Advertisement
Author: નોબત સમાચાર

મહાનુભાવોની ઉપસ્થિતિમાં જામનગરમાં શહેરી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરમાં શહેરી કક્ષા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ર૦રપ-ર૬ નું સફળ આયોજન થયું હતું. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી, ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરની દેવરાજ દેપાળ સ્કૂલમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગરના સંયુક્ત ઉપક્રમે શહેરી કક્ષા ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ર૦રપ-ર૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ગણિત પ્રત્યે રસ કેળવવાના ઉદ્દેશ સાથે નવીન કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ પ્રદર્શનમાં વિજ્ઞાન અને ગણિતના વિવિધ વિષયો પર આધારિત કુલ પાંચ વિભાગો હતાં, જેમાં જામનગર શહેરની શાળાઓમાંથી કુલ ૮૦ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ કુલ ૪૦ અદ્યતન વૈજ્ઞાનિક કૃતિઓ પ્રદર્શિત થઈ હતી. આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન આપવા માટે કુલ ૪૦ ગણિત-વિજ્ઞાન શિક્ષકો જોડાયા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન રાકેશભાઈ માકડિયા અને તમામ સી.આર.સી. દ્વારા કરવામાં આવ્યું હતું, અને નિર્ણાયક તરીકે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગરની વિવિધ શાળાઓના ગણિત-વિજ્ઞાન શિક્ષકોએ પોતાનું ઉમદા યોગદાન આપી, પ્રદર્શિત કૃતિઓ પૈકી શ્રેષ્ઠ કૃતિઓ માટે યોગ્ય નિર્ણય આપીને પોતાની ફરજ નિભાવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ પરસોત્તમભાઈ કકનાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ દિનેશભાઈ દેસાઈ, શિક્ષણ સમિતિના સભ્યો, ડાયેટ પ્રાચાર્ય સંજયભાઈ જાની, ડીપીઈપી સી.એમ. મહેતા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ-જામનગર શહેર પ્રમુખ મોતીબેન કરેથા વિગેરે મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓ રસપૂર્વક નિહાળી હતી. તેઓએ તમામ બાળ વૈજ્ઞાનિકોને આશીર્વચન અને શુભેચ્છાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શનના અંતે નિર્ણાયકોના નિર્ણય મુજબ પાંચેય વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોને મહાનુભાવો અને નિર્ણાયકના હસ્તે શિલ્ડ મોમેન્ટો અર્પણ કરીને તેઓને બિરદાવવામાં આવ્યા હતાં અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સફળ આયોજન જામનગર શહેરના શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદયી ઘટના બની રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh