Advertisement
Author: નોબત સમાચાર

મેઘપર પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢાનું બાઈકની ઠોકરે ચઢ્યા પછી મૃત્યુઃ ખુંટીયો આડો ઉતરતા બાઈકચાલક મોતને શરણ

વનાણા નજીક મોટરની ટક્કરથી બાઈકચાલકનું મૃત્યુઃ જુવાનપર પાસે અકસ્માતમાં એકને ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામજોધપુર તાલુકાના વનાણા ગામથી ઈશ્વરીયા ગામ વચ્ચે એક બાઈકચાલકને મોટરે ઠોકર મારી દેતા ઘવાયેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર ગામ પાસે રોડ ક્રોસ કરતા એક પ્રૌઢાને બુલેટ મોટરસાયકલે ટક્કર મારતા આ પ્રૌઢાનું મૃત્યુ થયું છે. કલ્યાણપુરના જુવાનપર પાટીયા પાસે ટ્રેક્ટરને ટ્રકે હડફેટે લેતાં ટ્રક્ટરચાલકને ઈજા થઈ છે તેમજ ત્રણ સપ્તાહ પૂર્વે ખંભાળિયાના કુવાડીયા પાટીયા પાસે બાઈક આડે ખુંટીયો ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મૃત્યુ થયું છે.

જામજોધપુર તાલુકાના કોઠા વિરડીનેસમાં વસવાટ કરતા રાજાભાઈ નામના યુવાન અને નાથાભાઈ મંગળવારે સાંજે પાંચેક વાગ્યે મોટરસાયકલ પર વનાણા ગામથી ઈશ્વરીયા ગામ તરફ જવાના રસ્તા પર પુલ નજીકથી પસાર થતાં હતા ત્યારે જીજે-૧૧-એબી ૪૩૪૦ નંબરની એક મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી.

આ મોટરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી રાજાભાઈના મોટરસાયકલને હડફેટે લેતા રોડ પર ફેંકાઈ ગયેલા રાજાભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે નાથાભાઈને પણ ઈજા થઈ હતી. અકસ્માત સર્જી મોટરચાલક નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા રાજાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. કોઠા વિરડીનેસવાળા દેવસુરભાઈ એભાભાઈ ગઢવીએ શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા જોગવડ ગામના પાટીયા નજીક રાણીશીપમાં વસવાટ કરતા જેઠીબેન ભલાભાઈ ફફલ (ઉ.વ.પર) નામના મહિલા મંગળવારે સાંજે સાડા પાંચેક વાગ્યે મેઘપર ગામ પાસેથી ચાલીને જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ એક બુલેટ મોટરસાયકલે તેઓને ઠોકર મારી દીધી હતી.

આ અકસ્માતમાં આ મહિલાનો ડાભો હાથ તથા ડાભો પગ ભાંગી ગયા હતા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પુત્ર બકુલભાઈ ભલાભાઈ ફફલે બુલેટ મોટરસાયકલના ચાલક સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપર ગામના મનસુખભાઈ નકુમ નામના યુવાન મંગળવારની રાત્રે એકાદ વાગ્યે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર લઈને હાબરડી પાટીયાથી જુવાનપર આવવા નીકળ્યા ત્યારે જુવાનપરના પાટીયા પાસે આરજે-૧-જીબી ૫૨૮૭ નંબરના ટ્રકે ટક્કર મારી દેતા ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું અને ટ્રોલી છૂટી પડી ગઈ હતી. આ અકસ્માતમાં મનસુખભાઈને ઈજા થઈ છે.

ખંભાળિયા તાલુકાના શક્તિનગરમાં પાંચ વાડી પાસે રહેતા રવજીભાઈ વસરામભાઈ નકુમ (ઉ.વ.પર) નામના પ્રૌઢ ગઈ તા.૫ની સાંજે કુવાડીયા પાટીયા પાસેથી જીજે-૧૦-એજી ૮૪૨૦ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે રોડ પર એક ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો.

તેની સાથે બાઈક ટકરાઈ પડતું અટકાવવામાં રવજીભાઈ બાઈક સાથે જ ડિવાઈડર સાથે ટકરાઈ પડ્યા હતા. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા રવજીભાઈને સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. તેમના પુત્ર મેહુલભાઈએ પોલીસને જાણ કરી છે.

ખંભાળીયા ધોરી માર્ગ ૫ર સતત અકસ્માતોઃ

અગિયાર વખત રક્તરંજીત બન્યો ખંભાળીયા ધોરીમાર્ગખંભાળીયામાં હાઈવે તથા શહેરમાં અત્યાર સુધીમાં અગિયાર જેટલા વ્યક્તિઓના આવી રીતે રસ્તા પર રખડતા પશુઓ, ખુંટીયાઓને કારણે અકસ્માતમાં મૃત્યુ નિપજ્યા છતાં પણ નગરપાલિકાનું તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરિટી જાગતું નથી તથા રખડતા પશુઓ અંગે કોઈ કાર્યવાહી થતી નથી કે નગરપાલિકા પાસે ઢોરવાડો કે રખડતા પશુને રાખવાની જગ્યા નથી. કોઈ આવો મૃત્યુનો બનાવ બને ત્યારે તંત્ર થોડું જાગે પાછા 'જૈસે થે' તેવી સ્થિતિ રહે છે. ગત્ મહિને જ ધરમપુરમાં સતવારા તરૂણનું ખુંટીયાની ઠોકરથી મૃત્યુ નિપજ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh