Advertisement
Author: નોબત સમાચાર

શિકાગોની ધર્મસભામાં જતી વખતે જમશેદજી ટાટા સાથે થયેલ સંવાદની ઐતિહાસિક ઘટના

આજે યુગ પ્રવર્તક સ્વામી વિવેકાનંદજીની જયંતી

                                                                                                                                                                                                      

માય ડીયર સીસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા ''આ ચમત્કારિક સંબોધન થયું તે ઐતિહાસિક સ્થળ હતું શિકાગો શહેરનો ભવ્ય કોલંબસ હોલ.એ ભારત માટે શુભ અને સર્વશ્રેષ્ઠ દિવસ હતો. ૧૧ સપ્ટે. ૧૮૯૩ એ અદ્દભુત સંબોધન કરનાર હતો. ૩૦ વર્ષનો ભારતનો યુવાન સન્યાસી હિન્દુ સંસ્કૃતિનો આધારસ્તંભ સ્વામી વિવેકાનંદ. એ દિવસના ટૂંકા વ્યાખ્યાનમાં હ્ય્દયદ્રાવક વાણીના અંતરની સચ્ચાઈના રણકારે વિષધર્મ પરિષદના વિશ્વના ધર્મધુરંધરો, આયોજકો અને શ્રોતાઓને સ્તબ્ધ કરી દીધાં. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ વિષેના વિદેશી ખેરખાંઓના ખ્યાલને તેમનાજ પ્રદેશમાં આ યુવા કાંતિવીરે દફન કરી દીધો હતો. નાના કુવામાં ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાઓને તેમણે હિન્દુ ધર્મના ધુધવતા મહાસાગરનો ઉત્તમ પરિચય કરાવી દીધો.

આ ઐતિહાસિક પરિષદ સમક્ષ આયુવાન સંન્યાસીએ ટુંકા વ્યાખ્યાનમાં પણુ સર્વ હ્ય્દયને સ્પર્શતી સચ્ચાઈ અને ધર્મ સહિષ્ણુતા બતાવી જેથી વિશ્વના વિદ્યાન વકતાઓ, ખ્રિસ્તી આયોજકો તથા શ્રોતાગણ મંત્ર મુગ્ધ બની ગયા. બીજા દિવસે અમેરિકાના બધાજ અખબારોએ જાહેર કર્યું કે સ્વામીજીનું વ્યાખ્યાન સર્વોતમ હતું. આ એકજ વ્યાખ્યાને વેદાન્ત કેસરી વિવેકાનંદને અમેરિકામાં જ નહીં, પરંતુ જગવિખ્યાત જગદગુરૂ અને યુગાચાર્ય બનાવી દીધા. જગત ને જણાવ્યું કે યુગને એનો મહાપુરૂષ સાંપડી ચૂક્યો છે. આમ પૂર્વમાંથી આવેલ અદ્ભુત સન્યાસીએ પશ્ચિમની ધરતી ઉપર મહાભિનિષ્ક્રમણ કરી વિશ્વને વાકેફ કર્યું કે વેદાન્ત તો વિશ્વને તારનારી હિન્દની અણમોલ ભેટ છે. સ્વામીજીનું આ જગજાહેર પ્રથમ પ્રવચન હતું. વિશ્વભરમાં સંબોધન-ઉદબોધનના પડઘા પડયા ત્યો તેમની ઉંમર ફકત ૩૦ વર્ષ પ્રકાજપુંજ જેવા તેજસ્વી સંન્યાસીએ ૩૯ વર્ષની ઉંમરે ૪ જુલાઈ ૧૯૦૨ ના મહાસમાધિ લીધી. એમનું જાહેર જીવન માત્ર નવ વર્ષનું છે. માત્ર અને માત્ર નવજ વર્ષોમાં હિન્દુસ્તાનના અને હિન્દુત્વના આકાશમાં એક ઝળહળતા ધૂમકેતુની જેમ આવ્યા અને અદ્દશ્ય થઈ ગયા.

રંગે રગમાં રંગાયેલ મા ભોમની રજે રજમાં કણકણમાં ભારતની ભવ્યતા જોઈ. પ્રતિકુળ પરિસ્થિતિ અને વિકટ-કપરા સંજોગોમાં ગમે તેવો ભડવીર પણ ભાંગી પડે તેવા અંધકાર અને નિરાશાના દિવસોમાં દૃઢ મનોબળ,અખુટ ધીરજ, અદ્વિતીય સંયમ અને હિમાલય જેવી અચળ શ્રદ્ધા અને આત્મવિશ્વાસથી સંસારિક સમશ્યાઓનો સામનો કર્યો. ગુરૂ રામકૃષ્ણ પરમહંસની પરમકૃપા અને પ્રેરણાથી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મનો ઝંડો વિશ્વભરમાં લહેરાવી હિન્દુ સ્તાનને યુગોમાં ન મળયું હોય તેવું ગૌરવ અપાવ્યું. વિધાતા પુર્ણ ભાષણોએ સ્વામીજીને વિશ્વ વિભુતિ બનાવી દીધા. એ સિદ્ધિ હિન્દુસ્તાન માટે સર્વોતમ અને શ્રેષ્ઠ ગણાય છે.

બે મહાપુરૂષોનું યાદગાર મિલન-ઐતિહાસિક ઘટના ચર્ચાનો વિષયઃ સંવાદ થયો સન્યાસ અને સાયન્સનો સમન્વય. શિકાગો વિશ્વધર્મ પરિષદ' માં જવા માટે ભારતમાંથી સ્વામીજી સ્ટીમર દ્વારા અમેરિકા જવા નિકળે છે. ૩૧ મી મે ૧૮૯૩નો શ્રેષ્ઠતમ્ દિવસ છે. સ્ટીમમાં ભારતના આધ ઉદ્યોગપતિ (હાલના રતનટાટા સામ્રાજયના ભીષ્મપિતામહ, જમશેદજી તાતા સાથે ભારતના શ્રેષ્ઠ સન્યાસી સ્વામી વિવેકાનંદ સાથે મુલાકાત થાય છે. સંન્યાસ અને સાયન્સના સમન્વય નો સંવાદ સર્જાય છે. આ સંવાદમાં જ જમશેદજી તાતાને અનેરી દષ્ટિ સાંપડે છે. મુલાકાત પહેલા જમશેદજી તાતા માત્ર અમેરિકાથી સ્ટીલ ઉત્પાદનની ટેકનોલોજી જ ભારતમાં ટ્રાન્સફર કરીને માત્ર ધંધાદારી અભિગમથી કમાવવા માંગતા હતા.પણ સ્વામીની પ્રેરણા મળતા તેમણે અમેરિકાની સાથે સ્ટીલનો ભારતીય મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપ્યો.ભારતમાં સ્ટીલ,અન્ય ધાતુઓનું ઉત્પાદન, સંશોધન કરવા પ્રેરાય અને વિજ્ઞાનનો અભ્યાસ કરવા નવી પેઢીને આંતરરાષ્ટ્રીય સ્તર નું પ્લેટ ફોર્મ મળે તે હેતુ થી બેંગ્લોર માં ભારતીય વિજ્ઞાન સંસ્થાનની સ્થાપના કરી. સ્વામીજીએ જમશેદજીના માધ્યમથી ભારતના ઉદ્યોગપતિઓને સમાજના ઉત્થાન માટે એક દૃષ્ટિ પૂરી પાડેલ.

આ સિંહગર્જના કરનાર હિન્દુ સંસ્કૃતિના શિલાસ્થંભ, ક્રાંતિકારી યુવાવીર યુવા પેઢી માટે એક માત્ર આદર્શ સ્વામીજી (નરેન્દ્ર)નો જન્મ ૧૨ જાન્યુ ૧૮૬૩માં કોલકાતામાં થયો હતો. તેમના માતાનું નામ ભૂવનેશ્વરી દેવી અને પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરૂ વાજપેયી તથા અબ્દુલ કલામ સહિત અનેક સામાજિક, ધાર્મિક તથા રાજકીય આગેવાનો તેમજ વિશ્વના પણ અનેક વ્યકિત વિશેષના આદેશ અને પ્રેરણા સ્ત્રોત રહયા છે.એવા મહાન સ્વામીજીની જન્મ જયંતી ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં 'યુવા દિન' તરિકે ઉજવાય છે ત્યારે કોટી કોટી સલામ.

૧૯ મી અને ૨૦ મી સદીમાં સ્વામીજી હિન્દુત્વના પુરસ્કર્તાઓ અને પ્રવર્તકોમાં સર્વશ્રેષ્ઠ હતા.

- ચંદ્રકાન્ત બક્ષી

૧) હું સ્વામીજીના લખાણો સાંગોપાંગ વાંચી ગયો છું અને મારો સ્વદેશ પ્રેમ હજારગણો વધી ગયો. -મહાત્મા ગાંધી

૨) તમારે ભારતને સમજવો હોય તો વિવેકાનંદનું અધ્યયન કરો.-૨વિન્દ્રનાથ ટાગોર

૩) અમારા સમયમાં યુવાનો પર સ્વામીજીના ભાષણોનો જેવો પ્રભાવ હતો તેવો બીજી કોઈ વ્યકિતનો ન હતો.-સુભાષચંદ્ર બોઝ

૪) અમેરિકનો માટે સ્વામીજીએ જ્ઞાનનો ભંડાર ખૂલ્લો મૂકી દીધો. - સીસ્ટર ગાર્ગી અમેરિકન લેખિકા

:: આલેખન :: ભગવાનજીભાઈ કાનાણી, ધ્રોલ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh