Advertisement
Author: નોબત સમાચાર

ઉપલેટા-ધોરાજી પંથકમાં ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપઃ સતત આફ્ટર શોકથી ગભરાટ

રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં બાર કલાકમાં ૯ જેટલા હળવા આંચકા અનુભવાયાઃ કોઈ જાનહાનિના અહેવાલ નથી

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૯: ગઈકાલની સાંજથી આજે વહેલી સવાર સુધીના બારેક કલાકમાં રાજકોટ અને અમરેલી જિલ્લાઓના વિવિધ સ્થળે કુલ નવ જેટા ભૂકંપના આંચકા અનુભવાયા, જે પૈકી આજે સવારે ઉપલેટા-ધોરાજી પંથકમાં ૩.૮ ના આંચકા પછી પાંચ-છ આફ્ટર શોક જુદા જુદા સમયે અને સ્થળે અનુભવાતા ગભરાટ ફેલાયો હતો, જો કે જાનહાનિના કોઈ અહેવાલો નથી.

રાજકોટ જિલ્લાના ઉપલેટા-ધોરાજી પંથકમાં વહેલી સવારે ૩.૮ ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુક્સાનના અહેવાલ નથી.

મળતી માહિતી અનુસાર ધોરાજી અને ઉપલેટામાં આજે વહેલી સવારે ૩.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી ર૮ કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેટલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.

નોંધનીય છે કે, આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્રુજી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે (આઠમી જાન્યુઆરી) રાત્રે ૮-૪૪ વાગ્યે ૩.૩ ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો, જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે ૬-૧૯ અને ૬-પ૮ વાગ્યે ૩.૮ ની તીવ્રતાનો અનુભવાયો હતો, જ્યારે ધોરાજીમાં ૭-૦૧ વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતાં. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગિરના ગ્રામ્ય વિસ્તારના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી, અનીડા સહિતના ગામોમાં ૫ણ ગઈકાલે સાંજના ૭:૧૬ મિનિટે ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ અંગે સિસ્મોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા પણ ભૂકંપના આંચકાની પુષ્ટી આપી હતી. આ ભૂકંપ અમરેલીથી ૪૧ કિલોમીટર દૂર હોવા અંગેની વિગતો ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે આપી હતી.

 આ અગાઉ પણ ખાંભા પંથકમાં ગીર કાંઠાના વિસ્તારોમાં અનેક વખત ભૂકંપના આંચકો આવતા હોય જેને લઈ ગાંધીનગરથી ખાસ ટીમ આ પંથકમાં દોડી આવી હતી. ત્યારે કાલે ફરી વખત ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આમ, રાજકોટ અને અમરેલી જિલ્લામાં બાર કલાકમાં ૯ જેટલા હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે.

મામલતદાર કચેરીઓમાં બેઠક

હળવા આંચકા ચિંતાજનક નથી, પરંતુ સાવચેતી ખાતર શાળાઓમાં રજા

રાજકોટ તા.૯: રાજકોટના ઉપલેટા-ધોરાજી તથા અમરેલીના ગીરપંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા પછી સંબંધિત મામલતદાર કચેરીઓમાં સમીક્ષા બેઠક યોજાઈ રહી છે, અને સાવચેતી માટે કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ છે. જો કે તંત્રના જણાવ્યા મુજબ આ હળવા આંચકા ચિંતાજનક નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh