Advertisement
Author: નોબત સમાચાર

અંદાજપત્ર સભામાં જામનગર જિલ્લા પંચાયતનું રૃા. ૩૬૧.૮૫ લાખની ૫ુરાંત સાથેનું બજેટ મંજૂર

રૃા. ૧૦૪૦.પ૧ લાખની આવક સામે રૃા. ૬૭૮.૬૬ લાખના ખર્ચની જોગવાઈ

જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લા પંચાયતની અંદાજપત્ર સભા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી ધવલભાઈ વર્ષ-ર૦ર૩-ર૪ ના વર્ષનું સુધારેલ તથા ર૦ર૪-રપ ના વર્ષના અંદાજપત્રની વિસ્તૃત વિગતો રજુ કરી હતી.

આ બેઠકના પ્રારંભે જિલ્લા પંચાયત દ્વારા બીનખેતી આકાર ઉપર જિલ્લા પંચાયતનો ઉપકર નાખવાનો ઠરાવ પસાર થયો હતો.

જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં જિલ્લા પંચાયત સ્વભંડોળની આવક અને ખર્ચની જોગવાઈ મુજબ ખુલતી સિલક રૃા. ૬૩૪.૧૯ લાખ અને સને-ર૦ર૪-રપ ના વર્ષની સૂચિત અંદાજિત આવક રૃા. ૪૦૬.૩ર લાખ મળી કુલ રૃા. ૧૦૪૦.પ૧ લાખની સામે રૃા. ૬૭૮.૬૬ લાખના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે રૃા. ૩૬૧.૮પ લાખની પુરાંત સાથે સને ર૦ર૪-રપ ના વર્ષનું પુરાંતલક્ષી બજેટ રજુ કરાયું હતું.

સને-ર૦ર૪-રપ ના સ્વભંડોળ સદરમાં મુખ્યત્વે કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ જિલ્લા પંચાયતના સિંચાઈ ક્ષેત્રે અતિ કુપોષિત બાળકોના પોષણ સ્તરના સુધારા હેતુસર પુરક પોષક આહાર તથા દવા માટે રૃા. ર.૦૦ લાખની જોગવાઈ, સ્માર્ટ આંગણવાડી માટે તથા આંગણવાડીની અન્ય સુવિધા માટે રૃા. ૩૦.૦૦ લાખની જોગવાઈ, શાળાએ ન જતી કિશોરીઓને કૌશલ્ય સંવર્ધન માટે જરૃરી પ્રવાસ અને તાલીમ માટે રૃા. ૪.૦૦ લાખની જોગવાઈ, પશુપાલન ક્ષેત્રે પશુ ચિકિત્સા અને રોગચાળા નિવારણ માટે રૃા. ૧.૦૦ લાખની, સમાજ કલ્યાણ ક્ષેત્રે ગ્રામ્ય કક્ષાએ અનુસુચિત જાતિ તેમજ અન્ય પછાત વર્ગના વિસ્તારમાં કોમ્યુનિટી હોલ માટે કુલ રૃા. ૭૦.૦૦ લાખની જોગવાઈ કરેલ છે. કુદરતી આફત સમયે અણધાર્યા આકસ્મિક ખર્ચ તેમજ અછતના સમયમાં સહાય ચૂકવવા માટે રૃા. રપ.૦૦ લાખની જોગવાઈ, જિલ્લા પંચાયતના વિસ્તારના રસ્તાઓના મરામત માટે રૃા. ૭૦.૦૦ લાખની જોગવાઈ તથા જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણ માટે રૃા. ૮૦.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આમ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરિકો માટે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે તેમજ અન્ય તમામ ક્ષેત્રે ભૌતિક સુવિધાઓ મળી રહે તેવી જોગવાઈઓ આ અંદાજપત્રમાં રાખવામાં આવી છે.

જિલ્લા પંચાયની અંદાજપત્ર સભા જેવી મહત્ત્વની બેઠકમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત સત્તાધારી પક્ષના પાંચ સભ્યોની સૂચક ગેરહાજરી હતી.

ત્રણ મહત્ત્વની સમિતિના ચેરમેન સહિત સાત સભ્યો ગેરહાજર

જામનગર જિલ્લા પંચાયતની અંદાજપત્ર સભામાં આજે સત્તાધારી પક્ષના જ સાત સભ્યોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની ગઈ હતી. જેમાં પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, શિક્ષણ સમિતિના ચેરમેન હુલ્લાસબા સુરેન્દ્રસિંહ, વિનોદભાઈ વાડોદરીયા, કમલેશભાઈ ધમસાણીયા, કે.બી. ગાગીયા તેમજ સિંચાઈ સમિતના ચેરમેન કુંદનબેન ચોવટીયા તથા બાળ વિકાસ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેંસદડીયા આજની બેઠકમાં હાજર રહ્યાં ન હતાં. જિલ્લા પંચાયતના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે સત્તાધારી પક્ષના આ વજનદાર સભ્યો અને સમિતિના ચેરમેનોએ બજેટ અંગે તેમને વિશ્વાસમાં લીધા ન હોવાના કારણે વિરોધ દર્શાવવા બેઠકનો બહિષ્કાર કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh