Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારનો દાયકો... વિશ્વકક્ષાનું વહાણ મરામત હબ બનશે... ...તે પહેલા મોજુદ ઈન્ફ્રાસ્ટ્રકચર તો સુધારજો...

                                                                                                                                                                                                      

ગુજરાતમાં શીપ બ્રેકીંગ યાર્ડ પછી હવે હાલારમાં શીપ રીપેર ફેસેલિટીની સ્થાપના થવા જઈ રહી હોવાના અહેવાલોએ માત્ર હાલારીઓ જ નહીં, પરંતુ પશ્ચિમ ભારતના દરિયાઈ વિસ્તારોનું પણ ધ્યાન ખેંચ્યું છે, અને આ મહત્ત્વકાંક્ષી જાયન્ટ પ્રોજેક્ટ વાડીનાર બંદરે સ્થાપવાના ચક્રો હવે ઝડપથી ગતિમાન થશે, તેવા આશાવાદ વચ્ચે કેન્દ્રિય કેબિનેટના ગઈકાલના બે નિર્ણયોની દેશવ્યાપી ચર્ચા પણ થઈ રહી છે. બીજી તરફ પ્રવર્તમાન શાસન પદ્ધતિમાં પ્રવર્તી રહેલી પબ્લિસિટીની વિશેષતાઓના વ્યંગ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ જાયન્ટ પ્રોજેક્ટ જો હાલારમાં સ્થપાઈ રહ્યો હોય, તો તેને આવકારવો જ જોઈએ, પરંતુ તેનો જમીન પર કેટલી સમયમર્યાદામાં અમલ થશે, તેની ચોખવટ પણ થવી જરરી છે.

ગઈકાલે કેન્દ્રિય કેબિનેટમાં ગુજરાતને સાંકળતા જે નિર્ણયો લવાયા, તેમાં વાડીનારમાં અદ્યતન સુવિધાઓ સાથે શીપ રીપેર ફેસિલિટીની સ્થાપનાના નિર્ણયનો પણ સમાવેશ થાય છે. આ સમાચારે ગઈકાલથી જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉત્સુક્તા જગાડી દીધી છે. વાડીનાર આમ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે, પરંતુ તેની આજુબાજુના ગામો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ તથા રિલાયન્સ, એસ્સાર પાવર્સ અને નયારા જેવી જાયન્ટ કંપનીઓને સાંકળે છે. એટલું જ નહીં, વાડીનાર પણ મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક સ્થળે આવેલું અગત્યનું ડેસ્ટિનેશન છે.

વાડીનાર દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા પોર્ટ ટ્રસ્ટ) નું ઓઈલ જેટી ટર્મિનલ છે, અને નજીકમાં જ ઈન્ડિયન ઓઈલ, જાયન્ટ ઔદ્યોગિક કંપનીઓ, સોલ્ટવર્કર્સ, દરિયાઈ પ્રાકૃતિક સૌંદર્ય, અને રંગબેરંગી જીવસૃષ્ટિ ધરાવતો નરારા ટાપુ અને કોલસા તથા ગેસ આધારિત કેપ્ટિવ થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે. દરિયાકાંઠાના આ વિસ્તારો કોસ્ટલ અને રાષ્ટ્રીય સુરક્ષા તથા દરિયાઈ પરિવહન માટે પણ ખૂબ જ વ્યૂહાત્મક ક્ષેત્ર છે. આ વિસ્તાર ઔદ્યોગિક-વ્યાપારિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વાડીનાર હાલાર-બારાડીની ભાતીગળ સંસ્કૃતિનો સંગમ છે, જ્યાંથી દરિયાઈ પરિવહન તથા સડક પરિવહનની નવી દિશાઓ ખુલી રહી છે.

આ વાડીનારમાં અત્યાધુનિક સુવિધાસંપન્ન શીપ રીપેર ફેસિલિટીનો પ્રોજેક્ટ આવશે, અને તેના કારણે સ્થાનિક રોજગારીની વિપુલ તકો ઊભી થશે, તથા વિસ્તાર વિકાસ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પણ દિશાઓ ખુલશે, તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટમાં લગભગ રૂ।. ૧પપ૦ કરોડથી વધુનું રોકાણ કરશે. આ કામને જાયન્ટ શીપ (વિરાટકાય જહાજો) ના રીપેરીંગ માટે દેશને વિદેશના વિશાળ શીપ યાર્ડો પર નિર્ભર રહેવું નહીં પડે. એટલું જ નહીં, પરંતુ જહાજોની મરામતની કોસ્ટ પણ ઘટશે તથા દેશનું મૂલ્યવાન વિદેશી હુંડિયામણ પણ બચશે, તે પ્રકારના મસમોટા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ જાયન્ટ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચીન શિપયાર્ડ લિમિટેડનું સહિયારૂ સાહસ હોવાનું પણ જાહેર થયું છે.

એવું કહેવાય છે કે આ હાઈટેક ફેસિલિટીમાં ૬પ૦ મીટર લાંબી જેટી બનાવાશે, અને બે વિશાળકાય ફ્લોટીંગ ડ્રાય ડોક તૈયાર કરાશે, જેમાં જાયન્ટ શીપ્સ (વિરાટકાય જહાજો) ની મરામત કરવાની અદ્યતન સુવિધાઓ હશે તથા નિભાવ પણ કરાશે. આ આધુનિક તરતું વર્કશોપ હશે, જેને અનુરૂપ દરિયાઈ માળખાઓ પણ બનાવાશે, જેથી આ તમામ પ્રક્રિયા સરળ, ઝડપી અને સુરક્ષિત થઈ શકશે, અને મહામુલો સમય પણ બચશે.

ભારતમાં લાંબા દરિયાકાંઠે કેટલાક સ્થળે શીપ રીપેર યાર્ડસ છે, પરંતુ વહાણોની મરામતના વૈશ્વિક ક્ષેત્રમાં તેની હિસ્સેદારી ઘણી જ ઓછી છે. શીપ રીપેર માર્કેટમાં ભારતનો કબજો વૈશ્વિક દૃષ્ટિએ એક ટકા જેટલો પણ નહીં હોવાનું કહેવાય છે. એક અંદાજ મુજબ ભારતની દરિયાઈ સરહદથી માત્ર ૩૦૦ દરિયાઈ માઈલના વિસ્તારમાંથી દુનિયાનું ૭ થી ૯ ટકા દરિયાઈ પરિવહન થાય છે, તેથી ભારતમાં શીપ રીપેર માર્કેટ વિક્સાવવાની વિપુલ તકો પણ છે.

ભારતમાં એકંદરે ૪૦ થી વધુ જહાજ મરામત યાર્ડ હોવા છતાં આ ક્ષેત્ર ઘણાં બધા પડકારો સામે ઝઝુમી રહ્યું છે, અને આ તમામ પડકારોનો ઊંડો અભ્યાસ કરીને વાડીનારનો આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો હોવાની ચર્ચા પણ આ ક્ષેત્રના અભ્યાસુઓ તથા અનુભવીઓના વર્તુળોમાં થઈ રહી છે. ખાસ કરીને પૂરક વ્યવસાયો, લઘુ-મધ્યમ ઉદ્યોગો તથા લાજેસ્ટિક સેવાઓના કારણે રોજગારી વધશે, તેમ કહેવાય છે.

ભારતના વિશાળ ઓઈલ ટેન્કર્સ ધરાવતા જહાજો, કાર્ગો જહાજો વગેરે વિરાટકાય જહાજોના રીપેરીંગ માટે તથા ડ્રાય ડોકીંગ માટે ભારતના જહાજોને અત્યારે વિદેશમાં જવું પડે છે, કારણ કે ર૩૦ મીટરથી વધુ લંબાઈ ધરાવતા જહાજો માટે પર્યાપ્ત ડ્રાઈ-ડોક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આપણા દેશમાં હાલમાં સુવિધાઓ નહીંવત્ છે. આ કારણે ભારતના જહાજોને સીંગાપુરના કેપેલ ઓફશોર એન્ડ મરીન જેવા મોટા શીપ રીપેરીંગ યાર્ડમાં જવું પડે છે. તે ઉપરાંત યુરોપના નેધરલેન્ડ યાર્ડ, દક્ષિણ કોરિયાનું હુંડઈ મિપો ડોકયાર્ડ, યુએઈમાં દુબઈનું ડ્રાયડોક્સ વર્લ્ડ, મધ્યપૂર્વમાં આવેલા યાર્ડર્સ તથા ચીનનું કોસ્કો શીપીન હેવી ઈન્ડસ્ટ્રી યાર્ડ પણ જાયન્ટ જહાજોનું રીપેરીંગ કરે છે.

ભારતમાં ૪પ જેટલા શીપ રીપેરીંગ કરતા યાર્ડ હોવા છતાં ભારતના જહાજોને વિદેશોના યાર્ડોમાં રીપેરીંગ કરાવવા જવું પડે છે, તેના કારણોમાં ભારતીય બંદરો પર દરિયામાં જહાજોને રીપેરીંગ માટે રાખવાની આવશ્યક ઊંડાઈ ધરાવતા સ્થળો ઘણાં જ ઓછા છે, તેમાં પણ ઘણાં શીપ રીપેર યાર્ડસ ભારતીય નૌસેના માટે જહાજોના નિર્માણ તથા રીપેરીંગ માટે કાયમી ધોરણે રોકાયેલા રહે છે, તેથી બાકીના રીપેરીંગ યાર્ડ (વહાણો રીપેર કરવાના ગેરેજ) માં અન્ય તમામ જહાજો રીપેરીંગ માટે આવતા હોવાથી મરામતમાં વિલંબ થાય છે, અને વિદેશી યાર્ડ કરતા દોઢો સમય ખર્ચાતા હોય છે. આ કારણે વિદેશી રીપેર યાર્ડસ પર વધુ આધાર રાખવો પડે છે.

વાડીનારમાં ઊભી થનારી જહાજ મરામત સુવિધામાં ૩૦૦ મીટર સુધીની લંબાઈ ધરાવતા જહાજોના રીપેરીંગની સુવિધા હશે, જો કે આ પરિયોજના સાકાર થવા માટે હવે લગભગ ત્રણ વર્ષ લાગી શકે તેવું જાહેર થયું છે, એટલે કે વર્ષ ર૦ર૯ ની લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં જ વાડીનારમાં આ સુવિધા શરૂ થાય, અને તેનું ઉદ્ઘાટન કરવા રાષ્ટ્રીય નેતૃત્વ આવે, તેવી શક્યતાઓ ગણી શકાય. આ પ્રોજેક્ટથી હાલારમાં એમએસએમઈ સેક્ટરને પણ પ્રોત્સાહન મળશે, તેવો દાવો કરાયો છે.

વિરાટકાય રિફાઈનરીઓ, કચ્છનો અખાત, અનુકૂળ દરિયાઈ વિસ્તાર, ઔદ્યોગિક ઝોન, રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વપૂર્ણ એકમો, ભારતીય સેનાની ત્રણેય પાંખો, એરપોર્ટસ અને બંદરોની નજીકમાં ઉપલબ્ધિ અને વનતારાના કારણે ગ્લોબલ મેપમાં મહત્ત્વપૂર્ણ બનેલું હાલાર હવે વાડીનાર બંદર પર વહાણો રીપેર કરવાના આંતરરાષ્ટ્રીય કક્ષાના હબ તરીકે પણ વૈશ્વિક મહત્ત્વ મેળવનાર હોઈ, વાડીનાર વિસ્તારના સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂળભૂત સુવિધાઓ તથા ગ્રામ્ય માળખાકીય સગવડો માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વધુ ધ્યાન આપશે, તેવી આશા જાગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh