Advertisement
Author: નોબત સમાચાર

શાળા પ્રવેશોત્સવોમાં ખુલી પોલ... શિક્ષણ ક્ષેત્રે બધું લોલંલોલ...? ચોમાસામાં દુર્ઘટના અટકાવવાની ગાઈડલાઈન્સ...

                                                                                                                                                                                                      

ગુજરાતમાં ધમાકેદાર શાળા પ્રવેશોત્સવ મનાવાયા. રાજ્યભરમાં મંત્રી-મહાનુભાવો-સચિવો તથા જિલ્લા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિતના પદાધિકારીઓ-આગેવાનો ગામડાઓ સુધી પહોંચ્યા અને પહેલેથી કરેલા સર્વે મુજબ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને આધ્યાત્મિક શિક્ષણમાં પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને મોજમસ્તીભર્યા માહોલમાં સ્કૂલોમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રવેશોત્સવ દરમિયાન કેટલાક દાતાઓએ ઉદાર દિલે દાન આપ્યું, તે ગ્રામજનો-સ્થાનિક આગેવાનોએ કાર્યક્રમોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો. વર્ષ ર૦૦૩ થી ચાલી આવતી આ સરકારી પરંપરા નિભાવાઈ ગઈ અને હવે આખુ તંત્ર પોતપોતાની મૂળ ચીજો તફ વળ્યું હશે, અને વીક એન્ડ તથા તાજિયાની રજાઓ પછી સરકારી કચેરીઓમાં પહેલાની જેમ જ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપલબ્ધ રહેશે, તેવું માની શકાય.

આ વખતે પણ શાળા પ્રવેશોત્સવ દરમિયાન કેટલીક ક્ષતિઓ સપાટી પર આવી ગઈ, તો કેટલાક ગામોમાં પ્રાથમિક શાળાઓની ખૂટતી જરૂરિયાતો કે વહીવટી-ટેકનિકલ સમસ્યાઓ પણ નજરે પડી. આ કાર્યક્રમોમાં મોટાભાગે શાસક પક્ષના નેતાઓ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોવાથી આ પ્રકારની ક્ષતિઓ કે સમસ્યાઓ પર ઢાંકપીછોડો થઈ શકે, પરંતુ કેટલાક સ્થળે રાજનીતિને બાજુ પર મૂકીને, આ કાર્યક્રમોમાં શિક્ષણ જેવા પવિત્ર કાર્ય તથા ભાવિ પેઢીની બુનિયાદ મજબૂત કરવાના ઉદ્દેશ્યો સામેલ હોવાથી વિપક્ષના નેતાઓ, પદાધિકારીઓ પણ જોડાયા હોય, ત્યાં ઢાંકપીછોડા થઈ શકતો હોતો નથી, અને પોલંપોલ બહાર આવી જતી હોય છે. તે ઉપરાંત સોશિયલ મીડિયાના યુગમાં કેટલાક જાગૃત નાગરિકો પણ મોબાઈલ સેલફોનમાં રેકોર્ડીંગ કરીને શિક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો, સમસ્યાઓ કે ખામીઓને પ્રકાશમાં લાવવાનો સંનિષ્ઠ અને પવિત્ર પ્રયાસ કરતા હોવાથી પણ હવે બધી વાત પર ઢાંકપીછોડો કરવો મુશ્કેલ છે.

આ કારણે જ એક સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન એવો ઘટસ્ફોટ થયો, જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતાં. હાલારની એક પ્રાથમિક શાળામાં ધામધૂમથી પ્રવેશોત્સવ તો ઉજવાયો, પરંતુ એવું બહાર આવ્યું કે એ પ્રાથમિક શાળામાં તો ચારેય શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એ પછી પ્રેસ-મીડિયામાં આ વાત છવાઈ ગઈ અને સોશિયલ મીડિયાની પાંખો આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. આ સત્ય બહાર એટલા માટે આવ્યું કે ત્યાં વિપક્ષના ધારાસભ્ય હાજર હતાં. આ જ રીતે શિક્ષકો, સુવિધા કે બુનિયાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી ઘણાં સ્થળે હશે, તો પણ બધી જગ્યાએ વિપક્ષના નેતાઓ કે સંનિષ્ઠ જાગૃત અગ્રણીઓની હાજરી નહીં હોય, કે પછી તેઓથી વાસ્તવિક્તા છૂપાયેલી રાખવામાં સફળતા મળી હશે. ઘણી સરકારી શાળાઓ ખૂબ જ સુંદર કામ કરે છે, શિક્ષકો ઉત્સાહી છે અને સ્થાનિક સહયોગ તથા ગ્રામજનો-દાતાઓની હૂંફ તથા અદ્યતન સાધન-સુવિધાઓ ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી હોય છે, તેની નોંધ પણ લેવાવી જ જોઈએ.

ગુજરાતમાં વર્ષ ર૦ર૪-રપ માં જિલ્લાવાર શિક્ષકોની જગ્યાઓ તથા તેની સામે ખાલી જગ્યાઓના આંકડાઓ મુજબ જામનગર જિલ્લામાં ૬૬૩ સરકારી પ્રાથમિક શાળાઓ ધોરણ ૧ થી ૮ ના ર૮૬૧ શિક્ષકો છે, અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ૮૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૮ માં ર૪૭૬ શિક્ષકો છે. તેવી જ રીતે જામનગર મહાનગરમાં ૪૪ સ્કૂલોમાં ૩૯૯ શિક્ષકો છે. રાજ્યના આંકડાઓ મુજબ રાજ્યમાં લગભગ ૩ર હજાર સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં ૧૯ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી, તે પૈકી ૧૧ હજાર જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પછી બીજા તબક્કામાં ૩ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ભરવાની છે. રાજ્યમાં ૧૬૦૦ થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વર્ષ ર૦ર૪-રપ માં બજેટસત્રમાં તત્કાલિન શિક્ષણ મંત્રીએ આ આંકડાઓ આપ્યા પછી કેટલીક ભરતી પ્રક્રિયાઓ થઈ, અને કેટલીક પ્રક્રિયાઓ ચાલી રહી છે, તેમ છતાં કેટલીક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોય, ત્યાં કેવી સ્થિતિ હશે, અને તેને રજા પર જવું પડે, ત્યારે બાળકોના શિક્ષણનું શું થતું હશે, તે સમજી શકાય તેવું છે.

આંકડાઓ મુજબ વર્તમાન પ્રક્રિયા દરમિયાન ૧૧ હજાર તથા ૩૯૦૦ થી વધુ શિક્ષકોની ભરતી પછી પણ ૪ થી પ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેશે, જેમાં છાપરે ચડેલી એક પણ શિક્ષક વગરની હાલારની સરકારી પ્રાથમિક સ્કૂલ પણ સામેલ હશે ને?

ગુજરાતમાં વિપક્ષી નેતાઓ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ તથા ખાનગી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના મુદ્દે સરકારને ઘેરતા હોય છે. વિપક્ષના નેતાઓ ૧૧ મહિનાના કરાર પર શિક્ષકોની સેવાઓ લેવાતી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ પણ કરતા હોય છે. રાજ્યની વિધાનસભામાં પણ દોઢ હજારથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલતી હોવાની ચર્ચા થઈ હતી. જ્ઞાનસહાયક જેવી શોષણપદ્ધતિ બંધ કરીને નિયમિત પૂરા પગારથી કાયમી શિક્ષકની નિમણૂક કરવા તથા અત્યારે ફરજો બજાવી રહેલા કરાર આધારિત જ્ઞાનસહાયકોને કાયમી કરવાની માંગણી પણ વિપક્ષો દ્વારા થઈ છે.

શાળા પ્રવેશોત્સવો દરમિયાન જ કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં ઈમારતોની સ્થિતિ, વાયરીંગ અને જર્જરિત સંકુલો જોવા મળ્યા હશે, અને દર વર્ષની જેમ પ્રિ-મોન્સુન સાવચેતીના પગલાં લેવાની ફોર્માલિટી પણ પૂરી કરવાની હશે, તેથી રાજ્ય સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. સરકારી શાળાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલોમાં વરસાદી સિઝનમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેવા ઉદ્દેશ્ય સાથે કેટલીક સૂચનાઓ પણ અપાઈ રહી છે. આ અંગે જિલ્લાના પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓ કડક નિરીક્ષણ કરશે તેમ જાહેર થયું છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ માટે જર્જરિત ઓરડાઓમાં કે સ્કૂલોમાં અભ્યાસવર્ગો કે અન્ય કાર્યક્રમો નહીં ચલાવવા, મેદાન, છત તથા વરસાદી પાણી ભરાતા હોય, તેવા સ્થળોની સફાઈ કરીને સેઈફ સ્ટેજ નક્કી કરવા, ઈલેક્ટ્રીક વાયરીંગ તથા મધ્યાહ્ન ભોજન કેન્દ્રોની પ્રિ-મોન્સુન ચકાસણી કરી લેવા તથા ખુલ્લા વાયરો, નબળી સ્વીચો કે ખામીયુક્ત અર્થીંગ, જોખમી વીજલાઈનોની તત્કાળ મરામત કરીને આઈએસએસ પ્રમાણિત વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા, ભારે વરસાદ-પૂર જેવી સ્થિતિ માટે ઈમરજન્સી પ્રોટોકોલ નક્કી કરવા અને જરૂર પડ્યે વિદ્યાર્થીઓના તત્કાળ સ્થળાંતરની વ્યવસ્થા રાખવા આ ગાઈડલાઈન્સ દ્વારા તાકીદ કરાઈ છે. આમાં ક્યાંય ક્ષતિ રહેશે, તો જિલ્લા કક્ષાના બન્ને શિક્ષણાધિકારીઓની જવાબદારી ગણી શકાય, તેવી ગાઈડલાઈન્સ જણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh