Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકામાં બાકી રહેલી ડિમોલિશન કાર્યવાહી કરાઈ પૂર્વવત

તમામ નવ ધાર્મિક દબાણ આજ સાંજ સુધીમાં દૂર કરાશેઃ હાઈકોર્ટે ગઈકાલે સ્ટે ઉઠાવી લીધોઃ

જામનગર તા.૫ : બેટ દ્વારકામાં અંદાજે ૬૫૦૦ ચોરસ મીટર જેટલી જગ્યા પર ઉભા કરવામાં આવેલા નવ ધાર્મિક દબાણો હટાવવા સામે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવાયો હતો. તેની સુનાવણીના અંતે ગઈકાલે સ્ટે હટાવી લેવાતા રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા ફરીથી દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ હતી. આ તમામ દબાણ આજ સાંજ સુધીમાં દૂર કરી નાખવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં રેવન્યુ વિભાગ તથા પોલીસ વિભાગે શરૂ કરેલા મેગા ડિમોલિશનમાં અંદાજે રૂ.૭૫ કરોડની સરકારી જમીન પરના દબાણો હટાવી નખાયા હતા. તે કાર્યવાહી અંતર્ગત પ્રાંત અધિકારી અમોલ અવાટે તથા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ બાલાપરમાં પણ ડિમોલિશન માટે તજવીજ કરાઈ હતી.

તે દરમિયાન બાલાપરમાં આવેલા નવ બાંધકામવાળી જમીન અંગે વકફ બોર્ડ તથા બેટ ભડેલા મુસ્લિમ જ્ઞાતિ દ્વારા હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવવા તજવીજ શરૂ કરાઈ હતી. તે અંતર્ગત બંને પક્ષ દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના વકીલે દલીલમાં જણાવ્યું હતું કે, વકફ બોર્ડ જે જમીન પોતાની હોવાનો દાવો કરે છે તે જમીનનો તેમના ટ્રસ્ટના પીટીઆરમાં ઉલ્લેખ નથી તથા સ્થાનિક તંત્રની મંજૂરી વગર બાંધકામ થયા હોવાનું તેમજ કબ્રસ્તાન માટે મંજૂર જગ્યા પર મદ્રેસા, મસ્જિદ સહિત અન્ય બાંધકામ થયા હોવાનું બહાર આવ્યું છે.

તે ઉપરાંત ગેરકાનૂની પ્રવૃત્તિ માટે પણ આ જગ્યાનો ઉપયોગ કેટલાક લોકો કરતા હોવાના પુરાવા રજૂ થયા હતા તે સંદર્ભમાં ગઈકાલે હાઈકોર્ટ જસ્ટિસ એમ.એમ. ભટ્ટે ચૂકાદો આપ્યો છે જેમાં જણાવાયું છે કે, સ્થાનિક તંત્રની મંજૂરી મેળવી ન હોય અને બાંધકામ ગેરકાયદેસર હોય ત્યારે તેને તોડી પાડવા સામેનો મનાઈહુકમ હટાવી લેવામાં આવે છે. તે હુકમના પગલે ગઈકાલ બપોરથી બાલાપરમાં ઓપરેશન ડિમોલિશન શરૂ કરાયું હતું.

દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસઆરપી, જીઆરડીના જવાનોને સાથે રાખી પોલીસ તથા વહીવટીતંત્રએ શરૂ કરેલી કાર્યવાહીમાં કેટલાક ધાર્મિક દબાણો દુર કરી નાખવામાં આવ્યા છે.

દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ અવાટેેએ જણાવ્યું છે કે, બેટ દ્વારકામાં ડિમોલિશન શરૂ થયું ત્યારે વકફ બોર્ડ તથા ભડેલા સમાજે હાઈકોર્ટમાંથી મનાઈહુકમ મેળવ્યો હતો. તે હુકમ હટાવી લેવાતા ગૌચર જમીનમાં થઈ ગયેલા બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે શરૂ થયેલી કામગીરી આજ સાંજ સુધી પૂર્ણ કરી લેવાશે.

અંદાજે રૂ.પોણા બે કરોડની જગ્યા પર કરી લેવાયેલા કબજાને મુક્ત કરાવાયો છે. ૬૫૦૦ ચો.મી. જેટલી જગ્યા પર થયેલુ ગેરકાયદે બાંધકામ હટાવવા કરાઈ રહેલી કામગીરીમાં ગઈકાલે ત્રણેક હજાર ચો.મી. જગ્યા ખૂલી થવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh