Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવાર શોકમગ્ન બન્યોઃ યુવાવર્ગમાં હાર્ટએટેકના વધતા પ્રમાણથી ભય સાથે ચિંતા પ્રસરીઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના પટેલપાર્ક વિસ્તારમાં ગઈરાત્રે એક દાંડિયા ક્લાસીસમાં ગરબાની પ્રેક્ટિસ કરાવાતી હતી ત્યારે ૧૯ વર્ષના એક યુવાનને હૃદયરોગનો તિવ્ર હુમલો આવી જતાં તે યુવાન મોતને ભેટ્યો છે. યુવાવર્ગમાં વધતા જતા હુમલાના પ્રમાણે ચિંતાની લાગણી જન્માવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસીસમાં છેલ્લા બેએક મહિનાથી નવરાત્રિને અનુલક્ષીને ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. આ ક્લાસીસમાં અંદાજે ૧૦૦થી વધુ યુવાનો ગરબાની પ્રેક્ટિસમાં ભાગ લઈ રહ્યા છે.
આ ક્લાસીસમાં નિલકંઠ નગરની શેરી નં.૨માં રહેતા વિનીત મેહુલભાઈ કુંવરીયા (ઉ.વ.૧૯) નામના યુવાન પણ ગરબા શીખવા માટે આવતા હતા. આ યુવાન તથા અન્ય વિદ્યાર્થીઓ ગઈકાલે રાત્રે દસેક વાગ્યે રોજના ક્રમ મુજબ ગરબાની ઉત્સાહભેર પ્રેક્ટિસ કરતા હતા અને ક્લાસીસના સંચાલક બહાર ઉભા હતા.
આ વેળાએ પ્રેક્ટિસ કરતો વીનિત અચાનક જ ઢળી પડ્યો હતો. તેથી અન્ય વિદ્યાર્થીઓએ બુમ પાડીને સંચાલકને બોલાવ્યા હતા. જેના પગલે દોડી આવેલા સંચાલક તથા અન્ય યુવાનોએ વીનિતને બેહોશ થઈ ગયેલો જોઈ તરત જ ૧૦૮ તેમજ આ યુવાનના પરિવારને જાણ કરી હતી. જેના પગલે યુવાનના મામા તથા કાકા દોડી આવ્યા હતા.
કોઈ કારણથી ૧૦૮ થોડા વિલંબથી પહોંચી હતી. તે પહેલા ક્લાસીસના સંચાલક સહિતના વ્યક્તિઓએ બેશુદ્ધ વીનિતને સારવાર માટે ઓશવાળ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને હૃદયરોગ નો હુમલો આવી ગયાનું અને તેનું મૃત્યુ નિપજ્યાનું જણાવતા થોડી મિનિટો પહેલા જ વીનિત સાથે ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા અન્ય વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા.
ત્યારપછી આવી પહોંચેલા આ યુવાનના અન્ય પરિજનોની ઉપસ્થિતિમાં વીનિતના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી જ્યાં મૃતદેહ સંભાળવામાં આવ્યા પછી આજે સવારે મેડિકલ કોલેજના પી.એમ. વિભાગમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવે ગરબારસીકો તેમજ યુવાવર્ગમાં અરેરાટી સાથે ભયની લાગણી પ્રસરાવી છે. થોડા સમયથી નવયુવાનોને આવી રહેલા હૃદયરોગના હુમલાએ વધુ એક વખત ચિંતા જન્માવી છે.
થોડા દિવસ પહેલા જ જુનાગઢના એક યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતું. તે પછી ગઈકાલે જામનગરના યુવાનને દાંડિયાની પ્રેક્ટિસમાં હૃદયરોગનો હુમલો આવી જતાં તેનું મૃત્યુ થયાનું ખૂલ્યું છે. આવી જ રીતે રાજ્યના સુરત તેમજ કપડવંજ અને નવસારીમાં પણ ત્રણ યુવાનોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું અગાઉ જાહેર થયું હતું. જ્યારે કોરોનાકાળ પછી નવયુવાનો અને કેટલાક તરૃણોને પણ હૃદયરોગ ભરખી જતો હોવાના અહેવાલો સમયાંતરે બહાર આવતા હોય ભય પ્રસર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial