Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયામાં યોજાયો સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ

પ્રભારીમંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામખંભાળિયા તા. ૨૯: જામખંભાળિયામાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા મહાસંકલ્પ સાથે શરૂ થયેલું અને *કોઈ ના રહે પાછળ, વિદ્યા વધારે આગળ* સંકલ્પને ચરિતાર્થ કરતું અભિયાન એટલે સમરસ વિદ્યા સેતુ અભિયાન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણના મુખ્યપ્રવાહમાં પુનઃ પ્રવેશને એક સામાજિક જવાબદારી ગણાવી પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, શિક્ષણ એટલે માત્ર ભણવું જ નહીં પરંતુ વ્યક્તિના જીવન ઘડતરનું પણ કાર્ય શિક્ષણ દ્વારા થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવની સફળતાથી એક કદમ આગળ વધી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ડ્રોપ આઉટ થયેલા તેમજ કોઈપણ કારણોસર શિક્ષણથી વંચિત રહેલા બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવવા માટે સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ તકે વધુમાં પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું કે, સમરસ વિદ્યા સેતુ અભિયાનમાં શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ પ્રવેશ ઉપરાંત બાળકોને પ્રાથમિકથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી અભ્યાસ કરે તેવો ઉમદા હેતુ છે. સામાજિક રૂઢિઓ, આર્થિક તેમજ સામાજિક કારણોસર કોઈપણ બાળક એમાં પણ ખાસ દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તેની હરહંમેશ ચિંતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ અભિયાનને સફળ બનાવવા માટે જે શિક્ષકોએ અથાક પરિશ્રમ કર્યો છે બાળકોને પુનઃ પ્રવેશ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતા કરી છે તે તમામને હું શુભકામનાઓ પાઠવું છું.

વધુમાં પ્રભારી મંત્રીએ કહૃાું કે, રાજ્યનો દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે તેવા સંકલ્પ સાથે સમરસ વિદ્યા સેતુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન સાથે સાથે જનભાગીદારીને વધુ સશક્ત બનાવી તેમજ શાળાની એસ.એમ.સી સમિતિ મારફત છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણ માટે જનજાગૃતિ પ્રસરે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. ઉપરાંત, ખાસ કરીને સ્થળાંતર કરીને એક સ્થાને થી બીજા સ્થાને જતા પરિવારના બાળકો ખાસ શિક્ષણથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી લેવી જોઈએ.

આ તકે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા જણાવ્યું કે, જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે આજના સાંપ્રત સમયમાં શિક્ષણથી વિમુખ રહેવું અશક્ય છે. શિક્ષણએ વ્યક્તિત્વ વિકાસની સાથે સાથે સંસ્કારોના સિંચન કરવાનું પણ મહત્ત્વનું માધ્યમ છે. રાજ્ય સરકાર દ્વારા કોઈપણ બાળક શિક્ષણ અધવચ્ચે છોડી દીધું હોય તેવા બાળકો શિક્ષણથી વંચિત ન રહે માટે શરૂ કરવામાં આવેલ સમરસ વિદ્યા સેતુ અભિયાન બાળકોને ઉમદા ભવિષ્યની નવી દિશા આપશે. તેમજ આ અભિયાનમાં સહયોગ આપી બાળકોને શિક્ષણની મુખ્યપ્રવાહમાં જોડાવવા માટે સૌ વાલીઓને અનુરોધ કર્યો હતો.

સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા થયેલ કામગીરી અંગે વિગતો આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટે જણાવ્યું હતું કે, શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માટે શરૂ થયેલ આ અભિયાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર રાજેશ તન્નાની પ્રેરણાથી ઉત્કૃષ્ટ કામગીરી થયેલ છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી તથા પ્રાથમિક શિક્ષણાધિકારી સિવાય જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા નોંધપાત્ર પ્રયાસ થકી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સફળતા મળી છે. જેમાં શાળાના આચાર્યો તથા શિક્ષકો દ્વારા શાળામાંથી અધવચ્ચે અભ્યાસ છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમના વાલીઓ સાથે સંપર્ક કરી પુનઃ પ્રવેશ માટે કામગીરી કરવામાં આવી છે. વિગતે જોઈએ તો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪,૬૩૩ બાળકો પુનઃ પ્રવેશ મેળવ્યો છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે શાળામાં પુનઃ પ્રવેશ મેળવેલા બાળકો માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શાળાના શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ પુનઃ પ્રવેશ મેળવેલા બે વિધાર્થિનીઓ દ્વારા પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત યોજાયેલ કાર્યકમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા (વર્ચ્યુઅલ માધ્યમથી), કલેકટર રાજેશ તન્ના, પ્રાંત અધિકારી સંધ્યાબેન હેરમા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર.જાડેજા સહિત શિક્ષકો, બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહૃાા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh