Advertisement
Author: નોબત સમાચાર

પેપરલીક પછી હવે પરીક્ષાના પરિણામોમાં ગરબડ... સરકારે ભૂલ સ્વીકારી... પણ... હવે શું?

                                                                                                                                                                                                      

પેપરલીકના મુદ્દે પ્રારંભિક ઈનકાર પછી સત્ય હકીકત સ્વીકારવી પડી અને પરીક્ષા રદ્ કરીને પુનઃ પરીક્ષા લેવા ઉપરાંત આ મુદ્દે ઉચ્ચ કક્ષાની તપાસ શરૂ કરવી પડી અને અદાલતની ફટકાર સાંભળવી પડી, તે પછી હવે સીબીએસઈ પરીક્ષામાં ગરબડ થઈ હોવાના મદ્દે ઘમાસાણ મચ્યું છે. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અંતે સ્વીકારવું પડ્યું છે કે સીબીએસઈ પરીક્ષાના પરિણામોમાં ગરબડ થઈ છે, જેની તેઓ જવાબદારી સ્વીકારે છે. સીબીએસઈ ઓન સ્ક્રીન માર્કીંગ સહિતના મુદ્દે સરકાર તરફથી પ્રધાને ખાતરી આપી છે કે એક પણ વિદ્યાર્થીની ફરિયાદ વણઉકેલાયેલી નહીં રહે અને તમામ સ્તરે જવાબદારી નક્કી કરાશે. સીબીએસઈ બોર્ડે ધોરણ ૧ર ની પરીક્ષા માટે પુનઃ મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, અને કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય, તેવા પગલાં લેવાઈ રહ્યા છે. પ્રધાને દાવો કર્યો કે ઓએસએમ ટેકનોલોજીની દેખરેખ માટે આઈઆઈટી-કાનપુર અને મદ્રાસ જેવી સંસ્થાઓને જવાબદારી સોંપીને સિસ્ટમને સંપૂર્ણ ફૂલપ્રૂફ બનાવાઈ રહી છે વગેરે...

ધર્મેન્દ્ર પ્રધાનના આ દાવાઓને અને સ્વીકૃતિ પછી તેના પર તડાપીટ બોલી રહી છે, અને પ્રારંભ ઢીલાઢોળ કરવા પાછળનું રહસ્ય શું હતું? તેવા સવાલો સાથે વિપક્ષો શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે અને આ મુદ્દે સ્વયં વડાપ્રધાન હસ્તક્ષેપ કરે, તેવી માંગણી ઊઠી રહી છે, ત્યારે હવે સરકારે દેશની 'ટોપ ટુ બોટમ' પરીક્ષા પદ્ધતિઓ તથા પેપર પ્રક્રિયાઓમાં ધરમૂળથી સુધારા-વધારા પાદર્શક રીતે કરવા જોઈએ, અન્યથા લોકોનો સમગ્ર સિસ્ટમ અને સરકારમાંથી વિશ્વાસ સંપૂર્ણપણે ઊઠી જશે અને હતાશ થયેલો યુવાવર્ગ વધુ નારાજ થશે તો જેન ઝી જેવા આંદોલનોની શક્યતા નકારી શકાતી નથી, તેવી ચેતવણી પણ અપાઈ રહી છે. બીજી તરફ સરકારે આ તમામ મુદ્દે જરૂરી તમામ કદમ ઊઠાવ્યા છે અને તમામ પ્રકારના સુધારા-વધારા કરવા સરકાર તૈયાર છે, તેવો બચાવ પણ કરવામાં આવી રહ્યો છે.

આ મુદ્દે કોંગી નેતા અને એલઓપી રાહુલ ગાંધીએ ટીકા-ટિપ્પણી કરી તો શિક્ષણમંત્રીએ પોલિટિકલ જવાબ આપ્યો કે રાહુલ ગાંધી સતત ચૂંટણીઓ હારવાથી હતાશ થઈને આ પ્રકારના નિરર્થક નિવેદનો કરી રહ્યા છે, અને આપણાં દેશની સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિનો વિરોધ કરતા રહ્યા છે. તેઓ ક્યારેક ઈવીએમનો વિરોધ કરે છે, ક્યારેક ડિજિટલ ઈન્ડિયાનો વિરોધ કરે છે તો ક્યારેક અન્ય ટેકનોલોજી સામે વાંધા-વચકા ઊભા કરે છે. આ મુદ્દે તેઓએ રાજકારણ કરવાના બદલે વિદ્યાર્થીઓનો માનસિક તનાવ ન વધે, તે માટે ખોટા નિવેદનો ન કરવા જોઈએ.

રાહુલ ગાંધીએ રણકાર કર્યો કે શિક્ષણ મંત્રી આ પ્રકારના પ્રહારો કરીને વિપક્ષને ૧૮.પ લાખ વિદ્યાર્થીઓનો અવાજ દબાવી નહીં શકે. રાહુલ ગાંધીએ એવો સણસણતો સવાલ પણ ઊઠાવ્યો, જેનો યોગ્ય જવાબ સરકાર આપી શકી નથી.

રાહુલ ગાંધીએ પૂછ્યું કે ભૂતકાળમાં બીજા નામથી સક્રિય હતી અને વિવાદોમાં સપડાઈ હતી તે કોએમ્પ્ટ કંપનીને જ આ કામનો કોન્ટ્રાક્ટ આપવા પાછળનું રહસ્ય શું છે? સરકારે આ કંપનીની હિસ્ટ્રી તપાસ્યા વિના જ કોન્ટ્રાક્ટ આપી દીધો હોય તો તે ગંભીર બેદરકારી ગણાય અને જાણીજોઈને આ કોન્ટ્રાક્ટ અપાયો હોય તો તેમાં શિક્ષણ વિભાગના મોટામાથાની સાઠગાંઠ હોવી જોઈએ. વડાપ્રધાને આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ, તેવા સૂરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જો લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્ય અંગે વડાપ્રધાન ચિંતિત હોત તો તેઓએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીપદેથી તગેડી મૂક્યા હોત. રાહુલ ગાંધીનું આ નિવેદન ઘણું જ સૂચક છે, અને ચર્ચામાં છે.

રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચેના જુબાની જંગ પછી દેશભરમાં વિદ્યાર્થીઓ-વાલીઓમાં એવો સવાલ ઊઠી રહ્યો છે કે વિપક્ષો દ્વારા આક્ષેપો થયા અને સરકારે ભૂલ સ્વીકારી લીધી, પણ હવે શું? હવે દેશની પરીક્ષા પદ્ધતિઓ ખરેખર ફૂલપ્રૂફ રહેશે? હવે કોઈપણ પેપરલીક નહીં થાય? અત્યાર સુધીના પેપરલીક અને પરીક્ષા કૌભાંડો-પરિણામ કૌભાંડોના અસલ દોષિતોને કડકમાં કડક કાનૂની રાહે સજા કરીને દેશભરમાં ફેલાયેલા પેપરલીક અને પરીક્ષા કૌભાંડના માફિયાઓનું નેટવર્ક જડમૂળથી ખતમ થશે કે પછી નાની માછલીઓને પકડીને મગરમચ્છોને 'સેઈફ પેકેજ' (છટકબારીઓ) આપીને છાવરવાના કારસા યથાવત્ રહેશે? આ ક્ષેત્રે એક્ટિવ માફિયાઓના મૂળ ક્યાંક સરકાર કે તંત્રના મોટા માથાઓ કે પોલિટિકલ ગોડફાધરો સુધી ફેલાયેલા તો નથી ને? તેવા સવાલો ઊઠી રહ્યા છે અને હવે આ મુદ્દે યુવાવર્ગમાં ધગધગતો આક્રોશ અને વ્યાપક નારાજગી વોર્નિંગ બેલ જેવી જણાય છે.

સીબીએસઈની ઓએસએમ સિસ્ટમ અંગે પણ લોકોમાં ચર્ચા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને તો આ પ્રક્રિયાની ખબર હશે, પરંતુ સામાન્ય જનતામાં એવું કુતૂહલ પણ છે કે આ ઓએસએમ હકીકતે છે શું?

હકીકતે સીબીએસઈ બોર્ડે પેપર ચકાસવાની પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવાના હેતુથી ઓન સ્ક્રીનીંગ માર્કીંગ (ઓએસએમ) મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકી હતી, જેમાં બોર્ડની ધોરણ ૧ર ની પરીક્ષાના પેપરોની ઉત્તરવહીઓની હાર્ડકોપી ચકાસવાના બદલે તેની ડિજિટલ સ્કેન કરેલી તપાસીને માર્કસ પણ ઓનલાઈન મૂકે છે, જેથી આખી પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ રહે, અને પ્રક્રિયા ઝડપી બને. આ પદ્ધતિ નિષ્ફળ ગઈ અને ૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓએ નિયત ફી ભરીને પુનઃ મૂલ્યાંકન કરાવવાની અરજી કરી. ઓનલાઈન સ્ક્રીનીંગ દરમિયાન પરીક્ષાર્થીઓની અધુરી કે અસ્પષ્ટ સ્કેનીંગ કરેલી ઉત્તરવહીઓ તપાસવી, કેટલાક જવાબો ચકાસ્યા કે માર્કીંગ આપ્યા વિના જ છોડી દેવા, સરવાળામાં ભૂલો અને ઓનલાઈન પોર્ટલ ક્રેશ થવાના કારણે પરીક્ષાર્થીઓ તેનો ભોગ બન્યા હોવાની રાવ ઊઠી. સરકારે આ પ્રકારની ભૂલો થઈ હોવાનું તો સ્વીકાર્યું, પરંતુ આ કૌભાંડ હતું કે બેદરકારી? તેની ઊંડી તપાસ કરીને દોષિતોને કડક સજા તો થવી જ જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh