Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માર્ગ પર ફૂટ ઓવરબ્રીજ બનાવવાની જરૂર

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગર શહેરની મધ્યમાં ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ આવે છે. અહીં હાલારના જ બે જિલ્લા નહીં, અન્ય જિલ્લા-શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવે છે.

જામનગરમાં જી.જી. હોસ્પિટલવાળો માર્ગ માત્ર દર્દીઓ, અમ્બ્યુલન્સ જ નહીં, પણ શહેરીજનોની અતિ વ્યસ્ત અવરજવરવાળો માર્ગ છે. આ માર્ગમાં હોસ્પિટલની સામે જ કતારબદ્ધ દુકાનો આવેલી છે. જેમાં મેડિકલ સ્ટોર, ચા ની હોટલો, નાસ્તા-ભોજન-ફરસાણની દુકાનો, પાનની દુકાનો આવેલી છે, અને આ દુકાનો બહાર રોડ ઉપર સવારથી મોડી રાત્રિ સુધી લોકોની ભીડ જોવા મળે છે. કેટલાક લોકો તો ત્યાં કાયમી માટે ટુ-વ્હીલર વાહનો પર બેસી નિયમિતરીતે અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહે છે. આ રસ્તા ઉપર રાહદારીઓ, વાહનોની અતિવ્યસ્ત અવરજવરના કારણે અને ડીવાઈડરવાળા સાંકડા બની ગયેલા માર્ગ પર અવરજવર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને આ ટ્રાફિક જામની સમસ્યા માટે હોસ્પિટલની સામે આવેલી દુકાનો, ત્યાં જામતી ભીડ, ત્યાં ચોમેર ફેલાતી ગંદકી પણ જવાબદાર છે.

આ માર્ગને પહોળો કરવાના કેસમાં મહાનગરપાલિકાની તરફેણમાં સુપ્રિમ કોર્ટમાંથી ચૂકાદો આવી ગયો હોવા છતાં દુકાનોને દૂર કરવાની કાર્યવાહી રાજકીય કારણોસર થતી નથી. દુકાનની પાછળના ભાગની જમીન ગુલાબકુંવરબાર સોસાયટીની માલિકીની છે.આ સંસ્થા સાથે કોઈને કોઈ કારણોસર દુકાનો માટે જગ્યા આપવામાં અડચણ આવી રહી છે.

આ તમામ બાબતો ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ, તેમના સગા-વ્હાલા, સંબંધીઓની રસ્તો ઓળંગીને દુકાનો તરફની સતત અવરજવર રહેતી હોવાથી દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાય છે. તેમાં ય ઓટો રિક્ષા અને છકડારિક્ષાવાળાના થપ્પા આ માર્ગ ઉપર અને આસપાસ લાગેલા જ હોય છે, જેથી ડીવાઈડર ઓળંગીને જીવના જોખમે રસ્તો ક્રોસ કરનારાને ભારે મુશ્કેલી પડે છે, તો વાહનોની ગતિ અને ફ્લોને પણ અસર થાય છે. આ સંજોગોમાં જી.જી. હોસ્પિટલમાં આવવા જવા માટે, રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે બે સ્થળે ફૂટ ઓવરબ્રીજ બનાવાય તો ખૂબ મોટી સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.

જી.જી. હોસ્પિટલની સામે ચીડિયાઘરવાળા માર્ગ ઉપર મેડિકલ સ્ટોરના ખૂણા પાસેથી જી.જી. હોસ્પિટલની દીવાલ પછી સુધીનો ફૂટ ઓવરબ્રીજ બની શકે, તેમજ ધન્વન્તરિ મંદિરની પાળી શરૂ થાય છે (દુકાનોની લાઈન પૂરી થાય છે) ત્યાંથી જી.જી. હોસ્પિટલ સુધીનો ફૂટ બ્રીજ પણ બની શકે. આમ આ બે સ્થળે બ્રીજ બનાવવા અત્યારની ભૌગોલિક સ્થિતિ મુજબ કોઈ વધારાની જમીનની પણ જરૂર પડે તેમ નથી. એટલું જ નહીં, જી.જી. હોસ્પિટલના જુના પાર્કિંગને તોડીને નવું બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે ત્યારે ફૂટ ઓવરબ્રીજનું પણ નિર્માણ થાય તેવી ડિઝાઈન બનાવી શકાય.

જામનગરના કેટલાક જાણકાર સિવિલ એન્જિનિયરોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના બે ફૂટ ઓવરબ્રીજ ખૂબ જ સરળતાથી બની શકે તેમ છે. અનેક મહાનગરોમાં અતિ વ્યસ્ત ટ્રાફિકવાળા મુખ્ય માર્ગો પર રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા આ પ્રકારના ફૂટ ઓવરબ્રીજ કે સબ-વે/અંડરપાસ છે જ. જે ખૂબ જ અનુકુળ પૂરવાર થઈ રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે ગંભીરતાપૂર્વક વિચાર કરી જામનગરની જનતાને રાહતરૂપ થાય તેવા આ વિકાસકામનું નિર્માણ કરે તો તે એક મોટી અમૂલ્ય ભેટ ગણાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh