Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં

આજે વિશ્વ સિંહ દિવસ

                                                                                                                                                                                                      

ગિર અને સિંહો સાથેનો મારો નાતો ચાર દાયકાથી પણ જૂનો છે. ગિર અને સિંહો મારી સમગ્ર ચેતનામાં વણાઈ ગયાં છે. મારી નસોમાં ફરી રહૃાાં છે અને હદયમાં ધબકી રહૃાાં છે. ગિર તથા સિંહોને મેં અસંખ્ય વાર જોયા છે, માણ્યા છે. દરેક ઋતુમાં મેં ગિરની છટા જોઇ છે. વહેલી સવારે, ભર બપોરે, સમી સાંજે. સમગ્ર ગિર ઇકો સિસ્ટમનો જાણે હું એક અભિન્ન હિસ્સો બની ગયો છું. જેટલીવાર જાઉં તેટલી વાર નવી તાજગી, નવી ઊર્જા અનુભવું છું. જઇને પાછો આવું ત્યાં તો ફરી જવાની તાલાવેલી થાય છે. ગિર જાણે મારી રાહ જોઇ રહૃાું હોય, મને બોલાવતું હોય તેવું લાગ્યા કરતું હોય છે. એટલે તો મેં ગિર વિષેની મારી એક કોફી ટેબલ બુકનું નામ કોલ ઑફ ધ ગિર રાખ્યું નહિ હોયને! ગિર અને સિંહો વિષે મારા મનોજગતના ભાવો અને અનભૂતિનું વર્ણન કરવા શબ્દો જાણે ઓછા પડતા હોય તેમ લાગે છે.

પહેલી વાર લગભગ ૧૯૮૭માં સાસણમાં જ્યારે મેં પગ મૂક્યો હતો, ત્યારે એશિયાઈ સિંહોની સંખ્યા ૨૦૦ની આસપાસ હતી. તે સમયે સાસણ અને ગિરનાં અન્ય ગામડાં જંગલનો જ એક ભાગ હોય એવું લાગતું હતું. નાનાં, રળિયામણાં અને પરમ શાંતિનો અનુભવ કરાવનાર ગામો હતાં. દરેક સિંહનું દર્શન આહ્લાદક લાગતું હતું. દરેક સિંહબાળ નવી આશા જન્માવતું હતું.

આજે જ્યારે બૃહદ ગિરના વિશાળ ભૂ-ભાગમાં સિંહો વિચરતા થયા છે, ત્યારે ગર્વની સાથે સંતોષની લાગણી થાય છે. ૮૯૧ એ કોઈ નાની સંખ્યા નથી. માત્ર ભારતમાં જ નહિ પણ વૈશ્વિક ધોરણે પણ વન્યજીવ સંરક્ષણની આ સૌથી સફળ ગૌરવ ગાથા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને સતત તથા સક્રિય માર્ગદર્શનનું આ પરિણામ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અલબત્ત, એટલો જ શ્રેય વનવિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સિંહ પ્રેમી નિષ્ણાતો, પશુચિકિત્સકો, સ્થાનિક ગ્રામજનો અને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાંથી આવતા અનેક નિષ્ઠાવાન લોકોની અથાગ કામગીરીને ફાળે પણ જાય છે.

ગિર અને સિંહના વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ગુજરાત વન વિભાગના મોટા અધિકારીઓથી લઇને જેને ફ્રન્ટ લાઇન સોલ્જર કહી શકાય તેવા ગાર્ડ્સ અને ટ્રેકર્સ સહિત વ્યાપક ગિર અને સિંહ પ્રેમીઓ તથા સ્થાનિક લોકોની નિષ્ઠાનો હું વર્ષોથી સાક્ષી રહૃાો છું. ગિર અને સિંહોની મુશ્કેલીઓના નિવારણ માટે આ સૌ કર્મવીરોની સાથે મેં પણ વ્યક્તિગત રીતે તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ વડા તરીકે પહેલ કરી છે.

ખુલ્લા કૂવાઓમાં અને રેલવે ટ્રેક પર અકસ્માતે સિંહ ઇજાગ્રસ્ત ન થાય કે મૃત્યુ ન પામે તેવી સઘન કાળજી રાખવાનાં પગલાં લેવામાં વિનમ્ર પ્રદાન આપ્યું છે. ૨૮૨૮ જેટલા ખુલ્લા કૂવાઓ પર પેરાપેટ કઠેડા બાંધાવી દીધા છે. સિંહો રેલવે લાઇન પર ન ચડી જાય તે માટે તેમની અવર-જવરના અનેક માર્ગો પર જાળીદાર ફેન્સિંગ કરવાની તથા ટ્રેનોની ગતિ નિયંત્રિત કરવા અંગેનાં પગલાં લેવાય તે માટે મેં સતત પ્રયત્નશીલ રહી સક્રિયતા દાખવી છે.

આવાં કાર્યોમાં સહભાગી બનવાની મને તક સાંપડી તેનો મને આનંદ છે. ગિર અને સિંહોના પ્રશ્નો વખતોવખત સંસદ સહિત વિવિધ સરકારી, બિનસરકારી મંચો પર ઊઠાવ્યા છે. બેબિઓસિસ કે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ગ્રસ્ત સિંહોની સારવાર તથા આ વાઇરસ ન પ્રસરે તે માટે અમારા વનતારાના નિષ્ણાતોને તાબડતોબ તેડાવી તેમની મદદ લીધી છે. સિંહોની આંતરિક વર્ચસ્વની ઘાતક લડાઇમાં ઘવાયેલા સિંહ જય-વીરુને બચાવવા પણ આ રીતે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જો કે સિંહોની આ દંતકથારૂપ જોડીને નહિ બચાવી શકવાનો વસવસો મને જીવનપર્યંત રહેવાનો. હાલમાં સિંહની વસ્તી ધરાવતા વિસ્તારોમાં નાના મોટા ઘણાં રિસોર્ટ/હોમ સ્ટે ખૂલી ગયા છે અને જેના લીધે ધ્વનિ અને પ્રકાશનું પ્રદૂષણ ખૂબજ વધી ગયું છે જે સિંહ અને વન્ય જીવો માટે નુકસાનકર્તા છે. મે તે રોકવા માટે સરકાર શ્રીને અપીલ કરી છે અને આગળ પણ કરતો રહીશ.

જો કે આજનું ગિર ચાર દાયકા પહેલાંના ગિરથી ઘણું અલગ છે. સિંહોએ બદલાતી પરિસ્થિતિને સ્વીકારી છે, પરંતુ તેમની આસપાસનું પર્યાવરણ તેનાથી પણ વધુ ઝડપે બદલાઈ રહૃાું છે. આજે વધુને વધુ સિંહો અભયારણ્યની બહારના નાનાં-નાનાં આરક્ષિત જંગલોના ટુકડાઓમાં, ગાંડાબાવળની કાંટમાં, માનવ વસાહતોની નજીક આવેલાં નદી-નાળાંની ઝાડીઓમાં તેમજ ખેતી અને ઔદ્યોગિક વિસ્તારોમાં વિચરણ કરે છે. આ તેમની અદ્ભુત અનુકૂલન ક્ષમતાનું પ્રતીક છે, તાજેતરમાં જ આપણે જોયું કે સિંહોએ જાતે જ બરડાને પોતાના બીજા રહેઠાણ તરીકે પસંદ કર્યું છે. સિંહોને સુરક્ષિત વન્યજીવ કોરિડોર, પૂરતો કુદરતી શિકાર, માનવ પજવણીથી મુક્ત જીવન અને લાંબા ગાળે ટકી રહે તેવા પરસ્પર જોડાયેલા કુદરતી આવાસોની જરૂર છે.

આ ચાર દાયકાઓ દરમ્યાન ગિર અને સિંહો સાથેના મારા ભાવનાત્મક જોડાણ અને લગાવમાં ઉત્તરોત્તર વધારો જ થતો ગયો છે. ગિર અને સિંહ એક-બીજાનાં પૂરક છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપણે સૌ માનવોએ કમ સે કમ એક એવો સંકલ્પ તો લેવો જોઇએ કે આપણે ગિરને ગંદું કે પ્રદૂષિત ન કરીએ અને સિંહોને પજવીએ કે નડીએ નહીં.

(રાજ્ય સભા સાંસદ શ્રી પરિમલ નથવાણી એક ઉત્કૃષ્ટ સિંહપ્રેમી છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર છે.)

-: આલેખન :- પરિમલભાઈ નથવાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh