુમાં ડીએમકેએ કોંગ્રેસ પર બેક સ્ટલિંગ (પીઠમાં છરો ભોંકવા) નો આરોપ લગાવ્યો છે, તો બહુમતીથી થોડીક ઓછી બેઠકો મેળવનાર ટીવીકેને સત્તાથી દૂર રાખવા ઘોરવિરોધી પ્રાદેશિક પક્ષો ડીએમકે અને એઆઈએમડીએમકે એક થઈને ગઠબંધન બનાવશે, તેવા અહેવાલો પછી ગઈકાલથી જ સસ્પેન્સ અને અનિશ્ચિતતાઓ જોવા મળી રહી હતી, અને તેમાં આજનું અપડેટ જોતા આ પ્રકારની અભૂતપૂર્વ ઘટનાઓની કલ્પના કદાચ બંધારણના ઘડૈયાઓએ પણ નહીં કરી હોય, તેમ કહી શકાય.
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીન અને પરાજીત કે વિજયી બનેલા અન્ય મુખ્યમંત્રીઓએ બંધારણીય પરંપરાઓ મુજબ રાજીનામા આપ્યા હોય, અને રાજ્યપાલના આદેશથી નવી સરકારની રચના સુધી રખેવાળ સરકાર ચલાવી રહ્યા હોય, તો રાજીનામું નહીં આપનાર મમતા બેનર્જી કાર્યવાહક મુખ્યમંત્રી ગણાય કે નહીં, તેની ચર્ચાઓ વચ્ચે આજે (૭ મી મે ના) પ. બંગાળની વિધાનસભાનો કાર્યકાળ જ પૂરો થઈ જતા જુની વિધાનસભા જ વિખેરાઈ જશે, અને ચૂંટણીપંચે નવી વિધાનસભાનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધુ હોવા છતાં મમતા બેનર્જીએ સત્તાવાર રીતે ગઈકાલ સુધી રાજીનામું જ નહીં આપતા તેની ટીકા પણ થઈ રહી છે, તો સમાજવાદી પાર્ટી, આપ અને અન્ય કેટલાક પક્ષો તેનું સમર્થન પણ કરી રહ્યા છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પછી ભાજપ-એનડીએને ભલે ત્રણ રાજ્યોમાં બહુમતી મળી હોય, પરંતુ આ કારણે જ વિપક્ષો ફરીથી એકજુથ થઈ રહ્યા છે અને ફરીથી ઈન્ડિયા ગઠબંધન સક્રિય થવા લાગ્યું છે, તે પણ હકીકત છે, જો કે વિપક્ષો ફરીથી એકજુથ થાય, તો તેનું નેતૃત્વ કોણ કરશે, તથા વર્ષ ર૦ર૭ ની કેટલાક રાજ્યોની ચૂંટણીમાં રણનીતિ કેવી હશે, તેની ચર્ચા પણ થવા લાગી છે. લોકતંત્રમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, અને તે માટે ભાજપ-એનડીએ સામે વિપક્ષો એકજુથ થતા હોય, તો તે સમયની માગ પણ છે. આ માટે ગઠબંધનનું નેતૃત્વ કોઈ રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષના કોઈ કરિશ્માઈ નેતા કરે, તે પણ અત્યંત જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં શીપ બ્રેકીંગ યાર્ડ પછી હવે હાલારમાં શીપ રીપેર ફેસેલિટીની સ્થાપના થવા જઈ રહી હોવાના અહેવાલોએ માત્ર હાલારીઓ જ નહીં, પરંતુ પશ્ચિમ ભારતના દરિયાઈ વિસ્તારોનું પણ ધ્યાન ખેંચ્યું છે, અને આ મહત્ત્વકાંક્ષી જાયન્ટ પ્રોજેક્ટ વાડીનાર બંદરે સ્થાપવાના ચક્રો હવે ઝડપથી ગતિમાન થશે, તેવા આશાવાદ વચ્ચે કેન્દ્રિય કેબિનેટના ગઈકાલના બે નિર્ણયોની દેશવ્યાપી ચર્ચા પણ થઈ રહી છે. બીજી તરફ પ્રવર્તમાન શાસન પદ્ધતિમાં પ્રવર્તી રહેલી પબ્લિસિટીની વિશેષતાઓના વ્યંગ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ જાયન્ટ પ્રોજેક્ટ જો હાલારમાં સ્થપાઈ રહ્યો હોય, તો તેને આવકારવો જ જોઈએ, પરંતુ તેનો જમીન પર કેટલી સમયમર્યાદામાં અમલ થશે, તેની ચોખવટ પણ થવી જરરી છે.
ગઈકાલે કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતને સાંકળતા જે નિર્ણયો લવાયા, તેમાં વાડીનારમાં અદ્યતન સુવિધાઓ સાથે શીપ રીપેર ફેસિલિટીની સ્થાપનાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. આ સમાચારે ગઈકાલથી જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉત્સુક્તા જગાડી દીધી છે. વાડીનાર આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે, પરંતુ તેની આજુબાજુના ગામો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ તથા રિલાયન્સ, એસ્સાર પાવર્સ અને નયારા જેવી જાયન્ટ કંપનીઓને સાંકળે છે. એટલું જ નહીં, વાડીનાર પણ મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સ્થળે આવેલું અગત્યનું ડેસ્ટિનેશન છે.
વાડીનાર દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા પોર્ટ ટ્રસ્ટ) નું ઓઈલ જેટી ટર્મિનલ છે, અને નજીકમાં જ ઈન્ડિયન ઓઈલ, જાયન્ટ ઔદ્યોગિક કંપનીઓ, સોલ્ટવર્કર્સ, દરિયાઈ પ્રાકૃતિક સૌંદર્ય, અને રંગબેરંગી જીવસૃષ્ટિ ધરાવતો નરારા ટાપુ અને કોલસા તથા ગેસ આધારિત કેપ્ટિવ થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે. દરિયાકાંઠાના આ વિસ્તારો કોસ્ટલ અને રાષ્ટ્રીય સુરક્ષા તથા દરિયાઈ પરિવહન માટે પણ ખૂબ જ વ્યૂહાત્મક ક્ષેત્ર છે. આ વિસ્તાર ઔદ્યોગિક-વ્યાપારિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વાડીનાર હાલાર-બારાડીની ભાતીગળ સંસ્કૃતિનો સંગમ છે, જ્યાંથી દરિયાઈ પરિવહન તથા સડક પરિવહનની નવી દિશાઓ ખુલી રહી છે.
આ વાડીનારમાં અત્યાધુનિક સુવિધાસંપન્ન શીપ રીપેર ફેસિલિટીનો પ્રોજેક્ટ આવશે, અને તેના કારણે સ્થાનિક રોજગારીની વિપુલ તકો ઊભી થશે, તથા વિસ્તાર વિકાસ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ દિશાઓ ખુલશે, તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટમાં લગભગ રૂ।. ૧પપ૦ કરોડથી વધુનું રોકાણ કરશે. આ કામને જાયન્ટ શીપ (વિરાટકાય જહાજો) ના રીપેરીંગ માટે દેશને વિદેશના વિશાળ શીપ યાર્ડો પર નિર્ભર રહેવું નહીં પડે. એટલું જ નહીં, પરંતુ જહાજોની મરામતની કોસ્ટ પણ ઘટશે તથા દેશનું મૂલ્યવાન વિદેશી હુંડિયામણ પણ બચશે, તે પ્રકારના મસમોટા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ જાયન્ટ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડનું સહિયારૂ સાહસ હોવાનું પણ જાહેર થયું છે.
એવું કહેવાય છે કે આ હાઈટેક ફેસિલિટીમાં ૬પ૦ મીટર લાંબી જેટી બનાવાશે, અને બે વિશાળકાય ફ્લોટીંગ ડ્રાય ડોક તૈયાર કરાશે, જેમાં જાયન્ટ શીપ્સ (વિરાટકાય જહાજો) ની મરામત કરવાની અદ્યતન સુવિધાઓ હશે તથા નિભાવ પણ કરાશે. આ આધુનિક તરતું વર્કશોપ હશે, જેને અનુરૂપ દરિયાઈ માળખાઓ પણ બનાવાશે, જેથી આ તમામ પ્રક્રિયા સરળ, ઝડપી અને સુરક્ષિત થઈ શકશે, અને મહામુલો સમય પણ બચશે.
ભારતમાં લાંબા દરિયાકાંઠે કેટલાક સ્થળે શીપ રીપેર યાર્ડસ છે, પરંતુ વહાણોની મરામતના વૈશ્વિક ક્ષેત્રમાં તેની હિસ્સેદારી ઘણી જ ઓછી છે. શીપ રીપેર માર્કેટમાં ભારતનો કબજો વૈશ્વિક દૃષ્ટિએ એક ટકા જેટલો પણ નહીં હોવાનું કહેવાય છે. એક અંદાજ મુજબ ભારતની દરિયાઈ સરહદથી માત્ર ૩૦૦ દરિયાઈ માઈલના વિસ્તારમાંથી દુનિયાનું ૭ થી ૯ ટકા દરિયાઈ પરિવહન થાય છે, તેથી ભારતમાં શીપ રીપેર માર્કેટ વિક્સાવવાની વિપુલ તકો પણ છે.
ભારતમાં એકંદરે ૪૦ થી વધુ જહાજ મરામત યાર્ડ હોવા છતાં આ ક્ષેત્ર ઘણાં બધા પડકારો સામે ઝઝુમી રહ્યું છે, અને આ તમામ પડકારોનો ઊંડો અભ્યાસ કરીને વાડીનારનો આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો હોવાની ચર્ચા પણ આ ક્ષેત્રના અભ્યાસુઓ તથા અનુભવીઓના વર્તુળોમાં થઈ રહી છે. ખાસ કરીને પૂરક વ્યવસાયો, લઘુ-મધ્યમ ઉદ્યોગો તથા લાજેસ્ટિક સેવાઓના કારણે રોજગારી વધશે, તેમ કહેવાય છે.
ભારતના વિશાળ ઓઈલ ટેન્કર્સ ધરાવતા જહાજો, કાર્ગો જહાજો વગેરે વિરાટકાય જહાજોના રીપેરીંગ માટે તથા ડ્રાય ડોકીંગ માટે ભારતના જહાજોને અત્યારે વિદેશમાં જવું પડે છે, કારણ કે ર૩૦ મીટરથી વધુ લંબાઈ ધરાવતા જહાજો માટે પર્યાપ્ત ડ્રાઈ-ડોક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આપણા દેશમાં હાલમાં સુવિધાઓ નહીંવત્ છે. આ કારણે ભારતના જહાજોને સીંગાપુરના કેપેલ ઓફશોર એન્ડ મરીન જેવા મોટા શીપ રીપેરીંગ યાર્ડમાં જવું પડે છે. તે ઉપરાંત યુરોપના નેધરલેન્ડ યાર્ડ, દક્ષિણ કોરિયાનું હુંડઈ મિપો ડોકયાર્ડ, યુએઈમાં દુબઈનું ડ્રાયડોક્સ વર્લ્ડ, મધ્યપૂર્વમાં આવેલા યાર્ડર્સ તથા ચીનનું કોસ્કો શીપીન હેવી ઈન્ડસ્ટ્રી યાર્ડ પણ જાયન્ટ જહાજોનું રીપેરીંગ કરે છે.
ભારતમાં ૪પ જેટલા શીપ રીપેરીંગ કરતા યાર્ડ હોવા છતાં ભારતના જહાજોને વિદેશોના યાર્ડોમાં રીપેરીંગ કરાવવા જવું પડે છે, તેના કારણોમાં ભારતીય બંદરો પર દરિયામાં જહાજોને રીપેરીંગ માટે રાખવાની આવશ્યક ઊંડાઈ ધરાવતા સ્થળો ઘણાં જ ઓછા છે, તેમાં પણ ઘણાં શીપ રીપેર યાર્ડસ ભારતીય નૌસેના માટે જહાજોના નિર્માણ તથા રીપેરીંગ માટે કાયમી ધોરણે રોકાયેલા રહે છે, તેથી બાકીના રીપેરીંગ યાર્ડ (વહાણો રીપેર કરવાના ગેરેજ) માં અન્ય તમામ જહાજો રીપેરીંગ માટે આવતા હોવાથી મરામતમાં વિલંબ થાય છે, અને વિદેશી યાર્ડ કરતા દોઢો સમય ખર્ચાતા હોય છે. આ કારણે વિદેશી રીપેર યાર્ડસ પર વધુ આધાર રાખવો પડે છે.
વાડીનારમાં ઊભી થનારી જહાજ મરામત સુવિધામાં ૩૦૦ મીટર સુધીની લંબાઈ ધરાવતા જહાજોના રીપેરીંગની સુવિધા હશે, જો કે આ પરિયોજના સાકાર થવા માટે હવે લગભગ ત્રણ વર્ષ લાગી શકે તેવું જાહેર થયું છે, એટલે કે વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં જ વાડીનારમાં આ સુવિધા શરૂ થાય, અને તેનું ઉદ્ઘાટન કરવા રાષ્ટ્રીય નેતૃત્વ આવે, તેવી શક્યતાઓ ગણી શકાય. આ પ્રોજેક્ટથી હાલારમાં એમએસએમઈ સેક્ટરને પણ પ્રોત્સાહન મળશે, તેવો દાવો કરાયો છે.
વિરાટકાય રિફાઈનરીઓ, કચ્છનો અખાત, અનુકૂળ દરિયાઈ વિસ્તાર, ઔદ્યોગિક ઝોન, રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વપૂર્ણ એકમો, ભારતીય સેનાની ત્રણેય પાંખો, એરપોર્ટસ અને બંદરોની નજીકમાં ઉપલબ્ધિ અને વનતારાના કારણે ગ્લોબલ મેપમાં મહત્ત્વપૂર્ણ બનેલું હાલાર હવે વાડીનાર બંદર પર વહાણો રીપેર કરવાના આંતરરાષ્ટ્રીય કક્ષાના હબ તરીકે પણ વૈશ્વિક મહત્ત્વ મેળવનાર હોઈ, વાડીનાર વિસ્તારના સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂળભૂત સુવિધાઓ તથા ગ્રામ્ય માળખાકીય સગવડો માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વધુ ધ્યાન આપશે, તેવી આશા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ગુજરાતમાં ધોરણ ૧ર ની પરીક્ષાઓના બન્ને પ્રવાહોના પરિણામો આવ્યા, અને હાલારમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં હરખની હેલી જોવા મળી, તો વાલીઓના ચહેરાઓ પર તેમના સંતાનોના ઉત્તીર્ણ થવાના આનંદની સાથે આગળના ઉચ્ચ અભ્યાસ માટેની વ્યવસ્થાઓ કરવાની થોડી ઘણી ચિંતાઓ પણ ઝળકી. અત્યારે મોંઘાદાટ થઈ ગયેલા શિક્ષણમાં ધો. ૧ર પછી હવે ક્યા ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે જવું, કઈ કોલેજ કે શૈક્ષણિક સંસ્થા પસંદ કરવી, તેના પછી એડમિશન તથા પ્રવેશ મળી ગયા પછી વિદ્યાર્થીના નિવાસ, ભોજન, પરિવહન તથા ફી ભરવાની વ્યવસ્થાથી લઈને તેમાં થનારા ખર્ચની જોગવાઈ કવા સુધીની હડિયાપટ્ટીમાં વિદ્યાર્થીઓ-વાલીઓ વ્યસ્ત થઈ જશે. આ તમામ પ્રક્રિયાઓ તથા તૈયારીઓ દરમિયાન ખાસ કરીને મધ્યમ વર્ગિય પરિવારો માટે સંતાનોના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થાઓ કરવી એ એક મોટો પડકાર હશે.
જામનગર જિલ્લામાં ધોરણ ૧ર મું-સાયન્સ પ્રવાહનું ૯૦ ટકા જેવું પરિણામ આવ્યું અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયન્સ પ્રવાહનું ૮૭ ટકા જેવું પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લામાં લગભગ ૯૩ ટકા જેવું પરિણામ આવ્યું, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાયન્સ પ્રવાહનું પરિણામ ૯પ ટકાથી વધુ આવ્યું છે.
જામનગર જિલ્લામાં ગયા વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩ થી ૯૪ ટકાની વચ્ચે હતું, જે આ વખતે ૯૩ ટકાથી થોડુક નીચું (૯ર.૯૯ ટકા) રહ્યું છે, તો ગયા વર્ષે જામનગર જિલ્લાનું સાયન્સ પ્રવાહનું પરિણમ લગભગ ૯૧ ટકાને આંબવા જઈ રહ્યું હતું, તે ઘટીને ૯૦ ટકા થયું છે. આમ, આ વખતે ઊંચા પરિણામો આવવા છતાં ગત્ વર્ષની સરખામણીમાં જામનગર જિલ્લાનું ધોરણ ૧ર નું એકંદરે પરિણામ ઓછું આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ ૯પ.ર૭ ટકા છે, જે ગત્ વર્ષે ૯પ.૬૯ ટકા હતું, જે નજીવો ઘટાડો દર્શાવે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વર્ષે ૮૬.૮૮ ટકા આવ્યું છે, તો ગત્ વર્ષે ૯૦.૮૮ ટકા હતું જે નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
આમ, એકંદરે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના ગત્ વર્ષના પરિણામોની સરખામણીમાં એકંદરે હાલારમાં આ વર્ષે ઘટાડો થયો છે, જેના કારણોના વિશ્લેષણો થશે અને તારણો નીકળશે, પરંતુ અત્યારે તો ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ 'આગળ હવે શું?' ક્યાં એડમિશન લેવું તેની મથામણ સાથે અને એડમિશન પછીની સંલગ્ન વ્યવસ્થાઓની દોડધામમાં લાગી ગયા છે.
આ અહેવાલો વચ્ચે જામનગર જિલ્લામાં નગર સહિત ૯ જેટલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૦૦ ટકા જેવું પરિણામ આવ્યું હોવાના અહેવાલોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, તે ઉપરાંત વિદ્યાર્થીઓએ મેળવેલા ગ્રેડ અનુસાર વર્ગિકરણ જોતા એકંદરે સારૃં પરિણામ હોવા છતાં પણ ગત્ વર્ષના હાલારના પરિણામોની સરખામણીમાં ઓછું પરિણામ આવ્યું હોય તો તેનું ચિંતન પણ કરવું જ જોઈએ, અને ચિંતા કરવાની સાથે સાથે જ્યાં જ્યાં નબળા પરિણામો આવ્યા હોય, ત્યાં ત્યાં આગામી વર્ષે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ગઈકાલે એક તરફ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોનો ઝંઝાવાત હતો, તો બીજી તરફ ગુજરાત એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડના પરિણામો આવી રહ્યા હતાં. બોર્ડના પરિણામો પછી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની બુનિયાદ મજબૂત બને, તે પ્રકારની પસંદગીમાં વ્યસ્ત છે, તો ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી રાજકીય પક્ષો નવી સરકારોની રચનાની તૈયારીઓ માટે ગડમથલ કરી રહ્યા છે. આ વખતે જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. માત્ર તમિલનાડુમાં ટીવીકેને જુજ બેઠકો ઘટે છે, જેની જોગવાઈ તો તે કરી જ લેશે.
આ વખતેના પરિણામો આવ્યા પછી સામાન્ય જન-પ્રતિભાઓ તથા નેતાઓના પ્રત્યાઘાતો ઘણાં જ રસપ્રદ છે. આ પરિણામોમાં ભાજપ-એનડીએનો હાથ ઊંચો રહ્યો હોવા છતાં કોંગ્રેસ માટે પણ આ ચૂંટણીઓ થોડી ફળદાયી નિવડી હોય તેમ જણાય છે. કેરલમાં સત્તા મેળવી અને તમિલનાડુમાં કિંગમેકરની સ્થિતિ પ્રાપ્ત થઈ, તે કોંગ્રેસ માટે દક્ષિણ ભારતમાં એક નોંધપાત્ર સિદ્ધિ છે, જો કે ઉત્તર-પૂર્વ ભારતમાં કોંગ્રેસનો રકાસ કોંગ્રેસ માટે ચિંતા-ચિંતન અને આત્મમંથનનો વિષય પણ છે.
પ. બંગાળમાં મમતા દીદીની અસાધારણ હાર તથા તમિલનાડુમાં સ્ટાલિનનો ભૂંડો પરાજય અને આસામમાં ગૌરવ ગોગોઈ એ દર્શાવે છે કે લોકતંત્રમાં જનતા જ સર્વોપરિ છે અને વિફરે (નારાજ થાય) તો માત્ર સત્તાધારી પાર્ટીને જ નહીં, દિગ્ગજ નેતાઓને પણ ઈવીએમના માધ્યમથી ઘરભેગા કરી શકે છે. આથી અત્યારે પ્રચંડ બહુમતથી પુનઃ ચૂંટાયેલા કે નવો જનાદેશ મેળવેલા પક્ષો અને નેતાઓએ પણ ઘમંડ કે ફાંકામાં રહેવા જેવું નથી, પરંતુ 'માપ'માં રહીને વાસ્તવિક 'જનસેવા'માં લાગી જવાનું છે.
જો પ્રત્યાઘાતોની વાત કરીએ તો ભારતના પ્રેસ-મીડિયામાં તો સ્વભાવિક રીતે જ જેનો વિજય થયો તેના ગુણગાન ગવાઈ રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રેસ-મીડિયામાં પણ ભાજપના વિજયના દ. ભારતમાં કોંગ્રેસને સમર્થન અને ડાબેરી પક્ષોને ઝટકાના સમાચારો સાથે વિશ્લેષણો થઈ રહ્યા છે.
ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીનું પણ ગઈકાલે પરિણામ આવ્યું. આ પરિણામ અપેક્ષિત જ હતું, કારણ કે આ બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડી હતી અને ત્યાં ભાજપે તેમના જ પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી, તેથી સહાનુભૂતિ તથા સ્વર્ગસ્થ ગોવિંદભાઈની કારકિર્દીની અસરોના કારણે આ વિજય નક્કી જણાતો હતો. આમ પણ પેટા ચૂંટણીઓમાં રાજ્યમાં જેની સત્તા હોય તેના તરફી જ મોટાભાગે જનાદેશ મળતો હોય છે, જો કે આ મતગણતરી દરમિયાન ર૩૦૦ થી વધુ મતો 'નોટા'ને પણ મળ્યા હતાં, તો કોંગ્રેસના ઉમેદવારે પોતાના પરાજય માટે ઈવીએમને દોષિત ઠેરવ્યું હોવાના અહેવાલો પછી વિવાદ છેડાયો હતો, જો કે ખેલ અને ચૂંટણીઓમાં તો જો જીતા વોહી...!
એવું કહેવાય છે ક ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ અહેવાલો વહેતા થતા જ હાલારમાં હલચલ વધી રહી છે અને વિવિધ અટકળો પણ થવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, અને તબક્કાવાર લીડ અને વિજયના આંકડાઓ સામે આવી રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો પછી હવે તેમાં હોદ્દેદારોની નિમણૂકો માટે રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા શરૂ થયા પછી હવે રેસમાં કોણ-કોણ છે, તેની ચર્ચા ગામેગામ અને નગરો-શહેરોમાં થઈ રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દાઓ કોને સોંપવા તે માટે ચાલી રહેલી અથવા સંપન્ન થયેલી રનીંગ સેન્સ પ્રક્રિયા તથા પોષ્ટ સેન્સ પ્રક્રિયામાં કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારોના મંતવ્યો સાંભળીને તેનું તારણ (સેન્સ) મોવડી મંડળને પહોંચાડાય છે, અને તે પછી પ્રદેશ કક્ષાનું મોવડી મંડળ (કદાચ દિલ્હીવાળાને પૂછીને) નિરીક્ષકોએ સુપ્રત કરેલી પેનલોમાંથી હોદ્દાવાર નામો ફાયનલ કરે છે અને તેની જાણ ગુપ્ત રીતે જિલ્લા-તાલુકા કે શહેર કક્ષાના પાર્ટીના હોદ્દેદારોને કરવામાં આવે છે. રનીંગ અને પોસ્ટ સેન્સ પ્રક્રિયા પછી આખરી નિર્ણય પ્રાદેશિક મોવડીમંડળ (હાઈકમાન્ડ) લ્યે ત્યાં સુધી પોસ્ટ સેન્સ પ્રક્રિયા ચાલે છે.
ઘણી વખત કેટલીક પાર્ટીઓમાં કેટલાક શહેરો કે તાલુકા-જિલ્લા માટે હોદ્દેદારો કોને નિમવા, તેનો નિર્ણય લેવાઈ ચૂક્યો હોવા છતાં પાર્ટી દ્વારા 'સિસ્ટમ'ને અનુસરવા દેખાવ ખાતર સેન્સ પ્રક્રિયા કરવામાં આવતી હોય તેવું લાગે છે. આ કારણેે કટાક્ષમાં એ પ્રકારની સેન્સ પ્રક્રિયાને 'નોનસેન્સ' પ્રક્રિયા પણ કહી શકાય. 'નોનસેન્સ' પ્રક્રિયા પછી તત્કાળ હાઈકમાન્ડ દ્વારા હોદ્દેદારોના નામો જાહેર કરી દેવાય, તો કહીં શકાય કે આખી પ્રક્રિયા જ સિસ્ટોમેટિક ફોર્માલિટી જ હતી. જો સેન્સ પ્રક્રિયા પછી હાઈકમાન્ડમાં એક એક સંસ્થાવાર અને હોદ્દાવાર દાવેદારો તથા સ્થાનિક અગ્રણીઓ-કાર્યકર્તાઓના લેવાયેલા મંતવ્યો, પેનલવાર સમીક્ષા તથા વિસ્તૃત ચર્ચા-વિચારણા-પરામર્શ પછી નિર્ણયો લેવાય અને તે અંગે 'ઉપર' કોઈને પૂછવું પડે, તો પૂછીને તથા લેવાયેલા નિર્ણયો સાથે 'દિલ્હી' સંમત ન થાય તો સંભવિત સ્થિતિની તર્કબદ્ધ દલીલો સાથે પરામર્શ પછી અંતિમ નામો ફાયનલ કરવામાં આવે, તો જ તેને એક પ્રકારની આંતરિક લોકતાંત્રિક સિસ્ટમ્સનું પ્રામાણિકતાપૂર્વક પાલન કર્યું ગણાય. પ્રવર્તમાન સમયમાં આવુું થાય છે ખરૃં? તેનો સાચો જવાબ પણ ઓપન સિક્રેટ જ છે, અને આપણે જાણીએ જ છીએ.
આથી એવું કહી શકાય કે જો રાજકીય પક્ષો દાવેદારો, જમીન જમીની કાર્યકરો તથા સ્થાનિક નેતાઓના મંતવ્ય-અભિપ્રાયો પૂરેપૂરા લક્ષ્યમાં લઈને અંતિમ નિર્ણયો લેતા હોય તો જ તે યોગ્ય ગણય, અન્યથા આ પ્રક્રિયાને 'નોનસેન્સ' જ ગણવી પડે.
આમ તો બધા રાકીય પક્ષોમાં આ પ્રકારની સિસ્ટમ્સ અપનાવાતી જ હોય છે, પરંતુ તેને જુદા જુદા નામે કે જુદી જુદી પદ્ધતિથી અમલી બનાવાતી હોય છે. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે પાર્ટીએ બહુમતી મેળવી હોય તે પાર્ટીઓ 'સેન્સ' પ્રક્રિયા કરતી હોય છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મોટાભાગે ભાજપે બહુમતી મેળવી છે, તેથી કદાચ તેમાં રનીંગ 'સેન્સ' પ્રક્રિયા અને પોસ્ટ રનીંગ પ્રક્રિયા પણ પડકારરૂપ બની રહી છે, એટલું જ નહીં, હોદ્દેદારોના જે નામો ચર્ચામાં હશે, તે દાવેદારોના નામ પાર્ટી દ્વારા સિક્રેટ લેટર (પેક કવર) માં મોકલાતી યાદીમાં નહીં હોય અને નવા જ નામ નીકળશે, તેવી સંભાવનાઓને કારણે હિન્દીમાં કહી શકાય કે, 'જો નામ ચર્ચે મેં હોતા હે... વો પરચે મેં નહીં હોતા!'.
આજે બપોર સુધીની પાંચ રાજ્યોની વિધાનસભાઓ માટે થઈ રહેલી મતગણતરીના પરિણામો તથા સરસાઈ જોતા દેશમાં પરિવર્તન અને પુનરાવર્તનની એક અનોખી લહેર જોવા મળી છે, જે ભાજપ શાસિત રાજ્યોમાં પુનરાવર્તન તથા જ્યાં ભાજપનું થોડા દાયકા પહેલા સુધી નહીંવત્ અસ્તિત્વ હતું, તેવા રાજ્યોમાં ભાજપને બમ્પર વિજય મળતો જોવા મળી રહ્યો છે, કેરળ, તમિલનાડુમાં અલગ જ તસ્વીર જોવા મળી રહી છે.
આ પરિણામો દેશની જનતાનો મિજાજ તો દર્શાવે જ છે, પરંતુ આટલી બમ્પર જીત પછી વિજયી રાજકીય પક્ષોની જવાબદારી પણ વધારે છે. બીજી તરફ ચૂંટણી પંચ અને ચંટણી પ્રક્રિયા સામે ઊઠતા રહેલા સવાલો પણ વધુ ઘેરા બનશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
પ. બંગાળમાં મમતા દીદીના યુગનો અંત, તમિલનાડુમાં ડીએમકેનો દેશવટો અને કેરળમાં કોંગ્રેસને જનાદેશ મળતા દેશમાંથી ડાબેરી પક્ષોનો વાવટો વિંટાઈ રહેલો જોવા મળી રહ્યો છે. એકંદરે આ પુનરાવર્તન સાથે પરિવર્તનનો પવન દેશમાં ઈન્કમ્બન્સી અને એન્ટી-ઈન્કમ્બન્સીના ગણિતો માંડતા પોલિટિકલ પંડિતો માટે કોયડો બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો બમ્પર વિજય થયો, અને ઘણી પાલિકા-પંચાયતોમાં માત્ર ગણ્યા-ગાંઠ્યા વિપક્ષી ઉમેદવારો જીત્યા. આ કારણે પાલિકા-મહાપાલિકા-પંચાયતોમાં નિયમાનુસર વિપક્ષના નેતા માટે જરૂરી સંખ્યા પણ વિપક્ષની રહી નહીં હોવાથી જામનગર સહિત કેટલીક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તો વિપક્ષના નેતાની ઓફિસ અથવા ચેમ્બરને તાળા લાગી શકે છે, તેવી ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે.
જનતાએ ભલે ખોબલે ખોબલે મતો આપ્યા હોય, પરંતુ લોકતંત્રમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક મજબૂત વિરોધપક્ષ હોવો અત્યંત જરૂરી છે. શાસકો પણ જનસેવા માટે જ ચૂંટાતા હોય છે, પરંતુ તેની સાથે તંદુરસ્ત સ્પર્ધા કરતો અને જનહિત માટે સહયોગ તથા જરૂર પડ્યે વિરોધ કરતો વિપક્ષ તો હોવો જ જોઈએ, અન્યથા 'લોકતાંત્રિક તાનાશાહી'ની માનસિક્તા પનપતા વાર નથી લાગતી... હાલમાં પણ વિશ્વના ઘણાં દેશોમાં આ પ્રકારના દૃષ્ટાંતો મોજુદ છે. પહેલી ટર્મ કરતા ઘણી જ તો તોતીંગ બહુમતી મેળવીને અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ કદાચ આ પ્રકારના નોકતાંત્રિક સરમુખત્યાર બની ગયા હોય, તેવું લાગે છે.
પ્રવર્તમાન સમયમાં તો જનતાએ મજબૂત બહુમતી આપી હોય અને સત્તા પ્રાપ્ત થઈ હોય, તેમ છતાં વિપક્ષના ચૂંટાયેલા અલ્પમતના સભ્યોને પણ પક્ષાંતર કરાવવા અથવા રાજીનામું અપાવવાના પ્રયાસો થતા હોય તો તે શુદ્ધ લોકતાંત્રિક રણનીતિ નથી, પરંતુ સામ, દામ, ભેદની નીતિ અપનાવીને વિપક્ષોને નામશેષ કરવાનો પ્રયાસ જ ગણાય, અને તેવું થતું હોય ત્યારે સાચુકલી લોકશાહી પર ખતરો મંડરાવા લાગતો હોય છે. આપણાં દેશમાં આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં આ પ્રકારની રણનીતિ અવાર-નવાર વિવિધ રાજ્યોમાં અપનાવાતી રહી છે, અને સ્થાનિક કે પ્રાદેશિક કક્ષાએ આ કારણે સત્તાપલટા થયા હોવાના દૃષ્ટાંતો પણ આઝાદી પછીના ઈતિહાસમાં મળી રહે છે.
આપણાં દેશમાં પક્ષાંતર વિરોધી કાયદો લાગુ થયો અને વર્ષ ૧૯૮પ માં બાવનમાં (પર મા) બંધારણીય સુધારા દ્વારા ૧૦ મી અનુસૂચિ ઉમેરાઈ. વર્ષ ૧૯૬૭ થી ૧૯૭૦ માં આયારામ-ગયારામની પ્રવૃત્તિ એટલી ફાલીફૂલી હતી, કે એક જ દિવસમાં બે-ત્રણ પક્ષપલટા થતા, તો વારંવાર ચૂંટાયેલી સરકારો કે શાસનો તૂટી પડતા હતાં. જેની સામે કડક કાયદો લાગુ થયો, જે એક માઈલસ્ટોન પૂરવાર થયો. તે સમયે ચૂંટાયેલા સભ્યોના એકતૃતીયાંસ સભ્યો સામૂહિક પક્ષાંતર કરે, તો તેને પક્ષનું વિભાજન ગણીને માન્ય રાખવાની જોગવાઈ થઈ, અને જો એકલ-દોકલ પક્ષાંતર કરે, તો તેનું સભ્યપદ (ધારાસભ્ય કે સાંસદ તરીકેનું અને જ્યાંથી ચૂંટાયા હોય તે બેઠકનું સભ્યપદ) ગુમાવવું પડે, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને વડાપ્રધાન રાજીવ ગાંધી હતાં.
આ કડક કાયદો લાગુ થયા પછી પક્ષાંતરની પ્રવૃત્તિમાં ઘટાડો થયો, પણ અટકી નહીં. નાના ગૃહો તથા ઓછા સભ્યો ધરાવતા વિધાનસભા કે સંસદીય દળોમાં એક-તૃતીયાંસ સભ્યો મળીને પક્ષનું વિભાજન કરવા લાગ્યા, અને તેમાંથી પક્ષપલટાની એક અલગ જ પદ્ધતિ શરૂ થઈ ગઈ. આ કારણે વર્ષ-ર૦૦૩ માં પક્ષાંતર વિરોધી કાયદામાં એક તૃતીયાંસ સંખ્યાને વિભાજન ગણવાની જોગવાઈ રદ્ કરતો બંધારણીય સુધારો સંસદમાં પસાર કરાયો. બંધારણમાં ૯૧ મો સુધારો કરીને ચૂંટાયેલા સભ્યોની ગૃહમાં સંખ્યાના બે-તૃતીયાંસ સભ્યો પોતાની પાર્ટી એકસાથે છોડીને બીજા રાજકીય પક્ષમાં મર્જ થઈ જાય, એટલે કે વિલય (વિલિનિકરણ) થાય, તો જ તેને માન્યતા આપી શકાય. તે પ્રકારની કેટલીક વધુ કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી. એટલું જ નહીં, સંસદ કે વિધાનસભાઓમાં બહુમતીથી ચૂંટાયેલા પક્ષના કુલ સભ્યોના ૧પ ટકાનું જ મંત્રીમંડળ બની શકે, તેવી જોગવાઈ કરાઈ. આ કારણે જમ્બો મંત્રીમંડળો રચીને મંત્રીપદોની લાલચ આપવાની મોકળાશ પણ ખતમ થઈ ગઈ. આ સુધારા મુજબ જો કોઈપણ ચૂંટાયેલો સભ્યો પોતાનો પક્ષ છોડે, અને બીજા પક્ષમાં જાય, તો તેને પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરાવી શકાય તેવી જોગવવાઈ થઈ, જે બીજો માઈલસ્ટોન પૂરવાર થઈ.
જો કોઈ ચૂંટાયેલા સભ્યને પોતે જે પક્ષમાંથી ચૂંટાયેલો હોય, તેની વિચારધારા કે અન્ય કોઈપણ કારણે વાંધો પડે, તો તેમનું પોતાનું ધારાસભ્યપદ કે સંસદસભ્ય પદ છોડીને રાજીનામું આપવું પડે અને પછી બીજા પક્ષમાંથી લડવું પડે તેવી જોગવાઈ થઈ. આ વધુ કડક જોગવાઈઓ થઈ ત્યારે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી અને વડાપ્રધાન અટલબિહાર વાજપેયી હતાં.
જો કે, આ જોગવાઈઓ છતાં હજુ પણ પક્ષાંતરની પોલિટિકલ પદ્ધતિ તદ્ન ખતમ થઈ નથી. હવે નવા નિયમો મુજબ પહેલા પક્ષ છોડનાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાનું પદ છોડે છે, અને પછી બીજા પક્ષમાંથી ચૂંટણી લડે છે અથવા રાઘવ ચઢ્ઢા સહિતના સાત સાંસદોની જેમ બે તૃતીયાંસ સભ્યોનું જુથ પક્ષ છોડીને બીજા પક્ષમાં 'બંધારણીય' રીતે જોડાઈ જાય છે.આ કારણે હવે સંસદ, વિધાનસભાઓમાં તો વિપક્ષ નબળો પડી જ રહ્યો હતો, અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ એવું જ થઈ રહ્યું છે, જે બંધારણીય હોવા છતાં લોકતંત્ર માટે અનુકૂળ ગણાય નહીં.
જો કે, આવી સ્થિતિ અત્યારે જ ઊભી થઈ છે અને વિપક્ષો વિહોણાં કે નહીંવત્ વિપક્ષી સભ્યો ધરાવતા ગૃહો હોય જેવું અત્યારે જ થઈ રહ્યું નથી, પરંતુ ભૂતકાળમાં પણ એવી સ્થિતિ હતી, જ્યારે ઘણી વખત ગૃહમાં વિપક્ષના ગણ્યા-ગાંઠ્યા સભ્યો જ ચૂંટાઈને આવ્યા હોય...
દેશને આઝાદી મળી, તે પછી ૧૯પર થી ૧૯૬ર સુધી લોકસભામાં સામ્યવાદી પક્ષ માત્ર ૧૬ થી ર૯ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ હતો, અને કોંગ્રેસની તોતિંગ બહુમતી હતી. વર્ષ ૧૯૮૦ માં ઈન્દિરા ગાંધીની વાપસી થઈ, ત્યારે જનતા પાર્ટી પાસે માત્ર ૪૧ બેઠકો હતી. તે પહેલા વર્ષ ૧૯૭૧ માં પણ કોંગ્રેસ પાસે પ્રચંડ બહુમત હતો, તો બધા વિપક્ષોનો કુલ આંકડો પણ ૧૦૦ બેઠકો સુધી પહોંચતો નહોતો. વર્ષ ૧૯૮૪ માં તો કોંગ્રેસ પાસે પ૪૩ માંથી ૪૦૪ બેઠકો હતી, અને ત્યારે લોકભામાં તેલુગુ દેશમ પાર્ટી ૩૦ બેઠકો સાથે સૌથી મોટી વિપક્ષી પાર્ટી હતી. વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧૯ માં લોકસભામાં સૌથી મોટા વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પાસે અનુક્રમે ૪૪ અને બાવન બેઠકો હતી.
આ જ પ્રકારે ગુજરાત સહિત ઘણી વિધાનસભાઓમાં ભૂતકાળમાં વિપક્ષી સભ્યોની સંખ્યા ઘણી જ ઓછી હતી, અને પ્રવર્તમાન સમયમાં પણ દેશની કેટલીક વિધાનસભાઓમાં આ પ્રકારની સ્થિતિ છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ એવું થવા લાગ્યું છે, અને ત્યાં પણ પક્ષાંતરની નવી તરકીબો અજમાવાતી હોય છે.
આપણા દેશનો ઈતિહાસ એવો પણ રહ્યો છે કે પૂર્ણ બહુમત કે તોતિંગ જનાદેશ આપ્યા પછી પણ જનતા એકાદ ટર્મ માટે બીજો ચાન્સ આપે છે, અને તે પછી સંતોષ ન થાય તો સત્તા પરથી ઉખેડીને ફેંકી પણ દ્યે છે, તે હકીકત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગુજરાતનો ૬૭મો સ્થાપનાદિન છે, અને ગરવા ગુજરાતે ૬૬ વર્ષની ગૌરવવંતી છતાં પડકારભરી સફળ યાત્રા સંપન્ન કરી છે, જે ગુજરાતીઓની ખુમારી અને ખુદૃારી દર્શાવે છે. ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ સ્ટેટમાંથી છુટું પડયું અને પહેલી મે-૧૯૬૦ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની રચના થઈ હતી, તે પછી સાડા છ દાયકાની સફર દરમ્યાન ગુજરાતે ઘણાં પડકારોનો સામનો કર્યો છે. ભયંકર દુષ્કાળો, કુદરતી આફતો, કોમી તોફાનો, અનેક પ્રકારના જન આંદોલનો તથા સંઘર્ષોનો સામનો ગુજરાતે કર્યો છે, તેમ છતાં ગુજરાત અને ગુજરાતીઓએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદીકાળથી લઈને આજ પર્યંત માત્ર રાજકીય જ નહીં, ઉદ્યોગ, વ્યાપાર, સાયન્સ-ટેકનોલોજી, સ્પેસ, હેલ્થ, એજ્યુકેશન સહિત અનેક ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનુરૂપ યોગદાન આપ્યું, મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી, કૃષિ-સિંચાઈ, રોજગાર અને માળખાકિય ક્ષેત્રે હરણફાળ ભરી અને વખતોવખત દેશને સબળ નેતૃત્વ પૂરૃં પાડયું તે ગુજરાતીઓની ખુમારી, કુશળતા, કૌશલ્ય અને ક્ષમતા દર્શાવે છે. પ્રત્યેક ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે તેવી ઘણી સિદ્ધિઓ ગુજરાતે હાંસલ કરી છે અને તમામ ક્ષેત્રે દેશની પ્રગતિમાં સ્થાપનાદિનથી આજ સુધી હંમેશાં સિંહફાળો આપ્યો છે, તે હકીકતને કોઈ નકારી શકે તેમ નથી.
ગુજરાતે અનેક ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં કેટલાક ક્ષેત્રે ત્રુટિઓ રહી ગઈ હોય, ધાર્યા પરિણામો ન આવ્યા હોય કે મૂળભૂત સેવા-સુવિધાઓમાં ખામી રહી ગઈ હોય, તો તેની ખેલદિલીથી સમીક્ષા કરીને તેની પૂર્ણતા કરવાનો સંકલ્પ પણ આજે લેવા જેવો છે. આપણે જ્યારે ગુજરાતની ગરિમાની વાત કરીએ, ત્યારે સાડા છ દાયકાની સફળ સફર દરમ્યાન સહભાગી થનાર, બલિદાનો આપનાર અને વખતોવખત દિશાદર્શન કરનાર તમામ ગુજરાતીઓને યાદ કરીએ અને તેઓના પંથે આગળ વધવાનો સંકલ્પ કરીએ...
ગુજરાત વર્ષ ૧૯૬૦ની પહેલી મે ના સ્વતંત્ર રાજ્ય બન્યુ, તે પછી સતત ઘણાં પડકારો, વિપત્તિઓ અને સંઘર્ષોનો સામનો પહેલેથી જ ગુજરાત કરતું રહ્યું છે અને તમામ કસોટીઓમાંથી સાંગોપાંગ પાર ઉતરતું રહ્યું છે, તે ગુજરાત અને ગુજરાતીઓની અનોખી ગૌરવગાથા છે. આજે ઘણાં ગુજરાતીઓ દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, અને મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પણ શોભાવી રહ્યા છે. ગુજરાતીઓ સાહસિક અને સૌજન્યશીલ હોય છે, અને તેથી જ ગુજરાતની ઘણી હસ્તીઓએ દેશ અને દુનિયામાં ઝળહળતી સફળતાઓ મેળવી છે અને હાલમાં પણ મેળવી રહ્યા છે.
એ તો બધાને ખબર જ છે કે ભાષા આધારિત રાજ્યોની વર્ષ ૧૯૫૬થી થયેલી રચનાઓ પછી તે સમયના મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મરાઠાવાડ (મહારાષ્ટ્ર) અલગ-અલગ રાજ્યોની રચના માટે આંદોલનો થયા હતા અને મહાગુજરાત આંદોલન પછી બંને રાજ્યોને વર્ષ ૧૯૬૦ના પહેલી મે ના દિવસે માન્યતા અપાઈ, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા બન્યા, તે પછી બળવંતરાય મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામ ઓઝા, ચિમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબિલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા છે. આ પૈકી એકથી વધુ સમયગાળો (ટર્મ) માટે ત્રણ-ચાર નેતાઓ રહ્યા હતા, તો પાંચેક વખત રાષ્ટ્રપતિ શાસન પણ રહ્યું હતું.
ગુજરાતની સ્થાપના થઈ ત્યારે હંગામી ધોરણે અમદાવાદ અને પછી ગાંધીનગર રાજધાની બની, પરંતુ પ્રારંભના વર્ષોમાં રાજયકક્ષાના ઈન્ફ્રાસ્ટ્રકચર, મિકેનીઝમ અને પર્યાપ્ત આવકના અભાવે ઘણાં પડકારો આવ્યા. રાજ્યમાં વીજળી, પાણી, સડકોની સુવિધાનો અભાવ હતો. ૧૯૭૦ના દાયકામાં રાજકીય ઉથલ પાથલો વચ્ચે નવનિર્માણ આંદોલનમાં ચિમનભાઈ પટેલની સરકાર ઉથલી ગઈ અને વર્ષ ૧૯૭૫માં પહેલી બિન કોંગ્રેસી જનતા મોરચાની સરકાર રચાઈ, જેના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ બન્યા. કટોકટીકાળમાં ગુજરાતમાં વિપક્ષી મોરચાની (જનતા મોરચાની) સરકાર હતી, પરંતુ ૧૯૭૬માં માધવસિંહ સોલંકીની સરકાર આવી, વર્ષ ૧૯૭૭માં ફરી જનતા પાર્ટીની સરકાર રચાઈ, પરંતુ વર્ષ ૧૯૮૦માં ઈન્દિરા ગાંધીની વાપસી પછી પુનઃ કોંગ્રેસની રાજય સરકાર બની. તે પછી અનામત વિરોધી આંદોલનો થયા અને ૧૯૮૦ના દાયકામાં નવા પડકારો આવ્યા.
કોંગ્રેસના બદલતા શાસનો દરમ્યાન ચિમનભાઈ પટેલ પછી માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીના મુખ્યમંત્રી તરીકેના સમયગાળાઓ ઘણાં જ પડકારજનક રહ્યા હતા અને તે દરમ્યાન કોમી તોફાનો તથા કર્ફ્યુનો સીલસીલો પણ રાજયભરના શહેરોમાં ચાલ્યો હતો. રાજ્યમાં જનતાદળ અને ભાજપની સંયુક્ત સરકાર પણ આવી અને ગઈ. વર્ષ ૧૯૯૦ના દાયકા પછી રાજ્યમાં એક તરફ અશાંતિ અને રાજકીય ઉથલ પાથલો હતી, તો રાજ્યમાં વર્ષ ૧૯૮૦ થી ૧૯૯૦ વચ્ચે પડેલા સતત દૂષ્કાળોએ પણ પડકારો ઊભા કર્યા હતા, તો નર્મદા વિરોધી અને નર્મદા તરફી આંદોલનોના કારણે પણ રાજ્યમાં સતત અનિશ્ચિતતા તથા અજંપો રહ્યો હતો. વર્ષ ૧૯૯૨ના અયોધ્યા આંદોલન અને પછીના સમયમાં આંદોલનો, હિંસક તોફાનો અને સતત કર્ફ્યુ જેવા ઘટનાક્રમો પછી વર્ષ ૧૯૯૫માં કેશુબાપાની સરકાર આવી, અને પછી સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા, પરંતુ બળવો થતાં શંકરસિંહ વાઘેલાએ રાજપાની સરકાર રચી, આ ટૂંકા ટૂંકા ગાળામાં પુનઃ મુખ્યમંત્રી બદલ્યા, તે પછી કેશુબાપા ફરીથી મુખ્યમંત્રી બન્યા, પરંતુ વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં ભાજપની સરકાર ડગમગવા લાગી, ત્યારે ભાજપના હાઈકમાન્ડે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓએ વર્ષ ૨૦૧૩ સુધી ગુજરાતનું સુકાન સંભાળ્યું અને વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા, આમ, ગુજરાતની રચના થઈ, તે પછી ઘણાં રાજકીય પડકારોનો સામનો કરવો પડયો હતો.
જો કે, ગુજરાત રાજ્યની રચના થયા પછી ઈસરોની સિદ્ધિઓ, ગુજરાતી વિજ્ઞાનીઓની ઉપલબ્ધિઓ, ડો.ભાભા, ડો. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોના કારણે રાજ્યની ગરિમા વધી, ૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ થયો. ટેક્સટાઈલ્સ, પેટ્રોકેમિકલ્સ, હીરા ઉદ્યોગ ધમધમ્યા, જામનગર સહિત રાજ્યમાં રિફાઈનરીઓ વિકસી. સરદાર સરોવર યોજના તે પછી ૧૯૯૦-૨૦૦૦ના દાયકામાં ચર્ચાના કેન્દ્રમાં રહી અને અંતે સંપન્ન થઈ. અને ત્યાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થપાઈ, તથા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" ને વૈશ્વિક ગૌરવ પ્રાપ્ત થયું.
ગુજરાતની સ્થાપના પછી વર્ષ ૧૯૬૦ના દાયકાથી વીજળીકરણ વિસ્તાર્યું અને આજે ગામડાઓ સુધી વીજપુરવઠો પહોંચ્યો છે. નર્મદા યોજના તથા અન્ય યોજનાઓ હેઠળ પાણી પુરવઠો ઘેર-ઘેર પહોંચાડાય છે. વેપાર-ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ છે. ગુજરાત ઔદ્યોગિક હબ બન્યું છે. બિન પરંપરાગત ઉર્જાના ક્ષેત્રે પણ ગુજરાત આગળ વધી રહ્યું છે. આ બધી ગુજરાતની ગૌરવયાત્રાની સિક્કાની બીજી બાજુ પણ છે. ગુજરાત હજુ પણ કેટલાક ક્ષેત્રોમાં પાછળ છે. જે પ્રકારનો પ્રચાર થાય છે, તેના કરતાં વાસ્તવિકતા જુદી હોવાની આલોચના પણ વખતો વખત થતી રહી છે. તે ઉપરાંત ગુજરાતની ગૌરવયાત્રામાં ગુજરાતની સ્થાપના પછી આજ પર્યંતની તમામ સરકારો જ નહીં, પરંતુ ખમીરવંતા ગુજરાતીઓ, દાતાઓ, વિવિધક્ષેત્રોના મહારથીઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સેવાના ભેખધારીઓ તથા અથાગ પરિશ્રમ કરતા તમામ સામાન્ય ગુજરાતીઓ પણ યશભાગી છે. ગુજરાત અને વિશ્વભરમાં પથરાયેલા ગરવા ગુજરાતીઓને ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે હજુ તો પ. બંગાળમાં મતદાન પૂરૃં જ થયું હતું, ત્યાં પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ્સ આવવા લાગ્યા હતાં, અને પ. બંગાળમાં ભાજપ-એનડીએની સરકાર રચાશે તેવા આંકડાઓ આવવા લાગ્યા હતાં, તે પછી આ સીલસીલો ચાલતો રહ્યો અને આજે સવાર થતાં થતાં પોલ્સ ઓફ પોલ્સ એટલે કે તમામ સર્વેની સરેરાશ કાઢીને રાજ્યવાર અનુમાનિત આંકડાઓ દર્શાવાયા, જેને લઈને મતમતાંતરો હોય એ સ્વાભાવિક છે.
ગઈ મોડી રાત સુધીમાં એક પછી એક એક્ઝિટ પોલ્સ આવતા ગયા, અને કેટલાક એક્ઝિટ પોલ્સમાં ટીએમસીની બમ્પર જીત બતાવાઈ. તે પછી તમામ સર્વેની સરેરાશ કાઢતા ટીએમસી અને ભાજપને બન્નેને ૧૪૦ ની આસપાસ બેઠકો બતાવાતા કાંટે કી ટક્કર બતાવાઈ રહી છે. તમિલનાડુમાં ફરીથી ડીએમકેની સત્તા આવે તેવા સંકેતો છતાં કેટલાક સર્વેમાં નવી પાર્ટી સાથે ડીએમકે અને એડીએમકે (એઆઈએડીએમકે) નો ત્રિપાંખિયો જંગ દર્શાવી ત્યાં પણ કાંટે કી ટક્કર બતાવાઈ રહી છે, જો કે આસામ અને પુડુચેરીમાં ભાજપ (એનડીએ) ને જનાદેશની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે, તો કેરળમાં ડાબેરીઓના ગઠબંધનની એલડીએફની સત્તા કોંગ્રેસના નેતૃત્વવાળું યુડીએફ ગઠબંધન લઈ રહ્યું હોવાનું દર્શાવાઈ રહ્યું છે.
આપણાં દેશમાં એક્ઝિટ પોલ્સ જ્યારે વાસ્તવિક પરિણામોની નજીક હોય, ત્યારે તેની જોરદાર વાહવાહી થતી હોય છે, અને તે જ સર્વે એજન્સી દ્વારા કરાયેલા એક્ઝિટ પોલ બીજી ચૂંટણીમાં ખોટા પડે, ત્યારે તેનો બહું ઉલ્લેખ થતો હોતો નથી. આમ પણ એક્ઝિટ પોલ્સ કરનાર એજન્સીઓ પોતે જ એવું સ્પષ્ટ કહેતી હોય છે કે આ અનુમાનો જ છે, બાકી મતગણતરી પછી જે રિઝલ્ટ આવે તે ખરૃં...
ઓક્ઝિટ પોલ્સ થોડા દિવસો માટે એક પ્રકારનો રાજકીય માહોલ જરૂર ઊભો કરે છે, પરંતુ જ્યાં સુધી 'એક્ઝેટ રિઝલ્ટ' ન આવે, ત્યાં સુધી માત્ર દેશવ્યાપી ચર્ચાઓનો વિષય જ રહે છે.
પ. બંગાળ વિધાનસભા માટે વર્ષ ર૦૧૧ માં ડાબેરી પક્ષોના ૩૪ વર્ષના શાસનનો અંત આવશે, તેવા તારણો કાઢતા એક્ઝિટ પોલ્સ તૃણમુલ કોંગ્રેસને બહુમતી દર્શાવતા હતાં, પરંતુ એક્ઝેટ પરિણામોમાં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસને ર૧૧ બેઠકો આપીને એક્ઝિટ પોલ્સથી પણ વધુ બેઠકો મળી હતી. વર્ષ ર૦૧૬ માં પણ તૃણમુલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર દર્શાવતા એક્ઝિટ પોલ્સ આવ્યા હતાં, પરંતુ એક્ઝેટ પરિણામો આવ્યા, ત્યારે તૃણમુલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપતો જનાદેશ મળ્યો હતો, અને બમ્પર જીત મળી હતી. ગત્ ચૂંટણી એટલે કે વર્ષ ર૦ર૧ ની પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર બતાવાઈ હતી અને ભાજપની તમામ સર્વોચ્ચ નેતાગીરીએ એડીચોટીનું જોર લગાવ્યું હતું, છતાં તુણમુલ કોંગ્રેસને ર૯૪ માંથી ર૧પ બેઠકો મળી હતી અને 'કાંટે કી ટક્કર' બતાવીને ભાજપના શાસનના સપના સેવાઈ રહ્યા હતાં, તે ખોટા ઠર્યા હતાં અને ભાજપને માત્ર ૭૭ બેઠકો મળી હતી, જો કે એ પહેલા પ. બંગાળની વિધાનસભામાં સીંગલ ડિજિટનો આંકડો ધરાવતા ભાજપે ૭૭ બેઠકો મેળવીને ઊંચો જમ્પ લગાવ્યો હતો, પરંતુ સત્તાપ્રાપ્તિના સપના અધુરા રહી ગયા હતાં.
આ વખતે પણ ભાજપની સરકારની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે, અને તૃણમુલ કોંગ્રેસ કરતા વધુ બેઠકો બતાવાઈ રહી છે, પરંતુ પ. બંગાળમાં એક્ઝિટ પોલ્સનો ઈતિહાસ જોતા 'એકઝેટ' પરિણામોની ખબર તો ચોથી મે ના જ પડશે.
તમિલનાડુમાં આઝાદી પછી વર્ષ ૧૯૮૭ માં કોંગ્રેસને હરવીને ડીએમકેએ સત્તા સંભાળી, ત્યારથી ત્યાં ક્ષેત્રિય પક્ષોનો દબદબો રહ્યો છે. તે પછી ત્યાં ડીએમકે તથા એઆઈએડીએમકેની વારાફરતી સત્તા રહી છે. વર્ષ ર૦૧૧ માં એક્ઝિટ પોલ્સ દ્વારા એઆઈએડીએમકેની બમ્પર જીતના કરાયેલા અનુમાનો સાચા પડ્યા હતાં, તો વર્ષ ર૦૧૬ માં ડીએમકે સાથે કાંટે કી ટક્કર બતાવાઈ હોવા છતાં ફરીથી એઆઈએડીએમકેને સત્તા મળી હતી,જો કે વર્ષ ર૦ર૧ માં એક્ઝિટ પોલ્સ દ્વારા ડીએમકેને બહુમતીની સંભાવના બતાવાઈ હતી, જે સાચી પડી હતી. આમ તમિલનાડુમાં સરેરાશ એક્ઝિટ પોલ્સ સાચા પડ્યા છે. એવી જ રીતે કેરળમાં વર્ષ ર૦ર૧ માં એલડીએફની સત્તાવાપસીના અનુમાનો સાચા પડ્યા હતાં. આ વખતે સત્તા પરિવર્તનના અનુમાનો થઈ રહ્યા છે, તેથી દક્ષિણ ભારતના આ રાજ્યોમાં એક્ઝિટ પોલ્સ એક્ઝેટ પરિણામોની નજીક રહ્યા હોવાના કારણે ત્યાં આ વખતે પણ એક્ઝિટ પોલ્સે આશાવાદ જગાવ્યો છે.
આસામમાં પણ વર્ષ ર૦૧૧ માં આસામ ગણ પરિષદ અને ભાજપના સંદર્ભે અક્ઝિટ પોલે દર્શાવેલી સંભાવનાઓ પછી વર્ષ ર૦૧૬ માં સત્તા પરિવર્તનની સંભાવના જણાવી, અને ખરેખર પહેલી વખત આસામમાં ભાજપની સરકાર રચાઈ, અને વર્ષ ર૦ર૧ માં સીએએના મુદ્દે પ્રચંડ પડકાર છતાં ભાજપને પુનઃ સત્તા મળી. આ વખતે પણ એક્ઝિટ પોલ્સ કાંઈક એવા જ સંકેતો આપી રહ્યા છે, પરંતુ એક્ઝેટ પરિણામોની જ રાહ જોવી રહી.
કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમં પણ વર્ષ ર૦ર૧ માં એક્ઝિટ પોલ્સના અનુમાનો સાચા પડ્યા હતાં, અને એનડીએની સરકાર રચાઈ હતી. જેના પુનરાવર્તનના સંકેતો આ વખતે પણ એક્ઝિટ પોલ્સે આપ્યા છે. આ એક્ઝિટ પોલ્સ હકીકતે 'એકઝેટ' ઠરે છે કે રિજેક્ટ થાય છે, તે તો ચોથી મે ના દિવસે જ ખબર પડશે.
લોકસભાની ચૂંટણીઓમાં વર્ષ ૧૯૯૮ અને ૧૯૯૯ માં લગભગ સાચા પડેલા એક્ઝિટ પોલ્સ વર્ષ ર૦૦૪ મા પુનરાવર્તન અને 'સાઈનીંગ ઈન્ડિયા'ના અનુમાનોનો પરપોટો ફૂટ્યો અને કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર રચાઈ હતી,અને વર્ષ ર૦૦૯ માં પણ પુનઃ જનાદેશ આપ્યો હતો. વર્ષ ર૦૧૪ માં ભાજપાને સાદી બહુમતી માંડ મળશે, તેવા અનુમાનો હતાં, પરંતુ મોદી લહેરમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી, અને વર્ષ ર૦૧૯ માં પુનરાવર્તનની આગાહી પણ સાચી પડી હતી, પરંતુ વર્ષ ર૦ર૪ માં ભાજપને સ્પષ્ટ બહુમતી જેટલી બેઠકો ન મળી અને અન્ય પક્ષોના ટેકાથી એનડીએની સરકાર રચાઈ. વર્ષ ર૦ર૬ માં છત્તીસગઢની વિધાનસભાના સરેરાશ એક્ઝિટ પોલ્સ સાચા ઠર્યા નહોતાં.
આ જ રીતે ગત્ હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર રચાશે, તેવા અનુમાનો હતાં, પરંતુ તેનાથી તદ્ન વિપરીત ભાજપને બહુમતી મળી હતી. આ જ પ્રકારનો ઈતિહાસ દેશની ઘણી વિધાનસભાઓના એક્ઝિટ પોલ્સનો પણ છે. તેથી કહી શકાય કે એક્ઝિટ પોલ્સ હંમેશાં સાચા જ હોય તેવું પણ નથી અને હંમેશાં ખોટા હોય તેવું પણ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભલે ભાજપની સુનામી આવી હોય અને રાજ્યભરમાં કેસરિયો લહેરાયો હોય, પરંતુ કેટલાક એવા પરિણામો પણ આવ્યા છે કે જે એવું પૂરવાર કરે છે કે હવે મતદારો માત્ર પક્ષ-પાર્ટી-વિચારધારા જ નહીં, ઉમેદવારોની પરખ પણ કરે છે અને મોટાભાગે પક્ષપલટુઓને નાપસંદ કરતા હોવા છતાં ઘણી જગ્યાએ પક્ષાંતર કરનારા ઉમેદવારો પણ જીત્યા છે, તેથી એવું કહી શકાય કે મતદારો માત્ર પાર્ટી કે જ્ઞાતિ-સમાજ વગેરે નહીં, પરંતુ ઉમેદવારની વ્યક્તિગત પરખ કરીને મતદાન કરે છે, જે મતદારોની પુખ્તા અને સમજદારી દર્શાવે છે. બીજી તરફ કેટલાક હારેલા ઉમેદવારો ચૂંટણી પ્રક્રિયા ઈ.વી.એમ.ના મુદ્દે કાનૂની લડત આપવાનું વિચારી રહ્યા હોવાની વહેતી થયેલી વાતોએ પણ ચર્ચા જગાવી છે. આ પ્રકારની ફરિયાદો લગભગ તમામ ચૂંટણીઓ પછી ઊઠતી હોય છે, પરંતુ રાજ્યભરમાં બનેલી કેટલીક નોંધપાત્ર ઉલટફેર તથા આશ્ચર્યજનક હારજીતની ઘટનાઓની સાથે સાથે ચૂંટણી જીતવા માટેની તરકીબો તથા ગાડરિયા પ્રવાહની દલીલો છતાં એ પણ હકીકત છે કે રાજ્યમાં ભાજપને પ્રચંડ જનાદેશ મળ્યો છે અને એન્ટી-ઈન્કમ્બન્સી છતાં ભાજપે પુનઃ પ્રચંડ જનાદેશ મેળવ્યો છે. ઘણાં લોકો આ વિજયને વિપક્ષોની નબળાઈનું પરિણામ ગણાવે છે, ઘણાં લોકો ભાજપની વ્યૂહરચના, માઈક્રો પ્લાનિંગ તથા કાર્યકર્તાઓની ફોજને યશભાગી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક વિશ્લેષકો ત્રિપાંખિયા જંગમાં શસક પક્ષ વિરોધી મતો વહેંચાઈ ગયા હોવાના કારણો પણ વર્ણવી રહ્યા છે, જો કે આવા કારણો અને તારણો માટે સંસ્થાવાર, બેઠકવાર અને ઉમેદવારને પણ લક્ષ્યમાં રાખીને ઊંડી સમીક્ષાની જરૂર રહે છે, પરંતુ એટલી મહેનત ક્યાં કોઈ કરે છે?
જનતાનો જનાદેશ આખા રાજ્યમાં એકતરફી કે એકસરખો નથી, પણ કોંગ્રેસનો રકાસ જોતા ખરેખર કોંગ્રેસે પણ આત્મમંથન કરવાની જરૂર હોવાના મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે, તો ભાજપે પણ જવલંત વિજયને પચાવીને જનસેવામાં લાગી જવું જોઈએ. મુખ્ય રાજકીય પક્ષોના માથાઓનો પરાજય પણ એ પૂરવાર કરે છે કે, મતદારો હવે સમજી-વિચારીને મતદાન કરે છે, અને માત્ર પાર્ટી, વિચારધારાને નહીં, પરંતુ કમ-સે-કમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તો ઉમેદવારોનું પણ મૂલ્યાંકન કરે છે. બીજી દૃષ્ટિએ લોકલ ચૂંટણીઓમાં જ્ઞાતિ-જાતિ-પારિવારિક સંબંધો અને મિત્રતા વગેરે ફેક્ટર પણ થોડી ઘણી અસર કરતા હોય છે, તે પણ ધ્યાનમાં રાખવું પડે તેમ છે.
જામનગરમાં ધવલ નંદા અને દિગુભા જાડેજા જેવા દિગ્ગજ સ્થાનિક નેતાઓનો પરાજય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, પરંતુ આ પ્રકારનો પરાજય થયો હોય તેવા તેઓ એકલ-દોકલ દિગ્ગજ નથી, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ હાર્યા અને પૂર્વ આઈપીએસ ઓફિસર મનોજ નિનામા પણ હાર્યા. ભાજપના આ દિગ્ગજ ઉમેદવારો ઉપરાંત અમરેલી જિલ્લામાંથી લોકપ્રિય લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્રી સોનલ ડેર પણ હારી ગયા છે, તેવી જ રીતે રાજ્યમાં એવા ઘણાં ભાજપના દિગ્ગજોનો પરાજય થયો છે, તે આશ્ચર્યજનક ગણાય.
જામનગરના વતની જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન રાજકોટમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા હતાં, તેઓ હાર્યા છે. વડોદરાના સર્વપરિચિત મહિલા નેતા અમી રાવત કોંગ્રેસ તરફથી વડોદરામાં હારી ગયા છે. વડોદરામાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા બાળાસાહેબ સૂર્વેનો પણ પરાજય થયો છે.
રાજકોટમાં પણ કોંગ્રેસના જાણીતા ચહેરા હાર્યા છે, જેમાં વશરામ સાગઠિયાનો પરાજય થયો છે. તેઓ પણ આમ આદમી પાર્ટીમાં ગયા પછી કોંગ્રેસમાં પરત ફર્યા હતાં, અને કોંગ્રેસમાંથી પૂરી તાકાતથી ચૂંટણી લડ્યા હતાં. તેમનો પરાજય રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના ભાઈ પણ હાર્યા છે, તો અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા જેવા અગ્રગણ્ય લોકલ કોંગી લીડર્સને પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે.
આમ આદમી પાર્ટીને પણ ઘણાં ઝટકા લાગ્યા છે. ગત્ ચૂંટણીમાં તેજતર્રાર યુવાનેતા તરીકે ઉભરેલા પાયલ સાકરિયા હારી ગયા, તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કક્ષાએ કાર્યરત સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા હાર્યા છે. તે ઉપરાંત કોંગ્રેસે રાજકોટમાં સોશ્યલ મીડિયા સ્ટાર આર.જે. આભાને મેદાનમાં ઉતાર્યા હતાં, પરંતુ તેઓ જીતી શક્યા નથી. ત્રણેય મુખ્ય પક્ષોના દિગ્ગજો તથા પ્રદેશકક્ષાના લીડર્સના ગઢમાં ગાબડા પડ્યા હોય તેવા કેટલાક પરિણામો પણ ચોંકાવનારા રહ્યા છે.
એવું નથી કે મતદારો સેલેબ્રિટિઝ કે કલા કે સાહિત્ય ક્ષેત્રે લોકપ્રિય કલાકારોને ચૂંટણીમાં પણ 'લાઈક' કરીને મત આપી દ્યે, અને એવું પણ નથી કે પક્ષાંતર કરનારા બધા નેતાઓને મતદારો નકારે જ છે. હકીકતે મતદારો ઉમેદવારની વિશેષતા,વ્યવસાય અને વિવિધ ક્ષેત્રના કૌશલ્ય ઉપરાંત જનસેવાની ક્ષમતા તથા તત્પરતાની દૃષ્ટિએ પણ મુલવતા થયા છે, અને તેથી જ કેટલાક પક્ષપલટુઓ હાર્યા, તો કેટલાક જીત્યા પણ છે. તેવી જ રીતે વિવિધ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ઘણાં ઉમેદવારો હાર્યા છે, તો કેટલાક જીત્યા પણ છે.
હવે નવા ચૂંટાયેલા તમામ ઉમેદવારો નગરસેવક કે પંચાયતી પ્રતિનિધિ તરીકે જનતાની અપેક્ષાઓ સંતોષે અને સુખ-દુઃખમાં પ્રજાની પડખે ઊભા રહે, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે સવારથી જબરદસ્ત ઉત્તેજન, કુતૂહલ, ઈન્તેજારી અને આશાવાદ વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી શરૂ થઈ છે, અને જામનગર દ્વારકા જિલ્લાની બન્ને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, ખંભાળિયા, જામરાવલ અને સિક્કા નગરપાલિકાઓ તથા સલાયાની એક બેઠક માટે પેટા ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે, તેવી જ રીતે જામનગર મહાનગરપાલિકા ૧૬ વોર્ડના ૬૪ માંથી એક બેઠક બિનશરિફ થતા ૬૩ બેઠકના પરિણામો પણ આજે તબક્કાવાર આવી રહ્યા છે. સવારથી જુદા જુદા મતણતરી કેન્દ્રો પર ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે, અને જબરો ઉન્માદ છવાયેલો જોવા મળી રહ્યો છે.
જામનગર-હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં પણ આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે મતગણતરી ચાલી રહી છે. જામનગર ઉપરાંત ૧૪ મહાનગરપાલિકાઓ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ઉપરાંત ૩ર જિલ્લા પંચાયતો, ખંભાળિયા, જામનગર અને સિક્કા ઉપરાંત ૮૧ નગરપાલિકાઓનું સૂકાન જનતા કોને સોંપે છે, તેનો ફેંસલો થઈ રહ્યો છે. આજે જે જનાદેશ આવી રહ્યો છે, તે પછી સ્વાભાવિક રીતેજ 'કહીં ખુશ, કહીં ગમ' જેવા સંજોગો ઊભા થતા હોય છે.
જો કે, કોઈપણ ચૂંટણી જંગમાં સ્પર્ધા થાય તો બેઠકવાર કોઈ એક ઉમેદવારનો જ વિજય થતો હોય છે અને બાકીના ઉમેદવારોનો પરાજય થતો હોય છે, તે સનાતન સત્ય સ્વીકારીને મોટાભાગે હારેલા ઉમેદવારો ખેલદિલીપૂર્વક જનાદેશને માથે ચડાવીને હાર સ્વીકારતા હોય છે, અને વિજય થયેલા પોતાના પ્રતિસ્પર્ધીને અભિનંદન આપતા હોય છે અને તે જ આપણાં દેશની તંદુરસ્ત લોકશાહીની ખૂબસુરતી છે કેટલાક સ્થળોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નાની-મોટી અનિચ્છિનિય ઘટનાઓ પણ બનતી હોય છે, પરંતુ લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન હોતું નથી. ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ ઘણી જ ઓછી બનતી હોય છે. આજે જે પરિણામો આવશે, તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ભવિષ્ય તો નક્કી કરશે જ, પરંતુ ઉમેદવારો અને રાજકીય પક્ષોની પણ દિશા નક્કી કરશે. જનાદેશ સર્વોપરિ હોય છે, છતાં ક્યાંક કોઈ ગેરીતિ કે અનિયમિતતાઓ થઈ હોય, તો ત્યાંથી ફરિયાદો ઊઠે એ સ્વાભાવિક છે, અને તેની પારદર્શક ઢબે તપાસ કરીને લોકોને સંતોષ થાય, તે રીતે ફરિયાદોનું નિવારણ કરવાની જવાબદારી પણ ચૂંટણી પંચની ગણાય.
આજે હાલાર સહિત રાજ્યમાં ભાજપનો ભગવો ઠેર-ઠેર લહેરાયો છે, તો કેટલાક સ્થળે વિપક્ષોએ હાજરી નોંધાવી છે. પૂર્ણ પરિણામો પછી ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થશે. આજે જે ઉમેદવારોનો વિજય થયો છે, તેની જવાબદારી આજથી જ વધી જાય છે,અને ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો સમક્ષ કરેલા વાયદાઓ ઉપરાંત પણ જ્યાંથી જનપ્રતિનિધિત્વ મળ્યું છે, તે વિસ્તારના તમામ નાગરિકોના સુખ-દુઃખમાં સહભાગી થઈને કોઈપણ ભેદભાવ વગર 'જનસેવા' કરવાની કાળજીપૂર્વક જવાબદારી નિભાવવી પડશે. અત્યારે જે જનાદેશ આવ્યો છે, તે આપણી સામે જ છે.
હવે એ યુગ રહ્યો નથી, કે ચૂંટણી પછી જનતા બધું ભૂલી જાય અને જનતાના પ્રતિનિધિઓ પોતાની મૂળભૂત ફરજો બજાવવાથી વિમૂખ થઈ જાય, અને જનતા ગુપચૂપ સહન કર્યા કરે. હવે તો જે મતદારોએ મતો આપ્યા હોય અને તેની અપેક્ષાઓ મુજબની જનસેવા તેમણે ચૂંટેલા જનપ્રતિનિધિ ન કરે, તો તેઓ સોશ્યલ મીડિયા, પ્રેસ-મીડિયાના માધ્યમથી અવાજ ઊઠાવતા થયા છે. એટલું જ નહીં, જરૂર પડ્યે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહો પણ કરતા હોય છે. કેટલાક જાગૃત નાગરિકો તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પર બાજ નજર રાખે છે, અને કોઈપણ સમયે જરૂર પડે તો અદાલતોના દ્વાર પણ ખખડાવતા હોય છે, તેથી જીતે તે આજે ભલે મન ભરીને જશ્ન મનાવે, પરંતુ આવતીકાલથી જ 'જનસેવા'માં લાગી જવાનું છે, તે ભૂલાય નહીં... અન્યથા જનતા જવાબ જરૂર માગશે...
જે ઉમેદવારો હારી જાય, તેમણે હતાશ કે નિરાશ થવાની જરૂર તો નથી જ, પરંતુ તેનાથી વિપરીત બેવડા જોશથી જનસેવાના કામે લાગી જવાનું છે. હારેલા ઉમેદવારોએ જનતાની સેવા તેઓ કરતા જ રહેશે...
આજે જે પરિણામો આવી રહ્યા છે છે, તેની અત્યારથી જ સમીક્ષા શરૂ થઈ ગઈ છે, અને હાર-જીત માટે કારણભૂત પરિણામો તથા કારણોના સંશોધનો થઈ રહ્યા છે, તો બીજી તરફ નવા હોદ્દેદારો કોણ હશે, પ્રમુખ કે મેયર કોણ બનશે તથા રાજકીય પક્ષો એ માટે ક્યા માપદંડો અપનાવશે, તેની ચર્ચા વચ્ચે અત્યાર સુધીમાં આવી ચૂકેલા મહત્તમ પરિણામો પછી રાજકીય પક્ષો પણ તદ્વિષયક સમીક્ષાઓ પણ કરી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર નેતાઓ-કાર્યકરોને સસ્પેન્ડ કરવાનો સીલસીલો પણ ગઈકાલથી જ શરૂ થઈ ગયો હતો. જોઈએ, હવે શું થાય છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ધોમધખતો તાપ, બપોરે અગ્નિજાળા જેવી લૂ અને કેટલાક વિસ્તારોમાં અટપટી ગલી-શેરીઓમાં ગોઠવેલા મતદાન મથકોની ભૂલભૂલામણી વચ્ચે પણ જામનગરમાં પ૭ ટકાથી વધુ મતદાન થયું હોવાના અહેવાલોએ દ્વિધા ઊભી કરી દીધી છે. રાજ્યભરમાં શહેરી મતદારો ઉદાસિન રહ્યા હોય કે પછી બબળતા ઉનાળાની અસર થઈ હોય, પરંતુ ઉમેદવારો અને રાજકીય પક્ષોની અપેક્ષા મુજબનું ધીંગુ મતદાન થયું નથી, તેમાં પણ જામનગરમાં એક યુવા ઉમેદવારના હાર્ટએટેકથી થયેલા નિધને ગમગીની ફેલાવી દીધી હતી.
રાજ્યમાં મહાનગરપાલિકાઓનું સરેરાશ મતદાન પ૦ ટકાથી ઓછું રહ્યું છતાં ઘણી મહાનગરપાલિકાઓમાં ગત્ ચૂંટણીની સરખામણીમાં મતદાન વધ્યું હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. બીજી તરફ જ્યાં નગરપાલિકાની ચૂંટણીઓ હતી, તે નાના શહેરો (નગરો) માં ભલે અપેક્ષા જેવું ઊંચુ મતદાન ન થયું હોય, પરંતુ મહાનગરપાલિકા કરતા વધુ રહ્યું છે, તો તાલુકા-જિલ્લા પંચાયતોમાં પણ કાંઈક એવીજ સ્થિતિ છે.
શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ વધુ મતદાન કર્યું તેમ છતાં ગત્ ચૂંટણીઓની સરખામણીમાં જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ઓછું મતદાન થયું છે, જો કે બે-ત્રણ મહાનગરપાલિકાઓમાં બમ્પર મતદાન થયું હોય, તો એકંદરે કહી શકાય કે મતદાન અંગે અપેક્ષાઓ રખાઈ હતી તેવું મતદાન થયું નથી, છતાં ઠીક ઠીક મતદાન નોંધાયું છે.
ગઈકાલે જામનગર અને હાલાર સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ છે અને આવતીકાલે મતગણતરી થવાની છે, ત્યારે અટકળોનું બજાર ગરમ છે. કેટલીક ન્યૂઝ ચેનલોમાં રસપ્રદ વિશ્લેષણો પ્રસારિત થઈ રહ્યા છે, તો કેટલાક અનુભવીઓ, પત્રકારો તથા રાજકીય વર્તુળોના મંતવ્યોના આધારે વિવિધ અનુમાનો પણ થઈ રહ્યા છે. મતદાનની ટકાવારી એટલી ઊંચી નથી કે એકંદરે એટલી બધી ઓછી પણ નથી, જેથી પરિવર્તન કે પૂનરાવર્તનનો ચોક્કસ અંદાજ લગાવી શકાય. બીજી તરફ કેટલાક સ્થળે ઈવીએમ ખોટકાઈ જતા બદલવા પડ્યા હતાં તેની ચર્ચા પણ થઈ રહી હતી.
જો કે, જે પ્રકારે વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલો થઈ રહી હતી, વિવિધ સંસ્થાઓ, સરકારીવિભાગો અને મહાનુભાવો દ્વારા વિવિધ રીતે મતદાતા જાગૃતિના પ્રયાસો થયા હતાં, તેમજ ચૂંટણીપંચ દ્વારા પણ 'સ્વીપ' જેવા કાર્યક્રમો યોજીને મહત્તમ અને રેકોર્ડબ્રેક મતદાન કરવાનો સંદેશ વહેતો કર્યો હતો, જેમાં પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાનો પણ સિંહફાળો હતો, તેમ છતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે એકંદરે ખૂબ જ ઊંચુ મતદાન થયું નહીં, તેથી તેના વિવિધ કારણોના ઊંડાણમાં જઈને તેના તારણોના આધારે ભવિષ્યની ચૂંટણીઓમાં વિશેષ તકેદારી રાખવા અને મહત્તમ મતદાન માટે હજુ પણ વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા જરૂરી છે.
આપણે ત્યાં ચૂંટણીઓ યોજવા માટે જિલ્લા કક્ષાએ કોઈ પૂર્ણકક્ષાની કાયમી વ્યવસ્થા, મિકેનિઝમ કે મહેકમ હોતું નથી. કલેક્ટર અને તેના તાબાની કચેરીઓમાં બેસતી ચૂંટણી શાખાઓ સિવાય જિલ્લા કે તાલુકા, નગર કે મહાનગર કક્ષાએ કોઈ અલાયદુ સ્થાયી (કાયમી) ચૂંટણી તંત્ર હોતું નથી, તેથી જુદી જુદી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા માટે તાલીમ આપે છે. ચૂંટણીઓ સંપન્ન કરવામાં આવે છે, અને તે પછી કેલેક્ટર અને તેના તાબા હેઠળની ચૂંટણી સંબંધિત શાખાઓ દ્વારા સંપન્ન થયેલી ચૂંટણીઓનું દફ્તર પોટલા વાળીને નિભાવવામાં આવે છે. આ કારણે ઉત્તરોત્તર અનુભવોના આધારે જરૂરી સુધારા-વધારા ઘણી જ ધીમી ગતિએ થતાં હોય છે, અને તેમાં સાતત્ય જળવાતું નથી.
આપણા વિશાળ દેશમાં કોઈને કોઈ ચૂંટણી લગભગ દર વર્ષે ચાલતી જ હોવાથી પ્રવર્તમાન પદ્ધતિથી થતી ચૂંટણી પ્રક્રિયાના કારણે જે-તે વિભાગના ચૂંટણી પ્રક્રિયા માટે રોકાયેલા અધિકારી-કર્મચારીઓના મૂળ ફરજના કામો ચૂંટણી ચાલે ત્યાં સુધી મોટાભાગે સ્થગિત થઈ જતા હોય છે, અને ચૂંટણીઓ પૂરી થયા પછી પણ પેન્ડીંગ કામો નિપટાવવા જતા રોજીંદા કામોમાં વિલંબ થતો હોય છે, જેનો ભોગ અંતે તો સામાન્ય જનતાએ જ બનવું પડતું હોય છે. આ કારણે જ ચૂંટણીઓ માટે અલાયદુ તંત્ર, મિકેનિઝમ ઊભું કરીને તેને કાયમીધોરણે અલાયદું મહેકમ બનાવવાના સૂચનો-અભિપ્રાયો પણ અવારનવાર વ્યક્ત થતા રહેતા હોય છે.
બીજી તરફ ચૂંટણીઓ માટે આપણા વિશાળ દેશમાં આટલું મોટું મહેકમ કાયમી ધોરણે નિભાવવું, નાણાકીય રીતે પણ પરવડે નહીં અને તેના માટે નવું અલાયદુ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવું પડે, જે પણ ખૂબ જ ખર્ચાળ બની રહે તેમ હોવાની દલીલો પણ થતી હોય છે, અને આ પ્રકારના વાદવિવાદ કે તર્કો-દલીલોની સાથે જ આપણાં દેશમાં 'વન નેશન-વન ઈલેક્શન'ની ડિમાન્ડ પણ ઊઠતી રહે છે, જો કે તે પણ પ્રેક્ટીકલ ઘણું જ અઘરૂ અને પડકારરૂપ કદમ નિવાડી શકે છે. 'વન નેશન-વન ઈલેક્શન'નો કોન્સેપ્ટ તદ્ન ખોટો નથી, અને મુશ્કેલ જરૂર છે, પરંતુ અસંભવ તો નથી જ... તે પ્રકારનો જનમત પણ ધીમે ધીમે ઘડાવા અને પડઘાવા લાગ્યો છે.
એક અભિપ્રાય એવો પણ પડઘાઈ રહ્યો છે કે આખા દેશમાં તમામ ચૂંટણીઓ માટે આ પ્રકારની સુધારણા અઘરી પડી શકે છે, પરંતુ ગુજરાત જેવું કોઈ એક રાજ્ય નક્કી કરીને ત્યાં 'વન સ્ટેટ-વન ઈલેક્શન'ના અભિગમ હેઠળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો તથા પાલિકા-મહાનગરપાલિકાઓની ચુંટણીઓ દર પાંચ વર્ષે એકી સાથે જ સંપન્ન થઈ જાય, તેઓ પ્રયોગ કરે, તો પણ લોકોને અડધોઅડધ રાહત થાય તેમ છે. આ માટે પાંચ વર્ષ માટે લોકોએ જે જનાદેશ આપ્યો હોય, તેને ફરજિયાત અનુસરવું પડે, અને અધવચ્ચેથી જો શાસન તૂટી જાય કે શાસકો બહુમતી ગુમાવે, તો બાકીના સમય માટે કાં તો વહીવટદારો નિમાય, અથવા સર્વપક્ષીય શાસન ચલાવીને પાંચ વર્ષ પૂરા કરાવાઈ, તેવા વિકલ્પો વિચારવા પડે, અને પ્રથમ દૃષ્ટિએ વ્યવહારૂ ન જણાય, છતાં તેની ચર્ચા તો થવી જ જોઈએ, કારણ કે કોઈપણ સુધારો વ્યાપક ચર્ચા પછી જ થવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આવતીકાલે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, અને ૧૬ વોર્ડ માટે ૬૪ કોર્પોરેટરોની પસંદગી કરવાની છે. જામ્યુકો ઉપરાંત હાલારની બન્ને જિલ્લા પંચાયતો-તાલુકા પંચાયતો તથા કેટલીક નગરપાલિકાઓ તથા પેટાચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન થવાનું છે, ત્યારે આપણે બધા નગરજનોએ જાગૃત રહીને આવતીકાલ પ્રાયોરિટીમાં મતદાન કરવાનું છે. તેવી જ રીતે હાલારના તમામ મતદાતાઓ તથા રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે હાલાર સહિત સમગ્ર રાજ્યના મતદારોએ અવશ્ય ભૂલ્યા વગર મતદાન કરવાનું છે, કારણ કે મતાધિકાર એ હક્ક છે અને મતદાન એ આપણી દેશના નાગરિક તરીકેની પવિત્ર ફરજ છે.
મતદાન એટલે આગામી પાંચ વર્ષ આપણી જ સુખ-સુવિધા, સેવા અને વિકાસ-લોકકલ્યાણ માટે જનપ્રતિનિધિઓની સચોટ પસંદગી કરવાની ઉજળી તક... મતદાન એટલે આપણી જ પંચવર્ષિય યોજનાની બુનિયાદ... મતદાન એટલે પૂનરાવર્તન અથવા પરિવર્તન કરવાનો પંચવર્ષિય અવસર... મતદાન એટલે દેશના લોકતંત્રને વધુ મજબૂત કરવાનું આપણું મૂળભૂત કર્તવ્ય...
ઘણાં લોકો પક્ષ કેે પેનલ જોઈને મતદાન કરતા હોય છે, તો ઘણાં લોકો ઉમદવારને કેન્દ્રમાં રાખીને મતદાન કરતા હોય છે. ઘણાં લોકો વિચારધારાને અનુરૂપ મતદાન કરતા હોય છે, તો ઘણાં લોકો ઉમેદવારો-પક્ષોએ કરેલા કાર્યો અને/અથવા આગામી પાંચ વર્ષમાં કરવાના કામોના વાયદાઓ કે ચૂંટણી ઢંઢેરાઓને પણ ધ્યાને લેતા હોય છે. આપણાં દેશમાં મતદાન ગુપ્ત રહે છે અન કોઈપણ પ્રકારના ભય, ડર કે દબાણ વિના મતદાન થઈ શકે છે, તેથી પોતાના જ આત્માના અવાજ પ્રમાણે દરેક મતદારે સમજી-વિચારીને મતદાન કરવું જોઈએ. જો કોઈપણ પાર્ટી, ઉમેદવાર કે પેનલ પસંદ ન આવે તો હવે ઈવીએમમાં 'નોટા'નું બટન હોય છે, જે દબાવીને પસંદગીનો ઈન્કાર પણ મતદાર કરી શકે છે, જે તેના મતદાનમાં જ ગણાય છે, તેથી મતદાન અવશ્ય તો કરવું જોઈએ ને?
આપણે સગા-સંબંધી, જ્ઞાતિ-સમાજ અને સ્નેહી-મિત્રોના સંબંધોને અનુરૂપ પણ મતદાન કરતા હોઈએ છીએ. આપણા દેશમાં મતદાર પોતે જ કોઈપણ માપદંડને અનુરૂપ મતદાન કરી શકે છે, તેથી આપણો અંતરાત્મા જે કહે, તે મુજબ મતદાન કરવું જોઈએ. ટૂંકમાં ગાડરિયા પ્રવાહની જેમ કોઈથી દોરવાઈને, ડરીને કે બોજા-લાલચમાં આવીને મતદાન અયોગ્ય છે, અને તે પ્રકારની હરક થતી હોય તો તરત જ સ્થાનિક તંત્રોનું ધ્યાન દોરીને તેવી પ્રવૃત્તિ અટકાવી શકાય છે. આપણે એક જાગૃત નાગરિક તરીકે કોઈના ભોગે મતદાન તો કોઈપણ સંજોગોમાં કરવું જ જોઈએ.
અત્યંત અનિવાર્ય કારણો સિવાય મતદાન નહીં કરનાર મતદાતાઓને (વોટર્સને) આગામી પાંચ વર્ષ સુધી કોઈપણ ફરિયાદ કરવાનો બંધારણીય અને કાનૂની અધિકાર તો છે, પરંતુ નૈતિક અધિકાર નથી, કારણ કે પાંચ વર્ષે માત્ર થોડી મિનિટો કે કલાકો મતદાન માટે ન ફાળવી શકતા હોય તો પછી પાંચ વર્ષની વોરંટી કેે ગેરંટીનો નૈતિક અધિકાર પણ ગુમાવવો જ પડે ને?
ટૂંકમાં આવતીકાલે ઊઠીને શક્ય હોય તો સૌ પ્રથમ મતદાન કરવાનું છે અને પછી બીજું કામ કરવાનું છે. જો કોઈ એવા સંજોગો ઊભા થાય કે સવારે મેળ ન પડે તો બપોરે કે સાંજ સુધીમાં તો મતદાન કરી જ દેવું જોઈએ. જેવી રીતે લગ્નમાં મુહૂર્તનો સમય ન સચવાય, તો પણ આપણ લગ્નવિધિ તો પૂરી કરીએ જ છીએ. બહારગામ જવું હોય એ એક બસ કે ટ્રેન ચૂકી જવાય તો બીજી બસ કે ટ્રનમાં જતા જ હોઈએ છીએ. તેવી જ રીતે મતદાન પણ અચૂકપણે આવતીકાલે કરી જ દેવાનું છે, તેવો નિર્ધાર કરીને આજથી જ તે મુજબનું પૂર્ણ પ્લાનિંગ કરીને શિડ્યુલ ગોઠવી લેવું જોઈએ.
તાજેતરમાં કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં જબદરસ્ત મતદાન થયું છે, તેે દર્શાવે છે કે આપણા દેશમાં હવે મતદારો જાગૃત થયા છે અને જેન ઝેડ (નવા મતદારો) માં પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે, તેથી જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ રકોર્ડબ્રેક મતદાન થાય, તેવો નિર્ધાર કરીએ.
સામાન્ય રીતે ગુજરાતમાં ચૂંટણીઓ હિંસક બનતી નથી અને અપવાદોને બાદ કરતા એકંદરે ચૂંટણીઓ શાંતિપૂર્ણ સંપન્ન થતી હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે કેટલાક જિલ્લાઓમાં ઘર્ષણ, મારામારી તથા એકાદ સ્થળે તો હત્યાની કમનસીબ ઘટના પણ બની છે. આથી સૌ કોઈને અપીલ છે કે ચૂંટણીના પવિત્ર કાર્યમાં બધા સંયમ જાળવે, અને આપણાં શાંતિપ્રિય રાજ્ય ગણાતા ગુજરાતની ગરિમા વધારે...
ઘણી વખત ચૂંટણીના વેરઝેર નહીં પણ જુની અંગત અદાવતોના ઝઘડા પણ ચૂંટણીમાં ખપાવી દેવાતા હોય છે, તેથી જ તંત્રો દ્વારા આ પ્રકારના જ્યાં ગેંગવોર સામાન્ય દિવસોમાં ચાલતી રહેતી હોય, ત્યાં કેટલાક છાપેલા કાટલા જેવા ગુનાખોરો, બૂટલેગરોને રાઉન્ડઅપ કરી લેવાતા હોય છે.
આપણે આજ સુધી તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને સાંભળ્યા, હવે આપણે જ અંતિમ નિર્ણય લઈને ખૂબ જ સમજી-વિચારીને મતદાન કરવાનું છે, અને પ્રલોભન કે ધાકધમકી આપતા તત્ત્વોને ખુલ્લા પાડવાની હિંમત કરીને તંત્રને તુરત જાણ કરવાની છે... આપણે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની ચૂંટણીઓ કરતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને અલગ પ્રકારની તથા આપણી રોજીંદી જરૂરિયાતો તથા ઘરઆંગણાની સેવાઓ સાંકળીને જુદી રીતે પક્ષ-ઉમેમદવારની પસંદગી પણ કરતા હોઈએ છીએ, અને તેમાં આપણું મન જે કહતું હોય, અંતરાત્માનું અવાજ જે સૂચવતો હોય, તેને જ મત આપવો જોઈએ. આવો, આપણે આવતીકાલે બળબળતો ઉનાળો હોય કે લગ્નગાળો હોય, કે પછી અન્ય મહત્ત્વના કામકાજ હોય, તેને 'મેનેજ' કરીને પણ અવશ્ય મતદાન કરીએ, કારણ કે આપણી જ ઘરઆંગણાની આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે જનપ્રતિનિધિઓ પસંદ કરવાનો મોકો હવે પાંચ વર્ષ જ મળવાનો છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના મતદાનની આડે હવે આજ સહિત બે દિવસ રહ્યા છે, તો તમિલનાડુમાં ગઈકાલે મતદાન સંપન્ન થયું છે. અન્ય ત્રણ રાજ્યોની વિધાનસભાઓ માટે આ પહેલા જ મતદાન થઈ ચૂક્યું છે. હવે પ. બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ર૯ મી એપ્રિલના થવાનું છે, અને આ તમામ રાજ્યોની વિધાનસભાઓની મતગણતરી ચોથી મે ના દિવસે થવાની છે, જ્યારે ગુજરાતની વિધાનસભાની ઉમરેઠની બેઠક માટે ગઈકાલે થયેલા મતદાનનું પરિણામ પણ ચોથી મે ના દિવસે જ આવશે, તેવી જ રીતે પ. બંગાળ અને તમિલનાડુની ચૂંટણીના ગઈકાલે થયેલા મતદાનના પરિણામો ચોથી મે ના આવશે.
તેવી જ રીતે મતગણતરી સંપન્ન થયા પછી જામનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોમાં જનાદેશ ક્યાં ક્યાં કોના તરફ ઢળ્યો છે, તેની ખબર પણ તા. ર૮ મી એપ્રિલના સાંજ સુધીમાં પડશે, પરંતુ બળબળતો ઉનાળો તથા મતદારોની નિરસતા રાજકીય પક્ષોને અકળાવી રહી છે, તેથી રવિવારે સવારથી જ મતદારોને બુથ સુધી પહોંચાડવા ઉમેદવારો અને કાર્યકરો હડિયાપટ્ટી કરશે. આ દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચૂસ્ત અમલ કરાવવો, એ ચૂંટણી તંત્ર માટે પણ પડકારૂરપ રહેશે.
જો કે, અન્ય કેટલાક રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં અકંદરે શાંતિપૂર્વક મતદાન થાય છે અને રાજકીય પક્ષો તથા ઉમેદવારો પણ કાર્યકરોને મર્યાદાઓ ઓળંગવા દેતા હોતા નથી, તેમ છતાં ચૂંટણીઓમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છિનિય ઘટના ન બને, તથા ચૂંટણીની વ્યવસ્થાઓને લઈને પણ તંત્રોએ ચોક્સાઈ રાખવી પડતી હોય છે અને તેન લઈને તંત્રો સજ્જ હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સા કોઈ ઈચ્છે છે કે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મુક્ત અને ન્યાયી ધોરણે સંપન્ન થઈ જાય.
તમિલનાડુમાં થયેલા જંગી મતદાનને ભલે પરિવર્તનની હવા ગણાવાઈ રહી હોય પરંતુ જનાદેશ અંગે સ્થિતિ કદાચ ઓપન સિક્રેટ જેવી જણાય છે, જો ક જનતાના મનમાં શું છે, તેની કલ્પના થઈ શકે તેમ નથી, પરંતુ તમિલનાડુનો ઈતિહાસ જોતા એ રાજ્યમાં અચાનક મોટું પરિવર્તન આવતું હોતું નથી અને જ્યારે એવું પરિવર્તન આવે છે, ત્યાર ખૂબ જ ચોંકાવનારા ઉલટફેર થતા હોય છે, જેનું દૃષ્ટાંત ખુદ ડીએમકે અને એઆઈડીએમકે જેવી પ્રાદેશિક પક્ષોના સ્થાપકોએ આપ્યું હોવાનું દૃષ્ટાંત છે. આમ પણ આ સસ્પેન્સ ખૂલવામાં હવે જાજા દિવસો આડે રહ્યા નથી. ચોથી મે ના દિવસે બધી ખબર પડી જશે.
ગઈકાલથી જ પં. બંગાળમાં પહેલા તબક્કામાં થયેલું જંગી વિક્રમજનક મતદાન તાજેતરના દાયકાઓની એક નવો ટ્રેન્ડ બતાવે છે. તૃણમુલ કોંગ્રસ આ મતદાનને મમતાદીદીને પુનઃ જનાદેશ મળ્યો હોવાનો દાવો કરી રહી છે, તો એનડીએ અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષ પહેલા તબક્કામાં જ તૃણમુલ કોંગ્રેસનું ધોવાણ થઈ ગયું હોવાનો દાવો કરે છે. આ દાવા-પ્રતિદાવાઓ રાજકીય પક્ષો કરે, તે તો સ્વાભાવિક છે, પરંતુ તટસ્થ રાજકીય વિશ્લેષકો તથા પ્રેસ-મીડિયાના દિગ્ગજો પણ આ વખતે કાંઈક નવાજુની થવાના સંકેતો આપી રહ્યા છે, તેથી હવે આ અંગે વિવિધ પ્રકારના તર્કો પણ અપાઈ રહ્યા છે.
એક સમયે એવું કહેવાતું હતું કે, જ્યારે જ્યારે બમ્પર મતદાન થાય, ત્યારે ત્યાર જનતાએ પરિવર્તનનો જ જનાદેશ આપ્યો હોવાની ધારણા થઈ શકતી હતી, પરંતુ હવે તેવું રહ્યું નથી. બમ્પર મતદાનના કારણે તમિલનાડુમાં પરિવર્તન આવી જશે, તેવી ધારણા તો થઈ શકે તેમ નથી, પરંતુ આ વખતે તમિલનાડુમાં સ્ટાલિનની લોકપ્રિયતા એવીને એવી જ રહી છે અને ડીએમકેનું વર્ચસ્વ અકબંધ રહ્યું છે, કે તેમાં ઘટાડો થયો છે, તેની કસોટી પણ થવાની છે. હવે ચૂંટણીપંચ પણ વધુમાં વધુ મતદાન માટે તટસ્થ પ્રયાસો કરતું હોય છે અને 'સ્વીપ' જેવા કાર્યક્રમો યોજતું હોય છે, તેથી પણ ટકાવારી વધી હોવાથી કોઈએ વહેમમાં રહેવા જેવું નથી. તેવી જ રીતે કોઈએ સપના જોવાની પણ જરૂર નથી. હજુ પં. બંગાળમાં બીજા તબક્કાનું મતદાન બાકી છે, ત્યારે અત્યારે તો માત્ર અટકળો જ કરવાની રહે છે, કારણ કે પ. બંગાળમાં બીજા તબક્કાનું મતદાન સંપન્ન થઈ જાય, ત્યાં સુધી 'એક્ઝીટ પોલ્સ' પણ જાહર થઈ શકે તેમ નથી.આજે સાંજથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત થઈ જશે, પરંતુ તે પછી પણ ડોર-ટુ-ડોર સંપર્ક અથવા ખાનગી બેઠકોનો સિલસિલો ચાલશે. જોઈએ ગુજરાતમાં પ. બંગાળ-તમિલનાડુ જેવું ધીંગુ મતદાન થાય છે કે પછી પાંખુ મતદાન થાય છે તે... કારણ કે તેના પર પરિણામોનો આધાર રહેવાનો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે પહલગામ હુમલાની પહેલી વરસી હતી અને ર૬ નિર્દોષ પર્યટકોની ધર્મ પૂછીને ઘાતકી હત્યા કરનાર આતંકીઓ પર ફીટકાર વરસાવીને લોકો દ્વારા હત્યાઓનો ભોગ બનનાર મૃતકો અને તેના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત થઈ રહી હતી. આજે વૈશ્વિક અશાંતિના માહોલ વચ્ચે પણ પહલગામ આતંકી હુમલાની કરૂણ અને કંપાવનારી યાદ તાજી થઈ, તેની સાથે સાથે આપણા દેશમાં આતંકી પ્રવૃત્તિઓને સીમાપારથી ફેલાવનાર પાકિસ્તાનના પ્રપંચોની ચર્ચા પણ થઈ રહી છે. વિચિત્રતા તો જુઓ, જે દેશમાં ઉછરતા આતંકીઓ માત્ર ભારત જ નહીં, દુનિયાભરના અનેક આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલા હોય છે, તે જ પ્રપંચી પાકિસ્તાન હાલમાં 'શાંતિદૂત' બનીને ઈરાન-અમેરિકા વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યું છે. આ પાકિસ્તાનને ભાજપ, એનડીએ કે સંઘના નેતાઓ વખોડે કેે ટીકા કરે, તેની પાછળ દેશ પ્રેમ જ હોઈ શકે, છતાં તેમાં રાજનીતિની આશંકાઓ ઊઠતી હોય અને થોડું-ઘણું વજુદ માની પણ લઈએ તો સમજી શકાય, પરંતુ હવે તો આ પાકિસ્તાનના પ્રપંચને વિપક્ષના કેટલાક નેતાઓ એવો જડબાતોડ જવાબ આપી રહ્યા છે, જે પૂરવાર કરે છે કે જ્યારે દેશના સાર્વભૌમત્વ, એક્તા અને અખંડીતતાની વાત હોય, ત્યારે પક્ષ-વિપક્ષ ઓગળી જાય છે અને માત્ર 'ભારત' જ રહી જાય છે, તે પાકિસ્તાનને ભરી પીવા માટે સક્ષમ છે.
ગઈકાલે પહલગામ આતંકી હુમલાની પહેલી વરસીના સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ તો પાકિસ્તાનનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને પહલગામ હુમલા માટે તેને જવાબદાર ગણાવ્યું. એટલું જ નહીં, ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને ચોખ્ખુચટ સંભળાવી દીધુ કે હવે તો પાકિસ્તાન ઈચ્છે તો પણ જમ્મુ-કાશ્મીરમાં પહલગામ જેવા હુમલા કરી શકશે નહીં. તેમણે કહ્યું કે તેમનો (રાજ્ય સરકારનો પણ) પૂરેપૂરો પ્રયાસ રહેશે કે જમ્મુ-કાશ્મીરમાં પહલગામ જેવી ઘટનાઓ ભવિષ્યમાં ક્યારેય બને જ નહીં. તેમણે કહ્યું કે ગયા વર્ષના પહલગામ હુમલાની થોડી-ઘણી માઠી અસર ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝ પર પડી છે, પરંતુ હવે સ્થિતિ ઘણી જ સુધરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી અમરનાથ યાત્રા, વૈષ્ણોદેવીના દર્શનાર્થે તથા પૃથ્વીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના કુદરતી સૌંદર્યને માણવા ફરીથી ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ ઉમટવા લાગશે.
જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવાનો નિર્ધાર વ્યક્ત કરતા ઓમરે વૈશ્વિક શાંતિ જાળવવાની પણ હિમાયત કરી. તેમણે ઈરાન પર અમેરિકાના હુમલાને અયોગ્ય ગણાવીને કહ્યું હતું કે, આ યુદ્ધની માઠી અસર આખી દુનિયા પર પડી રહી છે. તેમણે પક્ષીય રાજનીતિને બાજુ પર રાખીને અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સ્થિતિ કંટ્રોલમાં તથા સારી હોવાનું મંતવ્ય વ્યક્ત કરી તેમાં પ્રબળ જનસહયોગ તથા રાજનૈતિક એકજુથતા તરફ પણ ઈશારો કર્યો હતો.
ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં આતંકવાદી હુમલો થયો ત્યારે પણ આતંકીઓની ટીકા કરી હતી, અને કહ્યું હતું કે, આ પ્રકારના હુમલા કરનારા મુઠ્ઠીભર લોકોના કારણે શાંતિ અને ભાઈચારાની ભાવનાને ઠેંસ પહોંચે છે. તેમણે બધાને એક લાકડે હાંકવાની માનસિક્તા સામે પણ સવાલો ઊઠાવ્યા હતાં અને કોઈ નિર્દોષ ખોટી રીતે ફસાય ન જાય, તેની કાળજી લેવા પર પણ ભાર મૂક્યો હતો.
પ્રેસ-મીડિયામાં ભારતીય સેનાના પહલાગમ હુમલાની પહેલી વરસીના સંદર્ભે કરાયેલા નિવેદનો પણ ચર્ચામાં છે, જેમાં કહેવાયું છે કે માનવતાની હદો વટાવવી ન જોઈએ, અને તેવું ન થાય તો જડબાતોડ જવાબ અપાય છે. (આ મુદ્દે) ભારત એકજુથ છે. ભારત વિરૂદ્ધ કરવામાં આવેલા દરેક કૃત્યનો જવાબ નિશ્ચિત છે. ન્યાય જરૂર મળશે, ઓપરેશન સિંદૂર ચાલુ છે, વગેરે...
સેનાના નિવેદનમાંથી નીકળતા સારાંશની ચર્ચા વચ્ચે ઓપરેશન સિંદૂર હજુ ચાલી રહ્યું હોવાનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. છેલ્લા થોડા મહિનાઓથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવેદનો તથા પડોશી નાપાક દેશને અપાતી ગર્ભિત ચેતવણીઓ જોતા એવું જણાય છે કે ઓપરેશન સિંદૂર હેઠળ જ કાંઈક તો 'મોટુ' થવાનું જ છે. જે હોય તે ખરૂ, અત્યારે વૈશ્વિક અશાંત માહોલ વચ્ચે ભારત યુદ્ધ કે સીમા પર સંઘર્ષ શરૂ કરે તેવું જણાતું નથી. હા... પાકી ખબર મળી હોય કે માહિતી નક્કર હોય તો પીઓકેમાં પુનઃ ધમધમતા થયા હોય તેવા આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઈક, એરસ્ટ્રાઈક કે પછી કોઈ અન્ય રીતે આક્રમણ કરીને દેશના હિતોનું રક્ષણ માટે કોઈ અણધાર્યું કદમ ઊઠી પણ શકે છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદે બ્લેક આઉટ અને મોકડ્રીલ થઈ રહી છે, તે પણ ઘણી જ સૂચક છે.
એવું કહેવાય છે કે પાક. પ્રેરિત આતંકવાદી સંગઠનો અને ગાઝાપટ્ટીમાં કાર્યરત હમાસ નામક આતંકી સંગઠનની મોડસ ઓપરેન્ડી સમાન છે. પહલગામ હુમલા પછી પાક. સ્થિત ભારત વિરોધી આતંકી સંગઠનોના હમાસ સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા છે અને શ્રેણીબદ્ધ મિટિંગો યોજાઈ રહી છે. આ બેઠકો પીઓકે અને બાંગલાદેશ તથા પાકિસ્તાનના મેગા સિટીઝમાં યોજાઈ હોવાની બાતમી એજન્સીઓને મળી છે. હમાસની સાથે ધરોબો વધારીને આ પ્રકારની બેઠકોમાં સામેલ થનાર જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા સહિતના પાક. સ્થિત આતંકી સંગઠનો ભારત વિરોધી કોઈ મોટું કાવતરૂ રચી રહ્યા હોવાની એજન્સીઓને શંકા છે.
કદાચ ગુપ્તચર ઈનપુટ્સના આ પ્રકારના રિપોર્ટોના આધારે જ પાકિસ્તાનને ભારત તરફથી ચેતવણીઓ અપાઈ રહી હોય, અને ધીરગંભીર તથા ઓછાબોલા ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ ગર્ભિત ભાષામાં નાપાક પડોશીને ચેતવી રહ્યા હશે, અને તેથી જ ચાલુ રખાયેલા ઓપરેશન સિંદૂર પર સૌની નજર મંડાયેલી રહેવાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે દેશભરમાં મહિલા અનામતની ચર્ચા છે. નારી શક્તિ વંદન અધિનિયમ-ર૦ર૬ નો બંધારણીય સુધારો લોકસભામાં પસાર થઈ શક્યો નહીં, તે પછી આ મુદ્દો રાજકીય સમરાંગણના હથિયાર જેવો બની ગયો છે, અને રાજકીય પક્ષોના આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે ચર્ચાના ચાકડે ચડ્યો છે, ત્યારે અન્ય ક્ષેત્રોમાં પણ આ મુદ્દો પડઘાવા લાગ્યો છે, અને વિવિધ સંગઠનો તથા બંધારણીય સંસ્થાઓમાં પણ નારીશક્તિને પ્રેરણા આપતા અભિગમો અપનાવાઈ રહ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ૦ ટકા અનામતનો અમલ નવેમ્બર-ર૦૧૪ થી થયો હતો. ગુજરાત સરકારે ગુજરાત સ્થાનિક પ્રાધિકરણ અધિનિયમ સંશોધન-ર૦૦૯ અંતર્ગત આ જોગવાઈઓ લાગુ કરી હતી. આ અનામત ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ (નગર નિગમ) માં અમલી બની હતી. આ મહિલા અનામત પછાત વર્ગનો ક્વોટા યથાવત્ રાખીને અમલી બની છે, મતલબ કે પછાત વર્ગોની નિયત અનામતની બેઠકોમાં પણ પ૦ ટકા એટલે કે અડધોઅડધ મહિલા બેઠકો હશે. આ કારણે જ અત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ૦ ટકા મહિલાઓ ચૂંટાય છે અને ચૂંટાયા પછી પણ પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ સમિતિના અધ્યક્ષસ્થાને અથવા સરપંચો તરીકે પણ સેવાઓ આપી રહી છે.
હવે વિવિધ બંધારણીય પ્રક્રિયાઓ, સેવાઓ તથા વિવિધ એકમોમાં પણ નારીશક્તિનું સન્માન વધી રહ્યું છે, તથા માત્ર સરકારી કે અર્ધસરકારી વિભાગો જ નહીં, સ્વાયત્તતા (ઓટોનોમી) ધરાવતા બંધારણીય તંત્રો તથા સંગઠનોમાં પણ મહિલા અનામતની જોગવાઈઓ થવા લાગી છે. સુપ્રિમ કોર્ટે બાર એસોસિએશનોના હોદ્દેદારોમાં પણ ૩૦ ટકા મહિલા અનામતને લઈને વિશેષ કાળજી લીધી છે.
સુપ્રિમ કોર્ટે ૪ ડિસેમ્બર-ર૦રપ ના દિવસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને આગામી બાર કાઉન્સિલોની રાજ્યવાર ચૂંટણીઓમાં પણ ૩૦ ટકા મહિલા અનામત સુનિશ્ચિત કરવાના નિર્દેશો આપ્યા હતાં. આ નિર્દેશો રાજ્યવાર બાર કાઉન્સિલો, હાઈકોર્ટ બાર એસોસિએશન, જિલ્લા-તાલુકા-શહેર બાર એસોસિએશનોને આવરી લઈને લાગુ કરાયા છે.
સુપ્રિમ કોર્ટે દેશભરના તમામ બાર એસોસિએશનોમાં ૩૦ ટકા મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાના નિર્દેશોનું પાલન નહીં કરવા સામે કડક ચેતવણી આપી દીધી છે, અને કહ્યું છે કે, આ પ્રકારની હરકત કરનાર બાર એસોસિએશનોને સસ્પેન્ડ કરી શકાય છે, અને નવેસરથી ચૂંટણી કરાવી શકાય છે. સુપ્રિમ કોર્ટે આ ચેતવણી કેટલાક બાર એસોસિએશનોએ નિર્દેશોનું પાલન નહીં કર્યું હોવાનું ધ્યાને આવ્યા પછી કરી હોવાનું કહેવાય છે. સુપ્રિમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટોના રજિસ્ટ્રાર જનરલોને તમામ બાર એસોસિએશનો સુધી તત્કાળ પહોંચાડવાના નિર્દેશો પણ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે નિર્દેશોનું પાલન નહીં કરનાર બાર એસોસિએશનોની યાદી પણ માંગી હોવાથી હવે જે એસોસિએશનોએ નિર્દેશોનું પાલન કર્યું નથી, તેવા એસોસિએશનોએ પણ અનુસરવું જ પડવાનું છે. જો ચૂંટણીઓ પછી પણ ૩૦ ટકા અનામતનો ક્વોટા પૂરો થતો ન હોય, તો તેના વિકલ્પે હાઈકોર્ટ, ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજીસ, ચૂંટાયેલા હોદ્દેદારો તથા બાર એસોસિએશનોના વરિષ્ઠ મહિલા વકીલો દ્વારા નિયુક્તિઓ કરીને પણ મહિલા આરક્ષણ જળવાઈ રહે તેવા નિર્દેશો અપાયા હોય, તો તે ન્યાયતંત્રની મહિલા આરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
હવે ૧ર મી મે ના દિવસે આગામી સુનાવણી દરમિયાન એ પણ સુનિશ્ચિત થઈ જશે કે ૩૦ ટકા મહિલા અનામતની વ્યવસ્થાઓ દેશભરમં થઈ ગઈ છે, અને તેમાં મુશ્કેલીઓ હશે, તો તેના નિવારણની દિશા પણ તે દિવસે મળી જશે.
સુપ્રિમ કોર્ટની મહિલા આરક્ષણ પ્રત્યેની આ પ્રતિબદ્ધતાની નોંધ રાષ્ટ્રીય કક્ષાથી જિલ્લા કક્ષા સુધીના પોલિટિકલ મહાનુભાવોએ પણ લેવા જેવી છે. આ મુદ્દે ખુલ્લી રાજનીતિ ખેલવાના બદલેે વાસ્તવમાં મહિલા આરક્ષણ કઈ રીતે સુનિશ્ચિત થઈ શકે છે, અને તેમાં કેટલી પ્રબળ ઈચ્છાશક્તિ અને તટસ્થ પ્રામાણિક્તા (ન્યુટ્રલ ઓનેસ્ટી) હોવી જોઈએ તે ન્યાયતંત્ર પાસેથી શિખવા જેવું છે.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસે જિલ્લા ન્યાયાલયોને કાનૂની વ્યવસ્થાને ન્યાયતંત્રની કરોડરજ્જુ ગણાવી છે, અને કહ્યું કે નાગરિકો માટે જિલ્લા ન્યાયાલયો સરળતાથી ઉપલબ્ધ હોય છે અને ન્યાયતંત્રની બુનિયાદ છે. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ ન્યાયતંત્રનું મસ્તિષ્ક છે, અનેે જિલ્લા ન્યાયાલયો ન્યાયતંત્રના મહત્ત્વપૂર્ણ અંગો છે. ઉચ્ચ ન્યાયાલયો કાનૂનની વ્યાખ્યા કરીને તેને પરિસ્કૃત કરીને આકાર આપી શકે છે, જયરે જિલ્લા ન્યાયતંત્રો મહત્ત્વના અંગો શરીરની રક્તવાહિનીઓ જેવા છે, જે સમગ્ર ન્યાયતંત્રને ધબકતું રાખે છે. આમ, જિલ્લા ન્યાયતંત્રોના મહત્ત્વ તથા તેની જવાબદારીઓ અંગે સીજેઆઈએ જે કાંઈ કહ્યું છે, તે ઘણું જ સૂચક અને મહત્ત્વપૂર્ણ છે.
દેશમાં ઝડપી અને સસ્તો ન્યાય ઝડપથી પ્રાપ્ત થાય અને વિલંબિત કેેસોનો ઝડપી નિકાલ થાય, તે માટે અદાલતો અને બાર દ્વારા સહિયારા પ્રયાસો ઉપરાંત જનજાગૃતિ પણ જરૂરી છે. કેટલાક કેસો અદાલત સુધી આવતા જ અટકે તે માટે પ્રિ-લિટિગેશન અને મિડિયેટર તથા લોકઅદાલતોના પ્રયોગો વચ્ચે જો વકીલમંડળો-બાર કાઉન્સિલોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે, તો ઉક્ત ઉદ્દેશ્યોની ઉપલબ્ધિમાં પણ સંવેદનશીલ સહયોગ વધશે, તેવી આશા પણ રખાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સામાન્ય રીતે ખૂબ જ સંયમિત ભાષા બોલતા નેતાઓ પણ ચૂંટણી ટાણે ઘણી જ જુસ્સાવાળી તથા આક્રમક ભાષા વાપરવા લાગતા હોય છે, અને હવે તો સોશિયલ મીડિયા, પ્રેસ-ઈલે. મીડિયાના સંયોજનથી બીજી જ સેકન્ડે નેતાઓના નિવેદનો વાયરલ થઈ જતા હોય છે. આ નવો ટ્રેન્ડ સિક્કાની બે બાજુ જેવો છે, કારણ કે ઘણી વખત આ પ્રકારના નિવેદનો જબરદસ્ત રાજકીય ફાયદો કરાવનારા હોય છે, તો ઘણી વખત બૂમરેંગ પણ પૂરવાર થતા હોય છે.
ગુજરાતમાં ર૮ મી એપ્રિલ અને પાંચ રાજ્યોમાં ચોથી મે ના દિવસો મહત્ત્વપૂર્ણ હશે, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પછી તેની મતગણતરી ર૮ મી એપ્રિલે થશે, અને જેની ચૂંટણી થઈ રહી છે, તે પાલિકા-મહાપાલિકા-તાલુકા, જિલ્લા પંચાયતોમાં નવા નેતાઓ ચૂંટાશે, તો પાંચ રાજ્યોમાં પણ ચોથી મે ના દિવસે ચૂંટણીઓ સંપન્ન થયા પછી નવા સત્તાધીશો સત્તાના સૂત્રો સંભાળશે. આથી કહી શકાય કે એક અઠવાડિયામાં ગુજરાતની જનતાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે અને બે અઠવાડિયામાં પાંચ રાજ્યોમાં નવી વિધાનસભાઓ માટે મતદારોએ જનાદેશ આપી દીધો હશે.
અત્યારે ગુજરાત સહિત દેશમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે, અને ગુજરાતમાં રાજકીય પક્ષોના પ્રાદેશિક કક્ષા અને રાષ્ટ્રીય કક્ષના નેતાઓ પાંચ રાજ્યોની ચૂંટણીઓ માટે હડિયાપટ્ટી કરી રહ્યા છે, અને બળબળતા ઉનાળાની ગરમીમાં પરસેવો વહાવી રહ્યા છે. એટલું જ નહીં, ગરમાગરમ ભાષણબાજી પણ દિવસે દિવસે આક્રમક બની રહી છે, ત્યારે કેટલાક નેતાઓ અમર્યાદ ભાષાશૈલી અપનાવીને તથા ટીકાપાત્ર શબ્દપ્રયોગો કરીને પોતાનો ઉભરો કાઢી રહ્યા છે, તો ઘણાં નેતાઓ શાલિન અને સંયમિત ભાષામાં પોતાની વાત મતદારો સમક્ષ મૂકી રહ્યા છે. કેટલાક સર્વોચ્ચ કક્ષાના નેતાઓ પણ વ્યંગ અને આક્ષેપોની ઝડી વરસાવીને ચૂંટણી પ્રચારને ધગધગતો રાખી રહ્યા છે.
સુરતમાંથી શ્રમજીવીઓના પલાયનના મુદ્દે શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉત કરેલા નિવેદને દેશની રાજધાની સુધી પડઘા પાડ્યા છે. તેમણે આજે પણ ગુજરાતની સરકાર દિલ્હીની નેતાગીરી જ ચલાવે છે, તેવા મતલબનું નિવેદન કરતા રાજનીતિ ગરમાઈ છે. સુરતની વાત કરતા કરતા રાઉતે મહિલા અનામતના નામે નવા સીમાંકનોનો મુદ્દો પણ ઉછાળ્યો અને પ. બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા મશીનરીના દુરૂપયોગનો આક્ષેપ પણ લગાવી દીધો, તે ઘણું જ સૂચક છે. સંજય રાઉતના નિવેદનો સ્ફોટક અને વ્યંગાત્મક તો હોય જ છે, સાથે સાથે ઘણાં જ સૂચક પણ હોય છે, તેેમાં પણ ચૂંટણી ટાણે ઊઠતા પ્રત્યેક મુદ્દાઓનો મતદારો પર સીધો પ્રભાવ પડતો હોય છે. બીજી તરફ 'આપ'ના નતાઓને સાંકળતું કહેવાતું સવા કરોડનું સુરતનું હવાલા કૌભાંડ પણ ચર્ચામાં છે.
પ. બંગાળમાં તો બહુપાંખિયો જંગ જામ્યો છે. મજબૂત મહિલા મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રસના સર્વેસર્વા મમતા બેેનર્જી ભાજપ, કોંગ્રેસ અને ડાબરી પક્ષો સામે બાથ ભીડી રહ્યા છે, તો તેને હરાવવા એનડીએની ટોચની નેતાગીરી પણ મદાને પડી છે, તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આક્રમક શૈલીથી મમતા દીદીને પડકારી રહ્યા છે, તે જ તૃણમુલ કોંગ્રેસની તાકાત પૂરવાર કરે છે. બીજી તરફ અનેક વિવાદો તથા આક્ષેપોથી ઘેરાયેલા મમતાદીદી માટે પણ પ. બંગાળની ચૂંટણી એકતરફી રીતે પ્રચંડ બહુમતીથી જીતવી અઘરી જણાય છે, જો કે મુખ્ય મુકાબલો તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જણાય છે. જોઈએ, શું થાય છે તે...
બીજી તરફ તમિલનાડુમાં ફરીથી ભાષાના મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આઝાદી પહેલાના ઘણાં દાયકાઓથી જેની બુનિયાદ રચાઈ ગઈ હતી, તે ભાષા વિવાદ ફરીથી પડઘાયો છે, જે ચૂંટણીઓમાં ત્યાં મતદારો પર અસર કરી શકે છે.
ચૂંટણી સમયે આરોપો-પ્રત્યારોપોનો મારો ચાલે અને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો કે ઉમેદવારોની ખામીઓ વર્ણવાય, તે સ્વાભાવિક છે અને લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદી હેઠળ નિડરતાથી પોતપોતાના મંતવ્યો રજૂ કરવાની છૂટ હોય છે, પરંતુ જ્યારે પોતા માટે કે પોતાના પક્ષ માટે મતો માંગતા હોઈએ, ત્યારે આપણે લોકો માટે ભવિષ્યમાં શું શું કરવા માંગીએ છીએ તેનો રોડ મેપ પણ રજૂ થવો જોઈએ.
રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા આ અંગે પ્રચાર-પત્રિકાઓ છપાવીને, અખબારોમાં સરળ અને લોકભોગ્ય ભાષામાં જોહરાતો છપાવીને, પ્રેસ-કોન્ફરન્સો યોજીને, વિવિધ તમામ મીડિયાનો ઉપયોગ કરીને વ્યાપક પ્રચાર-પ્રસાર થતો હોય છે, અને ચૂંટણી ઢંઢેરાઓ પણ પ્રસિદ્ધ કરાતા હોય છે. આ તમામ પ્રચાર પદ્ધતિઓમાં પોતાની કે પક્ષની અથવા સત્તામાં રહ્યા હોય તેની ઉપ્લબ્ધિઓની સાથે સાથે હવે પછી શું કરવાનો પ્લાન છે, જેથી જનતાની સમસ્યાઓ ઘટે અને સુવિધાઓ વધે તેવો અભિગમ જરૂરી છે. માત્ર વિરોધીઓની ટીકા કર્યે રાખ્યાથી, ભૂતકાળની તેઓની ભૂલો ગણાવ્યે રાખવાથી કે પ્રવર્તમાન શાસકોની ખામીઓ જ માત્ર ગણાવ્યે રાખવાથી મતદારોને હવે સરળતાથી રિઝવી શકાતા નથી, કારણ કે યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર, હાલાર, ગુજરાતભરમાં પરશુરામ જયંતીની ઉજવણી તથા અક્ષય તૃતિયાના કાર્યક્રમો ગઈકાલથી ધમધમી રહ્યા છે. કોઈએ અખાત્રીજ ગઈકાલે મનાવી હોય કે આજે અક્ષયતૃતિયાની ઉજવણી થઈ રહી હોય, આ શુભ-મંગલ દિન ભારતીય સંસ્કૃતિમાં વૈવિધ્યપૂર્ણ મહત્ત્વ ધરાવે છે, અને દેશના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી પરંપરાઓ અને અલગ-અલગ નામોથી ઉજવાતી અક્ષય તૃતિયા સાથે સાંસ્કૃતિક, આર્થિક તથા સામાજિક મહત્ત્વો સંકળાયેલા છે, તે હકીકત છે.
અક્ષયતૃતિયાને તળપદી ગુજરાતી ભાષામાં અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શુભ ઉદ્ઘાટનો, મંગલ પ્રસંગો તથા કોઈપણ નવા સાહસોનો પ્રારંભ થાય છે. અખાત્રીજના દિવસે સોનું, ચાંદી, મિલકત, જમીન કે અન્ય કિંમતી ચીજવસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે અને આ દિવસે વિશેષ દાન-પુણ્ય, જપ-તપ અને પૂજા-પાઠનું ધાર્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે પારિવારિક મંગલ પ્રસંગો પણ યોજાતા હોય છે, અને દેશના જુદા જુદા પ્રદેશોમાં વિવિધાસભર રીતે ઉજવાતી અખાત્રીજ એક સામાજિક અને સામુદાયિક એક જુથનાતું પ્રતીક પણ બની રહે છે.
આ દિવસે સોના-ચાંદી-કિંમતી વસ્તુઓની ખરીદી તથા મંગલ પ્રસંગોના આયોજનોના કારણે માર્કેટીંગ તથા રોજગારીની તકો પણ વધતી હોવાથી અક્ષયતૃતિયાનું આર્થિક મહત્ત્વ પણ છે, કારણ કે આ દિવસે જ ખેડૂતો પણ ખેતીઓજારોનું પૂજન કરીને નવા ખરીફ વર્ષના ખેતીકામે લાગી જાય છે, અને આવતુ વર્ષ સારૃં નિવડે તેવી કામના કરે છે. આમ, આ મંગલ દિવસ એક સર્વક્ષેત્રિય અને સાર્વજનિક મહાત્મય તો ધરાવે જ છે, તે ઉપરાંત જન-જનના હૈયે વસતું વૈવિધ્યપૂર્ણ પર્વ પણ છે.
પરશુરામ વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે અને દશાવતારમાં એક અલગ જ પ્રકારનું વ્યક્તિત્વ છે. પરશુરામનું નામ પણ તેઓ કૂહાડીધારક હોવાનું પ્રતિપાદિત કરે છે. તેઓ જમદગ્નિ ઋષિના તથા રેણુકા દેવીના પુત્ર હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામ પાસેની રેણુકા નદી પરશુરામની અવતારલીલા સાથે સંકળાયેલ છે.
જામનગરમાં પણ ગઈકાલે પરશુરામ જયંતીની ઉજવણી આખું અઠવાડિયું ચાલી અને ૧ર મી એપ્રિલથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. આ દરમિયાન વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર ભૂદેવોને પરશુરામ એવોર્ડ, બાળકો-બહેનો માટે વિશેષ સ્પર્ધાઓ, પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા, તો બ્રહ્મસમાજના સેંકડો લોકોએ પરશુ દીક્ષા લીધી, જે જામનગરની કદાચ પ્રથમ ઘટના હતી. પરશુરામ જયંતીની ઉજવણીના કારણે સમસ્ત બ્રહ્મસમાજમાં ઉત્સાહ તો હતો જ, પરંતુ શિક્ષણ, વિકાસ અને સંસ્કૃતિને સાંકળતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના માધ્યમથી સામાજિક વિકાસ તથા શૈક્ષણિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન પણ મળ્યું હતું. હાલારમાં ઠેર-ઠેર આવી જ રીતે પરશુરામ જયંતીની ઉજવણી સાથે અખાત્રીજની ઉજવણીનું અદ્ભુત સંયોજન છોટીકાશીની આગવી આભા છે.
હાલારની સાથે ભૌગોલિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક રીતે સંકળાયેલા પોરબંદરમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીના મંદિરે તો અખાત્રીજના દિવસે દર્શનાર્થીઓની ભીડ જામી હતી. હકીકતે વર્ષમાં એક જ વખત તમામ દર્શનાર્થીઓને અખાત્રીજના દિવસે સુદામાજીના મંદિરમાં નિજગૃહમાં પ્રવેશીને સુદામાજીના ચરણસ્પર્શ કરીને નિજદર્શન કરવાનો પવિત્ર અવસર મળે છે. પ્રચલિત કથા મુજબ સુદામાજી દ્વારકાધીશ શ્રીકૃષ્ણને મળવા દ્વારકા ગયા અને ભેટ આપવા માટે તાંદુલ (ચોખા અથવા પૌઆ) ની પોટલી લઈને ગયા હતાં. પહેલા તો પોટલી સંતાડી, પરંતુ શ્રીકૃષ્ણ ત પોટલી લઈ લીધી અને તાંદુલ ખાધા, અન સુદામાજીના ચરણ સ્પર્શ કર્યા તેથી ભક્તજનો પણ અખાત્રીજના દિવસ શ્રીકૃષ્ણ જેના ચરણ સ્પર્શ કર્યા હતાં, તના ચરણ સ્પર્શ કરીને સુદામા મંદિરમાં સુદામાજી અન તેઓના ધર્મપત્ની સુશીલાજી અને રાધે-કૃષ્ણના દર્શન કરી દ્વારકાધીશ શ્રીકૃષ્ણને પ્રાર્થે છે.
આ વખતે અક્ષયતૃતિયા ક્યાંક રવિવાર તો ક્યાંક સોમવારે (આજ) ઉજવાઈ રહી છે, કારણ કે આ તિથિ બન્ને દિવસો વચ્ચે વહેંચાયેલી છે. ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામો ગંગોત્રી અન જમનોત્રીના દ્વાર (કપાટ) પણ ગઈકાલે અખાત્રીજના દિવસે ખૂલ્યા અને પુષ્પવૃષ્ટિ થઈ.
અખાત્રીજના દિવસે પવનની દિશા મુજબ ઘણાં પ્રાચીન વર્ષા વિજ્ઞાનીઓ વરસાદની આગાહી કરતા હોય છે અને પહોર મુજબ પવનની દિશા તથા ગતિ પર આધારિત અનુમાનો કરતા હોય છે. અભ્યાસુઓ તથા વર્ષા વિજ્ઞાનીઓએ અખાત્રીજના પ્રથમ પહોરમાં પશ્ચિમથી પૂર્વ તરફ પવન હોવાથી વનરાજી ખીલી ઊઠે તેવા વરસાદની આગાહી કરી છે, અને વાયવ્યમાંથી પણ લહેરખીઓ આવી હોવાથી વાવણીલાયક વરસાદના અનુમાનો કરાયા હતાં.
ગઈકાલે જ ભારતની સરકારી કંપની મઝગાંવ શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કોલંબો ડોકયાર્ડ પીએલસીમાં પ૧ ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો, જેને અખાત્રીજના દિવસે એક મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સફળતા માનવામાં આવે છે, કારણ કે ચીન માટે આ કરાર એક જોરદાર ઝટકા સમાન છે. આ ઉપરાંત ભારતના ઉપરાષ્ટ્રપતિનો અખાત્રીજના દિવસ શ્રીલંકાનો પ્રવાસ અને ત્યાંના તમિલ પરિવારોને આવાસોની સોંપણીના કાર્યક્રમો પણ એક સમજપૂર્વકની રણનીતિ ગણવામાં આવી રહી છે. આ સફળતાપૂર્વકના કદમની સાથે સાથે બાંગલાદેશમાં બે દિવસ પહેલા જ ભારતીય રાજદૂત તરીકે પૂર્વ રેલવેમંત્રી દિનેશભાઈ ત્રિવેદીની નિમણૂકની પાછળ કુટનીતિ અને રાજનીતિનું સંયોજન થયું હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
ગઈકાલે વૈશ્વિક અજંપો યથાવત્ રહ્યો હતો, પરંતુ આજે ઈસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે વાટાઘાટો પછી યુદ્ધ સમાપ્ત થઈ જશ અને અખાત્રીજથી જ આખી દુનિયા શાંતિનો શ્વાસ લેશ, તેવી આશા હતી, પરંતે હવે આવતીકાલે શાંતિવાર્તા યોજાશે, તેવા અહેવાલો પછી પણ હજુ ઈરાન પૂરેપૂરૃં સહમત થતું નથી, તેવા અહેવાલોએ ચિંતા જન્માવી છે, તો બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પ્રચારની અસર પણ અખાત્રીજના વિવિધાસભર કાર્યક્રમો તથા ઉજવણી પર સ્વાભાવિક રીતે જ પડી હતી.
'નોબત'ના વાચકો તથા 'નોબત'ની સોશિયલ મીડિયાની પ્રવૃત્તિઓના ફોલોઅર્સ-દર્શકો-વિજ્ઞાપનદાતાઓ સહિત 'નોબત' અને માધવાણી પરિવાર સાથે સંકળાયેલા સૌ કોઈને અખાત્રીજની ખૂબ ખૂબ શુભકામનાઓ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજનીતિમાં ઘણી વખત જે હોય, તે દેખાતું નથી અને જે દેખાતું હોય તે અસલમાં હોતું નથી. અસલિયત છુપી રહી જતી હોય છે અને ગુમરાહ કરતા બાબતો દેખાતી હોય છે અથવા તો ઈરાદાપૂર્વક દેખાડાતું હોય છે. ગઈકાલે સાંજે સંસદમાં કાંઈક એવું જ થયું છે. મોદી સરકાર મહિલા આરક્ષણ માટે નારી શક્તિ વંદન અધિનિયમને સંલગ્ન ત્રણ કાયદાઓ માટેનો બંધારણીય સુધારો નં-૧૩૧ લોકસભામાં પસાર કરવામાં નિષ્ફળ રહી છેે. સરકારને વિપક્ષોની એકજૂથતા બેકફૂટ પર ધકેલી દીધી છે. બંધારણીય સુધારણા માટે લોકસભામાં વોટીંગ કરવું ફરજીયાત હોય છે અને તેમાં બે તૃતીયાંશ બહુમતી પણ ફરજીયાત હોય છે. ગઈકાલે સાંજે લોકસભામાં સરકારે રજૂ કરેલા બિલની તરફેણમાં સાદી બહુમતી મળી પરંતુ સરકાર બે તૃતીયાંશ બહુમતી મેળવી શકી નહીં, તેથી બિલ અટકી ગયું અને ફરીથી દેશની બહેનોનું આરક્ષણનું સપનું છીનવાઈ ગયું. તથા તેને સંબંધિત પ્રક્રિયા જ સમાપ્ત થઈ ગઈ, મોદી સરકાર હારી ગઈ અને વિપક્ષોની એકજૂથતા જીતી ગઈ છે, તેવું દેખાય છે, અને મોદી સરકાર વગર વિચાર્યે ઉતવાળમાં ઉઠાવેલું કદમ બૂમરેંગ પૂરવાર થયું છે, તે પ્રકારના વિશ્લેષણો ગઈકાલે સાંજથી જ થઈ રહ્યા હતા. અને લોકસભામાં ઝટકો લાગ્યા પછીના એનડીએ નેતાઓના નિવેદનો તથા સરકારને વિફળ બનાવ્યા પછીના વિપક્ષના નેતાઓના નિવેદનો પણ ગઈકાલે સાંજથી જ પ્રેસ-મીડિયામાં પડઘાય છે. આ કારણે ઘણાં લોકો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય...
જો કે, રાજનીતિમાં જે દેખાતુ હોય, તેવું જ ઘણી વખત હોતું નથી અને જે હકીકત હોય છે તે છુપી રહી જતી હોય છે. રાજકીય પક્ષો દ્વારા ઘણી વખત લોકોને ભ્રમિત કરવા માટે વ્યૂહરચનાઓ અપનાવાતી હોય છે, જેની સામાન્ય લોકો કલ્પના પણ કરી શકતા હોતા નથી.
એનડીએ પાસે લોકસભામાં બહુમતી તો છે, પરંતુ બે-તૃતીયાંશ બહુમતી નથી, છતાં મોદી સરકારે આ કદમ ઉઠાવ્યુ, તેથી કાં તો કેટલાક વિપક્ષોનો ટેકો મળી જશે, તેવી આશા હોય અથવા તો હાથે કરીને હારી જવાની ઊંડી રણનીતિ પણ અપનાવાઈ હોઈ શકે, તેવું માનતા વિશ્લેષકો કહે છે કે પ.બંગાળની ચૂંટણી તથા વર્ષ-૨૦૨૭ સુધીમાં આવી રહેલી વિવિધ ચૂંટણીઓમાં રાજકીય લાભ લેવા માટે એનડીએની સરકારે ઊંડી ચાલ ચાલી છે, અને તેની આ ટ્રેપમાં વિપક્ષો ફસાઈ ગયા છે. હવે ભાજપ અને એનડીએ દ્વારા દેશભરમાં ગામે ગામ અને નગરો-મહાનગરોમાં વિપક્ષો વિરોધી પ્રચાર ઝુંબેશ ચલાવશે, રેલીઓ નીકળશે, દેખાવો યોજાશે અને વિપક્ષોએ મહિલા અનામત થવા દીધું નહીં અને વિપક્ષોએ જ બીલો અટકાવી દીધા હોવાની આક્ષેપબાજી થશે, વિપક્ષોને તથા ખાસ કરીને કોંગ્રેસ પર મહિલાઓના વિરોધી હોવાના આક્ષેપોની ઝડી વરસસે. આની શરૂઆત તો ગઈકાલે જ લોકસભાની કાર્યવાહી પૂરી થયા પછી સંસદ સંકૂલથી જ થઈ ગઈ હતી અને આજે જે કાંઈ થઈ રહ્યું છે, તે આપણી સામે જ છે. હવે આ મુદ્દો હાલની અને ભવિષ્યની તમામ ચૂંટણીઓમાં અગ્રીમ હરોળનો મુદ્દો બનશે, તે નક્કી જ છે.
આ સમજપૂર્વકનું જોખમ ઉઠાવ્યું હોય, તેમ જણાતુ હોવા છતાં તેનો રાજકીય ફાયદો મોદી સરકાર કે એનડીએને કેટલો થાય છે, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે, પરંતુ ચર્ચા દરમ્યાન જ વડાપ્રધાને હળવી શૈલીમાં વિપક્ષોને ઉદ્દેશીને આ બિલ પાસ થવા દેવાય અને વિપક્ષો સહયોગ આપે, તો તેને "ક્રેડિટ" આપવા સરકાર તૈયાર છે, એવું કહીને સંકેત કર્યો હતો કે જો વિપક્ષો આ બિલ પાસ થવા નહીં દે, તો તેનો રાજકીય ફાયદો તેમને (એનડીએ) થશે. આ ત્રણેય બિલો પર ચર્ચા દરમ્યાન એનડીએના કેટલાક સાંસદોએ પણ આ જ પ્રકારની વાત કરી હતી, તો ચર્ચાનો સાંસદમાં જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે પણ કાંઈક એવી જ ટકોર કરી હતી અને કહ્યું હતું કે આ બિલ પસાર નહીં થાય, તો દેશની મહિલાઓ વિપક્ષોને માફ નહીં કરે, અને પ્રચાર કરવા જવું પણ મુશ્કેલ બનશે. તે પછી બિલ ઉડી ગયું અને વિધિવત સમાપન કરતી વખતે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂએ પણ આવી જ વાત કરી. એ પછી સંસદના સંકુલમાં જ નારેબાજી થઈ, તથા આજે એનડીએ દ્વારા વિપક્ષોની સામે દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનો પણ શરૂ થઈ ગયા છે, તે જોતાં એવું જણાય છે કે આ ત્રણેય બિલ પાસ થાય, તેટલી બે-તૃતીયાંશ બહુમતી નહીં હોવા છતાં બિલો સાંસદમાં રજૂ કરીને સરકાર દ્વારા શતરંજની ચાલની જેમ એક રાજકીય દાવ ખેલવામાં આવ્યો છે. અને તે સરકારને કેટલો ફળે છે અને વિપક્ષોને કોઈ રાજકીય નુકસાન થાય છે કે પછી એનડીએ માટે બૂમરેંગ પૂરવાર થાય છે, તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.
જો કે, વિપક્ષોએ આ મુદ્દે બિલો પાસ થવા દીધા હોત તો તેની ક્રેડિટ સરકાર એકલી લઈ જાત કે પછી તમામ પક્ષોને તેનો રાજકીય ફાયદો થયો હોત, તે અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ દાયકાઓથી મહિલા અનામતનો લાભ ફરીથી એક વખત રાજકીય ચાલબાજીઓના કારણે અટકી ગયો છે અને બિલો લટકી ગયા છે, તે હકીકત છે...
બીજી તરફ ઈઝરાયલ-ઈરાનની લડાઈમાં વગર વિચાર્યે કૂદી પડેલા અમેરિકા તથા મહાસત્તા સાથે ટકરાવાના ઈરાનને પણ હવે પીછેહઠ કરવી પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જતા આખી દુનિયાને રાહત થઈ છે અને અમેરિકાએ રશિયન ક્રૂડ ખરીદવા પરના પ્રતિબંધો હળવા કરવા પડી રહ્યા છે. અમેરિકાએ નાકાબંધી ચાલુ રાખી હોવા છતાં અંતે યુદ્ધ વિરામ કાયમી થવાના સંજોગો વધુ ઉજળા થઈ રહ્યા છે. જો ઈરાન અમેરિકાને યુરેનિયમ ડસ્ટ સુપ્રત કરી દેશે તો કહી શકાય કે ખાયા પીયા કુછ નહીં...ગ્લાસ તોડા બારહ આના...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાંથી લોકોની મૂળભૂત જરૂરિયાતોની સેવા-સુવિધાઓમાં ઘણાં સ્થળે સુધારો-વધારો થવા લાગ્યો છે. કેટલાક સ્થળે ગમે ત્યારે વીજળી ગુલ થઈ રહી હતી, ત્યાં વીજપુરવઠો હમણાંથી નિયમિત થવા લાગ્યો છે. જામનગરમાં કેટલાક વિસ્તારોમાં કોઈ ચોક્કસ ટાઈમ ટેબલ વિના કે મોડી રાત્રે પાણી પુરવઠો આવતો હતો, ત્યાં યોગ્ય સમયે પૂરતા પ્રવાહમાં દિવસના સમયે જ પાણી પુરવઠો અપાવા લાગ્યો છે. ઘણાં વિસ્તારોમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે ફરતી ગાડીઓની નિયમિતતા, ચોખ્ખાઈ અને તેના કર્મચારીઓની કાર્યપદ્ધતિ પણ લોકોની અપેક્ષા મુજબની થઈ રહી છે. ઘણાં સ્થળે ગંદકીની લાંબા સમયની ફરિયાદો ઉકેલાવા લાગી છે.
હાલારના નગરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારે થોડા-ઘણાં લોકેચ્છા મુજબના હકારાત્મક કદમો ઊઠાવાઈ રહ્યા છે, અને પરિવર્તનો થઈ રહ્યા છે. આ પ્રકારની ચર્ચા સાથે લોકોમાં એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓના સમયમાં જે બુનિયાદી પ્રશ્નો હતાં, તે વહીવટદારોના શાસનમાં કેમ હળવા થવા લાગ્યા છે, અને આ પ્રકારના પરિવર્તનો પાછળનું કારણ શું હોઈ શકે?
ઘણાં લોકો આને વહીવટદારોનું પ્રો-પબ્લિક વલણ માને છે, તો રાજકીય દબાણથી મુક્ત થયા પછી તંત્રો છૂટથી કામ કરી રહ્યા હોવાની માન્યતા પણ વ્યક્ત થઈ રહી છે. ઘણાં લોકો કહે છે કે આ તો ચાર દિવસ કી ચાંદની ઔર ફીર અંધેરી રાત જેવું છે. ચૂંટણી પછી ફરીથી પહેલા જેવું જ થઈ જશે, ભલે સત્તામાં કોઈપણ પાર્ટી આવે...
એક મહત્ત્વપૂર્ણ અભિપ્રાય મહત્તમ લોકો વ્યક્ત કરી રહ્યા છે કે, અત્યારે પણ તંત્રોના માધ્યમથી એન્ટી-ઈન્કમ્બન્સી ઘટાડવા તથા મતદારોનો અસંતોષ ઊભો થઈ ન જાય, તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ કારણે જ પાણીપુરવઠો, વીજપુરવઠો, સફાઈ, સ્ટ્રીટલાઈટ જેવી રોજીંદી સેવાઓમાં ક્રમશઃ સુધારો જોવા મળી રહ્યો છે. આચારસંહિતાના કારણે તંત્રો પરના કેટલાક રોજ-બ-રોજના કામો ઓછા થઈ જતા સનદી અધિકારીઓ તેનો 'સદુપયોગ' કરી રહ્યા હોવાની વાતો થઈ રહી છે, જો કે તેમાં સત્યનો રણકાર હોય છે કે વ્યંગવાણી હોય છે, તે સમજી શકાય તેવું નથી.
જો કે બધી જગ્યાએ એવું નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે, તેવા નગરો તથા જામનગરમાં કેટલાક સ્થળે ઉલ્ટી પરિસ્થિતિ પણ જોવા મળે છે, જ્યાં લોકોની બુનિયાદી ફરિયાદો ઘટવાના બદલે વધી હોય, કેટલાક સ્થળેથી એવી રાવ પણ ઊઠી રહી છે કે ચૂંટણીની કામગીરી હોવાના નામે તથા આચારસંહિતાના બહાને ચૂંટણી સાથે લાગતું-વળગતું ન હોય, તેવા મહત્ત્વના કામો પણ કરવામાં આવી રહ્યા છે. જે હોય તે ખરૃં. આ બધું આ મહિનાના અંત સુધી જ રહેવાનું છે, અને તે પછી નવા જનપ્રતિનિધિઓ આવશે, અને પછી ફરીથી 'જૈસે થે...!'
જો કે, અમદાવાદ મહાનગરપાલિકા (એએમસી) દ્વારા ઉઠાવાયેલા તાજેતરના કેટલાક કદમ જ્યાં ચૂંટણી છે, તેવા વિસ્તારોના વહીવટદાર અમલદારોએ પણ અપનાવવા જેવા છે. અમદાવાદમાં પ્રદૂષણના ધારાધોરણો (ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ) નો અમલ ન કરતા હોય, તેવા બાંધકામોની રજાચિઠ્ઠી જ રદ્ કરી નાંખવાના આદેશો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે આપ્યા હોવાના અહેવાલો પછી 'હોતી હૈ ચલતી હૈ' ચલાવતા બિલ્ડરો તથા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપ્યો હોવાના તથા તેના કારણે લોકોમાંથી પણ પ્રશંસનિય પ્રતિભાવો આવી રહ્યા હોવાના પ્રત્યાઘાતો પડઘાઈ રહ્યા છે. આ પ્રકારના કડક કદમ ઊઠાવીને દબાણરહિત વહીવટ આપવાની તક અન્ય વહીવટદારોએ પણ ઝડપી લેવા જેવી ખરી...
એવું કહેવાય છે કે, મિશન મિલિયન ટ્રી ઝુંબેશ હેઠળ અમદાવાદના બાગાયત વિભાગે એક પ્લોટ પર પ્લાનટેશન કર્યું હોવાનો દાવો કર્યો હતો, તે પ્લોટ પર તો હેલ્થ સેન્ટર બંધાયેલું મળ્યું હતું. તે પછી કમિશનરની કડકાઈ (સ્ટ્રોંગનેશ) વધી ગઈ હતી. આ ઉપરાંત ગરમી માટે હોટ સ્પોટની જેમ જ આવારા કૂતરાઓ માટે પણ હોટસ્પોટ (જોખમી જગ્યા) જાહેર કરીને જરૂરી કદમ ઊઠાવવાના એએમસીના કદમની પ્રશંસા પણ થઈ રહી છે, જેનો પ્રભાવ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓના તંત્રવાહકો પર પડે, અને થોડા દિવસો માટે સાચુકલી જનસેવાની તક તેઓ ઝડપી લ્યે, તેવું ઈચ્છીએ...
હાલારમાં જામનગર મહાનગરપાલિકા ઉપરાંત ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની ચૂંટણીઓ છે, ત્યારે ત્યાંના વહીવટદારો માટે તો 'જનસેવા'નો આ ગોલ્ડન ચાન્સ છે જ, પરંતુ જ્યાં ચૂંટણીઓ નથી, તેવા શહેરોમાં પણ રોજીંદી મૂળભૂત સેવા-સુવિધાઓ સારી રીતે અને નિયમિત કરવાની તક પણ તંત્રવાહકોએ ઝડપવા જેવી છે, અને ચૂંટાયેલી પાંખો માટે દૃષ્ટાંતો સેટ કરવા જેવા છે. કોઈપણ કારણોસર થતી હોય તો પણ દરેક પ્રકારની સુધારાલક્ષી પહેલ અને અનુકરણીય અભિગમ ચૂંટણીઓ પછી પણ એટલી જ પ્રસ્તુત રહી શકે છે, બસ, ચૂંટાયેલા નવા જનપ્રતિનિધિઓ અને હોદ્દેદારોની હૃદયપૂર્વકની 'ઈચ્છાશક્તિ' હોવી જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે આઈપીએલની સિઝન ચાલી રહી છે, અને ગરમી, યુદ્ધ અને ચૂંટણીઓના માહોલ વચ્ચે પણ ક્રિકેટની ચર્ચા અગ્રીમ હરોળમાં થતી રહી છે, તેના ઘણાં કારણો પણ છે. આપણી મૂળભૂત દેશી રમતો પણ તદ્ન વિસરાઈ નથી, પરંતુ આધુનિક સ્વરૂપમાં પુનઃ સ્વીકૃતિ પામી રહી છે,તે ઉત્સાહપ્રેરક છે. કૃષ્ણકાળથી રમાતી ગેડી-દડાની રમતને આજે હોકી કહેવાય છે, અને મલ્લ-કુસ્તી પણ આજે અદ્યતન બની છે, તો કબડ્ડી અને ખો-ખો જેવી રમતો પણ ટકી રહી છે. આ રમતોની રનીંગ કોમેન્ટ્રી પણ હવે ક્રિકેટની જેમ જ રસસભર અને વૈવિધ્યપૂર્ણ બની રહી છે.
ક્રિકેટના ક્ષેત્રે અત્યારે ગૌતમ ગંભીરની 'ગંભીરતા'ની ચર્ચા મીડિયા-સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ રસિયાઓની નુક્કડ ચર્ચાઓ સુધી થઈ રહી છે, તેનું કારણ ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ ગૌતમ ગંભીરની ગંભીરતાને લઈને કરેલું નિવેદન છે, જો કે મન્સુફીથી કરાયેલું એ મુનાફી નિવેદન ગંભીરની પ્રશંસા પણ કરે છે, અને એક કડવી વાસ્તવિક્તા પણ ઉજાગર કરે છે, અને તેમાંથી જન્મી છે 'કડવાશ'ની કથા...
આપણાં વડીલો હંમેશાં કહેતા હોય છે કે, દવા ભલે કડવી હોય, પરંતુ તે દર્દ મટાડે છે અને રોગ ભગાડે છે. કદાચ ગંભીરની 'ગંભીરતા' કોઈ ટીમ મેમ્બર્સને ખટકતી હોય કે 'કડક' વલણ ગમતું ન હોય, તો પણ 'ગંભીરતા'ની એ જ ખૂબી છે અને ખામી પણ છે. આ પ્રકારની ગંભીરતા ધરાવતા ગૌતમ જેવા ઘણાં ગંભીરો આપણી વચ્ચે પણ હોય જ છે ને?
ધર્મગુરુઓ, ફિલોશોફરો તથા અધ્યાપકો (ભણાવતી વખતે) હંમેશાં કહેતા હોય છે કે, સત્ય કડવું હોય છે, પરંતુ તે જીવન સુધારે છે. ચૂંટણી ટાણે ઘણી વખત આ જ પ્રકારનું કડવું સત્ય પણ પ્રગટતું હોય છે, જો કે સત્યનો નકાબ ઓઢીને આવતા અસૂરી અસત્યોથી ચેતવા જેવું ખરૃં...
કડવું સત્ય પણ સીધેસીધુ, તોછડાઈ કે કડવાશથી કહેવામાં આવે તો તે ઘણી વખત બિનઅસરકારક બનતું હોય છે, અને ક્યારેક તો ઘાતક પણ બનતું હોય છે, તેથી સત્ય કહેવાની પણ એક સંયમિત આવડત હોવી જરૂરી છે. કોઈને ઓછું સંભળાતું હોય, ઓછું દેખાતું હોય, બોલવા-ચાલવાની તકલીફ હોય તો તેને મોઢામોઢ તોછડા વિશેષણો આપીને સંબોધવાથી બચવું જોઈએ. કદાચ એટલે જ 'દિવ્યાંગ' શબ્દપ્રયોગનો આગ્રહ રાખવામાં આવતો હશે. એવી જ રીતે વૈશ્વિક રાજનીતિ હોય કે ચૂંટણીનો ચક્રવ્યૂહ હોય, પરંતુ કડવું સત્ય પણ ઘણી વખત કટ્ટર કડવાશ ઊભી કરી દેતું હોય છે. એ સત્ય સારા શબ્દોમાં પણ કોઈને ખૂંચે નહીં તેવી રીતે બોલી શકાતું હોય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વાણી વિલાસ કરતા કેટલાક બોલકા બેકાબૂ નેતાઓએ આ સિદ્ધાંત સમજીને ભાષણબાજી કરવી જોઈએ...
સત્ય હંમેશાં કડવું જ હોય, તેવું નથી, પરંતુ જે સત્ય આપણને અનુકૂળ આવતું ન હોય, ગમતું ન હોય, પોલખોલનું માધ્યમ બનતું હોય કેે પછી બાજી ઉંધી વાળી દેનારૂ હોય તો તે કડવું લાગે, પરંતુ એ જ સત્ય જો આપણાં પ્રતિસ્પર્ધી કે ટીકાકારની પોલ ખોલતું હોય, આપણને અનુકૂળ આવતું હોય કે પછી સાનુકૂળ હોય તે 'સત્ય મેવ જયતે'નો પર્યાય બની જાય છે, તે પણ કડવી વાસ્તવિક્તા જ છે ને?
કાયદાઓ કડક હોય તો લોકોની સુરક્ષા અને સલામતિ વધે છે, અને આ કારણે જ કેટલાક કાયદાઓ વધુ કડક બનાવાયા છે. કાયદાની છટકબારીઓ બંધ કરવા માટે ઘણાં સુધારાઓ થયા છે અને કેટલાક કાયદાઓ ધરમૂળથી બદલી પણ નંખાયા છે. કાયદા કડક હોય તેની સાથે તેનો તટસ્થ અને લોકલક્ષી અમલ થાય, અને ટ્રાન્સપરન્સી જળવાય તે પણ જરૂરી હોય છે. જો કાયદાનું અમલીકરણ ભેેદભાવપૂર્ણ કે કોઈ બાહ્ય પ્રભાવ હેઠળ અયોગ્ય રીતે થાય કે કાયદાનો દુરૂપયોગ થાય, સત્તાનો દુરૂપયોગ થાય કે પછી કાયદાનું ઢીલુપોચુ અમલીકરણ થાય, તો લોકોની સુરક્ષા-સલામતી ઉપર જોખમ પણ ઊભું થતું હોય છે, જેથી ભારત જેવા લોકતાંત્રિક દેશમાં આ મુદ્દે ઘણી જ સાવધાની રાખવી જરૂરી હોય છે.
કાયદાના હાથ લાંબા હોય છે, અને ન્યાયમાં વિલંબ થાય, તો પણ ભારત જેવા લોકતાંત્રિક દેશમાં અંતે તો ન્યાય મળતો જ હોય છે અને સત્યનો જય થતો હોય છે. આ પ્રકારના સુવાક્યો આપણે રોજ-બ-રોજ સાંભળતા જ હોઈએ છીએ.
આમ દરેક મુદ્દાની સિક્કાની બે બાજુ તો હોય જ છે. કડવી દવા બીમારી ભગાડે અને કડવું સત્ય જીવન સુધારે છે, એ નક્કર હકીકત છે. યોગ્ય રીતે અમલ થાય તો કડક કાયદાથી લોકોની સુરક્ષા અને સલામતિ વધે છે, તે પણ નક્કર વાસ્તવિક્તા છે, પરંતુ કડવા વેણ એટલે કે કડવા શબ્દોથી થતી ટીકા કે કોઈનું અપમાન તો હંમેશાં સુમધૂર સંબંધો બગાડે જ છે, તેમાં કોઈ સંદેહ નથી.
લોકતાંત્રિક દેશોમાં સુરક્ષા એજન્સીઓને કડક કાયદાઓનું પીઠબળ હોય છે, પરંતુ સત્તાધારી પક્ષ કે ચોક્કસ પરિબળો દ્વારા કાયદાઓનો દુરૂપયોગ ન થાય, તેનું ધ્યાન રાખવું પડે, અન્યથા ટ્રમ્પફેઈમ ટેરિફ કે યુદ્ધો જેવા અતિરેકો થતા રહેતા હોય છે, જો કે અમેરિકાની સંસદમાં હવે ટ્રમ્પને અંકુશમાં રાખવા કોઈ પ્રસ્તાવ આવી રહ્યો છે, પરંતુ હવે તે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું છે...
પરિવાર હોય, સમાજ હોય કે દેશ હોય, કે પછી વૈશ્વિક વ્યવહારો હોય, કડવા વેણ અને મનસ્વી વલણ હંમેશાં પોતાના પગ પર કૂહાડી મારવા જેવું નિવડતું હોય છે, તેથી સત્ય પણ મીઠાશથી બોલાવું જોઈએ અને ધન, સત્તા, શક્તિ કે જ્ઞાનના ઘમંડમાં કડવા વેણ હંમેશાં પોતાનો જ વિનાશ નોતરતા હોય છે, તે હંમેશાં યાદ રાખવું જોઈએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, તો પ.બંગાળ, આસામ, કેરળ, તમિલનાડૂ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાઓ અને આઠ રાજ્યોમાં ખાલી બેઠકોની પેટા ચૂંટણીઓનો પ્રચાર પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. આ ચૂંટણી પ્રચાર દરમ્યાન આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો તો જાણે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ તેનાથી પણ વધુ તિવ્રતાથી કેટલાક રાજકીય પક્ષોમાં ફાટી નીકળેલો અસંતોષ પણ સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષા સુધી ચર્ચાની વિષય બન્યો છે. ખાસ કરીને અપેક્ષિત ટિકિટો ન મળી હોય, તેવા ઈચ્છાધારી નેતાઓ-કાર્યકરો કોઈને કોઈ રીતે અસંતોષ પ્રગટ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો, જે મુખ્ય ત્રણ રાજકીય પક્ષો વચ્ચે રાજ્યવ્યાપી ફાઈટ છે, તે ત્રણેય પક્ષોમાં ઓછા-વત્તા અંશે છુપો કે જાહેર અસંતોષ ઉકળી રહ્યો છે, જે પક્ષની ટિકિટ મેળવનાર સત્તાવાર ઉમેદવારો માટે સારા સંકેત નથી. જો કે, બધા પક્ષો ડેમેજ કંટ્રોલની કોશિશ કરી રહ્યા છે અને કેટલાક સ્થળે તો મનામણાં થઈ પણ રહ્યા છે. બીજી તરફ રિસામણા-મનામણાં વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ હવે "રિસોર્ટ કલ્ચર" દેખાવા લાગ્યું છે અને ફોર્મ પાછા ખેંચવાની મુદ્દત સુધી કેટલાક ટિકિટધારક ઉમેદવારોને સંબંધિત પક્ષો દ્વારા સામૂહિક રીતે "બહાર" લઈ જવામાં આવી રહ્યા છે, જેથી સામેનો પક્ષ તેના ઉમેદવારને "તોડી" ન જાય !
જામનગરમાં પણ આ જ પ્રકારનો અસંતોષ વિવિધ રાજકીય પક્ષોમાં જોવા મળ્યો અને કેટલાક "સેવકો" એ તો ટિકિટ નહીં મળતા જ પાટલી બદલવા અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આક્રોશ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી, તો કેટલાક "દુભાયેલા" કાર્યકરો ગૂપચૂપ ચૂંટણી આવે તેની રાહ જોઈ રહ્યા છે અને મતદાનના સમયે "ખેલ" નાખવાની ગૂપ્ત હિલચાલ પણ ચાલી રહી હશે, તો કેટલાક પાયાના પથ્થરો જેવા નેતાઓ-કાર્યકરો પાર્ટીનો આદેશ માથે ચડાવીને પ્રચારકાર્યમાં જોતરાઈ પણ ગયા છે. જો કે, "મૂળ ભાજપ"ના નામે નગરથી નેશન સુધી ફરતો થયેલો કોઈ પત્ર ટોક ઓફ ક ટાઉન, સ્ટેટ અને હવે ટોક ઓફ ધ નેશન બન્યો હોય, તેમ જણાય છે, જેના સંદર્ભે જવાબ પણ અપાઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ, આપ સહિતના અન્ય રાજકીય પક્ષોમાં પણ કેટલાક સ્થળે ફાટફૂટની વાર્તા વહેતી થઈ છે.
આજે ફોર્મ પાછા ખેંચવાની મુદ્દત બપોરે પૂરી થઈ જતા ચિત્ર હવે સ્પષ્ટ થવા લાગ્યુ છે અને કેટલીક નગરપાલિકાઓની બેઠકો સહિત ઘણી બેઠકો બિનહરીફ થઈ હોવાના અહેવાલો છે. બીજી તરફ ચૂંટણીતંત્રે પણ આદર્શ આચાર સંહિતાના અમલ સહિતની અમલવારી શરૂ કરી દીધી છે. બીજી તરફ પાંચ રાજ્યોની ચૂંટણીઓનો પ્રચાર પણ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો અને તીખા તમતમતા ભાષણો થઈ રહ્યા હતા. રાજકીય પક્ષોના સર્વોચ્ચ બંધારણીય પદો પર બિરાજમાન દિગ્ગજો પણ ચૂંટણીઓના સ્ટાર પ્રચારક તરીકે અલગ જ મિજાજમાં જણાઈ રહ્યા હતા, અને તેઓના તેજાબી ભાષણો વાયરલ થઈ રહ્યા હતા. એવું કહી શકાય કે હવે જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ચક્રવ્યૂહ ઘેરો બનતો જાય છે, તેમ તેમ પ્રચારાત્મક 'ટેમ્પો' પણ જમાવટ કરી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં સ્થાનિક સમસ્યાઓ, લોકોની અપેક્ષાઓ, ફરિયાદો, શાસન-પ્રશાસનની ઉપલબ્ધીઓ અને નિષ્ફળતાઓ, ગેરરીતિ-ભ્રષ્ટાચારના આક્ષેપો તથા ટ્રાન્સ્પરન્ટ સ્કીમ્સથી લઈને યોજનાકીય સિદ્ધિઓના મુદ્દાઓ ઉપરાંત રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ તથા છેક ટ્રમ્પની નાકાબંધી, ભારતની સંસદમાં નારીશક્તિ વંદન બિલ અને ગઈકાલે ટ્રમ્પે ૪૦ મિનિટ સુધી કરેલા ટેલિફોનિક વાતચીતનો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે. પ. બંગાળમાં તો શબ્દોના તીર એવા છૂટી રહ્યા છે કે પ્રતિસ્પર્ધીનું ચીરહરણ જ થઈ જાય. ઘણાં લોકોને ચૂંટણી પ્રચારમાં થતા ચારિત્ર્ય હરણ અને બેફામ વાણી વિલાસ અયોગ્ય લાગતો હોય છે, જ્યારે ઘણાં લોકો તેને મફતનું મનોરંજન ગણતા હોય છે. ઘણાં લોકો ઉચ્ચ બંધારણીય હોદ્દાઓ પર બિરાજમાન સ્ટાર પ્રચારકોએ થોડો સંયમ અને શબ્દોની મર્યાદા જાળવવી જોઈએ. તેવો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે તો ઘણાં લોકો "જંગ ઔર પ્યાર મેં સબ જાયઝ હૈ" ની કહેવત મુજબ ચૂંટણીને જંગ ગણીને તેમાં અભિવ્યક્તિની આઝાદી અમર્યાદ થઈ જાય, તો તેને ક્ષમ્ય ગણવી જોઈએ, તેવું પણ માને છે. ઠીક છે, "ખ્યાલ અપના અપના...પસંદ અપની અપની !".
આ વર્ષે અત્યારથી જ બળબળતો ઉનાળો શરૂ થઈ ગયો છે, અને બપોરે લોકડાઉન કે કર્ફયુ હોય, તેવો માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે બપોર સુધી અને બપોર પછી મતદાન વધુ થવાની સંભાવના છે, તો બીજી તરફ તમામ મતદાન કેન્દ્રો પર મતદારો માટે છાંયડો, પીવાનું પાણી અને પ્રાથમિક સારવાર જેવી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ રાખવાનો પડકાર પણ ચૂંટણીતંત્ર સામે રહેવાનો જ છે.
ચૂંટણીઓના ચક્રવ્યૂહ વચ્ચે લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામતની ચર્ચા પણ થઈ રહી છે અને વિવિધ અટકળો પણ થઈ રહી છે. લોકસભામાં અત્યારની ૫૪૨ થી વધીને ૮૫૦ની આજુબાજુ બેઠકો થશે, તો ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠકોમાં પણ વધારો થશે. ગુજરાતની લોકસભાની બેઠકો પણ વધશે. નવા સિમાંકન પછી સંસદીય મત વિસ્તારોનું સ્વરૂપ બદલાતા સમીકરણો પણ બદલાઈ જશે, આ અંગે વિવિધ સમીક્ષાઓ થઈ રહી છે તથા ઊંડો અભ્યાસ કરવામાં અવાી રહ્યો છે. સંસદમાં નારીશક્તિ વંદન (મહિલા આરક્ષણ) અધિનિયમ રજૂ થાય, તે પહેલા જ તેની ચર્ચા સડકથી સંસદ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી શરૂ થઈ ગઈ છે અને ચૂંટણી પ્રચારનો મુદ્દો પણ બની છે. જો કે, પંચાયત-પાલિકા-મહાપાલિકાાઓમાં સ્થાનિક મુદ્દાઓ વધુ પ્રભાવી રહેતા હોય છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ડો. ભીમરાવ રામજી આંબેડકરની જયંતી છે, તેઓને બંધારણના ઘડવૈયા ગણવામાં આવે છે. તેઓ બંધારણની ડ્રાફટ સમિતિના અધ્યક્ષ હતા અને બંધારણ સભા દ્વારા બંધારણના ઘડતર તથા આખરી ઓપ આપવામાં તેઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓને ડો. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ આપણે ઓળખીએ છીએ. ડો. ભીમરાવ (બાબાસાહેબ) આંબેડકરની જયંતી ઉજવાઈ રહી છે, ત્યારે જ આ અઠવાડિયામાં દેશમાં બંધારણીય ઘટનાક્રમો પણ બની રહ્યા છે, જે બંધારણ સભા અને ડો. બાબાસાહેબ આંબેડકરની દૂરંદેશી તથા સચોટતા દર્શાવે છે.
અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તથા દેશના કેટલાક રાજયોમાં વિધાનસભાના જનરલ ઈલેકશન તથા પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે, તે પણ બંધારણીય હેઠળ જ યોજાઈ રહી છે.
એ બંધારણ જ છે, જેની જોગવાઈઓ હેઠળ સુપ્રિમકોર્ટ એસઆઈઆરના મુદ્દે સુનાવણી કરીને ચૂંટણીપંચ અને સંબંધિત સરકારોને જરૂરી દિશાનિર્દેશ આપી રહી છે. પ.બંગાળમાં એસઆઈઆરમાં ૯૦ લાખ મતદારોના નામ કપાયા, તે મુદ્દે સુપ્રિમકોર્ટે જે સમતોલ અને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે, તે આપણાં દેશના સ્વયંસ્પષ્ટ લેખિત બંધારણને જ આભારી છે.
ડો. બાબાસાહેબ આંબેડકરના વડપણ હેઠળ ડ્રાફટ કમિટીમાં તૈયાર થયેલા મુસદાને બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. તે પહેલા આ બંધારણ આઝાદ ભારતમાં જરૂર પડયે કાયદા-કાનૂન કે મજબૂત અધિકારો સિવાયની જોગવાઈઓમાં સુધારા-વધારા થઈ શકે, તેવી વ્યવસ્થાઓ પણ એ જ બંધારણમાં કરવાની વિશેષ કાળજી રાખવામાં આવી હતી. અને આ બંધારણ લાગુ પડયુ ત્યારથી અત્યાર સુધીમાં સવાસોથી વધુ બંધારણીય સુધારાઓ થઈ ચૂક્યા છે.
આઝાદી પછી થયેલા બંધારણીય સુધારાઓની માહિતી નોબતની ગત દિવાળી પૂર્તિમાં એક વિસ્તૃત લેખમાં અપાઈ હતી. આ બંધારણીય સુધારાઓ હેઠળ જ આપણાં દેશમાં મહિલાઓને સંસદની લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો પર આરક્ષણ આપવાનું વિધેયક વર્ષ-૨૦૨૩માં મૂકાયુ હતું આ બિલનું નામ હતું નારીશક્તિ વંદન વિધેયક-૨૦૨૩...
આ બિલ વર્ષ ૨૦૨૩માં પસાર તો થઈ ગયું, પરંતુ તેમાં નવુ સિમાંકન નવી વસતિ ગણતરીના આધારે થવું જરૂરી છે, હવે નવી વસતિ ગણતરી થયા પછી નવું સિમાંકન થાય, તેની રાહ જોવાઈ રહી છે.
આપણાં દેશમાં દર દસ વર્ષે વસતિ ગણતરી થાય છે અને છેલ્લી વસતિ ગણતરી વર્ષ ૨૦૧૧માં થઈ હતી, અને તે પછી વર્ષ ૨૦૨૧માં વસતિ ગણતરી થવાની હતી, પરંતુ કોવિડ-૧૯ના કારણે તેમાં વિલંબ થયો હતો. હવે આ વર્ષે વસતિ ગણતરી થવા જઈ રહી છે. આ વસતિ ગણતરી થતા જ નવું સિમાંકન નક્કી થશે, અને લોકસભા, દેશની તમામ વિધાનસભાઓમાં (દિલ્હી સહિત) મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રહેશે. જેવી રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત છે, તેવી જ રીતે (પછાત વર્ગો સહિત) લોકસભા અને દેશની વિધાનસભાઓમાં પણ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે.
આ સમગ્ર પ્રક્રિયા પણ આપણાં એ જ દીર્ઘદૃષ્ટિપૂર્વક તૈયાર કરાયેલા લિખિત બંધારણને જ આભારી છે, અને આ બિલની મહત્તમ જોગવાઈઓ અંગે દેશમાં વિસ્તૃત ચર્ચાઓ પણ થઈ હતી. આ બિલ પણ બંધારણમાં ૧૦૬મા સુધારા તરીકે વર્ષ-૨૦૨૩મા પસાર થયું હતું. તે પછી હવે આ બિલને અંતિમ ઓપ અપાયા પછી ૧૨૮મા બંધારણીય સુધારા તરીકે ઓળખાશે. આ સુધારામાં નવા સિમાંકનની વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. આ બિલમાં એસ.સી. અને એસ.ટી.ની અનામત બેઠકોમાં પણ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. હવે આ વિષય પર ૧૬મી એપ્રિલથી સંસદમાં ચર્ચા થવાની છે, ત્યારે કોંગ્રેસે આ બિલના ટાઈમીંગ પર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે વડાપ્રધાને આ બિલ અંગે દિલ્હીના વિજ્ઞાનભવનમાં મહિલા સમુદાયો સાથે પણ સંવાદ કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશના બંધારણીય વડા છે. તેઓ આજે ગુજરાતની મુલાકાતે છે અને રાજધાની ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. બીજી તરફ હાલાર સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતીની ઉજવણીના ભવ્ય કાર્યક્રમો, રેલીઓ અને સમારોહો યોજાઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ ડો. આંબેડકરને સ્મરણાંજલિ અર્પીએ અને બંધારણના મૂળભૂત મૂલ્યો તથા બંધારણના ઘડવૈયાઓની દેશભાવનાને જાળવી રાખવાનો સંકલ્પ લઈએ...
આજે જ્યારે દેશ અને દુનિયા સામે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે અને આઝાદીકાળની દેશભક્તિની પ્રબળ ભાવનાને પુનઃ પ્રજ્વલિત કરવાની જરૂર છે, ત્યારે દેશ માટે શહીદી આપનાર તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે રવિવારે સવારે સમાચાર આવ્યા કે ઈસ્લામાબાદમાં ઈરાન-અમેરિકાની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે અને અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો પોતપોતાના દેશમાં પરત ફર્યા. તે પછી જે કાંઈ અનિશ્ચિતતાઓ, આશંકાઓ અને સંભાવનાઓ ઊભી થઈ રહી છે, તે આપણી સામે જ છે. રવિવારના ઘટનાક્રમોમાં કહીં ખુશી કહીં ગમ જેવા રહ્યા, કારણ કે લગભગ આખી દુનિયા ઈચ્છતી હતી કે ઈરાન-અમેરિકા વચ્ચે સમાધાન થઈ જાય, અને સંપૂર્ણ સમજૂતિ ન થાય, તો પણ હોર્મુઝ સ્ટ્રેટ બધા માટે કાયમ માટે ખુલી જાય. આ આશા સંતોષાઈ શકી નહીં અને પાકિસ્તાનની લીંબડ જશ ખાટવાની નિયત પણ ખુલ્લી પડી ગઈ. અત્યાર સુધી વિશ્વમાં યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે જ્યારે જ્યારે વાટાઘાટો થઈ છે, તે બહુ જાજો પ્રચાર-પ્રસાર કર્યા વિના અને તટસ્થ સ્થળ અને મધ્યસ્થીની સક્રિય ભૂમિકા હેઠળ થઈ છે, પરંતુ પાકિસ્તાનમાં તો કોઈ "ઈવેન્ટ" હોય તેમ ફોટોસેશન યોજાયા અને બંને દેશો વચ્ચે પાકિસ્તાનની ભૂમિકા માત્ર ટપાલી જેવી જ રહી ગઈ હોય તેવો આભાસ ઊભો થયો, જેની વૈશ્વિક ટીકા પણ થઈ.
દુનિયા હજુ આ બેડ ન્યૂઝનો આઘાત સહન કરવાનો પ્રયાસ કરી જ રહી હતી, ત્યાં ગઈકાલે રવિવારે બીજા બેડ ન્યૂઝ આવ્યા કે સ્વર સામગ્રી સ્વ. લતામંગેશકરના બહેન અને વિખ્યાત ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. તે પછી ગઈકાલે ઈરાન-અમેરિકાના સમાચારોના સ્થાને દિવંગત આશા ભોંસલેજીના જીવન સંઘર્ષ અને ઉપલબ્ધિઓની ચર્ચા થવા લાગી, અને તેણીના ગીતો પણ દિવસભર ગૂંજ્યા. દેશ-વિદેશમાં શ્રદ્ધાંજલિઓ અપાઈ.
ગઈકાલે જ બપોરે આઈપીએલમાં લખનૌની ટીમ સામે ગુજરાત ટાઈટન્સ ટીમ જીતી ગઈ અને સાંજે બેંગલુરૂની ટીમ સાથે મુંબઈની ટીમની રસાકસીની મોજ પણ ક્રિક્ેટ રસિયાઓએ માણી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હારી ગઈ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારો નક્કી થયા પછી કોણ કોની સામે છે અને કોણે કોણે છેલ્લી ઘડીએ પાટલી બદલી છે, તેની ચર્ચા વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કેટલાક બિનહરીફ વિજેતાઓ જાહેર થાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ, કારણ કે ત્યાં એક જ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.
જો કે, ગઈકાલથી ગુંજી રહેલો મુખ્ય મુદ્દો આજે ટોક ઓફ ધ નેશન બન્યો છે, અને તે મુદ્દો છે મહિલા અનામત બિલ...
કેન્દ્રની મોદી સરકારે મહિલા અનામત બિલને નારીશક્તિ વંદન અધિનિયમ-૨૦૨૩ સર્વસંમતિથી સપ્ટેમ્બર-૨૦૨૩મા જ પસાર કર્યું હતું, તો તે સમયે કોંગ્રેસની માંગણી છતાં સરકારે એ કાયદો કેમ લાગૂ કર્યો નહી ? તેવો પ્રશ્ન ઉઠાવીને કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આગામી તા. ૧૬ એપ્રિલથી આ જ અધિનિયમ પર ચર્ચા કરવા માટે બોલાવાયેલી વિશેષ સંસદસત્રની બેઠકના ટાઈમીંગ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અઢી વર્ષે આ જ અધિનિયમ પર ચર્ચા કરવા વિપક્ષોને વિશ્વાસમાં લીધા વિના સંસદની વિશેષ બેઠક બોલાવવામાં આવી છે, અને હવે અમને આ અધિનિયમ સર્વસંમતિથી પસાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ અંગે વિસ્તૃત ચર્ચા માટે પહેલા સર્વપક્ષિય બેઠક બોલાવવી જોઈએ, કારણ કે પૂરતી ચર્ચા વિના ઉતાવળે આ અધિનિયમ લાગુ કરી દેવો યોગ્ય નથી.
હકીકતે વર્ષ ૨૦૨૯થી લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે ૧૬ એપ્રિલથી આ અધિનિયમ પર ચર્ચા કરવા માટે સંસદની વિશેષ બેઠક બોલાવી છે, અને તેમાં સહયોગ આપવા અને આ બિલને રાજનીતિથી અલગ ગણીને સર્વાનુમતે લાગુ કરવા વિપક્ષોને અપીલ કરતો પત્ર લખ્યો છે. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગી અધ્યક્ષ ખડગેએ કહ્યું કે દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ ચાલી રહી છે, રાજકીય ફાયદો મેળવવા માટે આ બેઠક બોલાવાઈ રહી છે. આ માટે વિસ્તૃત પરામર્શ માટે રાજકીય પક્ષોને પૂરતો સમય મળી રહે, તે માટે હાલની વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓ સંપન્ન થયા પછી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને તે પણ સર્વસંમતિ સાધવામાં આવે, તે યોગ્ય રહેશે.
ચૂંટણી સમયે કેન્દ્ર સરકારે ગૂગલી ફેંકી એન તેની સામે ખડગેએ બાઉન્ડ્રી ફટકારી હોય તેવો ઘાટ સર્જાયો છે, હવે કેન્દ્ર સરકાર સર્વસંમતિ માટે કેવા પ્રયત્નો કરે છે, તે જોવાનું રહ્યું. જો કે, સરકારની બહુમતી હોવાથી આ બિલ પસાર તો થવાનું જ છે, બસ, ટાઈમીંગનો સવાલ છે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થવા લાગ્યા અને આમઆદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારીપત્રો ભરવાની તાજવીજ હાથ ધરાઈ, તે પછી રાજ્યના લગભગ જિલ્લાઓમાં ચોતરફ ચર્ચાઓનો જાણે ચક્રવાત ઉઠયો છે અને અટકળોની જાણે કે આંધી આવી હોય તેમ ઉકળાટ અને અજંપો જોવા મળી રહ્યો છે.
આજે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારીપત્રો ભરવા માટે ધસારો વધ્યો અને તેની સાથે જ કેટલાક પક્ષપલટો કરનારા નેતાઓને તરત જ ટિકિટ મળી જતા મૂળ વફાદાર કાર્યકરોમાં અસંતોષ પ્રગટ થયો, તો કેટલાક ટિકિટવાંચ્છુઓને ટિકિટ નહીં મળતા નારાજગી વધી. ક્યાંક ભાજપમાં ભડકો થયો તો ક્યાંક કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો. આમઆદમી પાર્ટી પણ કેટલાક જિલ્લાઓમાં અવઢવમાં હોય તેવું લાગ્યું.
આજે શનિવાર છે અને સાંજ સુધીમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને પક્ષવાર કોણ કોની સામે મેદાનમાં છે, તથા કેટલા અપક્ષોએ નસીબ અજમાવ્યું છે, તે પણ ખબર પડી જશે, તે પછી આવતીકાલે રવિવારે ઉમેદવારો અને પક્ષો પ્રચાર શરૂ કરશે, અને ચૂંટણી સભાઓ, રેલીઓ અને પ્રેસ મીડિયા, સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો અને પક્ષો મતદારો સુધી પોતાનો સંદેશ પહોંચતો કરવાના પ્રયાસો શરૂ કરશે.
આ વખતે પણ ચૂંટણીટાણે જ પક્ષાંતરો તથા ઘરવાપસીની વણજાર ચાલી અને કેટલાક નેતાઓ તો પક્ષાંતર કર્યા પછી થોડા કલાકો કે દિવસોમાં જ પોતાના પક્ષમાં પરત ફર્યા, તેના કારણે આ ચૂંટણીમાં હકીકતે કોણ પોતાના છે અને કોણ પારકા છે તે સમજવામાં પણ પક્ષો અને ઉમેદવારોને વાર લાગે તેમ છે, અને હવે સમયગાળો પણ ટૂંકો છે, તેથી અજંપો અને ઉચાટ પણ રાજકીય વર્તુળોમાં વધી રહ્યા છે.
કોઈપણ ચૂંટણીઓ સમયે તહેવારો આવતા હોય, કોઈ પણ પ્રકારના પ્રસંગો હોય કે કોઈપણ પ્રકારની ઉજવણીઓ થતી હોય, તો તેને ચૂંટણીઓ સાથે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે જોડી જ દેવામાં આવતા હોય છે, પછીભલે ચૂંટણીઓ કે તેના પ્રચાર સાથે તેને કોઈ વાસ્તવિક સંબંધ કે લેવાદેવા જ ન હોય...!?
જો કે, યુદ્ધ, ચૂંટણી, ઋતુચક્ર અને રોજ-બ-રોજના ઘટનાક્રમોની જનમાનસ પર અસરો તો થતી જ હોય છે, કારણ કે આ ઘટનાક્રમોની જનજીવનને પણ અસર થતી હોય છે. આ કારણે જ પ્રવર્તમાન વૈશ્વિક ઘટનાક્રમોની અસર પણ જનસમુદાય પર વર્તાઈ રહી છે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સામે એક અવરોધ ઊભો થવાની સંભાવના હતી, તે હવે ખતમ થઈ ગઈ છે, કારણ કે સુપ્રિમકોર્ટે ગઈકાલે ૨૭ટકા ઓબીસી અનામતની નીતિ સામે વાંધો લઈને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી છે. પાટીદાર આંદોલન સમયે અગ્રીમ હરોળમાં ભૂમિકા ભજવનાર યુવાનોએ આ માટે સુપ્રિમકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જો કે, આ મુદ્દે અરજદારોને હાઈકોર્ટમાં જવા સૂચવ્યુ હોવાથી હવે દડો અરજદારના મેદાનમાં છે. આ મુદ્દે હાઈકોર્ટ જે નિર્ણય આપે તેની આવખતેની ચૂંટણી પર કેટલી અસર થઈ શકે છે, તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપે જામ્યુકોમાં મોટા માથાઓની ટિકિટો કાપી છે, અને ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જામનગર મહાનગરપાલિકામાં ૬૪માંથી ૫૦ નવા ચહેરા ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, અને ૧૪ રિપિટ કર્યા છે. આ વખતે ખરાખરીનો ખેલ છે અને રસાકસીભર્યો જંગ જામવાનો છે. આજે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પછી બદલાયેલા સમીકરણો અને પલટાઈ રહેલા માહોલની સાચી ખબર પડશે, તથા આગામી એકાદ-બે દિવસમાં ચૂંટણી પ્રચાર પણ વેગ પકડી લેશે. ઉમેદવારીપત્રોની ચકાસણી તથા ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ વીતી જાય, તે પછી મતદારો સામે પણ પસંદગીના વિકલ્પો નજર સામે હશે. મતદારો પણ આ વખતે ખૂબ જ સમજી વિચારીને તથા નગર તથા નગરજનોના હિતમાં જ જનાદેશ આપશે, તેવી આશા સેવાઈ રહી છે. જામનગર મહાનગરપાલિકામાં ગુજસીટોકના ૩ આરોપીઓએ ફોર્મ ભર્યા, તે ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે.
હાલારની બંને જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતો અને કેટલીક નગરપાલિકાઓ માટે પણ આજથી જ પ્રચારના ભૂંગળા વાગવા લાગશે. આ વખતે આમઆદમી પાર્ટી પણ પૂરી તાકાતથી મેદાનમાં હોવાથી ત્રિપાંખીયો જંગ ખેલાશે, તો પોતાની તાકાત પર ચૂંટણી જીતી શકે, તેવા તાકતવર અપક્ષો કે અન્ય ક્ષેત્રિય પાર્ટીઓના ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે, ત્યાં બહુપાંખિયો જંગ ખેલાશે.
મોટા ભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનું શાસન છે, તેથી કેટલા કામો અને જનસેવાનો ફાયદો પણ થઈ શકે છે અને એન્ટી ઈન્કમ્બન્સી તિવ્ર હશે ત્યાં ચોંકાવનારા પરિણામો પણ આવી શકે છે. નેતાઓની લોકપ્રિયતા તથા શાસનની સફળતાના દાવાઓ પણ મતદારોની કસોટીની એરણે ચડવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ધીંગુ મતદાન થયું, તે લોકતંત્રની જીત છે અને મતદારોમાં આવી રહેલી જાગૃતિની ફલશ્રુતિ છે, તેની સાથે સાથે આ ધીંગુ મતદાન ખરેખર પરિવર્તનની હવા દર્શાવે છે કે પૂનરાવર્તનનો જનાદેશ છે, તે તો પરિણામો આવે, ત્યારે જ ખબર પડશે, કારણ કે આ બાબતે ચોક્કસ અનુમાનો કરવા અઘરા જણાય છે.
આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ટીમે એડીચોટીનું જોર લગાવીને સત્તા જાળવી રાખવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા છે, તો કોંગ્રેસના ગૌરવ ગોગોઈની ટીમે પણ પરિવર્તન માટે પૂરતા પ્રયાસો કર્યા છે. જો કે, અંતિમ ફેંસલો તો મતદારોએ જ કર્યો છે, જે મત ગણતરી પછી ખબર પડી જશે.
પુડ્ડુચેરીમાં હિંસક ઘટનાઓ છતાં મતદાન સંપન્ન થઈ ગયું છે, અને બંને મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. હવે જનાદેશ કોના તરફ ગયો છે, તે જાણવા માટે પરિણામોની રાહ જોવી પડશે.
કેરળમાં તદ્દન અલગ પ્રકારની રાજકીય શતરંજ ખેલાઈ રહી છે. અત્યારે ત્યાં ડાબેરી પક્ષોનું ગઠબંધન એલીડીએફ સત્તામાં છે, અને પિનરાઈ વિનયન મુખ્યમંત્રી છે, તો કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન યુડીએફ ઉપરાંત આ વખતે ભાજપના નેતૃત્વમાં એનડીએ પણ પોતાની નોંધપાત્ર હાજરી નોંધાવવા માટે ઓડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આ ત્રણેય રાજ્યો પૈકી આસામ અને કેરળમાં પૂર્ણ કક્ષાની રાજ્ય સરકારો છે જ્યારે પુડ્ડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ ત્રણેય રાજયોમાં જે ધીંગુ મતદાન થયું છે, તેને આવકારવાની સાથે સાથે આ વખતે ચોંકાવનારા પરિણામો આવશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે.
ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે એકાદ હજાર જેટલા રાજ્યમાં ફોર્મ ભરાયા પછી આજે તમામ સ્થળે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયામાં તેજી આવી છે. જે મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે, ત્યાં આજથી ચહલ પહલ થોડી વધી ગઈ છે અને ભાજપના ઉમેદવારોની યાદીમાં વિલંબ થતા તથા અન્ય પક્ષોના કેટલાક અપવાદો સિવાય પૂરેપૂરા ઉમેદવારી પત્રો ભરાયા નહીં હોવાથી ગઈકાલ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું નહોતું. પરંતુ આજે અને આવતીકાલે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પછી ચિત્ર સ્પષ્ટ થઈ જશે, તેમ જણાય છે.
આ વખતે મતદારોનો મિજાજ કઈ તરફ રહેશે અને કયા ક્યા મુદ્દાઓને ધ્યાને લઈને મતદાન થશે, તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. ઘણાં લોકો આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ હોવાનું કહે છે, તો વિપક્ષો માટે પણ વિજય સરળ નથી, તેવા તારણ નીકળી રહ્યા. આ બધા વચ્ચે આમઆદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને બંને ફાઈટ આપી શકશે અને પોતાનો વ્યાપ વધારશે કે પછી કોઈ એક રાષ્ટ્રીયપક્ષના મતો કાપશે, તે અંગેના ગણિત પણ મંડાઈ રહ્યા છે.
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૧મી એપ્રિલ છે, અને રાજ્ય સરકારની કચેરીઓમાં બીજા શનિવારની રજા હોય છે, તેથી શહેર-તાલુકા-જિલ્લા કક્ષાના ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારીપત્રો ભરી શકાય, તે માટે આ સંબંધિત કચેરીઓ રજાના દિવસે પણ ખુલ્લી રહેશે, તેવું જાહેર થયા પછી એ ગુંચવણ અથવા મુંઝવણ દૂર થઈ ગઈ છે, અને આવતીકાલે સાંજ સુધીમાં તમામ ઉમેદવારીપત્રો ભરાયા પછી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે.
ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓમાં અત્યારે ભાજપનું શાસન છે, પરંતુ તેને જાળવી રાખવામાં કેટલી સફળતા મળશે, તે થનારા મતદાન તથા મતદારોના મિજાજ પર આધારિત છે. કેટલાક શહેરોમાંથી કેટલીક ફરિયાદો ઉઠવા લાગી તો કેટલાક વિસ્તારોએ મતદાનના બહિષ્કારની હિલચાલ આદરી હોવાથી રાજકીય પક્ષો માટે તે ચિંતાજનક પણ ગણાય જ ને ?
રાજ્યની ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ આ વખતે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ જણાય છે. આ વખતે રાજકીય પક્ષ, વિચારધારા અને રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપરાંત મતદારો ઉમેદવારની પોતાની છાપ, સક્રિયતા અને પ્રામાણિકતા વગેરે પણ લક્ષ્યમાં રખાશે, તેમ જણાય છે. મતદારો ભલે અત્યારે મન કળવા ન દેતા હોય, પરંતુ જેમ જેમ ચૂંટણી પ્રચારનો માહોલ જામશે, તેમ તેમ મતદારોમાં પણ જાગૃતિ આવશે. આ વખતે પણ મતદાનના દિવસોમાં કેટલાક પારિવારિક-સામાજિક પ્રસંગોનું સંયોજન થશે, તથા ઉનાળાની ગરમી પણ હશે, તેથી બહોળું મતદાન થાય, તે માટે મતદાનના દિવસે સવારથી જ રાજકીય પક્ષો તથા ઉમેદવારો મતદારોને મતદાન મથકો તરફ મોકલવાની તાજવીજ કરશે અને ચૂંટણીપંચ તથ તટસ્થ રીતે વધુમાં વધુ મતદાન થાય, તેવા પ્રયાસો કરશે, તો ત્રણ રાજ્યોની જેમ ગુજરાતની લોકલ ઈલેકશનમાં પણ ધીંગુ મતદાન થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર મહાનગરપાલિકા સહિત હાલારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા પછી પ્રારંભિક દિવસોમાં ભલે ઠંડુ વાતાવરણ જણાતુ હોય અને રાજકીય પક્ષો અવઢવમાં કે વ્યૂહરચનાના ભાગરૂપે વિલંબ કરી રહ્યા હોય, પરંતુ ચૂંટણીતંત્રે તો ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી જ દીધી છે અને ટાઈમટેબલ મુજબની પ્રક્રિયાઓ સંપન્ન કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક સંપન્ન થઈ જાય, તે માટે વહીવટી તંત્ર અને પોલીસતંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલ થશે, તેવી આશા સેવાઈ રહી છે.
જામનગરમાં તો પોલીસતંત્રે કોમ્બીંગ નાઈટ યોજીને વાહનોનોું ચેકીંગ કર્યું અને ધૂમ સ્ટાઈલથી દ્વિચક્રી વાહનો ચલાવતા અને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બાઈક સવારો તથા નિયમભંગ કરતા ચાલકોને દંડયા હતા. આ કારણે ચૂંટણી સમયે કોઈ ડખ્ખો ન થાય કે મતદારોને ડરાવવા, ધમકાવવા કે લલચાવવાનો પ્રયાસ ન થાય, તે માટે તંત્ર અત્યારથી જ સતર્ક થઈ ગયું હોવાનો આભાસ પણ ઊભો થયો છે.
રાજકીય પક્ષોએ પણ આ ચૂંટણી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હોય તેમ જણાય છે, અને ત્રણેય પક્ષો માટે કદાચ ઉમેદવારોની પસંદગી જટિલ બની રહી છે. બીજી તરફ રાજયકક્ષાએથી ભાજપે ઉમેદવારોની પસંદગી માટે એ,બી,સી અને ડીની ફોર્મ્યુલા અપનાવી હોવાના અહેવાલો પછી હવે બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને ફોર્મ ભરવાની મુદ્દતના છેલ્લા બે દિવસોમાં મહત્તમ ઉમેદવારો ફોર્મ ભરશે, તેમ જણાય છે. વિલંબથી ઉમેદવારોની યાદી જાહેર કરવા પાછળનું ગણિત કદાચ એવું પણ હોઈ શકે કે, જે ટિકિટ વાંચ્છુએને ટિકિટ ન મળે, તે પૈકીના કોઈને પક્ષ પલટો કરવા કે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવા માટે પૂરતો સમય જ મળે નહીં. જો કે, ઉમેદવારીની પસંદગીમાં વિલંબ એક કોયડો જ બની રહ્યો છે.
આમ પણ સામાન્ય રીતે પ્રારંભિક દિવસોમાં ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ધીમી જ રહેતી હોય છે, પરંતુ એક વખત ઉમેદવારોની યાદી જાહેર થઈ જાય, પછી જો વિલંબ થાય તો તે હંમેશાં ચર્ચાનો વિષય બનતો હોય છે. જો કે, રાજ્ય કક્ષાએથી લીલીઝંડી મળે, તે પછી જ ઉમેદવારો ફોર્મ ભરવા જતા હોય છે, તેથી અત્યારે જે કાંઈ બની રહ્યું છે, તેમાં અસાધારણ કાંઈ નથી, તેવું માનનારો પણ એક વર્ગ છે. બીજી તરફ કેટલાક ઉમેદવારો જેલમાંથી ઉમેદવારી નોંધાવવાના હોવાથી કેટલીક કાનૂની પ્રક્રિયાઓને લઈને પણ મથામણ થઈ રહી છે.
યુદ્ધ વિરામ અંગે ગુંચવણ ઊભી થયા પછી એક તરફ યુદ્ધની વૈશ્વિક સ્થિતિ અને બીજી તરફ ઋતુચક્રની અનિયમિતતાના ચક્કરમાં મતદારોમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો નહોતો અને ચૂંટણી પ્રચારનો ટેમ્પો પણ જામી રહ્યો નહોતો, પરંતુ હવે એવું લાગે છે કે રાજકીય પક્ષો તરફથી જેમ જેમ યાદી જાહેર થતી જશે, તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ વેગીલો બનશે અને માત્ર સોશ્યલ મીડિયા અને સ્થાનિક પ્રારંભિક પ્રચારનો વ્યાપ વધીને પ્રચારસભાઓ, પ્રેસ-મીડિયા ડિબેટીંગ્સ અને ડોર-ટુ-ડોર સંપર્ક સુધી પહોંચશે, તેમ જણાય છે. જો કે, ગઈકાલે જિલ્લા/તાલુકા પંચાયત તથા પાલિકા માટે એકલ દોકલ ફોર્મ ભરાયા હતા, પરંતુ જામનગર મહાનગરપાલિકા માટે ફોર્મ ભરાયું નહોતું.
બીજી તરફ ભાજપે જિલ્લા-તાલુકા પંચાયત સહિતના ઉમેદવારોની સંભવિત યાદી પણ આજે અત્રે પ્રસિદ્ધ થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનોની ચૂંટણીઓ જાહેર થયા પછી રાબેતા મુજબ પક્ષપલટાઓનો સીલસીલો શરૂ થયો અને પોતાના પક્ષથી સંતોષ ન હોય તેવા નેતાઓ અન્ય પક્ષમાં સામેલ થવા લાગ્યા. હજુ ઉમેદવારોના નામ પૂરેપૂરા જાહેર થયા નથી અને રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણપણે સંપન્ન કરી નથી, ત્યાં પક્ષાંતરની શરૂઆત થઈ છે, તેથી ઉમેદવારોના નામો જાહેર થયા પછી જે ટિકિટ વાંચ્છુઓને ટિકિટ નહીં મળી હોય, તે પૈકીના કેટલાક કદાચ અપક્ષ ઉમેદવારી કરીને પોતાના અને સામેના પક્ષોના ઉમેદવારોનું ગણિત બગાડી શકે છે અન્ય કેટલાક અસંતુષ્ટ ઈચ્છાધારી નેતાઓ અન્ય પક્ષમાંથી ટિકિટ મેળવીને સામે પડી શકે છે કે પછી પક્ષાંતર કરીને પક્ષીય વફાદારી બદલી શકે છે. આ વખતે એવું થવાના ચાન્સીસ વધુ છે કારણ કે આ વખતે કેટલીક બેઠકો માટે ચોક્કસ રાજકીય પક્ષોને ઉમેદવારો પણ મળતા નહીં હોવાના અહેવાલો પછી તદ્વિષયક ચિંતા પણ સંબંધિત ક્ષેત્રો અને પક્ષોમાં ઊભી થઈ જ હશે.
ગઈ ચૂંટણીમાં જામનગરના છઠ્ઠા વોર્ડમાં ચાર કોર્પોરેટરોમાંથી મહત્તમ બીએસપી (બહુજન સમાજ પાર્ટી)ના હતા, પરંતુ તેમાંથી એક કોર્પોરેટરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા પછી ત્યાં સમીકરણો બદલાયા છે, તો ગત ચૂંટણીમાં હતો, તેવો ટેમ્પો પણ જોવા મળી રહ્યો નથી અને મતદારોની નિરસતા પણ મહાનગરના રાજનેતાઓને અકળાવી રહી છે. હવે ઉમેદવારીપત્રો ભરાયા પછી પણ મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય, તે માટેની કવાયત પહેલેથી જ કરવી પડે તેમ છે..
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે મતદારોની નિરસતતા અને સત્તાકીય પક્ષોના અવઢવ પછી અણધાર્યા અને ચોંકાવનારા પરિણામોની અટકળો થવા લાગી છે. અને ઓછું કે વધુ મતદાન કોને ફાયદો અને કોને નુકસાન કરી શકે તેમ છે, તેના ગણિત મંડાઈ રહ્યા છે, તો હાલારની કેટલીક નગરપાલિકાઓ તથા પંચાયતોને લઈને પણ અટકળો શરૂ થઈ રહી છે. બંને જિલ્લા પંચાયતોમાં આ વખતે પૂનરાવર્તન થશે કે પરિવર્તન થશે, તે અંગે પણ અનુમાનો થઈ રહ્યા છે. જો કે, ઉમેદવારોની પસંદગી, રાજકીય પક્ષોના પ્રતિસ્પર્ધીઓ તથા અપક્ષ ઉમેદવારોના ફોર્ભ ભરાયા પછીની સ્થિતિ, પ્રચાર-પ્રસાર તથા છેલ્લી ઘડીની ગોઠવણો પર બધો મદાર રહેવાનોે છે.
સ્વાભાવિક રીતે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારો સીધા મતદારો સમક્ષ પોતાની વાત રજૂ કરી શકતા હોય છે અને મતદાનના દિવસે પણ "પર્સનલ ટચ" તથા પારિવારિક સંબંધોના કારણે વિધાનસભા-લોકસભાની ચૂંટણીથી મોટા ભાગે વધુ મતદાન થતું હોય છે. જોઈએ, આ વખતે મતદાનની ટકાવારી કેટલી રહે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકાના કેલેન્ડર મુજબ મંગળવારની રાત સુધીમાં ઈરાન જંગ નહીં છોડે, તો મસળી નાખવાની ધમકી આપનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ મુદ્દત પૂરી થાય તે પહેલા જ બે અઠવાડિયાના યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી અને ઈરાને પણ તેની પુષ્ટિ કરી, તે પછી દુનિયાભરના લોકોેએ રાહતનો શ્વાસ લીધો હશે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી લગભગ આખી દુનિયાના દેશોને પરેશાની થઈ રહી હતી અને ઈંધણ સિવાયની ચીજવસ્તુઓનું વૈશ્વિક પરિવહન પણ અટવાઈ પડયું હતું.
આજે વહેલી સવારે જ્યારે આ જાહેરાત થઈ, ત્યારે પ્રાંરભિક અહેવાલો થોડા વિરોધાભાસી જણાયા હતા. પરંતુ સવાર થતાં થતાં બંને દેશો તરફથી ૧૪ દિવસના યુદ્ધ વિરામના અહેવાલોને પુષ્ટિ મળી ગઈ, અને એવા પ્રત્યાઘાતો પડવા લાગ્યા કે, જે થયું, તે ઠીક થયું, દેર આયે દુરસ્ત આયે...
સ્વાભાવિક રીતે જ બંને દેશોએ પોતાની ટંગડી ઊંચી રાખી હોય તેવા નિવેદનો પણ આવ્યા. ઈરાને દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની તમામ ૧૦ શરતો માન્ય રાખી છે, અને શાંતિવાર્તા માટે તૈયારી બતાવી છે, તો બીજી તરફ અમેરિકાએ દાવો કર્યો કે અમેરિકાના સૈન્ય હેતુઓ અને લક્ષ્યો સિદ્ધ થઈ ગયા છે, અને નાટોના સહયોગ વિના જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ કરાવવામાં અમેરિકાને સફળતા મળી છે, વગેરે...
હકીકતે વર્ષ ૧૯૯૪માં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) ની સ્થાપના થઈ હતી, જેમાં અત્યારે ૩૨ દેશો સભ્યપદે છે. આ એક સહિયારૃં સૈન્ય સંગઠન છે, છેલ્લે વર્ષ ૨૦૨૪મા સ્વીડન આ સૈન્ય સંગઠનમાં જોડાયુ હતું. આ સંગઠનમાં અમેરિકા, યુ.કે., કેનેડા, ક્રોએશિયા, જર્મની, ગ્રીસ, નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, તુર્કી, ફ્રાન્સ, ઈટાલી સહિતના ૩૨ દેશો વચ્ચે એવી સમજૂતિ છે કે જરૂર પડયે તેઓ પરસ્પર સૈન્ય સહાય કરશે. આ માટે કેટલીક ચોક્કસ શરતો રખાઈ હતી.
બન્યું એવું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને ઈરાને જ્યારે વૈશ્વિક ઈંધણ-ઊર્જાનો પુરવઠો અટકાવ્યો, ત્યારે અમેરિકા પર દબાણ વધ્યુ અને ટ્રમ્પે નાટો દેશોને હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માટે અપીલ કરી, પરંતુ નાટો સંગઠન કે સભ્ય દેશો તેને અનુસર્યા નહીં.
આ કારણે ટ્રમ્પ ગિન્નાયા અને ઈરાનને મસળી નાખવાની ધમકીઓ આપીને તથા ઈઝરાયલ સાથે મળીને ઈરાન પર હૂમલાઓ કરીને યુદ્ધ વકરાવ્યુ, પણ પછી તે યુદ્ધ જ ટ્રમ્પના ગળાની ફાંસ બની ગયું. ટ્રમ્પને યુદ્ધમાંથી સન્માનભેર બહાર નીકળવું હતું. પરંતુ મજબૂત કે ગળે ઉતરે તેવું કારણ મળતુ ન હતું, તો બીજી તરફ વૈશ્વિક દબાણ વધી રહ્યું હતું એન વૈશ્વિક ઊર્જા પુરવઠો ખોરવાઈ રહ્યો હતો. બીજી તરફ ઈરાનની પણ ફ્રન્ટલાઈનની નેતાગીરી ખતમ થઈ રહી હતી, ઈરાનના સુપ્રિમ લીડર આયાતોલ્લા અલી ખોમેઈનીના મોત તથા સેનાના લીડર્સ અને પોલિટિકલ લીડર્સ માર્યા ગયા હતા. સૈન્ય ખુવાર થઈ રહ્યું હતું અને ઈન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન તથા શસ્ત્ર સરંજામ ખુટી રહ્યો હતો. જો કે, જુસ્સો ક્યારેય ખુટ્યો નહીં, અને છેલ્લે ટ્રમ્પને ફરીથી યૂ-ટર્ન લેવો પડયો, જે ઘમંડી વૈશ્વિક અન્ય નેતાઓ માટે પણ બોધપાઠરૂપ છે.
હવે ટ્રમ્પ પણ ઈરાનની ૧૦ શરતો પર વાતચીત થશે, તેવું જણાવી રહ્યા હોય અને ઈરાન પણ ૧૦ શરતો અમેરિકાએ સ્વીકારી હોવાનો દાવો કરી રહ્યું હોય, તો એવું લાગે છે કે જો આ બે અઠવાડિયાના યુદ્ધ વિરામ દરમ્યાન આ ૧૦ મુદ્દાઓ પર કોઈ મડાગાંઠ ઊભી થાય તો કાંઈ પણ થઈ શકે છે. જો કે, એકાદ બે મુદ્દા પર પરસ્પર સહમતિ નહીં થાય, તો પણ યુદ્ધ વિરામ લંબાઈ શકે છે. આખી દુનિયા એવું ઈચ્છે છે કે ફરીથી આ યુદ્ધ શરૂ ન થાય અને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ કે અન્ય કોઈપણ દરિયાઈ માર્ગ બંધ કે નિયંત્રિત ન થાય. ઈરાનના સુપ્રિમ લીડર મોજતબા ખોમેઈનીએ પણ આ યુદ્ધ વિરામને અનુસરીને હૂમલાઓ અટકાવી દેવાના આદેશો આપ્યા છે, જો કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વહાણોએ ઈરાન અને ઓમાનને ટોલ આપવો પડશે, તેવા અહેવાલોએ ગુંચવણ પણ ઊભી કરી છે. તો અમેરિકામાં ટ્રમ્પ સામે ઘર આંગણે પણ કડકારો ઊભા થઈ શકે છે.
ઈરાન-અમેરિકા યુદ્ધ હકીકતે ઈઝરાયલના કારણે શરૂ થયું હતું, તેથી ટ્રમ્પનું યુદ્ધ વિરામ ઈઝરાયલને પણ લાગુ પડશે, તેવું મનાય છે, અને ટ્રમ્પે યુદ્ધ વિરામની જાહેરાત કરતા પહેલા બે વખત નેતન્યાહુ સાથે વાત કરી હતી, તેવા પણ અહેવાલો છે, બીજી તરફ લેબેનોનમાં પણ શાંતિ સ્થપાશે, કારણ કે હીઝબુલ્લાએ પણ ૧૨ દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. હવે ફરીથી ભીષણ યુદ્ધની સંભાવનાઓ ઘણી જ ઓછી હોવા છતાં બંને તરફથી પરસ્પર અવિશ્વાસનો માહોલ છે, તે જોતા થોડા દિવસ થોભો અને રાહ જુઓ,ની નીતિ અપનાવીને વિશ્વસમુદાય કાયમી યુદ્ધ વિરામ માટેના જ પ્રયત્નો કરશે.
ટ્રમ્પે ઈરાન પર ગઈ રાત્રે હૂમલા અટકાવવા પાકિસ્તાને અનુરોધ કર્યો હોવાનો દાવો કર્યો અને પછી યુદ્ધ વિરામ માટે ચીનની અપીલને લક્ષ્યમાં લાવી હોવાની વાત કરી તેથી હકીકતે ટ્રમ્પે ઈરાનને મસળી નાખવાના બદલે ઈરાનની તમામ ૧૦ શરતો પર વાતચીતની સહમતિ દર્શાવી, તેમાં ટ્રમ્પની પીછેહઠ ન દેખાય, તે માટે મધ્યસ્થી માટે શાહબાઝ-મુનીરનો ઉલ્લેખ કરી રહ્યા હોય તથા પછીથી ચીનને યશ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવો આભાસ પણ ઊભો થાય છે., આમ પણ અમેરિકા ઈરાન પર હમાસ, હીઝબુલ્લા અને હુતી આતંકી સંગઠનોને સમર્થન આપવાના આરોપો કરતુ રહ્યું છે, તો ભારત પાકિસ્તાન પર જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુઝાહુદ્દિન, ટીઆરએફ વગેરે આતંકી સંગઠનોને સમર્થન આપીને ભારતમાં સીમાપાર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવે છે, તેથી એક પ્રકારના બે દેશ એક બીજાને સમજી શકતા હોય તે પણ સ્વાભાવિક જ છે, જો કે, આ યુદ્ધ વિરામમાં થોડી ઘણી પણ ભૂમિકા હોય, તો એમ કહી શકાય કે આ આતંકવાદ પ્રેરક દેશે કાંઈક તો સારૃં કામ કર્યું !
આ યુદ્ધ વિરામની સીધી અસર ભારતને પણ થશે. ભારતમાં પણ ઈંધણની સ્થિતિ વિકટ બની રહી હતી અને ખાસ કરીને રાંધણગેસની સ્થિતિ વધુને વધુ બગડી રહી હતી. તથા શોર્ટેજના કારણે મોદી સરકાર સામે કોંગી નેતા રાહુલ ગાંધીએ તડાપીટ પણ બોલાવી હતી. જો યુદ્ધ ચાલુ રહ્યું હોત તો આ સ્થિતિ વધુ વણસી હોત અને તેની અસરો દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીઓના પ્રચાર પણ થઈ હોત, કારણ કે આ મુદ્દો ત્રિપલ એન્જિન કે ડબલ એન્જિનની સરકારો હોવાના દાવાઓ કરતા એનડીએ માટે પણ પડકારરૂપ હતો. હવે બે અઠવાડિયાના યુદ્ધ વિરામના કારણે ચૂંટણી પ્રચારના મુદ્દાઓ પણ બદલાઈ જશે. અત્યારે વિશ્વમાં એક જ સમાન પ્રકારની ચર્ચા થઈ રહી છે કે બોલીને વારંવાર ફરી જતા ટ્રમ્પ હવે આ અલ્પ વિરામ દરમ્યાન યુદ્ધ વિરામને અનુસરસે કે પછી આ પણ કોઈ નવી વ્યૂહ રચના હશે ? જસ્ટ વેઈટ એન્ડ વોચ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે વિવિધ સંદર્ભોમાં કોવિડ-૧૯ની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, અને કોવિડ-૧૯ના પ્રથમ લોકડાઉનથી લઈને સતત લગભગ બે-ત્રણ વર્ષ સુધી તેની અસરોની કડવી યાદો પણ તાજી થવા લાગી છે. જો કે, પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ની સ્થિતિને જે રીતે સરકાર અને દેશવાસીઓએ હેન્ડલ કરી હતી, તેવી જ હેન્ડલ કરવાનો દાવો કેન્દ્ર સરકાર તરફથી થતા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગી સાંસદ રાહુલ ગાંધીએ શાબ્દિક પ્રહારો કર્યા છે, તો કોવિડ-૧૯ના લોકડાઉન સમયે થયેલા એક કોન્સ્ટેડિયલ કેસમાં હાઈકોર્ટની સુઓમોટો સુનાવણી પછી મદુરાઈની સેસન્સ કોર્ટે નવ પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી હોવાના અહેવાલોના સંદર્ભે પણ લોકડાઉન દરમ્યાન બનેલી ઘાતકી દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનિય ઘટનાની કમકમાટી ઉપજાવતી યાદો તાજી કરાવી દીધી છે. આ ઘટનામાં લોકડાઉન દરમ્યાન દુકાન ખુલી રાખવા જેવા સામાન્ય ગૂન્હામાં પોલીસ કસ્ટડીમાં ઢોર માર મારતા વેપારી પિતા-પુત્રના મૃત્યુ નિપજયા હતા, જેમાં અદાલતે આ ઘટનાને ક્રૂરતાની પરાકાષ્ટા ગણાવીને ફાંસીની સજા સંભળાવ્યા પછી આ મુદ્દો ટોક ઓફ ધ નેશન બની ગયો છે.
કોવિડ-૧૯નો પ્રકોપ શરૂ થયા પછી અને ભારતમાં કેસો વધવા લાગ્યા પછી વર્ષ ૨૦૨૦માં ૨૨મી માર્ચે સ્વૈચ્છિક જનતા કર્ફ્યુનો પ્રયોગ થયો હતો, અને ૨૪મી માર્ચથી ૧૪ દિવસ માટેે સાર્વજનિક લોકડાઉન લાગુ થયુ હતું, તે પછી બીજા તબક્કામાં ત્રીજી મે અને ચોથા તબક્કામાં ૧૮મી મે સુધી લોકડાઉન લંબાવાયુ હતું તે પછી ધીમે ધીમે પ્રતિબંધો હળવા કરાયા હતા, તથા પહેલી ડિસેમ્બર-૨૦૨૦થી તબક્કાવાર અનલોક શરૂ થયુ, અને ક્રમશઃ પ્રતિબંધો વધુ હળવા થતા ગયા, જે પ્રક્રિયા ૩૧મી માર્ચ-૨૦૨૨ સુધી ચાલી હતી. કોરોનામાં લોકોની જિંદગી બદલી ગઈ, ઘણાં જીવ ગયા, એ ગમખ્વાર ઘટનાક્રમ તથા પડકારરૂપ સમયગાળાને અત્યારે જુદા જુદા સંદર્ભોમાં જ્યારે જ્યારે યાદ કરવામાં આવે છે, ત્યારે ત્યારે એ કપરા દિવસોની યાદો ફિલ્મની સ્ક્રીપ્ટની જેમ નજરો સમક્ષ તરવા લાગે છે.
એ લોકડાઉન દરમ્યાન દેશભરમાં માનવતા પણ મહેંકી ઉઠી હતી અને કેટલાક દુર્ભાગ્યપૂર્ણ તથા નિંદનીય બનાવો પણ બન્યા હતા, જેમાં તમિલનાડૂના સાથનકૂલમ કસ્ટોડિયલ ડેથની કમકમાટીભરી ઘટનાનો પણ સમાવેશ થાય છે. તબક્કાવાર લોકડાઉન લંબાવાઈ રહ્યું હતું, તે સમયે ૧૯ જૂન ૨૦૨૦ના દિવસે નિર્ધારિત સમય કરતા વધુ સમય દુકાન ખુલી રાખ્યાના આરોપમાં જયરાજ અને બેનિક્સ નામના વેપારી પિતા-પુત્રની અટકાયત કરાઈ હતી અને રાત્રે પોલીસ સ્ટેશનમાં બેરહમીથી મારપીટ થઈ હતી. એવું કહેવાય છે કે વર્ષ ૨૦૨૦ની ૨૨મી જૂને પુત્ર બેનિકસ અને ૨૩ જૂને પિતા જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ ઘટનાની હાઈકોર્ટે સુઓમોટો સુનાવણી કરીને સીબીઆઈને તપાસ સોંપ્યા પછી પોલીસકર્મીઓ સહયોગ નહીં આપતા હાઈકોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશન મહેસુલ વિભાગના નિયંત્રણમાં મૂક્યુ, તે પણ આઝાદ ભારતની કદાચ અભૂતપૂર્વ ઘટના હતી.
હાઈકોર્ટે જો આ કેસની સતત દેખરેખ રાખી ન હોત તો આ અત્યાચારી ઘટના દબાઈ ગઈ હોત એન દિવંગત પિડિત પિતા-પુત્રને ન્યાય મળ્યો ન હોત. આ કેસમાં ઈન્સ્પેકટરથી માંડીને કોન્સ્ટેબલ સુધીના ૧૦ આરોપીઓ હતા, તેમાંથી એક આરોપીને કોરોના જ ભરખી ગયો હતો, જ્યારે બાકીના નવને સજા મળી છે.
તમિલનાડૂની આ ઘટના લોકડાઉનના સમયગાળાની અમાનવિય અને કાળજુ કંપાવનારી હતી, તેથી તેને પ્રથમ લોકડાઉનના માર્ચથી મેના પ્રથમ તબક્કાને યાદ કરાઈ રહ્યો છે, અને પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કોવિડ-૧૯ના સમયગાળા સાથે સરખાવીને તે સમયે જે રણનીતિ અપનાવીને તબક્કાવાર રાહતના કદમ ઉઠાવાયા હતા, તેવી જ રીતે હેન્ડલ કરવાની વાતો થઈ રહી છે, તો કોવિડના સમયગાળાનો જ ઉલ્લેખ કરીને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ પ્રવર્તમાન સમયગાળાની કપરી સ્થિતિમાં સરકાર પર પ્રહારો કર્યા છે.
દેશમાં એલપીજીની તંગીનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે "પીએમ મોદી" એ હાલના ગેસ સંકટને કોવિડની જેમ હેન્ડલ કરવાનું કહ્યું હતું અને ખરેખર અત્યારે સ્થિતિ કોવિડ જેવી જ છે. મોટી જાહેરાતો, શૂન્ય નીતિ અને બધો જ બોજ ગરીબો પર...!
તેમણે ઉમેર્યું કે મર્યાદિત આવક ધરાવતા શ્રમિકો માટે રાંધણગેસ ખરીદવો પોસાય તેમ નહીં હોવાથી તેઓ ફરી એક વખત (કોરોનાકાળની જેમ) ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા છે. શ્રમિકોના આધારે જ ચાલતા ટેક્સટાઈલ અને મેન્યુફેકચરિંગ ઉદ્યોગો પ્રવર્તમાન વૈશ્વિક યુદ્ધના સંકટના કારણે ઊભી થયેલી સ્થિતિમાં ભાંગી રહ્યા છેે. અહંકાર જ્યારે નીતિ બની જાય ત્યારે અર્થતંત્ર પડી ભાંગે છે અને દેશ દાયકાઓ પાછળ ધકેલાઈ જાય છે વગેરે...
રાહુલ ગાંધીએ ભલે આ પ્રકારનું નિવેદન રાજકીય ઉદ્દેશ્યથી કે વ્યંગમાં આપ્યું હોય, પરંતુ જે રીતે સરકાર કેરોસીનની છુટ આપી રહી છે અને પાંચ કિલોના સિલિન્ડરનું વેચાણ તથા રેસ્ટોરન્ટોને લાકડાના ચૂલાની છૂટ તથા પરોક્ષ રીતે કેરોસીન અને રાંધણગેસના રેશનીંગ જેવા કદમ ઉઠાવી રહી છે, તે જોતાં કાં તો યુદ્ધ લાંબુ ચાલે, તો તેવી સ્થિતિમાં પરિસ્થિતિનો સામનો કરવામાં સહયોગી બનવા માટે લોકોને માનસિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે, અથવા તો અત્યારે "સબ સલામત"ની રેકર્ડ વગાડાઈ રહી છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક જૂદી જ છે...! જે હોય તે ખરૃં, ઈરાન સંકટ ઝડપથી ઉકલી જાય, તેવી આશા વચ્ચે ટ્રમ્પના અલ્ટિમેટમ પછી આ જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ, રશિયા-યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલી, ખાડીના દેશો પર ઈરાનના હૂમલાઓ પછી વણસતી સ્થિતિ વચ્ચે હવે ભારત અને પાકિસ્તાનના મંત્રીઓ વચ્ચે શરૂ થયેલું વાક્યુદ્ધ જોતા જો આ પ્રવર્તમાન સંઘર્ષોનો વ્યાપ વધી જશે, તો ભયંકર યુદ્ધોના કારણે માનવજીવન પર તો ખતરો મંડરાયેલો જ છે, પરંતુ વિશ્વના પર્યાવરણને થનારૂ મોટું નુકસાન ભાવિ પેઢી માટે પણ ખતરનાક બની શકે છે.
આ પ્રકારના પૂર્વ કક્ષાના યુદ્ધોમાં કોઈની પણ જીત થાય કે કોઈ પણ દેશ હારે, પરંતુ તેની માઠી અસરો સમગ્ર જીવસૃષ્ટિ, પર્યાવરણ અને જમીન-હવા-પાણી સહિતની નૈસર્ગિક બક્ષિસને થતી જ હોય છે, અને તેના દુષ્પરિણામો ભોગવવા પડતા હોય છે.
ટ્રમ્પે ગઈકાલે જ ધમકી આપી અને નરકમાં ધકેલવાનો વાણીવિલાસ કર્યો તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને જો પરમાણુ મથકો કે તેને સાંકળતા ઈન્ફ્રાસ્ટ્રકચર્સ પર હૂમલો થાય કે પછી મિજાજ ગુમાવીને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની મૂર્ખામી કોઈપણ દેશ કરી બેસે, તો શાસ્ત્રો-ગ્રન્થોમાં વર્ણવાયેલા પ્રલય અથવા કયામત થકી પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિ જ જોખમમાં આવી જાય અને અંતરિક્ષ સુધી માત્રને માત્ર બરબાદી અને વિનાશક સંહાર જ ફેલાવા લાગે, તેવી બિહામણી સંભાવનાઓ પણ ધ્રુજાવનારી છે. જો કોઈપણ દેશના સુકાની મિજાજ ગૂમાવે અને કોઈ સર્વ-વિનાશક કદમ ઉઠાવી બેસે, તો તે કોઈના એ હિતમાં નહીં હોય, તેવી ચેતવણીઓ પણ વ્યક્ત થવા લાગી છે, ત્યારે ખુદ આતંકવાદના જ્વાળામુખી પર બેસેલા પાકિસ્તાન જેવા દેશના બદલે સંયુકત રાષ્ટ્રસંઘ કે પછી ભારત સહિતના તટસ્થ અથવા બંને તરફ સારા સંબંધો ધરાવતા દેશોનું ગ્રુપ સક્રિય હસ્તક્ષેપ કરે, તેવી માંગ પણ હવે વિશ્વના જુદા જુદા ખૂણેથી ઉઠવા લાગી છે.
ટ્રમ્પની ગોળ ગોળ વાતો, વારંવાર યૂ-ટર્ન, ગમે તેવા શબ્દપ્રયોગો તથા વિરોધાભાસી નિવેદનોના કારણે વિશ્વમાં ભ્રમ ઊભો થાય છે. ગઈકાલે ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે સોમવાર સુધીમાં ઈરાન સાથે "ડીલ" થઈ જશે, અને આ માટે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે એવી શેખી પણ મારી કે જો ઈરાન સાથે ડીલ નહીં થાય, તો ઈરાની ઓઈલક્ષેત્રો પર તેનો (અમેરિકા કે ટ્રમ્પનો?) કબજો હશે, ટ્રમ્પે ફરીથી ભારતીય સમય મુજબ બુધવારની સવાર સુધીનું ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું ત્યારે પણ મંગળવાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખવાની કડક ચેતવણી આપી હતી. ઈરાને તો ટ્રમ્પના આ તમામ દાવાઓ તથા ચેતવણીઓને ફગાવીને કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો અમેરિકા (ટ્રમ્પ)ની હતાશા અને ગભરાટ પૂરવાર કરે છે. ટ્રમ્પ જીતવાના દાવા કરતા કરતા પીછેહઠ કરી રહેલા જણાય છે. જો કે, ટ્રમ્પે ઈરાનના બ્રિજ અને તેલક્ષેત્રો પર એટેકની પણ ધમકી આપી છે.
બુશહરમાં આવેલા ન્યુક્લિયર પ્લાન્ટ પાસેની એક ઈમારતને યુદ્ધ દરમ્યાન નુકસાન પહોંચ્યુ અને એક કર્મચારીનો જીવ ગયો, તે પછી ઈરાને જે ચેતવણી ઉચ્ચારી છે, તે આખી દુનિયાને હચમચાવી દેનારી છે અને ખાસ કરીને જંગલમાં ફેલાતા દાવાનળની જેમ જો ખાડીના દેશો સુધી પૂર્ણ કક્ષાનું યુદ્ધ ફેલાઈ જાય તો ભયાનક ત્રીજા વિશ્વયુદ્ધ અથવા તો મિડલ-ઈસ્ટના સીમાડા ઓળંગીને આ યુદ્ધ બે-ચાર દેશો નહીં, પરંતુ ઘણાં બધા દેશો વચ્ચે ફેલાય જાય, તો તેના દુષ્પરિણામો આખી દુનિયાને ભોગવવા પડે તેમ છે. અમેરિકામાં ઘર આંગણે ફેલાતો અસંતોષ પણ કદાચ ટ્રમ્પને અકળાવી રહ્યો છે, તેવામાં હવે દુનિયાના દેશોએ શાંતિ માટે સક્રિય હસ્તક્ષેપ કરવો જ જોઈએ, અન્યથા ઘણું મોડુ થઈ જશે.
ઈરાનના ફોરેન મિનિસ્ટર અબ્બાસ અરાધચીએ આ મુદ્દે અમેરિકા અને ઈઝરાયલ પર આક્ષેપોની ઝડી વરસાવી છે. તેમણે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનના ન્યુક્લિયર પ્લાન્ટ પાસે સૈન્ય કાર્યવાહી થઈ હતી, ત્યારે પશ્ચિમના દેશોએ અત્યંત કડક વલણ અપનાવ્યું હતું અને તીખી આલોચના કરી હતી, પરંતુ ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હૂમલા થઈ રહ્યા છે, ત્યારે એ જ દેશો આ પ્રકારની કોઈપણ ચિંતા કરવાના બદલે મૌન સેવી રહ્યા છે, તે ઠીક નથી.
અરાઘચીએ તો એવો ભય પણ વ્યક્ત કર્યો છે કે મનસ્વી વલણ સાથે બેજવાબદારી પૂર્વક ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક વારંવાર થતા હૂમલાઓના કારણે જો રેડિએશન ફેલાશે તો માત્ર તહેરાન નહીં, પરંતુ ખાડીના દેશોમાં પણ જીવસૃષ્ટિ બરબાદ થઈ જશે, તેમણે એવો દાવો પણ કર્યો છે કે બુશહર ન્યુક્લિયર પ્લાન્ટની આજુબાજુ ચાર-ચાર વખત બોમ્બવર્ષા થઈ, અને ઈરાનના પેટ્રોકેમિકલ સ્થળો પર જે હૂમલાઓ થઈ રહ્યા છે, તેના કારણે રેડિએશનનો રિસાવ થશે તો ઈરાનની આજુબાજુના અમેરિકાના મિત્રદેશો પણ બરબાદ થઈ જશે.
ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સીલના કતાર, કૂવૈત, યુએઈ, બહેરીન, ઓમાન અને સાઉદી અરેબિયા સહિતના દેશોમાં ઈરાનની રેડિએશન રિસાવની સંભાવના અથવા ચેતવણીએ હાહાકાર મચાવી દીધો છે. અને આ દેશોની જનતામાં પણ ગભરાટ ફેલાયો છે.
પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન થાય, પરંતુ પરમાણુ મથકો પર હૂમલા થાય, તો પણ રેડિએશનનો ખતરો તો વધતો જ રહેવાનો છે, અને તેમાં પણ હવે યુદ્ધગ્રસ્ત દેશો સંયમ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે સમગ્ર માનવ-જીવન સહિતની જીવસૃષ્ટિ અને પ્રકૃતિ પર જ જોખમ ઊભું થઈ રહ્યું છે. આ સંજોગોમાં વિશ્વના શાંતિપ્રિય દેશો, તટસ્થ દેશો તથા સંયુક્ત રાષ્ટ્રસંઘે જો ટ્રમ્પના દાવા મુજબ ઈરાન સાથે આજે ડીલ થઈ જાય, તો તે પછી પણ સાવધ રહેવું જ પડે તેમ છે, કારણ કે યુદ્ધગ્રસ્ત દેશો અત્યારે શતરંજની રમતની જેમ વ્યૂહાત્મક ચાલ ચાલી રહ્યા હોય તેમ જણાય છે.
ખાસ કરીને જો રેડિએશનનો રિસાવ (લીકેજ) થાય, તો તે મિત્રદેશો કે દુશ્મન દેશો જેવી કોઈ સરહદો નહીં સમજે કે તેને અટકાવવાની ફૂલપ્રૂફ સિસ્ટમ પણ કોઈ પાસે નહીં હોય, તેથી હવે ઈરાન-ઈઝરાયલ અને "શાંતિદૂત" બનવા નીકળેલા અને પોતે જ યુદ્ધના જનક બનેલા ટ્રમ્પે વાસ્તવિકતા સમજવી જ પડે તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા, અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેક અફઘાનિસ્તાનમાં આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હોવા છતાં છેક ઉત્તર ભારત સુધી તથા પડોશી દેશોમાં આ ધરતીકંપે ભય ફેલાવ્યો હતો. જો કે, બહુ મોટું નુકસાન થયું હોવાના સમાચાર ગઈકાલે મોડી રાત સુધી આવ્યા નહોતા.
આ કુદરતી ધરતીકંપની જેમ જ હમણાંથી રાજકીય ક્ષેત્રે પણ રોજ-બ-રોજ ભૂકંપ જેવા જ ઝટકા આવી રહ્યા છે. એક તરફ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે અને દુનિયામાં ઈઝરાયલ-ઈરાન-અમેરિકા યુદ્ધનો ઉચાટ છે, તેની સાથે દરરોજ એવા ઘટનાક્રમો બની રહ્યા છે, જે રાજભૂમિને કંપાવી રહ્યા છે.
ગઈકાલે દિલ્હીમાં તો રાઘવ ચઢ્ઢાના મુદ્દે આમઆદમી પાર્ટી પર ભાજપ-કોંગ્રેસના નેતાઓ વ્યંગ કરી રહ્યા હતા, તેવા સમયે ચઢ્ઢાનું સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલું નિવેદન પણ વાયરલ થયું હતું. રાઘવ ચઢ્ઢા પછી કોંગ્રેસના એકાદ-બે નેતાઓએ કરેલા નિવેદનો પણ ગઈકાલે ચર્ચામાં રહ્યા હતા, અને આ મુદ્દો ગઈકાલે "ટોક ઓફ ધ કેપિટલ" બની ગયો હતો.
આ તરફ જામનગરમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી આયારામ-ગયારામનો સીલસીલો શરૂ થયા પછી રાજકીય પક્ષોને ભૂકંપ જેવા જ ઝટકા લાગી રહ્યા હશે, તો બીજી તરફ હવે ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ઉમેદવારો નક્કી થઈ જાય, તેની રાહ જોવાઈ રહી છે, કારણ કે ઉમદવારો નક્કી ન થાય, ત્યાં સુધી પાર્ટી દ્વારા થતા પ્રચારમાં બહુ "ટેમ્પો" જળવાતો હોય, તેમ જણાતુ નથી.
કુરદતે પણ કરવટ બદલી છે. એક તરફ દુનિયાના જુદા જુદા હિસ્સામાં ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે, તો બીજી તરફ રણપ્રદેશોમાં કરા પડી રહ્યા છે, અને ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે થોડી ઠંડી, બળબળતી બપોરે ગરમી અને બપોર પછી કમોસમી વરસાદ થતા ઋતુચક્ર પણ બદલી ગયું હોય, તેવો અહેસાસ થઈ રહ્યો છે. માવઠાના કારણે પ્રસરેલી ઠંડક છતાં કેટલાક ખેડૂતમિત્રોને નુકસાન થયું હશે, તેને મુંઝવણ થઈ રહી હશે.
રાજકીય ક્ષેત્રે પણ "કમોસમી" માહોલ છવાયો છે. ગુજરાતથી આસામ અને બંગાળ તથા દિલ્હીથી તામિલનાડૂ અને કેરળ સુધી નવા નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે, અને પક્ષપલટાની મોસમ ખીલવાનો પ્રારંભ થઈ ગયો છે. પ.બંગાળમાં તો સરકારી તંત્ર જ ધ્વસ્ત થઈ ગયું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. રાજકીય પક્ષોના દિગ્ગજો વિવિધ રાજ્યોના ચૂંટણી પ્રવાસે નીકળી રહ્યા હોવાથી રાજધાની દિલ્હીમાં રાજકીય ડ્રામેબાજી ઘટી ગઈ છે, પરંતુ રાઘવ ચઢ્ઢાના પ્રકરણે દિલ્હીની રાજનીતિમાં પણ ગરમી લાવી દીધી છે. આ બધા ઘટનાક્રમો વચ્ચે પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરેના સંદર્ભે થઈ રહેલી અટકળો તથા સરકાર તરફથી થતા "સબ સલામત"ના દાવાઓ વચ્ચે દેશની જનતા અટવાઈ રહી હોય તેમ જણાય છે.
આણંદની ઉમરેઠ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે અને ચોથી મે ના દિવસે મત ગણતરી પછી તેનું પરિણામ આવવાનું છે. ભારતીય જનતા પક્ષે તો પહેલેથી જ દિવંગત ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદભાઈને ટિકિટ ફાળવી દીધી હતી. ગોવિંદભાઈનું નિધન થયા પછી ખાલી પડેલી બેઠક પરથી તેમના જ પુત્રને મેદાનમાં ઉતારીને ભાજપે એક વ્યૂહાત્મક રણનીતિ અપનાવી છે, તો વિપક્ષ તરફથી કટાક્ષ કરવામાં આવી રહ્યો છે કે પરિવારવાદ પર હંમેશાં પ્રહારો કરતા ભાજપના ઘણાં નેતાઓ તથા એનડીએના ઘણાં નેતાઓના પરિવારજનો પણ રાજનીતિમાં છે અને વારસામાં મળેલા હોદ્દાઓ પણ ઘણાં "વારસદારો" ભોગવી રહ્યા છે, તેને પરિવારવાદ ન કહેવાય ?
જો કે, ભાજપ તરફથી આ પ્રકારની ટિકા-ટિપ્પણીઓના જવાબમાં એવું કહેવામાં આવતુ હોય છે કે કોઈ રાજકીય પક્ષનું પ્રમુખપદ વંશ પરંપરાગત ધોરણે એક જ પરિવાર પાસે રહે, તેને પરિવારવાદ કહેવાય, બાકી, પોતાની મહેનતથી આગળ વધેલા યુવા નેતાઓને રાજનીતિમાં કોઈ તક મળે, તો તેને પરિવારવાદ થોડો કહેવાય ?
જો ઉમરેઠની બેઠક પર આમઆદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે, તો ત્રિપાંખીયો જંગ ખેલાશે. નવમી એપ્રિલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જાય, તે પછી ઉમરેઠની પેટા ચૂંટણી જીતવા ઉમેદવારો તથા રાજકીય પક્ષો આકાશ-પાતાળ એક કરશે, તે પણ નક્કી છે.
ચૂંટણીપંચે પણ ચૂંટણીઓની તૈયારીઓ આદરી છે અને આચાર સંહિતાના અમલ માટે બેઠકો યોજાઈ રહી છે, તો બીજી તરફ રાજ્યના ચૂંટણીપંચ સમક્ષ લેખિત રજૂઆત થઈ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા પછી પણ એસ.ટી. બસો પરથી શાસક પક્ષના નેતાઓની તસ્વીરો હટાવાઈ નથી, તથા એ.ટી.એમ., બેંકીંગ સંકુલોમાં પણ નેતાઓની તસ્વીરો છે. રાજ્ય સરકારની વિવિધ વેબસાઈટમાં નેતાઓની તસ્વીરો હટાવાઈ નથી. દીવાલો પર ચૂંટણી ચિહ્નો ચીતરવામાં આવ્યા છે. કેટલાક શહેરોમાં મુખ્યમાર્ગો અને જાહેર સંકુલો પરથી આ પ્રકારના બોર્ડ-બેનર્સ હટાવવાની શરૂઆત થઈ છે, પરંતુ આ કામગીરી વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓ જેટલી ગંભીરતાથી થઈ રહી નહીં હોવાની રાવ પણ વિપક્ષ દ્વારા થઈ રહી છે, તો પક્ષ પલટાનો સીલસીલો શરૂ થતા ઝટકા પર ઝટકા રાજકીય ક્ષેત્રે પણ અનુભવાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ જામનગર સહિત હાલારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ પ.બંગાળની વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે, તેવામાં પ.બંગાળમાં મતદારયાદીને લઈને કોઈ વિવાદ થતા સાત ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાના મુદ્દે સુપ્રિમકોર્ટે જે કડક વલણ અપનાવ્યું છે, તે જોતા આ વિવાદ હવે માત્ર પ.બંગાળમાં જ નહીં, દેશભરની વિવિધ ચૂંટણીના પ્રચારમાં પણ પડઘાવાનો જ છે.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર માટે ગયેલા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે વ્યંગમાં કહ્યું કે તેઓ ચૂંટણી પ્રચાર માટે આખુ પખવાડિયુ પ.બંગાળમાં રહેવાના છે, તો આસામમા ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કોંગી નેતા રાહુલ ગાંધીએ "રિમોટ કંટ્રોલ"થી આસામમાં શાસન ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દો ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે.
દેશમાં યુપીએની સરકાર હતી, અને મનમોહનસિંહ વડાપ્રધાન હતા,ત્યારે ભાજપ એવા આક્ષેપો કરતો હતો કે કેન્દ્રની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે, અને મનમોહનસિંહ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને પૂછ્યા વિના કોઈ નિર્ણય લઈ શકતા નથી, વગેરે...
હવે રાહુલ ગાંધીએ આસામ સરકાર દિલ્હી (ભાજપ હાઈકમાન્ડ કે પછી પી.એમ.) ના ઈશારે ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા છે. તેમણે આસામને અલગ-અલગ ધર્મ, જાતિ, વિચારધારાના લોકો એક સાથે રહેતા હોવાથી ફૂલોનો ગુલદસ્તો ગણાવ્યો અને ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા, અને કેન્દ્ર સરકાર પણ રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાના પ્રહારો કર્યા.
રાહુલ ગાંધીએ જે કાંઈ કહ્યું, તેના કારણે પ્રવર્તમાન યુદ્ધગ્રસ્ત વૈશ્વિક રાજનીતિ વચ્ચે ગ્લોબલ પ્રત્યાઘાતો પણ પડવાના છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો રશિયા, ઈરાન કે ઈરાક પાસેથી ક્રૂડ ખરીદવું હોય તો ભારત જેવા સ્વતંત્ર દેશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મંજુરી લેવી પડે છે. આપણે ટ્રમ્પને પુછ્યા વિના ક્રૂડ પણ ખરીદી શકતા નથી.
આટલેથી જ નહીં અટકતા રાહુલ ગાંધીએ સણસણતો આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાને ભારતનો ડેટા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો છે, અને ટ્રમ્પ તેનો મનસ્વી રીતે ઉપયોગ કરી શકે છે, વગેરે...
એ પછી ટ્રેડ ડીલ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ અમેરિકન કંપનીઓનો નવ લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદવાનો નિર્ણય ભારતના નાના વ્યવસાયિકો તથા ઉદ્યોગોને નુકસાન કરશે, તેવા મંતવ્યો સાથે પી.એમ. મોદી ટ્રમ્પના નિયંત્રણમાં હોવાનું જણાવી ડીલ સામે સવાલો ઉઠાવ્યા.
દેશના આસામ, પ.બંગાળ, ગુજરાત સહિતના રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આંધ્ર પ્રદેશની વર્ષ ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગોલમાલ થઈ હોવાના તમતમતા આક્ષેપો તથા આંકડાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજીને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે સનસનાટી મચાવી દીધી છે. તેમણે વર્ષ ૨૦૨૪માં મધ્યરાત્રિથી રાત્રિના બે વાગ્યા વચ્ચે કુલ મતદાનના ૪.૧૬ ટકા મતો પડયા હતા, અને ૧૭ લાખ મતોની ગોબાચારી થઈ હોવાનો આક્ષેપ કરીને દર ૨૦ સેકન્ડે એક મત પડયો હોવાનો દાવો કર્યો હોવાના અહેવાલોએ ૨૦ સેકન્ડમાંથી ૧૪ સેકન્ડ ઈવીએમને રિસેટ થતા લાગતી હોય તો ૬ સેકન્ડમાં કેવી રીતે મતદાન થઈ શકે ? વગેરે સવાલો ઉઠાવ્યા હતા, તેવા અહેવાલો વહેતા થયા છે.
આ પ્રકારના અહેવાલો વહેતા થયા પછી મીડિયા અને સોશ્યલ મીડિયામાં ઈવીએમનો મુદ્દો ફરીથી ઉછળવા લાગ્યો હતો અને "ભૂતિયા મતદાન" થી જંગી બહુમતી મેળવાઈ રહી હોવાની કોમેન્ટો થવા લાગી હતી.
તે ઉપરાંત ચૂંટણીપંચે મતદાનના જુદા જુદા સમયે જે આંકડા જાહેર કર્યા, તેનો પણ ટાંગામેળ થતો નહીં હોવાનું જણાવીને એક વરિષ્ઠ વકીલ તથા રાષ્ટ્રીય કક્ષાના એક સમયના રાજનેતાએ પણ ફોર્મ નંબર ૧૭ (સી) નો ઉલ્લેખ કરીને એવો અભિપ્રાય આપ્યો છે કે લોકતંત્રને બચાવવા માટે વીવીપેટની સ્લિપોની ગણતરી કરવાની જે માંગણી ઉઠી રહી છે, તેને ચૂંટણીપંચે સ્વીકારી લેવી જોઈએ.
જો કે, ચૂંટણીપંચે આ મુદ્દે કોઈ સત્તાવાર જવાબ આ લખાય છે, ત્યાં સુધી આપ્યો હોવાનું જાણમાં નથી, પરંતુ એવું કહેવાય છે કે ચૂંટણીપંચે બે વર્ષ પછી આ પ્રકારના આક્ષેપો કરવાની હરકતને જ ગેરબંધારણીય ગણાવી દીધી અને જો ગોબાચારી થઈ જ હોય તો સમય મર્યાદામાં ચૂંટણીપંચમાં રજૂઆત, અપીલ કરવી જોઈતી હતી, અથવા કોર્ટનો દરવાજો ખખડાવવો જોઈતો હતો, પરંતુ આંધ્રપ્રદેશના કોઈ ઉમેદવારે આવું કર્યું નથી, ત્યારે આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને બેબુનિયાદ આક્ષેપો કરવા યોગ્ય નથી, તેમ જણાવીને તમામ આરોપો નકારી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે આ આક્ષેપો કરનાર અર્થશાસ્ત્રી બીજું કોઈ નહીં, પરંતુ કેન્દ્રીય મંત્રીના પતિ હોવાથી આ મુદ્દાને વધુ હવા મળી હોવાનું કહેવાય છે.
રિમોટ કંટ્રોલ અને ઈવીએમમાં ગોબાચારીના મુદ્દા એક વખત ફરીથી ઉછળ્યા છે, અને ચૂંટણી પ્રચારમાં તેનો ભરપૂર ઉપયોગ પણ થઈ રહ્યો છે, ત્યારે આ બંને મુદ્દા પોતાનો જનાદેશ આપતી વેળાએ મતદાતાઓના દિમાગમાં પણ છવાયેલા રહેશે એ નક્કી છે.
હાલાર સહિત ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં કુદરતી માહોલ પણ બદલાયો છે અને ક્યાંક ક્યાંક કમોસમી વરસાદ પણ થયો છે. રાજ્યની રાજનીતિમાં પણ "કમોસમી" વરસાદ જેવી ઘટનાઓ સર્જવા લાગી છે અને આ રાજનૈતિક માવઠાઓ કોને ફાયદો કરાવશે, અને કોને હાનિ કરશે, તે તો ૨૮મી એપ્રિલે પરિણામો આવ્યા પછી જ સમજાશે, પરંતુ અત્યારે તો યુદ્ધની ગર્જનાઓ કરતાંયે વધુ ઘોંઘાટિયા ચૂંટણી પ્રચારના પડધમ વાગવા લાગ્યા છે, જોઈએ, જનતાનો જનાદેશ શું આવે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે સાંજે રાજ્યના ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી અને રાજકીય પક્ષોના પ્રચારના ભૂંગળા શરૂ થઈ ગયા. હજુ તો ચૂંટણીની તારીખો જાહેર થઈ પણ નહોતી,ત્યાં ભાજપે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તથા ફોર્મ વિતરણ શરૂ કરી દીધા હતા, તો આમઆદમી પાર્ટીએ તો ઘણાં બધા ઉમેદવારોના નામોની જાહેરાત પણ શરૂ કરી દીધી છે, અને હવે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રિપાંખીયો કે બહુપાંખીયો જંગ પણ શરૂ થઈ જશે.
ચૂટણીપંચે ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, જે ૪.૧૯ કરોડ જેટલા મતદારો જનાદેશ આપશે અને એકંદરે મહાપાલિકાઓના ૭૦૦થી વધુ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતોની ૬૩૦૦થી વધુ બેઠકો માટે મતદાન કરશે. આ ચૂંટણીઓ ત્રિપલ એન્જિનનો દાવો કરતા ભારતીય જનતા પક્ષ માટે અગ્નિ પરીક્ષા સમાન હશે, તો વિપક્ષો માટે પણ ચેલેન્જ હશે. જો ઉમેદવારોની પસંદગી, ચૂંટણી પ્રચાર કે વિવિધ સમીકરણોમાં થાપ ખાધી, તો ધાર્યા પરિણામો તો ઠીક, પરંતુ અસ્તિત્વનો સવાલ પણ કેટલાક શહેરો-જિલ્લાઓમાં ઊભો થઈ શકે છે.
રાજકીય પક્ષો હવે ઉમેદવારોની પસંદગી કરીને ટિકિટો ફાળવશે, તે પછી ઉમેદવારીપત્રો ભરાય, ચકાસણી અને પાછા ખેંચવાની મુદ્દત વિતે ત્યાં લગભગ બે અઠવાડિયા તો વીતી જશે. જો કે, રાજકીય પક્ષો તો અત્યારથી જ જોરદાર પ્રચાર શરૂ કરી દેશે, પરંતુ ૧૬મી માર્ચ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થયા પછી મતદાન પહેલા પ્રચાર-પડઘમ શાંત થવાની મુદ્દત સુધી માત્ર આઠ-દસ દિવસનો જ ગાળો એવો રહેશે, જેમાં ઉમેદવારો પૂરી તાકાતથી પ્રચાર કરી શકશે. આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ વાગ્યા પછી હવે રાજ્યમાં ઈલેકશન ફીવર પ્રસરી જશે એ નક્કી છે.
ચૂંટણીઓ આવતા જ આયારામ ગયારામનો સીલસીલો પણ શરૂ થઈ જશે અને કદાચ તેનો પ્રારંભ પણ થઈ ગયો છે. બીજી તરફ મતદારોને લલચાવવા પણ પૂરતા પ્રયાસો થવાના છે, તો બીજી તરફ ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગયા પછી હવે તંત્રો મોટાભાગે ચૂંટણી પ્રક્રિયામાં જોતરાઈ જશે, જેથી લોકોના રોજીંદા સરકારી કામકાજો પણ ત્રણેક અઠવાડિયા સુધી અટવાઈ જશે, અથવા ધીમી ગતિએ તંત્રો દ્વારા અન્ય કામગીરી થશે. કોઈપણ પ્રકારની જનરલ ઈલેકશનની પ્રક્રિયા ચાલુ થાય, તે પછી આદર્શ આચાર સંહિતાનો અમલ, ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ, ટ્રેનિંગ, લોજિસ્ટિક અને સ્ટ્રકચરલ વ્યવસ્થાઓ તથા કાયદો-વ્યવસ્થાની જાળવણી સહિતના કામે તંત્રો લાગી જતા હોવાથી સ્વાભાવિક રીતે જ તેની અસર લોકોના રોજીંદા સરકારી કામો પર પણ થતી હોય છે.
જામનગર મહાનગરપાલિકા ઉપરાંત હાલરની બંને જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ થઈ રહી છે, તેથી સમગ્ર હાલારમાં ગઈકાલથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે, અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ સામાન્ય જનતા પર હજુ ચૂંટણીયો રંગ ચડ્યો હોય તેમ જણાતુ નથી, કારણ કે સામાન્ય જનતા રાંધણગેસની તંગી તથા મોંઘવારીની લટકતી તલવારના કારણે ગૂંચવાયેલી અને મુંઝાયેલી દેખાય છે.
ગુજરાતથી ગ્લોબલ કક્ષા સુધી આજે વહેલી સવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની જનતાને રાષ્ટ્રજોગા સંબોધન પર સૌની નજર મંડાયેલી હતી અને આશા તો એવી હતી કે ટ્રમ્પ કદાચ હોર્મુઝનો મુદ્દો પડતો મૂકીને કાં તો યુદ્ધ વિરામની જાહેરાત કરશે, અથવા તો તે પ્રકારની અપીલ કરશે, પરંતુ તેનાથી વિપરીત ટ્રમ્પે તો અમેરિકા યુદ્ધ જીતી ગયું છે અને ઈરાન તદ્દન બરબાદ થઈ ગયું છે, તેવો દાવો કરીને યુદ્ધ હજુ બે-ત્રણ અઠવાડિયા ચાલશે અને ઈરાન પર ભીષણ હૂમલો કરાશે, તેવી વાતો દોહરાવી, તેથી એવું કહી શકાય કે ટ્રમ્પે કોથળામાંથી બિલાડુ કાઢયુ અને આખી દુનિયાની યુદ્ધ થંભી જશે, તેવી આશા ઠગારી નિવડી છે. ટ્રમ્પે આજે જે કાંઈ કહ્યું તેનો સારાંશ એવો નીકળે કે દુનિયામાં ઈંધણ અને ઊર્જાની તંગી ઉપરાંત હવે ઈન્ટરનેટ અને સંચાર વ્યવસ્થાઓ ખોરવાઈ જવાનો ખતરો પણ ઊભો થયો છે, અને યુદ્ધ વધુ આક્રમક બનવાનું છે.
બીજી તરફ યુદ્ધ યથાવત રહેશે તેવી ટ્રમ્પની જાહેરાત પછી ક્રૂડના ભાવમાં વધારો અને શેરબજારમાં ઉથલપાથલના કારણે આખી દુનિયા હચમચી ઉઠી છે. ઈરાને એમેઝોનના સ્થળની આજુબાજુ હૂમલા કર્યા પછી હવે ગ્લોબલ ડેટા સેન્ટર્સ તથા ગૂગલ સહિતની ઓનલાઈન સેવાના મથકો પર પણ હૂમલા થાય, અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટના તળિયે બિછાવેલા કેબલ્સને નુકસાન થાય, તો શું થાય ? તેવા પ્રશ્નો વચ્ચે ગ્લોબલ માર્કેટ પછી ભારતીય માર્કેટ પર થનારી ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની અસરો અંગે પણ અટકળો થવા લાગી છે. હજુ ટ્રમ્પના આજના ભાષણે દુનિયાને અસમંજસ અને અનિશ્ચિતતાઓ તરફ ધકેલી જ હતી, ત્યાં ઈન્ડોનેશિયામાં ૭.૪ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામિની ચેતવણી પણ અપાઈ રહી છે, તે જોતા આખી દુનિયાની માઠી દશા બેઠી હોય તેવું જણાય છે.
જો હવે યુએઈ અને અન્ય ખાડીના દેશો જંગમાં ઝંપલાવે અને યુદ્ધ હજુ લાંબુ ચાલે, તેથી ઉર્જા અને ઈંધણના સંકટ સાથે મોંઘવારી વધે, તો તેની વિપરીત અસરો ભારત પર પણ થાય, અને તેના કારણે પ્રવર્તમાન ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન ગુજરાત અને પ.બંગાળ સહિત જ્યાં જ્યાં ચૂંટણીઓના માહોલ છે, ત્યાં ત્યાં એન્ટી ઈન્કમ્બન્સીનો પ્રચારાત્મક લાભ વિપક્ષોને થાય અને શાસક પક્ષ સામે પડકારો વધે તેવા સંકેતો મળી રહ્યા છે, જોઈએ, હવે શું થાય છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાત રાજ્યનું ચૂંટણીપંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા માટે તડામાર તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી ઉપરાંત બસપા સહિતના રાજકીય પક્ષો તથા કેટલાક અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે, તેથી પસંદગી પ્રક્રિયાથી માંડીને પ્રચાર-પ્રસારનું પ્લાનીંગ પણ થઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. અને અવનવા ગણિત મંડાઈ રહ્યા છે.
જામનગરમાં વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની ગણતરીએ ૬૪ બેઠકો માટે ચૂંટણી થશે. ભાજપે તો આજથી જ જામ્યુકોની ચૂંટણીના સંદર્ભે ફોર્મ વિતરણ સહિતની પ્રક્રિયા આદરી છે અને હવે આગામી દિવસોમાં સેન્સ મેળવવાથી માંડીને ઉમેદવારોની જાહેરાત સુધીનો પ્રથમ તબક્કાનો ધમધમાટ ચાલશે. તે પછી આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી તંત્ર સંપૂર્ણપણે ચૂંટણી પ્રક્રિયાના કામે લાગી જશે, જ્યારે રાજકીય પક્ષો તથા સ્થાનિક નેતાઓ પ્રચાર-પ્રસાર અને મતદારોને રિઝવવાના કામે લાગશે. ભાજપની જેમ જ અન્ય રાજકીય પક્ષો દ્વારા પણ ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ થશે. જો કે, આખરી ચિત્ર તો ચૂંટણીની તારીખો જાહેર થયા પછી તથા ઉમેદવારીપત્રો ભરાયા પછી જ સ્પષ્ટ થશે.
જામનગરના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે "ઉપરથી" કોઈને કોઈ માપદંડો તો જરૂર સૂચવાશે. ભાજ૫ે ભૂતકાળમાં નો રિપિટ થિયરી, યુવા અને બુઝુર્ગ ઉમેદવારોનું સંયોજન, ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારો તથા ચોક્કસ વયમર્યાદા માટે કોઈ ચોક્કસ રણનીતિ ઘડાશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
કોંગ્રેસ સામે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાયા પછી ત્રણ ગણા મૂરતિયામાંથી પસંદગી કરવાનો પડકાર છે, તો ગત ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મળેલી સફળતાને ધ્યાને લઈને વિપક્ષો દ્વારા કોઈ ચૂંટણી સમજૂતિ થાય અથવા ફ્રેન્ડલી ફાઈટ થાય, તેવા સંજોગો પણ સર્જાઈ રહ્યા છે. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ચૂંટણીની સમજૂતિ થાય, તેવી શક્યતા ઓછી હોવાથી જામનગર મહાનગરપાલિકામાં પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે, તથા કેટલાક વોર્ડમાં બહુ પાંખીયો જંગ હશે, તેવા અનુમાનો પણ થવા લાગ્યા છે.
જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ અલગ-અલગ રણનીતિ ઘડાઈ રહી છે. એટલે કે આ વખતે આખા મહાનગરમાં રાજકીય પક્ષો દ્વારા સમાન વ્યૂહરચના નહીં હોય, પરંતુ પ્રત્યેક વોર્ડમાં એસઆઈઆર પછીની સ્થિતિની સમીક્ષા તથા અન્ય સમીકરણોને ધ્યાને લઈને અલગ-અલગ વ્યૂહ નક્કી કરીને ઉમેદવારો ચૂંટણી લડશે, તેમ જણાય છે.
નગરના કેટલાક વોર્ડમાં ભાજપ મજબૂત છે, ત્યાં આપ અને કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કાળજીપૂર્વક થશે, તથા જ્યાં વિપક્ષો મજબૂત છે, ત્યાં ભાજપ મજબૂત ઉમેદવારો મેદાનમાં ઉતારશે, તે સ્પષ્ટ છે.
ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી સામે વોર્ડ નંબર ૬મા બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારોનો પડકાર છે, તો ભાજપ માટે કેટલાક ચોક્કસ વોર્ડમાં વિપક્ષની જોરદાર ટક્કરનો સામનો કરવો પડી શકે છે.
જામનગર મહાનગરપાલિકા સામેની એન્ટી ઈન્કમ્બન્સી, તાજેતરમાં વૈશ્વિક અશાંતિની સ્થિતિમાં ઊભા થયેલા સંજોગોના કારણે રાંધણગેસની પડેલી અછત, કેટલીક રોજીંદી અણ ઉકેલ રહેતી સમસ્યાઓ તથા ભ્રષ્ટાચાર, કૌભાંડો અને સાંઠગાંઠના વિપક્ષો દ્વારા કરાતા સતત આક્ષેપોના કારણે ભારતીય જનતાપક્ષ માટે જામનગર મહાનગરપાલિકામાં સરળતાથી પુનઃ જનાદેશ મળવો અઘરો ગણાવાઈ રહ્યો છે, તો બીજી તરફ મહાનગરમાં થયેલા વિકાસના કામો, કેટલીક સુવિધાઓમાં વધારો તથા લોક-કલ્યાણ અને ત્રિપલ એન્જિનની સરકારો દ્વારા મહાનગરને થયેલા યોજનાકીય લાભો ઉપરાંત વડાપ્રધાનની લોકપ્રિયતાનો ફાયદો પણ ભાજપને મળશે, તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, તેથી અત્યારે રાજકીય દૃષ્ટિએ ભરેલા નાળિયેર જેવી સ્થિતિ ગણી શકાય.
ઘણાં લોકો કહે છે કે મુખ્ય રાજકીય પક્ષોને સ્થાનિક આંતરિક જુથવાદ અને ખટરાગનો પણ સામનો કરવો પડી શકે છે, અને ખાસ કરીને ટિકિટોની વહેંચણી થયા પછી જો અસંતોષનો પરપોટો ફૂટશે, તો ચૂંટણીઓ દરમ્યાન મોટા ઉલટફેરની સંભાવનાઓ પણ રહે છે. આ કારણે અત્યારે રાજનીતિમાં પ્રવાહી સ્થિતિ છે અને કોઈપણ રાજકીય પક્ષે "વહેમ"માં રહેવા જેવું નથી.
જામનગરમાં લગભગ દરેક ચૂંટણીઓમાં ચર્ચાના ચાકડે ચડતી કેટલીક સમસ્યાઓ બે દાયકાના શાસન પછી પણ અણ ઉકેલ રહી હોવાનો જવાબ મતદારો ભાજપના શાસકો પાસે માંગશે. આ સમસ્યાઓમાં રખડતા ઢોર, કરડી ખાતા આવારા શ્વાન, અણઘડ ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થાનો સદંતર અભાવ, કેટલાક વોર્ડમાં કાયમી ગંદકી, મોટા દબાણો સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ (વ્હાઈટ હાઉસ ફેઈમ) વગેરેના કારણે નગરજનો સ્વાભાવિક રીતે જ નારાજ છે, તો આ તમામ મુદ્દે નિવેદનીયા અને નાટકીયા વિરોધ સિવાય વિપક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ કોઈ સફળ રજૂઆતો કે કાનૂની કાર્યવાહી કરી નથી, તે પણ હકીકત છે. જો કે, આ વખતે જામ્યુકોની ચૂંટણી જીતવી ભાજપ માટે સરળ નહીં હોવાથી વિપક્ષો પાસે અવસર છે, પણ... ? ! ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગયા અઠવાડિયે દેશના ગૃહમંત્રી પ.બંગાળના ચૂંટણી પ્રચારમાં ગયા હતા, ત્યારે જાહેરસભામાં તેઓએ જનતાની અદાલતમાં પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પોલિટિકલ ચાર્જશીટ મૂક્યું હતું, અને હવે જામનગરમાં કોંગ્રેસે જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી શાસન કરતા ભાજપ પર ચાર્જશીટ મૂક્યુ છે, કાનૂનની અદાલતમાં જેમ આરોપી પર પ્રાથમિક દૃષ્ટિએ પૂરાવા હોય કે આરોપોમાં તથ્ય જણાતુ હોય, ત્યારે ચાર્જશીટ મુક્યા પછી કેસ ચાલે અને તબક્કાવાર સુનાવણી પછી ન્યાયપાલિકા ફેંસલો સંભળાવે, તેવી જ રીતે પોલિટિકલ પાર્ટી દ્વારા પ્રતિસ્પર્ધી પાર્ટી પર મૂકાતુ ચાર્જશીટ ૫ણ જનતાની અદાલતમાં રજૂ થાય છે, ચૂંટણી પ્રચાર દરમ્યાન બંને પક્ષે દલીલો થાય છે અને અંતે જનતા પોતાના મતાધિકાર દ્વારા પોતાનો ફેંસલો સંભળાવે છે. ન્યાયની અદાલતોમાં બંધારણને ધ્યાને રાખીને તથા વિવિધ કાયદાઓને અનુરૂપ ચૂકાદા લખાતા હોય છે, જ્યારે જનતાની અદાલતમાં ઉમેદવાર કે પાર્ટીની જનમાનસમાં છાપ, કરેલા લોક હિતના કાર્યો, ભવિષ્યમાં કરવાના કામોનો રોડ-મેપ, પ્રામાણિકતા, પરફોર્મન્સ સહિતના ઘણાં માપદંડોને અનુરૂપ જનતા વિવિધ ચૂંટણીઓમાં મતદાન કરીને પોતાનો ચૂકાદો સંભળાવતી હોય છે. આ કારણે રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધી પર ચાર્જશીટ મૂકીને ચૂકાદો પોતાની તરફેણમાં આવે, તે દલીલો સાથે જોરદાર ચૂંટણી પ્રચાર કરતા હોય છે.
જામનગર મહાનગરપાલિકાની મુદ્દત પૂરી થઈ જતા હાલમાં વહીવટદારનું શાસન છે. એ પહેલા ભાજપનું શાસન હતું, તેથી ભાજપના શાસકો પર કોંગ્રેસે તહોમતનામુ રજૂ કરીને જનતાની અદાલતનો ફેંસલો માંગ્યો છે. છેલ્લા બે દાયકાથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હતું અને એ દરમ્યાન ભ્રષ્ટાચાર અને કૌભાંડો થયા હોવાના આરોપો લગાવવા કોંગ્રેસે પ્રેસ-કોન્ફરન્સ યોજી, અને ભાજપના શાસન સામે ચાર્જશીટ મૂક્યુ, તે પછી જામનગરમાં જાણે ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો હોય, તેમ જણાય છે. ટૂંક સમયમાં જ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થશે અને આદર્શ આચારસંહિતા લાગી જશે, અને તે પછી મહાનગરમાં ચૂંટણી પ્રચારનો ઝંઝાવાત ફૂંકાશે, જેના સંકેતો કોંગ્રેસના ચાર્જશીટ અને તે પછી આવેલા પ્રત્યાઘાતો દ્વારા મળી રહ્યા છે.
જામનગરના પૂર્વ સાસંદ, ખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય અને દાયકાઓથી હાલારની રાજનીતિના કેન્દ્રમાં રહેલા વિક્રમભાઈ માડમે ભાજપના શાસકો દ્વારા નગરજનોને કેન્દ્રમાં રાખીને નહીં, પણ બિલ્ડરો તથા ઈજારેદારોને ફાયદો પહોંચાડવા કામ કરી રહ્યા હતા અને દરેક વિકાસકામમાં ૪૦ ટકા કમિશન લેવાતુ હતું, તેવા મતલબનું તોહમત મૂક્યુ હતું, અને કોંગ્રેસે જે વિસ્તૃત અને મુદ્દાવાર તહોમતનામુ (ચાર્જશીટ અથવા આરોપપત્ર) રજૂ કર્યું છે, તે અંગે ચાંદીબજાર ચોકમાં ભાજપના નેતાઓ સાથે જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો હતો, તો કોંગી ધારાસભ્ય લલિતભાઈ વસોયા, તથા શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના નેતાઓએ પણ ભાજપ અને તેની સ્થાનિક નેતાગીરી પર સણસણતા આરોપો લગાવ્યા હતા. અને ભાજપના શાસનમાં કઈ કઈ સુવિધાઓ મળી નથી અને કઈ કઈ સમસ્યાઓ નથી ઉકેલાઈ તેની લાંબી યાદી રજૂ થઈ હતી.
કોંગ્રેસના આ આરોપનામાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ પહેલા લાલપુરમાં આમઆદમી પાર્ટીના વડા કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ-કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપોને સાંકળીને આ વખતે જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે, તો તેમાં કોનું પલડું ભારે રહેશે, તેની ચર્ચા પણ શરૂ ગઈ છે.
એક તરફ જામનગર સહિત હાલારમાં ભાજપ-કોંગ્રેસ પર તડાપીટ બોલી રહી છે, તો બીજી તરફ પ.બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સામે ભાજપ અને કોંગ્રેસ અલગ-અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે, અને લૂપ્ત થતા જતા ડાબેરી પક્ષોને ગણી લઈએ, તો પ.બંગાળમાં ચતુર્કોણીય મૂકાબલો થવાનો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ તૃણમુલ કોંગ્રેસ અને મમતા સરકાર પર ચાર્જશીટ રજૂ કર્યું હતું, તેની ચર્ચા ટોક ઓફ ધ નેશન બની છે.
શનિવારે પ.બંગાળમાં ભાજપ તરફથી સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણી પ્રચાર કરવા ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મમતા સરકાર પર ચાર્જશીટ મુક્યુ હતું અને તે માટે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. અમિતભાઈએ ૧૪ મુદ્દાનું ચાર્જશીટ મૂકીને મમતા સરકારના ૧૫ વર્ષના પ.બંગાળ પર શાસનની નિષ્ફળતાઓ વર્ણવી હતી અને "કટમની"ની સિસ્ટમ પર ગહન વ્યંગ પણ કર્યો હતો. તેમણે મમતા સરકાર પર ભ્રષ્ટાચાર, વોટબેંકની રાજનીતિ, સિન્ડીકેટ, કૌભાંડો તથા ઘુસણખોરોને છાવરવા જેવા સંખ્યાબંધ આરોપો લગાવ્યા હતા અને મમતા બેનર્જી હિંસાનો રાજનીતિમાં બેધડક ઉપયોગ કરતા હોવાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો હતો.
સામાન્ય રીતે કાનૂનની અદાલતો એટલે કે ન્યાયની દેવડીમાં તહોમતનામુ, આરોપપત્ર કે ચાર્જશીટ જેવી પ્રક્રિયાઓ થતી હોય છે, પરંતુ જનતાની અદાલતમાં ચૂકાદો મેળવવા તથા પોતાની તરફેણમાં જનમત કરવા માટે પ્રતિસ્પર્ધી પક્ષો પર તહોમતનામુ અથવા ચાર્જશીટ મૂકવાની આ પરંપરા હવે નગરથી નેશન સુધી વ્યાપી રહી છે, ત્યારે આશા રાખીએ કે જે કોઈ ચાર્જશીટો મૂકતા હોય, તેની પ્રત્યેક વિગતોને ધ્યાને લઈને તથા તેની પરખ કરીને તથા તેની યથાર્થતા તપાસીને જ જનતા મહાનગરપાલિકા હોય કે વિધાનસભા હોય, તમામ ચૂંટણીમાં મૂક્ત મને યોગ્ય ચૂકાદો આપશે તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજકોટના રેન્જ આઈજી બનેલા નિર્લિપ્ત રાયે લોકદરબારો યોજવાની જે જાહેરાત કરી છે, તે નવી નથી. અને આ પહેલા પણ પોલીસતંત્ર દ્વારા લોકદરબારો યોજાતા રહ્યા છે., પરંતુ તેમણે વ્યાજખોરો સામે જે લાલ આંખ કરી છે, અને છાપેલા કાટલા જેવા ગૂનેગારો સામે અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરવાના જે સંકેતો આપ્યા છે, તેના કારણે ગૂનાખોરો તથા વ્યાજખોરોમાં જરૂર ફફડાટ વ્યાપ્યો જ હશે. હવે રાય જિલ્લાવાર લોકદરબારો યોજાશે, અને લોકોને ગૂનાખોરો, વ્યાજખોરો અને ગુંડા તત્વો સામે નિડર બનીને ફરિયાદ કરવાની તક આપશે, તેવું જાહેર થયું છે.
પોલીસતંત્ર દ્વારા વ્યાજખોરો સામેની ઝુંબેશ આ વખતે માત્ર ફોર્માલિટી કે પરંપરા નિભાવવા ખાતર રાબેતા મુજબ કે અન્ય કેટલાક જિલ્લાઓની જેમ દેખાવ ખાતર નહીં, પરંતુ હકીકતે વ્યાજખોરો પર તૂટી પડવાની દૃઢ માનસિકતા સાથે જ શરૂ થશે, તેવા સંકેતો મળી રહ્યા છે અને પ્રારંભમાં પહેલી અને બીજી એપ્રિલે રાજકોટ જિલ્લામાં યોજાનાર લોકદરબાર પછી ખબર પડી જશે કે આ લોકદરબાર પછી તંત્ર કેટલી ઝડપી અને સચોટ તથા પરિણામલક્ષી કાર્યવાહી કરે છે તે આ વખતે સૌરાષ્ટ્રની જનતા પણ ઘણી જ આશાવાદી છે, કારણ કે નિર્લિપ્ત રાયે ભૂતકાળમાં વિવિધ સ્થળે તેમની ફરજો દરમ્યાન પણ ગૂનેગારો, ગુંડાઓ અને વ્યાજખોરો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને ફફડાટ ફેલાવ્યો હોવાની ચોતરફ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ ગલકાલે જ એક યુવાને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો છે.
રાજકોટ રેન્જમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ (ગ્રામ્ય), મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાઓનો સમાવેશ થાય છે. નિર્લિપ્ત રાયે રેન્જ આઈજી તરીકે હવાલો સંભાળ્યા પછી ગોંડલથી શરૂ કરીને હાલાર સહિત વિવિધ જિલ્લાઓની મુલાકાતો લઈને જે કડક કાર્યવાહીઓ કરી છે, તે જોતાં લોકદરબારોમાં પણ તે જ પ્રકારની તત્પરતા અને સમયોચિત સચોટતા તો જોવા મળશે જ, પરંતુ પાછળથી પરેશાની થશે તેવા ડરથી અસામાજીક તત્વો, ગુંડાઓ અને વ્યાજખોરો સામે રાવ કરવા કે ફરિયાદ નોંધાવવા આગળ નહીં આવતા પીડિતો પણ હવે આગળ આવશે અને તે પછી તેઓને ન્યાય અને સુરક્ષા તથા દોષિતોને નશ્યત થશે, તેવી આશા સેવાઈ રહી છે.
હાલારની મુલાકાત દરમ્યાન રાજકોટના રેન્જ આઈજીની શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ તથા અભિગમ જોતા રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓના લોકોમાં પણ હિંમત અને આશાનો સંચાર થશે, એટલું જ નહીં ભ્રષ્ટ પરિબળોમાં પણ ફફડાટ વ્યાપશે, તેવી ધારણા રાખવામાં આવી રહી છે. તદુપરાંત જામનગર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા એક વર્ષમાં થયેલી કામગીરીના આંકડા પણ સામે આવ્યા છે.
લોકોમાં એવી પણ ચર્ચા છે કે સરકારી તંત્રોમાં કી પોસ્ટ પર નિમાતા અધિકારીઓ અને અમલદારો પ્રારંભમાં અત્યંત કડક વલણ અપનાવીને સિક્કો જમાવી દેતા હોય છે અને ઘણી વખત પાછળથી કોઈ અકળ કારણોસર કે પોલિટિકલ પ્રેસર હેઠળ કે પછી તાકતવર અને વગદાર ભ્રષ્ટ પરિબળોના કારણે ઢીલા પડી જતા હોય છે. ઘણાં લોકો એવા વ્યંગ પણ કરતા હોય છે કે એક વખત સિક્કો જમાવ્યા પછી કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાનું કદ કે મૂલ્ય વધારવાનો પ્રયાસ કરતા હોય છે. આ બધી લોકધારણાઓ સાચી હોય કે ખોટી હોય, તો પણ તેની વિભાવનાને નજર અંદાજ તો કરી જ શકાય નહીં. આ જ લોકોમાં નિર્લિપ્ત રાયના મુદ્દે અલગ અભિપ્રાય પ્રવર્તતો હોય, અને નવા ડીઆઈજીનો અભિગમ હંમેશા લોકલક્ષી અને ગૂનેગારો, વ્યાજખોરો, ગુંડા તત્વો અને અસામાજીક તત્વો-બૂટલેગરો માટે અત્યંત કડક રહેશે, તેવા અનુમાનો થઈ રહ્યા હોય, ત્યારે એટલું જ કહી શકાય કે રાજકોટના નવા રેન્જ આઈજીના આ અભિગમની અસરો હાલારના બંને જિલ્લાઓમાં પણ અવશ્ય પડવાની જ છે, અને રાજકોટ રેન્જના બધા જિલ્લાઓમાં લેન્ડ ગ્રેબીંગ કરતા અને જમીન કૌભાંડો કરતા તત્વો પર પણ તવાઈ આવવાની પૂરેપૂરી સંભાવના છે.
રેન્જ આઈજીએ પોતાના પ્રવાસ દરમ્યાન જે જંગી દબાણો હટાવડાવ્યા, તેની પણ ચર્ચા થઈ રહી છે, અને ૧૩ વોન્ટેડ આરોપીઓ માટે ઈનામની જાહેરાત કરી તથા સત્તાવાર પ્રવાસ દરમ્યાન જે રીતે તંત્રોને દોડતા કર્યા, તેની પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે, તો જામનગર જિલ્લાના આઠ પીએસઆઈની બદલીની પણ પોલીસબેડામાં ચર્ચા છે.
ગુજરાતમાં એક કહેવત છે કે "અમલદાર આરંભે સૂરા..." પરંતુ નિર્લિપ્ત રાયની અત્યાર સુધીની અમરેલી એસપીથી લઈને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિતની નોંધપાત્ર કામગીરી જોતા તેઓ દિવસે દિવસે વધુને વધુ સક્રિય પણ બનતા જશે, તથા લોકપ્રિય પણ બનતા જશે, તેવો અંદાજ પોલીસતંત્રના જાણકાર વર્તુળોમાં થઈ રહ્યો છે, તો બીજી તરફ "આરંભે સૂરા"ની ઉક્તિને ખોટી ઠરાવીને રેન્જ આઈજીનું કાયમ માટે જનલક્ષી અને ઈમાનદાર અધિકારીની છાપ જાળવી રાખશે, તેવો આશાવાદ પણ લોક વ્યક્ત કરી રહ્યા છે.
વ્યાજખોરીના મૂળમાં જઈને લોકોને વ્યાજખોરો પાસે જવું જ ન પડે, તેવા ઉપાયો શોધીને અમલમાં મૂકવા પડે તેમ છે., જો વ્યાજખોરોની સામેની ઝુંબેશ ખરેખર બનાવવી જ હોય, તો પહેલા તો લોકોમાં વ્યાપેલા કોઈ "અદૃશ્ય" ડરનો માહોલ હટાવવો પડશે. અને સંભવિત ભ્રષ્ટ "સડા"ને પણ દૂર કરવો પડશે, અને માત્ર કાનૂની નહીં પરંતુ જનજાગૃતિના પ્રયાસો પણ વધારવા પડશે, તથા સંભવિત સાંઠગાંઠો તોડવી પડશે. લોકોને વ્યાજખોરો પાસે જવું જ ન પડે તેવા ઉપાયોની જરૂર છે.
ઘણાં લોકો કોઈ બીમારી, સંતાનોના લગ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે ના છૂટકે ઊંચા વ્યાજદરે નાણા લઈને વ્યાજખોરોના વિષચક્રમાં ફસાતા હોય છે. આ પ્રકારના લોકોને જરૂર પડયે સરળતાથી નાની-મોટી ટૂંકા ગાળાની લોન મળી રહે, તેવી કોઈ યોજના સરકારે અને સમાજોએ શરૂ કરવી જોઈએ. બીજી તરફ ધંધાકીય સાહસ, ખોટ કે અન્ય ફાયનાન્સિયલ કારણોસર ઘણાં લોકો વ્યાજખોરોનો ભોગ બનતા હોય છે, જ્યારે ઘણાં લોકો વ્યાજખોરી, વિદેશ જવાની લાલચ કે રાતોરાત કમાઈ લેવાના ચક્કરમાં ફસાઈ જતા હોય છે. આ બધા માટે સરકાર, સમાજ અને પોલીસતંત્રે સાથે મળીને કોઈ નક્કર ઉપાયો કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજથી આઈપીએલ અથવા ઈન્ડિયન પ્રિમિયર લીગ મેચોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. બેંગલુરૂમાં ભૂતકાળમાં થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનાર મૃતકોના સન્માનમાં આ વખતે આઈપીએલનો ઓપનીંગ સેરેમની રદ થયા પછી પહેલી લીગ મેચ શરૂ થવાની સાથે જ આ ટૂર્નામેન્ટનો વિધિવત પ્રારંભ થઈ જશે.
આ ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ ભારતીય ઓપનર બેટધર અને ગુજરાત ટાઈટન્સ ટીમના કપ્તાન શુભમન ગીલનું ઈમ્પેકટ પ્લેયરના નિયમનો વિરોધ દર્શાવતું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જેને સોશ્યલ મીડિયામાં વ્યાપક સમર્થન પણ મળી રહેલુ જણાય છે.
હકીકતે વર્ષ-૨૦૨૩માં ઈમ્પેકટ પ્લેયરનો નિયમ પ્રસ્તૂત થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્લેઈંગ ઈલેવન ઉપરાંત બારમો ખેલાડી હોય છે. આ ટીમ મેચ શરૂ થતાં પહેલા જ ડિકલેર કરવાની હોય છે, અને ટીમ જાહેર થયા પછી મેચ શરૂ થઈ જાય એટલે આ બાર ખેલાડી જ ફાયનલ ગણાય છે, જેમાં ચાલુ મેચ દરમ્યાન ફેરફાર કરી શકાતો નથી, જ્યારે આઈપીએલમાં પ્લેઈંગ ઈલેવન ઉપરાંત બીજા પાંચ એવા ખેલાડીઓના નામ જાહેર કરાય અને આ સબસ્ટિટ્યુટ ખેલાડીઓનો કેટલાક ચોક્કસ પ્રકારના સંજોગોમાં ઉપયોગ થઈ શકે, તેવી જોગવાઈઓ આ નિયમ હેઠળ કરવામાં આવી છે. આ પાંચ ખેલાડીઓ પૈકી કોઈપણ ખેલાડીને ચાલુ મેચે પ્લેઈંગ ઈલેવનના કોઈ ખેલાડી સામે બદલી શકાય છે, અને તે માટે ચોક્કસ શરતોનું પાલન કરવાનું હોય છે.
જો કે, આ પ્લેઈંગ ઈલેવન ઉપરાંતના પાંચ ખેલાડીઓનો નિયમ માત્ર ભારતીય ઘરેલુ ક્રિકેટ આઈપીએલ માટે જ લાગુ કરાયો હોવાથી તેને આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ કે મેચોમાં લાગુ કરી શકાશે નહીં, તેવી ચોખવટ પણ વિવિધ માધ્યમો દ્વારા થઈ છે, તેમ છતાં આ નવો નિયમ ઘણો જ ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બનવા જઈ રહ્યો છે. મોટા ભાગના વિવેચકો અને આલોચકો આ નિયમના કારણે ક્રિકેટની રમતનો રોમાંચ ઘટી જશે તથા ઓલરાઉન્ડર ખેલાડીઓનું મહત્ત્વ ઘટી જશે, જે એકંદરે આખી ટીમને વિપરીત અસર કરશે, તેવા અભિપ્રાયો ક્રિકેટ નિષ્ણાતો કે ક્રિકેટ પ્રેમીઓ જ નહીં, ખુદ દિગ્ગજ ક્રિકેટરો પણ આપવા લાગ્યા છે.
આ નિયમ મુજબ ટોસ ઉછળ્યા પછી પણ કોઈપણ એક ખેલાડીને પ્લેઈંગ ઈલેવનના કોઈપણ એક ખેલાડીના સ્થાને (જાહેર કરાયેલા પાંચ સબસ્ટિટ્યુટમાંથી) બદલી શકાશે, જે બેટીંગ અને બોલીંગ પણ કરી શકશે, તેનો મતલબ એવો પણ થઈ શકે કે પ્લેઈંગ ઈલેવનના સ્થાને પ્લેઈંગ ટ્વેલ્વ (બાર ખેલાડીઓની ટીમો) મેદાનમાં રહેશે.
વર્ષ ૨૦૨૪માં બસીસીસીઆઈ દ્વારા લાગુ કરાયેલા આ નિયમની મુદ્દત વર્ષ ૨૦૨૭ સુધી વધારવાના નિર્ણય સામે આઈપીએલની ટીમોની ૧૦ ટીમોના કપ્તાનો વચ્ચે પણ ગરમાગરમ ચર્ચા થઈ હોવાના અહેવાલો પછી અને હવે શુભમન ગીલે આ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપ્યા પછી આ મુદ્દો ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. બીજી તરફ બીસીસીઆઈ દ્વારા આ નિયમને વર્ષ ૨૦૨૭ સુધી લંબાવી જ દીધો હોવાથી તે અંગે ચાલુ ટૂર્નામેન્ટમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ આ મુદ્દે આવતા વર્ષે વ્યાપક ચર્ચા પછી કાંઈક ફેરફાર થાય કે આ નિયમ જ હટાવી દેવાય એવા પ્રયાસો અત્યારથી શરૂ થઈ ગયા હોય તેમ જણાય છે. જો કે, વર્ષ ૨૦૨૭ સુધી ફેરફારના મૂડમાં બીસીસીઆઈ જ નથી.
આ નિયમનો ભૂતકાળમાં રોહિત શર્મા, ગ્લેન ફિલિપ્સ અને અક્ષર પટેલ વગેરેએ વિરોધ કર્યા પછી ઘણાં ક્રિકેટરોએ આ નિયમનો વિરોધ કર્યો હતો, તો ક્રિકેટ રસિયાઓમાં ચર્ચા ચાલતી રહી હતી.
હવે શુભમન ગીલે કહ્યું છે કે ઈમ્પેકટ પ્લેયરનો નિયમ ખેલાડીઓના કૌશલ્યને ખતમ કરી દ્યે છે. અને ટીમના પડકારોને પહોંચી વળવાની ક્ષમતા પણ ઘટી શકે છે.
એવું કહેવાય છે કે ગત ૨૫મી માર્ચે યોજાયેલી આઈપીએલ-૨૦૨૬ની તમામ ટીમોના કપ્તાનોની બેઠકમાં પણ મોટા ભાગના કપ્તાનો આ નિયમની વિરૂદ્ધમાં જણાયા હતા, અને બીસીસીઆઈને આ નિયમની સમીક્ષા કરવાની માંગણી પણ ઉઠાવાઈ હતી. જો કે, આ મુદ્દે બીસીસીઆઈનું આ લખાય છે ત્યાં સુધી કોઈ સ્પષ્ટ નિવેદન નથી.
શુભમન ગીલ ગુજરાત ટાઈટન્સ ટીમનો કપ્તાન છે અને ૧૯મી પ્રિમિયર લીગ મેચો શરૂ થાય, તે પહેલા જ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે, અને મોટાભાગના કપ્તાનો પણ જો આ નિયમનો વિરોધ કરી રહ્યા હોય તો, આ મુદ્દે બીસીસીઆઈને સમીક્ષા કે પુનર્વિચારણા કરવામાં કોઈ વાંધો હોવો જ ન જોઈએ અને આવતા વર્ષથી જ આ નિયમ રદ થઈ જાય, અને તેના કારણે ક્રિકેટરોને જો સંતોષ થતો હોય અને ટૂર્નામેન્ટની મોટા ભાગની ટીમો પણ સંમત હોય તો આ નિયમને વળગી રહેવાનું કોઈ યોગ્ય કારણ પણ જણાતુ નથી.
અત્યારે એક તરફ ઈઝરાયલ-અમેરિકાના ઈરાન સાથેના યુદ્ધના કારણે ઊભી થયેલી સ્થિતિ વચ્ચે ભારતમાં આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે, તો બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં જુદી જુદી ચૂંટણીઓનો માહોલ પણ જામ્યો છે, તેવામાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર પણ પોલિટિકલ પ્રભાવ પડશે, અને આઈપીએલના પ્લેટફોર્મ્સ કે તેને સંબંધિત ડિબેટીંગ કે વિવાદોનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે કરવાના કિમીયા પણ અજમાવાઈ શકે છે, તેથી ચૂંટણીપંચે પણ જાગૃત રહેવા જેવું ખરૃં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં ગઈકાલે જ રામનવમીની ઉજવણીનો ઉમંગભર્યો માહોલ છે, તેવી જ રીતે યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા સહિત હાલારમાં પણ હરખભેર રામનવમીની ઉજવણી થઈ રહી છે, ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ખૂબ જ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ વખતે કેટલાક સ્થળે ગઈકાલે તો કેટલાક સ્થળે આજે રામ નવમીની ઉજવણી થઈ રહી છે, અને આસ્થા અને ભક્તિનો જાણે મહાસાગર ઉછળી રહ્યો છે. ચોતરફ ભગવાન શ્રીરામનો જયજયકાર થઈ રહ્યો છે, તો રઘુવંશીઓ દ્વારા જામનગરમાં રામ નવમીની ઉજવણી પછી પારણાના સમૂહ ભોજનનું પણ આયોજન થયું છે. જામનગરમાં નીકળેલી વિશાળ શોભાયાત્રામાં પણ ઉમંગભેર નગરજનો જોડાયા હતા. યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા અને જામનગરના અખંડ રામધૂન મંદિરોમાં પણ વિશેષ રામધૂન સાથે ભક્તિભાવપૂર્વક રામ નવમીની ઉજવણી થઈ રહી છે.
બીજી તરફ અયોધ્યામાં રામ નવમીની ઉજવણી નિમિત્તે વિશેષ દર્શન તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ ગયા, તેવી જ રીતે દેશભરમાં શ્રીરામ જન્મોત્સવ તથા તેને સંલગ્ન ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે આખો દેશ જાણે કે રામમય બની ગયો છે.
જો કે, પ.બંગાળમાં આ વખતે શ્રીરામ જન્મોત્સવની સાથે સાથે રાજનીતિ પણ ધમધમવા લાગી છે, અને વિધાનસભાની આગામી ચૂંટણીઓની આચાર સંહિતા વચ્ચે જોરદાર ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે.
આ તરફ ગુજરાતમાં પણ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી તથા આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો ધમધમાટ પણ વેગ પકડવા લાગ્યો છે.
આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત માને ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે, અને અમરેલી પછી જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફેેંક્યું છે, અને લાલપુરના માર્કેટીંગ યાર્ડ પાસે યોજાયેલી જનસભામાં ભાજપ અને રાજ્ય-કેન્દ્ર સરકારો પર આકરા પ્રહારો કર્યા પછી હાલારમાં રાજકીય માહોલ ગરમાયો છે.
જો કે, આમઆદમી પાર્ટીના નિશાન પર કોંગ્રેસ પણ હતી અને વક્તાઓએ બંને રાષ્ટ્રીય પક્ષો પર ગંભીર આક્ષેપોની ઝડી પણ વરસાવી હતી, જેના તિવ્ર પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.
જો કે, કેજરીવાલે જયારે એવું કહ્યું કે ત્રણ દાયકા પહેલા ગુજરાત નંબર વન રાજ્ય હતું, ત્યારે એવું લાગ્યું કે તેઓે ભાજપના શાસન પહેલાના શાસકોને વખાણી રહ્યા છે અને એે કારણે પરોક્ષ રીતે કોંગ્રેસના ભૂતકાળના શાસકોનો ભાજપના શાસકોની સાથે સરખામણી કરી રહ્યા હોય, તેવો આભાસ પણ ઘણાં લોકોને થયો હશે.
કેજરીવાલે કહ્યું કે ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પક્ષે ગુજરાતને બરબાદ કરી નાખ્યુ છે. આજથી ત્રીસેક વર્ષ પહેલા ગુજરાતમાં લોકો સુખી અને સમૃદ્ધ હતા.
તેમણે આજે ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં અંતિમ હરોળમાં ધકેલાઈ ગયું હોવાનું જણાવીને એવો આક્ષેપ લગાવ્યો કે આજે ભારતીય જનતા પાર્ટી માત્ર કરોડપતિ-અબજોપતિઓ તથા અમીરોની પાર્ટી બની ગઈ છે.
કેજરીવાલે આજથી ત્રીસ વર્ષ પહેલાના શાસનના વખાણ કર્યા પછી એવી ચર્ચા પણ થઈ રહી છે કે કેજરીવાલ કોંગ્રેસના ભૂતકાળના શાસનને આડકતરી રીતે વખાણ કરી રહ્યા હતા કે પછી કેશુબાપાના શાસનની પ્રશંસા કરી હતી, કે પછી જનતાદળ ગુજરાતના જમાનાને યાદ કરી રહ્યા હતા ?
કેજરીવાલે તેમના આગવા અંદાજમાં ભાજપ પર પ્રહારો કર્યા અને પંજાબમાં આમઆદમી પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા જનલક્ષી શાસનની પ્રશંસા કરીને પંજાબમાં બધા ખુશહાલ છે, તેવા દાવા પણ કર્યા. જ્યારે કેજરીવાલે ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરી, તથા પેપર લીકની યાદ અપાવીને કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે મળીને ગુજરાતની પ્રજાને લૂંટી રહ્યા છે, ત્યારે થોડો સમય માટે છવાયેલો સન્નાટો ઘણું બધુ કહી જાય, તેવો હોવાની ચર્ચા પ્રત્યક્ષદર્શીઓમાં થતી હતી.
ટૂંકમાં ગુજરાતની જનતાએ આ વખતે ત્રિપાંખીયા જંગ દરમ્યાન ભાજપ, કોંગ્રસ કે આમઆદમી પાર્ટી પૈકી કોને સત્તા સોંપવી તે નક્કી કરવું પડે તેમ છે, તો પ.બંગાળમાં મમતા બેનર્જીને પુનઃ સત્તા સોંપવા અંગે ત્યાંની જનતાએ નિર્ણય લેવાનો છે. ગુજરાતની શાણી જનતા સારી રીતે સમાજ કે રાજનીતિમાં ભાવનાત્મક લાગણીઓની ભેળસેળનું પરિણામ કેવું આવી શકે છે, તેથી ત્રણેય રાજકીય પક્ષોને પૂરેપૂરી રીતે જાણી-પીછાણી અને ઉમેદવારોને ઓળખીને જ જનાદેશ આપશે, તેવી આશા રાખીએ અને રામનવમીના પર્વે જય શ્રી રામના જયઘોષ સાથે રાજ્યના મંગલમય ભવિષ્યની કામના કરીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે મધ્ય-પૂર્વની યુદ્ધની સ્થિતિ અને તેની ભારત પર અસરો તથા કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવાઈ રહેલા પગલાં અંગે માહિતી આપવા કેન્દ્ર સરકારે ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લેકસભાના વિપક્ષના નેતા અને ટી.એમ.સી.ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા નહીં હોવાથી તે અંગે રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી હતી અને ઘેરા મિશ્ર પ્રત્યાઘાતો આ બેઠકમાં અપાયેલી માહિતીના સંદર્ભે પણ દેશભરમાં પડયા હતા. આ બેઠકમાં કેટલાક વિપક્ષી નેતાઓએ મોદી સરકારને કેટલાક તીખા સવાલો પુછ્યા હોવાના અહેવાલો પણ દેશભરમાં પડઘાયા હતા.
ગઈકાલે સર્વપક્ષીય બેઠક દરમ્યાન સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર દલીલબાજી પણ બોલી હતી અને સરકાર પર તડાપીટ બોલી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સરકારે "સબ સલામત"ની રાબેતા મુજબની વાતો દહોરાવી હતી.
સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંની વિગતવાર માહિતી આપતા વિદેશ સચિવે જ્યારે કહ્યું કે દેશવાસીઓએ ડરવાની કોઈ જરૂર નથી., ત્યારે વિપક્ષ તરફથી વ્યંગાત્મક ટિપ્પણીઓ થઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. વિદેશ સચિવે એવો દાવો કર્યો કે આપણાં દેશમાં ઈંધણના ક્ષેત્રે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સરકાર વિશ્વિક સ્થિતિ પર નજર રાખીને સતત કદમ ઉઠાવી રહી છે.
આ બેઠકની અધ્યક્ષતા કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે પણ ચર્ચા દરમ્યાન કેન્દ્ર સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંને સમર્થન આપ્યું હતું. બેઠકમાં જણાવાયુ હતું કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો છે અને વધુ પાંચ જહાજ ભારત તરફ આવી રહ્યા છે. પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું કે દેશમાં પેટ્રોલિયમ પેદાશોની કોઈ તંગી હાલમાં નથી. હોર્મુઝ સ્ટેટમાં ઘણાં દેશોના જહાજો ફસાયેલા છે, તેમાંથી આપણાં કેટલાક વહાણો પૂરવઠો ભરીને આવી રહ્યા છે અને આવી ગયા છે, તેને સરકારની વ્યૂહાત્મક સફળતા ગણાવી વિપક્ષોએ સરકારને સહયોગ આપવો જોઈએ. મહત્ત્વપૂર્ણ વાત એ પણ હતી કે વર્ષ ૧૯૮૧થી અમેરિકા ઈરાન સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરતુ રહ્યું હોવાનો સ્વીકાર પણ કેન્દ્ર સરકારે કર્યો હોવાનું ચર્ચાય છે.
રક્ષામંત્રીની અધ્યક્ષતામાં સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ તથા સચિવોએ વિગતો રજૂ કરી ત્યારે જ વિપક્ષોએ અણીયાળા સવાલો ઉઠાવ્યા હતા અને બેઠક પૂરી થયા પછી જુદા જુદા સ્થળે તીખા પ્રત્યાઘાતો પણ આપ્યા હતા. વિપક્ષોએ વર્તમાન સ્થિતિને સાંકળીને વડાપ્રધાને કોવિડ-૧૯નો ઉલ્લેખ કરતા ઊભી થયેલી દ્વિધા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને આવા નિવેદનો પછી લોકડાઉન જેવા પ્રતિબંધોની સંભાવનાઓના કારણે લોકોમાં બિનજરૂરી ગભરાટ ફેલાવી શકે છે, તેવી આલોચના પણ કરી હતી, જેને સરકારે "તપાસ થશે" તેવો રાબેતા મુજબનો જવાબ આપીને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હોવાના અહેવાલોને સરકારે પુષ્ટિ આપી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે વડાપ્રધાને ભારતની સ્પષ્ટ નીતિ દોહરાવીને ટ્રમ્પને કહેવામાં આવ્યું છે કે ભારત યુદ્ધની તરફેણમાં નથી. વૈશ્વિક શાંતિને પ્રાયોરિટીનો સંદેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી પહોંચાડી દેવામાં આવ્યો હોવાનો દાવો પણ કરાયો હતો.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પણ વિપક્ષના નેતાઓએ સર્વપક્ષીય મિટિંગમાં ભાગ લીધો, તે બદલ આભાર વ્યક્ત કરવાની સાથે સાથે તેમણે વિપક્ષોનો આ સ્થિતિમાં સહયોગ અને રાષ્ટ્રીય એક જૂથતાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે હાલમાં દેશમાં ઈંધણ-ગેસની અછત વાસ્તવિક નથી, તેની સામે પણ વિપક્ષોએ સવાલો ઉઠાવ્યા છે. આ બેઠક આ સાંપ્રત સ્થિતિમાં અત્યંત આવશ્યક પણ હતી અને અસાધારણ પણ હતી.
કોંગ્રેસે સર્વપક્ષીય બેઠક બોલાવવાના ટાઈમીંગ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા અને મોદી સરકારની ઢીલી ઢફ વિદેશીનીતિની ટીકા પણ કરી હતી. કોંગી નેતા મણિકમ ટાગોરે કહ્યું કે આ સર્વપક્ષીય બેઠક ઘણી જ મોડી છે, જે વહેલી યોજવાની જરૂર હતી. ભૂતકાળમાં રાષ્ટ્રીય કક્ષાની આ પ્રકારની સર્વપક્ષીય બેઠકોમાં નરસિંહારાવ, વાજપેયી અને મનમોહનસિંહ સહિતના વડાપ્રધાનો સામેલ થતા હતા, જયારે વર્તમાન વડાપ્રધાન આ બેઠકમાં ભાગ લેવાથી દૂર ભાગે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ વિપક્ષી નેતાઓએ રાહુલ ગાંધીના "કોમ્પ્રોમાઈઝ પી.એમ."વાળા નિવદનોને દહોરાવીને કહ્યું હતું કે હાલમાં વિદેશનીતિ એક પ્રકારની મજાક બની ગઈ છે અને વડાપ્રધાનની નીતિઓના કારણે આજે દેશ આ સ્થિતિમાં ધકેલાયો છે વગેરે...વગેરે...
ભારતીય જનતાપક્ષના પ્રવક્તાઓએ પ્રતિ આક્ષેપો કરતા કહ્યું કે આ પ્રકારની વૈશ્વિક કટોકટી જેવા સમયે પણ વિપક્ષો સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે, અને ગંભીરતાથી વર્તી રહ્યા નથી. વગેરે...વગેરે...
આ તરફ ગુજરાતમાં પણ ઈંધણનો પૂરતો પુરવઠો છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી, વગેરે સ્પષ્ટતાઓ મુખ્યમંત્રી, મંત્રીઓ અને જિલ્લાતંત્રો દ્વારા થઈ રહી છે, અને હાલારના બંને જિલ્લામાં પણ આવી જ ચોખવટો થઈ છે.
આ બધા ઘટનાક્રમો વચ્ચે રાજ્ય સરકારે ગઈકાલે રાજ્યના ત્રણ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશો કર્યા છે, જેમાં જામનગરના ૩૧મી માર્ચે નિવૃત્ત થઈ રહેલા કલેકટર કે.વી. ઠક્કરના સ્થાને અમરેલીના વર્તમાન જિલ્લા વિકાસ અધિકારી પી.બી.પંડયાની થયેલી નિમણૂકનો પણ સમાવેશ થાય છે, આશા રાખીએ કે ઠક્કર સાહેબની જેમ જ પંડયા સાહેબ જિલ્લાની જનતાની સેવા કરશે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સ્વ. શેખરને સ્નેહભરી શ્રદ્ધાંજલિ...
વર્ષ ૧૯૯૬ની ૨૫મી માર્ચનો એ દિવસ કારમો આઘાત આપી ગયો હતો, જે દિવસે અમારા બધાના લાડીલા અને બહોળા મિત્રમંડળ, વાચકવર્ગ તથા હાલારીઓના હૈયે વસેલા શેખરે અનંતયાત્રાની વાટ પકડી લીધી હતી.
અમારા બધાના પથદર્શક અને નોબતના આદ્યસ્થાપક પૂ. સ્વ. રતિલાલભાઈ માધવાણીના પગલે પગલે ચાલીને "નોબત"ના માધ્યમથી જન-જનને મદદરૂપ થનાર તથા અખબારને તત્કાલિન ૫ડકારોનો સામનો કરીને આધુનિક અને વધુ લોકભોગ્ય બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર શેખરની એ વિદાય અમારા માટે અસહ્ય અને આંચકો આપનારી હતી.
આજે પણ શેખરભાઈની કાર્યપદ્ધતિ, સચોટતા અને કામ પ્રત્યેનું સમર્પણ અમારા બધા માટે પ્રેરણારૂપ છે. નોબત પરિવાર અને માધવાણી પરિવાર જ નહીં, સમગ્ર વાચકો તથા દેશ-વિદેશ સુધી પથરાયેલા સ્વ. શેખરભાઈના મિત્રવર્તુળની યાદોમાં આજે પણ સ્વ. શેખરભાઈ જિવંત છે. આજે પણ "નોબત"ના વાર્ષિક લવાજમનો ડ્રો હોય કે કોઈપણ પ્રસંગ હોય, કે પછી "નોબત"ના સ્થાપના દિનની ઉજવણી હોય, સ્વ. શેખરભાઈની સ્મૃતિઓ સૌ કોઈ મમળાવતા હોય છે. શેખરભાઈ હંમેશાં પડકારોને પણ પડકારવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓ સ્પષ્ટ વક્તા અને ખૂબ જ સંવેદનશીલ પણ હતા. સેવાકાર્યોને સમર્પિત શેખરભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને નગરના લોક-કલ્યાણ, હાલારના હિત અને દેશની પ્રગતિના ક્ષેત્રે હંમેશાં સક્રિય રહેતા હતા.
શેખરભાઈ સેવાકાર્યો માટે સદૈવ તત્પર અને કદુરતી આફતો, અન્ય સામાજિક કે સંસ્થાકીય કામો તથા સમાજ માટે હંમેશાં ઉપલબ્ધ રહેતા હતા, અને તેઓએ જયારે અનંત વિદાય લીધી ત્યારે નોબત અને માધવાણી પરિવાર તથા તેઓના બહોળા મિત્રમંડળ ઉપરાંત તેઓની સાથે સંકળાયેલા તમામ લોકો ઊંડા આઘાતમાં સરી પડયા હતા. અને હંમેશાં હસતા મુખે લોકોના સુખ દુઃખના સહભાગી થતા હતા. નોબતની તમામ પ્રવૃત્તિઓ તથા પ્રક્રિયાઓમાં સ્વ. શેખરભાઈએ કંડારેલી કેડીઓ ધોરીમાર્ગ જેટલી વિસ્તરી છે, અને આજના પરિવર્તનશીલ આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ ઉપયોગી બની રહી છે, જે તેઓની દીર્ઘદૃષ્ટિ તથા નિપુણતા દર્શાવે છે.
આપણે બધા સ્વીકારીએ છીએ કે જન્મ અને મૃત્યુ મનુષ્યના હાથમાં નથી. અને જેનો જન્મ થાય છે, તેઓની અનંત વિદાય પણ થાય જ છે, પરંતુ સ્વ. શેખરભાઈના દેહાંત પછી પણ તેઓ પ્રેરણા, સ્મરણો તથા આદર્શોના સ્વરૂપે આપણી વચ્ચે જિવંત હોય, તેવો જ અહેસાસ થાય છે, તે જ તેઓની ટૂંકી જિંદગીની વિશાળ ઉપલબ્ધિ છે.
આપણાં સૌના હૃદયે હંમેશાં ધબકતા રહેતા સ્વ. શેખરની પુણ્યતિથિ નિમિત્તે તેઓના સેવાકાર્યોને સ્મરીને તેઓને ભાવભીની સ્મરણાંજલિ-સહ-શ્રદ્ધાંજલિ અર્પીએ...
જામનગર તા. ૨૫-૩-૨૦૨૬
- માધવાણી પરિવાર - નોબત પરિવાર
નગર થી નેશન અને યુનોથી યુએસએ સુધી ગઈકાલે સાંપ્રત સ્થિતિમાં ટ્રમ્પે કરેલી જાહેરાત, તે પહેલા ભારતની સંસદમાં મિડલ ઈસ્ટના યુદ્ધમાં ભારતની સ્થિતિ તથા શાંતિ સ્થાપનાના વૈશ્વિક પ્રયાસોમાં ભારતની સંભવિત ભૂમિકા તથા અમેરિકા અને ઈરાન સહિત વિશ્વના જુદા જુદા દેશો તથા વૈશ્વિક નેતાઓના વિરોધાભાસી નિવેદનોની વણઝાર ચાલી હતી. ભારતમાં કેન્દ્ર સરકારે રવિવારથી આદરેલી શ્રેણીબદ્ધ બેઠકો અને સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી તેના વિપક્ષના નેતાઓએ આપેલા પ્રત્યાઘાતો તથા વૈશ્વિક નેતાઓના વિવિધ મંતવ્યો વચ્ચે એકંદરે આંશિક યુદ્ધ વિરામને આવકાર મળ્યો હતો અને આજે જે કાંઈ બની રહ્યું છે, તે આપણી સામે જ છે. આખી દુનિયા હવે શાંતિ ઝંખે છે અને શાંતિની વાતો કરનારા વૈશ્વિક નેતાઓ ઊંડા પાણીમાં રમતા હોય તેમ જણાય છે.
વૈશ્વિક અશાંતિની જવાળા સમી રહી નથી, તેવા સંજોગોની વચ્ચે નગરથી નેશન સુધી પણ ધમાચકડીના અહેવાલો આવી રહ્યા છે. અદાવતો અને વેરઝેરના કારણે મારામારીની ઘટનાઓએ ચર્ચા જગાવી છે અને રાજકીય પક્ષો સાથે સંબંધો ધરાવતા પરિબળો વચ્ચે ડખો થાય, ત્યારે તેના રાજકીય પ્રત્યાઘાતો પણ પડતા જ હોય છે. બીજી તરફ ગુજરાતમાં ગઈકાલે ઘણાં સ્થળે પેટ્રોલપંપો તથા ગેસ રિફીલીંગ સ્ટેશનો પર વાહનોની લાંબી લાંબી કતારો લાગ્યા પછી રાજ્ય સરકારે ચોખવટ કરવી પડી હતી કે રાજ્યમાં ઈંધણનો પૂરતો પૂરવઠો મોજુદ છે અને લોકોને અફવાઓથી ગેરમાર્ગે દોરાઈને ગભરાવાની જરૂર નથી. ગુજરાત સરકાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને આ ચોખવટ કરવા માટે ગઈકાલે સહિયારૂ નિવેદન આપવું પડયુ હતું.
ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીએ જાણી જોઈને પેટ્રોલપંપ બંધ રાખનાર અથવા નફાખોરીના હેતુથી વાહનચાલકોને ધક્કા ખવડાવનાર માલિકો-સંચાલકો સામે કડક શબ્દોમાં ચેતવણી ઉચાર્યા પછી સાંજ થતા થતા સ્થિતિ સુધરી રહી હોવાનો દાવો પણ કરાયો હતો.
યુનોના વિવિધ વિભાગો અને ખાસ કરીને વિશ્વ આરોગ્ય સંગઠનના યુદ્ધને લઈને આવેલા નિવેદનોના પડઘા યુએસએ સુધી પડયા હતા, તો યુએઈ તથા ખાડીના દેશો સુધી યુદ્ધ વિરામની અટકળો તેજ બની હતી., તેવામાં ટ્રમ્પે યૂ-ટર્ન લઈને ઈરાન સાથે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી હોવાનું કહીને પાંચ દિવસના આંશિક યુદ્ધ વિરામની એક તરફી જાહેરાત તો કરી દીધી, પરંતુ તેના થોડા કલાકોમાં જ ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદનનું અર્થઘટન પોતાની રીતે કરીને આ ઘોષણાને અમેરિકાની હાર ગણાવી દીધી હતી.
આજે યુદ્ધને ત્રણ અઠવાડિયા પૂરા થવા જઈ રહ્યા છે, અને ચોથુ અઠવાડિયુ શરૂ થવાનું હતું તેવા સમયે જ ટ્રમ્પે શાંતિ માટે એક અઠવાડિયુ વાતચીત ચાલશે તેવો દાવો કરીને ઈરાનના કોઈપણ ઊર્જા ઠેકાણાઓ પર હૂમલો કરવામાં નહીં આવે, તેવી જે ગોળ-ગોળ વાતો કરી, તેને ઈરાને સમર્થન નહીં આપ્યું હોવાથી ગઈકાલથી જ એક પ્રકારની વૈશ્વિક અસમંજસ ઊભી થઈ ગઈ હતી. એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત અખબારે તો મોસાદનું ગણિત સંપૂર્ણપણે નિષ્ફળ પૂરવાર થયું હોવાનું જણાવીને ઈઝરાયલ-અમેરિકાની પાસે પીછે હઠ કરવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો તેવું તારણ રજૂ કર્યું હતુ, તો કેટલાક વિશ્લેષકોએ યોગાનુયોગ ભારતની સંસદમાં પી.એમ. મોદીએ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થીના મુદ્દે જે ઈશારો કર્યો હતો તેને ટાંકીને ભારતની જ ભૂમિકાને વખાણી હતી, જ્યારે કેટલાક વિશ્લેષકોએ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના ભારત સહિત કેટલાક ન્યુટ્રલ મિત્ર દેશોની બેક ડોર સતત વાટાઘાટો તથા મધ્યસ્થીનું આંશિક પરિણામ ગણાવી આ પાંચેક દિવસના યુદ્ધવિરામને કાયમી યુદ્ધ વિરામ અથવા યુદ્ધના અંતની જાહેરાતમાં ફેરવવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. કેટલાક વિશ્લેષકોએ ઈરાનના હોર્મુઝના પ્રતિબંધોના કારણે આખી દુનિયાને થઈ રહેલી અસરોને લઈને અમેરિકા તથા ઈઝરાયલે વ્યૂહાત્મક પીછેહઠ દર્શાવી હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જ્યારે વૈશ્વિક નેતાઓના અવરિતપણે આવી રહેલા વિરોધાભાષી નિવેદનોના કારણે યુદ્ધ વિરામ કે આંશિક યુદ્ધ વિરામ અંગે ગઈકાલે જ આશંકાઓ વ્યક્ત કરી હતી.
હજુ યુદ્ધ વિરામ અને શાંતિ-અશાંતિની ચર્ચાઓ થઈ જ રહી હતી, ત્યાં ગઈકાલે રાત્રે વધુ એક આંચકો આપનારા અહેવાલોએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. કોલંબિયા એરફોર્સનું એક વિમાન ઉડાન ભરતા જ ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં ત્યાંની સેનાના ૧૧૦ જવાનો સવાર હતા. આ દુર્ઘટનામાં થયેલી સંભવિત જાનહાનિ અટકળો વચ્ચે જ્યારે આગની જ્વાળાઓનો વીડિયો વાયરલ થઈ ગયો, ત્યારે અમદાવાદની એ વિમાન દુર્ઘટનાની યાદ તાજી થઈ ગઈ હતી, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મુસાફરોનો જીવ ગયો હતો અને ચમત્કારિક રીતે એક મુસાફરનો જ જીવ બચ્યો હતો, જો કે, કોલંબિયાનું વિમાન સૈન્યનું હતું, જ્યારે અમદાવાદથી પેસેન્જર વિમાને ઉડાન ભરી હતી. બંને દુર્ઘટનાઓમાં કેટલીક સમાનતાઓ પણ છે.
યુદ્ધ, યુદ્ધવિરામ અને શાંતિની પુનઃ સ્થાપનાની વાત કરીએ, તો ટ્રમ્પે ઈરાન સાથે ફળદાયી વાતો કરવાનો દાવો કર્યો, જેને ઈરાને ગણતરીની કલાકોમાં જ ફગાવી દીધો, તે પછી એવું પણ બન્યું, જે ટ્રમ્પ માટે વધુ શરમજનક ગણાય. અમેરિકામાં ઘરઆંગણે જ ટ્રમ્પે "સળગતું" પકડી લીધુ, તેના પર કટાક્ષ કરતા એવી ટકોર થઈ કે અમેરિકાએ તંગદિલી ઓછી કરવી હોય તો, પહેલા ઈઝરાયલને યુદ્ધ કે હૂમલા કરતા પૂરી રીતે અટકાવવું જોઈએ, ટ્રમ્પની જ સરકારમાં આતંકવાદ વિરોધી ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા જોસેફ જો કેન્ટે તો ત્યાં સુધી કહી દીધું કે ટ્રમ્પ જ્યારે જ્યારે શાંતિની પહેલ કરતા નિવેદનો કરે છે, ત્યારે ત્યારે ઈઝરાયલ (ટ્રમ્પને પૂછ્યા-ગાંઠયા વગર) ઈરાન પર હૂમલાઓ કરીને વાટાઘાટો શરૂ જ થવા દેતુ નથી, જેને અટકાવવાની જરૂર છે.
હવે આખી દુનિયા ઈચ્છે છે કે યુદ્ધવિરામ થાય, હોર્મુઝ સ્ટેટ ખૂલી જાય અને ટ્રમ્પને સદ્બુદ્ધિ આપે, નેતન્યાર્હુ નૈતિકતા દાખવે અને ઈરાન પણ ડહાપણ દાખવે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે દુનિયા યુદ્ધોના જ્વાળામુખી પર બેઠી છે અને રશિયા-યુક્રેન, ઈઝરાયલ-ઈરાન-અમેરિકા અને હવે અફઘાનિસ્તાન-પાકિસ્તાન યુદ્ધ વકરતા ક્યાંક ત્રીજા વિશ્વયુદ્ધની બુનિયાદ તો તૈયાર થઈ રહી નથી ને ? તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. આ સંજોગોમાં હવે પ્રત્યેક દેશને પોતાની સુરક્ષાની ચિંતા હોય એ સ્વાભાવિક છે. હવે યુદ્ધના પ્રકારો પણ બદલાવા લાગ્યા છે. પહેલાના જમાનામાં ભૂમિદળો હાથી-ઘોડા-રથ અને તીર-ધનુષ્ય, ભાલા, તલવાર અને ચક્રો જેવા હથિયારોથી યુદ્ધ થતા, તે પછી સમય બદલાતો ગયો,દરિયાઈ માર્ગે તથા આકાશ માર્ગે હૂમલાઓ થવા લાગ્યા, તોપગોળા, દારૂગોળા, મશીનગનો, ટેન્કો અને બોમ્બ વર્ષાથી લઈને પરમાણુ હૂમલા સુધીના ખતરનાક પ્રયોગો પણ થયા.
પહલગામ હૂમલા પછી જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું, ત્યારે ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી, પરંતુ આપણે મીડિયાવોરમાં કદાચ પાછળ રહી ગયા અને પાકિસ્તાન જૂઠ્ઠાણા, ખોટા દાવા અને જૂની તસ્વીરો તથા વીડિયો રજૂ કરીને ભ્રમ ફેલાવવા લાગ્યું હતું તે પછી કદાચ ભારતીય સેનાના જ કોઈ ઉચ્ચ અધિકારીએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે ભારતીય સેનામાં પણ એક એવી અલાયદી મીડિયા બ્રાંચ કે પાંખ હોવી જોઈએ, જે દુશ્મન દેશના ભ્રમ ફેલાવનારા મીડિયા રિપોટર્સને કાઉન્ટર કરી શકે અને વાસ્તવિકતા દુનિયા સમક્ષ ખૂબ જ અસરકારક રીતે પ્રસ્તૂત કરી શકે.
વર્તમાન યુગમાં મોટા યુદ્ધ જહાજો, અદ્યતન યુદ્ધ વિમાનો, સબમરીનો તથા મિસાઈલોની સાથે સાથે નાના નાના હથિયારો, ડ્રોન અને અદ્યતન બોટ્સ તથા માનવરહિત નાના યુદ્ધ વિમાનોનો ભંડાર પણ અત્યંત જરૂરી છે. ઓપરેશન સિંદૂર સમયે પણ પાકિસ્તાને ડ્રોનવર્ષા જ કરી હતી, જે ભારતીય સુરક્ષા પ્રણાલિએ ઈન્ટરસેપ્ટ કરીને આકાશમાં જ નષ્ટ કરી દીધી હતી. ઈરાન પણ અડોશ-પડોશમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો તથા ઈઝરાયલ પર મિસાઈલો અને બોમ્બ વર્ષાની સરખામણીમાં ડ્રોનના હૂમલાઓ વધુ કરી રહ્યું છે અને અબજો રૂપિયાના યુદ્ધ વિમાનોના વિકલ્પે આ સેંકડો ડ્રોન્સ દુશ્મનને હંફાવવામાં ખૂબ જ ઉપયોગી બની રહ્યા હોય, તેવું પણ લાગે છે. જો કે, અદ્યતન યુદ્ધ વિમાનોનો સંપૂર્ણ વિકલ્પ તો ડ્રોન બની જ ન શકે, પરંતુ દુશ્મનની તાકાત તોડવા તથા હફાવવા અને નાના જોખમમાં મોટી સફળતાઓનું કામ તો ડ્રોન્સ કરી જ શકે છે, અને તે હવે સંપૂર્ણપણે પૂરવાર પણ થઈ ચૂકયું છે.
આ કારણે જ તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે પણ યુદ્ધમાં ડ્રોનનું મહત્ત્વ સમજાવ્યું હતું. દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંરક્ષણ ઉદ્યોગ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનને સંબોધતા રાજનાથસિંહે જે કાંઈ કહ્યું હતું તે ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સૂચક હતું, અને યુદ્ધોના બદલતા પ્રકારોની ગવાહી પૂરે તેવુ હતું. રાજનાથસિંંહના આ મંતવ્યોની ઘણી ચર્ચા પણ થઈ રહી છે, ક્યારેકતેઓ જે કાંઈ બોલે છે, તે ઘણું જ ગહન હોય છે.
તેમણે કહ્યું હતું કે ડ્રોનના માળખાનું ઉત્પાદન જ નહીં, પરંતુ ડ્રોનની એરફ્રેમથી લઈને બેટરી, એન્જિન અને સોફટવેર સહિતના તમામ પાર્ટસનું ઉત્પાદન પણ ભારતમાં જ થાય, તેવી આત્મનિર્ભરતા કેળવવી જરૂરી છે. ભારતે ડ્રોનના સંપૂર્ણપણે ભારતમાં જ ઉત્પાદન માટે કોઈ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવી પડશે.
તેમણે કહ્યું કે પ્રવર્તમાન યુદ્ધોમાં ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીના મહત્ત્વને સ્પષ્ટપણે ઉજાગર કર્યું છે. રશિયા-યુક્રેન અને ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધોમાં ડ્રોનના થતા સફળ પ્રયોગો જોતા એ તો સમજી જ શકાય છે કે ભવિષ્યના યુદ્ધોમાં પણ ડ્રોન અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજીની ભૂમિકા વ્યૂહાત્મક અને વ્યાપક રીતે વધતી જ રહેવાની છે.
ટૂંકમાં છેલ્લા એક દાયકાથી વિશ્વમાં થયેલા જુદા જુદા યુદ્ધો તથા પ્રવર્તમાન યુદ્ધો પરથી એટલું તો નક્કી થઈ જ ગયું છે કે ભૂમિદળ, વાયુસેના અને નેવી ઉપરાંત અદ્યતન ટેકનોલોજી તથા બદલતી રણનૈતિક અને કૂટનૈતિક પોલિસી અને પ્લાનીંગમાં મૂળભૂત રિફોર્મ્સ માટે નવી પાંખો ઊભી કરવી પણ જરૂરી છે. ભારતીય સેનામાં જ એ.આઈ., શસ્ત્ર પ્રોડકશન, ડ્રોન ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા સુરક્ષા મીડિયા પાંખ જેવા વિભાગો સક્રિય રીેતે સામેલ હોઈ અને તેમાં પ્રાઈવેટાઈઝેશન કે કોઈનો હસ્તક્ષેપ ન હોય, એટલું જ નહીં, તેને સંપૂર્ણ ઓટોનોમી (સ્વાયત્તતા) અપાય, તે સમયની માંગ છે અને તે કોઈપણ સરકાર હોય, તેની બુનિયાદી પ્રતિબદ્ધતા હોય, તે અત્યંત જરૂરી છે.
ડ્રોનના માળખા જ નહીં, પરંતુ સંપૂર્ણ ડ્રોન અને તેની સુરક્ષા અને સંચાલન પ્રણાલિ પણ પૂર્ણરૂપે ભારતીય હોવી જોઈએ. રાજનાથસિંહે તો ડ્રોન ઉત્પાદન ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટ્સથી લઈને અવકાશી (સ્પેસ) ટેકનોલોજી સુધીનું સંયોજન ભવિષ્યના યુદ્ધોમાં અનિવાર્ય બનનાર હોવાથી આ તમામ ક્ષેત્રે ભારતે હવે સ્વનિર્ભર બનવું જ પડશે.
વર્તમાન યુગમાં તમામ ઉત્પાદનો પર એ.આઈ. તથા રોબોટિક્સ સિસ્ટમોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે જો આપણે પણ મજબૂત બદલાવ તથા પોલિસી નહીં બદલીએ તો સંરક્ષણક્ષેત્રે પાછળ રહી જઈશું, તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણો દેશ કૃષિપ્રધાન ગણાય છે, પરંતુ કૃષિ આધારિત ઉદ્યોગો સહિતના ઔદ્યોગિક એકમો ઝડપભેર વધી રહ્યા છે, અને શહેરો વિસ્તરી રહ્યા છે. મોટા મોટા શહેરોની નજીકના ગામડાઓનું શહેરીકરણ તથા વિલીનીકરણ થઈ રહ્યું છે, તો શહેરો પર વસતિ અને તેની સુવિધાઓ-ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું દબાણ વધી રહ્યું છે. આપણાં શહેરનો હિસ્સો બની ગયા છે. તો ઘણી ગ્રામ પંચાયતો શહેરને સંલગ્ન હોવાથી કેટલુંક વહીવટી તથા સુખ-સુવિધાઓને સંબંધિત સમસ્યાઓ પણ સર્જાતી હોય છે.
ગુજરાતમાં જેમ જેમ ઉદ્યોગો વિકસતા ગયા, તેમ તેમ શહેરીકરણ પણ વધ્યું. વર્ષ-૧૯૮૦ના દાયકામાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મેગા સિટી ગણાતા હતા અને મેટ્રોપોલિટન સિટી બન્યા હતા તે પછી ક્રમશઃ અન્ય શહેરોને પણ મ્યુનિસિપાલિટી અથવા મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો, જેને હવે મહાનગર સેવા સદન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પછી વર્ષ ૨૦૨૫માં પહેલાના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર અને જામનગર મળીને ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનો હતા, તેમાં અન્ય ૯ મહાનગરપાલિકાઓનો ઉમેરો થતા ગુજરાતમાં કુલ ૧૭ મ્યુનિ. કોર્પોરેશનો અથવા મહાનગર સેવા સદનો થયા. આમ, નગરોમાંથી મહાનગરો બનવાનું કારણ મૂળભૂત વસ્તી વધારા કરતા પણ વધુ ગામડાના લોકોનું સ્થળાંતર છે. મોટી સંખ્યામાં ગામડાના લોકો વિવિધ કારણોસર શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે.
સરકારે મોટા શહેરોની આજુ-બાજુના વિસ્તારો માટે અર્બન ડેવલપમેન્ટ પ્લાન અમલી બનાવ્યા છે, જેને આપણે જાડા, ખાડા, વાડા, રાડા વગેરે ટૂંકા નામે ઓળખીએ છીએ. ગુજરાતમાં છેલ્લી વસતિ ગણતરી સમયે શહેરી વસતિ ૪૨ ટકાની આજુબાજુ હતી, જેમાં વર્ષ ૨૦૨૧ પછી અત્યાર સુધીમાં ૮ ટકાનો વધારો થયો છે અને શહેરી વસતિ ૫૦ ટકાને ઓળંગી ગઈ છે, તેથી કહી શકાય કે ગુજરાતના ગામડાઓનું ઝડપભેર શહેરીકરણ થઈ રહ્યું છે, અને જે ગામડા મોટા શહેરોથી દૂર છે, તે ભાંગી રહ્યા છે.
અત્યારે ગામડાઓ તથા શહેરોની વસતિ લગભગ સરખી થઈ ગઈ છે, અને વર્ષ ૨૦૨૭માં ગુજરાતની વસતિ લગભગ ૭.૫ કરોડે પહોંચશે, જેમાં શહેરો તથા ગામડાઓમાં ૩૭ અને ૩૮ ટકાની વચ્ચે વસતિ રહેશે. આનો અર્થ એવો થાય કે ગાંધીજીના ગામડાઓનું ગરવુ ગુજરાત હવે શહેરી સ્ટેટ બનવા જઈ રહ્યું છે. એક અંગ્રેજી અખબારે કાઢેલા તારણો, વસતિ ગણતરી ક્ષેત્રના અનુભવીઓ, તદ્વિષયક તજજ્ઞો અને પ્રવર્તમાન કેટલાક ડેટાની દૃષ્ટિએ એટલુ જરૂર કહી શકાય કે ગુજરાત ઝડપભેર ગામડાઓના ગુજરાતની ઓળખ ગુમાવી રહ્યું છે, અને અર્બન સ્ટેટ તરીકેની નવી પહેચાન પણ બનાવી રહ્યું છે. ગુજરાતમાં વિશ્વ બેંકના એ તારણોને સમર્થન મળી રહ્યું છે, જેમાં કહેવાયુ હતું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં દુનિયાની ૭૦ ટકા જેટલી વસતિ શહેરી વિસ્તારોમાં રહેતી હોવાનો અંદાજ ઉકત વિવિધ પરિબળોના ઊંડા અભ્યાસ પછી કાઢવામાં આવ્યો છે. કદાચ આ કારણે જ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને અગ્રીમ વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય માટે પણ શહેરીકરણને સકારાત્મક બદલાવ ગણાવાઈ રહ્યો છે.
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસના મૂળ બૃહદ મુંબઈ રાજ્ય હતું, ત્યારથી જ ફેલાવા લાગ્યા હતા, પરંતુ કૃષિપ્રધાન રાજ્ય હોવાથી નેશનલ પોલિસીઝ તથા પોલિટિકલ ઈન્ટ્રેસ ગ્રામ્યલક્ષી હતો. ગુજરાત રાજ્યની રચના પછી પણ બે દાયકા વીતી ગયા પછી ધીમે ધીમે વર્ષ ૧૯૯૦ના દાયકાથી ઉદ્યોગો વિકસવા લાગ્યા અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ઉદ્યોગોને પ્રોત્સાહનો આપતી નવી નીતિ પણ બની હતી. તે પછી જેમ જેમ ઔદ્યોગિકરણ વધતુ ગયું તેમ તેમ શહેરીકરણ પણ વધતુ ગયું. હાલારમાં પહેલા મીઠાપુરમાં જાયન્ટ ટાટા કંપની, સિક્કાની દિગ્વિજયગ્રામ સિમેન્ટ ફેકટરી અને દ્વારકાની એ.સી.સી. સિમેન્ટ ફેકટરીઓ જ હતી, પરંતુ તે પછી ક્રમશઃ રિલાયન્સ, એસ્સાર આવ્યા, નયારા બન્યુ, બીજી નાની-મોટી વિવિધ ક્ષેત્રની ઘણી ફેકટરીઓ ધમધમવા લાગી, ફર્ટિલાઈઝર તથા માઈન્સ આધારિત ઉદ્યોગો વિકસ્યા, દિગ્જામ જેવી મીલ ધમધમતી રહી. જામનગરનો બાંધણી ઉદ્યોગ તથા બ્રાસ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો, અને તેના કારણે શહેરોનો વિસ્તાર તથા વસતિ વધવા લાગ્યા. સમયાંતરે દિગ્જામ, એ.સી.સી. જેવા ઉદ્યોગો બંધ થયા, પરંતુ તેની સામે અન્ય મધ્યમ તથા ભારે ઉદ્યોગોનું આગમન થયું, અને આ જ રીતે સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિકરણ તથા શિક્ષણનો વ્યાપ વધતા શહેરીકરણ પણ વધ્યું. આ શહેરીકરણના ફાયદા અને ગેરફાયદા ભલે ગમે તે હોય, પરંતુ વર્તમાન યુગની વાસ્તવિકતા એ જ છે કે હવે શહેરોને વધુ સુદૃઢ, સુવિધાજનક અને ગ્રામ્ય તથા શહેરી સંસ્કૃતિઓનું સંયોજન કરીને વ્યક્તિ વિકાસ, ગ્રામ વિકાસ અને વિસ્તાર વિકાસની દિશામાં વાસ્તવિક તથા નક્કર કદમ ઉઠાવવાનો સમય આવી ગયો છે. કદાચ એટલે જ વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષમાં રાજ્ય સરકારે શહેરી બજેટમાં પણ વધાર્યું અને ૨૦૨૬-૨૭ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું હશે !
આગામી એક દાયકામાં ગુજરાતની ૫૫ ટકા જનસંખ્યા શહેરોમાં વસવાટ કરતી હશે, તેવો અંદાજ છે, જ્યારે સમગ્ર ભારત દેશમાં આગામી એક દાયકા પછી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ૬૦ ટકાથી વધુ વસતિ રહેતી હશે. આમ રાષ્ટ્રીય સરેરાશ સાથે સરખાવીએ, તો ગુજરાતનું ઝડપી શહેરીકરણ થઈ રહ્યું છે, જેના લાભાલાભો અંગે અત્યારે તો માત્ર અટકળો જ કરવી રહી !
આવું થવા પાછળના કારણોમાં અગાઉ વાત થઈ, તે મુજબ, ઔદ્યોગિકરણ અને શિક્ષણનો વ્યાપ વધવા જેવા કારણો તો છે જ, તે ઉપરાંત પણ ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારી, ગુંડાગીરી, શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની કમી, માલેતુજારને મદદરૂપ થાય તેવી નીતિઓ તથા મુખ્ય રાજકીય પક્ષોનું પડદા પાછળનું "ઈલૂ-ઈલૂ" પણ જવાબવાર ગણી શકાય. ટૂંકમાં શહેરીકરણ તથા આધુનિકરણના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.
ગામડાઓને તદ્દન ભાંગવા પણ ન દઈ શકાય અને શહેરોને વિકસતા પણ અટકાવી નહીં શકાય કે વિસ્તરતા પણ અટકાવી શકાય તેમ નથી. તેથી હવે સરકાર અને સમાજે શહેરો ભલે વિકસતા રહે, પરંતુ ગામડાઓને તદૃન ભાંગવા નહીં દેવા માટે સહિયારા અને પડકારરૂપ પ્રયાસો કરવા જ પડશે, અન્યથા આપણે આપણી પ્રાચીન અને બુનિયાદી ગરિમા તથા સંસ્કૃતિ જ ગુમાવી દઈશું...જાગ્યા ત્યારથી સવાર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર આવવાના હતા, પરંતુ હવામાનમાં પલટો આવ્યા પછી તેઓ ઉડાન ભરી શક્યા નહીં, પરંતુ તેઓએ જામનગરના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોમાં વર્ચ્યુલ હાજરી આપી અને ખેડૂત સંમેલન-સંબોધન પણ કર્યું.
યોગાનુયોગ ગઈકાલે જ બપોર પછી ચક્રવાત જેવો તોફાની પવન ફૂંકાયો. આ મિની વાવાઝોડામાં હોર્ડિંગ્સ-બોર્ડ-સોલાર પેનલ્સ તથા ઝુંપડાઓના છાપરાઓ જેવી ચીજવસ્તુઓ ઉડવા લાગી. ઘણાં વૃક્ષો અને થાંભલાઓ પડી ગયા, માલ-મિલકતને ઘણું નુકસાન થયું, અને સૌથી વધુ નુકસાન આ વંટોળિયાની સાથે થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીવાડીને થયું. હજુ સવારે જ મુખ્યમંત્રીએ ખેડૂતોને કરેલા સંબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિલક્ષી નીતિ તથા ખેડૂતલક્ષી યોજનાઓની વાતો કરી હતી. હવે તે જ દિવસે આવેલી આ કુદરતી આફતના કારણે થયેલા વ્યાપક નુકસાન બદલ રાજ્ય સરકાર ખેડૂતોને રાહત આપે અને નવું રાહત પેકેજ જાહેર કરે તેવી અપેક્ષાઓ ખેડૂતો રાખી જ રહ્યા હશે. હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની પડખે ઊભી હોવાનો હંમેશાં દાવો કરતી રાજ્ય અને કેન્દ્ર સરકાર આ કુદરતી આફત પછી કેટલી ઝડપથી ખેડૂતોને સહાયભૂત થવાનું જાહેર કરે છે તે...
સામાન્ય રીતે નેતાઓ વાયદાઓ કરવામાં અને જાહેરાતો કરવામાં હંમેશાં પાવરધા હોય છે અને મીઠી-મધુરી ભાષામાં નવા નવા વચનો આપતા રહેતા હોય છે. પરંતુ પછી થી બધું ભૂલી જવાનું હોય છે. જો કે, ઘણાં નેતાઓ એવા પણ હોય છે, તેઓ વાયદાઓ કે વચનો આપવાના બદલે ડાયરેકટ એકશન લેતા હોય છે, અને વાસ્તવમાં લોકોના દુઃખમાં સહભાગી થતા હોય છે.
ઘણાં નેતાઓ જ કહે છે, તે અવશ્ય કરતા હોવાનો દાવો કરતા હોય છે અને કદાચ ઘણાં નેતાઓ પોતાના વચનો-વાયદાઓ કે લોકોને આપેલા આત્મવિશ્વાસ મુજબના કદમ ઉઠાવીને પોતાનું બોલેલું યથાર્થ ઠેરવતા હશે, પરંતુ જેઓ જનતાને સંપૂર્ણ સમર્પિત હોય છે, જનતાની સમસ્યાઓને સમજતા હોય છે, અને લોકોની મુશ્કેલીઓને ઓળખી શકતા હોય છે, તેઓને બોલવાની, વચનો આપવાની કે વાયદાઓ કરવાની જરૂર જ પડતી હોતી નથી, કારણ કે તેઓ સીધા જનલક્ષી તથા જરૂરી કદમ તત્કાળ એન સમયોચિત ઢબે ઉઠાવી જ લેતા હોય છે.
કોઈપણ કુદરતી આફત આવે, ત્યારે ખેડૂતો તથા અન્ય લોકોને હાલાકી ભોગવવી પડે અને નુકસાન થાય, તેવા સમયે તેઓને તત્કાળ સાંત્વના અને આશ્વાસનોની સાથે સાથે તત્કાળ કોઈપણ પ્રકારની મદદ કે સધિયારાની જરૂર હોય છે, અને તેવી મદદ ઝડપભેર મળી જાય તો જગતનો તાત તે કાયમી ધોરણે યાદ રાખતો હોય છે, પરંતુ ગઈકાલે આવી તેવી કે તેથી વધુ હાનિકર્તા આફતો આવ્યા પછી મોટી મોટી જાહેરાતો થાય, પરંતુ તેના સર્વે કરાવવા, ફોર્મ ભરાવવા અને લાંબી લાંબી પ્રક્રિયા કરવામાં આવે, તે પછી પણ જો નુકસાનીના પ્રમાણમાં નહીંવત જ રાહત મળે તો ખેડૂતોમાં તથા અન્ય પીડિતોમાં પણ સ્વાભાવિક રીતે જ અસંતોષ રહેતો હોય છે.
ઘણી વખત કોઈ કુદરતી આફત પછી રાહત પેકેજ જાહેર થાય, અને તેના સંદર્ભે સર્વેક્ષણ અને અન્ય પ્રક્રિયા એટલી લાંબી ચાલે કે ત્યાં સુધીમાં બીજી કુદરતી આફત વરસી પડી હોય, તેવા સમયે પીડિતોને બેવડો માર પડતો હોય છે. આવું ઘણી વખત થયું પણ છે. જો કે, કેટલાક રાહત પેકેજો સમયોચિત અને ન્યાયસંગત રીતે ચૂકવાતા હોય છે, પરંતુ મોટા ભાગે તેવું થતું હોતું નથી.
જામનગરમાં તો ૫૦થી વધુ વૃક્ષો પડી ગયા તથા વીજલાઈનના ટાવરો પડી જતા કેટલોક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જામનગરની જેમ જ રાજ્યભરમાંથી વિવિધ ક્ષેત્રે થયેલા વ્યાપક તથા લોકોને પહેલી હાલાકીના અહેવાલો ઘણાંજ અકળાવનારા તથા સાર્વત્રિક અને ચિંતાજનક પણ છે.
આ પ્રકારની કુદરતી આફતો પછી ખેતી તથા ખેડૂતોને થતા નુકસાન પછી તેઓને મદદરૂપ થવા સમયસર અને સંતોષકારક રાહત પેકેજ તો જાહેર થવા જ જોઈએ, પરંતુ તેની સાથે સાથે આ જ કારણે પશુપાલકો, નાના વ્યાવસાયિકો, ખેત મજૂરો કે ખેતીવાડીને સંલગ્ન કામ-ધંધા તથા પેઈડ સેવાઓને થયેલા નુકસાન પછી તેવા અત્યંત જરૂરતમંદ લોકોને પણ કોઈને કોઈ પ્રકારે રાહત મળી રહે અને પુનઃ સ્થાપનમાં મદદ મળી રહે, તેવા રાહત પેકેજો પણ જાહેર થવા જોઈએ, કારણ કે, કુદરતી આફતો પછી જિંદગીની ગાડી પુનઃ પાટે ચડાવવા અને વ્યવસાય-ધંધામાં ટકી રહેવા એ કમનસીબ લોકોને પણ ઘણો જ સંઘર્ષ કરવો પડતો હોય છે.
કુદરતી આફતો અને તેના કારણે થયેલા નુકસાનને રાજનીતિનો વિષય બનાવવાના બદલે શાસકપક્ષ અને વિપક્ષો સાથે મળીને પીડિતો તથા જરૂરતમંદોને મદદરૂપ થાય અને રાજધર્મનું પાલન કરે તે પણ અત્યંત જરૂરી છે, પરંતુ વિપક્ષો દ્વારા થતી સારી રજૂઆતોને રાજનીતિ ગણાવીને તેની વગોવણી કરવી યોગ્ય નથી, તેવી જ રીતે સરકારે ઉઠાવેલા યોગ્ય કદમથી ખરેખર લોકોને રાહત પહોંચી હોય, છતાં માત્ર નકારાત્મક ઢબે ટીકા કરવી એ પણ યોગ્ય નથી. કુદરતી આફતો હોય કે આગ-અકસ્માત-દુર્ઘટનાઓ હોય, પીડિત જનતાની પડખે ઊભા રહેવાની ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની પવિત્ર ફરજ છે અને તેમાં કોઈ જનતા પર ઉપકાર કરતું નથી, તે પણ સમજી લેવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર મહાનગરપાલિકા, હાલારની તાલુકા-જિલ્લા પંચાયતો તથા ઘણી નગરપાલિકાઓની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, અને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગઈકાલે આમઆદમી પાર્ટીએ નગારે ઘા ગજવી દીધો છે. અને એક પત્રકાર પરિષદમાં ગુજરાતની તમામ ૧૨ હજાર જેટલી (સ્થાનિક સ્વરાજ્યની) બેઠકો પર આમઆદમી પાર્ટી પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે, તેવી ઘોષણા કરી દીધી છે. આ કારણે આ વખતે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે તાલુકા-જિલ્લા પંચાયતો અને પાલિકા-મહાપાલિકાઓમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે, તે લગભગ નક્કી થઈ ગયું છે.
પ્રેસ કોન્ફરન્સમાં જાહેર થયેલી આમઆદમી પાર્ટીની ચૂંટણીની વ્યૂહરચના, રણનીતિ, ચૂંટણી સમિતિઓની રચના, સેન્સ પ્રક્રિયા, ઉમેદવારોની પસંદગી અને પ્રચાર-પ્રસાર વ્યવસ્થા તથા એકજૂથ થઈને ચૂંટણી પૂરી તાકાતથી લડવાની તત્પરતા સાથેની વિસ્તૃત માહિતી અપાઈ, ત્યારે એવું જણાતું હતું કે આ વખતે આમઆદમી પાર્ટી ફ્રન્ટફૂટ પરથી ચૂંટણી લડશે અને ગુજરાતમાં ભાજપનો મજબૂત વિકલ્પ બનીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઝળહળતો વિજય મેળવવા માટે પૂરી તાકાત લગાડી દેશે, તેવા સંકેતો પણ પ્રેસ કોન્ફરન્સમાં આમઆદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓની બોડી લેન્ગવેજ પરથી વર્તાઈ રહ્યા હતા.
જો કે, આ પ્રેસ કોન્ફરન્સમાં આમઆદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓએ ઉમરેઠ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આમઆદમી પાર્ટીની રણનીતિના પત્તા ખોલ્યા નહીં, અને રાષ્ટ્રીય નેતાઓ સાથે પરામર્શ પછી નિર્ણય લેવાશે, તેવી જે વાત કરી તે ઘણી જ સૂચક છે.
ગુજરાતની રણનીતિને જાણતા કેટલાક વિશ્લેષકો હજુ પણ આમઆદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને મહાત આપવા માટે જિલ્લાવાર અલગ-અલગ રણનીતિ અખત્યાર કરશે, તેવા અભિપ્રાયો આપી રહ્યા છે, પરંતુ મોટા ભાગે રાજકીય પંડિતો એવું માની રહ્યા છે કે શરાબ કૌભાંડમાં રાઉઝ એવન્યૂ કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા પછી અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદીયા જેવા નેતાઓ બમણાં જોરથી ગુજરાતમાં પ્રચાર કરશે અને હાઈકોર્ટમાં થયેલી અપીલમાં કોઈ વિપરીત સ્થિતિ ઊભી નહીં થાય, તો આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી જ એકલા હાથે ફતેહ હાંસલ કરીને રાષ્ટ્રીય તથા પ્રાદેશિક કક્ષાએ પોતાની સ્થિતિ અત્યંત મજબૂત કરવાની રણનીતિ આમઆદમી પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ જરૂર અપનાવશે અને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સામે સંયુક્ત રીતે લડશે, તેવા સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે.
આ વખતે રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એ.પી. સેન્ટર આમઆદમી પાર્ટી માટે સૌરાષ્ટ્ર બનશે અને તેમાં પણ હાલારની અગ્રિમ ભૂમિકા હશે, કારણ કે આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી ખંભાળીયાના વતની છે, જ્યારે આમઆદમી પાર્ટીના બે ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે, તથા તે પૈકી હેમંતભાઈ ખવા જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્ય તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપનાર વિક્રમભાઈ માડમની કર્મભૂમિ પણ ખંભાળીયા અને જામનગર છે, તો જામનગર કોગ્રેસ દ્વારા તાજેતરમાં જમ્બો ટીમ જાહેર કરાઈ છે, જેમાં ૧૧ ઉપપ્રમુખો, ૯ મહામંત્રી અને ૨૪ મંત્રીઓ નિમાયા છે. દ્વારકા જિલ્લામાં પણ વિક્રમભાઈ માડમની ટીમ છે. તેથી ત્રિપાંખીયો જંગ ખેલાય તો પણ કોંગ્રેસ પણ પૂરી તાકાતથી ચૂંટણી લડશે અને ફાઈટ આપશે, તે સ્પષ્ટ છે. જામનગર શહેરમાં પણ દિગુભા જાડેજાની ટીમ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહી છે, જેને કોંગ્રેસના સ્થાનિક અને પ્રાદેશિક કક્ષાના નેતાઓનો સક્રિય ટેકો રહેશે, તે સ્વાભાવિક છે.
જો કે, પ્રવર્તમાન સમયમાં જ્યાં જ્યાં વહીવટદારો નિમાયા છે, તે મોટા ભાગની જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન હતું. જામનગરમાં શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની ટીમ તો મહાનગરપાલિકાની ચૂંટણી માટે સક્રિય છે જ, પરંતુ સંસદ સભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પૂર્વ હોદ્દેદારોની ટીમ તથા વ્યાપક કાર્યકર્તાઓની સંગઠન શક્તિ સાથે ભાજપ પણ પોતાનો દબદબો જાળવવા એડીચોટીનું જોર લગાવશે, તે પણ સ્વાભાવિક છે. તે ઉપરાંત રાજ્ય અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકારોનો પરોક્ષ ફાયદો પણ ભાજપને મળવાનો છે. હાલાર અને સૌરાષ્ટ્રમાં ભાજપના ઘણાં દિગ્ગજો છે, જે કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને ટક્કર આપવા અને વિજયનો વાવટો દોહરાવવા અત્યારથી જ રણનીતિ ઘડી રહ્યા છે.
ભાજપનું શાસન જ્યાં જ્યાં હતું, ત્યાં ત્યાં થયેલા વિકાસ અને લોકલક્ષી યોજનાઓમાં પ્રજાને સંતોષ હશે, તો તેનો ફાયદો પણ ભાજપને મળશે, પરંતુ તેવી જ રીતે જો એન્ટી ઈન્કમ્બન્સી વધુ વ્યાપી ગઈ હશે, તો તેનો ઝટકો પણ ભાજપને લાગી શકે છે, આવું થાય તો તેનો સીધો અને વધુ ફાયદો આમઆદમી પાર્ટીને થશે કે પછી કોંગ્રેસને થશે તે અંગેની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.
જામનગરની વાત કરીએ તો નગરની વર્ષો જૂની અનેક સમસ્યાઓ જેમની તેમ છે, અને જાયન્ટ કરપ્શનના આરોપો વિપક્ષો લગાવી રહ્યા છે, તે ઉપરાંત માળખાકીય સુવિધાઓ સરકારી કામકાજ તથા સુખ-સુવિધાઓના મુદ્દે ઘણાં સ્થળે લોકોમાં જોરદાર નારાજગી હોવાથી તેનો ફાયદો આપ અને કોંગ્રેસને મતોના સ્વરૂપમાં મળી શકે છે. તેનાથી વિપરીત જ્યાં જ્યાં લોકોને શાસકોથી સંતોષ હશે, અથવા નારાજગી વ્યાપક નહીં હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાન સમયે પણ સ્થાનિકના બદલે રાષ્ટ્રીય નેતૃત્વ પ્રત્યેનો લગાવ અસર કરશે તો ભાજપને ફાયદો થશે. જો કે, તેનાથી ઉલટુ રાજ્ય કે કેન્દ્ર સરરાર પ્રત્યેની એન્ટી ઈન્કમ્બન્સી ભાજપને રાજકીય નુકસાન પણ પહોંચાડી શકે છે, તેથી જામનગર મહાનગરપાલિકા અંગે અત્યારથી અનુમાન કરવું વહેલું ગણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર મહાનગરપાલિકાએ કેટલાક લોકો વેરો નહીં ભરતા હોવાથી જે તે આખા વિસ્તારનો પાણી પૂરવઠો બંધ કરવાની જાહેરાત કરી તેની સામે ઉહાપોહ ઉઠ્યો હતો. ઘણી સોસાયટીઓમાં વર્ષોથી રહેતા નાગરિકો પહેલેથી જ તદ્દન નિયમિતપણે પાણીવેરા સહિતનો તમામ કરવેરો જામનગર મહાનગરપાલિકાને ચૂકવતા આવ્યા છે, અને તે પૈકી ઘણાં લોકો એવા છે કે જેઓની પાસે જામનગર મહાનગરપાલિકાના પાણીના જોડાણ સિવાય પાણીનો બીજો સોર્સ કે બોર-કૂવો પણ નથી, તેવા લોકોની સ્થિતિ કેવી કફોડી થશે, તેનો જરા પણ વિચાર કર્યા વિનાનો કથિત નિર્ણય તત્કાળ ફેરવવો જ પડે તેમ હતો, કારણ કે આ પ્રકારની અન્યાયી તથા અણઘડ જાહેરાત મૂળમાંથી જ ખોટી ગણાય.
ઘણાં લોકો વીજળી બીલ નથી ભરતા તો વીજ કંપનીવાળા બીલ નહીં ભરનારનું જ કનેકશન કાપે, અને તે પછી નિયમાનુસાર દંડ ભરાવે, રિકનેકશન ચાર્જ ભરાવે અને બાકી બીલ વસુલે તે પછી જે-તે ગ્રાહકોનો વીજ પુરવઠો ચાલુ કરે. આ પ્રક્રિયા બીલ નહીં ભરનારને વ્યક્તિગત અસર કરે છે, તેના બદલે જે વિસ્તારમાં કેટલાક લોકોએ વીજ બીલ ન ભર્યું હોય, તો તે આખા વિસ્તારને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે તો શું થાય ?
નિયમિત પણે વેરાઓ ભરનારાઓનો પાણી પુરવઠો એક દિવસ માટે પણ કોઈપણ કારણ વિના મનસ્વીપણે બંધ કરવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંત તથા દેશના બંધારણે નાગરિકોને આપેલા મુળભૂત અધિકારોનો પણ ભંગ છે, તેથી આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય કે તે અમલમાં મૂકાયો હોય, કે પછી તે પ્રકારનો ડર દેખાડાઈ રહ્યો હોય, તો તે કાનૂની દૃષ્ટિએ પણ યોગ્ય ઠેરવી નહીં શકાય. આ અંગે મુખ્યમંત્રી સુધી રજૂઆત થશે તેવા સંકેતો મળતા તંત્રો દોડતા થયા છે.
બીજી તરફ નાગરિકોની પણ ફરજ છે કે તમામ કરવેરા નિયમિત ભરવા જોઈએ. જો કરવેરા નહીં ભરીએ, તો વિવિધ સેવા-સુવિધાઓનો પણ હક્ક રહેશે નહીં. અને સુકા સાથે લીલું બળે, તેમ નિયમિત કરવેરાઓ ભરનારાઓને પણ વગર વાંકે મુશ્કેલી ભોગવવી પડે. આથી બાકીદારોએ તત્કાળ વેરો ભરવો જોઈએ, અને તંત્રોએ પણ આખા વિસ્તારના વાલ્વ બંધ કરીને પાણી પુરવઠો અટકાવવાના બદલે નોટીસો અપાઈ હોય, તેવા મકાનોના જ નળ જોડાણો કાપવા જોઈએ.
દૃષ્ટાંત તરીકે હાલારમાં વીજ વિભાગની વર્તુળ કચેરી દ્વારા મેગા-ડીસ કનેકશન ડ્રાઈવ ચાલી રહી છે, અને વીજળીના કરોડો રૂપિયાની વસુલાત માટે ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ કવાયતમાં બંને જિલ્લાની ત્રણ ડઝન જેટલી કચેરીઓની સાડા ત્રણસોથી વધુ ટીમો કામે લાગી હતી. આ ટીમો બાકીદારોના વીજ કનેકશનો કાપીને નિયમાનુસાર કડક કાર્યવાહી પણ કરી રહી છે, પરંતુ આ કાર્યવાહી માત્ર બાકીદારો સામે જ વ્યક્તિગત રીતે કરવામાં આવે છે. જો વીજ કંપની પણ જામ્યુકોના તંત્ર જેવી જ મુર્ખામી કરે, તો અંધારપટ્ટ જ સર્જાઈ જાય ને ?
જામ્યુકોનો આ અંગે ઉહાપોહ ઉઠયા પછી ના છૂટકે પરોઠના પગલા ભરવા પડે અને પછી પાણી પુરવઠો તત્કાળ ચાલુ કરવો પડે તેવા સંજોગોમાં હકીકતે બાકીદારો હોય, તેઓ પણ તેનો ગેરલાભ ઉઠાવે, તે પહેલા જ જરૂરી ચોખવટ કે સુધારો કરીને નિયમિત કરવેરા ભરતા કોઈપણ નાગરિકનો પાણી પુરવઠો એકાદ દિવસ પૂરતો પણ અટકાવાય નહીં તેેની કાળજી જરૂરી હતી.મુખ્યમંત્રી સ્વયં આ અંગે તંત્રને નિર્દેશો આપશે, તેવી આશા નગરજનોને પણ છે. જ્યાં સુધી નિયમિત બીલ ભરનારાઓ તથા નિયમિત કરવેરા ભરનારાઓને તકલીફ નહીં પડે કે હેરાન નહીં થવુ પડે, ત્યાં સુધી ઠીક છે, અન્યથા આ પ્રકારે સત્તાના દુરૂપયોગ સામે તો અદાલતોના દ્વારા પણ હંમેશાં ખૂલ્લા જ રહેતા હોય છે, તે ભૂલવું ન જોઈએ.
આ મુદ્દે જનતાની દુભાવેલી ભાવનાને વાચા આપવા "નોબત" દ્વારા તા. ૧૬ માર્ચે ચોથા પાને પ્રજાને "પડતા પર પાટુ" જેવી સ્થિતિમાં થોડો સમય પાણી પુરવઠો બંધ નહીં કરવાની પણ અપીલ તંત્રોને કરાઈ હતી, તેમ છતાં તે જ દિવસે આ જાહેરાત થઈ અને બીજા દિવસે અમલ સાથે તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થયો તેથી નિયમિત કરવેરા ભરતા પ્રામાણિક નાગરિકોનું દિલ દુભાયુ છે, તેથી આ પ્રકારનો મનસ્વી નિર્ણય માત્ર મોકુફ રાખ્યે કે પાછો ખેંચ્યે નહીં ચાલે, પરંતુ તંત્રવાહકોએ આ બદલે જનતાની માફી પણ માંગવી જોઈએ, ખાસ કરીને પ્રામાણિક કરદાતાઓની માફી માંગવી જોઈએ, તેમ નથી લાગતું ?
જ્યાં સુધી આ પ્રકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તામાં હતા, ત્યાં સુધી આટલા કડક પગલાં બહુ લેવાયા નહીં, અને હવે વેરા વસુલાતની કડક ઝુંબેશો ચાલી રહી છે, તે આગામી ચૂંટણીમાં પણ પડઘાશે અને નિયમિત અને પ્રામાણિક રીતે કરવેરા ભરતા નગરજનોમાં નારાજગી હશે, તો તે પણ રિફલેકટ થશે, તે પણ હકીકત છે. તે ઉપરાંત જિલ્લા અદાલત કે હાઈકોર્ટમાં સુઓમોટો સુનાવણી પણ થઈ શકે છે તેથી ભવિષ્યમાં આ પ્રકારના નિર્ણયો લેતા પહેલા તકેદારી રખાશે તેમ ઈચ્છીએ.
ટૂંકમાં પાણી પુરવઠો (સેનિટેશન) વીજળી પુરવઠો જેવી જીવન જરૂરી સેવાઓ અચાનક અને સામૂહિક રીતે આખા વિસ્તારો માટે નિયમિત વેરા કે બીલો ભરનારાઓને પણ દંડાવુ પડે તેવી રીતે બંધ કરવી તે અન્યાયકર્તા અને અમાનવિય હરકત ગણાય. વેરા નહીં ભરતા લોકોને જરૂરી નોટીસો આપી દીધા પછી તેના વ્યક્તિગત જોડાણો કાપવાનો તંત્રને અધિકાર હશે, પરંતુ આખે આખી સોસાયટીઓ, ટાઉનશીપો કે વિસ્તારોનો પાણી પુરવઠો અટકાવવો એ જરાયે ન્યાયસંગત નથી. આ અંગે વહીવટદાર અને મ્યુનિ. કમિશનર ચોખવટ કરશે અને તંત્રમાં ટોપ-ટુ-બોટમ યોગય સૂચનાઓ અપાશે તેવું ઈચ્છીએ. અત્યારે તો આ વિવાદાસ્પદ પ્રક્રિયા સ્થગિત કરાઈ હોવાથી ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતીમાં એક વાર્તા ઘણી જ પ્રચલીત છે, જેને તળપદી ભાષામાં વર્ણવાઈ છે. "મોટાઈનો ડંડિકો" નામની આ વાર્તા વિશ્વકક્ષાના ઘણાં ધૂરંધરોથી લઈને વિવિધ ક્ષેત્રના માંધાતોને પણ ટકોર કરે છે. આ માર્મિક વાર્તા આમ તો બાળવાર્તા જેવી જ લાગે, પરંતુ તેનો મર્મ અને હાર્દ ઘણું જ ગહન અને મંથનયોગ્ય છે. તદ્દન સાદી-સીધી અને સરળ ભાષામાં વર્ણવાયેલી આ વાર્તા આજે વૈશ્વિક અશાંતિના વમળોમાં ફસાયેલા કેટલાક દિગ્ગજોને આબેહૂબ લાગુ પડે છે. ખાસ કરીને, પોતાની એક ચોક્કસ મજબૂત ઈમેજ બનાવનારી મહાશક્તિશાળી શખ્સયિતોને આ વાર્તા એકદમ ફીટ બેસી જાય તેવી છે.
આ વાર્તા સસલાઓની મિટિંગમાં રાજા નક્કી કરકવાનો પ્રસ્તાવ પસાર થાય, ત્યાંથી શરૂ થાય છે, એક જંગલમાં સસલાઓએ મિટિંગ યોજી અને સસલાઓનો મુખિયા (રાજા) નક્કી કરવા માટે પ્રસ્તાવ મૂક્યો, આ સમયે એક તંદુરસ્ત અને દૃઢ ગણાતા સસલાએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો, અને સસલા સમાજે તેને રાજા તરીકે નિયુક્ત કરીને ઊંચા સ્થાને બેસાડયો. તે પછી આ રાજા બનેલુ સસલુ ખૂબ રાજી થયું અને સસલા સમાજને સમાજજોગુ સંબોધન કર્યું, પરંતુ સભા બરખાસ્ત થાય, તે પહેલા એક બુદ્ધિશાળી સસલાએ એક કવેરી કાઢી અને સમસ્યા રજૂ કરી.
એ બુદ્ધિશાળી સસલાની વાત તો બધાને ગળે ઊતરી ગઈ અને સમસ્યા ૧૦૦ ટકા સાચી પણ લાગી, તેથી સમગ્ર સસલા સમાજ આ સમસ્યાનો હલ શોધવા "ચિંતન" કરવા લાગ્યો. ચર્ચા-પરામર્શ, વિચાર-વિમર્શ અને અભિપ્રાયોની આપ-લે થયા પછી સમસ્યાનો ઉપાય સ્વીકૃત થયો અને તેનો અમલ પણ થયો.
કવેરી અથવા સમસ્યા એ હતી કે તમામ સસલાઓ સરખા દેખાતા હોવાથી જે સસલુ રાજા બન્યુ છે, તેને ઓળખવું કેમ ?...તેનો ઉપાય એ નીકળ્યો કે એ સસલાના પૂંછડે ડંડિકો (લાકડીનો ટૂકડો) મજબૂત બાંધી દેવો..જેથી તે રાજા છે, તેવી ઓળખ થઈ શકે.
રાજા બનેલુ સસલુ પણ ખૂબ ખુશ હતું, અને રાજાના મૂગટ સમાન પૂંછડે બાંધેલો ડંડિકો ઊંચો રાખીને ફરવા લાગ્યું.
એક વખત સસલા સમાજની એક સમિતિ હિંસક પ્રાણીઓથી પોતાની સોસાયટી (સમાજ)ને બચાવવાના ઉપાયો માટે ભેગી મળી હતી, ત્યારે જ સિંહની ગર્જના અને વાઘની ત્રાડ સંભળાઈ. બધા સસલા ભાગવા લાગ્યા અને સસલા રાજા પણ ભાગ્યા, બીજા સસલાઓ ઝડપથી ભાગવા લાગ્યા પરંતુ, ડંડિકાના ભારના કારણે સસલા રાજા બહુ ઝડપથી દોડી શકતા નહોતા, પરંતુ પૂરા પ્રયાસો કરીને જીવ બચાવવાના ફાંફા મારી રહ્યા હતા. ભાગતા ભાગતા પૂંછડે બાંધેલો ડંડિકો બે ઝાડી-ઝાંખરા વચ્ચે એવો ફસાયો કે ઘણું જોર કરવા છતાં સસલુ ભાગી શક્યું નહીં, અને જંગલી પ્રાણીનું શિકાર થઈ ગયું.
આ ગુજરાતી વાર્તા અત્યારે કેટલાક દિગ્ગજોને આબેહૂબ લાગુ પડે છે. અત્યારે સમગ્ર વિશ્વમાં યુદ્ધનો માહોલ છે. વર્ષોથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ તથા ઈઝરાયલ-ઈરાન-અમેરિકા વચ્ચેના પ્રવર્તમાન યુદ્ધ વચ્ચે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ સૈન્ય સંઘર્ષ થઈ રહ્યો છે, તથા એરસ્ટ્રાઈક તથા સરહદી હૂમલાઓ થઈ રહ્યા છે. બીજી તરફ દુનિયાના દેશો ઉર્જા સંકટ, મોંઘવારી અને બેરોજગારીના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે. શહેરની શેરીઓથી લઈને રાજધાની ના રાજમાર્ગો સુધી લોકો ગેસના બાટલા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિના માસ્ટર માઈન્ડ તરીકે દુનિયાના દેશો ડોનાલ્ડ ટ્રમ્પને આગળ કરી રહ્યા છે, જેઓ વર્તમાન ઘટનાક્રમના સર્જક પણ છે, અને ઉત્તેજક પણ છે.
પ્રવર્તમાન સ્થિતિમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે, તેમાં વાસ્તવિક યુદ્ધો કરતાંયે વધુ તેનું વ્યાપક અને આભાસી ચિત્ર રજૂ કરવાનું સમાંતર મીડિયાવોરની મોટી ભૂમિકા છે. એવું કહેવાય છે કે યુદ્ધમાં દુશ્મન દેશને વ્યાપક નુકસાન અને પોતાને નહીંવત નુકસાન બતાવવા માટે સોશ્યલ મીડિયાનો વ્યાપકપણે દુરૂપયોગ થઈ રહ્યો છે, તો સંચાર, ઈન્ટરનેટ અને પ્રેસ મીડિયાના માધ્યમોથી મોટા મોટા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે ફેક ન્યુઝ તથા પ્રોપાગન્ડા ફેલાવવા માટે એ.આઈ.નો દુરૂપયોગ કરીને જુઠ્ઠા વીડિયો અને પ્રેઝન્ટેશન બતાવાઈ રહ્યા છે અને વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે સસલાના પૂંછડે ડંડિકો બાંધ્યો હોય તેવી જ હાલત અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ થઈ ગઈ હોય, તેમ જણાય છે.
દુનિયામાં માત્ર અમેરિકા જ શક્તિમાન દેશ છે અને ટ્રમ્પ જ બુદ્ધિશાળી વૈશ્વિક નેતા છે, તેવા સ્વયં ભ્રમમાં રહેતા ટ્રમ્પના ટેરિફાતંક પછી હવે ઈરાન સાથે યુદ્ધ કરીને સર્વસત્તાધિશ બનવાના અભરખાના કારણે ટ્રમ્પ દુનિયાના નીતિ-નિયમો તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓ-સમજૂતિઓનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, પરંતુ ઈરાને નમતુ નહીં જોખ્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનથી મૂક્ત અને સુરક્ષિત કરવા માટે અમેરિકાને યુરોપીય દેશો, નાટો અને કેટલાક મિત્ર દેશોનો સહયોગ નહીં મળતા ટ્રમ્પે નાટો દેશોને ધમકી આપી દીધી હતી.
ટૂંકમાં,ટ્રમ્પની સ્થિતિ અત્યારે પૂંછડે ડંડિકો બાંધેલા સસલા રાજા જેવી છે, અને આવી જ સ્થિતિ પોતાને સર્વશક્તિશાળી અને સમર્થ માનતા અન્ય ઘમંડી વૈશ્વિક નેતાઓ માટે બોધપાઠરૂપ પણ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આખી દુનિયાને ટેરિફના મુદ્દે ગોટાળે ચડાવ્યા પછી ટ્રમ્પે દુનિયાને રણભૂમિમાં બદલી નાખી છે અને હોર્મુઝના માર્ગે દરિયાઈ પરિવહન મોટાભાગે બંધ કરાવીને ઈરાને જાણે આખી દુનિયાનું ગળુ દબાવી દીધુ હોય તેમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રૂડના ભાવ વધ્યા અને પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પુરવઠો ખોરવાયો, તેમાં પણ રાંધણગેસની તંગીના કારણે ભારતમાં ડબલ એન્જિનની સરકારો ફિક્સમાં મૂકાઈ ગઈ હોય તેમ જણાય છે.
આ અજંપાભર્યા વૈશ્વિક માહોલની વચ્ચે ભારતી ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોની વિધાનસભાઓની જનરલ ચૂંટણી જાહેર કરી દેતા હવે ચૂંટણી જંગ જામશે, અને દેશભરમાં રાજકીય માહોલ ગરમાશે. પાંચમાંથી ચાર રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે, જ્યારે પ. બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત કેટલીક પેટા ચૂંટણી થશે, જેમાં ગુજરાતના ઉમરેઠના ધારાસભ્યનું નિધન થતા ખાલી પડેલી વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી પણ સામેલ છે. આ કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની નોબત વાગે, તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે અને અત્યારથી ત્રણેય રાજકીય પક્ષો ચોગઠાં ગોઠવવા લાગ્યા છે.
આ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં તો વિપક્ષની સરકારો છે, તમિલનાડૂ, કેરળમ્ અને પ. બંગાળમાં વિપક્ષોની રાજય સરકારો છે, જ્યારે આસામમાં ભાજપની તથા પુડ્ડુચેરીમાં ભાજપ સમર્થિત ભારતીય આર.એન. કોંગ્રેસની સત્તા છે. જો કે, ભાજપ પ. બંગાળમાં મમતા બેનર્જીનો લોકતાંત્રિક માર્ગે તખ્તાપલટ કરીને ભાજપની સકરાર રચવાના સપના સેવી રહ્યું છે, તો કોંગ્રેસને પણ આ વખતે મમતા બેનર્જીની એન્ટી ઈન્કમ્બન્સીનો ફાયદો મળે તો પ્રબળ જનાદેશની આશા છે. સૌથી વધુ રસપ્રદ ચૂંટણી પણ પ.બંગાળમાં જ થવા જઈ રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે.
આ વખતે રસપ્રદ બાબત એ પણ છે કે આજે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી રહ્યા હતા, તે જ ચીફ ઈલેકશન કમિશનર જ્ઞાનેશકુમારને હટાવવા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કાર્યવાહી આદરી છે. જ્ઞાનેશકુમારે પણ સંકેતોમાં ચેતવણી પણ આપી જ દીધી છે કે ચૂંટણીપંચ બંધારણીય સંસ્થા છે, જે બંધારણની જોગવાઈઓ મુજબ જ ચૂંટણીઓ કરાવે છે, તેથી રાજકીય હિંસા કે મતદારોને લલચાવવાની કોઈ પણ હરકત ચલાવી લેવાશે નહીં, મતલબ કે પ.બંગાળમાં ચૂંટણીપંચ અને રાજય સરકાર માટે પણ પડકારો રહેવાના છે, એટલું જ નહીં, ચૂંટણીપંચની બુઠી તલવાર પણ રાજકીય રીતે મમતા બેનર્જીને ભારે પડી શકે છે.
પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓની સાથે સાથે ૬ રાજ્યોની આઠ વિધાનસભાની ખાલી બેઠકોની પણ પેટા ચૂંટણી છે, જેમાં ગુજરાતની ઉમરેઠ બેઠક ઉપરાંત કર્ણાટક, ગોવા, નાગાલેન્ડ, મહારાષ્ટ્ર અને ત્રિપુરામાં પણ પેટા ચૂંટણી હોવાથી આ ચૂંટણીઓમાં તમામ મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ઉપરાંત જે તે રાજયોના પ્રાદેશિક રાજકીય પક્ષો પણ પૂરી તાકાતથી ચૂંટણી જંગમાં ઝંપલાવશે, તેથી કોઈ પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે રાજકીય પક્ષો માટે આ વખતે ચૂંટણીઓ જીતવી એટલી સરળ જણાતી નથી, અને પ્રારંભિક ઓપિનિયન પોલ્સનો સીલસીલો પણ ચૂંટણીની તારીખો જાહેર થતા જ શરૂ થઈ ગયો છે.
હજુ તો ગઈકાલે ચૂંટણીપંચે ચૂંટણીની તારીખો જાહેર જ કરી હતી, અને આચાર સંહિતા લાગુ થઈ રહી હોવાથી તંત્રો પણ છેલ્લી ઘડીના કામકાજ અને વહીવટ સમેટી રહ્યા છે, ત્યાં જ પ્રારંભિક ઓપિનિયન પોલના તારણો પણ રજૂ થવા લાગ્યા હતા અને એક ઓપિનિયન પોલે તો પં.બંગાળમાં મમતા બેનર્જી તરફી પરિણામોની શક્યતા પણ જણાવી દીધી હતી. જો કે, ટીએમસીને ૪૩ થી ૪૫ ટકા અને ભાજપને ૧૦૦ થી ૧૧૫ બેઠકો મળવાની શક્યતા સાથે તૃણમુલ કોંગ્રેસને ભાજપ જબ્બર ટક્કર આપશે, તેમ જણાવીને રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસને ૧૩ થી ૧૫ ટકા મતો સાથે માત્ર ૫ થી ૬ બેઠકોની જ સંભાવના જણાવી હતી, જો કે, આ તદ્દન પ્રારંભિક સર્વેક્ષણ છે. કેરળના એક ઓપિનિયન પોલમાં ૧૪૦ બેઠકો પર કોંગ્રેસના ગઠબંધન અને ડાબેરીઓના ગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર દર્શાવાઈ છે, હવે ચૂંટણી પ્રચારની જમાવટ થાય અને ઉમેદવારો જાહેર થાય, તથા ભાજપ, કોંગ્રેસ, પ્રાદેશિક પક્ષો, તૃણમુલ કોંગ્રેસ, ડાબેરીઓ ઉપરાંત અન્ય પક્ષો પણ કયાં, કેટલા અને કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારે છે, તેના પર બધો મદાર રહેવાનો છે. અત્યારે તો બધા પક્ષો માટે સીધા ચઢાણ જેવું છે અને સ્થિતિ ભરેલા નાળિયેર જેવી છે, તેવું કહી શકાય.
આસામમાં ભાજપ તરફી ઝોકનું અનુમાન કરતા કેટલાક વિશ્લેષકો તમિલનાડૂમાં પણ ઉલટફેરની આશા રાખી રહ્યા છે. જો કે, કેરળમાં સામ્યવાદીઓ સામે કોંગ્રેસના નેતૃત્વવાળુ ગઠબંધન આ વખતે ફાવી જાય, તો નવાઈ જેવું નહીં હોય, જો કે, પુડ્ડુચેરીને લઈને હજુ કોઈ અવધારણા કે ચોક્કસ અંદાજ થઈ રહ્યો નથી, જોઈએ...હવે ચૂંટણી જંગ જામ્યા પછી કેવા કેવા પલટા આવે છે તે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અત્યારે દેશભરમાં રાંધણગેસની અછતના મુદ્દે ઉહાપોહ છે અને સરકાર "સબ સલામત"ની વાતો જ દોહરાવી રહી છે, પરંતુ ઠેર-ઠેર જોવા મળતા દૃશ્યો કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ગેસના બાટલાનું બુકિંગ ઓટોમેટિક સિસ્ટમથી જ થાય છે, તેથી ગેસ એજન્સીઓની ઓફિસોમાં બુકીંગ થઈ શકતુ નથી, અને ઓટોમેટિક સિસ્ટમમાં ટેકનિકલ ક્ષતિઓ-સર્વર ડાઉન કે પછી અન્ય કોઈ કારણે બુકીંગમાં વિલંબ થાય કે બુકીંગ થાય જ નહીં, તેવા સંજોગોમાં લોકો (કસ્ટમર્સ) ગેસ એજન્સીઓની ઓફિસે પહોંચી જતા હોય છે, અને ત્યાં પણ માત્ર લાચારીભર્યા ગોળ ગોળ જવાબો મળતા હોવાથી લોકોમાં નારાજગી વધી રહી છે. બીજી તરફ આ અસંતોષ ક્યાંક એટલી એન્ટી ઈન્કમ્બન્સી ઊભી ન કરી દ્યે, કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અણધાર્યો ફટકો પડે, તેવી ચિંતા કદાચ ભાજપના અંતરંગ સ્થાનિક વર્તુળોથી માંડીને પ્રદેશ કક્ષા સુધી ફેલાઈ ગઈ હોય, તેવા સંકેતો પણ મળી રહ્યા છે. આ કારણે જ જિલ્લા તંત્રો દ્વારા સતત "સબ સલામત" ની જાહેરાતો કરાવીને તથા જિલ્લા કક્ષાએ સમીક્ષા બેઠકોનો સીલસીલો ચાલ્યા પછી હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ મુદ્દે ખાસ બેઠક બોલાવવી પડી હશે, તેવો વ્યંગ પણ વિપક્ષી સમર્થકોના વર્તુળોમાં વ્યક્ત થઈ રહ્યો છે.
બીજી તરફ શાસક પક્ષમાં પણ આ મુદ્દે ગુપસુપ અને અટકળો તથા આશંકાઓ શરૂ થઈ ગઈ હોવાનું ચર્ચાય છે. આ સ્થિતિમાં પોલિટિકલ ડેમેજ કંટ્રોલ માટે બોલાવાઈ હોય કે પછી સંકટના સમયમાં પ્રજાની પડખે ઊભા રહેવાનો રાજધર્મ નિભાવવા આ બેઠક બોલાવાઈ હોય, તો પણ કહી શકાય કે દેર આયે....દૂરસ્ત આયે.!!
ગઈકાલે એવા એહવાલો આવ્યા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેે બેઠક બોલાવીને રાજ્યમાં ગેસનો પુરવઠો, ઈંધણ એટલેકે પેટ્રોલ, ડીઝલ, ઓઈલ વગેરેની સ્થિતિ, વિતરણ વ્યવસ્થા તથા કાળાબજાર વગેરે તમામા પાસાઓની ચર્ચા વિચારણા અને સમીક્ષા કરી હતી. આ બેઠક દરમ્યાન રાજયભરના તંત્રોને કેન્દ્રની ગાઈડલાઈનનું કડક પાલન કરવા સૂચવવા તથા લોંગ ટર્મ પ્લાનીંગનું ચૂસ્ત અમલીકરણ કરવાના નિર્દેશો પણ અપાયા. આ પ્રકારની બેઠક બોલાવાઈ, રાજ્યભરમાંથી માહિતી મેળવાઈ અને કેટલાક નક્કર આયોજનો તથા નિર્દેશો અપાયા હોય તો તેમાંથી જ ફલિત થાય છે કે રાજયમાં રાંધણગેસના પુરવઠાની સ્થિતિ ઠીક નથી અને ઈંધણના પુરવઠા અંગે પણ દ્વિધા પ્રવર્તે છે. આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ પડઘાયો હતો.
જો કે, સરકારે સંકટના સમયે પ્રજાની પડખે ઊભુ રહેવું જ જોઈએ, અને આ પ્રકારની સમીક્ષા કરવી તથા આવશ્યક તમામ કદમ ઉઠાવવા, એ સરકારનો રાજધર્મ છે, અને ભૂપેન્દ્રભાઈએ તંત્રને ઢંઢોળ્યું હોય તો તે સમયની માંગ પણ હતી અને સરકારનું કર્તવ્ય પણ હતું, પરંતુ આ પ્રકારની તકેદારી જો ઈરાન સંકટ વધારે વકરી રહ્યું હતું, ત્યારે જ રખાઈ હોત અને લોકોને ગભરાટમાં બિનજરૂરી રીતે ઈંધણ અને ગેસ માટે પડાપડી કરવી પડે, તેવી સ્થિતિ જ સર્જાવા દીધી ન હોત તો કદાચ "રાજધર્મ" યોગ્ય રીતે બજાવ્યો હોવાની છાપ ઊભી થાત. હજુ પણ ઘોડા છૂટી જાય, તે પહેલા તબેલાને તાળા મારવાની તૈયારી તંત્રો અને સરકારે કરી, તે સારૂ છે, અન્યથા કોઈ અનિચ્છનિય અને વિસ્ફોટક ગંભીર સ્થિતિ ઊભી થતા વાર લાગી ના હોત...દેર આયે દૂરસ્ત આયે...
કેન્દ્રીય સ્તરે પણ ભારે અસમંજસ અને દ્વિધા પ્રવર્તી રહી છે. સાંસદ તો જાણે રાજનીતિનો અખાડો બની ગઈ હોય, તેમ રોજીંદી નારેબાજી અને શાસકપક્ષની બહુમતીના જોરે બીલો-પ્રસ્તાવોની બહાલીના નાટકો ભજવાઈ રહ્યા છે. હકીકતે ગેસના બાટલા માટે દર દર ભટકતા લોકોની હાડમારીને "સબ સલામત"ની બૂમરેંગમાં દબાવી દેવાની ગૂપ્ત રણનીતિમાં ક્યાંક ને ક્યાંક જાણતા કે અજાણતા પણ વિપક્ષો પણ સહભાગી બની રહ્યા હોય તેમ જણાય છે, અત્યારે વૈશ્વિક સંકટની ઘડીમાં શાસન પીછેહટ કરે, તે પણ યોગ્ય નથી અને તેનો ગેરલાભ ઉઠાવાય, તો તે પણ યોગ્ય નથી.
એક તરફ રાંધણગેસની અછત અથવા સરકારના દાવા મુજબ પૂરતો પુરવઠો હોવા છતાં અછતની અફવા ફેલાતા પહેલા દરરોજ લગભગ ૫૫ લાખની આજુબાજુ ગેસના બાટલાના બુકીંગ થતા હતા, જે હવે દરરોજ ૭૫ લાખને વટાવી ગયા છે. બીજી તરફ સરકાર લોકોને ગભરાટમાં આવીને ગેસના સિલિન્ડરનું જરૂરિયાતથી વધુ બુકીંગ ન કરાવે, તેવી અપીલ કરી રહી છે. ઘણાં લોકો એવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે જો બધું જ બરાબર હોય અને માર્કેટમાં રાંધણગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોય તો સરકારે હોટલ-રેસ્ટોરન્ટોને કોલસો, કેરોસીન વગેરે દેશી પદ્ધતિઓની છૂટ કેમ આપવી પડી ? બે બાટલા વચ્ચે બુકીંગનો સમયગાળો અવાર નવાર કેમ વધારવો પડ્યો ? તેવા સવાલોના જવાબો મળશે ખરા ?
આ તરફ ઈરાનના રાજદૂતે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને ભારતના કેટલાક તેલવાહક જહાજો હોર્મુઝ પાર કરવાની ઈરાનને મંજુરી આપી હોવાના અહેવાલો સકારાત્મક જણાય છે, તો ઈરાનના કેટલાક નેતાઓ પર અમેરિકાએ કરોડોના ઈનામની જાહેરાત કર્યા પછી એવું જણાય છે કે આ યુદ્ધે મહાસત્તાને પડકારી છે અને ત્રણેય દેશોને હવે આ યુદ્ધ મોંઘુ પડી રહ્યું હોવા છતાં કોઈ નમતુ જોખવા તૈયાર નથી.
એલપીજી અછતના કારણે હાલારમાં પણ હાલાકી છે. જામનગર જિલ્લા પુરવઠા તંત્ર સુધી નગરમાં ગેસના બાટલાના બુકીંગમાં પડતી મુશ્કેલીની ફરિયાદો પહોંચી છે, તો દ્વારકામાં પણ રાંધણગેસ તથા કોમર્શિયલ ગેસનું બુકીંગ કરતા સર્વરો ડાઉન થઈ ગયા, અને એક અઠવાડિયાથી કોમર્શિયલ ગેસની સપ્લાય જ ખોરવાઈ જતા કાળાબજારી વધી છે, તો ઘણાં પરિવારોના મંગલ પ્રસંગો પણ ખોરવાઈ ગયા હોવાની રાવ ઉઠી છે. આ સ્થિતિમાં ખોટી માહિતી અપાય, કે જનતાને ભ્રમમાં રખાય તે પણ ખોટું છે અને રાષ્ટ્રીય કટોકટીના સમયમાં અફવાઓ ફેલાવાય તે પણ ખોટું છે....સબ કો સન્મતિ દે ભગવાન...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો