Advertisement
Author: નોબત સમાચાર

ભૂપત આંબરડીમાં પુત્રીના છૂટાછેડા થતાં ચિંતા અનુભવતા માતાએ ખાધો ગળાફાંસો

પત્ની છોડી જતા અને છેડતીની ફરિયાદ થતાં બે યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુઃ અરેરાટીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.રપ : જામજોધપુરના ભૂપત આંબરડી ગામના એક પ્રૌઢાએ પુત્રીના છૂટાછેડા થયા પછી સતત પુત્રીની ચિંતા કર્યા રાખ્યા પછી ગઈકાલે ગળાફાંસો ખાઈ જિદંગી ટૂંકાવી લીધી છે. અંધાશ્રમ ફાટક નજીક દવા બજાર કોલોનીમાં રહેતા એક યુવાનના પત્ની ચારેક વર્ષ પહેલા પતિને મૂકીને ચાલ્યા જતા લાગી આવવાથી આ યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગીનો અંત આણ્યો છે. ઓખામંડળના આરંભડામાં છેડતીની ફરિયાદથી સમાજમાં આબરૂ જવાની બીકે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મ હત્યા વ્હોરી લીધી છે.

જામજોધ૫ુર તાલુકાના ભૂપત આંબરડી ગામના મંગુબેન દેવાભાઈ સોંદરવા નામના ત્રેપન વર્ષના પ્રૌઢાએ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરમાં લોખંડની આડીમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે તેની જાણ પુત્ર ગૌતમભાઈએ પોલીસને કરી છે.

પોલીસ સમક્ષ તેઓએ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ મંગુબેનના પુત્રીના થોડા સમય પહેલાં છૂટાછેડા થયા હતા તે પછી સતત પુત્રીની ચિંતા કર્યે રાખતા મંગુબેન વિચારવા ગુમસુમ રહેતા હતા અને ચિંતામાં તેઓએ ગઈકાલે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના અંધાશ્રમ ફાટક નજીક દવાબજાર કોલોનીમાં વસવાટ કરતા ભરતભાઈ માછુભાઈ કરનોલ નામના આડત્રીસેક વર્ષના મહારાષ્ટ્રીયન યુવાને ગઈકાલે રાત્રે અગિયારેક વાગ્યે ફાટક પરથી પસાર થયેલી એક ટ્રેન હેઠળ ઝંપલાવી લીધુ હતું. આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકના પુત્ર વિશાલનું નિવેદન નોંધ્યું છે.

જેમાં જણાવવામાં આવ્યા મુજબ આ યુવાનના પત્ની ચારેક વર્ષ પહેલાં પતિને છોડીને બીજા સાથે રહેવા માટે ચાલી જતાં ભરતભાઈ સ્તબ્ધ બની ગયા હતા. તેના આઘાતમાં રહેતા ભરતભાઈએ ગઈકાલે આત્મહત્યા કરી છે.

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં આવેલા મીઠાપુર નજીકના આરંભડા ગામની સીમમાં આંબેડકર સોસાયટીમાં એલ લાઈનમાં રહેતા કમલેશ ભાઈ વીરાભાઈ ચાનપા નામના બત્રીસ વર્ષના યુવાને બુધવારે રાત્રે ત્રણેક વાગ્યે જંગલેશ્વર રેલવે ફાટક પાસેથી પસાર થતી એક ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. મૃતકના મોટાભાઈ કારાભાઈએ પોલીસને જાણ કરી છે.

આ યુવાન સામે થોડા દિવસ પહેલા છેડતી અંગેની એક ફરિયાદ નોંધાવા પામી હતી જેના કારણે સમાજમાં બદનામ થઈ જવાની ભીતિથી કમલેશભાઈએ આ પગલું ભર્યાનું કારાભાઈએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. મીઠાપુર પોલીસે તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh