Advertisement
Author: નોબત સમાચાર

ડેન્ટલ કોલેજના ડીનને આરોપી કેમ ન બનાવાયા ? કોર્ટનો સવાલઃ ત્રણ ફોજદારને ખુલાસો રજૂ કરવા આદેશ

રૂ।. ૧ કરોડ ૩૬ લાખના કૌભાંડમાં નવો વળાંકઃ આવતા સોમવારે વધુ સુનાવણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરની ડેન્ટલ કોલેજના સ્ટાફના પગાર તથા રોગીઓની સારવારના ખર્ચ માટે રોગી કલ્યાણ સમિતિ દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી રૂ।. ૧ કરોડ ૩૬ લાખ ૧૯૩૫૦ની સહી ડેન્ટલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી કરી રહેલા કર્મચારીએ પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યાના ચોંકાવનારા પ્રકરણમાં આ આરોપીએ કરેલી જામીન અરજી પછી આ કેસમાં નવા વળાંક આવી રહ્યા છે. અદાલતે આ પ્રકરણમાં ડેન્ટલ કોલેજના ડીનને કેમ આરોપી ન બનાવાયા તેમ પૂછી ત્રણ પો.સ.ઈ.નો ખુલાસો માંગ્યો છે અને ખુલાસો રજૂ ન થાય તો ગૃહ અને આરોગ્ય વિભાગના સચિવને રિપોર્ટ કરવાની ચીમકી આપી છે.

જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં થયેલા રૂ. ૧,૩૬,૧૯,૩૫૦ ના સરકારી ફંડના ઉચાપત કેસમાં જામનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ દ્વારા એક અત્યંત કડક અને ઐતિહાસિક હુકમ પસાર કરાયો છે. આ કેસમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓ (પી.એસ.આઇ. એસ.જી. કેશવાલા, આર.કે. ખલીફા અને આર.બી. ઠાકોર) દ્વારા મુખ્ય સાઇનિંગ ઓથોરિટી અને કોલેજના ડીન નયનાબેન પટેલને આરોપી ન બનાવવા અંગે કોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું છે કે, પોલીસ અધિકારીઓ પર કોઈ ઉચ્ચ અધિકારીઓનું દબાણ હોવાની અથવા વ્યક્તિગત ફાયદા માટે ડીનને બચાવવામાં આવી રહૃાા હોવાની પ્રબળ શંકા છે.

 આ ગંભીર બેદરકારી બદલ કોર્ટે ત્રણેય તપાસ અધિકારીઓને આગામી ૨૭ જુલાઈના દિને રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ કર્યો છે, અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો ગાંધીનગરના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના સચિવને કડક કાર્યવાહી માટે લેખિત રિપોર્ટ કરવાની સ્પષ્ટ ચીમકી આપી છે.

કૌભાંડની કાર્યપ્રણાલી અને દસ્તાવેજી પુરાવાઓ તપાસતા કોર્ટે નોંધ્યું છે કે, તારીખ ૧૮/૧૧/૨૦૨૫ થી ૦૨/૦૪/૨૦૨૬ ના ૬ મહિનાના સમય દરમિયાન કુલ ૧૫ ચેકો દ્વારા લાખો રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે માત્ર બે ચેકમાં જ ચેડાં થયા હોવાનું જણાયું છે, જ્યારે બાકીના ૧૩ ચેક પર ડીનની અસલ સહીઓ છે અને તેમાં કોઈ સુધારા-વધારા કે છેકછાક નથી. કોર્ટે ડીનના એ બચાવને પણ સદંતર ફગાવી દીધો છે કે તેમણે કોરા ચેક પર સહી કરી હતી; કારણ કે કોઈપણ સરકારી ડી.ડી.ઓ. વેન્ડરના પાકા બિલ મંજૂર થયા વિના અને આર.ટી.જી.એસ. તથા 'પ્રોમિસ ટુ પે' ફોર્મની સંપૂર્ણ ચકાસણી કર્યા વિના ક્યારેય સહી કરતા નથી.

 વધુમાં, આરોપી શોભિત ગર્ગે ૧૯/૦૫/૨૦૨૬ ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકને આપેલી અરજીમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે તેણે માત્ર ડીનની સૂચનાથી અને તેમણે સહી કરીને આપેલા ચેકો જ પોતાના અને અન્ય ખાતામાં જમા કરાવ્યા હતા, જે દર્શાવે છે કે ડીનની સીધી સંડોવણી વિના આટલું મોટું સરકારી ફંડ સગેવગે કરવું બિલકુલ અશક્ય છે.

પોલીસની તપાસની દિશા પર સવાલ ઉઠાવવાની સાથે કોર્ટે કાનૂની પ્રક્રિયામાં થયેલી ગંભીર અનિયમિતતા પર પણ ધ્યાન દોર્યું છે. અદાલતની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ, આ કેસમાં જેમને મુખ્ય આરોપી બનાવવાના પ્રસ્તાવિત છે તેવા સાક્ષી (ડીન) તરફથી વકીલ દ્વારા અન્ય આરોપીની જામીન અરજીની સુનાવણીમાં કેવી રીતે હાજર રહી શકે, તે મુદ્દે પણ કોર્ટે ગંભીર નોંધ લઈ વકીલ પાસે સ્પષ્ટતા માંગી છે.

 સરકારી તિજોરીના હિસાબોનું દર મહિને ક્રોસ-ચેકિંગ થતું હોવા છતાં ૬ મહિના સુધી આ ગેરરીતિઓ ચાલુ રહી, તે બાબત તપાસ એજન્સીની કામગીરી અને ડીનની ભૂમિકા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે.

 હવે આગામી ૨૭મી તારીખની નિર્ણાયક સુનાવણીમાં ત્રણેય પોલીસ અધિકારીઓ અને ડીનના વકીલ કોર્ટ સમક્ષ શું બચાવ રજૂ કરે છે, તેના પર સમગ્ર કેસ અને ભવિષ્યની કાર્યવાહીનો મોટો દારોમદાર રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh