Advertisement
Author: નોબત સમાચાર

હપ્તો નહીં ભર્યો હોય તો લોન પર લીધેલા મોબાઈલ ફોન કે લેપટોપ થઈ જશે 'લોક'

ઈએમઆઈ ડિફોલ્ટર્સ આરબીઆઈનો સકંજો

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૭: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈએમઆઈ ડિફોલ્ટર્સ પર સકંજો કસવા કેટલાક નવા નિયમો બનાવ્યા છે.

આરબીઆઈ દ્વારા ઈએમઆઈ ડિફોલ્ટર્સ માટે નવા નિયમો જાહેર થયા છે. હવે ૬૦ દિવસથી વધુ હપ્તો મોડો ભરનાર ગ્રાહકોના સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપને બેંક કે ફાઈનાન્સ કંપની લોક કરી શકશે. ૧ જાન્યુઆરી ૨૦૨૭ થી લાગુ થનારા આ નિયમો મુજબ, ૩૦ દિવસ સુધી કોઈ લોકિંગ નહીં થાય અને ૬૦ દિવસ પછી જ સંપૂર્ણ લોકિંગ શક્ય બનશે. ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે, અને અંગત ડેટા સુરક્ષિત રહેશે.

હપ્તા (ઈએમઆઈ) પર સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપ ખરીદનારા ગ્રાહકો માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ લોન રિકવરી અને ડિવાઈસ લોકિંગ અંગે નવા સુધારેલા નિયમો મુજબ હપ્તો ભરવામાં પ્રસ્તાવિત ૯૦ દિવસની મર્યાદામાં ફેરફાર કરીને હવે ૬૦ દિવસ કરતાં વધુ વિલંબ થાય તો જ બેંક કે ફાઈનાન્સ કંપની ડિવાઈસને સંપૂર્ણપણે લોક કરી શકશે. તેવી જોગવાઈ થઈ છે.

આરબીઆઈના આ નવા નિયમો ૧ જાન્યુઆરી ૨૦૨૭ થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકો પોતાની બાકી રકમ વસૂલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેનાથી ગ્રાહકોને બિનજરૂરી રીતે હેરાન કે આર્થિક રીતે લાચાર બનાવી શકાય નહીં.

૩૦ દિવસ સુધી કોઈ ત્વરિત લોકિંગ નહીં: માત્ર એક ઈએમઆઈ ચુકી જવા પર બેંક તરત જ ડિવાઈસ લોક કરી શકશે નહીં. લોન ખાતું ઓછામાં ઓછું ૩૦ દિવસ ઓવરડ્યુ રહે તે પછી જ ઔપચારિક નોટિસ મોકલીને આગળની પ્રક્રિયા શરૂ કરી શકાશે. ૩૦ થી ૬૦ દિવસના વિલંબ પર બેંક ડિવાઈસ પર તબક્કાવાર મર્યાદિત પ્રતિબંધો લગાવી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન આઉટગોઇંગ કોલ બંધ કરી શકાશે નહીં. ૬૦ દિવસથી વધુ સમય સુધી હપ્તો ન ભરાય તો જ કોન્ટ્રાક્ટ મુજબ ડિવાઈસને સંપૂર્ણપણે લોક કરી શકાશે.

ફોન લોક થયા પછી પણ બેંકો ઈનકમિંગ કોલ, એસએમએસ, એસઓએસ, ઈમરજન્સી કમ્યુનિકેશન અને રોજગાર-કામકાજ સાથે જોડાયેલી સુવિધાઓ બંધ કરી શકશે નહીં.

ડિવાઈસ લોક કરતી વખતે બેંક કે ફાઈનાન્સ કંપની ગ્રાહકના પર્સનલ કોન્ટેક્ટ્સ, કોલ લોગ્સ, ફોટો, લોકેશન હિસ્ટ્રી કે પ્રાઈવેટ મેસેજ જેવો કોઈ પણ અંગત ડેટા એક્સેસ કરી શકશે નહીં.

ગ્રાહક બાકી રકમ ચૂકવે તેના ૧ કલાકની અંદર ડિવાઈસ અનલોક કરવું પડશે. જો અનલોક કરવામાં વિલંબ થશે, તો બેંકે ગ્રાહકને પ્રતિ કલાક ૨૫૦ લેખે વળતર ચૂકવવું પડશે.

આ નિયમ ફક્ત એ જ સ્માર્ટફોન કે લેપટોપ પર લાગુ થશે જે લોન પર ખરીદવામાં આવ્યો હોય. પર્સનલ કે કન્ઝ્યુમર લોનના ડિફોલ્ટ પર ગ્રાહકના બીજા પર્સનલ ફોનને લોક કરી શકાશે નહીં.

આ સિવાય, આરબીઆઈ એ રિકવરી એજન્ટ્સ માટે વેબસાઈટ પર વ્યક્તિગત વિગતો જાહેર કરવાની શરતમાં પણ ફેરફાર કરીને ધિરાણ આપતી સંસ્થાઓને મોટી રાહત આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh