Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતી, મિલાપ કરાવનાર શખ્સ સહિત છ સામે યુવાને નોંધાવી ફરિયાદઃ વધુ એક યુવાન છેતરાયોઃ
જામનગર તા. ૧૧: જામનગરના લગ્નવાચ્છુ યુવાનને રાજકોટની યુવતી સાથે લગ્ન કરાવી આપવાની વાત કરી જામનગરના એક મહિલા તથા શખ્સે રાજકોટની યુવતીનો સંપર્ક કરાવ્યો હતો. તે યુવતીના ભાઈ-ભાભી, અન્ય એક શખ્સને પૈસા આપવા પડશે તેમ કહી રૂ.૧ લાખ ૮૦ હજાર મેળવી લીધા પછી લગ્નવાચ્છુને છેતરી લેવાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મેરેજ બ્યુરો ચલાવતા એક શખ્સ પાસેથી મળેલો ચેક આ યુવાન વટાવે તે પહેલાં રાજકોટના એક શખ્સે તેમાંથી રકમની માગણી કર્યાની અને ધમકી આપ્યાની તાજેતરમાં ફરિયાદ કરાઈ હતી.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯ના છેવાડે આવેલી લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં વસવાટ કરતા જીજ્ઞેશભાઈ ગુણવંતરાય ખેતીયા (ઉ.વ.૪૬) નામના યુવાને લગ્ન કરવા માટે કેટલાક વ્યક્તિઓને વાત કર્યા પછી તેમનો સંપર્ક જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા વિનાયક પાર્ક નજીકની મધુરમ્ રેસીડેન્સીમાં રહેતા મીતાબેન ખેતીયા સાથે થયો હતો.
આ મહિલાએ જીજ્ઞેશભાઈને સારૂ પાત્ર શોધી આપવા માટે દિલાસો આપ્યા પછી રાજકોટમાં મેરેજ બ્યુરો ચલાવતા મુકેશભાઈ ભીખાભાઈ મકવાણાનો કોન્ટેક્ટ કરાવ્યો હતો. આ વ્યક્તિઓએ જીજ્ઞેશભાઈ માટે યુવતી શોધવાનું કામ શરૂ કરી દીધુ છે તેમ કહ્યા પછી રાજકોટની નુરીબેન નામની યુવતીનો મિલાપ કરાવ્યો હતો.
આ યુવતીને જોવાની વિધિ પત્યા પછી તેણીના ભાઈ તથા ભાભીને પૈસા આપવા પડશે તેમ આગળ વધેલી વાતચીતમાં મીતાબેન ખેતીયા તથા મુકેશ મકવાણાએ લગ્ન કરાવી આપવા માટે જીજ્ઞેશભાઈ ખેતીયા પાસેથી રૂ.૧ લાખ ૮૦ હજાર લીધા હતા. તે રકમમાંથી મીતાબેનને રૂ.૨૦ હજાર, મુકેશભાઈને રૂ.૧ લાખ ૨૦ હજાર અને બાકીના રૂ.૪૦ હજાર યુવતી (નુરી)ના ભાઈ-ભાભીને આપવામાં આવ્યા છે. તેમ વાત કરાઈ હતી. તે પછી નુરીબેનના લગ્ન જીજ્ઞેશ ખેતીયા સાથે કરાવી અપાયા હતા.
આ યુવતી સાસરે આવ્યા પછી દોઢ દિવસમાં જ તેણે પોત પ્રકાશ્યું હતું. અહીં ગમતું નથી, મારે રાજકોટ જવું છે તેમ કહી આ યુવતીએ નાટક શરૂ કર્યા પછી ખાવા-પીવાનું બંધ કરી દીધુ હતું અને જીજ્ઞેશભાઈના ઘરે ઓરડામાં બારણું બંધ રાખવાનું શરૂ કરતા જીજ્ઞેશભાઈના માતા સહિતના પરિવારજનો ગભરાયા હતા અને આ યુવતી કંઈક કરી લેશે તો ફસાઈ જઈશું તેવી શંકા તેઓને પડતા મીતાબેનને વાત કરાયા પછી મુકેશ મકવાણાને વાકેફ કરાયા હતા.
મુકેશે આ યુવતીને હવે તારે ત્યાં જ રહેવાનું છે, મરવું હોય તો મરી જા તેમ કહેતા જીજ્ઞેશભાઈ અને તેના પરિવારજનો વધુ ગભરાયા હતા. તેઓએ સંબંધ ફોક કરવા અને પૈસા પાછા આપવાનું કહેતા રૂ.૨૦ હજાર મુકેશે પાછા આપ્યા હતા અને શબ્બીર નાગોરી નામના શખ્સે આ પ્રકરણમાં એન્ટ્રી મેળવી મુકેશ પાસેથી રૂ.૧ લાખનો ચેક જીજ્ઞેશભાઈને અપાવ્યો હતો.
ત્યારપછી આ વ્યક્તિઓએ છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવતા જીજ્ઞેશભાઈ ખેતીયાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મીતાબેન ખેતીયા, મુકેશ મકવાણા, નવવધૂ નુરીબેન, શબ્બીર નાગોરી તથા નુરીબેનના ભાઈ-ભાભી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છએય સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લખેનીય છે કે, મુકેશ મકવાણાએ રૂ.૧ લાખનો ચેક આપ્યો હતો. તે રકમમાંથી પોતાનો ભાગ શબ્બીરે માંગતા અને જીજ્ઞેશે ના પાડતા તે બાબતની ફરિયાદ તાજેતરમાં જ સિટી બી ડિવિઝનમાં નોંધાઈ હતી. જેમાં શબ્બીર નાગોરી સામે પોલીસે ધમકી આપવા અંગે ગુન્હો નોંધ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial