Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાધામ દ્વારકા હવાઈ માર્ગે જોડાતા યાત્રિકોની સુવિધા વધશે
દ્વારકા તા. ૨૧: દ્વારકા મંડળના યાત્રાધામોને હવાઈ માર્ગે જોડવા દ્વારકા નજીકના વસઈ ગામે એરપોર્ટ સુવિધા વિકસાવાશે. વસઈ- ગઢેચી- કલ્યાણપુર- મેવાસા ગામની જમીન સંપાદનની કામગીરી ટૂંકમાં શરૂ થવાની સંભાવના જણાવાઈ રહી છે.
યાત્રાધામ દ્વારકા એ ચાર ધામ પૈકીનું એક ધામ તથા સપ્તપુરી પૈકીની પુરી હોય દર વર્ષે લાખો શ્રદ્ધાળુંઓ દર્શનાર્થે આવતાં હોય દ્વારકાને હવાઈ માર્ગે જોડવા એકથી વધુ સર્વેની કામગીરી પછી વસઈ આસપાસની જગ્યા ફાઈનલ કરાઈ હોય જે અંગે પ્રારંભિક કામગીરીની તજવીજ હાથ ધરાઈ છે. વસઈ ગામ આસપાસ એરપોર્ટ નિર્માણ માટે દ્વારકા નજીકના વસઈ ગઢેચી કલ્યાણપુર તથા મેવાસા ગામે જમીન સંપાદન સહિતની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ અગાઉ પણ બે વખત યાત્રાધામને એરપોર્ટની સુવિધા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરેલ પરંતુ સિવિલ એવીએશન વિભાગના રિપોર્ટના કારણે જે તે વખતે વાત આગળ વધી શકી ન હતી. હવે રીપોર્ટ સરકારની ફેવરમાં હોય જિલ્લા વહીવટી તંત્ર વસઈ આસપાસની બાકીની જરૂરી જમીન સંપાદનની પ્રક્રિયાઓ શરૂ કરશે અને જમીન સંપાદિત થયા બાદ એવીએશન વિભાગને તે જમીનની સોંપણી કરવામાં આવશે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અહીંની ૩૦૦ હેકટર જેટલી જમીન એરપોર્ટ માટે અલગ રાખવામાં આવનાર છે.
સરકારના સુત્રો મુજબ આ પૈકી ૪૫ ટકા જેટલી એટલે કે આશરે ૧૩૯ હેકટર જમીન હાલ સરકારી કબ્જામાં જ છે જયારે બાકી રહેતી જમીન ખેડૂતો અને ખાનગી માલિકો પાસે હોય જેને સંપાદિત કરવાની થાય છે. આગામી ૨૫ નવેમ્બરના ગાંધીનગરના અધિકારીઓ સહિત સ્થાનીય અધિકારીગણ દ્વારા વસઈ તથા આસપાસના ગામોમાં વીઝીટ કરી જમીન સંપાદન હેતુની ૩૩૪ હેકટર જેટલી ખાનગી માલિકીની જમીનો અંગે વિવિધ મુદ્દે કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે. હાલ સુધી દ્વારકા ક્ષેત્રમાં દર્શને આવતાં યાત્રીકો માટે રેલ માર્ગ અને જમીન માર્ગ જ ઉપલબ્ધ હતો ત્યારે એરપોર્ટ બન્યે યાત્રીકોની સુવિધામાં પણ અનેકગણો વધારો થશે.
અમદાવાદ સ્થિત નિદેશક નાગરીક ઉડ્ડયનની કચેરીના નિયામક દ્વારા ઓનલાઈન પોર્ટલ પર વસઈ તથા આસપાસના ગામોની જમીન પર એરપોર્ટ બનાવવા જમીન માંગણી કરેલ હોય જેની સ્થળ ખરાઈ કરતા માપણીશીટ મુજબ વસઈ ગામના ૧૭૩ સર્વે નંબરો તેમજ આસપાસના મેવાસા ગામના ૧૦ સર્વે નંબરો, કલ્યાણપુર ગામના ૮ સર્વે નંબરો અને ગઢેચી ગામના ૩ સર્વે નંબરો મળી કુલ ૩૩૪-૬૮-૮૦ ચો.મી. ક્ષેત્રફળની જમીન ખાનગી માલિકીના હોય જે સંપાદન કરવા ઉકત ગામોની જમીન સંપાદન ઉપરાંત પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર સહિતના મુદ્દાઓ અંગે આગામી તા.રપ-૧૧-૨૦૨પ ના સવારે ૧૧:૦૦ કલાકે વસઈ ગામે ઉચ્ચ અધિકારીઓ તેમજ સંપાદક સંસ્થાની ઉપસ્થિતિમાં જમીનોનું સ્થળ નિરીક્ષણ, રેવન્યુ રેકર્ડની ચકાસણી, સંભવિત અસરગ્રસ્ત કુટુંબો સાથે પરામર્શ સહિતના મુદ્દે કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial