Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના ભાગલા પડ્યા પછી પાકિસ્તાનમાં સ્થાયી થયેલા
ઈસ્લામાબાદ તા. ર૪: મૂળ જુનાગઢના વતની આરિફ હબીબ સાથે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ "પીઆઈએ": રૂ. ૪૩ર૦ કરોડમાં સોદો થયો છે. આરિફ હબીબ સમૂહના વડા મૂળ જુનાગઢના છે. તેઓ ભાગલા પછી પાકિસ્તાન સ્થાયી થયા છે. આરિફ હબીબ સફળ પાકિસ્તાની બિઝનેસમેન છે અને ફાયનાન્સ-રિયલ એસ્ટેટ-ઉર્જા ક્ષેત્રે બિઝનેસ કરે છે.
અંતે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ) વેચાઈ ગઈ છે. આ સોદો ૧૩પ અબજ પાકિસ્તાની રૂપિયામાં થયો હતો, જે ભારતીય ચલણમાં ૪૩ અબજ રૂપિયા બરાબર છે. આરિફ હબીબ ઈન્વેસ્ટમેન્ટ ફર્મના નેતૃત્વ હેઠળના એક કન્સોર્ટિયમે સરકારી માલિકીની એરલાઈન્સને હસ્તગત કરી છે. ઈસ્લામાબાદમાં યોજાયેલી આ હરાજીને પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટી હરાજી કહેવામાં આવી રહી છે.
આરિફ હબીબ મૂળ ગુજરાતના જુનાગઢ જિલ્લાના વતની છે. ભાગલા પછી તેમનો પરિવાર પાકિસ્તાન સ્થળાંતરિત થયો હતો. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ એક સમયે વિશ્વની ટોચની એરલાઈન્સમાંની એક માનવામાં આવતી હતી. જો કે નબળા સંચાલનને કારણે તે છેલ્લા કેટલાક વર્ષોથી સંઘર્ષ કરી રહી છે અને લાંબા સમયથી નુકસાન સહન કરી રહી છે.
હરાજીમાં ત્રણ કંપનીઓએ આરિફ હબીબ, લકી સિમેન્ટ અને એરબ્લુએ બોલી લગાવી હતી. લકી સિમેન્ટ સાથે ગાઢ સ્પર્ધા પછી આરિફ હબીબે હરાજી જીતી હતી. સરકારે ૧૦૦ અબજ રૂપિયાનો સંદર્ભ ભાવ નક્કી કર્યો હતો. એરબ્લુએ સૌથી ઓછી ર૬.પ અબજ રૂપિયાની બોલી લગાવી હતી. આ સોદા હેઠળ પીઆઈએના ૭પ% શેર શરૂઆતમાં વેંચવામાં આવશે.
વિજેતા કંપનીએ આગામી ૯૦ દિવસમાં બાકીના રપ% હિસ્સો ખરીદવાનો રહેશે. આ વેચાણમાંથી મળેલી રકમમાંથી ૯ર.પ% એરલાઈન્સને સુધારવામાં રોકાણ કરવામાં આવશે. જ્યારે બાકીનો ૭.પ% સરકારને જશે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે વેચાણની પારદર્શિતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી મોટો સોદો હશે. ગયા વર્ષે એરલાઈન્સને વેંચવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. પરંતુ આખરે તેને આરિફ હબીબ ઈન્વેસ્ટમેન્ટ ફર્મના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. આરિફ હબીબના સ્થાપક, આરિફ હબીબ, નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ, ખાતર, ઊર્જા અને સ્ટીલના વ્યવસાયો ધરાવતા સફળ ઉદ્યોગપતિ છે. આ જૂથ તેના સખાવતી કાર્ય માટે પણ જાણીતું છે.
આરિફ હબીબનો પરિવાર મૂળ ગુજરાતના જુનાગઢ જિલ્લાનો છે, જ્યાં તેઓ ચા નો વ્યવસાય ધરાવતા હતાં. જો કે, દેશના ભાગલા પછી તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં રહેવા ગયો. આરિફ હબીબનો જન્મ કરાચીમાં થયો હતો અને તેમણે કરાચી સ્ટોક એક્સચેંજમાં સ્ટોક બ્રોકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની રોકાણ વ્યૂહરચના અનોખી રહી છે. તેમણે સરકારી માલિકીની કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર તેમની વ્યક્તિગત સંપત્તિ આશરે પ૦૦ મિલિયન હોવાનો અંદાજ છે. પાકિસ્તાનના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ ૧૮મા ક્રમે છે.
પીઆઈએની હરાજી પ્રક્રિયા પાકિસ્તાનના પ્રાઈવેટાઈઝેશન કમિશન બોર્ડની દેખરેખ હેઠળ બે તબક્કામાં યોજાઈ હતી. પહેલા તબક્કામાં લકી સિમેન્ટ, ખાનગી એરલાઈન્સ એરબ્લૂ અને આરિફ હબીબ ગ્રુપે સીલબંધ બોલીઓ આપી હતી. શરૂઆતમાં એરબ્લૂએ નિર્ધારિત ન્યૂનતમ કિંમત કરતા ઓછી બોલી મૂકી હતી, જેના કારણે તે રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પહેલા રાઉન્ડમાં સૌથી ઊંચી બોલી ૧૧,પ૦૦ કરોડ રૂપિયા રહી હતી, ત્યારબાદ સરકારે બીજા રાઉન્ડ માટે બેઝ પ્રાઈસ વધારીને ૧ર,પ૦૦ કરોડ રૂપિયા કરી હતી. અંતે ખૂલ્લા ઓકશનમાં આરિફ હબીબ ગ્રુપે ૧૩,પ૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવીને પીઆઈએ ખરીદી લીધી છે. જે ભારતીય ચલણમાં રૂ. ૪૩ર૦ કરોડ જેટલા થાય છે.
પાકિસ્તાની સરકારનું કહેવું છે કે, પીઆઈએને વેચવાનો હેતુ માત્ર નુકસાનમાંથી છૂટકારો મેળવવાનો નથી, પણ રાષ્ટ્રીય એરલાઈન્સને ફરીથી તેની જૂની પ્રતિષ્ઠા અપાવવાનો છે. નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે કહ્યું કે, આજે બધા બોલીદારો પાકિસ્તાનમાંથી જ હતા અને જે પણ જીતે, જીત પાકિસ્તાનની જ ગણાશે. તેમનું માનવું છે કે, જો એરલાઈન્સના કાફલાને ૧૮ વિમાનોમાંથી વધારીને ૩૦૪૦ સુધી લઈ જવું હોય, તો ખાનગી રોકાણ ખૂબ જ જરૂરી છે, સરકારને આશા છે કે, આ સોદાથી ભવિષ્યમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે અને પાકિસ્તાની એર લાઈન્સને નવી ઉડાન મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial