Advertisement
Author: નોબત સમાચાર

રાતોરાત નગરે ધારણ કર્યા નવા રંગરૂપઃ પી.એમ. વારંવાર પધારે તો રૈયત રાજી રાજી...!!

ભલે પધાર્યા... નગરના આંગણે પીએમ મોદીના વધામણાંઃ શહેરે સજ્યા શણગારઃ તંત્રોની દોડધામઃ

જામનગર તા. ૧ઃ છેલ્લા બે દિવસથી જામનગરના રંગરૃપ બદલાવવા લાગ્યા હતાં અને કેટલાક વિસ્તારોમાં સાફ-સફાઈ, જંતુનાશક દવાઓનો છંટકાવ તથા માર્ગાેનું સુશોભન થવા લાગ્યું હતું, રખડૂ ઢોર 'ખીલે' બંધાવા લાગ્યા હોય અથવા હટાવાઈ રહ્યા હોય, ખબર નહીં, પરંતુ અચાનક જ ઢોરના અડીંગા અદૃશ્ય થઈ જતાં પાંજરાપોળ જેવું લાગતું નગર અચાનક જ ખરેખર રજવાડી નગર હોય, તેવી તસ્વીર નગરજનોને (કામચલાઉ) આનંદ આપી રહી હતી. તો કેટલાક કઢંગા અને તૂટેલા-ફૂટેલા સ્પીડબ્રેકરો હટી જતાં ભલે, બે ચાર દિવસ પૂરતી પણ ખુશી મળી રહેલી જણાઈ !

આ બધું આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભારી છે, કારણ કે જેવી તેઓના આગમનની સંભાવનાઓ જાગી, ત્યાં જ તંત્રો સાબદા થઈ ગયા હશે અને કન્ફર્મેશન આવ્યા પછી તો રાજ્ય અને દેશની રાજધાની સાથે જિલ્લા મથક જામનગરનો 'સંચારસંગમ' સર્જાયો હશે. વડાપ્રધાન કક્ષાના મહાનુભાવનું આગમન થવાનું હોય, ત્યારે જિલ્લાની જનતા તેને આવકારે અને જરૃરી સુરક્ષા વ્યવસ્થાઓ પણ કરવી પડે, એ સ્વાભાવિક છે અને નગરની જનતા પણ તકલીફો વેઠીને પણ આદરપૂર્વક તંત્રોને વ્યવસ્થાઓ સહયોગી બનતી હોય છે, ત્યારે તંત્રોની પણ ફરજ છે કે સુરક્ષા પ્રોટોકોલ સુદૃઢતાથી જળવાય અને સાથે-સાથે લોકોની રોજીંદી જીવનચર્યાને ઓછામાં ઓછી તકલીફ પડે, તેવી વ્યવસ્થાઓ ગોઠવાય, ખરૃં કે નહીં ?

જો કે, જામનગરની તસ્વીર થોડી ઘણી બદલી હોય અને રાતોરાત કેટલાક માર્ગાે અદ્યતન થઈ ગયા હોય, ભલે વીઆઈપી રૃટ તથા સંભવિત વિસ્તારો પૂરતા મર્યાદિત વિસ્તારમાં જ થયું હોય, પરંતુ સફાઈ સાથે સુશોભન થયું, અને નગરનું નામ આજે દેશમાં ગુંજી રહ્યું છે, તેથી નગરજનો ખુશ છે લોકો એવી ટકોર પણ કરતાં સંભળાય છે કે જો વડાપ્રધાન વારંવાર જામનગરની મુલાકાતે આવે, અને વારા ફરતી નગરના જુદા જુદા વિસ્તારોમાં તેઓના કાર્યક્રમો યોજાય તો કેવું સારૃં !!

જો કે, આવું માત્ર જામનગરમાં જ થઈ રહ્યું હોય, તેવું નથી, પરંતુ દેશના કોઈપણ વિસ્તારોમાં કોઈપણ વીવીઆઈપીનો કાર્યક્રમ હોય, ત્યારે તંત્રો દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થાઓ થતી જ હોય છે અને જે તે વીઆઈપી જો કોઈ રાજકીય પક્ષના નેતા હોય તો તે પાર્ટીના કાર્યકરો પણ આગતા-સ્વાગતામાં કોઈ કસર છોડતા હોતા નથી, યે આગે સે ચલતી આતી હૈ....

જો કે, છેલ્લા બે-અઢી દાયકાથી આગતા-સ્વાગતા તથા સંલગ્ન પ્રોટોકોલ્સમાં મોર્ડન બદલાવો આવ્યા છે, અનેત તેમાં પણ ચોક્કસ 'સિસ્ટમ' અપનાવાઈ રહી છે. જે હોય તે ખરૃં, પરંતુ દેશના વડાપ્રધાન જ્યારે આપણાં નગરમાં પધારે, ત્યારે સૌને ગૌરવ તો થાય જ ને ? અને વ્યવસ્થાના ભાગરૃપે કેટલીક મુશ્કેલીઓ એકાદ દિવસ માટે વેઠવી પણ પડે, તો તેમાં આ રજવાડી નગરના નગરજનો ક્યાં પાછીપાની કરે તેવા છે !!

આજે વડાપ્રધાન જામનગરમાં રાત્રિમુકામ કરવાના હોવાથી રાજકીય હલચલ પણ વધી ગઈ છે અને મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ, સનદી ઉચ્ચ અધિકારીઓ, અને વ્યાપાર ઉદ્યાગ ક્ષેત્રના વર્તુળોનો જમાવડો જોતાં દેશની અને રાજ્યની રાજધાનીઓ આજે જાણે જામનગરમાં જ ધમધમવા લાગી હોય તેમ જણાય છે, છે ને 'ગૌરવ'ની વાત !?

આવતીકાલે વડાપ્રધાન જ્યાં જવાના છે, તે 'વનતારા' પણ હવે એક મહત્ત્વપૂર્ણ ગ્લોબલ ડેસ્ટિનેશન બની ગયું છે, અને અંબાણી પરિવાર સાથે સંકળાયેલું આ ડેસ્ટિનેશન પણ માત્ર નગર નહીં, સમગ્ર સ્ટેટ અને નેશનમાં કુતૂહલપૂર્ણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, તો સોમનાથ, સાસણગીર તથા ગીરનાર તરફ પણ સૌ કોઈનું ધ્યાન ખેંચાયું છે, ત્યારે વડાપ્રધાન કોઈ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરે કે કોઈ પોલિટિકલ સિગ્નલ આપી શકે છે, તેવી અટકળો પણ થઈ રહી છે, જોઈએ, શું થાય છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh