Advertisement
Author: નોબત સમાચાર

ટિન્નુ યાદવના ભાડૂત અને રૂ।. ૧૫ થી ૧૮ હજારના પગારદારે એક વર્ષમાં રૂ।. ૨૦ કરોડની સંપત્તિ ખરીદી !

રામ મંદિરમાં દાનચોરી કેસના મુખ્ય આરોપી

                                                                                                                                                                                                      

લખનૌ તા. ૧૫: રામમંદિર દાનચોરી કેસના મુખ્ય આરોપી ટિન્નુ યાદવના ભાડૂત અને ૧૫ થી ૧૮ હજારની નોકરી કરતા મહેશકુમાર પર એસઆઈટીની શંકા સાચી ઠરશે, તો મોટા ધડાકા થઈ શકે છે.

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી કેસમાં એસઆઈટીને મોટી સફળતા મળી છે. અને એક વિખ્યાત કંપનીના કથિત કર્મચારી મહેશ કુમાર વિરુદ્ધ ચોંકાવનારા પુરાવા મળ્યા છે. ૧૫ થી ૧૮ હજારના પગારદાર મહેશે ૧ વર્ષમાં ૨૦ કરોડની ૨૦ પ્રોપર્ટી ખરીદી. તે મુખ્ય આરોપી ટિન્નુના ઘરે ભાડે રહેતો હતો. એસઆઈટી ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ રજૂ કરશે, જેમાં નવા નામો સામેલ થઈ શકે છે.

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના ચકચારી કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ના હાથે વધુ એક મોટી સફળતા લાગી છે. આ કેસમાં હવે એલ એન્ડ ટીના કથિત કર્મચારી મહેશ કુમાર વિરુદ્ધ ચોંકાવનારા પુરાવા મળ્યા છે. મહેશ કુમાર આ કેસના મુખ્ય આરોપી રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુનો અત્યંત નજીકનો સાથી હોવાનું બહાર આવ્યું છે અને તે ટિન્નુના ઘરે જ ભાડે રહેતો હતો. આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને લખનૌ ઝોનના આઈજી કિરણ એસ. સમક્ષ પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

મૂળ બસ્તી જિલ્લાના રહેવાસી મહેશ કુમારની રામ મંદિરમાં દાન ગણતરી કક્ષમાં સીધી ડ્યુટી નહોતી, પરંતુ તે એકાઉન્ટ્સ સંબંધિત કામગીરી અને ટેલીશીટ બનાવવાનું કામ કરતો હતો. લેખિત ફરિયાદ અનુસાર, મહેશ કુમારનો માસિક પગાર માત્ર ૧૫,૦૦૦ થી ૧૮,૦૦૦ રૂપિયા જેટલો જ છે. આમ છતાં, છેલ્લા એક વર્ષમાં તેની મિલકતોમાં અકલ્પનીય વધારો થયો છે. તેણે અયોધ્યાના દર્શનનગર ઉપરાંત બસ્તી, લખનૌ અને પ્રયાગરાજમાં અંદાજે ૨૦ જેટલી અચલ સંપત્તિઓ ખરીદી હોવાના દસ્તાવેજો એસઆઈટીને સોંપવામાં આવ્યા છે. જેની કિંમત ૨૦ કરોડથી પણ વધુ થાય છે.

આરોપ છે કે રામ મંદિરમાં ચઢાવા ચોરીનો મામલો બહાર આવ્યા બાદ જ, મહેશ કુમારે ૧૨ જૂનના પોતાના ગામની નજીક ગઢહારાજામાં ૯૦ લાખ રૂપિયાની છ વીઘા જમીન ખરીદી હતી. આ ઉપરાંત બેનીપુર ગામમાં પણ કરોડોની જમીનો પોતાના ભાઈ રમેશ કુમાર, પત્ની, ભાભી, બહેન-બનેવી અને ભાણેજના નામે ખરીદી લીધી હતી. તેનો ભાઈ રમેશ કોઈ જ નોકરી-ધંધો કરતો નથી, છતાં તેના નામે લાખોની પ્રોપર્ટી વસાવવામાં આવી છે.

મહેશ કુમાર અંગે એલ એન્ડ ટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિનોદ કુમાર મહેતાએ સ્પષ્ટ કર્યું છે કે આ નામનો કોઈ જ કર્મચારી તેમની કંપનીમાં નથી. જેથી આશંકા છે કે મહેશ કુમાર એલ એન્ડ ટી ની સહયોગી કંપની 'ન્ જિયો સ્ટ્રક્ચર' નો કર્મચારી રહૃાો હોવો જોઈએ, જે મંદિરના પાયાના ખોદકામ સમયે પાઇલિંગના કામ માટે આવી હતી. મુખ્ય આરોપી ટિન્નુએ પણ ધરપકડ પહેલા મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આ કંપનીના કર્મચારીઓ તેના અયોધ્યા સ્થિત ઘરમાં ભાડે રહેતા હતા.

એસઆઈટી આ કેસની તપાસ લગભગ પૂર્ણ કરી ચૂકી છે. સરકારે નક્કી કરેલી સમયમર્યાદા મુજબ એસઆઈટીએ પોતાનો અંતિમ અહેવાલ ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ સોંપવાનો હતો, પરંતુ આ અવધિમાં બે-ત્રણ દિવસનો વધારો થઈ શકે છે. એસઆઈટીની ટીમ ટૂંક સમયમાં અયોધ્યાની મુલાકાત લઈને રામ મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ અને વર્તમાન હોદ્દેદારોના નિવેદનો ફરીથી નોંધશે. આ આખરી રિપોર્ટમાં બેંક, ટ્રસ્ટ, સુરક્ષા અને દાન ગણતરી સાથે જોડાયેલા કેટલાક અન્ય મોટા માથાઓના નામ પણ આરોપી તરીકે સામેલ થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh