Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગર૫ાલિકા દ્વારા અમલ નહી થતા જામનગરના શાસનાધિકારી અને કમિશનર સામે હાઈકોર્ટમાં કન્ટેપ્ટની ફરિયાદ

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓના હક્ક-હિસ્સામાં સમાધાનને હાઈકોર્ટની મંજૂરી છતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગર મહાનગરપાલિકા સંચાલિત  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૫ પટ્ટાવાળા કમ ચોકીદાર કર્મચારીઓના પડતર હક્ક-હિસ્સાના સમાધાનને  હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં કર્મચારીઓને નાણાની ચૂકવણી નહીં થતાં મામલો ફરી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કર્મચારીઓ તરફે મજૂર મહાજન સંઘ દ્વારા કોર્પોરેશનના શાસનાધિકારી, મ્યુનિસિપલ કમિશનર સહિતના જવાબદાર અધિકારીઓ સામે હાઈકોર્ટના આદેશના અનાદરની ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર જાગી છે.

આ અંગે હાઈકોર્ટ ની બે જસ્ટિસની બેન્ચે જવાબદાર અધિકારીઓને નોટીસ પાઠવી તા.૧૪ સપ્ટેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટની નોટીસ બાદ મનપા તંત્રમાં દોડધામ મચી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૨૫ પટ્ટાવાળા કમ ચોકીદાર કર્મચારીઓને તેમના હક્ક મુજબ મળવાપાત્ર રકમના ૪૦ ટકા નાણા ચૂકવવા અંગે મજૂર મહાજન સંઘ અને જામનગર મહાનગરપાલિકા વચ્ચે અગાઉ સમાધાન  કરવામાં આવ્યું હતું. તેને હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તા.૫ માર્ચ, ૨૦૨૬ના હાઈકોર્ટે મંજૂરી આપી હતી.

જોકે, હાઈકોર્ટની મંજૂરી બાદ પણ ટેકનિકલ કારણોસર ચૂકવણીનો મામલો અટવાઈ ગયો હતો. શિક્ષણ વિભાગ તરફથી અભિપ્રાય લેવામાં આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને ચુકવણી અંગે સહી કરવાની સત્તા છે કે નહીં તે મુદ્દે ગૂંચવણ ઊભી થઈ હતી. પરિણામે હાઈકોર્ટ દ્વારા મંજૂર થયેલા સેટલમેન્ટનો અમલ થઈ શક્યો નહોતો.

વિભાગો વચ્ચેની અનિર્ણાયકતાના કારણે લાંબા સમયથી પોતાના હક્કના નાણાની રાહ જોઈ રહેલા નાના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો આક્ષેપ મજૂર મહાજન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. આથી સંઘના સેક્રેટરી પંકજભાઈ જોષી એ તા. ૧૮ ઓગસ્ટ ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, હોદ્દાની રૂએ મ્યુનિસિપલ કમિશનર સહિતના જવાબદાર અધિકારીઓ સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી.

આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટની બે જસ્ટિસની બેન્ચે જવાબદાર અધિકારીઓને નોટીસ કાઢી છે અને તા.૧૪ સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર મામલે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટના અગાઉના મંજૂર સેટલમેન્ટનો અમલ ન થતાં ઊભા થયેલા આ વિવાદમાં હવે કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ તરફથી શું જવાબ રજૂ કરવામાં આવે છે તેના પર કર્મચારીઓની નજર મંડાઈ છે. વડોદરા, સુરત અને અમદાવાદમાં આવા જ સમાન કિસ્સા માં શાસનાધિકારીએ પ્રશ્નનો ઉકેલ લાવ્યો હતો. તો જામનગરમાં કેમ નહીં?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh