Advertisement
Author: નોબત સમાચાર

સંસદમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્યું સંબોધન

પ્રસ્તાવનાનું પઠન કરાયુઃ બંધારણના ઘડવૈયાઓને યાદ કરાયાઃ શાસક પક્ષ અને વિપક્ષના દિગ્ગજો સહિત સાંસદો ઉપસ્થિતઃ નવ ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૬: આજે સંવિધાન દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે, ત્યારે સંસદમાં પણ શાનદાર ઉજવણીના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિતના મહાનુભાવોએ સંબોધન કરીને પોતાના પ્રતિભાવો આપ્યા હતા, અને બંધારણના નવ ભાષામાં કરાયેલા અનુવાદનું લોકાર્પણ કરાયુ હતું.

દેશ આજે ૭૬મો બંધારણ દિવસ ઉજવી રહૃાો છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, તમામ કેન્દ્રીય મંત્રી વિપક્ષના નેતાઓ અને બંને ગૃહના સાંસદોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ૯ ભાષાઓમાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રાષ્ટ્રપતિએ ડિજિટલ રૂપે મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા, અસમિયા અને મલયાલમ જેવી ૯ ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ઉદ્બોધન કરતા રાષ્ટ્રપતિએ કહૃાું હતું કે, આજના દિવસે આખો દેશ બંધારણના નિર્માતાઓ પ્રતિ આદર વ્યક્ત કરે છે. હું બંધારણ દિવસના આ ઐતિહાસિક અવસર પર તમારી વચ્ચે ઉપસ્થિત રહીને ખૂબ પ્રસન્નતા અનુભવું છું. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે બંધારણ ભવનના આ કેન્દ્રીય કક્ષમાં બંધારણ સભાના સભ્યોને ભારતના બંધારણના ડ્રાફ્ટને તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. તે જ વર્ષે આપણે- ભારતના લોકોએ- આપણા બંધારણને અપનાવ્યું હતું.

સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણના આમુખનું વાંચન કર્યું હતું. અને પ્રસ્તાવનાનું પઠન કરાયુ હતું. ત્યારબાદ રાષ્ટ્રગાનનું ગાવામાં આવ્યું. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સી.પી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ ઓમ બિરલા, સંસદીય કાર્ય મંત્રી સહિત તમામ અતિથિ હાજર રહૃાા હતા. અને પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતાં.

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી રાધાકૃષ્ણને આ કાર્યક્રમમાં કહૃાું કે, આ એ દેશવાસીઓની સામૂહિક બુદ્ધિમત્તા, ત્યાગ અને સપનાનું પ્રતીક છે. જેણે સ્વાતંત્ર્યની લડાઈ લડી હતી. મહાન વિદ્વાનો, ડ્રાફ્ટિંગ કમિટં અને બંધારણ સભાના સભ્યોએ કરોડો ભારતીયોની આશા અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે ઊંડા અને દૂરદર્શી વિચાર આપ્યા. તેમના નિઃસ્વાર્થ યોગદાને ભારતને આજે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર બનાવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ દૂર કર્યા બાદ ૨૦૨૪માં આયોજિત ચૂંટણીમાં મોટી સંખ્યામાં થયેલા મતદાને એકવાર ફરી આપણા લોકતંત્રનો વિશ્વાસ દર્શાવ્યો છે. હાલમાં જ થયેલી બિહાર ચૂંટણીમાં ખાસ કરીને મહિલાઓનો ભારે ઉત્સાહ મોટી સંખ્યમાં મતદાને લોકતંત્રના મુગટમાં એક અનમોલ હીરો જડી દીધો છે. પ્રારંભમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રવચન કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસના અવસરે દેશવાસીઓને પત્ર લખ્યો છે. તેમણે ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક અંગીકરણને યાદ કરતા રાષ્ટ્રની પ્રગતિમાં તેની માર્ગદર્શક ભૂમિકાને રેખાંકિત કર્યું છે. તેમણે લખ્યું કે, ૨૦૧૫માં સરકારે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ જાહેર કર્યો હતો, જેનાથી આ પવિત્ર દસ્તાવેજનું સન્માન કરી શકાય. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે બંધારણે સામાન્ય પૃષ્ઠભૂમિના લોકો દેશની સર્વોચ્ચ સેવામાં પોતાનું યોગદાન આપવાનું સામર્થ્ય આપ્યું.

આ સિવાય વડાપ્રધાન મોદીએ પોતાનો સંસદ અને બંધારણ પ્રતિ શ્રદ્ધાનો અનુભવ શેર કર્યો. જેમાં ૨૦૧૪માં સંસદની સીડીને નમન કરવું અને ૨૦૧૯માં બંધારણને પોતાના માથા પર રાખવું, આ બધું તેમની શ્રદ્ધાનું પ્રતીક રહૃાું છે. બંધારણે અગણિત નાગરિકોને સપના જોવા અને તેમને સાકાર કરવાની શક્તિ આપી છે. તેમણે બંધારણ સભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપી અને વિશેષ રૂપે ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. બાબાસાહેબ આંબેડકર જેવા મહાન વ્યક્તિત્વ તેમજ વિશેષ મહિલા સભ્યોને યાદ કર્યા, જેમની દૃષ્ટિથી બંધારણ સમૃદ્ધ બન્યું.

સંવિધાન દિવસે દિગ્ગજોના પ્રતિભાવો

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણ દિવસની ૭૬મી વર્ષગાઠ પર તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યુ, આ સંવિધાન દિવસ પર, હું બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના તમામ મહાન સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરૃં છું અને આ દિવસે દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારતનું બંધારણ દરેક નાગરિકને સમાન તકો, ગૌરવપૂર્ણ જીવન, રાષ્ટ્રીય ફરજો અને અધિકારોની ખાતરી આપે છે, જે મજબૂત રાષ્ટ્ર નિર્માણનો માર્ગ મોકળો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવિધાન દિવસ શરૂ કર્યો અને નાગરિકોમાં લોકશાહી મૂલ્યો વિશે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે.

રક્ષામંત્રી રાજનાથસિંહ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પર લખ્યું કે બંધારણ દિવસ પર દરેક ભારતીયને હાર્દિક શુભેચ્છાઓ, આ દિવસ આપણને આપણા પ્રજાસત્તાકનો પાયો નાખનારા અને આપણી રાષ્ટ્રીય યાત્રાને માર્ગદર્શન આપતા મૂલ્યો સોંપનારા સ્વપ્ન દૃષ્ટાઓની યાદ અપાવે છે.

યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું સંવિધાન દિવસ પર રાજ્યના લોકોએ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ન્યાય, સમાનતા અને બંધુત્વ એ ભારતીય બંધારણની મૂળભૂત ભાવના છે. ભારત રત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના અસાધારણ દૃષ્ટિકોણ, તેજસ્વી વિચારો અને અથાક પ્રયાસો દ્વારા રચાયેલ આપણું બંધારણ વિશ્વના સૌથી શકિતશાળી લોકશાહી મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. બંધારણ, રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિનો પાયો હોવા ઉપરાંત, દરેક નાગરિકને સમાન અધિકારો, આદર અને તકોની પણ ખાતરી આપે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh