Advertisement
Author: નોબત સમાચાર

હાપાના જલારામ મંદિરે સાયબર ફ્રોડથી બચવા અંગે અપાયુ માર્ગદર્શનઃ ગૌપૂજન સાથે આરતી

સમાજ સેવાની ત્રણ પહેલ સાથે અનોખો ત્રિવેણી સંગમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના હાપા સ્થિત શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલમાં સાયબર સુરક્ષા, સમાજસેવા અને ગૌસેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. આયોજિત સાયબર સુરક્ષા સેમિનારમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી ઓનલાઈન ઠગાઈથી બચવા અંગે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજહિતની ત્રણ નવી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યારે અંતે ગૌશાળામાં ગૌમાતાનું પૂજન અને આરતી કરીને ગૌસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના સચિવ તથા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. એમ. શુક્લ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહૃાા હતા. જ્યારે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને તેમની ટીમે ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ છેતરપિંડી, ઓટીપી, ક્યુઆર કોડ, ફેક લિંક અને સોશિયલ મીડિયાના દુરુપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે 'જ્ઞાતિ વૈવાહિક માહિતી' યોજનાનું ઉદ્ઘાટન એ. એમ. શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું. સર્વે જ્ઞાતિના યુવક-યુવતીઓને વિશ્વસનીય વૈવાહિક માહિતી મળી રહે તે હેતુથી આ પહેલ શરૂ કરવામાં આવી છે.

'જલારામ જોબવર્ક માહિતી' યોજનાનો પ્રારંભ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના દ્વારા રોજગાર ઇચ્છુક યુવક-યુવતીઓને વિવિધ નોકરી અને રોજગારીની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તે જ રીતે મેડિકલ સાધન સહાય યોજના' નો પ્રારંભ પી.એલ.વી. ટીમના કોઓર્ડિનેટર ઉપાસનાબેન ઠક્કરના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ મેડિકલ સાધનો સહાયરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હાપા સ્થિત ગૌશાળામાં મુખ્ય અતિથિ એ. એમ. શુક્લના હસ્તે ગૌમાતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગૌમાતાની આરતી ઉતારી ગૌસેવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ભાવિકોએ પણ ગૌપૂજનમાં સહભાગી બની ગૌસંવર્ધન અને ગૌસેવાનો સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો.

સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, સમાજના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહૃાા હતા. શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજજાગૃતિ, જનકલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલભાઇ કાતર દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh