Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં અતિવૃષ્ટિ-ભૂસ્ખલનથી ૨૪ના મૃત્યુઃ અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

બે દિવસથી આફતે વેર્યો વિનાશઃ આગામી ૪૮ કલાકનું એલર્ટ

                                                                                                                                                                                                      

શ્રીનગર તા. ૨૧: જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત ઉતરતા ૨ દિવસમાં ૨૪ના મોત થયા છે, અને વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આગામી ૪૮ કલાક માટે પણ એલર્ટ જાહેર કરાયુ છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાને બીજા દિવસે પણ વિનાશ વેર્યો છે. પૂંછ જિલ્લામાં ભૂસ્ખલનથી એક જ પરિવારના ૭ સભ્યો સહિત કુલ ૨૪ લોકોના મોત થયા છે, જ્યારે ૬ લાપતા છે. અમરનાથ, વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરાઈ છે. હવામાન વિભાગે આગામી ૪૮ કલાકનું એલર્ટ આપ્યું છે.

પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પૂંછ જિલ્લામાં સૌથી વધુ તબાહી મચી છે, જ્યાં પહાડ પરથી કાદવ અને મલબો ધસી પડતાં એક જ પરિવારના સાત સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે.

બે દિવસમાં હવામાન સંબંધિત હોનારતોને કારણે રાજ્યમાં કુલ ૨૪ લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે ૬ લોકો હજુ પણ કાદવ અને પૂરના પાણીમાં લાપતા છે. હવામાનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે પણ અમરનાથ, માતા વૈષ્ણોદેવી, રિયાસી સ્થિત શિવખોડી અને કિલતવાડમાં સરથલ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.

જોકે, અમરનાથ ધામ માટે બાલ્તાલના માર્ગેથી કેટલાક શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવ્યા છે. કટડામાં ૧૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા ફરી શરૂ થાય તેની રાહ જોઈ રહૃાા છે. વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર પથ્થરો પડવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, પરંતુ યાત્રા બંધ હોવાના કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને શ્રાઇન બોર્ડ માર્ગોને સુરક્ષિત કરવામાં લાગેલું છે. રાજૌરી અને પૂંછ જિલ્લામાં બે દિવસમાં કુલ ૨૧ લોકોના મોત થયા છે. સોમવારે સવારે સુરનકોટના લોરન ગામમાં એક કાચા મકાન પર પહાડ પરથી ભારે મલબો પડતાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા, જેમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

તવી અને ચિનાબ નદીઓ સહિત અનેક નાળાઓ ભયજનક સપાટીએ વહી રહૃાા છે. રાજૌરીમાં ઉફાન પર આવેલી મનાવર નદીમાંથી હેલિકોપ્ટરની મદદથી એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોઈને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મૃતકોના પરિવારોને છ-છ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ડોડા જિલ્લામાં ભદ્રવાહથી જમ્મુ આવી રહેલી એક મુસાફર બસ પર પહાડ પરથી વિશાળ ખડક પડતાં બે લોકોના મોત થયા છે અને ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ જતાં ઘણાં ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે.

હવામાન વિભાગે ૨૩ જુલાઈ સુધી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપી છે અને લોકોને પહાડી વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ આપી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્રે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh