Advertisement
Author: નોબત સમાચાર

પત્નીનો વિયોગ ન સહેવાતા ધ્રોલના યુવાને ખાઈ લીધો ગળાફાંસોઃ પ્રૌઢની આત્મહત્યા

હૃદય તથા માનસિક બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધાએ ઝંપલાવ્યું કૂવામાંઃ

જામનગર તા.૬ ઃ ધ્રોલના એક યુવાનના પત્નીનું બે મહિના પહેલા કેન્સરના કારણે મૃત્યુ થયા પછી પત્નીના વિરહમાં ઝુરતા આ યુવાને ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જ્યારે ધરારનગર-૧માં એક પ્રૌઢે અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધો છે. ઉપરાંત ભાણવડના કબરકા ગામના એક વૃદ્ધાએ બીમારીથી કંટાળી કૂવામાં ઝંપલાવી જિંદગીનો અંત આણ્યો છે.

ધ્રોલ શહેરના ફૂલવાડી રોડ પર આવેલા ભીમવાસમાં રહેતા હેમંતભાઈ કરશનભાઈ ચૌહાણ નામના બત્રીસ વર્ષના યુવાને મંગળવારની રાત્રિથી બુધવારની સવાર સુધીમાં પોતાના ઘરમાં એક ઓરડામાં રહેલા પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના મોટાભાઈ નરશીભાઈને જાણ થતાં તેઓએ હેમંતભાઈને નીચે ઉતારી સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી હેમંતભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે નરશીભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ હેમંતભાઈના પત્નીનું બે મહિના પહેલા કેન્સરની બીમારીથી મૃત્યુ થયું હતું. ત્યારપછી એકલા અને ગુમસુમ રહેતા હેમંતભાઈ પત્નીના વિરહમાં ઝૂરતા હતા અને તેઓએ આ કારણસર આત્મહત્યા કરી છે. પોલીસે  તપાસ શરૃ કરી છે.

જામનગરના સરૃ સેક્શન રોડ પર આવેલા ધરારનગર-૧માં જ્ઞાનગંગા સ્કૂલ પાછળ રહેતા ઈબ્રાહીમભાઈ આમદભાઈ દલ નામના પચ્ચાસ વર્ષના વાઘેર પ્રૌઢે ગઈકાલે સવારે કોઈ અકળ કારણથી આત્મહત્યાનો કઠોર નિર્ણય કરી પોતાના ઘરમાં છતમાં રહેલી લાકડાની આડશમાં નાઈલોનની દોરી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં તેમના પુત્ર મુસ્તાક દલે ૧૦૮ને જાણ કરી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ પ્રૌઢને નીચે ઉતારી તપાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. સિટી-બી ડિવિઝનના પીએસઆઈ આર.પી. અસારીએ મૃતદેહનો કબજો સંભાળી પુત્રનું નિવેદન નોંધ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કબરકા ગામમાં રહેતા કારીબેન વીરાભાઈ ગોરધન નામના એકોત્તેર વર્ષના આહિર વૃદ્ધાએ ગઈકાલે સવારે છએક વાગ્યે પોતાના ઘર પાસે આવેલા કૂવામાં ઝંપલાવી લીધુ હતું. તે વૃદ્ધાને બહાર કાઢી સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. વધુ પડતંુ પાણી પી ગયેલા આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. ભાણવડ પોલીસે પતિ વીરાભાઈ જેસાભાઈ ગોધમનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પત્ની છેલ્લા બેએક વર્ષથી હૃદય તથા માનસિક બીમારીથી પીડાતા હતા. તેમને સારવાર અપાવવામાં આવી રહી હતી. આ વૃદ્ધાએ બીમારીથી કંટાળી જઈ કૂવામાં ઝંપલાવી જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે આ બનાવ અંગે પણ તપાસ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh