Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ઝેરોક્ષ પર પ્રતિબંધ

આવતીકાલે રાજ્ય વેચાણવેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા

                                                                                                                                                                                                      

જામનગર    તા.૩: જામનગરમાં આવતીકાલે તા. ૪ જાન્યુઆરીના યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તદૃનુસાર, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરની ત્રિજ્યના વિસ્તારમાં ઝેરોક્ષ ન કાઢવા તથા પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, ઈલેકિટ્રક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત જાહેરાત ક્રમાંક ૨૭ /૨૦૨૫-૨૬ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની લેખિત પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષાઓ દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિધાર્થીઓને નિયમાનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. તેથી જામનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટર્સ અને કોપીયર મશીન પરીક્ષાના સમય દરમિયાન બંધ રહે, તેમજ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ અને અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે ના લઈ જાય તે માટે પ્રતિબંધાત્મક હુકમો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી (ઈ.ચા.) એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે નિર્ધારિત કરવામાં આવેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં આવતા કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ અને અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ આગામી તા.૦૪ જાન્યુઆરીના સવારના ૧૦:૩૦ કલાકથી બપોરના ૧:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીન દ્વારા પરીક્ષા વિષયક પત્રો અને દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.

આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સાધનો, કેલ્ક્યુલેટર, ઈલેક્ટ્રોનિક વોચ તેમજ અન્ય અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં. તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક હુકમમાં જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.

જામનગર જિલ્લામાં પરીક્ષા માટે જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદીમાં નેશનલ હાઈસ્કૂલ, આર.આર.શાહ હાઈસ્કૂલ, નંદન માધ્યમિક શાળા, શ્રી એલ.જી.હરિયા સ્કૂલ,શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, શ્રી પ્રણામી હાઇસ્કૂલ, શ્રી શિશુવિહાર હિન્દી હાઇસ્કૂલ, શ્રીમતી જી.એસ. મહેતા કન્યા વિદ્યાલય, ભવન્સ શ્રી એ કે. દોશી વિદ્યાલય, શ્રી ડી એસ. ગોજીયા વિદ્યાલય, સત્યસાઇ વિદ્યાલયનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh