Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોમાં બનાવટી બેંક ગેરંટી રજૂ કરવાના કેસમાં આરોપીઓનો છૂટકારો

જામ્યુકોના અંધેર વહીવટનો તાદૃશ્ય નમૂનોઃ

                                                   

જામનગર તા.૧૪ : જામનગરના એક રસ્તા પર ડામર પાથવર માટે સત્યાવીસ વર્ષ પહેલાં અપાયેલા કોન્ટ્રાક્ટરે જે તે વખતે બનાવટી બેંક ગેરેંટી રજૂ કરી હોવાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આ કેસે જામનગર મહાનગરપાલિકામાં ચાલતા અંધેર વહીવટ પર પ્રકાશ ફંંેક્યો છે અને પ્રજાના પરસેવાના નાણા કેવી રીતે વેડફાય છે તેનો પુરાવો પૂરો પાડ્યો છે.

જામનગરના ઈન્દિરા માર્ગ, સાતરસ્તા સર્કલથી ખંભાળિયા જકાતનાકા સુધીના રોડ પર ડામર પાથરવા માટે વર્ષ ૧૯૯૭-૯૮માં જામ્યુકો દ્વારા એ.ટી. ઓડેદરા નામની ભાગીદારી પેઢીવાળા પોરબંદર ના કોન્ટ્રાક્ટરને રૂ.સાડા ત્રણેક કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

પેઢી દ્વારા ત્રણ વર્ષની ડીફેક્ટિવિટી લાયેબિલીટી માટે ટેન્ડરની રકમના પાંચ ટકા લેખે બેંક ગેરેન્ટી રજૂ કરવાની હતી. તે મુજબ રૂ.૨૦ લાખની રકમની પોરબંદરમાં શાખા ધરાવતી બીઓબીની બે બેંક ગેરેન્ટી સ્ટેમ્પ પેપર પર તૈયાર કરી રજૂ કરાઈ હતી અને તેના આધારે કરાર કરી જામ્યુકો દ્વારા વર્ક ઓર્ડર અપાયો હતો.

તે પછી કામ સંતોષકારક ન જણાતા અને ત્રણ વર્ષમાં રોડને નુકસાન થતાં કોન્ટ્રાક્ટર પેઢીને રસ્તા રીપેર કરવા જામ્યુકો દ્વારા નોટીસ અપાઈ હતી અને નોટીસ પીરીયડમાં રસ્તા રીપેર થયા ન હતા. તેથી જે બેંક ગેરેન્ટી રજૂ કરાઈ હતી તેના આધારે વસૂલાત માટે જામ્યુકો એ બીઓબીને રકમ જમા કરાવવા કહેતા બેંકે આવી કોઈ ગેરેન્ટી ઈસ્યુ થઈ નથી તેમ પ્રત્યુત્તર પાઠવ્યો હતો અને કોન્ટ્રાક્ટરે બનાવટી બેંક ગેરેન્ટી રજૂ કરી હોવાનું ખૂલ્યું હતું. તેથી ટીપીઓ શાખાના ઈજનેરે પેઢીના લીલાભાઈ આલાભાઈ, રામ આલાભાઈ, જીવીબેન રામભાઈ, દીવાળીબેન વેદ સામે આઈપીસી ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં સ્ત્રી આરોપી સામેના પુરાવા ન જણાઈ આવતા ત્રણ આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ દિનેશભાઈ વિરાણી, મોહસીન ગોરી, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયા, દર્શનપુરી ગોસ્વામી દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જામ્યુકોના વહીવટમાં કેવી લાલીયાવાડી ચાલે છે તે ઉપરોક્ત કેસમાં જાહેર થયું છે. રૂપિયા ત્રણેક કરોડનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે લેવામાં આવેલી બેંક ગેરેન્ટી અંગે જો વર્કઓર્ડર અપાયો તે પહેલાં ખરાઈ કરાઈ હોત તો પ્રજાના પરસેવાના નાણા બચાવી શકાયા હોત. આ કેસમાં આરોપીઓ તો છૂટી ગયા છે પરંતુ પ્રજાના પૈસે જે રસ્તો ફરીથી બનાવવામાં આવ્યો તેના નાણા ફરીથી ખર્ચાયા તે માટે જવાબદાર કોણ ગણી શકાય?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh