Advertisement
Author: નોબત સમાચાર

પત્નીના આડાસંબંધની શંકાથી પીડાઈને પતિએ પથ્થર-લાકડુ ઝીંકી પત્નીની કરી કરપીણ હત્યા

રોજબરોજના ઝઘડા પછી ગઈકાલે આવી પરાકાષ્ઠાઃ આરોપીની શોધખોળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામજોધપુરમાં માર્કેટીંગ યાર્ડ પાસે ઝૂંપડામાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના દંપતી વચ્ચે થતાં રહેતા ઝઘડામાં ગઈકાલે ઝઘડાની પરાકાષ્ઠા આવી હતી. પત્ની પર આડાસંબંધની શંકા કરતા રહેતા પતિએ ઉશ્કેરાઈને લાકડા તથા પથ્થરથી હુમલો કરી પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હતી અને પત્નીને ઢળી પડેલી જોઈ આ શખ્સ પોબારા ભણી ગયો હતો. સારવારમાં ખસેડાયેલા મહિલાનું સારવાર મળે તે પહેલાં મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે. જામજોધપુર પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી બનેવી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામજોધપુર શહેરમાં આવેલા માર્કેટીંગ યાર્ડ નજીક ઝૂંપડું બાંધીને વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના વડલીયા ગામના વતની નરીયાભાઈ સમરીયાભાઈ બામણીયા નામના શ્રમિકની સાથે તેમના પત્ની ગુલીબેન પણ આવ્યા હતા અને આ દંપતી તે ઝૂંપડામાં વસવાટ કરી માર્કેટીંગ યાર્ડમાં છૂટક મજૂરીકામ કરતા હતા.

આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. જેમાં પતિ નરીયાભાઈ પત્નીને અન્ય કોઈ સાથે આડોસંબંધ હોવાની શંકા કરતો રહેતો હતો અને તેના કારણે ઝઘડા કરી હેરાન પરેશાન કરવા ઉપરાંત ગુલીબેનને પતાવી દેવાની વાતો પણ કરતો હતો.

ત્યારપછી ગઈકાલે બપોરે આ દંપતી વચ્ચે ફરીથી ઝઘડો થતાં ઉશ્કેરાયેલા નરીયાભાઈએ પત્ની ગુલીબેનને મારી નાખવાના ઈરાદે ક્રુરતાથી હુમલો કર્યાે હતો. આ શખ્સે ત્યાં પડેલુ લાકડુ ઉપાડી પત્નીને ઝીંકવા ઉપરાંત પથ્થર પણ માર્યાે હતો. જેના કારણે ગુલીબેનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. લોહીલુહાણ બની આ મહિલા ઢળી પડતા પતિ નરીયાભાઈ નાસી ગયો હતો.

આ વેળાએ ત્યાં હાજર અન્ય લોકોએ ગુલીબેનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી પરંતુ માર્ગમાં જ ગુલીબેનનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. હોસ્પિટલ પહોંચેલા આ મહિલાને ચકાસ્યા પછી ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બનાવની પોલીસને જાણ કરાતા જામજોધપુરના પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફ ધસી આવ્યા હતા.

પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યા પછી મૃતક ગુલીબેનના ભાઈ અને મૂળ જાંબવા જિલ્લાના ગોલાબડી ગામના વતની ખીમશીભાઈ મીસરૂભાઈ ભુરીયાનું નિવેદન નોંધ્યું છે અને તેઓની ફરિયાદ પરથી બનેવી નરીયાભાઈ બામણીયા સામે હત્યાનો ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh