Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાંથી અપહરણ કરાયેલા બાળકને ગણતરીની કલાકોમાં મુક્ત કરાવાયોઃ સાત ઝબ્બે

તાત્કાલિક હરકતમાં આવેલી પોલીસે વીંછીયા પાસેથી બંને મોટર ઝડપી લીધીઃ

ખંભાળિયા તા. ૧: ખંભાળિયામાં રવિવારે સાંજે છ વર્ષના બાળકનું તેના મામાના કબજામાંથી બે મોટરમાં કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું. તેની બાળકના મામાએ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, તેમની બહેન સગર્ભા હાલતમાં પિયર રિસામણે આવ્યા હતા અને છ વર્ષથી ત્યાં જ રહેતા હતા. આ બાળકનું તેના પિતા એવા પોલીસ કર્મચારીએ અપહરણ કર્યું છે. પોલીસે તાત્કાલિક હરકતમાં આવી શરૂ કરેલી તપાસના અંતે રાજકોટના વીંછીયા પાસેથી બંને મોટર મળી આવી છે. તેમાંથી અપહૃત બાળકને છોડાવાયો છે અને સાત આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ખંભાળિયા શહેરમાં આવેલા શક્તિનગરમાં બંગલા વાડી શેરી નં.૩માં રહેતા જયદીપસિંહ કનકસિંહ પરમાર તથા તેમના છ વર્ષના ભાણેજ મિતરાજસિંહ વાઘેલા રવિવારે આંટો મારવા માટે બાઈક પર નીકળ્યા હતા. ત્યારે તેઓ જ્યારે બંગલાવાડીમાં પહોંચ્યા ત્યારે એક કાળા કાચ વાળી મોટરમાંથી એક અજાણ્યો શખ્સ ઉતર્યાે હતો તેણે બાઈક રોકાવી પોસ્ટ ઓફિસ ક્યા છે તેમ પૂછયું હતું અને ત્યારે જ મોટરમાંથી ઉતરેલા જયદત્તસિંહ સતુભા વાઘેલાએ પાછળ બેસેલા મિતરાજસિંહને તેડી લઈ મોટરમાં બેસાડી દીધા હતા અને મોટર ભગાડી મૂકી હતી. આ બનાવથી હેબતાયેલા જયદીપસિંહે દોટ મૂકીને મોટરનું સ્ટીયરીંગ પકડયું હતું ત્યારે જયદત્તસિંહે એક ઓટલા સાથે તેઓને અથડાવતા ગોઠણમાં ઈજા થવાથી જયદીપસિંહનો હાથ છૂટી ગયો હતો અને મિતરાજસિંહનું અપહરણ કરી આ મોટર નાસી ગઈ હતી. તેની સાથે અન્ય એક મોટર પણ નાસી છૂટતી જોવા મળી હતી.

બનાવની તરત પોલીસને જાણ કરવામાં આવ્યા પછી એસપી નિતેશ પાંડેયની સુચનાથી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તેમજ એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, સ્થાનિક પોલીસના કાફલા દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો અને પોલીસ દ્વારા મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા ચકાસાયા હતા. જેમાં આ મોટર પોરબંદર રોડ તરફ અને ત્યાંથી ઉપલેટા તરફ જતી જણાઈ આવી હતી. તેથી ઉપલેટા પોલીસની પણ મદદ લેવાઈ હતી.

ત્યારપછી આગળ વધેલી તપાસમાં તે મોટર રાજકોટના વીંછીયા તરફ જતી જણાઈ આવતા સ્થાનિક પોલીસની મદદથી આ મોટર તથા તેની સાથે રહેલી બીજી મોટર આંતરી લેવાઈ હતી. જેમાં જીજે-૨૭-એબી ૯૪૫૪ નંબરની મોટરમાંથી અપહૃત બાળક મીતરાજસિંહ અને તેના પિતા જયદત્તસિંહ સહિતના સાત વ્યક્તિ બંને મોટરમાંથી મળી આવ્યા હતા.

આ બાળકના પિતા તેમજ મહેન્દ્રસિંહ, યશપાલસિંહ, અજય, વેદાંત, હરેશ ભુવા, બિપીન મકવાણા નામના સાતેય શખ્સને ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને મોટર કબજે કરી લઈ આરોપીઓની ધરપકડ કરી છે. તે પછી વધુ વિગતો ખૂલ્યા મુજબ ફરિયાદી જયદીપસિંહના બહેન શિતલબાના લગ્ન વર્ષ ૨૦૧૭માં મૂળ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વતની અને હાલમાં અમદાવાદની હરભોલેનાથ સોસાયટીમાં રહેતા જયદત્તસિંહ વાઘેલા સાથે થયા પછી છેલ્લા છ વર્ષથી રીસામણે પિયર આવ્યા હતા.

સગર્ભા રહેલા આ યુવતીએ પુત્ર મિતરાજને જન્મ આપ્યો હતો. ત્યારથી શિતલબા તથા તેનો પુત્ર મિતરાજ મામા, નાનાને ત્યાં જ હતા તેને લઈ જવા માટે જયદત્તસિંહ ઉધામા કરતા હતા. તેનાથી કંટાળી જઈને ગયા જાન્યુઆરી મહિનામાં શિતલબાએ પોતાના પિયરમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી મિતરાજ નાના તથા મામા સહિતના પરિવાર સાથે રહેતો હતો.  ત્યાંથી તેને લઈ જવા અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયદત્તસિંહ અને અન્ય વ્યક્તિઓ રવિવારે ખંભાળિયા આવ્યા હતા અને ત્યાંથી મિતરાજનું અપહરણ કરીને લઈ ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh