Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે 'સંસ્કૃત કક્ષ'નું લોકાર્પણ

સરસ્વતી શિશુમંદિર વિભાપરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપરમાં શિક્ષણ રાજયમંત્રી રિવાબા જાડેજાના હસ્તે 'સંસ્કૃત કક્ષ'નું લોકાર્પણ કરાયું હતું.

ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત 'સંસ્કૃત કક્ષ'નો લોકાર્પણ કાર્યક્રમ વિભાપર સ્થિત શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

સંસ્કૃત કક્ષને ખુલ્લો મૂકતાં રિવાબાએ જણાવ્યું હતું કે, આજના સમયની માંગ પ્રમાણે મૂલ્યો અને કેળવણી આધારિત શિક્ષણ મેળવીને આપણે સૌ 'વિશ્વ ગુરુ' બનવા તરફ આગળ વધી રહૃાા છીએ. આપણી પ્રાચીન પ્રણાલી અને ગૌરવશાળી પરંપરા થકી 'વિકસિત ભારત'નું સ્વપ્ન કેવી રીતે સાકાર કરી શકાય, તે આ નવતર પહેલ દર્શાવે છે.

રિવાબાએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં વિવિધ ૫૦૦ સ્થળોએ આ પ્રકારના સંસ્કૃત ખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષા એ વિશ્વની ૫૦ થી ૭૫ જેટલી મુખ્ય ભાષાઓની જન્મદાત્રી છે, જ્યારે અન્ય ૧૦૦ જેટલી ભાષાઓએ સંસ્કૃતમાંથી પ્રેરણા મેળવીને વિકાસ સાધ્યો છે. આજના ટેકનિકલ યુગમાં જે સંશોધનો થઈ રહૃાા છે, તે આપણા વેદો અને ઉપનિષદોના માધ્યમથી વર્ષો પહેલા જ વિશ્વ સમક્ષ મૂકવામાં આવ્યા છે. ભગવાન રામ અને કૃષ્ણના સમયની ગુરુકુળ શિક્ષણ પરંપરા પણ સંસ્કૃતથી જ છલકાતી હતી.

રિવાબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે દેશ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે, સમય જતાં તે દેશનું અસ્તિત્વ જ ભૂંસાઈ જાય છે. ભારતનો ઇતિહાસ, પ્રણાલિકાઓ, સંસ્કૃતિ અને સંસ્કારોને સંસ્કૃત ભાષાએ જ જોડી રાખ્યા છે. મેકોલે દ્વારા થોપવામાં આવેલી જૂની શિક્ષણ પદ્ધતિને બદલીને, આપણી પ્રાચીન પરંપરાને અનુસરતી નવી શિક્ષણ નીતિ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે જ આ સંસ્કૃત કક્ષનું નિર્માણ કરાયું છે. આજે વિશ્વ એ જે યોગ અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવી છે, તે આપણી જ ધરોહર છે. સ્વચ્છતા, દીકરા-દીકરી સમાનતા, પર્યાવરણનું જતન અને સંસ્કારો સાથે આજની શિક્ષણ નીતિ આગળ વધી રહી છે, ત્યારે સૌ નાગરિકો દેશના વિકાસમાં સહભાગી બને તેવું મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

આ સંસ્કૃત કક્ષનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યેની સમજ વધુ સુદ્રઢ બને અને તેઓ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો છે. આ કક્ષના માધ્યમથી વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ સમાજના લોકોને ચાણક્ય નીતિ, વૈદિક ગણિત, ઋતુચર્યા, આયુર્વેદ, નાટ્યશાસ્ત્ર, કલા અને કૃષિ વિજ્ઞાન જેવા વિવિધ વિષયોની રસપ્રદ માહિતી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ બનશે, જેથી સંસ્કૃત ભાષાને વહેવારમાં લાવી શકાય.

આ પ્રસંગે વિદ્યાલયના પ્રમુખ ભાણજીભાઈ પાંભર, મંત્રી હર્ષદભાઈ પણસારા, નિયામક જયશ્રીબા જાડેજા, પ્રધાનાચાર્ય હેમાંશુભાઈ પરમાર, સરપંચ હેમંતભાઈ પાંભર, અગ્રણી ભરતસિંહ જાડેજા, કોર્પોરેટર પૂર્વેશભાઈ પરમાર સહિત શાળાના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh