Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સફાઈ કામદારના મકાનમાં રૂ।.પોણા ત્રણ લાખના દાગીના, રોકડની ચોરીઃ
જામનગર તા. ૨: જામનગરના મહાવીરનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા મહિલા સફાઈ કામદારના ફલેટમાંથી ગયા મહિનામાં એક સપ્તાહ દરમિયાન રૂ।.ર લાખથી વધુના સોના-ચાંદીના દાગીના તથા રૂ।.૭૦ હજાર રોકડાની ચોરી થઈ છે. તે ઉપરાંત પટેલ કોલોનીમાં વસવાટ કરતા એક વૃદ્ધાને તેમના વિધવા સહાયના બંધ થઈ ગયેલા ખાતાને ફરીથી એક્ટિવેટ કરવામાં મદદરૂપ થઈ રહેલા એક રિક્ષાચાલકે પોતાના બે સાગરિત સાથે મળી તે વૃદ્ધાની જાણ બહાર ઘરમાંથી રૂ।.૧,ર૯,૭૦૦ના દાગીનાની ચોરી કર્યાની શંકા સાથે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મહાવીરનગર નજીક વૃંદાવન એપાર્ટમેન્ટમાં ફલેટ નં.૨૦૧માં રહેતા જયોતિબેન હરીશભાઈ મકવાણા નામના સફાઈ કામદાર મહિલા ગઈ તા.ર૦ની રાત્રે બહાર ગયા પછી તા.ર૭ની બપોરે પરત આવ્યા તે દરમિયાન તેમના ઘરમાંથી રૂ।.ર લાખ ૭૭ હજારની મત્તાની ચોરી થઈ ગઈ હતી.
આ મહિલા જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેમના બંધ રહેલા મકાનમાં ઉપરોક્ત દિવસો દરમિયાન ઘૂસી ગયેલા કોઈ તસ્કરે કબાટનું ખાનુ લોક તોડીને ખોલી નાખ્યા પછી તેમાંથી રૂ।.૭૦ હજાર રોકડા અને કુલ ૧૫ ગ્રામના સોનાના બે ચેઈન, એક મંગળસૂત્ર, ચાંદીની પોચી મળી રૂ।.ર લાખ ૭૭ હજારની મત્તાની ચોરી કરી લીધી હતી. તેની ગઈકાલે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
ઉપરોકત ચોરી ઉપરાંત પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૧૧ના રોડ નં.૩માં નહેરૂનગર નજીક વસવાટ કરતા વીણાબેન દિલીપભાઈ નામના ૭૪ વર્ષના જૈન વણિક વૃદ્ધાએ પોતાના ઘરમાં અપપ્રવેશ કરી જાફર રિક્ષાવાળા તથા અન્ય બે અજાણ્યા શખ્સે ગઈ તા.ર૪ માર્ચની સવાર દરમિયાન ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયામાં જણાવવામાં આવ્યા મુજબ આ દિવસે વીણાબેન પોતાના ઘરની બહાર શેરીમાં બેઠા હતા ત્યારે જાફર સહિતના ત્રણ વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયા હતા. જેમાંથી જાફરે તેઓની જાણ બહાર કબાટમાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બામાંથી રૂ।.૧,ર૯,૭૦૦ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી.
બનાવના થોડા દિવસ પહેલાં વીણાબેને પોતાનું વિધવા સહાયનું ખાતુ બંધ થઈ ગયું હોવાથી તેને ફરીથી એક્ટિવેટ કરવા માટે તજવીજ કરી હતી ત્યારે નવું ખાતું ખોલવા ચેક આપવાનું કહી જાફરે તા.ર૪ની સવારે ઘરમાંથી દાગીનાની ઉઠાંતરી કર્યાની આશંકા વીણાબેને પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ વીણાબેનને તેઓનું વિધવા સહાયનું નવું ખાતું ખોલવા માટે સહાયરૂપ થવાના બહાના તળે જાફરે પોતાની સાથે બે અજાણ્યા શખ્સને લાવી નવા ખાતા માટેનું ફોર્મ ભરવું પડશે તેમ જણાવ્યું હતું અને તેનું ફોર્મ ભરાયા પછી ચેક મળશે તેમ કહ્યું હતું, આપવામાં આવેલો ચેક ખોટો હોવાનું ખૂલ્યું છે અને તે પછી વીણાબેને પોતાના પુત્રને આ વાત કરતા તેમના પુત્રએ ઘરના કબાટમાં જોતા દાગીનાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો મળ્યો ન હતો અને તે પછી આ ખાલી ડબ્બો બાથરૂમમાંથી સાંપડતા તે વખતે બાથરૂમ ગયેલા જાફરે તે ડબ્બો લઈ બાથરૂમમાં ખાલી કરી નાખી રૂ।.૧,૨૯,૭૦૦ના દાગીનાની ચોરી કર્યાની શંકા પડતા આખરે ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial