Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ શિક્ષણ વ્યવસ્થાના જનાજા પર ઉજવાતો ઉત્સવઃ હેંમત ખવા
જામનગર તા. ર૬: જામજોધપુર - લાલપુર વિધાનસભા ક્ષેત્રના આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ગુજરાતની ભાજપ સરકારના શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતા મોટા-મોટા દાવાઓની પોલ ખોલી નાંખી છે. લાલપુર તાલુકાના ગજણા ગામે સરકારી શાળામાં શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપવા ગયેલા હેમંતભાઈ ખવાએ જોયું તો અહીં શાળા છે, વિદ્યાર્થીઓ છે, પણ સૌથી ખેદજનક બાબત એ જાણવા મળી કે અહીં એક પણ શિક્ષક જ નથી...!
સરકારના કહેવાતા 'વાઈબ્રન્ટ શિક્ષણ'ના મોડેલના લીરેલીરા ઊડી ગયા હતાં. વાસ્તવિકતા એ છે કે, આ શાળાઓમાં નિર્દોષ ભૂલકાઓને ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી. સરકાર માત્ર પોતાના પ્રચાર-પ્રસાર માટે એરકંડિશન ગાડીઓ અને અધિકારીઓના કાફલા પાછળ જનતાના ટેક્સના કરોડો રૂપિયા વેડફી રહી છે. ગજણા ગામની મુલાકાત દરમિયાન સ્થાનિક વાલીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરતા વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. શાળાઓને ફૂગ્ગાઓ અને તોરણોથી શણગારીને, મંત્રીઓ કે અધિકારીઓના હાથે કુમકુમ તિલક કરાવીને બાળકોને પ્રવેશ તો અપાવી દેવાયો, પણ સવાલ છે કે કે, આ બાળકો આખું વર્ષ ભણશે કોની પાસે ? શું સરકારના મંત્રીઓ કે મોટા બાબુઓ અહીં રોજ ભણાવવા આવવાના છે..?
" આ પ્રવેશોત્સવ નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થાના જનાજા પર ઉજવાતો ઉત્સવ છે. સરકાર માત્ર ફોટો સેશન અને મહોત્સવોમાં રાચીને જનતાની આંખોમાં ધૂળ નાંખવાનું બંધ કરે. ગજણા જેવી અસંખ્ય સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે. ગજણા પ્રાથમિક શાળામાં શિક્ષકોનું મંજૂર મહેકમ ૪-ચારનું છે, જેની સામે ત્યાંં કોઈ શિક્ષક જ નથી એટલે કે ચારેય જગ્યાઓ ખાલી છે.
ગ્રામીણ વિસ્તારના ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકો સરકારી શાળાના ભરોસે ઉજ્જવળ ભવિષ્યના સપના જુએ છે. પરંતુ સરકાર જાણી જોઈને સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી ન કરીને આ શાળાઓને પાંગળી બનાવી રહી છે. જેથી કરીને ગરીબ વાલીઓ મજબૂર થઈને પોતાના બાળકોને ખાનગી શાળાઓના હવાલે કરી દે. આ સીધેસીધું શિક્ષણના વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવાનું અને સરકારી શાળાઓને તાળા મરાવવાનું સરકારી ષડયંત્ર છે.
હેમંત ખવાએ સરકાર પર પ્રહાર કરતા સવાલો કર્યા હતાં કે પ્રવેશોત્સવના તાયફા પાછળ જે કરોડો રૂપિયાનો ધૂમાડો કરાયો, તેમાંથી ગજણા ગામ જેવી શાળાઓને કાયમી શિક્ષકો કેમ ન મળ્યા ? 'ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત' જેવા નારાઓ આપતી સરકાર ગુજરાતના અંતરિયાળ ગામડાઓના બાળકોને રામભરોસે કેમ મૂકી રહી છે ? જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકોના નામે પાંખા વેતનથી યુવાનોનું શોષણ કરવાને બદલે કાયમી અને લાયક શિક્ષકોની ભરતી કેમ કરવામાં આવતી નથી ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial